Wednesday, 19 March 2014

ગુજરાતમાં ઘઉંના ભાવ એપ્રિલ સુધી જળવાઇ રહેશે


યુક્રેન અને રશિયામાં રાજકીય અશાંતિ તેમજ અમેરિકામાં ધાન્ય પાક ઓછો થવાને કારણે ભારતીય ઘઉંના ભાવ સરેરાશ રહ્યા

ભારતના મુખ્ય ધાન્યપાક ગણાતા ઘઉંનું રેકોર્ડબ્રેક વાવેતર બાદ ઉત્પાદનના ઉંચા અંદાજોથી એક સમયે ભારતનો નેટ આયાતકાર દેશ આજે વિશ્વમાં નિકાસકાર દેશ બની ગયો છે. દેશમાં ૮૦૦ લાખ ટન ઘઉંની વપરાશ સામે છેલ્લા ત્રણ વર્ષથી દેશમાં ૯૦૦ લાખ ટનથી વધુ ઘઉં પાકતાં ભારતમાં ૨૪૨ લાખ ટન ઘઉંનો જથ્થો સરકાર પાસે પડયો છે. ચાલુ વર્ષે ભારતમાં ઘઉંના ૩૧૫ લાખ હેક્ટર વાવેતર વચ્ચે દેશમાં માવઠાની સીધી અસર તેની ગુણવત્તા પર પડી છે. દેશમાં ઘઉંના પાકમાં નુકસાનીના અહેવાલને પગલે વૈશ્વિક માર્કેટમાં ઘઉંના ભાવમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક માર્કેટમાં માર્ચ મહિનામાં ડિલિવરી કરાતા ઘઉંના ભાવ ૨૮૦ ડોલર પ્રતિ ટન પહોંચી ગયા છે. જો કે આ વર્ષે જાન્યુઆરી માસમાં ઘઉંનો ભાવ ૨૬૫ ડોલર પ્રતિ ટન રહ્યો હતો. ગુજરાતના વિવિધ માર્કેટમાંથી ઘઉંની નિકાસ થતી હોવાથી ટ્રેડર્સ અને કંપનીઓનું અનુમાન છે કે એપ્રિલ માસના અંત સુધીમાં ઘઉંના ભાવ જળવાઇ શકે છે. ગુજરાતમાં નવા ઘઉંના ભાવ ૧૦ ડોલર પ્રતિ ટન મજબૂત થયા છે. માર્ચ મહિનાની ડિલિવરીવાળા ઘઉં માટે ૨૭૬-૨૮૦ ડોલર પ્રતિ ટન એફઓબી એટલે કે ફ્રી ઓન બોર્ડ ભાવ લગાવવામાં આવ્યો છે અને વર્તમાન સમયમાં મધ્ય-પૂર્વના માર્કેટમાં ઘઉંની નિકાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ઘઉંની ક્વોલિટી સારી રહેવા સાથે ઊપજ વધવાને કારણે વિવિધ ટ્રેડર્સને ગુજરાતના ઘઉં ખરીદવાનોે વિકલ્પ બચ્યો છે.
વર્તમાન સમયમાં વરસાદ અને કરા પડવાને કારણે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઘઉંના પાક પર નકારાત્મક અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને પગલે વિવિધ રાજ્યોમાં ઘઉંની કાપણી પણ મોડેથી કરાઇ છે. ભારતીય ઘઉંની મુખ્ય માગ બાંગ્લાદેશ, મધ્ય-પૂર્વ, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા દેશોમાં વધારે રહે છે. એક તરફ યુક્રેન અને રશિયામાં રાજકીય અશાંતિ તેમજ અમેરિકામાં ધાન્ય પાક ઓછો થવાને કારણે ભારતીય ઘઉંના ભાવ જળવાયા છે. જો કે આ તરફ મે માસમાં ઘઉંના માર્કેટમાં નરમી આવી શકે છે  અને ભારતીય ઘઉંના ભાવ ઘટીને ૨૬૦ ડોલર પ્રતિ ટન થઈ શકે છે. આ સમયે ખાનગી કંપનીઓ માર્કેટમાં આવી શકે છે અને ફરી પાછી ઘઉંની ખરીદી કરી શકે છે. જ્યારે ઘઉંની ખરીદી થશે ત્યારે ફરી પાછી દેશભરમાં નવા પાકની આવકમાં તેજી રહેશે. ટ્રેડર્સોના મતે વૈશ્વિક માર્કેટમાં ઘઉંની માંગ જુલાઈ- ઓગસ્ટ સુધી રહેશે. ત્યારબાદ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી ઘઉંની સપ્લાય વધી જશે. રાજકોટના વિવિધ એક્સપોર્ટરોના મતે હાલ ખરીદદારો મે માસમાં ડિલિવરી પૂરી પાડવા માટે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે. માર્કેટમાં તમામ મોટા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખરીદદારો ભાગ લઈ રહ્યા છે. રાજકોટના માર્કેટમાં ગુજરાત લોક-૧ ઘઉંનો ભાવ ૧૫૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલની આસપાસ ચાલી રહ્યો છે.  નિકાસકારોનું માનવું છે કે કિંમત ૨૬૦થી ૨૮૦ ડોલર પ્રતિ ટન વચ્ચે તેજી રહેતાં નિકાસનો વધારો થશે.

ભારતીય ઘઉંની નિકાસ સબસિડી પર અમેરિકા, કેનેડાની ડબલ્યુટીઓને ફરિયાદ

એક તરફ વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની નિકાસમાં તેજી જોવાઈ રહી છે તો બીજી તરફ ભારતીય ઘઉંની નિકાસ સબસિડીને લઈને અમેરિકા અને કેનેડાએ વિશ્વ વેપાર સંગઠનમાં ફરિયાદ કરી છે. અમેરિકા અને કેનેડાનું કહેવું છે કે ભારત ઘઉંના લઘુતમ ટેકાના ભાવ ઓછા રાખીને વૈશ્વિક બજારમાં અન્ય દેશોના ઘઉંના ભાવને ખરડી રહ્યું છે.  જો કે આ તરફ વિશ્વ વેપાર સંગઠને અમેરિકા અને કેનેડાની ફરિયાદને ફગાવી દીધી છે અને ભારતની નિકાસ સબસિડીની તરફેણ કરી છે. વિશ્વ વેપાર સંગઠનનું કહેવું છે કે ભારતે ઘઉંના ૨૬૦થી ૩૦૦ ડોલર પ્રતિ ટનના ભાવ નક્કી કર્યા તે યોગ્ય છે. જેની સામે કેનેડાનું કહેવું છે કે ભારતીય ઘઉંની સામે કેનેડાના ઘઉંના ભાવ બિલકુલ નીચા જઈ રહ્યા છે  જેથી ભારતે પોતાના લઘુતમ ટેકાના ભાવ વધારવા જોઈએ. જો કે આ તરફ વિશ્વ વેપાર સંગઠનનું કહેવું છે કે ભારત વિશ્વ વેપાર સંગઠનની પોલિસી અનુસાર ઘઉંની નિકાસ કરી રહ્યું હોવાથી વૈશ્વિક બજાર પર તેની કોઈ અસર નહીં પડે.


રાજકીય કટોકટીથી યુક્રેનને નુકસાનઃ ભારતને લાભ

યુક્રેનમાં રાજકીય અશાંતિને કારણે ભારતના ઘઉં બજારને ફાયદો થઈ શકે છે. રાજકીય કટોકટીને પગલે થોડા સમય પહેલાં ઈજીપ્તિયન ઘઉં માટે ૧૦ જેટલા ટ્રેડર્સ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. જેમાં યુક્રેનનો સમાવેશ નહોતો કરાયો. વળી યુક્રેનમાંથી મકાઈ સહિત વિવિધ ધાન્યપાકોનું ઈરાન આયાત કરે છે તે આયાત પણ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે અને ઈરાન હાલ હંગેરીથી ધાન્યપાકોની આયાત કરી રહ્યંુ છે. એક તરફ યુક્રેન વિશ્વમાં સૌથી સસ્તા ભાવે ઘઉં અને મકાઈનું વેચાણ કરે છે. જો કે ૨૦૧૩-૧૪ના માર્કેટિંગ વર્ષમાં યુક્રેનમાંથી નિકાસ ઘટવાને કારણે અને કટોકટીની સ્થિતિને કારણે ભારતને તેનો સીધો ફાયદો થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની માંગ વધી રહી છે તો આ તરફ ભારત સરકારે વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓને પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું સૂચન કર્યું છે. સરકારે  વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ૨૬૦ ડોલર પ્રતિ ટનના ટેકાના ભાવ નક્કી કર્યા છે. જો કે યુક્રેનમાં કટોકટીને પગલે હાલ વિવિધ કંપનીઓ ૨૭૫ ડોલર પ્રતિ ટનના ભાવે ઘઉંની ખરીદી કરી રહી છે. જે ભારત માટે એક સારી બાબત માનવામાં આવે છે. યુક્રેનમાં કટોકટીની સ્થિતિ અને બ્રાઝિલમાં ખરાબ હવામાનને કારણે પણ ભારતને મકાઈ તેમજ ઘઉંની નિકાસમાં સારો એવો ફાયદો મળી શકે છે. 

૨૦ લાખ ટન ઘઉંની નિકાસ થશે

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ કરવા માટે પરવાનગી આપી છે. જેમાંથી મોટાભાગના ટેન્ડરો બહાર પડી ગયા છે. ઘઉંની નવી સીઝન ચાલુ થઇ જતાં સરકારી અને ખાનગી કંપનીઓ પણ ઘઉંની ખરીદી માટે પડાપડી કરી રહી છે. નિકાસલાયક ઘઉંની ખરીદી એપ્રિલથી મે સુધી ચાલતી હોવાની સાથે ગુણવત્તાવાળા ઘઉં ગુજરાતમાંથી પ્રાપ્ય બને તેવી શક્યતાઓથી ઘઉંની મોટાપાયે ખરીદી થઇ રહી છે. પરિણામે રાજ્યમાં ઘઉનું ૪૮ લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા છતાં પણ ઘઉંના ભાવ જળવાઇ રહેશે.
ઘઉંના આયાતકાર મુખ્ય દેશ
દેશ                                નિકાસ
દ. કોરિયા                        ૧૦.૦૧
ઇથોપિયા                         ૬.૮૦
બાંગ્લાદેશ                        ૬.૭૫
યમન                              ૩.૦૬
થાઇલેન્ડ                          ૨.૭૧
ઇન્ડોનેશિયા                      ૨.૧૦
નોંધઃ નિકાસ લાખ ટનમાં અને એફસીઆઇ દ્વારા ૨૦૧૨-૧૩માં થયેલી છે.

ઘઉંના ઉત્પાદનના અંદાજ
વર્ષ                    ઉત્પાદન
૨૦૦૯-૧૦         ૮૦૮.૮
૨૦૧૦-૧૧         ૮૬૮.૭
૨૦૧૧-૧૨         ૯૪૦.૮
૨૦૧૨-૧૩         ૯૨૩.૦
૨૦૧૩-૧૪         ૯૫૬.૦
નોંધ : ઉત્પાદનના આંક લાખ ટનમાં છે.

રાજ્યના મુખ્ય માર્કેટયાર્ડના ભાવ
યાર્ડ                 લોકવન               ટુકડા
રાજકોટ              ૨૮૮થી ૩૬૫       ૨૯૨થી ૪૧૦
ગોંડલ                 ૨૮૦થી ૪૦૧       ૨૯૭થી ૪૪૬
હિંમતનગર           ૩૧૧થી ૪૬૦       -----------
જૂનાગઢ              ૨૮૫થી ૩૫૭       ૨૯૦થી ૪૦૩
ઇડર                   ૩૨૫થી ૪૧૫       -----------         
કોડિનાર              ૨૬૦થી ૩૦૦       -----------

નોંધઃ  ભાવ મણના છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment