Thursday, 3 April 2014

ખજૂરીનાં બીજમાંથી નહીં, પાંદડાંના અવશેષોમાંથી તૈયાર થતો પ્લાન્ટ


સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજીથી ખજૂરીના છોડ વિકસાવવામાં સફળતા મેળવતી આણંદ કૃષિ યુનિ. : ડીએનએ પરીક્ષણ થી ખજૂરીનો છોડ નર છે કે માદાની નક્કી કરાતી ઓળખ

કચ્છની ખારેકની આજે વિશ્વભરમાં નામના છે. કચ્છની મધમીઠી ખારેકની ગલ્ફ દેશોમાં માંગ વધતાં ખેતીનો વ્યાપ વધાવાની સાથે ખેડૂતોને હવે સારા ભાવ મળવા લાગ્યા છે.  બાગાયતી ખેતીમાં આવતા ખજૂરના પાકમાં ટિસ્યૂકલ્ચર રોપાના પ્રવેશથી પાક ઉત્પાદનની સાથે ઉત્પાદનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.  પરંતુ  લેબોરેટરીમાં સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજીથી ખજૂરીના છોડને વિકસાવવામાં આણંદ કષિ યુનિ.એ સફળતા મેળવી છે. સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજી એક એવી વિશેષ ટેક્નોલોજી છે કે જેમાં ખજૂરીનાં બીજ નહીં પરંતુ છોડનાં પાંદડાંના કેટલાંક અપરિપક્વ અવશેષો લેવામાં આવે છે અને લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરી કોષ સમૂહ બનાવવામાં આવે છે. જેને ટેકનિકલ ભાષામાં કેલસ કહેવામાં આવે છે. આ કેલસને (પાંદડાંને) ૨૧-૨૧ દિવસ સુધી અલગ અલગ રીતે પ્રજનન માટે મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક ભ્રૂણ તૈયાર થાય છે અને આ ભ્રૂણ બન્યા બાદ તેમાં નર અને માદા ટાઈપના બે અલગ અલગ છોડ તૈયાર થાય છે. હવે તમને થતું હશે કે નર અને માદા છોડની ઓળખ કેવી રીતે કરી શકાય તો તેના માટે પ્લાન્ટ ટિસ્યૂકલ્ચર લેબોરેટરીની અંદર ડીએનએ પરીક્ષણ કરવામાં આવે છે અને ત્યારબાદ ખજૂરીનો જે તે છોડ નર છે કે માદા તે નક્કી કરવામાં આવે છે.
આણંદ કૃષિ યુનિર્વિસટીએ સૂક્ષ્મ પ્રજનન ટેકનોલોજી અપનાવીને આજથી સાત આઠ વર્ષ પહેલાં આ ખજૂરીના છોડ રોપ્યા હતા. યુનિર્વિસટીએ ગુજરાતના વિવિધ પ્રાંતમાં થતી ખજૂરીના છોડનાં પાંદડાં લઈને ડીએનએ ટેસ્ટ કર્ર્યા હતા. બાદમાં ખજૂરીના પાનમાં સૂક્ષ્મ પ્રજનન પ્રક્રિયાથી ભ્રૂણ તૈયાર કર્યા બાદ છોડ રોપ્યા હતા. આણંદ કૃષિ યુનિર્વિસટી પાસે વર્તમાન સમયમાં ૧૮૦ જેટલા છોડ છે અને કેટલાંક છોડ મુન્દ્રાસ્થિત કૃષિ યુનિર્વિસટીમાં પણ રોપાણ કર્યું છે. લાલ અને પીળી ખારેકના આ છોડ પર ૮ વર્ષ બાદ ફળ આવવાનાં શરૃ થાય છે અને એક છોડ પર અંદાજે ૮૦થી ૧૨૦ કિલોગ્રામ ખજૂરનાં ફળ આવી શકે છે. જો ખેડૂત ખજૂરીના છોડની સારી માવજત કરે તો અંદાજે ૧૫૦ કિલોગ્રામ જેટલું એક છોડ પરથી ઉત્પાદન મેળવી શકે છે. હાલ એક કિલો ખજૂરનો ભાવ ૧૦૦ રૃપિયાની આસપાસ ચાલી રહ્યો છે. જો કોઈ ખેડૂત ખજૂરીના એક ઝાડ પરથી ૧૦૦ કિલોગ્રામ જેટલાં ફળનું ઉત્પાદન મેળવે તો ખેડૂતને એક ઝાડ પરથી અંદાજે ૧૦,૦૦૦ રૃપિયા જેટલી આવક મળી શકે છે.


ખજૂરીના પાક માટે અનુકૂળ વાતાવરણ જરૃરી


સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજીથી વિકસાવેલા ખજૂરીના છોડ માટે સોલ્ટવાળી જમીન એટલે કે ક્ષારવાળી જમીન, સખત ગરમી અને પાણીની ઉપલબ્ધતા જરૃરી છે. કચ્છ, ખંભાત અને ભાલ વિસ્તારમાં આવેલી જમીનો ખજૂરીના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે. ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ તેની ખેતી થઈ શકે છે. જો ખજૂરીના પાક માટે સીઝનની વાત કરવામાં આવે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ખજૂરીના છોડને રોપવામાં આવે છે અને આ છોડ રોપ્યા બાદ આઠ વર્ષ બાદ તેના પર ફળ આવવાનું શરૃ થાય છે. જે અન્ય ખજૂરીનાં ફળ કરતાં ઉત્તમ પ્રકારના ફળ મેળવી શકાય છે. આણંદ કૃષિ યુનિર્વિસટીના પ્લાન્ટ ટિશ્યૂકલ્ચર લેબોરેટરી વિભાગમાં આ તમામ છોડને ડીએનએ ટેસ્ટ કરેે છે. હવે જો કોઈ ખેડૂત સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજીથી વિકસાવેલા ખજૂરીના છોડથી પાક લેવા ઈચ્છતા હોય તો તેમના માટે આ પાક ઉત્તમ ગણી શકાય છે. આણંદ કૃષિ યુનિર્વિસટી દ્વારા આ સિવાય કંકોડાં, પરવળ, બટાટા, વાંસના રોપા પણ બનાવવામાં આવ્યા છે

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment