Saturday, 8 March 2014

ઉનાળુ: ઉત્પાદકતામાં સૌથી અગ્રેસર સીઝન


ઉનાળુ પાકમાં  રોગ અને જીવાતનો ઓછો ઉપદ્રવ : વધુ ઉત્પાદન અને સારા ભાવથી ખેડૂતોને  થતો ફાયદો : વાવેતરમાં  બનાસકાંઠા  જિલ્લો મોખરે 

રાજ્યમાં ઉનાળુ સીઝનના વાવેતરની શરૃઆત થઇ ગઇ છે. ઉનાળામાં ૧૨.૫૧ લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તાર વચ્ચે ૨૦૧૨-૧૩માં ૯.૪૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે પણ ૧૦ લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થવાનો કૃષિ વિભાગને અંદાજ છે. ઉનાળામાં ખેડૂતો વાવેતર કરવાનું ટાળતા હોય છે, પરંતુ પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ ઉનાળાની સીઝનમાં ચોક્કસ વાવેતર કરવું જોઇએ, કારણ કે ઉનાળાની સીઝન પાક ઉત્પાદનમાં ત્રણેય સીઝનમાં સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. ઉનાળામાં પાકમાં નહીંવત્ રોગ-જીવાતની વચ્ચે હેક્ટરદીઠ ઉત્પાદકતા દોઢી મળતી હોવાથી ખેડૂતોને સારી આવક પણ મળી રહે છે. એટલે જ ઉનાળુ સીઝનને ઓછા ખર્ચે વધુ વળતર આપતી સીઝન કહેવાય છે. આ સીઝનમાં તલ, બાજરી, અડદ, અને મગફળી જેવા પાકોનું વાવેતર કરી ખેડૂતો અન્ય સીઝનની ઓછી કમાણીની ભરપાઇ કરી શકે છે. 
રાજ્યમાં ઉનાળુ સીઝનમાં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો મોટાભાગે વાવેતર કરતા હોય છે. પરંતુ રાજ્યમાં પિયતની સુવિધા ઓછી હોવાથી ઉનાળુ વાવેતરનું પ્રમાણ ઓછું હોય છે. ખેડૂતોે આ સીઝનમાં વાવેતર કરે તો સારી આવક મેળવી શકે છે. ઉનાળુ વાવેતરમાં રાજ્યનો બનાસકાંઠા જિલ્લો મોખરે છે.


મગફળીમાં દોઢું મળતું ઉત્પાદન

રાજ્યમાં ઉનાળુ સીઝનમાં મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૧.૬૯ લાખ હેક્ટર છે. ૨૦૧૧-૧૨માં મગફળીના સારા ભાવને પગલે ખેડૂતોએ વાવેતર વિસ્તાર વધારતાં ઉત્પાદન ૨ લાખ હેક્ટરે પહોંચ્યું હતું. દેશમાં ચાલુ વર્ષે મગફળી માટે મુખ્ય સીઝન ગણાતી ખરીફ સીઝનમાં રેકોર્ડબ્રેક વાવેતર બાદ ૨૫ લાખ ટન ઉત્પાદન થવાની સંભાવના વચ્ચે ખેડૂતોને એમએસપીથી પણ નીચા મળતા ભાવથી ખેડૂતો આ વર્ષે ઉનાળુ વાવેતર ઘટાડે તેવા સંજોગો છે, પરંતુ ઉનાળુ વાવેતરના ફાયદાઓ સમજાવતાં મગફળી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. કે. એલ ડોબરિયાએ જણાવ્યું હતું કે, ઉનાળામાં ખરીફ સીઝન કરતાં ખેડૂતોને લગભગ દોઢું ઉત્પાદન મળે છે. રાજ્યમાં હેક્ટરદીઠ સરેરાશ ૧૮૦૦ કિલો ઉત્પાદન મળતું હોય છે. ઉનાળામાં રોગ-જીવાતના ઓછા ઉપદ્રવ વચ્ચે ચોમાસાની જેમ મગફળી ખરાબ થવાની સમસ્યા નડતી નથી. જે ખેડૂતો મગફળીની ખેતી કરવા ઇચ્છુક હોય તેવા ખેડૂતો ઉનાળામાં મગફળીનું વાવેતર કરી સારી આવક મેળવી શકે છે. 

બાજરીમાં ખેડૂતોને ઉત્પાદનમાં થતો ફાયદો
ઉનાળુ સીઝનમાં બાજરીના પાકનું સૌથી વધુ વાવેતર થાય છે. બાજરીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩ લાખ હેકટર છે. ૨૦૧૧-૧૨માં ૪ લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. ગત વર્ષે વરસાદની અછતથી ૨.૮૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. બાજરીનું ખેડૂતોએ સારું ઉત્પાદન મેળવવું હોય તો ઉનાળાની સીઝનમાં વાવેતર કરવું એ લાભદાયી છે. ઉનાળાની સીઝનમાં બાજરીના વાવેતરના લાભો અંગે બાજરી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. કે. ડી. મૂંગરાએ જણાવ્યું હતું કે, બાજરીનું ખરીફ સીઝન કરતાંં દોઢું ઉત્પાદન થાય છે. ચોમાસામાં રોગ-જીવાત અને વરસાદને કારણે બાજરી આડી પડી જતી હોવાની સમસ્યા સર્જાતી હોવાથી બાજરીની ગુણવત્તા ઘટવાની સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. આમ, બાજરીનું ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવું હોય તો ઉનાળુ સીઝન જ ઉત્તમ છે. 

મગ અને અડદમાં ઓછા ખર્ચે ધાર્યું ઉત્પાદન મેળવી શકાય
ઉનાળુ સીઝનમાં કઠોળ પાકોમાં મગ અને અડદની ખેડૂતો ખેતી કરતા હોય છે. જેમાં મગનું સૌથી વધુ વાવેતર થાય છે. મગ અને અડદની ખેતી ચોમાસામાં પણ થતી હોય છે, પરંતુ આ બંને પાક ઓછા વરસાદમાં તૈયાર થતા હોવાથી ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધુ રહે તો ખેડૂતોને નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. માટે જે ખેડૂતો પાસે પિયતની સુવિધા હોય તેવા ખેડૂતોએ મગ અને અડદની ખેતી કરવી જોઇએ તેમ કઠોળ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. એસ. એમ. પીઠિયાએ જણાવ્યું હતું. ઉનાળામાં રોગ-જીવાતની ઓછી સંભાવના વચ્ચે ખેડૂતો પાકનું ધાર્યું ઉત્પાદન મેળવી શકે છે. 
તલ ઓછા ખર્ચે વધુ વળતર આપતો પાક
તલની ખેતી ઉનાળામાં ધીમેધીમે વધી રહી છે. તલ એ ઓછા ખર્ચે વધુ વળતર આપતો પાક હોવાનું તલ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. રાદડિયાએ જણાવ્યું હતું. ચોમાસામાં તલના પાકને સૌથી મોટો ખતરો વરસાદનો હોય છે. પાકવાના સમયે જ વરસાદ વરસે તો ખેડૂતોને મોટું નુક્સાન ભોગવવાનો વારો આવે છે. જ્યારે ઉનાળામાં રોગ-જીવાતનું પ્રમાણ પણ ઓછુ હોવાથી ઉનાળામાં તલની ખેતી કરતા ખેડૂતને સારી આવક થાય છે. ગત વર્ષે ઓછા વાવેતરથી ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાતાં ખેડૂતોને તલના ઊંચા ભાવ મળ્યા છે પરિણામે તલની ખેતી ઉનાળામાં પણ વધે તેવી શક્યતાઓ છે. 

પાકની રાજ્યમાં સ્થિતિ
ડાંગરઃ રાજ્યમાં ઉનાળુ ડાંગરની પણ મોટાપાયે ખેડૂતો ખેતી કરે છે. ઉનાળુ ડાંગરની ખેતીમાં સમસ્યાઓની ભરમાર ઓછી હોવાથી પિયત ધરાવતા ખેડૂતો ઉનાળામાં ડાંગરની ખેતી કરે છે. રાજ્યમાં ઉનાળુ ડાંગરનું સરેરાશ ૬૫ હજા૨ હેક્ટરમાં વાવેતર થાય છે. ગત વર્ષે માત્ર ૩૦ હજાર હેક્ટરમાં ઉનાળુ ડાંગરનું વાવેતર થયું હતું. જેમાં નવસારી જિલ્લામાં ૧૧,૨૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ ઉપરાંત સુરતમાં ૫ હજાર હેક્ટર અને અમદાવાદમાં ૪૭૦૦ હેક્ટર જ્યારે ખેડામાં ૪૨૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું
બાજરીઃ બાજરીનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બાજરીનું સરેરાશ વાવેતર મધ્ય અને ઉત્તર ગુજરાતના ખેડૂતો કરે છે. બાજરીના વાવેતર માટે ખરીફ અને ઉનાળુ સીઝન એ મુખ્ય છે. ખરીફમાં વરસાદની સમસ્યા નડતી હોવાથી મોટાભાગના ખેડૂતો ઉનાળામાં બાજરીની ખેતી સૌથી વધુ પસંદ કરતા હોય છે. ૨૦૧૨-૧૩માં બાજરીનું ૨.૮૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે પણ વાવેતર સરેરાશ રહે તેવી શક્યતાઓ છે.
મગઃ કઠોળ પાકોમાં મગનું ઉનાળામાં સૌથી વધુ વાવેતર થાય છે. મગનું ૩૨,૮૦૦ હેક્ટરમાં વાવેતર થાય છે. મગની ખેતી ગત વર્ષે પાટણ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લામાં થઈ હતી. સૌથી વધુ મગ સાબરકાંઠા જિલ્લામાં વાવેતર કરાય છે. ત્યારબાદ તાપી, સુરત અને બનાસકાંઠા જિલ્લામાં વધુ ખેતી થાય છે.
મગફળીઃ રાજ્યમાં મગફળીના ખેડૂતો માથે તો પનોતી બેઠી હોય તેમ ઓલટાઇમ ઊંચા ઉત્પાદન છતાં ભાવ ન મળતાં ખેડૂતોને મગફળીની ખેતી માથે પડી રહી છે. મગફળીના નીચા ભાવની અસર ઉનાળુ સીઝનના વાવેતરમાં થવાની શક્યતા છે. મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૧.૬૯ લાખ હેક્ટર છે. ગત વર્ષે પણ વરસાદની અછતથી ૭૫ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું જેમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે.
શાકભાજીઃ રાજ્યમાં ઉનાળાની સીઝનમાં શાકભાજીનું પોણા બે લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ગત વર્ષે ખેડૂતોએ અન્ય પાકને બદલે રોકડિયા પાક ગણાતા શાકભાજીની ખેતી વધારતાં વાવેતર ઊંચકાઇને ૨.૪૨ લાખ હેક્ટરે પહોંચ્યું હતું. શાકભાજીના સારા મળતા ભાવને પગલે ખેડૂતો શાકભાજીની ખેતી વધારી રહ્યા છે.
ઘાસચારોઃ ઉનાળામાં સૌથી મોટી મુશ્કેલી પશુપાલકોને પશુઓને જિવાડવાની અને તેમને આહાર પૂરો પાડવાની હોય છે. માટે ઉનાળામાં પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો ઘાસચારાની ખેતી કરે છે જેમાં જુવારની ખેતી એ મુખ્ય હોય છે. ઉનાળામાં ઘાસચારાને અભાવે પશુઓની હિજરત કરવી પડે તેવી સ્થિતિ પેદા ન થાય તે માટે પશુપાલકો ઉનાળામાં ખાસ કરીને ઘાસચારાની ખેતી કરે છે. ઉનાળામાં ઘાસચારાનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩.૨૫ લાખ હેક્ટર છે. ૨૦૧૨-૧૩માં વરસાદની અછતથી ઘાસચારાના વાવેતરમાં ઘટાડો નોંધાયો હતો અને વાવેતર ૨.૫૦ લાખ હેક્ટર થયું હતું.


                                    ઉનાળામાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં વધારો

પાક                        ખરીફ સીઝન                                    ઉનાળુ સીઝન
            વાવેતર           ઉત્પાદન          ઉત્પાદકતા   વાવેતર         ઉત્પાદન      ઉત્પાદકતા
ચોખા     ૭,૯૯,૦૦૦         ૧૬,૭૪,૦૦૦      ૨,૦૯૫        ૮૦,૦૦૦        ૨,૪૨,૦૦૦    ૩૦૩૩
બાજરી   ૩,૪૪,૦૦૦         ૪,૭૪,૦૦૦        ૧,૩૭૯         ૩,૮૩,૦૦૦    ૯,૪૨,૦૦૦    ૨૪૫૯
મકાઇ     ૩,૪૭,૦૦૦         ૫,૮૩,૦૦૦        ૧,૬૮૦         ૩૩,૦૦૦       ૬૬,૦૦૦        ૨૦૦૦
મગ        ૧,૨૮,૦૦૦         ૬૫,૦૦૦           ૫૧૦            ૭૧,૦૦૦        ૩૯,૦૦૦        ૫૪૯
તલ        ૧,૧૮,૦૦૦         ૫૫,૦૦૦           ૪૬૫            ૭૫,૦૦૦        ૩૮,૦૦૦        ૫૦૭
નોંધઃ આંક ૨૦૧૩-૧૪ના વર્ષમાં થયેલા ઉત્પાદનને આધારે, વાવેતર હેક્ટરમાં, ઉત્પાદન ટનમાં અને ઉત્પાદકતા કિલોમાં છે.

રાજ્યમાં ઉનાળુ સીઝનમાં થતું વાવેતર
પાક          સરેરાશ      ૨૦૧૧-૧૨       ૨૦૧૨-૧૩
ડાંગર      ૬૫,૦૦૦            ૭૮,૯૦૦            ૩૦,૯૦૦
બાજરી   ૩,૨૫,૬૦૦         ૪,૦૬,૬૦૦         ૨,૮૪,૮૦૦
મકાઇ     ૨૧,૪૦૦            ૨૨,૮૦૦            ૧૨,૨૦૦
મગ        ૫૨,૨૦૦            ૬૫,૫૦૦            ૩૨,૮૦૦
અડદ      ૫,૧૦૦              ૭,૦૦૦               ૩૦૦
મગફળી  ૧,૬૯,૮૦૦         ૨,૦૮,૧૦૦         ૭૫,૩૦૦
તલ        ૫૭,૯૦૦            ૬૫,૮૦૦            ૭,૩૦૦
ડુંગળી     ૮,૯૦૦               ૯,૨૦૦                 ૨,૧૦૦
શાકભાજી ૧,૭૮,૭૦૦         ૨,૧૩,૦૦૦         ૨,૪૨,૨૦૦
ઘાસચારો ૩,૨૫,૮૦૦         ૪,૨૩,૯૦૦         ૨,૫૦,૫૦૦
અન્ય      ૪૧,૨૦૦            ૪૧,૨૦૦            ૫,૪૦૦
કુલ        ૧૨,૫૧,૫૦૦      ૧૫,૪૨,૦૦૦      ૯,૪૩,૮૦૦
નોંધઃ વાવેતર હેક્ટરમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..


No comments:

Post a Comment