Monday, 24 March 2014

ગુજરાતમાં ૪૦ લાખ ટન ડુંગળી, બટાટાનું ઉત્પાદન થશે


રવીમાં ડુંગળી અને બટાટાનું સૌથી વધુ થતું વાવેતર  : ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશેઃ ભાવમાં વધારો રહેશે : ૩ કરોડ કટ્ટા બટાટા કોલ્ડસ્ટોરેજમાં મૂકાયા : ભાવ ઘટયા

રાજ્યમાં રવી સીઝનમાં શાકભાજીના રાજા ગણાતા ડુંગળી અને બટાટાના ઉંચા વાવેતરને પગલે ઉત્પાદન ૪૦ લાખ ટન થવાની સંભાવના છે. ડુંગળીએ ખેડૂતોને ચોંધાર આંસુએ રડાવ્યા બાદ હવે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળીના પાકમાં નુક્સાનથી ઉત્પાદનમાં ઘટાડાનો નવો અંદાજ મૂકાયો છે. આમ છતાં રાજસ્થાનમાં ડુંગળીનો દોઢો પાક ડુંગળીના ભાવનું ભવિષ્ય નક્કી કરશે. રાજ્યના ખેડૂતો ડુંગળીના વેચાણમાં સંયમ રાખે તો ભાવ મણે રૃપિયા ૧૪૦ થવાની સંભાવના છે. બટાટામાં પણ રેકોર્ડબ્રેક ભાવ મણે રૃપિયા ૨૫૦ પહોંચ્યા બાદ બટાટાના ભાવમાં છેલ્લા પખવાડિયામાં રૃપિયા ૧૦૦નો ઘટાડો નોંધાયો છે. રાજ્યના ૨૫૦ કોલ્ડ સ્ટોરેજમાં ૩ કરોડ કટ્ટા બટાટાના સંગ્રહ બાદ બટાટા બજારમાં ઠલવાતાં ભાવને અસર પહોંચી છે. છતાં પણ બટાટાના ભાવ સરેરાશ જળવાઇ રહેશે. આમ બટાટા અને ડુંગળીના ખેડૂતો માટે નવી સીઝન સરેરાશ રહેશે.  

રાજ્યમાં ડુંગળીનો પાક ૨૧ લાખ ટન થવાની સંભાવના વચ્ચે મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે નવી સીઝન સારી રહી ન હોવા છતાં ખેડૂતોને હાલમાં મણે રૃપિયા ૧૨૦થી ૧૨૫નો ભાવ મળી રહ્યો છે. ખેડૂતો લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળીનું બમણું વેચાણ કરી રહ્યા છે. જો ખેડૂતો વેચાણમાં સંયમ રાખે તો મણે ભાવ રૃપિયા ૧૪૦થી ૧૫૦ પહોંચી શકે છે. માટે ખેડૂતોએ ડુંગળીના વેચાણમાં સંયમ રાખવો જોઇએ. એનએચઆરડીએફના સૂત્રોના અંદાજ અનુસાર માર્ચના અંત સુધીમાં ડુંગળીની નિકાસ ૧૩ લાખ ટને પહોંચી છે. ડુંગળીની સૌથી વધુ નિકાસ મલેશિયા, દુબઇ, કુવૈત, કતાર, સિંગાપોર અને શ્રીલંકા, બાંગ્લાદેશમાં કરવામાં આવે છે. 
   ડુંગળીનું ગુજરાતમાં ૭૫,૦૦૦ હેક્ટર, મહારાષ્ટ્રમાં ૩.૪૨ લાખ હેક્ટર, કર્ણાટકમાં ૧.૬૪ લાખ, મધ્યપ્રદેશમાં ૧.૧૭ હેક્ટર અને ૮૯ હજાર હેક્ટરમાં આંધ્રપ્રદેશમાં વાવેતર થયું છે. જોકે, કમોસમી વરસાદથી ડુંગળીના ઉત્પાદનમાં ૧૫ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં લેઇટ ખરીફ પાકમાં ૧૦થી ૧૫ ટકાની નુક્સાની છે. મધ્યપ્રદેશમાં પણ વરસાદથી શિયાળુ ડુંગળીમાં ૩૦ ટકા પાકને નુક્સાન થયું છે. શિયાળુ ડુંગળી બજારમાં એપ્રિલથી મે મહિનામાં આવશે આ પાક મોટો હોવાથી ખરીફ ડુંગળીની આવકો આવશે ત્યાં સુધી બજારમાં નીચા ભાવ રહે તેવી ધારણા છે. જોકે, ડુંગળીની ગુણવત્તાને અસર પહોંચશે તો ભાવ ઉંચકાવાની સંભાવના છે.  બટાટાનું રાજ્યમાં ૧૭ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. બટાટા અંગે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસો. ના પ્રમુખ ગણપતભાઇ કચ્છવાએ જણાવ્યું હતું કે, રાજ્યના ૨૫૦ કોલ્ડસ્ટોરેજમાં ૩ કરોડ કટ્ટાનો સંગ્રહ થયો છે. હાલમાં બટાટા હવે બજારમાં આવવા લાગતાં ભાવમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ખેડૂતો માટે બટાટાની સીઝન સારી રહી છે. 


જાન્યુઆરીમાં ઘટાડા સાથે ૧.૨૧ લાખ ટન ડુંગળીની નિકાસ

વિદેશમાં ભાવ ઓછા રહેવાને કારણે વર્ષ ૨૦૧૪ના જાન્યુઆરી માસમાં ડુંગળીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. ડુંગળીની નિકાસ ઘટીને ૧.૨૧ લાખ ટને પહોંચી હતી. જો કે ગત વર્ષે આજ સમયગાળામાં જાન્યુઆરી માસમાં ૧.૩૩ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. તેવી જ રીતે ડિસેમ્બર ૨૦૧૩માં પણ ભારતમાંથી ૧.૩૩ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. સરકારે ડિસેમ્બર માસમાં ડુંગળીના લઘુતમ ટેકાના ભાવ ૩૫૦ ડોલરથી ઘટાડીને ૧૫૦ ડોલર પ્રતિ ટન કર્યા હતા. આ બાદ નિકાસમાં થોડો સુધારો જોવાયો હતો. નેશનલ હોર્ટીકલ્ચર એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના આંકડાઓ અનુસાર નિકાસ ભાવ ઓછા રહેવાને કારણે શિપમેન્ટ પર પ્રતિકૂળ અસર વર્તાઈ હતી. જાન્યુઆરી માસમાં ડુંગળીના નિકાસ ભાવ ૯૩૦૦ રૃપિયા પ્રતિ ટન રહ્યા હતા. જ્યારે કે ગત વર્ષે જાન્યુઆરી માસમાં આ ભાવ ૧૮,૬૦૦ રૃપિયા પ્રતિ ટને પહોંચ્યા હતા. આ વર્ષે જાન્યુઆરી માસમાં ૧૧૨.૫૩ કરોડ રૃપિયાની ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે કે ગત વર્ષે આજ સમયગાળામાં ૨૪૭.૯૧ કરોડ રૃપિયાની ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. એપ્રિલથી જાન્યુઆરી માસ દરમિયાન નિકાસમાં ૨૮ ટકાના ઘટાડા સાથે ૧૧.૦૮ લાખ ટન ડુંગળીની નિકાસ નોંધાઈ હતી. ગત વર્ષે આજ સમયગાળામાં ૧૫.૩૯ લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી. પાછલા નાણાકિય વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન કુલ ૧૮.૨૨ લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી. જો કે એક તરફ સરકારે વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર માસમાં ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ નિકાસમાં કેટલીય વાર વધારો કર્યો હતો. જેને કારણે નિકાસ પર અંકુશ લગાવીને સ્થાનિક પુરવઠામાં સુધારો લાવી શકાય. જો કે આ સમયે પુરવઠાના અભાવને કારણે ડુંગળીના ભાવ વધીને ૧૦૦ રૃપિયે કિલો પહોંચી ગયા હતા. જો કે આ સમયે સરકારે નિકાસ પર પ્રતિબંધ નહોતો લગાવ્યો. પરંતુ આયાતની પરવાનગી આપી હતી.  કેન્દ્રએ ડુંગળીની અછત વર્તાતા મીનીમમ સપોર્ટ પ્રાઇઝ નાબૂદ કરી દેતાં હવે નિકાસમાં તેજી જોવા મળશે. ૨૦૧૨-૧૩માં ૧૮.૨૨ લાખ ટન ડુંગળીની નિકાસ થઇ હતી. જ્યારે ૨૦૧૧-૧૨માં ૧૫.૫૨ લાખ ટન ડુંગળીની નિકાસ થઇ હતી. 

ડુંગળીના ભાવ ઘટતાં  ડિહાઈડ્રેશન ઉદ્યોગમાંં તેજી

છેલ્લા બે મહિનાની અંદર ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ગુજરાતમાં ડુંગળીના ડિહાઈડ્રેશન ઉદ્યોગમાં તેજી આવી છે.  ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બર માસમાં ડુંગળીના ભાવ ૮૫થી ૧૦૦ રૃપિયે કિલો પહોંચી જતાં ડિહાઈડ્રેશન ઉદ્યોગને  વ્યવસાય ટકાવવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. ગત વર્ષે સપ્ટેમ્બર- ઓક્ટોબર માસમાં ગુજરાતમાં ડુંગળીના ભાવ ૮૫થી ૮૮ રૃપિયે પ્રતિ કિલો ચાલી રહ્યા હતા જો કે આ વર્ષે ભાવમાં બિલકુલ ઘટાડો થઈ ગયો છે અને ડુંગળીનો ભાવ ૩થી ૯ રૃપિયે પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. ગત સપ્તાહે ગુજરાતના વિવિધ માર્કેટમાં ૪થી સાડા ચાર લાખ ગૂણી ડુંગળીની આવક આવી રહી હતી (એક ગૂણીમાં ૫૦ કિલો). ખાસ કરીને ડુંગળીના ડિહાઈડ્રેશન ઉદ્યોગો આવેલા છે તેવા  ભાવનગર, મહુવા, ગોંડલના માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકોમાં તેજી જોવાઈ છે. જો કે કેટલાંક ઉદ્યોગકારોને ડુંગળીના ભાવમાં તેજી આવશે તો વ્યવસાઈમાં મંદી આવશે તેવી આશંકા હતી પરંતુ ડુંગળીનું ઉત્પાદન સારું રહેતાં અને ભાવ નીચા જતા ઉદ્યોગકારોએ હાશકારો પણ અનુભવ્યો છે. વ્યવસાયકારોના મતે ડિહાઈડ્રેશન સિઝનની શરૃઆત આમ તો ડિસેમ્બર માસથી થાય છે પરંતુ આ વખતે ડુંગળીના ભાવ નીચા જવાની શક્યતાને પગલે જાન્યુઆરી માસમાં ડિહાઈડ્રેશન સિઝનની શરૃઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે  ભારતમાં દરરોજ ૨૦૦થી ૨૫૦ લાખ ટન ડુંગળીનું ડિહાઈડ્રેશન કરવામાં આવે છે. 
રાજ્યમાં બટાટાના પાકનું સરવૈયું
  •  છેલ્લા મહિનામાં બટાટાના ભાવમાં પ્રતિ મણે રૃપિયા ૧૦૦નો ઘટાડો નોંધાયો. 
  •  ઉત્તર પ્રદેશના આગ્રાના બટાટાનો ગુજરાતમાં પ્રવેશથી હવે ભાવમાં વધારો થવાની શક્યતાઓ ઘણી ઓછી.
  •  ડીસાના ૧૦૪ કોલ્ડ સ્ટોરેજમાં ૧.૬૦ કરોડ કટ્ટાનો સંગ્રહ થયો.
  • બનાસકાંઠા જિલ્લામાં વાવેતર વધવાની સાથે ઉત્પાદનમાં પણ વધારો થતાં ખેડૂતો ખુશખુશહાલ
  •  કૃષિ વિભાગના અંદાજ મુજબ રાજ્યમાં ૧૭ લાખ ટન જ્યારે કોલ્ડસ્ટોરેજ સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ૧૫ લાખ ટન બટાટા પાકશે.

રાજ્યમાં ડુંગળીના પાકનું સરવૈયું
  •  છેલ્લા પખવાડિયામાં ડુંગળીના  ભાવમાં વધારો નોંધાયો. 
  •  માવઠાથી નાસિકમાં ડુંગળીના પાકમાં નુક્સાન થવાનો અંદાજ.
  •  ડુંગળીનું ગુજરાતમાં ઓલટાઇમ હાઇ વાવેતર થતાં ઉત્પાદન પણ ઓલટાઇમ ૨૧ લાખ ટન થવાનો અંદાજ મૂકાયો.
  •  કેન્દ્ર સરકારે નિકાસભાવ પરની પાબંદી હટાવી લેતાં નિકાસમાં તેજી જોવા મળી.

ડુંગળીનું ઉત્પાદન વધ્યું

૨૦૧૨-૧૨ની સીઝનમાં ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળતાં ખેડૂતોએ વાવેતર વધારતાં ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ચાલુ સીઝનમાં રાજ્યમાં ૭૫ હજાર હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૨૧ લાખ ટન થવાનો અંદાજ છે. ૨૦૧૨-૧૩માં ૭ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું. રાજ્યમાં ડુંગળીનું સરેરાશ ઉત્પાદન ૧૫થી ૧૭ લાખ ટન થાય છે. ૨૦૧૧-૧૨માં ડુંગળીનું સરેરાશ ઉત્પાદન ૧૫.૬૨ લાખ ટન થયું હતું. રાજ્યમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ૨૦૦૫-૦૬માં ૨૧.૨૮ લાખ ટન થયું હતું.

બટાટાનું વર્ષવાર ઉત્પાદન
    વર્ષ           વાવેતર    ઉત્પાદન      ઉત્પાદકતા
૨૦૦૮-૦૯   ૫૭         ૧૪.૪૮       ૨૫.૪૨
૨૦૦૯-૧૦   ૬૦         ૧૬.૫૭       ૨૭.૫૭
૨૦૧૦ -૧૧  ૬૫         ૧૮.૮૧      ૨૮.૮૨
૨૦૧૧-૧૨   ૮૦.૭૦   ૨૩.૯૫       ૨૯.૬૮
૨૦૧૨-૧૩   ૮૧.૨૭   ૨૪.૯૯      ૩૦.૭૬
૨૦૧૩-૧૪   ૭૫.૦૦   ૧૭.૪૮     ૨૩.૩૦ 
વાવેતર હજાર હેક્ટરમાં, ઉત્પાદન લાખ ટનમાં અને ઉત્પાદકતા કિલોમાં છે. 



ડુંગળીનું વર્ષવાર ઉત્પાદન
    વર્ષ           વાવેતર      ઉત્પાદન      ઉત્પાદકતા
૨૦૦૮-૦૯  ૫૭,૬૦૦   ૧૪                ૨૪.૪૭
૨૦૦૯-૧૦  ૪૩,૪૦૦   ૧૬                ૨૪.૮૫
૨૦૧૦-૧૧  ૬૨,૦૦૦   ૧૫.૧૪         ૨૪.૪૨
૨૦૧૧-૧૨  ૬૧,૦૦૦   ૧૫.૬૨         ૨૫
૨૦૧૨-૧૩  ૨૮,૦૦૦    ૭.૦૪           ૨૪.૪૨
૨૦૧૩-૧૪  ૭૫,૦૦૦   ૨૧.૯૫         ૨૯.૨૬

ડુંગળીનું વાવેતર હેક્ટરમાં, ઉત્પાદન લાખ ટનમાં અને ઉત્પાદકતા કિલોમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment