Tuesday, 19 November 2013

રાઈ, ચણા અને મગફળીમાં ખેડૂતોની ઊંચા ભાવની આશા નહીં ફળે

  1. કપાસના ભાવ ટેકાના ભાવની આસપાસ રહેશેઃ 

  • વધુ ઉત્પાદનથી સારી કમાણી થવાની ખેડૂતોની આશા ફળીભૂત નહીં થાય ઃ
  •  રાઈનો ભાવ મણના રૃ. ૬૦૦થી ૭૦૦, ચણાનો રૃ. ૬૪૦થી ૭૦૦ અને મગફળીનો ભાવ રૃ. ૭૪૦થી ૮૬૦ રહેશે  


ખરીફમાં સારા વરસાદથી વધુ ઉત્પાદનના બહાર પડેલા અંદાજોએ ખેડૂતોમાં નવું વર્ષ સફળ થવાની આશાઓ જગાવી હતી, પરંતુ પાકના સારા ઉતારા બાદ બજારમાં માલના મળતા ભાવોએ ખેડૂતોમાં નિરાશા ફેલાવી છે. મગફળીના ભાવે તો ખેડૂતોનું નવું વર્ષ બગાડયું છે. જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા બહાર પડતા ભાવના અંદાજોમાં મગફળી, રાઇ અને ચણાના ભાવ ટેકાના ભાવની આસપાસ રહેવાનો અંદાજ મુકાયો છે. પરિણામે પાકની માંગ અને નિકાસ બજાર સારું નહીં રહે તો ખેડૂતોને આ વર્ષે પણ પાકના સારા ભાવ મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. રાઇનો મણનો ભાવ ચાલુ વર્ષે રૃપિયા ૬૦૦થી ૭૦૦, મગફળીનો ભાવ રૃ. ૭૪૦થી ૮૬૦, ચણાનો ભાવ રૃ. ૬૪૦થી ૭૦૦ વચ્ચે રહેવાનો અંદાજ છે. કપાસનો ભાવ પણ મણના રૃપિયા ૯૦૦ની આસપાસ રહેવાના અંદાજો મુકાયા છે. આમ, વધુ ઉત્પાદન છતાં ખેડૂતોને સારી કમાણી થવાની આશા હાલમાં તો ફળીભૂત નહીં થાય.                                         

દેશમાં મગફળીનું ચાલુ ખરીફ સીઝનમાં રેકર્ડબ્રેક વાવેતર થયું છે. મગફળીનો પાક તૈયાર થઈને બજારમાં આવવા માંડયો છે અને વધુ ભાવ મળે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. પણ આગામી જાન્યુઆરી મહિના સુધી મગફળીના ભાવ ટેકાની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરતા જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીએ મગફળીનો સંગ્રહ ન કરતા ચાલુ બજાર ભાવે વેચવાની ભલામણ કરી છે.
ભારતના મહત્ત્વના તેલીબિયાં પાક ગણાતા મગફળીનું વાવેતર ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં થાય છે. દેશમાં ગત વર્ષે ર૦૧ર-૧૩માં ૪૭.૬૬ લાખ હેક્ટરમાં થયેલા વાવેતરમાંથી ૪૭.૪૯ લાખ ટનનું ઉત્પાદન થયું હતું. જે દેશના સામાન્ય ઉત્પાદન આશરે ૭૦ લાખ ટન કરતાં ૩ર ટકા જેટલું ઓછું રહ્યું હતું જેથી જૂન-ર૦૧રમાં મગફળીના ભાવ મણના રૃ.૮૦૦માંથી વધીને ડિસેમ્બરમાં રૃ.૧૧પ૦ જેટલા થઈ ગયા હતા પણ જાન્યુઆરી ર૦૧૩થી નિકાસ માટે નોંધણી ફરજિયાત થતા ભાવ વધતા અટકી ગયા હતા અને વર્ષ ર૦૧૧-૧રમાં ૮.પ૩ લાખ ટનની થયેલી નિકાસ ૩૮ ટકા ઘટીને પ.રપ લાખ ટન જેટલી થઈ હતી. ચાલુ વર્ષે સામાન્ય ઉત્પાદનની ધારણાએ મગફળીના ભાવ ઘટીને હાલમાં મણના રૃ.૭૦૦-૮૦૦ જેટલા છે.
ગત વર્ષ ર૦૧ર-૧૩માં ગુજરાતમાં ચોમાસુ મગફળીનું વાવેતર ૧ર.ર૪ લાખ હેક્ટરમાં થયું હતું, પરંતુ ઉત્પાદન ખૂબ જ ઓછું ૧૦ લાખ ટન જ થયું હતું. ચાલુ વર્ષ ર૦૧૩-૧૪ દરમિયાન રાજ્યમાં મગફળીનું વાવેતર ૧૬.૬૦ લાખ હેક્ટરમાં થયું છે. જેમાંથી સામાન્ય ઉત્પાદન રપ લાખ ટન થવાની ધારણા છે અને રાષ્ટ્રીય સ્તરે ઉત્પાદન પપ લાખ ટન થવાની શક્યતા છે. કાપણી સમયે વરસાદને લીધે નુકસાન અને ગુણવત્તામાં ઘટાડો નોંધાયો છે. સરકારે મગફળીના લઘુતમ ટેકાના ભાવ ગત વર્ષ કરતાં રૃ.૬૦ વધારીને રૃ.૮૦૦ નક્કી કર્યા છે. દેશમાં મગફળીના તેલનો વપરાશ ઘટતો જાય છે. હાલ માત્ર ર.૪ ટકા લોકો જ દેશમાં મગફળીના તેલનો ઉપયોગ કરે છે. દસ વર્ષ અગાઉ આ વપરાશ ૭ ટકા હતો. જો કે મગફળીની અન્ય બનાવટોનો ઉપયોગ વધી રહ્યો છે. હાલમાં ઘણાં વેપારીઓએ નિકાસ માટે નોંધણી કરાવી લીધી છે. પરિણામે નિકાસ વધી શકે છે. દેશમાં કુલ તેલીબિયાં ઉત્પાદનમાં આ વર્ષે વધારો થવાની ધારણા છે અને ખાદ્યતેલની આયાત ૧૦૦ લાખ ટનથી વધારે થાય તેવી શક્યતા છે.
સમગ્ર પરિસ્થિતિ અને વેપારીઓના અહેવાલોને ધ્યાને લઈને જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના અર્થશાસ્ત્ર ભવનની સંશોધન ટીમે કરેલા અર્થમિત્તીય વિશ્લેષણ અનુસાર નવેમ્બર ર૦૧૩થી જાન્યુઆરી ર૦૧૪ દરમિયાન મોટી મગફળીનો ભાવ રૃ. ૭૮૦થી ૮૬૦ અને ઝીણી મગફળીનો ભાવ રૃ. ૭૪૦થી ૮૦૦ સુધીનો રહેશે. જેને ધ્યાને લઈને ખેડૂતો ચાલુ બજાર ભાવે મગફળીનું વેચાણ કરે તેવી ભલામણ કરવામાં આવી છે.  

ટેકાના ભાવે ખરીદી શરૃઃ સપ્તાહે ચેકથી પૈસા મળશે

નાફેડે રાજ્યમાંથી મગફળીની ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી શરૃ કરી હતી.  પરંતુ ટેકાના ભાવે ખરીદીના પ્રથમ દિવસે ખરીદી જ થઇ ન હતી. ગુજકોમાસોલે ચાર ખરીદી સેન્ટરો શરૃ કર્યા હતા. જેમાં ખેડૂતો મગફળીના વેચાણ માટે જ આવ્યા ન હતા. મગફળીની ખરીદી માટે પણ સરકારે મહત્તમ માત્રા નક્કી કરી છે. રાજ્ય સરકારે ગુજરાતમાં હેક્ટરદીઠ સરેરાસ ૧૪૫૦ કિલો મગફળીના ઉતારાનો અંદાજ મૂકતાં ગુજકોમાસોલ હેક્ટરદીઠ ખેડૂતો પાસેથી ૧૪૫૦ કિલો મગફળીની ખરીદી કરશે. સરકાર આ મગફળીની ખરીદી કર્યા બાદ આઠ દિવસે ચેકથી ખેડૂતોને પેમેન્ટ કરશે. રાજ્યમાં નાફેડ દ્વારા ગુજરાતમાંથી ૧૦ હજાર કરોડ રૃપિયાની મગફળીની ખરીદી કરવાનો લક્ષ્યાંક છે. મગફળીમાં ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ પાણીપત્રકના નમૂનામાં મગફળીનું વાવેતર કર્યું હોવાની નોંધ કરવી જરૃરી હોવાથી ખેડૂતો પંચાયત ઓફિસના ધક્કા ખાવા લાગ્યા છે.

મગફળીનું ઉત્પાદન વધશે

રાજ્યમાં મગફળીના ઉત્પાદનની ધારણા ર૫ લાખ ટન આસપાસની મૂકવામાં આવી છે, પરંતુ વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર હમણાં આવકોનું પ્રમાણ સતત વધતાં અને છેલ્લા વરસાદથી પાછોતરા વાવેતરને ફાયદો થતા વીઘે ઉતારા ૨૦થી ૩૦ મણના આવતા ઉત્પાદનની જે ધારણા મૂકવામાં આવી છે તેમાં અંદાજિત ૧૦થી ૧૫ ટકા વધીને હવે ૨૯થી ૩૦ લાખ ટન આવવાની વેપારીઓમાં ચર્ચા શરૃ થઇ છે. રાજ્યમાં હાલમાં મગફળીની સારી આવકો આવી રહી છે અને ગુણવત્તાવાળી મગફળીના ભાવ મણના રૃપિયા ૮૩૦થી ૮૪૦ ખેડૂતોને મળી રહ્યા છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન અને નિકાસ માંગ ધ્યાને લેતાં મગફળીના ભાવ ઊંચકાવાની સંભાવના ઓછી હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યાં છે.

વેચાણ સમયે ૭-૧૨નો ઉતારો અને મામલદારનું પ્રમાણપત્ર જરૃરી
રાજ્યમાં મગફળીના વધુ વાવેતરના પગલે  થયેલ વધુ ઉત્પાદનને લીધે મગફળીના ભાવ ટેકાના ભાવથી નીચે ચાલ્યા ગયાં છે. રાજ્યમાં ચાર જગ્યાએ ટેકાના ભાવે ખરીદી શરૃ કરાઇ છે. આજથી રાજ્યમાં વધુ મગફળીના ખરીદી સેન્ટરો ખૂલશે. મગફળીનો ટેકાનો ભાવ રૃપિયા ૮૦૦ પ્રતિ ૨૦ કિલોના નક્કી કરાયો છે. ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે ૭-૧૨નો ઉતારો અને તલાટી-મામલતદારનું વાવેતરનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. તેમજ નિયમો મુજબ ૮ ટકા કરતાં ઓછો ભેજ અને જાડી મગફળીમાં ૭૦થી વધુનો ઉતારો અને ઝીણી મગફળીમાં ૬૫ થી વધુનો ઉતારો હશે એ પ્રકારની જ મગફળીની ખરીદી થશે. મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં કાગળીયાની પળોજણ  વધુ હોવાની ખેડૂતો બૂમરાણ પાડી રહ્યા છે.

મગફળીના ઉત્પાદનનો અંદાજ

જિલ્લો     ૨૦૧૨-૧૩           ૨૦૧૩-૧૪
અમરેલી         ૦.૩૫ ૨.૦૦
ભાવનગર       ૦.૫૫ ૧.૬૦
જામનગર        ૦.૭૦ ૫.૮૦
જૂનાગઢ         ૨.૩૫ ૬.૭૬
પોરબંદર         ૦.૨૫ ૧.૭૫
રાજકોટ         ૦.૯૦ ૪.૯૦
સુરેન્દ્રનગર      ૦.૧૦ ૦.૨૫
કચ્છ    ૦.૬૦ ૧.૦૪
સાબરકાંઠા      -        ૧.૦૫
બનાસકાંઠા     -        ૦.૬૦
અન્ય   -        ૦.૨૦
કુલ      ૬.૯૫ ૨૫.૯૫

નોંધઃ  ઉત્પાદનના આંક લાખ ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment