Monday, 21 April 2014

ચોમાસામાં ડુંગળીની ચમક વધશેઃ ખેડૂતો સંગ્રહ કરે


ડુંગળીની આવક ઘટવા છતાં ભાવ સ્થિર : ઉત્પાદન ૧૭૫ લાખ ટન રહેશે : કમોસમી વરસાદથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળીના પાકને મોટું નુક્સાનઃ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ ઊંચા રહેશે : મે માસથી દેશમાં ડુંગળીનો થતો સંગ્રહ : ડુંગળીની સૌથી વધુ મલેશિયા, દુબઈ, કુવૈત, કતાર, સિંગાપોર, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં નિકાસ : ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં રવી સીઝન દરમિયાન ડુંગળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું રવી સીઝનમાં વાવેતર વધતાં દેશમાં ૧૯૫ લાખ ટન ડુંગળી પાકવાના અંદાજોને કમોસમી વરસેલા વરસાદે ખોટા પાડયા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળીના પાકમાં ૧૫ ટકા નુક્સાની છતાં ઓછી નિકાસ માંગ  અને વધુ સ્ટોકથી ડુંગળીના ભાવ હાલમાં ૮૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચી ગયા છે. છતાં પણ ખેડૂતો મે માસમાં ડુંગળીનો સંગ્રહ કરે તો જૂનથી સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ ઊંચકાવાની શક્યતાથી રાજ્યના ખેડૂતો માટે ડુંગળીનો સંગ્રહ જ એકમાત્ર ઉત્તમ વિકલ્પ છે. અલનીનોની અસરને પગલે ચોમાસુ સામાન્ય રહ્યું તો ડુંગળીના ભાવમાં મોટો
કડાકો થાય તેવી પણ શક્યતાઓ છે. ડુંગળીની આવકમાં ઘટાડાની વચ્ચે હાલમાં ઓછા ભાવથી ખેડૂતોના ચહેરા નિસ્તેજ બની ગયા છે ત્યારે ખેડૂતો સંગ્રહ કરી સારા ભાવ મેળવવાની આશા રાખી શકે છે. ગ રીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવે વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં સામાન્ય માનવીને રાતા પાણીએ રોવડાવ્યા હતા અને સરકારના અથાગ પ્રયાસ બાદ ભાવને કાબૂમાં લેવાયા હતા. ત્યારે ૧૦૦ રૃપિયે કિલો પહોંચેલી ડુંગળી ધીરે ધીરે ૩૦, ૨૦ અને ૧૦ રૃપિયે કિલો વેચાતી થઈ ગઈ. જો કે હવે ફરી એક વાર ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના કેટલાંક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ડુંગળીના પાકને અસર થતા હવે બજારમાં પણ ભાવ સારા રહેવાની અસર જોવાઈ રહી છે. હાલ દેશના મુખ્ય બજારોમાં ડુંગળીની આવક ઓછી થઈ રહી છે.

ડુંગળીનું ઉત્પાદન ૩૦ ટકા ઘટવાની શક્યતાઃ  દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં રવી સીઝન દરમિયાન ડુંગળીનું ઉત્પાદન લગભગ ૩૦ ટકા ઘટવાની શક્યતા છે. જેને કારણે નાના વેપારીઓ અને ખેડૂતો હાલ ડુંગળીનું વેચાણ નથી કરી રહ્યા અને વિવિધ બજારોમાં ડુંગળીની આવક ઘટી રહી છે. જો કે ડુંગળીના ભાવમાં કોઈ ફેર નથી પડયો, પરંતુ ઓછી આવકને કારણે ડુંગળીના ભાવ સારા રહેવાની શક્યતાઓ રહેલી છે
મહુવામાં રોજની ૧૭૦૦થી ૧૮૦૦ ટન લાલ ડુંગળીની આવકઃ જો ખેડૂતો વેચાણમાં સંયમ રાખે તો આગામી દિવસોમાં ભાવ સારા મળી શકે છે. ડુંગળીની સૌથી વધુ નિકાસ મલેશિયા, દુબઈ કુવૈત, કતાર સિંગાપોર, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં કરવામાં આવે છે. ગુજરાતમાં કુલ ૭૫,૦૦૦ હેક્ટરમાં ડુંગળીનું વાવેતરમાંથી ૨૧ લાખ ટન ડુંગળી પાકવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં ૩.૪૨ લાખ હેક્ટર, કર્ણાટકમાં ૧.૬૪ લાખ, મધ્યપ્રદેશમાં ૧.૧૭ લાખ હેક્ટર અને આંધ્રપ્રદેશમાં ૮૯ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં દેશ અને રાજ્યના વિવિધ બજારોમાં નવી ડુંગળીની આવક આવી રહી છે. ડુંગળી માટે રાજ્યના સૌથી મોટા યાર્ડ ગણાતા ભાવનગરના મહુવા માર્કેટયાર્ડમાં રોજની ૧૭૦૦થી ૧૮૦૦ ટન લાલ ડુંગળીની આવક થઈ રહી છે અને ભાવ ૯૧થી ૧૯૯ રૃપિયા પ્રતિ મણેે ચાલી રહ્યા છે. જો ખેડૂતો મે માસમાં ડુંગળીનો સંગ્રહ કરે અને ત્યારબાદ વેચાણ કરે તો ભાવ સારા મળી શકે છે.
ડુંગળીના સંગ્રહથી ભાવ સારા મળશે : ખાસ કરીને નવેમ્બરથી એપ્રિલ સુધીના સમય માટે બજારમાં આવતી ડુંગળીની સેલ્ફ લાઈફ ૧૫થી ૨૦ દિવસથી વધારે હોતી નથી, કારણ કે ડુંગળી બગડી જાય છે.  આ ડુંગળી પાકે એટલે ખેડૂતોએ ખેતરમાંથી સીધા બજારમાં જ તેનું વેચાણ કરવું પડે છે અને જે ભાવ મળે તે ભાવે વેચાણ કરી દેવું પડે છે અને વેપારીઓ પણ બે ત્રણ દિવસમાં અન્ય મોટા વેપારીઓને ડુંગળી વેચી મારે છે. પરંતુ મે માસમાં નીકળતી ડુંગળી ટકી શકે તેવી એટલે કે સંગ્રહલાયક હોય છે. આ ડુંગળી ખાસ કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પાકે છે અને ખાસ કરીને સંગ્રહ કરી શકાય તેવી ડુંગળી જ નીકળતી હોય છે એટલે કે બગડેલી ડુંગળી નીકળે તો તેનો સંગ્રહ પણ ન કરી શકાય. સમગ્ર મે માસમાં સંગ્રહ થતી ડુંગળી આપણને ચોમાસામાં ખાવા મળે છે. એટલે મે માસમાં જો ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે અને માંગ હોય ત્યારે વેચાણ કરીએ તો ભાવ પણ  સારા મળે છે.  કારણ કે ગુજરાતની ડુંગળી બાદ ચોમાસા દરમિયાન  એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કર્ણાટક અને તામિલનાડુનો થોડો નવો પાક બજારમાં આવે છે. જે દક્ષિણનાં રાજ્યોને પુરવઠામાં ટેકો આપે છે. ત્યારબાદ નવેમ્બર માસમાં મહારાષ્ટ્રનો નવો પાક ઉત્પાદન થાય છે. આમ, મે માસમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોને સંગ્રહ કરેલી ડુંગળીના ભાવ સારા મળી શકે છે.  વેપારીઓના મતે માર્કેટમાં ડુંગળીની ઓછી આવકો થતા ડુંગળીના ભાવ ફરી વાર ઊંચકાવાની શક્યતા રહેલી છે. જો કે વર્તમાન સમયમાં ડુંગળીની મધ્યમ આવક છે તો તેની સામે માંગ પણ સ્થિર રહી છે એટલે કિંમતોમાં કોઈ ફેરફાર નથી જોવાઈ રહ્યો પરંતુ વિવિધ માર્કેટમાં બજારભાવમાં આંશિક ફેરફાર સર્જાયા છે. 
           
 ડુંગળીની નિકાસમાં ભારતની સામે ચીનની ચેલેન્જ
ચીન પણ હવે ભારતની લાલ ડુંગળીના નિકાસ બજારને ચેલેન્જ કરી રહ્યું છે. ચીન દ્વારા પાછલા કેટલાંક સમયથી ભારતીય ક્વોલિટીની લાલ ડુંગળીની જાત ઉગાડવામાં આવી રહી છે અને જે દેશોમાં ભારતીય ડુંગળીની નિકાસ થાય છે ત્યાં આ ડુંગળીને પ્રમોટ કરવામાં આવી રહી છે. અપેડાના આંકડાઓ પ્રમાણે ભારતમાંથી ર્વાિષક ૧૬થી ૧૮ લાખ ટન ડુંગળીની નિકાસ થાય છે,  પરંતુ હવે ચીને પણ લાલ ડુંગળીની વૈશ્વિક બજારમાં નિકાસ ચાલુ કરી છે તેમ છતાં ભારતીય નિકાસકારો નિશ્ચિંત છે, કારણ કે ચીન અને ભારતની ડુંગળી વચ્ચે ઘણો ફરક છે. ચીનની ડુંગળીમાં ટેસ્ટ અને આકાર જુદી જાતનો છે, કારણ કે બંને દેશોની જમીન અને જમીનના ગુણધર્મો પણ જુદા જુદા છે.  કારણ કે બન્ને દેશોની જમીન અને જમીનના ગુણધર્મો પણ જુદા જુદા છે. એટલે આયાતકાર દેશ બને ત્યાં સુધી ભારતીય ડુંગળી પર પસંદગી ઉતારી શકે છે. જેને કારણે બન્ને દેશોની ડુંગળી વચ્ચે ૧૦૦ ડોલર પ્રતિ ટનના ભાવનો પણ ફરક રહેશે. વળી ભારતીય ડુંગળીની નિકાસ જે દેશમાં થાય છે એ દેશોમાં ચીન માત્ર જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન જ પગપેસારો કરી શકે છે. કારણ કે આ સમયગાળામાં ભારતીય ડુંગળી મોંઘી થઈ જતી હોય છે. ભારતીય ડુંગળીની કાપણી જૂન મહિનામાં પુરી થઈ જાય છે. જ્યારે ચીન દ્વારા જૂન મહિનાની શરૃઆતમાં કાપણી થાય છે એટલે નિકાસ સીઝન પુરજોશમાં હોય ત્યારે ચીન પુરા ઓર્ડર પણ લઈ શકે તેમ નથી.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં માવઠાથી ડુંગળીનું ઉત્પાદન ૧૫ ટકા ઘટશે
દેશના કેટલાંક વિસ્તારોમાં ફેબ્રુઆરી-માર્ચ માસમાં થયેલા વરસાદને કારણે ડુંગળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જેને કારણે મહારાષ્ટ્રમાં રવી સીઝનમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું થવાની પણ આશંકા રહેલી છે. મહારાષ્ટ્રમાં કુલ ૪૭,૦૦૦ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું જેમાંથી ૪૧,૦૦૦ હેક્ટરમાં ડુંગળીનો પાક વરસાદને કારણે પ્રભાવિત થયો છે.  કમોસમી વરસાદને કારણે હેક્ટર દીઠ ઉત્પાદન પણ ઓછું નોંધાયુ છે.  ડુંગળીના પાકને નુકસાન પહોંચતા પ્રતિ એકર દીઠ ૫૦થી ૬૦ ક્વિન્ટલ ઉત્પાદન નોંધાઈ રહ્યું છે. એનએચઆરડીએફના રિપોર્ટ અનુસાર આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન ઓછું રહેશે. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન ૧૫ ટકા ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે શરૃઆતી અનુમાનોને આધારે વર્ષ ૨૦૧૩-૧૪માં લગભગ ૧૯૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થવાની આશા હતી, પરંતુ ત્યારબાદ નુકસાન થતા ઉત્પાદનમાં ૧૦ ટકાના ઘટાડો થવાની શક્યતા છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૭૫.૧ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થવાનો નવો આંક બહાર આવ્યો છે. એપ્રિલ માસમાં લાસલગાંવમાં ડુંગળીના ભાવ ૮૫૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે જે વર્તમાન સમયમાં પણ સ્થિર છે. જો કે આ તરફ મુંબઈમાં જથ્થાબંધ ભાવમાં ૨૦૦ રૃપિયાનો ઘટાડો થઈ ગયો છે. મુંબઈમાં ૧૦૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે ભાવ ચાલી રહ્યો હતો જે આ સમયે ઘટીને ૮૦૦ રૃપિયા થઈ ગયો છે. મુંબઈનાં વિવિધ માર્કેટમાં ભાવમાં ઉતાર-ચઢાવને પગલે વેપારીઓ અને ખેડૂતોનું માનવું છે કે જો એક મહિના સુધી ડુંગળીનો સંગ્રહ કરી રાખવામાં આવે તો આગામી સમયમાં સારા ભાવ મળી શકે તેમ છે. આ સમયે ખેડૂતો ડુંગળીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાને બદલે પોતાના ઘરમાં સંગ્રહ પણ કરી શકે છે અને એક બે મહિના બાદ સારા ભાવ મેળવી શકે છે. 

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment