Monday, 3 March 2014

ગ્રીનહાઉસમાં એમ્પેનલઃ ખેડૂતો 'રાજા' બન્યા

  • રાજ્યમાં છ માસ બાદ હવે નવા ગ્રીનહાઉસને મંજૂરી મળશે
  • કૃષિ વિભાગે ૧૩ કંપનીઓનો એમ્પેનલમાં સમાવેશ કર્યો 
  • કંપનીએ એગ્રોનોમી ર્સિવસ ખેડૂતોને ફરજિયાત આપવી પડશે 
  • ત્રણ વર્ષની ખેડૂતોને ગ્રીનહાઉસ કે નેટહાઉસની વોરંટી મળશે 
  • વોરંટી સમયની અંદર જો કોઈ પણ સાધનોમાં ભંગાણ સર્જાશે અથવા ખામી દેખાશે તો ખેડૂતને તાત્કાલિક ધોરણે બદલી આપવાની રહેશે 
  • એજન્સીએ જે તે ખેડૂતને અને તેના પરિવારજનોને ૧૫ દિવસ સુધી તાલીમ આપવાની રહેશે

રાજ્યમાં પાછલા છ માસથી નવા ગ્રીનહાઉસની મંજૂરીનું ગૂંચવાયેલું કોકડું હવે ઉકેલાઇ ગયું છે. ગ્રીનહાઉસ કંપનીઓ અને કૃષિ વિભાગ વચ્ચે ભાવની સર્જાયેલી મડાગાંઠ વચ્ચે કૃષિ વિભાગે નવું એમ્પેનલ બનાવી ૧૩ કંપનીઓનો સમાવેશ કર્યો છે. જે કંપનીઓ થકી ગ્રીનહાઉસ બનાવનાર ખેડૂતોને સરકારી ધારાધોરણો પ્રમાણે ગ્રીનહાઉસ કે નેટહાઉસમાં મળતી સબસિડીનો લાભ મળી રહેશે. આ એમ્પેનલમાં ખેડૂતોને એક વિશેષ સત્તા અપાઇ છે કે ખેડૂતો એમ્પેનલમાં સમાવિષ્ટ કંપનીઓમાંથી જે તે કંપની જાતે જ નક્કી કરી શકશે. આ કંપની ખેડૂતને એગ્રોનોમી ર્સિવસ પણ પૂરી પાડશે. નવા એમ્પેનલથી હવે કંપનીઓએ ખેડૂતોને આર્કિષત કરવા વિશેષ સહયોગ અને માર્ગદર્શન આપવું જરૃરી બનશે.
કામગીરી અંગેનું આયોજનઃ ખેડૂતે પસંદ કરેલી કંપનીએ ગ્રીનહાઉસ કે નેટહાઉસ બનાવી આપવાની કામગીરી કરવાની રહેશે સાથે જ એગ્રોનોમી સેવાઓ પણ પૂરી પાડવાની રહેશે.  ખેડૂત ગ્રીનહાઉસ કે નેટહાઉસ બનાવવા માંગતા હશે તો જે તે એજન્સીએ પ્રોજેક્ટ મંજૂર કરાવવો પડશે, ત્યારબાદ ગ્રીનહાઉસનું માળખું, વિસ્તાર, પ્રોજેક્ટનો ખર્ચ, મટીરિયલ્સનાં કામચલાઉ બિલો વગેરે સંબંધિત અધિકારીને રજૂ કરવાનાં રહેશે. જે તે કંપનીએ પ્રોજેક્ટ માટે વપરાતી ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે પણ ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને ભારતીય ધારાધોરણો આધારે નક્કી કરાયેલી કંપનીઓનાં મટીરિયલ્સ વાપરવાં પડશે. ખેડૂતે જે પ્રકારનો પાક નક્કી કર્યો હશે તે પ્રમાણે ગુણવત્તાયુક્ત પોલિથીન અને નેટનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં નક્કી કરેલી સમયમર્યાદામાં જે તે એજન્સીએ ગ્રીનહાઉસ, નેટહાઉસ કે પોલીહાઉસ બનાવવાનું રહેશે.
એજન્સી દ્વારા ગ્રીનહાઉસ કે નેટહાઉસ તૈયાર કરવામાં આવે ત્યારબાદ ખેડૂતને સોંપવાનું રહેશે. સાથે જ જે તે ખેડૂતને સ્થાનિક ભાષામાં ગ્રીનહાઉસ, નેટહાઉસ અને પોલીહાઉસ અંગેની માહિતી પૂરી પાડવાની રહેશે.
વેચાણ સેવા, સમારકામ અને જાળવણીઃ ગ્રીનહાઉસ કે નેટહાઉસ તૈયાર થઈ ગયા બાદ જે તે એજન્સીએ ખેડૂતને ત્રણ વર્ષની વોરંટી આપવાની રહેશે. આ વોરંટી સમયની અંદર જો કોઈ પણ સાધનોમાંં ભંગાણ સર્જાશે અથવા ખામી દેખાશે તો ખેડૂતને તાત્કાલિક ધોરણે બદલી આપવાની રહેશે અને જો વોરંટી પિરિયડ પતી ગયા પછી ખેડૂતને કોઈ સાધનો બદલાવવાં હશે તો તેનો ચાર્જ પણ વસૂલવામાં આવશે. જો ગ્રીનહાઉસ, નેટ હાઉસનું માળખું તૈયાર કરતી વખતે જે તે એજન્સી દ્વારા કોઈ સાધનોમાં ખામી દેખાશે અથવા જે તે સમયે કામગીરી દરમિયાન સાધનો તૂટી જશે તો ખેડૂતને બિલકુલ મફતમાં સાધનો બદલી આપવાનાં રહેશે.
એગ્રોનોમિકલ સેવાઓઃ  ગ્રીનહાઉસ તૈયાર થઈ ગયા બાદ જે તે ખેડૂતને એગ્રોનોમિ ર્સિવસ પણ પૂરી પાડવાની રહેશે. એજન્સીએ જે તે ખેડૂતને અને તેના પરિવારજનોને ૧૫ દિવસ સુધી તાલીમ આપવાની રહેશે. ત્યારબાદ જે ખેડૂતે ગ્રીનહાઉસ, નેટહાઉસ કે પોલીહાઉસ તૈયાર કરાવ્યું હશે તેમને ત્રણ વર્ષ સુધી એગ્રોનોમી સેવાઓ આપવી પડશે જેથી ખેડૂતને સંપૂર્ણ જાણકારી મળી શકે.
એગ્રોનોમી સેવાઓમાં ખેડૂતને કયો પાક લેવો, કઈ જાતનું બિયારણ વાપરવું સાથે જ અત્યારે એગ્રિકલ્ચર ક્ષેત્રમાં કઈ ગતિવિધિઓ ચાલી રહી છે તે અંગે પણ માહિતગાર કરવાના રહેશે. તો માર્કેટમાં કયો પાક વધારે ચાલી રહ્યો છે અને કયો પાક સારો સાબિત થશે તે અંગે પણ માહિતગાર કરવાના રહેશે. જો માહિતી આપ્યા બાદ કોઈ ખેડૂત પોતાની જાતે જે  પાક લેવા ઈચ્છતો હશે તો પણ લઈ શકે છે. તો જે તે એજન્સી દ્વારા નિમાયેલા એગ્રોનોમિસ્ટે દર ૧૫ દિવસે ખેડૂતનાં નેટ હાઉસ, ગ્રીનહાઉસ કે પોલીહાઉસની મુલાકાત લેવાની રહેશે.
 એજન્સીએ પોતાની મુલાકાતો અંગે ડેટા સંગ્રહ કરવાનો રહેશે અને તમામ માહિતી એકઠી કરીને સંબંધિત અધિકારીને સોંપવાની રહેશે. જે તે એમ્પેનલ એજન્સીએ બેંક ગેરંટી લેખે ૧ વર્ષની મુદત સુધી અઢી લાખ રૃપિયા પણ જમા કરાવવાના રહેશે. ગુજરાતમાં ૧૩ કંપનીઓનો એમ્પેનલમાં સમાવેશ કરાયો છે જે કંપનીઓ થકી ગ્રીનહાઉસ તૈયાર કરનાર ખેડૂતને સબસિડીનો લાભ મળશે.

એમ્પેનલ સિવાયની કંપનીઓ એનએચબીની સબસિડીના સહારે

રાજ્યમાં ૧૩ કંપનીઓ સિવાય ૧૫૦થી વધુ કંપનીઓ પણ ગ્રીનહાઉસના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ કંપનીઓ એનએચબી એટલે કે નેશનલ ર્હોિટકલ્ચર બોર્ડ દ્વારા નક્કી કરાયેલાં ધારાધોરણો મુજબ સબસિડી મેળવીને ખેડૂતોને ગ્રીનહાઉસ તૈયાર કરી આપવાની કામગીરીમાં જોતરાય તેવી શક્યતાઓ છે. અર્થાત એમ્પેનલમાં સમાવિષ્ટ એજન્સીઓ સિવાયની કંપનીઓ ૫૦ ટકાની સબસિડીમાં નેટહાઉસ કે ગ્રીનહાઉસ બનાવી શકશે. જેમાં એમ્પેનલના નિયમો નહીં પરંતુ એનએચબીનાં ધારાધોરણો લાગુ પડશે જેથી ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તેઓએ કયા પ્રકારની સબસિડીનો લાભ મેળવવો છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment