Monday, 14 April 2014

ખેતીનું ભવિષ્ય: ઓર્ગેનિક અને બાયોટેક્નોલોજી

૧.૫૦ લાખ કરોડ રૃપિયાનું ઓર્ગેનિક બજાર : ૨૦૧૭માં કૃષિમાં બાયોટેક્નોલોજીનો વેપાર રૃ.૫૦ હજાર કરોડે પહોંચશે : સજીવ ખેતીનો આંક ૫૨ લાખ હેકટરે પહોંચ્યો : ૨૦૧૨-૧૩માં ૧૩૪ લાખ ટન સજીવ પ્રોડક્ટનું ઉત્પાદન :દેશમાં સજીવ ખેતીમાં મધ્યપ્રદેશ ટોચ પરઃ બાયોટેક્નોલોજીનો ખેતીમાં વધતો વ્યાપ ઃ દેશમાં આગામી દાયકો ઓર્ગેનિક પ્રોડક્ટનો રહેશે :દેશની ઓર્ગેનિક પ્રોડક્ટસની યુરોપિયન યુનિયન, સ્વિત્ઝર્લેન્ડ, અમેરિકા, કેનેડા, સાઉથ ઈસ્ટ એશિયન દેશો અને સાઉથ આફ્રિકામાં સારી એવી માગ :નિકાસ વૃદ્ધિમાં ૪.૩૮ ટકાનો વધારો 

કૃષિક્ષેત્રની સાથે દેશમાં ઓર્ગેનિક અને બાયોટેક્નોલોજી સેક્ટરનો વિકાસ જેટ ગતિએ વધી રહ્યો છે. ઓર્ગેનિક પ્રોડક્ટની માંગમાં ઉછાળો આવતાં ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીમાં રસ વધાર્યો છે. દેશમાં ૫૨ લાખ હેક્ટરમાં (વન્ય સાથે) થતી ઓર્ગેનિક ખેતીમાંથી ૧૩૪ લાખ ટન સજીવ પ્રોડક્ટનું ઉત્પાદન થઇ રહ્યું છે અને નિકાસ થકી દેશ વર્ષે ૨૨૪૪ કરોડ રૃપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઇ રહ્યો છે. આજે મધ્યપ્રદેશ એ સજીવ પ્રોડક્ટસના ઉત્પાદનમાં દેશભરમાં મોખરે છે. ખેતીમાં બાયોટેક્નોલોજીનો વ્યાપ પણ ઓર્ગેનિકની જેમ વધી રહ્યો છે. દેશની ૩૦૦ લેબોરેટરી અને રિસર્ચ સેન્ટરમાં નિતનવાં સંશોધનો થકી આજે બાયોટેક્નોલોજી એ ખેતીનું અભિન્ન અંગ બની ગયું છે. દેશમાં બાયોટેક્નોલોજી સેક્ટરમાં કૃષિનો હિસ્સો ૧૪ ટકા થઇ ગયો છે

ભા રતમાં ધીરે ધીરે સજીવ ખેતીનો વિસ્તાર વધી રહ્યો છે. આ જ પ્રકારે બાયોટેક્નોલોજીનો પણ ખેતીમાં વપરાશ વધી રહ્યો છે. ભારતમાં ૨૦૧૨-૧૩માં ઓર્ગેનિક ખેતીમાંથી ૧૩૪ લાખ ટન માન્યતા પ્રાપ્ત કરેલી સજીવ પ્રોડક્ટ્સનું ઉત્પાદન થયું છે. આ સજીવ પ્રોડક્ટ્સમાં શેરડી, કોટન, બાસમતી ચોખા, કઠોળ, ચા, મસાલા, કોફી, તેલીબિયાં અને ફળ પાકોનો સમાવેશ  કરાય છે. જેમાંથી ૧.૬૫ લાખ ટન ઓર્ગેનિક વસ્તુઓની નિકાસ થકી દેશને કુલ રૃપિયા ૨,૨૪૪ કરોડ રૃપિયાનું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થયું છે. સજીવ ખેતીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે તેને જોતાં વિશ્વમાં ભારતે સજીવ ખેતીમાં ૧૦મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ભારતમાં કુલ ૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં સજીવ ખેતી કરવામાં  આવે છે. જેમ જેમ સજીવ પ્રોડક્ટ્સની માંગ વધી રહી છે તેમ સજીવ ખેતીનો વ્યાપ અને વેપાર પણ  વધ્યો છે. સાથે જ ખેડૂતો સજીવ ખેતી અંગે જાણતાં સજીવ ખેતીનો વ્યાપ વિસ્તર્યો છે તેની સામે બાયોટેકનોલોજીનો પણ ખેતીમાં વ્યાપ વધ્યો છે. જેને કારણે  વર્ષ ૨૦૧૭ સુધીમાં બાયોટેકનોલોજીનો વેપાર ૫૦ હજાર કરોડે પહોંચે તેવી સંભાવનાઓ રહેલી છે. બાયોટેકનોલોજીની જો વાત કરવામાં આવે તો ભારતમાં બાયોટેક ઉદ્યોગ ૩૦૦ પ્રયોગશાળા અને યુનિર્વિસટીઓ ધરાવે છે. જેમાં વિવિધ રિસર્ચ કરવામાં આવે છે અને ઉદ્યોગને આગળ ધપાવવામાં આવે છે. બાયોટેક ઉદ્યોગના વધતા જતા ગ્રોથને કારણે વર્ષ ૨૦૧૩માં કૃષિમાં બાયોટેક સેક્ટર ૨૦૦૦ કરોડ રૃપિયાએ પહોંચ્યું છે. આ વિકાસ પાછળ બાયોટેક પ્રોડક્ટ્સની વધતી માંગ, રિસર્ચ અને વિવિધ પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ જવાબદાર માનવામાં આવે છે. ખાસ કરીને કૃષિ, બાગાયત, પોલ્ટ્રી, ડેરી ઉદ્યોગ, ફળ અને શાકભાજીનાં ઉત્પાદનો બાયોટેકનોલોજી પર ખાસ્સા એવા નિર્ભર રહે છે અને વેપારને આગળ ધપાવવામાં અસ્તિત્વ ધરાવે છે.
સજીવ ખેતીનો વ્યાપ વધારવા માટે ભારત સરકારે 'નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન' (એનપીઓપી) નામની યોજના પણ અમલમાં મૂકી છે. દેશના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર ૨૦૦૯-૧૦માં ગુજરાતમાં ૫૩,૫૯૬ હેક્ટરમાં સજીવ ખેતી થતી હતી અને આ ખેતી સાથે ૧૯,૩૫૩ ખેડૂતો સંકળાયેલા હતા. આજે તેમાં વધારો નોંધાયો છે. એનપીઓપી દ્વારા ઓર્ગેનિક પ્રોડક્ટ્સનાં ધારાધોરણો, ગુણવત્તા, ઉત્પાદન વગેરે અંગે ધ્યાન આપવામાં આવે છે. વળી એનપીઓપી દ્વારા માન્યતા આપવામાં આવેલી પ્રોડક્ટ્સનું યુરોપિયન કમિશન અને સ્વિત્ઝર્લેન્ડ દ્વારા તેમના દેશની પ્રોડક્ટ્સની સમકક્ષ ગણાતી પ્રોડક્ટ્સને માન્યતા આપવામાં આવે છે. જેને કારણે ભારતીય વસ્તુઓની નિકાસ વધે છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે. આ જ પ્રકારે યુએસડીએ દ્વારા પણ ભારતના અધિકૃત ર્સિટફિકેટ ધરાવતી સંસ્થાઓમાંથી પ્રમાણિત થયેલાં ઉત્પાદનોને આયાત કરવાની પરવાનગી આપવામાં આવે છે જેને કારણે નિકાસ બજાર સતત ધમધમતું રહે છે.
સજીવ ખેતીમાં દેશનાં વિવિધ રાજ્યો પૈકી મધ્યપ્રદેશ રાજ્ય ટોચ પર છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન બાદ મધ્યપ્રદેશમાં સૌથી વધારે વિસ્તારમાં સજીવ ખેતી કરવામાં આવે છે. જેને કારણે સજીવ પ્રોડક્ટ્સનો મોટાભાગનો હિસ્સો મધ્યપ્રદેશનો રહેતો હોવાનું પણ માનવામાં આવે છે. ભારતમાંથી વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૩૫ સજીવ પ્રોડક્ટની કુલ ૧,૬૫,૨૬૨ લાખ ટનની કુલ ૨૨૪૪ કરોડ રૃપિયાની નિકાસમાં  ઓર્ગેનિક ટેક્સટાઈલનો પણ સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓની નિકાસ ખાસ કરીને યુરોપિયન યુનિયન, સ્વિત્ઝર્લેન્ડ, અમેરિકા, કેનેડા, સાઉથ ઈસ્ટ એશિયન દેશ અને સાઉથ આફ્રિકામાં કરવામાં આવે છે.  

ગુજરાતમાં પાંચ હજાર હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી
ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધતો જાય છે. હાલમાં ૫૦૦થી ૭૦૦ ખેડૂતો ૫૦૦૦ હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. આ આંકમાં ઘાસચારો અને જંગલોની જમીનનો સરવાળો થતો નથી તેમ રાજ્યમાં સજીવખેતી ક્ષેત્રે અનેક વર્ષોથી કામગીરી કરતાં વડોદરાના કપિલભાઇ શાહે જણાવ્યું હતું. આજે રાજ્યમાં સજીવ ખેતીનો વ્યાપ વધવાનું કારણ ઓર્ગેનિક અંગે જાગૃતિ અને પ્રોડક્ટની માંગ જવાબદાર છે. ખેતીમાં ખર્ચ વધતો જતો હોવાની સાથે જમીન, પાણી અને પર્યાવરણનો બગાડ થતો હોવાનું પણ હવે ખેડૂતો સમજી ચૂક્યા છે અને આગામી દાયકો ઓર્ગેનિક પ્રોડક્ટનો હોવાનો તેમાં શંકાને પણ સ્થાન નથી. 


બાયોટેક્નોલોજી : છોડ કેે નવી જાતના ઉદ્ભવ માટેે વપરાતી વૈજ્ઞાનિક પદ્ધતિ

 બાયોટેક્નોલોજી એટલે કે કોઈ પણ છોડ કેે કોઈ નવી શંકર જાતના ઉદ્ભવ માટેે વપરાતી એક વૈજ્ઞાાનિક પદ્ધતિ છે.  કૃષિક્ષેત્રમાં બાયોટેક્નોલોજી ઘણાં લાંબા સમય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક ઉદાહરણ અંગે વાત કરીએ તો હાલ ઘઉંની વિવિધ જાતો રહેલી છે જેમાં વિવિધ જાતોનું ક્રોસ બ્રિડિંગ કરીને નવી જાતને વિકસાવવામાં આવે છે. ઘઉંની કોઈ પણ એક જાતના બીજી જાત સાથે ડીએનએ મેચ કરીનેે નવી જાત તૈયાર કરવી હોય તો તેમાં બાયોટેક્નોલોજીનો ઉપયોગ કરવો જરૃરી બની જાય છે. દેશમાં બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝના અંદાજ અનુસાર હાલમાં દેશમાં બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝનો વેપાર ૨૮,૫૦૦ કરોડનો છે. જેમાં એગ્રીકલ્ચર સેક્ટરનો હિસ્સો ૧૪ ટકા છે. જ્યારે દિનપ્રતિદિન આ સેક્ટરની વધતી જતી માંગને પગલે બાયોટેક્નોલોજીનો વેપાર ૨૦૧૭માં ૧૧.૬ બિલિયન ડોલર થવાનો અંદાજ છે. બાયોટેક્નોલોજીમાં વિવિધ રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરી નવી જાત તૈયાર કરવામાં આવે છે. આ જાતના વિકાસ પાછળ મુખ્ય કારણ એ હોય છે કે બાયોટેકનોલોજીથી વિકસાવેલા પ્લાન્ટ કે બિયારણની જાતમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે જેને કારણે પાકની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં સુધારો રહે છે અને ઉત્પાદન વધુ મળે છે. વૈજ્ઞાાનિકોે બાયોટેક્નોલોજીને 'જિનેટિક એન્જિનિયરિંગ' તરીકે પણ ઓળખાવે છે. વૈજ્ઞાાનિકો ખાસ કરીને છોડ, બિયારણ, પ્રાણીઓ, બેક્ટેરિયા અથવા કોઈ એક વાઇરસમાંથી ચોક્કસ જનીનો લે છે અને અન્ય સજીવમાં આ જનીનો દાખલ કરે છે. ત્યારબાદ બાયોટેક્નોલોજીના માધ્યમથી તૈયાર થતી જાતને ટ્રાન્સજેનિક સજીવ અથવા અનુવંશિક સજીવ તરીકે જાહેર કરે છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment