Tuesday, 18 March 2014

માવઠાએ ખેતીનાં સમીકરણો બદલ્યાં

  • દેશના આઠ રાજ્યોમાં માવઠાની અસર
  • ૪૦ ટકા કેરીના પાકને માવઠાથી સૌરાષ્ટ્રમાં ફટકો
  • ગુજરાતમાં કેરી, ધાણા અને ઘઉંના પાકને કમોસમી વરસાદથી નુકસાન
  • ૧૩ હજાર કરોડનું મધ્યપ્રદેશમાં ખેતીને નુકસાન
  • ૬.૭૨લાખ હેક્ટરમાં મહારાષ્ટ્રમાં માવઠાથી અસર
  • મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ઘઉંના પાકને ફટકો 


રવી  સીઝનમાં કમોસમી વરસેલા માવઠાએ ખેતીના સમીકરણો બદલી નાંખવાની સાથે ઉત્પાદનોના આંકનું ગણિત ફેરવી દીધું છે. દેશના આઠ રાજ્યોમાં માવઠાની અસર રહેતાં રવી પાકોને મોટુ નુકસાન થયું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદથી કેરીમાં ખાખડી અને મગિયો ખરી જતાં પાકમાં ૪૦ ટકા નુકસાન થવાની ગણતરીઓ મંડાઇ છે. ઘઉં, જીરું, અને ધાણાના પાકમાં પણ ૧૦થી ૧૫ ટકા નુકસાન થવાનો અંદાજ કૃષિ નિષ્ણાતો લગાવી રહ્યા છે. દેશમાં મધ્યપ્રદેશમાં ૧૩,૦૦૦ કરોડ રૃપિયાનું માવઠાએ નુકસાન પહોંચાડવાની સાથે મહારાષ્ટ્રમાં ૬.૨૦ લાખ હેક્ટરમાં ખેતીપાકો અને ૫૦ હજાર હેક્ટરમાં ફળ પાકોમાં નુકસાન કર્યું છે. દેશમાં ઘઉંના પ્રદેશ ગણાતા હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઘઉંના પાકને નુકસાનના અહેવાલથી દેશમાં ૯૫૬ લાખ ટન ઘઉંના ઉત્પાદનના મૂકાયેલા અંદાજમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે. હિમાચલ અને કાશ્મીરમાં પણ બરફ પડવાથી સફરજનના પાકને ભારે નુકસાન થયું છે. રવી પાકોની સીઝનનો માવઠાએ સોથ બોલાવી દીધો છે.      

સૌરાષ્ટ્રમાં ફાગણમાં સર્જાયેલા અષાઢી માહોલ વચ્ચે આકાશમાંથી વરસેલા વરસાદ અને કરાને લીધે ખેતરોમાં કાપણી અવસ્થાએ આવી ગયેલા ઘઉં, જીરું અને ધાણાના પાકમાં વ્યાપક નુકસાની આવી છે. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો કુદરતે ઝૂંટવી લીધો છે. બદલાયેલા વાતાવરણે ખેડૂતોનું નસીબ પલટાવી નાખ્યું છે. બીજી તરફ તોફાની પવન ફૂંકાવાના કારણે ફળોમાં લોકપ્રિય એવી કેસર કેરીના પાકનો પણ સોથ વળી ગયો છે. મોર, મગિયો અને ખાખડી વ્યાપક પ્રમાણમાં ખરી પડતાં ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકા સુધીનો ઘટાડો આવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો કેરીના પાકને બચાવવા માટે દવાઓનો છંટકાવ કરી મગિયો અને ભૂકીછારો જેવા રોગ આવતા અટકાવી પાકને બચાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. કેરીના પાકનું વધુ ઉત્પાદન થવાની ખેડૂતોની તમામ ગણતરીઓ ખોરવાઇ ગઇ છે. માવઠાએ સમગ્ર દેશમાં અસર પહોંચાડી છે. દેશના આઠ રાજ્યોમાં માવઠાની ઓછીવત્તી અસર થઇ છે. સૌથી વધુ નુકસાન ઘઉંના પાકને થયું છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ઘઉંના પાકને નુકસાનના અહેવાલો છે. પરિણામે પાક ઉત્પાદનના અંદાજો પણ બદલાઈ જવાની સંભાવના છે. માવઠાએ રવી સીઝનના ઉત્પાદનનું ચિત્ર જ બદલી નાખ્યું છે. દેશમાં માવઠાની અસરનો ભોગ માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો પણ ભોગ બન્યા છે.

સૌરાષ્ટ્રમાં ઘઉંમાં ૧૦થી ૧૫ ટકા જેટલી નુકસાની
કમોસમી વરસાદની અસરથી ઘઉંના પાકમાં સારી એવી નુકસાની થઈ છે. જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના સંશોધન વૈજ્ઞાાનિક કે. એચ. ડાભીના જણાવ્યા અનુસાર તોફાની પવનને લીધે ઘઉંનો પાક ઢળી ગયો છે. પરિણામે હાર્વેસ્ટીંગમાં મોટી સમસ્યા રહેશે. જે તે વિસ્તાર પ્રમાણે ઉભા ઘઉં ઢળી ગયા છે એ પ્રમાણે નુકસાની જોવા મળી રહી છે. એકંદર જોઈએ તો ઘઉંના પાકમાં ૧૦થી ૧૫ ટકા જેટલી નુકસાની ચોક્કસ રહેશે. આ ઉપરાંત ભેજવાળા વાતાવરણને લીધે  દાણામાં કાળી ટપકી થવા માંડશે એટલે ઘઉંની ગુણવત્તામાં ઘટાડો જોવા મળતાં ભાવ ઘટશે.
ઘઉંમાં ભેજ લાગી જતાં સંગ્રહ કરવામાં પણ ખેડૂતોએ ખાસ કાળજી રાખવી પડશે. બે-ચાર દિવસ તડકામાં સૂકાયા બાદ જ ખેડૂતોએ ઘઉંનો સંગ્રહ કરવો હિતાવહ રહેશે. બીજી તરફ અનેક ખેતરોમાં પાથરા પડયા હતાં તેના ઉપર વરસાદ પડતા તેમાં પણ સારી એવી નુકસાની થઈ છે. ખેડૂતોએ બિયારણ માટે ઘઉં રાખવા હોય તો તડકો પડયા બાદ સારા ઘઉં ભરી લેવા જોઈએ. અત્યારે ભેજવાળંુ વાતાવરણ હોવાથી હાર્વેસ્ટરથી કાપણી થઈ શકે તેમ નથી.

જીરું અને ધાણામાં સરેરાશ ૧૦થી ૧પ ટકા સુધીની નુકસાની
વરસાદ અને કરા જ્યાં પડયા છે તેવા ખેતરોમાં વધુ નુકસાન છે. એકાદ અઠવાડિયા પછી આ બન્ને પાકની કાપણીનો નિશ્ચિત સમય થતો હતો. પરિણામે મોટાભાગનો પાક ખેતરોમાં જ ઉભો હતો. આવી સ્થિતિમાં બદલાયેલા વાતાવરણથી  વ્યાપક નુકસાની થઈ છે. આ વિશે વિગતો આપતા જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના ડો. વાડોદરિયા કહે છે કે, કેટલાક ખેતરોમાં તો ૧૦૦ ટકા નુકસાની થઈ હોય તેવી હાલત પણ છે પરંતુ એકંદરે જોઈએ તો સૌરાષ્ટ્રમાં જીરું અને ધાણાના પાકમાં ૧૦થી ૧પ ટકા સુધીની સરેરાશ નુકસાની થવાની શક્યતા છે.
હાલના વાતાવરણથી આ બન્ને પાકમાં ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે. તેના નિયંત્રણ માટે અત્યારની સ્થિતિએ કોઈ વિકલ્પ નથી એટલે કે તેનો કંટ્રોલ થઈ શકે તેમ જ નથી. ભેજને લીધે દાણાની ક્વોલિટી બગડશે અને વજન પણ ઘટશે. તેમજ જો પૂરતો તડકો નહીં પડે તો ફૂગ આવી શકે છે. કેટલાક ખેતરોમાં હાર્વેસ્ટ કરેલા જીરું અને ધાણા પડયા હતાં. તેના ઉપર વરસાદ પડતા સ્વાભાવિક રીતે જ તેમાં પણ ફૂગ આવી શકે છે. આજના સમય સુધી હજુ પણ ભેજનું પ્રમાણ વધારે છે. સામાન્ય રીતે પાક ન આવ્યો હોય એવા તબક્કે આ બન્ને પાકમાં દવાનો છંટકાવ કરી શકાય છે. પરંતુ અત્યારે ધાણા અને જીરું બન્ને પાક અવસ્થાએ આવી ચૂક્યા હોવાથી દવા પણ છાંટી શકાય તેમ નથી. પાક અવસ્થાએ હોવાથી દવાનું કોઈ પરિણામ મળી શકે તેમ નથી. જો કે એકાદ અઠવાડિયા અગાઉ દવા છાંટી હોય તેને ઓછી નુકસાની આવશે.
કયા પાકને અસર
 કેરી, ઘઉં, જીરું, ધાણા, બાજરી, લસણ અને કપાસના પાકને માવઠાથી અસર થઇ છે.

દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને  નુક્સાન 
માવઠાની અસર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને બારડોલીને બાદ કરતા તમામ જિલ્લાઓમાં માવઠાથી ખેતીને નુકસાન થયું છે. સૌથી વધુ અસર કેરીના પાકને થઇ છે. આ અંગે નવસારી કૃષિ યુનિના. ફળવિજ્ઞાાનના નિષ્ણાત ડો. નીતિનભાઇ શાહે જણાવ્યું હતું કે, માવઠાથી નવસારી અને વલસાડ જિલ્લામાં મગિયો નીચે પડી જવાની સાથે મગિયામાં જીવાતનું નુક્સાન થવાની સંભાવના વધુ છે. આ સિવાય ડાંગ, વાંસદા, તાપીમાં વરસાદથી કેરીના પાકને સરેરાશ નુકસાન થયું છે. પરિણામે દક્ષિણ ગુજરાતમાં કેરીના ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે. હાલમાં ખેડૂતોએ પાકને બચાવવા માટે એસિફેટ અથવા ઇમિડાક્લોપ્રીડનો છંટકાવ કરવો જોઇએ. વલસાડમાં કેરીના પાકને નુકસાન અંગે વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક સી. ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, વલસાડમાં માવઠાની ઓછી અસરની સાથે આંબામાં કેરીનું સેટીંગ થઇ ગયું હોવાથી રોગ-જીવાતથી કેરીના પાકને નુકસાનથી બચાવવા ખેડૂતોએ દવાનો છંટકાવ કરવો પડશે. આથી વધારે મગિયો ખરી પડયો એવી કોઇ સમસ્યા ધ્યાને આવી નથી.

કૃષિ વિભાગના અંદાજ મુજબ રાજ્યમાં ત્રણ જિલ્લામાં નુક્સાન
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠા બાદ કૃષિ વિભાગ દ્વારા એકઠી કરાયેલી વિગતો મુજબ રાજ્યના જૂનાગઢ, જામનગર અને ડાંગ જિલ્લામાં જ નુકસાન પહોંચ્યું હોવાની વિગતો સાંપડી છે. સૌથી વધુ નુકસાન સરકારી ચોપડે જૂનાગઢ જિલ્લામાં નોંધાયું છે. જેમાં ૩,૦૦૦ હેક્ટરમાં આંબાના પાકને, ૧,૦૦૦ હેક્ટરમાં જીરું, ૧,૭૫૦ હેક્ટરમાં ધાણા અને ૭૦૦૦ હેક્ટરમાં ઘઉંના પાકને નુકસાન થયું છે. જેમાં ઘઉં, જીરું અને ધાણાના પાકને ૩થી ૧૫ ટકા અને આંબામાં ૨૫થી ૩૦ ટકા નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ચણા, ઘઉં અને તુવેરના પાકમાં ૫૦ ટકાથી ઓછું નુકસાન થયું છે. જ્યારે જામનગરના ૩૦ ગામમાં ૨થી ૧૦ ટકા નુકસાન થયું હોવાની વિગતો છે. 

મધ્યપ્રદેશમાં ૧૯ જિલ્લામાં નુકસાન
માવઠાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય બન્યા છે. મહારાષ્ટ્રમાં ૨૮ જિલ્લામાં માવઠાની અસર થઇ છે. મહારાષ્ટ્રના એગ્રીકલ્ચર કમિશ્નરના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૬.૭૨ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે. જેમાં ૫૦ હજાર હેક્ટરમાં ફળપાકોને અને ૬.૨૦ લાખ હેક્ટરમાં ખેતીપાકને નુક્સાન થયું છે. મહારાષ્ટ્રમાં મરાઠાવાડ, બુલધાન જિલ્લો, વિદર્ભ વિસ્તાર, જલગાંવ, ધૂલે, સતારા, સોલાપુર, સાંગલી અને અહેમદનગર જિલ્લામાં ભારે નુકસાન થયું છે. મધ્યપ્રદેશના ૩૭ જિલ્લાઓમાં ઓછાથી ભારે માવઠાની અસર થઇ છે. જ્યારે ૧૯ જિલ્લાઓમાં માવઠાથી ખેતીના પાકને નુકસાન વધુ છે. જેમાં હોશંગાબાદ, ઇન્દોર, રાઇસન અને દેવાસ વિસ્તારનો સમાવેશ થાય છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર એક માત્ર ઘઉંના પાકમાં ૨૦થી ૨૫ ટકા નુકસાન થયું છે. ૨૦૧૨-૧૩માં ૧૯૨ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. 

શા માટે માર્ચમાં માવઠું?
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાની નોબત આવી છે. આ અંગે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સનો ઝુકાવ દક્ષિણ બાજુ હોવાથી ભેજ સાથેના પવનો અરબી સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે ભેજ બેવડાઇ જાય છે. જેના કારણે આકાશમાં વાદળો બંધાઇ જતાં હોવાથી ફ્રિઝીંગ લેવલ એકદમ નીચું ચાલ્યું જવાથી માવઠાની સ્થિતિ ઉદ્ભવી છે.

કયા વિસ્તારમાં માવઠાની અસર
રાજ્યમાં માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારને થઇ છે. સૌરાષ્ટ્રમાં સતત બે દિવસ માવઠું થતાં ખેડૂતોને કેરી, ઘઉં, જીરું ધાણા, બાજરી, લસણ અને કપાસમાં મોટું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, ધોરાજી, અમરેલી અને સુરેન્દ્રનગર સહિત ઉપલેટા, માળિયાહાટિના, મેંદરડા, વંથલી, ભેંસાણ, કેશોદ અને કોડિનાર પંથક સુધી વરસાદની અસર રહી છે. આ ઉપરાંત ખાંભા જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ માવઠાથી ખેતી પાકને નુકસાન થયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, સોનગઢ અને ઉકાઇ સહિતના વિસ્તારોમાં પણ માવઠાને પગલે ખેતીપાકોમાં નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને બારડોલીને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં માવઠાની અસર રહી હતી. વડોદરા જિલ્લાના શિનોર, બોડેલી, વાઘોડિયા, નર્મદા જિલ્લાના દેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા વિસ્તારમાં માવઠાની અસર રહી હતી.

   


રાજ્યમાં કમોસમી વરસાદથી કેરીના ખેડૂતોની હાલત બગડી

આંબા પરથી મોર, મગિયો, ખાખડી ખરી પડીઃ ૩૦થી ૪૦ ટકા નુકસાનઃ ૧૦ લાખથી વધુ કેરી પાકવાના અંદાજો બદલાયા : ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન વધવાના ખેડૂતોના સપનાં માવઠાએ રોળી નાખ્યાં

ત્રણ તબક્કે આવેલા મોરને પગલે કેરીનું ઉત્પાદન ૧૦ લાખ ટનને આંબવાની સંભાવના વચ્ચે વરસેલા માવઠાએ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડયું છે. ૨૦૧૨-૧૩માં ૧૦ લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતુું આ વર્ષે આંબા પર સારો મોર આવવાની સાથે મગીયો બંધાતાં ખેડૂતોના ચહેરા પર ખુશી આવી હતી પરંતુ કેરીના વિસ્તાર સમા સૌરાષ્ટ્ર પંથકમાં જ સતત બે દિવસ વરસેલા વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન થયું છે. બદલાયેલા વાતાવરણની અસર હેઠળ ફૂંકાયેલા તોફાની પવન અને વરસાદની સાથે વરસેલા કરાના કારણે આંબા ઉપરથી મોર, મગીયો અને ખાખડી સાવ ખરી પડી છે. ક્લાઈમેટ ચેન્જ પહેલા આંબા ઉપર એટલો બધો મોર આવ્યો હતો કે ખેડૂતો ખુશખુશાલ હતાં. મોરમાંથી મગીયો પણ સારો બંધાયો હતો અને કેરીમાં ધરતીપુત્રો આ વખતે માલામાલ થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ ફક્ત બે દિવસમાં જ ખેડૂતોના નસીબ આડે પાંદડું આવી ગયું છે અને હવે મજૂરીના પણ પૈસા ન મળે તેવી હાલત થઈ ગઈ છે.
જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના બાયગત વિભાગના ડો. આર. આર. વિરડીયા કહે છે કે, ગીર સહિત સમગ્ર સોરઠ પંથકમાં કેરીના અનેક બગીચા સાવ પૂરા થઈ ગયા છે. અત્યાર સુધી કેરી સારી હતી અને બંધારણ પણ સારું હતું. તોફાની પવનમાં આ બધું ખરી ગયું છે. જેટલી કેરી બચી છે તેમાં પણ કાળી ટપકી આવી ગઈ છે. કરા સીધા જ મગિયા અને ખાખડીની માથે પડતા આ મુશ્કેલી આવી પડી છે અને કરા પડયાના ફક્ત બે દિવસમાં કાળી ટપકી ડેવલોપ થઈ ગઈ છે. તોફાની પવન, વરસાદ અને કરાના કારણે કેરીમાં આશરે ૩૦થી ૪૦ ટકા સુધીની નુકસાની ગઈ છે. હાલમાં આંબા ઉપર બચેલી કેરી પણ ખરવા માંડી છે.
જ્યાં કરા પડયા છે તેવા વિસ્તારના બગીચાઓ લગભગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જ્યારે વરસાદ પડયો છે તેવા વિસ્તારના બગીચાઓમાં પણ મોટા પાયે નુકસાની ગઈ છે. આ મુશ્કેલી સામે રક્ષણ મેળવવા માટે ખેડૂતો પાસે કોઈ ઉપાય નથી. છતાં પણ પાક બચ્યો છે તેવા ખેડૂતો થોડું-ઘણું રક્ષણ આપવા માટે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરી શકે છે. જેનાથી કાળી ટપકીમાં નિયંત્રણ મળશે. હાલમાં આંબામાં ગુંદર છૂટવા માંડયો છે. આ ઉપરાંત ભેજવાળા વાતાવરણથી બેક્ટેરિયા અને ફૂગ વિકાસ પામશે. એક સમયે ભર્યાભાદર્યા આંબા અત્યારે સાવ ખાલી થઈ ગયા છે. બરફ પડયો છે તેવા વિસ્તારમાં અતિશય ઠંડકથી કોષ નાશ પામ્યા છે. ત્યાં સુધી કે આંબાના વૃક્ષો પણ નબળા પડી ગયા છે.
જૂનાગઢના કૃષિ વૈજ્ઞાાનિક ડો. આર. એલ. સાવલિયા કહે છે કે, વરસાદને લીધે ભેજવાળંુ વાતાવરણ થઈ જતાં ખાખડી કાળી થવાની ભીતિ છે. આ ઉપરાંત થ્રિપ્સ, ગળો (મોલો-મશી) અને લીલી પોપટી વગેરે જેવી ચુસિયાં પ્રકારની જીવાતોનો ઉપદ્રવ હવે પછી જોવા મળશે. આંબામાં ફૂગ આવશે. તેના માટે ખાસ કોઈ ઉપાયો નથી.
ભેંસાણ તાલુકાના માલીડા ગામના ખેડૂત રમેશભાઈ ગોધાણીએ પોતાના ૬૦ વીઘા બગીચામાં ગયેલી નુકસાનીનો ચિતાર આપતા કહે છે કે, એક સપ્તાહ પહેલા તેની બાગમાંથી પ હજાર મણ કેસર કેરીનું ઉત્પાદન થવાની આશા હતી. તેના બદલે હવે ફક્ત દોઢ-બે હજાર મણ ઉત્પાદન પણ માંડ માંડ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી આંબામાં બંધાયેલા મોરના ઉછેર માટે કરેલા ખર્ચ ઉપર પાણી ફરી વળ્યું છે. કમાણી કરવાની વાત તો દૂર રહી, મજૂરીના પૈસા પણ માંડ છૂટે તેવી સ્થિતિ છે. સાત વર્ષથી તેઓએ બગીચો બનાવ્યો છે. જેમા આ વર્ષે ઉત્પાદન વહેલું આવવાની આશા હતી. એપ્રિલના અંત સુધીમાં કેરી બજારમાં આવી જાય તેવી સ્થિતિ હતી અને એક મહિના પછી તો આંબામાંથી કેરી વેડવાની શરૃઆત કરવાની હતી પરંતુ હવે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. ખેડૂતો હતાશામાં ગરક થઈ ગયા છે.

ગીર પંથકમાં સતત બે દિવસ સુધી દોઢેક ઈંચ જેટલો પડેલો વરસાદ અને કરાને લીધે આંબા ઉપરથી મોર, મગીયો અને ખાખડી ખરી પડી છે. ખેડૂતોને હવે શું કરવું? તે નક્કી કરી શકાતું નથી. અગાઉ આવેલા મોરને લીધે ખેડૂતો આ વખતે ખૂબ જ કમાણી કરે તેવી આશા હતી. કોઈ આંબો કે આંબાની એક પણ ડાળ ખાલી નહોતી. છતાં ફક્ત બે દિવસના ક્લાઈમેટ ચેન્જમાં ખેડૂતોની હાલત બગડી ગઈ છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment