Tuesday, 4 March 2014

રાજ્યમાં ખેતપેદાશોના ઘટતાં ભાવોઃ ખેડૂતોને નુક્સાન જ નુક્સાન


એમએસપીથી પણ નીચા ભાવે ખેડૂતો પેદાશો વેચવા મજબૂર : ખરીફમાં ઊંચા ઉત્પાદનના અંદાજોથી સારી કમાણી કરવાનાં ખેડૂતોનાં સપનાં રોળાયાં

ઊંચા કૃષિ વિકાસદરને નામે વાહવાહી લૂંટતી સરકારો ૨૦૧૩-૧૪ની સીઝનમાં રેકોર્ડબ્રેક પાક ઉત્પાદનોના અંદાજોથી કૃષિ પ્રગતિ તેમની સરકારમાં થઇ હોવાનાં ગાણાં ગાઇ રહી છે. ત્યારે સાચી હકીકત એ છે કે, રેકોર્ડબ્રેક પાક ઉત્પાદનો ખેડૂતોની મહેનત અને સારા ચોમાસાને આભારી છે. સારા ચોમાસાએ ખરીફ સીઝન બાદ રવી સીઝનને પણ ફાયદો પહોંચાડતાં પાક ઉત્પાદનોના આંક ઊંચકાયા છે.
ઊંચાં ઉત્પાદનો છતાં ખેડૂતો સારી કમાણી નહીં કરી શકે એ પણ એટલી જ કડવી સચ્ચાઇ છે. દેશ સહિત ગુજરાતમાં પણ ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી નીચા કે તેની સમાંતર ચાલી રહ્યા હોવા છતાં ખેડૂતોની વાત કાને ધરનાર કોઇ નથી. મગફળીના ભાવ નીચા ગયા બાદ ચણાના ભાવ પણ ટેકાના ભાવથી નીચા જતા રહ્યા છે અને હવે મકાઇ, રાઇ, બાજરી, અડદ અને તુવેરના ભાવમાં પણ સતત ઘટાડો જોવાઈ રહ્યો છે.
 રાજ્યમાં આ ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી નીચા કે સમાંતર ચાલી રહ્યા છે. પરિણામે ખેડૂતોને નુકસાન જઇ રહ્યું છે. ટેકાના ભાવની ગણતરી વર્ષો જૂની હોવાથી ટેકાના ભાવથી ખેડૂતોને ખાસ કોઇ ફાયદો થતો નથી. હાલમાં ખેતી સતત મોંઘી થઇ રહી છે. ખેડૂતોને ખેતીખર્ચ વધવાની સાથે પેદાશના ભાવ વધતા નથી. ચાલુ વર્ષે તો સારા વરસાદથી વાવેતર વધવાને લીધે ખેડૂતોને સારા ઉત્પાદનથી સારી કમાણી થવાની આશા હતી. જેની ઉપર પાણી ફરી વળ્યું છે એમ કહી શકાય. ખેડૂતોની આશા ઠગારી નીવડી છે. અને આ જ ભાવ રહ્યા તો ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થવાની સંભાવના છતાં ટેકાના ભાવની ખરીદી અંગે એકબીજા પર દોષારોપણ થઇ રહ્યું છે.

દેશમાંથી ઘઉં, ચોખા અને મકાઇની નિકાસ ઘટશે

ભારતમાંથી ઘઉં, ચોખા અને મકાઈની નિકાસમાં ચાલુ માર્કેટિંગ વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૯ ટકાનો ઘટાડો થઈ નિકાસ ઘટીને ૧.૩૫ કરોડ ટન રહેશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (યુએસડીએ) એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, નબળા વૈશ્વિક ભાવોને પગલે ભારતમાંથી નિકાસ ઘટી શકે છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ઘઉં, ચોખા અને મકાઈની ભારતમાંથી નિકાસ લગભગ ૧.૯ કરોડ ટન રહેવાની સંભાવનાઓ છે.
ઘઉંનું માર્કેટિંગ વર્ષ એપ્રિલથી માર્ચ સુધી ચાલે છે. જ્યારે ચોખા માટે ઓક્ટોબરથી લઈને સપ્ટેમ્બર સુધીનું અને મકાઈ માટે નવેમ્બરથી ઓક્ટોબર સુધીનું માર્કેટિંગ વર્ષ ગણવામાં આવે છે. ઘઉં, ચોખા અને મકાઈની વર્ષ ૨૦૧૪-૧૫માં નિકાસ ગત વર્ષ કરતાં ઓછી રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ ઓછા રહેતા નિકાસમાં ઘટાડો થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૪-૧૫માં ૧.૩૫ કરોડ ટન અનાજમાંથી ભારતમાંથી ૮૦ લાખ ટન ચોખા, ૩૦ લાખ ટન ઘઉં અને ૨૫ લાખ ટન મકાઈની નિકાસ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. 

રાજ્યમાં ખેતપેદાશોના ભાવનું સરવૈયું

પાક                   એમએસપી                સરેરાશ ભાવ           
મકાઇ                 ૧૩૧૦               ૧૧૦૦થી ૧૨૫૦ 
ચણા                  ૩૧૦૦               ૨૫૦૦થી ૨૭૦૦
મગફળી              ૪૦૦૦               ૨૪૦૦થી ૨૮૦૦
રાઇ                   ૩૧૦૦               ૩૦૦૦થી ૩૨૦૦
બાજરી               ૧૨૫૦               ૧૧૦૦થી ૧૨૫૦
અડદ                  ૪૩૦૦               ૪૧૦૦થી ૪૨૦૦
તુવેર                   ૪૩૦૦               ૩૮૦૦થી ૪૨૦૦
નોંધ : આંક રૃપિયામાં છે.               

ઉત્પાદનનો અંદાજ
પાક                   ઉત્પાદન   
મકાઇ                 ૨૩૨                
ચણા                  ૯૭.૯               
મગફળી              ૯૧.૪૦             
રાઇ                   ૮૨.૫૧             
બાજરી               ૮૮.૦               
અડદ                  ૧૫.૦૯             
તુવેર                   ૩૩.૪               

નોંધ : ઉત્પાદન લાખ ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment