Thursday, 28 November 2013

દાડમમાં પોણા કરોડ રૃપિયા કમાતો બનાસકાંઠાનો ખેડૂત


બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીનો પાયો નાખનાર લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામના ખેડૂતને ૭ એવોર્ડ મળ્યા


બાગાયતમાં રોકડિયા પાક ગણાતા દાડમની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો આજે રાજ્યભરમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે. દાડમની ખેતીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાની સાથે ડ્રિપ ઇરિગેશનમાં પણ જિલ્લાને રાજ્યમાં નંબરવનનું સ્થાન અપાવ્યું છે. દાડમની ખેતી જોવા મહારાષ્ટ્રના નાસિક જતા રાજ્યભરના ખેડૂતો હવે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે અહીં એવા પ્રગતિશીલ ખેડૂતની માહિતી પ્રસ્તુત છે જેમણે બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીનો પાયો નાખ્યો છે. લાખણી તાલુકાનું  સરકારી ગોળિયા ગામ આજે દાડમના ગામ તરીકે રાજ્યભરમાં વખણાય છે તેનો સઘળો યશ આ ખેડૂતને જાય છે. રાજસ્થાન સરકારના બેસ્ટ કૃષિના એવોર્ડ સાથે આજે આ ખેડૂતનું ઘર રાજ્યના પ્રગતિશીલ ખેડૂત તરીકેના ૭ એવોર્ડથી શોભે છે. આ ખેડૂતની દાડમની વાડીની રાજ્યભરના ખેડૂતો મુલાકાત લઇ રહ્યા હોવાનું આ ખેડૂતે જણાવ્યું હતું. આ ખેડૂતે સાબિત કર્યું છે કે 'મન હોય તો માળવે જવાય'. નાનપણથી અપંગ હોવા છતાં હિંમત હાર્યા વિના આ ખેડૂત આજે દાડમની ખેતીમાં ર્વાિષક ૭૫ લાખની ચોખ્ખી કમાણી કરી રહ્યા છે.
છેલ્લાં ૯ વર્ષથી દાડમની ખેતી સાથે સંકળાયેલા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામના ખેડૂત ગેનાભાઇ દરગાભાઇ પટેલે જણાવ્યું હતું કે, દાડમની ખેતી કરવાનો વિચાર તેમને ૨૦૦૪માં મનમાં સ્ફુર્યો હતો. દરમિયાન મહારાષ્ટ્રની મુલાકાત લેતાં ત્યાં દાડમની ખેતી જોઇ તેમણે વતન સરકારી ગોળિયામાં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. બાપદાદાની વારસાગત જમીન તો હતી, પરંતુ નાનપણથી અપંગ હોવાથી મનમાં થોડો ખચકાટ હોવા છતાં તેમણે મક્કમ મને ખેતી કરવાનો નિર્ણય લઇ મહારાષ્ટ્રમાંથી રૃપિયા ૧૫નો એક એવા ૬,૦૦૦ રોપા દાડમના લાવ્યા હતા. જેમાં તેમને શરૃઆતમાં દોઢ લાખ રૃપિયા ખર્ચ આવ્યો હતો. દાડમના વાવેતર બાદ ખેડૂતે એક વર્ષ બાદ ૫ હેક્ટરના આ દાડમના વાવેતરમાં ડ્રિપ કરાવ્યું હતું. જે સમયે ડ્રિપની ટેકનોલોજી અંગે ખેડૂતોમાં જાણકારીનો પણ અભાવ હતો. આજે ગેનાભાઇ દાડમની ખેતીમાં વર્ષેદહાડે રૃપિયા ૯૦ લાખની કમાણી કરી રહ્યા છે. ગેનાભાઇની દાડમની ખેતીમાં પ્રગતિ જોઈ દાડમની ખેતીનો બનાસકાંઠા જિલ્લામાં એવો પવન ફૂંકાયો કે આજે દાડમની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો રાજ્યભરમાં અવ્વલ હરોળમાં સ્થાન ધરાવે છે. ગેનાભાઇના વતન સરકારી ગોળિયામાં ૧૫૦ ખેડૂતો અને ૧૫૦૦ વીઘા જમીન છે. જે તમામ જમીનમાં બાગાયતી દાડમનો પાક લહેરાઇ રહ્યો છે. આજે આ ગામ દાડમના ગામ તરીકે પ્રખ્યાત થઇ ગયું છે. ૫૩ વર્ષના ગેનાભાઇ પટેલ એચ.એસ.સી સુધી ભણેલા હોવાની સાથે ૧૫ વર્ષનો ખેતીમાં અનુભવ ધરાવે છે. જેમને ૨૦૦૯માં રાજ્યના બેસ્ટ ખેડૂતનો એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૨માં રાજ્યના બેસ્ટ આત્મા ખેડૂત એવોર્ડના તેઓ હક્કદાર બન્યા હતા. આ પ્રકારના તેઓ ૭ બેસ્ટ ખેડૂતના એવોર્ડ ધરાવે છે. દાડમની ખેતી કરવાનો વિચાર પણ હોય તો આ ખેડૂતની મુલાકાત લેવા જેવી છે.        સંપર્ક કરોઃ ૯૯૨૫૫ ૫૭૧૭૭

રાજસ્થાન સરકારે પણ ખેડૂતને એવોર્ડ આપ્યો

રાજસ્થાન સરકારે એવોર્ડ સાથે લાખ રોકડા આપ્યાઃ ગેનાભાઇ મૂળ રાજસ્થાનના વતની હોવાથી તેમનો પરિવાર રાજસ્થાનમાં રહે છે. ગુજરાતમાં દાડમની ખેતી જોઇ તેમના પરિવારે પણ  રાજસ્થાનમાં ખેતી કરવાનો સંકલ્પ કર્યો હતો. જેમાં તેમણે ગેનાભાઇની મદદ માગી હતી. આથી ગેનાભાઇએ બાડમેર અને ઝાલોર જિલ્લામાં ૨૫૦ હેક્ટરમાં દાડમની ખેતી કરવામાં રાજસ્થાનના ખેડૂતોને મદદ કરી હતી. જે અંતર્ગત રાજસ્થાન સરકારે તેમના આ પ્રદાનને ધ્યાને લઇ રાજસ્થાન સરકારે પણ ગેનાભાઇને રાજસ્થાનનો હલ્દર ટાઇમ્સ એવોર્ડ આપ્યો હતો.

ખેડૂતનું આવક-જાવકનું સરવૈયું


ગેનાભાઈ પટેલ પાંચ હેક્ટર જમીનમાં ૬,૦૦૦ રોપા દાડમના ધરાવે છે. અહીંયાં એક હેક્ટરદીઠ ખેડૂતના આવક, જાવક અને નફાનું ગણિત અપાયું છે. ૨૦૧૦માં ખેડૂતને દાડમની ખેતીમાં એક હેક્ટરે ૯ ટન ઉત્પાદન મળ્યું હતું. જે દાડમ ૧૬૧ રૃપિયામાં કિલોના ભાવે વેચાણ થતાં ખેડૂતને ૧૪.૪૯ લાખ રૃપિયાની આવક થઇ હતી. જેમાં ખેડૂતને એક હેક્ટરદીઠ રૃપિયા ૧.૨૦ લાખનો ખર્ચ થયો હતો અને ખેડૂતને ચોખ્ખી આવક ૧૩.૨૯ લાખ રૃપિયા થઇ હતી. એટલે કે ખેડૂતને ૨૦૧૦માં જ દાડમની પાંચ હેક્ટર ખેતીમાંથી ૬૬.૪૫ લાખ રૃપિયાની આવક થઇ હતી. આ જ પ્રકારે ૨૦૧૧માં ખેડૂતને પ્રતિ હેક્ટર ૧૨ ટન આવક થઇ હતી. આ દરમિયાન ખેડૂતને ભાવ માત્ર પ્રતિકિલોએ રૃપિયા ૭૫ જ મળતાં હેક્ટરદીઠ ૯ લાખની આવક સામે ખર્ચ હેક્ટરદીઠ ૧.૫૦ લાખ આવતાં ખેડૂતને એક હેક્ટરદીઠ ૭.૫૦ લાખ એટલે પાંચ હેક્ટરદીઠ ૩૭ લાખ રૃપિયાની જ આવક મળી હતી. ૨૦૧૨માં ખેડૂતને આવક વધતાં હેક્ટરદીઠ ઉત્પાદન ૨૬ ટન મળ્યું હતું, પરંતુ આ વર્ષે પણ પ્રતિ કિલો ભાવ માત્ર ૬૬ રૃપિયા મળતાં ખેડૂતને પ્રતિ હેક્ટરદીઠ આવક ૧૭.૧૬ લાખ સામે ખર્ચ ૨.૦ લાખ થયો હતો. એટલે કે હેક્ટરદીઠ ખેડૂતને ૧૫.૧૬ લાખ રૃપિયા આવક થતાં ૭૫.૮૦ લાખ રૃપિયા ચોખ્ખો નફો મળ્યો હતો.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

લસણના ભાવ કિલોએ રૃપિયા ૧૦૦એ પહોંચ્યા


જાન્યુઆરી સુધી તેજી રહેશે : દિલ્હી અને મુંબઇમાં છૂટક બજારમાં ભાવ ઊંચકાયા 

લસણના ભાવ હવે ડુંગળી બાદ છૂટક બજારમાં રૃપિયા ૧૦૦એ પહોંચી ગયા છે. લસણની ચાલુ સીઝનમાં ઓછા ઉત્પાદન વચ્ચે દેશના અનેક વિસ્તારમાં લસણની વાવણી સમયે વરસાદથી લસણમાં નુક્સાન અને વાવેતર મોડા થવાના  પરિણામે લસણનો નવો પાક જાન્યુઆરીના અંતમાં બજારમાં આવે તેવી શક્યતા છે જેથી લસણનો ભાવ જાન્યુુઆરી સુધી ઘટે તેવી હાલ પૂરતી કોઇ શક્યતા નથી. દિલ્હી અને મુંબઇમાં છૂટક બજારમાં લસણ રૃપિયા ૧૦૦એ કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. દર વર્ષે નવેમ્બર મહિનામાં જૂનો સ્ટોક ક્લિયર થયા બાદમાં લસણના ભાવ વધતા હોય છે.

આ વર્ષે લસણમાં ભાવ વધારો અસામાન્ય છે. ૨૦૧૦-૧૧માં દેશમાં લસણનું ઉત્પાદન ૧૦.૫૭ લાખ ટન થયું હતું ત્યારે લસણના ભાવ કિલોએ રૃપિયા ૨૦૦એ પહોંચ્યા હતા. ૨૦૧૧-૧૨માં લસણનું ઉત્પાદન ૧૨.૨૫ લાખ ટન અને ૨૦૧૨-૧૩માં ઉત્પાદન વધીને ૧૨.૫૦ લાખ ટન થયું હોવાથી લસણના ભાવ ઘટયા હતા. દેશમાં માગણીની સરખામણીમાં ઉત્પાદન સરેરાશ હોવા છતાં ભાવમાં વધારો લસણના વેપારમાં કાર્ટેલ રચાઇ હોવાનું વેપારીઓ માની રહ્યા છે. દેશમાં મધ્યપ્રદેશમાં લસણનું સૌથી મોટું માર્કેટયાર્ડ આવેલું છે. નવેમ્બરના મધ્યમાં ૪૦થી ૫૦ રૃપિયે કિલો મળતું લસણ હાલમાં એકાએક રૃપિયા ૭૦થી ૧૦૦ની વચ્ચે છૂટક બજારમાં વેચાઇ રહ્યું છે.


લસણના પાકની વધુ માહિતી માટે આ લિંન્ક અપડેટ કરો 

http://karanrajputsandesh.blogspot.in/2013/04/blog-post.html

Wednesday, 27 November 2013

રવી વાવેતરમાં સપ્તાહમાં આઠ લાખ હેક્ટરનો વધારો


૨૫મી નવેમ્બર સુધીમાં ગુજરાતમાં 15 લાખ હેક્ટરમાં વાવેતર


ગુજરાતમાં એક સપ્તાહમાં જ રવી વાવેતરમાં આઠ લાખ હેક્ટરમાં વધારો નોંધાયો છે. ૧૮મી નવેમ્બરના રોજ વાવેતરનો આંક ૭.૩૨ લાખ હેક્ટર હતો. ૨૫મી નવેમ્બરે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા વાવેતરના આંક અનુસાર રાજ્યમાં ૧૫.૪૦ લાખ હેક્ટરમાં રવી વાવેતર નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ વાવેતર ઘઉંનું ૧૨ લાખ હેક્ટરમાં થાય છે. ૨૫મી નવેમ્બર સુધીમાં રાજ્યમાં ઘઉંનું ૪.૪૯ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
ઘઉંનું સૌથી વધુ વાવેતર જૂનાગઢ જિલ્લામાં ૧.૨૫ લાખ હેક્ટરમાં થયું છે. ચણાના વાવેતરમાં રાજ્યનો દાહોદ જિલ્લો હાલમાં અગ્રેસર છે. ચણાના ૧.૧૮ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર સામે દાહોદમાં ૩૪ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. રાઇના વાવેતરમાં ચાલુ વર્ષે ગુજરાતમાં વધારો નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં રાયડાનું સૌથી વધું ૧.૪૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાઇના કુલ ૨.૪૩ લાખ હેક્ટર વાવેતર પૈકી એકમાત્ર ઉત્તર ગુજરાતમાં ૨.૦૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. લસણમાં પણ કુલ ૧.૮૮ લાખ હેક્ટર વાવેતર પૈકી સૌરાષ્ટ્રમાં ૧.૭૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં રાજકોટમાં ૬૨ હજાર હેક્ટર અને જૂનાગઢમાં ૫૭ હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જીરામાં પણ સુરેન્દ્રનગર એક માત્ર જિલ્લામાં ૪૦ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. પરિણામે સૌરાષ્ટ્રમાં વાવેતરનો આંત ૯૧ હજાર હેક્ટરે પહોંચ્યો છે. રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં પણ વધારો નોંધાયો છે. 
રાજ્યમાં બટાટાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. બટાટાના વાવેતરમાં ડીસા પંથક અગ્રેસર ગણાય છે.  બટાટાના કુલ ૩.૦૯ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર પૈકી ઉત્તર ગુજરાતમાં ૨.૯૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૧.૮૪ લાખ હેક્ટરમાં વાવેતર વધ્યું છે. રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં પણ વધારો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ હાલમાં ડુંગળીના સારા ભાવ છે. ડુંગળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. જ્યાં ૧.૭૦ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.

પાક પ્રમાણે  રાજ્યમાં દબદબો ધરાવનાર જિલ્લા
પાક                   જિલ્લો               વાવેતર
ઘઉં                    જૂનાગઢ              ૧.૨૫ લાખ
જુવાર                 પોરબંદર              ૬.૯૦૦
મકાઇ                 દાહોદ                ૨.૦૦ લાખ
ચણા                  દાહોદ                ૩.૪૨ લાખ
રાઇ                   બનાસકાંઠા           ૧.૪૧ લાખ
શેરડી                  સુરત                  ૨.૨૧ લાખ
તમાકુ                 આણંદ                ૧.૫૬ લાખ
જીરું                   સુરેન્દ્રનગર           ૪૦,૦૦૦
વરિયાળી              મહેસાણા             ૨,૩૦૦
ડુંગળી                 ભાવનગર            ૧.૭૦ લાખ
બટાટા                બનાસકાંઠા           ૧.૮૪ લાખ
નોંધ : વાવેતર હેક્ટરમાં છે.

રાજ્યમાં ૨૫મી નવેમ્બર સુધી નોંધાયેલું રવી વાવેતર
પાક       ૨૦૧૨               ૨૦૧૩
ઘઉં         ૨.૩૮ લાખ        ૪.૪૯ લાખ
જુવાર     ૧૪,૪૦૦            ૧૨,૬૦૦
મકાઇ     ૪૬.૫૦૦             ૫૦,૯૦૦
ચણા      ૧.૦૯ લાખ         ૧.૧૮ લાખ
રાઇ       ૧.૬૬ લાખ         ૨.૪૩ લાખ
શેરડી      ૮0,300            ૫૬,૮૦૦
તમાકુ     ૩૦,૭૦૦            ૨૨,૪૦૦
જીરું       ૧.૫૭ લાખ         ૧.૬૭ લાખ
લસણ     ૪,૯૦૦              ૧૮,૮૦૦
સુવા       ૩,૭૦૦              ૩,૯૦૦
ઇસબગુલ  ૩૦૦                 ૪,૩૦૦ 
વરિયાળી ૭,૬૦૦              ૧૨,૯૦૦
ડુંગળી     ૬,૬૦૦              ૨૮,૭૦૦
બટાટા    ૩૯,૭૦૦             ૩૦,૯૦૦
શાકભાજી  ૭૨,૨૦૦          ૯૮,૦૦૦
ઘાસચારો ૧.૬૨ લાખ         ૧.૬૨ લાખ
કુલ        ૧૧.૮૫ લાખ       ૧૫.૪૦ લાખ
નોંધઃ  વાવેતરના આંક હેક્ટરમાં છે.

ઝોન પ્રમાણે રવી વાવેતર

ઝોન                સરેરાશ         વાવેતર
ઉ.ગુજરાત   ૧૧.૧૬ લાખ               ૫.૨૪ લાખ
મ.ગુજરાત    ૧૦.૧૭ લાખ              ૨.૮૭ લાખ
સૌરાષ્ટ્ર           ૯.૪૬ લાખ           ૪.૯૨ લાખ
દ. ગુજરાત    ૩.૬૬ લાખ            ૧.૧૬ લાખ
કચ્છ          ૧.૨૭ લાખ              ૧૨.૦૦૦

નોંધઃ વાવેતરના આંક હેક્ટરમાં
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Sunday, 24 November 2013

દેશમાં મરચાંનું ઉત્પાદન ઘટશે


  • મરચાંની માંગ યથાવત્ રહી તો એક મહિના સુધી ભાવ ઊંચા રહેશે
  • વાવેતરમાં પાંચથી ૧૦ ટકાનો ઘટાડોઃ 
  • મધ્યપ્રદેશમાં વરસાદથી મરચાંના પાકને ભારે નુક્સાન 
  • ગુજરાતમાં પણ સુકારો અને વરસાદ પાકને નડયો
  •  કેરી ફોરવર્ડ સ્ટોક ૨.૪૦ લાખ બેગ

દેશમાં મરચાંના વાવેતરમાં ઘટાડો અને જુલાઇથી ઓક્ટોબર દરમિયાન મધ્યપ્રદેશમાં પાકને નુકસાનથી કુલ ઉત્પાદનમાં ૨૦ ટકા ઘટાડો થવાના અંદાજ વચ્ચે હાલમાં મરચાંના ભાવમાં ઉછાળો આવ્યો છે. દેશમાં મરચાંના ૭થી ૮ લાખ હેક્ટરમાં વાવેતર વચ્ચે ઉત્પાદન ૧૨થી ૧૩ લાખ ટન થાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ૪૩ હજાર હેક્ટરમાં મરચાંનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે દેશમાંથી મરચાંની નિકાસમાં પણ ૧૯ ટકાનો વધારો થવાની સાથે હાલમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ૨.૪૦ લાખ બેગ કેરી ફોરવર્ડ સ્ટોક છે. બાંગ્લાદેશ અને શ્રીલંકામાં હાલમાં મરચાંની માંગ સારી હોવાથી ગંટુર માર્કેટયાર્ડમાં પણ ભાવ ઊંચકાયા છે.  તામિલનાડુ કૃષિ યુનિ. દ્વારા બહાર પડાયેલા અંદાજ અનુસાર ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૪ દરમિયાન પ્રતિ ક્વિન્ટલ મરચાંનો ભાવ રૃપિયા ૫,૫૦૦થી ૬,૦૦૦ રહેશે

દેશમાં ૧૩થી ૧૪ લાખ ટન મરચાંના ઉત્પાદન સાથે ભારત વિશ્વના મોટા ઉત્પાદક દેશોમાંનો એક છે. વિશ્વનાં કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૪૦ ટકા આસપાસ છે. દેશમાં વિવિધ વેરાઇટીનાં મરચાંનું ખેડૂતો ઉત્પાદન કરે છે. ભારત મરચાંના વપરાશ અને નિકાસ માર્કેટમાં પણ અવ્વલ છે. દેશમાં મરચાંનાં સૌથી મોટાં ઉત્પાદક રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાત મુખ્ય છે.  દેશના કુલ ઉત્પાદનના ૫૦ ટકા મરચું આંધ્રપ્રદેશના ખેડૂતો પેદા કરે છે. આંધ્રપ્રદેશમાં ગંટુર, વારંગલ, ખમ્મામ, ક્રિષ્ણા અને પ્રકાશમ જિલ્લામાં મોટાપાયે મરચાંનું વાવેતર થાય છે. મરચાંના સૌથી મોટા વેચાણ માર્કેટમાં આંધ્રપ્રદેશનું ગંટુર, વારંગલ, ખમ્મામ, કર્ણાટકના રાયચુર અને બરેલી તેમજ તામિલનાડુના ઇરોડ માર્કેટયાર્ડનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશના ગંટુર યાર્ડનાં મરચાં તેની તીખાશ અને અલગ-અલગ વેરાઇટી માટે પ્રખ્યાત છે. અહીંયાંથી બહાર પડતા ભાવના વર્તારાની અસર સમગ્ર દેશ અને વિશ્વબજાર પર અસર કરતી હોય છે.
દેશમાં મરચાંનું ૭થી ૮ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી મરચાંના નવા પાક ઉપર જોખમ ઊભું થયું છે. મધ્યપ્રદેશમાંથી નવા પાકની આવક ધીમી રહી છેે. હાલ છેલ્લા થોડા  દિવસથી મરચાંના ભાવ સુધર્યા છે અને આગામી દિવસોમાં પણ વધારા તરફી રહેશે. ર૦૧૧-૧૨ના અંદાજ કરતાં દેશમાં ર૦ ટકા ઓછું ઉત્પાદન એટલે કે ૧૧થી ૧૧.૫૦ લાખ ટન થવાની સંભાવના છે. મધ્ય પ્રદેશમાં પાક ઉપર આવેલા મરચાંના સમયે જ ભારે વરસાદ થતા માઠી અસર થઈ છે. જ્યારે આંધ્રપ્રદેશમાં વરસાદના સમયે પાક નાનો હોય તેને બહુ ખરાબ અસર થઈ નથી.
મધ્યપ્રદેશમાં ઓછો પાક થવાની શક્યતા છે. આગામી એક માસ કે તેથી વધારે સમય માટે મરચાંના ભાવ ઊંચા રહેશે. પિયત જમીનવાળા વિસ્તારોમાં મરચાંનું વાવેતર ૧પથી ર૦ ટકા જેટલું વધ્યું છે. જ્યારે વરસાદ આધારિત વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મરચાંના ભાવની વધઘટને લીધે ખેડૂતો પ્રમાણમાં સ્થિર ભાવ આપતા કપાસના પાક તરફ વળ્યા છે જેથી એ વિસ્તારોમાં મરચાંના વાવેતરમાં પથી ૧૦ ટકાનો ઘટાડો થયો છે. મરચાંનો જથ્થો હાલમાં ઓછો છે, વળી નવેમ્બર માસ બાદ મરચાંના કુલ ઉત્પાદનનો અંદાજ આવી જતા ભાવ વધવાની શરૃઆત થશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એપ્રિલથી જૂન સુધીના સમયમાં મરચાંની નિકાસમાં ૧૯ ટકાનો વધારો થયો છે. નિકાસમાં વધારો થાય એટલે ઓછા માલ કે મર્યાદિત સ્ટોક, ઉત્પાદનને લીધે ઘરઆંગણાના ભાવમાં વધારો થાય તે સ્વાભાવિક છે.  ચાલુ નાણાકીય વર્ષે ર,૮૧,૦૦૦ ટન મરચાંની નિકાસ થઈ હતી એટલે કે રૃ. ર,ર૬૧.૪૪ કરોડની થઇ છે. જે ગત વર્ષ કરતાં જથ્થાના પ્રમાણમાં ૧૭ ટકા વધારે અને ભાવની દૃષ્ટિએ પ ટકા વધારે હતી. ર૦૧રમાં મરચાંની નિકાસ ર,૪૧,૦૦૦ ટનની, રૃ.ર,૧૪૪.૦૮ કરોડની હતી. દેશમાં મરચાંના કુલ ઉત્પાદનમાંથી ૭૦થી ૮૦ ટકા મરચાંનો વપરાશ થાય છે અને ૧૦થી ૧૨ ટકા મરચાંની નિકાસ કરાય છે. હાલમાં તામિલનાડુમાં ૨ લાખ બેગ અને આંધ્રપ્રદેશમાં ૪૦ લાખ બેગ (૧ બેગ એટલે ૩૫ કિગ્રા) કેરી ફોરવર્ડ સ્ટોક છે. તામિલનાડુના વિદ્યુંતનગર યાર્ડમાં ગત સપ્તાહે ભાવ પ્રતિ ક્વિન્ટલ ૬,૫૦૦થી ૭,૦૦૦  ભાવ ખેડૂતોને અપાયો હતો. તામિલનાડુ એગ્રીકલ્ચર યુનિ. દ્વારા બહાર પડાતા અંદાજો અનુસાર  ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૪ દરમિયાન પ્રતિ ક્વિન્ટલ મરચાંનો ભાવ ૫,૫૦૦થી ૬,૦૦૦ની આસપાસ રહેશે. 

રાજ્યમાં મરચાંના પાકને સુકારો અને વરસાદ નડયો
છેલ્લે ભારે વરસાદ અને સુકારાનો તેમજ ફૂગનો રોગ લાગુ પડતાં આ વર્ષે મરચાંના ઉત્પાદન પર ઘટ આવવાની દહેશત સેવાઈ રહી છે. જેના કારણે ભાવ વધુ ચૂકવવા પડશે. ગત સાલ મરચાંની સીઝન દરમિયાન મરચાંની આવકમાં ૨૦૧૨ સાલની સરખામણીએ ૨૦૧૩ની ગત સીઝનમાં ૩૨૫૬ ક્વિન્ટલની આવકમાં ઘટાડો નોંધાયો હતો. આ વખતે વાવેતર થોડું વધ્યું હતું પણ ભારે વરસાદના કારણે અને વાવાઝોડાંની અસરના કારણે મરચી આડી પડી ગઈ હતી તેમજ મરચાંમાં સુકારાનો રોગ આવતા અનેક ખેડૂતો મરચી કાઢીને ડુંગળી અને ચણા વાવી દીધા છે. ગત સાલ કરતાં પણ આ સાલ મરચાંનો પાક ઓછો મળે એવી દહેશત જોવાઈ રહી છે.
 વૈજ્ઞાાનિક ઢબથી મરચાંની દર વર્ષે ખેતી કરતાં અમિતભાઈ હાંસલિયાના જણાવ્યા મુજબ, ગોંડલ વિસ્તારમાં રેશમ પટ્ટા જાતનાં મરચાંની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. કેટલાક લોકો તો એમના પરિવારમાં દર વર્ષે મરચાંનું અચૂક વાવેતર કરે જ છે. ગોંડલ તાલુકામાં કોલીથડ, વેજાગામ, ત્રાકુડા, અનીડા ભાલોડી એ ચાર ગામમાં સવિશેષ વવાય છે. એ ઉપરાંત મોવિયા, ગોમટા, જામવાડી  ગરનાળા તેમજ અન્ય ગામોમાં પણ ખેડૂતો વાવે છે. જામકંડોરણા તાલુકામાં ચિત્રાવડ, ખજુરડા, જામકંડોરણા, જામટીંબડી, રોઘેલ, બોરિયા, પીપરડી, બરડિયા તેમજ અમરેલી જિલ્લાનાં કેટલાંક ગામોમાં મરચાંનું વાવેતર વિશેષ છે. રોકડિયા પાકના કારણે ખેડૂતોને મરચાંના વાવેતર પ્રત્યે આકર્ષણ રહે છે.  મરચાંમાં ત્રણ વાર વીણી (ક્રોપ) આવે છે. ૨૦૧૨માં ખેડૂતોને મરચાંના પાકમાં ૨૦ કિલોએ સરેરાશ રૃ.૪૬૦૦થી ૯૪૦૦ રૃપિયા સુધી ભાવો મળ્યા હતા. જ્યારે ઘોલર બ્રાન્ડના મરચાંના ભાવ સરેરાશ ૪,૫૦૦થી ૧૨,૦૦૦ મળ્યા હતા. ૨૦૧૩માં સૌથી ઊંચા ભાવ તા. ૯મી એપ્રિલે અને ૧૦મી એપ્રિલે નીચામાં રૃ.૨,૭૫૫ અને ઊંચામાં રૃ.૧૭,૨૫૫ સુધી બોલાયા હતા અને એવરેજ ભાવ રૃ.૧૩,૨૫૫ બોલાયા હતા. જ્યારે યાર્ડમાં વેપાર ચાલુ થયો અને આવકનો પહેલો દિવસ હતો ત્યારે ક્વિન્ટલના ભાવ નીચામાં ૪,૪૦૫થી ઊંચામાં ૧૬,૨૫૫ બોલાયા હતા અને એવરેજ ૧૨,૨૬૫ ભાવ બોલાયા હતા.  ગત ૨૦૧૨ના વર્ષમાં સીઝન પૂરી થઈ ત્યારે રેશમપટ્ટાની આવક ગોંડલ યાર્ડમાં ૧૩,૨૫૬ ક્વિન્ટલની થઈ હતી. જ્યારે આ સાલ સીઝન પૂરી થતા સુધીમાં ૧૦ હજાર ક્વિન્ટલ સુધી જ આવકો રહેવાની ધારણા છે. આમ ગત સીઝન કરતાં ઘટ પડશે. એમાંયે હજુ જો શિયાળામાં હિમ પડશે તો પાકનું ચિત્ર વધુ વણસી જશે.

૨૦૧૨-૧૩માં દેશમાં મરચાંના ઉત્પાદનના આંક
રાજ્ય      વાવેતર   ઉત્પાદન
આંદામાન            ૦.૪૦             ૦.૬૧
આંધ્રપ્રદેશ            ૨૧૦.૦૨      ૬૮૫.૧૫
અરુણાચલ           ૨.૬૦           ૫.૫૦
આસામ              ૨૦.૫૯        ૧૫.૯૬
બિહાર                ૨.૯૦           ૩.૦૦
છત્તીસગઢ            ૫.૫૬          ૨.૭૬
ગુજરાત             ૪૩.૪૦        ૬૮.૫૩
હરિયાણા            ૧.૦૫             ૮.૯૩
હિમાચલ            ૦.૭૧            ૦.૨૮
જમ્મુ                  ૦.૫૬         ૦.૫૪
કર્ણાટક             ૧૦૦.૦૦        ૧૦૭.૦૦
કેરલ                     ૧.૯૧      ૩.૧૦
મધ્યપ્રદેશ            ૫૪.૪૧      ૯૩.૫૭
મહારાષ્ટ્ર               ૯૯.૫૦     ૪૫.૬૦
મણિપુર                ૬.૫૦       ૩.૯૦
મેઘાલય              ૧.૮૫             ૧.૪૧
મિઝોરમ               ૯.૦૨       ૮.૨૧
નાગાલેન્ડ            ૦.૮૦           ૧.૦૦
ઓરિસ્સા            ૭૫.૬૦      ૭૦.૦૦
પોંડીચેરી              ૦.૦૧            ૦.૦૧
પંજાબ                ૧૦.૬૦       ૧૭.૭૦
રાજસ્થાન            ૨.૨૧        ૧૭.૭૧
તામિલનાડુ           ૫૦.૬૭       ૨૩.૦૬
ત્રિપુરા                    ૨.૩૬      ૩.૭૦
ઉત્તર પ્રદેશ           ૧૩.૨૮     ૧૧.૦૩
ઉત્તરાખંડ              ૨.૦૦        ૭.૨૦
પ. બંગાળ            ૬૩.૬૦    ૧૦૦.૦૦
કુલ                     ૭૯૨.૧૧        ૧૩૦૫. ૪૬
નોંધઃ વાવેતર હેક્ટરમાં અને ઉત્પાદનના આંક ટનમાં છે (૦૦૦ ઉમેરવા)
( વરસાદ પૂર્વેનો બાગાયતનો બીજો અંદાજ)

ગોંડલ યાર્ડમાં મરચાંની થયેલી કુલ આવકના આંક
વર્ષ            જાત                 આવક            ભાવ
૨૦૧૧   રેશમપટ્ટો           ૧૫૦૧૩          ૧૧૦૦૦
૨૦૧૧   ઘોલર                   ૪૪૪              ૧૩૦૦૦
૨૦૧૨   રેશમપટ્ટો           ૧૩૫૯૨           ૪૬૦૦થી
                                                             ૯૪૦૦
૨૦૧૨   ઘોલર                   ૩૨૯          ૪૫૦૦થી
                                                          ૧૨૦૦૦
૨૦૧૩   રેશમપટ્ટો           ૯૯૫૮                    -


નોંધઃ મરચાંની આવક ક્વિન્ટલમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

રાજ્યમાં તલનું વેચાણ કરી નફો મેળવવાની ઉત્તમ તક

ગત સપ્તાહે તલમાં મણે રૃપિયા ૩૮૦૦નો ઐતિહાસિક ભાવ બોલાયોઃ આવકના અભાવે તેજી જળવાશેઃ ફેબ્રુઆરી મધ્યમાં તેજીના બીજા રાઉન્ડની શક્યતા

રાજ્યમાં  તલના ઉત્પાદનના અંદાજોમાં મતમતાંતર વચ્ચે ગત સપ્તાહે રાજ્યમાં તલના ઐતિહાસિક ભાવો ખેડૂતોને મળ્યા હતા. અમરેલી માર્કેટયાર્ડમાં મણના  ભાવ રૃપિયા ૩૮૦૦ સુધી પહોંચ્યા હતા. દક્ષિણ કોરિયાના તલનાં ટેન્ડરો રદ થઇ ગયા બાદ ૨૮મી નવેમ્બરે ખુલવાની ફરી જાહેરાત થઇ હતી. ગત સપ્તાહે મોટાભાગના યાર્ડમાં ગુણવત્તાયુક્ત તલનું મણે રૃપિયા ૩૩૦૦થી ૩૬૦૦ના ભાવે વેચાણ થયું હતું. અગાઉ તેજીના સમયે તલે ર૮૦૦થી ૩૦૦૦ની સપાટી બનાવી હતી. જેથી ખેડૂતોએ તલનું વેચાણ કરી હાલમાં નફો મેળવી લેવો જોઇએ.
તલના ભાવમાં હજુ પણ ફેબ્રુઆરીના મધ્યમાં વધારો થવાની શક્યતા હોવા છતાં ખેડૂતો હાલમાં ઉંચા ભાવની તેજીનો લાભ લઇ તલનું વેચાણ કરી ફાયદો મેળવે તો લાભમાં રહેશે. તલનાં નિકાસકાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પાછોતરા ભારે વરસાદના કારણે તલના વાવેતરનું ધોવાણ થતાં ઉત્પાદનનો અંદાજ ૭પ હજાર ટનની સામે કૃષિ વિભાગે ૫૨ હજાર ટનનો અંદાજ મુકતા અને ઓક્ટોબરની શરૃઆતથી નવી આવકો પાંખી રહેતા તેજીનાં મંડાણ થયાં હતાં.
વેપારીઓ તો ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગના અંદાજ કરતાં ઓછો માંડી રહ્યા છે. શિયાળાની શરૃઆતે ઘરેલુ માંગ વધતા તેજીને બળ મળ્યું છે. દેશમાં તલના ઓછા ઉત્પાદનના કારણે આ સાલ નિકાસની ધારણા ર લાખ ટનની મુકાઈ છે. જ્યારે દેશનું ચોમાસુ ઉત્પાદન ર.પ૦ લાખનું છે.

 જૂનો કેરી ફોરવર્ડ સ્ટોક માંડ ૮થી ૧૦ હજાર મણનો છે. જોકે, વેપારીઓના અહેવાલ, પાછલાં વર્ષોના ભાવ, માસિક ભાવો વગેરે પાસાઓને ધ્યાને લઈને તામિલનાડુ કૃષિ યુનિર્વિસટીની સલાહ મુજબ જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના અર્થશાસ્ત્ર ભવનની સંશોધન ટીમે કરેલા વિશ્લેષણ અનુસાર નવેમ્બર-ડિસેમ્બર ર૦૧૩ દરમિયાન સફેદ તલના ભાવ રૃ. ર૦૦૦થી રૃ.રર૦૦ સુધીના રહેશે તેમજ ગુણવત્તાવાળા તલનો ભાવ રૃ.ર૮૦૦ સુધી મળશે. ત્યારે ખેડૂતોએ નબળા તલનો સંગ્રહ કર્યા વગર કાપણી પછી તરત જ બજાર ભાવે વેચી દેવા અને સારી ગુણવત્તાના તલનો સંગ્રહ કરી જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦૧૪ની સેમી રવી સીઝનના નવા પાક પહેલાં વેચાણ કરવાની ભલામણ કૃષિ વૈજ્ઞાાનિકો દ્વારા કરવામાં આવી છે. જોકે, હાલમાં જૂનાગઢ કૃષિ યુનિ.ના અંદાજ કરતાં પણ ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યા છે. દેશમાં તલનું વાવેતર ખરીફ સીઝનમાં ૧૪.૯૩ લાખ હેક્ટરમાં થયું છે જે ગત ખરીફમાં ૧૪.૩૨ લાખ હેક્ટર હતું.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Thursday, 21 November 2013

બાગાયતની હરણફાળ : ૨૬ કરોડ ટન ઉત્પાદન થશે


ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં બાગાયતી પાકનું વાવેતર ૧૨.૬૯ લાખ હેક્ટરથી વધીને ૧૪.૮૭ લાખ હેક્ટર અને ઉત્પાદન ૧૫૨.૭૪ લાખ ટનથી વધીને ૧૯૧ લાખ ટને પહોંચ્યું


દેશના કૃષિ બજારમાં સૌથી વધુ પ્રગતિ કરતું બજાર એ બાગાયત બજાર છે. ૨૦૧૦-૧૧માં દેશમાં ૨૧૮ લાખ હેક્ટરમાં બાગાયતી પાકનું વાવેતર થતાં ઉત્પાદન વધીને ૨૪ કરોડ ટન થયું હતું.  ૨૦૧૧-૧૨માં પણ વાવેતરનો આંક ૨૩૨ લાખ હેક્ટર થતાં ઉત્પાદન ૨૫ કરોડ ટન થયું હતું. આ જ પ્રકારે ૨૦૧૨-૧૩માં ૨૩૫ લાખ હેક્ટરમાં દેશમાં વાવેતર થતાં ઉત્પાદન ૨૬ કરોડ ટન થવાનો અંદાજ લગાવાયો છે. જેમાં ફળોનું ઉત્પાદન ૭૯૩ લાખ ટન, શાકભાજીનું ૧૫ કરોડ ટન અને ફૂલોનું ૭૬૦ લાખ ટન ઉત્પાદન થશે.ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં બાગાયતી પાકનું વાવેતર ૧૨.૬૯ લાખ હેક્ટરથી વધીને ૧૪.૮૭ લાખ હેક્ટર અને ઉત્પાદન ૧૫૨.૭૪ લાખ ટનથી વધીને ૧૯૧ લાખ ટને પહોંચ્યું છે. વિશ્વમાં બાગાયતમાં અગ્રણી ગણાતા ભારતનું ૨૦૧૧માં નિકાસ બજાર ૧૪ હજાર કરોડ રૃપિયા રહ્યું હતું.

 બાગાયતી પાકની નિકાસ માંગ બાંગ્લાદેશ, યુએઈ, પાકિસ્તાન, મલેશિયા, યુ.કે, અમેરિકા અને દુબઈમાં વધતાં ભારતનું નિકાસ માર્કેટ ગ્રોથ કરી રહ્યું છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

ફૂલોનું ભારતમાં ૭૦૦ કરોડનું બજાર


દેશમાં ૨.૧૮ લાખ હેક્ટરમાં અને ગુજરાતમાં ૧૫ હજાર હેક્ટરમાં થતું ફૂલોનું વાવેતર : રાજ્યમાં ફૂલોનું ૧.૩૫ લાખ ટન ઉત્પાદનઃ  દેશમાં ૭૫ ટકા વિસ્તારમાં પરંપરાગત ફૂલો અને ૨૫ ટકામાં દાંડીવાળાં ફૂલોની ખેતી

૪૦૦
કરોડ રૃપિયાનાં ફૂલોની નિકાસ

૭૬૦
લાખ ટન ફૂલોનું ઉત્પાદન


ફૂલો એ સ્નેહ અને સદ્ભાવનાનું પ્રતીક છે. ફૂલછોડ એ બગીચાની શોભા હોવાની સાથે આર્િથક ઉપાર્જનનું મહત્ત્વનું અંગ બની ગયાં છે. દેશમાં ૨.૫૩ લાખ હેક્ટરમાં થતા વાવેતરથી ૭૬૦ લાખ ટન ફૂલોનું ઉત્પાદન થાય છે. ફૂલોની આંતરરાષ્ટ્રીય બજારમાં સારી માંગ રહે છે. દર વર્ષે ૩થી ૩.૫ કરોડ ટન એટલે કે ૩૫૦થી ૪૦૦ કરોડનાં ફૂલોની દેશમાંથી નિકાસ થાય છે. ભારતનાં ફૂલોની માંગ અમેરિકા, જર્મની, નેધરલેન્ડ જાપાન અને કેનેડા દેશમાં સૌથી વધુ છે. દેશમાં ફૂલોના વાવેતરની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, ગુજરાત સહિતનાં વિવિધ રાજ્યો અગ્રેસર છે. બીજુ કે દેશમાં ૭૫ ટકા વિસ્તારમાં પરંપરાગત ફૂલો અને ૨૫ ટકામાં દાંડીવાળાં ફૂલોની ખેતી થાય છે. ગુજરાતમાં ફૂલોની ખેતીનો વાવેતર વિસ્તાર ૧૬ હજાર હેક્ટર છે. જેમાંથી ફૂલોનું ઉત્પાદન ૧.૩૫ લાખ ટન મળે છે. રાજ્યમાં જાસ્મીન, ગુલાબ, ડચ રોઝ અને લીલીની પરંપરાગત ખેતી કરતા ખેડૂતો હવે ગ્રીનહાઉસ તરફ વળતાં રાજ્યમાં જરબેરા, કાર્નેશન અને ડચ રોઝ જેવાં કટફ્લાવર્સની ખેતી વધી રહી છે. ફૂલોની ખેતી માટે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અગ્રેસર છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 20 November 2013

ગુજરાતમાં રવી સીઝનમાં સાત લાખ ક્વિન્ટલ બિયારણની માંગ



  • રવી સીઝનમાં ૧૦૦ ટકા વાવેતર થશે : બિયારણ બજારમાં તેજી 
  • ૨૦૧૨-૧૩માં ૧૩.૪૭ લાખ ક્વિન્ટલ બિયારણના વપરાશ સામે ૨૦૧૬-૧૭માં ૨૩.૮૨ લાખ ક્વિન્ટલ બિયારણની જરૃરિયાત ઊભી થવાનો કૃષિ વિભાગનો અંદાજ   

પાછોતરા વરસાદથી રવી સીઝનમાં ૩૬થી ૩૭ લાખ હેક્ટર એટલે કે ૧૦૦ ટકા વાવેતર થવાના ઉજળા સંજોગો ઊભા થયા છે. વાવેતર વધવાના સંકેતોથી રાજ્યમાં બિયારણ અને ખાતરના વપરાશમાં પણ તેજી આવશે. ચાલુ રવી સીઝનમાં ૭ લાખ ક્વિન્ટલ બિયારણનો વપરાશ થવાનો અંદાજ કૃષિ વિભાગે મૂક્યો છે. રાજ્યમાં ૨૦૧૨-૧૩માં ૧૩.૪૭ લાખ ક્વિન્ટલ બિયારણના વપરાશ થવાના અંદાજ વચ્ચે રાજ્યને ૨૦૧૬-૧૭ સુધી ૨૩.૮૨ લાખ ક્વિન્ટલ બિયારણની જરૃરિયાત ઊભી થશે. ૨૦૧૧-૧૨માં બિયારણની રાજ્યની ર્વાિષક જરૃરિયાત ૧૦.૦૮ લાખ ક્વિન્ટલ હતી. જેમાં આ સીઝનમાં વધારો જોવા મળ્યો છે. દેશમાં વધતી જતી માનવ વસતીની સામે પાક ઉત્પાદનની માંગ વધતાં કૃષિ વિભાગ દ્વારા વાવેતર વધારવાના થઇ રહેલા પ્રયાસથી બિયારણ બજારમાં આગામી વર્ષોમાં તેેજીને બ્રેક લાગવાની શક્યતાઓ નહીંવત્ છે.                        

એસોચેમના એક રિપોર્ટ મુજબ ૨૦૧૪-૧૫માં બિયારણ બજારની તેજીને પગલે બજાર ૧૧ હજાર કરોડના આંકને આંબશે. આમ બિયારણ બજારમાં સતત તેજી રહેશે  કૃષિ વિભાગે ૧૨મી પંચવર્ષીય યોજનાને આધારે લગાવેલા અંદાજ મુજબ પણ રાજ્યને ૨૦૧૬-૧૭માં જ ૧૦ લાખ ક્વિન્ટલ બિયારણની વધુ જરૃરિયાત ઊભી થશે. એટલે કે રાજ્યમાં રવી સીઝનમાં કરાતા વાવેતરમાં પણ ધરખમ વધારો થશે. રાજ્યમાં ચાલુ રવી સીઝનમાં પણ બિયારણની જરૃરિયાત ૬.૫૦ લાખ ટન રહેશે. રવીમાં ઘઉં એ મુખ્ય પાક હોવાથી ઘઉંના ૫.૫૦ લાખ ક્વિન્ટલ બિયારણની જરૃરિયાત ઊભી થશે.જ્યારે રાયડાનું ૭૦૦૦ ક્વિન્ટલ  બિયારણની ચાલુ રવી સીઝનમાં જરૃરિયાત ઉભી થશે.

દેશમાં રવી સીઝનમાં બિયારણની સ્થિતિ
પાક       જરૃરિયાત            ઉપલબ્ધતા
ઘઉં        ૧૧૨.૫૧                        ૧૦૮.૩૩
ચણા      ૨૦.૦૬              ૧૭.૦૬
અડદ      ૨.૦૭                ૧.૨૪
મસૂર      ૧.૩૩                ૧.૩૩
રાઇ       ૨.૦૯                ૨.૧૮
જુવાર     ૧.૧૭                ૧.૧૫
નોંધઃ આંક લાખ ક્વિન્ટલમાં છે.

સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબરની શરૃઆતમાં વરસેલા વરસાદને પગલે દેશમાં ખરીફ સીઝનની કાપણી મોડી ચાલુ થતાં રવી સીઝનનું વાવેતર પણ મોડું પડે તેવી સંભાવના છે, પરંતુ વરસાદને પગલે સિંચાઇની સુવિધા ન ધરાવતા વિસ્તારના ખેડૂતોને રવી સીઝનમાં ફાયદો થશે. રવી સીઝનમાં મુખ્ય પાક ઘઉં ગણાય છે. ઘઉંનું  ંરવી સીઝનમાં સરેરાશ વાવેતર ૩૦૦ લાખ હેક્ટરની આસપાસ થતું હોય છે. હાલમાં રાજ્યોની ઘઉંનાં પ્રમાણિત બીજોની માંગ  ૧૧૨.૫૧ લાખ ક્વિન્ટલ છે. જ્યારે બીજની ઉપલબ્ધતા ૧૦૮.૩૩ લાખ ક્વિન્ટલ છે. એટલે કે માંગની તુલનામાં ઘઉંનું બિયારણ ઓછું છે, પરંતુ ઘઉંમાં જૂનું બિયારણ જ વાવેતર કરવાનો ટ્રેન્ડ રવી સીઝનમાં સૌથી વધુ એટલે કે ૩૩ ટકા હોવાથી ઘઉંના બિયારણની પણ ખેડૂતોને તંગી નહીં વર્તાય. આ ઉપરાંત કઠોળ સીઝનમાં સૌથી વધુ વાવેતર કરાતા પાક ચણાના પાકની માંગ ૨૦.૦૬ લાખ ક્વિન્ટલ સામે ઉપલબ્ધતા ૧૭.૦૬ લાખ ક્વિન્ટલ છે. આમ ચણાનું બિયારણ માંગ કરતાં વધારે છે.  

રાજ્યમાં રવી સીઝનમાં ૧૦૦ ટકા વાવેતર થશે
સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબરની શરૃઆતમાં વરસેલા વરસાદથી રાજ્યમાં રવી સીઝનમાં વાવેતરનો આંક ૧૦૦ ટકાને પણ આંબી જશે. ચાલુ વર્ષે રાજ્યમાં રવી સીઝનનો વાવેતર વિસ્તાર ૩૫ લાખ હેક્ટરને પાર કરી જશે તેમ કૃષિ વિભાગના નાયબ ખેતી નિયામક બી.વી. વસોયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, વરસાદથી ઘઉં, જીરું અને ચણાના વાવેતર વિસ્તારમાં ગત રવી સીઝન કરતાં વધારો જોવા મળશે. આ રવી સીઝન ખેડૂતો માટે ફાયદારૃપ સાબિત થશે. રાજ્યમાં ૨૦૧૨-૧૩ની રવી સીઝનમાં ૨૯.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જે ૨૦૧૧-૧૨માં ૩૭.૧૩ લાખ હેક્ટરમાં હતું. રાજ્યમાં સરેરાશ વાવેતર વિસ્તાર ૩૫ લાખ હેક્ટર છે. ગત રવી સીઝનમાં ઘઉંનું વાવેતર ૯.૯૪ લાખ હેક્ટરમાં થયું હતું. ચાલુ સીઝનમાં વાવેતરનો આંક ૧૨ લાખ હેકટરે પહોંચવાની સંભાવના છે. ગત રવી સીઝનમાં ખરીફની નડેલી અછત આ સીઝનમાં ખેડૂતો પૂરી કરી શકે તેવા હાલમાં ઉજળા સંજોગો છે.

રવી સીઝનમાં વપરાશ થતા ખાતરનો અંદાજ
રવી સીઝનમાં વધુ ઉત્પાદન મેળવવા માટે બિયારણની સાથે ખાતરની પણ એટલી જ જરૃરિયાત છે. પાકને પૂરતાં પોષકતત્ત્વો પૂરાં પાડવા ખાતર એ અગત્યનો ભાગ ભજવે છે. પાકમાં એનપીકેની ઉણપ સીધી પાકના ઉત્પાદન પર અસર પાડે છે. ખેડૂતો પાકમાં ખૂટતાં તત્ત્વો ખાતર દ્વારા ઉમેરી પાકને વધુ પોષણક્ષમ બનાવી ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરે છે. દેશમાં ખાતરના વપરાશ કરતાં ઉત્પાદન ઓછુ હોવાથી દર વર્ષે કરોડો રૃપિયાનું હૂંડિયામણ ખર્ચીને ખાતરને વિદેશથી આયાત કરવામાં આવે છે. દેશમાં સૌથી વધુ યુરિયા ખાતરનો વપરાશ ખેડૂતો કરે છે. ગત રવી સીઝનમાં ખેડૂતોએ ૧૬૧ લાખ ટન ખાતરનો વપરાશ કર્યો હતો. ચાલુ સીઝનમાં યુરિયા ખાતરનો વપરાશ ૧૭૧ લાખ રહેવાનો અંદાજ મુકાયો છે. આ ઉપરાંત ૪૭ લાખ ટન ડીએપી, ૧૯ લાખ ટન એમઓપી અને ૫૨ લાખ ટન કોમ્પ્લેક્સ ખાતરનો વપરાશ થવાનો અંદાજ છે. આ ઉપરાંત  ૪૨ લાખ ટન એસએસપી ખાતરની ચાલુ સીઝનમાં જરૃરિયાત રહેશે.

૨૦૧૫ સુધીમાં બિયારણ બજાર ૫૩ ટકાના દરે વધશે
બદલાયેલા કૃષિ વ્યવસાયમાં ખેતી એ આજીવિકાનું નહીં, પરંતુ કમાણીનું સાધન બની ગઈ હોવાથી સુધારેલા તથા સંશોધિત કરેલા વિવિધ પાકોનાં બિયારણોનો ઉપયોગ ભારતમાં વધતો જાય છે. ૨૦૧૫માં બિયારણ ઉદ્યોગ ૫૩ ટકાનો વૃદ્ધિદર નોંધાવીને તેનું ટર્નઓવર ૧૦,૭૦૦ કરોડ સુધી પહોંચે તેવી શક્યતા એસોચેમે વ્યક્ત કરી છે. હાલમાં સારાં બિયારણો અને વિવિધ જાતોની માંગમાં વૃદ્ધિ થઇ છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. ખેડૂતોમાં વધી રહેલી જાગૃતિ, પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ તથા કૃષિક્ષેત્રે બિયારણોમાં થઇ રહેલાં શોધ સંશોધનોનો પણ મોટો ફાળો છે. હાલમાં સીડ ઇન્ડસ્ટ્રીઝ પાકની વિવિધ વેરાઇટીઓ મળીને ૪૦ મિલિયન ક્વિન્ટલનું બિયારણનું ઉત્પાદન કરે છે જ્યારે ર્વાિષક ટર્નઓવર રૃપિયા ૭,૦૦૦ કરોડ છે. એક માહિતી મુજબ ઘરેલુ સીડ માર્કેટ ર્વાિષક ૧૫ ટકાનો ગ્રોથ ધરાવે છે. એસોચેમે કરેલા પૃથ્થકરણ અને તારણો મુજબ ૨૦૧૫માં સીડ ઉત્પાદન વધીને ૬૫ મિલિયન ક્વિન્ટલ ર્વાિષક થશે જે હાલમાં ૪૦ મિલિયન ક્વિન્ટલ છેે. હાઇબ્રિડ બિયારણો સીડ માર્કેટમાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે. જેમાં કપાસ સૌથી આગળ છે જ્યારે ચોખામાં ૧૫ ટકા અને ઘઉં તથા શાકભાજીમાં આ હિસ્સો ૧૦ ટકા જેટલો છે. ખાનગી ક્ષેત્રમાં ૩૫૦થી વધુ કંપનીઓ સક્રિય છે.

ખાતરના વપરાશનો દર
પ્રોડક્ટ       ૨૦૧૩-૧૪        ૨૦૧૨-૧૩                ૨૦૧૧-૧૨       
યુરિયા         ૧૭,૧૯૬           ૧૬,૪૬૦                 ૧૭,૧૯૬
ડીએપી       ૪૭૨૬              ૫૪૧૯                        ૪૭૨૬
એમઓપી    ૧૯૨૮              ૧૯૨૮                           ૨૫૭૩
કોમ્પ્લેક્સ    ૫૨૫૩              ૫૫૯૯                           ૫૨૫૩
એસએસપી    ૪૨૮૫            ૨૬૮૭                           ૨૨૩૨
નોંધઃ આંક (૦૦૦) મે.ટનમાં છે.

રાજ્યમાં બિયારણની આ પ્રકારે જરૃરિયાત રહેશે
ક્રમ        પાક       ૨૦૧૨-૧૩         ૨૦૧૩-૧૪         ૨૦૧૪-૧૫         ૨૦૧૫-૧૬         ૨૦૧૬-૧૭
૧          ચોખા     ૮૪,૮૫૦            ૮૬,૦૦૪            ૮૯,૪૫૨            ૯૨,૯૧૬            ૯૬,૫૩૧
૨          ઘઉં        ૫,૬૪,૪૦૩         ૫,૮૦,૦૩૨         ૬,૧૪,૦૭૦         ૬,૪૯,૪૪૫         ૬,૮૬,૧૭૭
૩          જુવાર     ૭,૯૩૯                    ૮,૩૬૩           ૮,૭૨૭                ૯,૧૫૧          ૯,૫૭૫
૪          બાજરા   ૩૪,૯૭૪            ૩૬,૮૨૪            ૩૮,૭૯૩            ૪૦,૮૪૪            ૪૩,૦૧૫
૫          મકાઇ     ૧,૦૨,૮૮૫         ૧,૦૫,૭૨૧         ૧,૦૮,૭૫૯         ૧,૧૧, ૭૯૭        ૧,૧૫,૪૨૨
૬          તુવેર       ૨૧,૨૨૪            ૨૧,૪૯૮            ૨૨,૪૧૪            ૨૩,૪૧૮            ૨૪,૩૭૬
૭          મગ        ૧૨,૧૮૪            ૧૪,૩૪૪            ૧૫,૫૧૧            ૧૬,૭૯૯            ૧૮,૦૫૧
૮          અડદ      ૯,૩૫૩  ૯,૪૩૫  ૯,૮૩૯  ૧૦,૧૬૬            ૧૦,૫૮૪
૯          ચણા      ૪૪,૧૮૩            ૪૫,૦૬૭            ૪૭,૩૪૩            ૪૯,૬૭૨            ૫૨,૦૫૬
૧૦        મગફળી  ૩,૩૨,૩૭૮         ૩,૩૮,૩૮૯         ૫,૧૭,૧૩૦         ૮,૦૭,૯૭૯         ૧૧,૮૧,૧૪૫
૧૧        એરંડા     ૩૫,૫૯૩            ૩૬,૮૧૩            ૩૮,૦૩૩            ૩૯,૩૦૪            ૪૦,૬૭૭
૧૨        તલ        ૬,૫૨૬  ૬,૭૭૭  ૭,૦૨૮  ૭,૨૭૯  ૭,૫૩૦
૧૩        રાયડો     ૬,૮૧૮  ૭,૦૭૦  ૭,૩૨૩  ૭,૫૭૫  ૭,૮૨૮
૧૪        કપાસ     ૮૪,૩૧૦            ૮૫,૩૦૫            ૮૬,૬૩૧            ૮૭,૭૩૯            ૮૮,૮૭૬
૧૫        કુલ        ૧૩,૪૭,૬૨૫      ૧૩,૮૧,૬૪૮      ૧૬,૧૧,૦૬૦      ૧૯,૫૪,૧૩૪      ૨૩,૮૨,૧૭૦

નોંધઃ બિયારણના આંક ક્વિન્ટલમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 19 November 2013

રવી સીઝન સુધરશે : ઘઉંનો મબલક પાક ઊતરશે



૧૨૦ લાખ ટન
કઠોળનું ઉત્પાદન રવી સીઝનમાં થવાનો અંદાજ, કઠોળના વાવેતર માટે રવી સીઝન એ મુખ્ય ગણાય છે.

૧૪૦ લાખ ટન
ચોખાનું ઉત્પાદન થવાનો કૃષિ વિભાગનો અંદાજ,  ડાંગરના વાવેતર માટે ખરીફ સીઝન મુખ્ય.

૪૪ લાખ ટન

મકાઈનું ઉત્પાદન રવી સીઝનમાં થવાની શક્યતા, મકાઈનો વાવેતર વિસ્તાર દેશમાં વધવા લાગ્યો.

રાજ્યમાં રવી સીઝનના વાવેતરની ખેડૂતો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. સારા વરસાદને પગલે પાણીની ઘટ નહીંવત્ હોવાની સાથે જમીનમાં ભેજનું પ્રમાણ સારું હોવાથી ચાલુ વર્ષે રવીનું વાવેતર વધવાની સાથે ઉત્પાદનમાં પણ વધારો થવાનો કૃષિ વિભાગને અંદાજ છે. રવીમાં મુખ્ય પાક ગણાતા ઘઉંનું વાવેતર ૨૯૫ લાખ હેક્ટરમાં થવાની શક્યતા વચ્ચે ઉત્પાદન ૯૨૫ લાખ ટન થવાની ગણતરીઓ મુકાઈ  છે. આ ઉપરાંત રવી સીઝનમાં કઠોળનું ૧૨૦ લાખ ટન, ચોખાનું ૧૪૦ લાખ ટન અને મકાઈનું ૪૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે. ૨૦૧૨-૧૩માં ઘઉંનું ઉત્પાદન ૯૪૮ લાખ ટન અને ૨૦૧૩-૧૪માં ૯૨૪ લાખ ટન ઉત્પાદન થયું હતું. ચાલુ વર્ષે પણ ઘઉંનું સરેરાશ ઉત્પાદન થશે.                         
રાજ્યમાં સારા વરસાદને પગલે ખરીફ સીઝનના ઉત્પાદનના પ્રથમ અંદાજો ઊંચા બહાર  આવ્યા છે. સપ્ટેમ્બરના અંતમાં અને જૂનમાં સમયસર વરસેલા વરસાદને પગલે ચાલુ ખરીફ સીઝનમાં ખેતીના પાકને ફાયદો થયો છે. જો કે આ વરસની શરૃઆતમાં વરસાદની તાસિર રાજયની ખરીફ ખેતીને માફક આવે તે પ્રકારની થવાથી ૧૦૦ ટકા ખેત વિસ્તારમાં સમયસર વાવણી થઇ શકી હતી. બાજરી, મકાઇ, ડાંગર, કપાસ અને મગફળી જેવા પાકોની વાવણી પછી ધીમી ધારે સમયાંતરે વરસતા વરસાદના પગલે ખરીફ ખેતી પુરબહારમાં ખીલી છે. વ્યાપક વરસાદના પગલે કૃષિભૂમિ પર ભેજનો સંગ્રહ પણ સારો થયો છે. આથી રવી સિઝનના રાજ્જા ગણાતા ઘઉંના પાકને ફાયદો થશે. પરિણામે ઉત્પાદન અને ઉત્પાદકતા બંનેમાં વધારો થાય તેવા અંધાણ મળી રહયા છે. દેશમાં પિયત વિહોણી વરસાદ આધારિત સૂકી ખેતીનો પણ વિસ્તાર ૫૦ ટકાથી પણ વધારે છે. ગુજરાતમાં પણ સુકી ખેતીનો બહોળો વિસ્તાર છે. જેમાં પિયતના ટાંચા સાંધનો ઉભા કરીને ખેડૂતો ઘઉં, જીરું અને ચણા અને રાયડો જેવા રવીપાકનું વાવેતર કરે છે. ઓણ સાલ જમીનમાં જળવાઇ રહેલા કુદરતી ભેજનો લાભ લઇને ખેડૂતો રવી ખેતી તરફ ધ્યાન આપે તો ઉત્પાદનના બખ્ખા થઇ જાય તેમ માનીએ તો પણ ખોટું નથી. રવી સીઝનમાં પણ ભેજ અને પાણીનો પાકને ફાયદો મળવાની સંભાવનાથી કૃષિ વિભાગે રવી સીઝનના આગોતરા અંદાજમાં પાકનું સારું ઉત્પાદન થવાના અંદાજો મૂક્યા છે. ગુજરાતમાં પણ ઘઉંએ રવી સીઝનનો મુખ્ય પાક છે. રાજ્યમાં ભાલ વિસ્તારમાં પાકતા ઘઉંની વિશ્વભરમાં માંગ છે. ઘીમેઘીમે ઘઉંની માંગ વધતાં તેની ખેતી પણ દેશમાં વધી રહી છે.  

ઘઉંના ટેકાના ભાવમાં રૃપિયા ૫૦નો વધારો
કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવમાં ઉત્તરોત્તર વધારો કરાયો છે. ૨૦૧૦-૧૧માં ઘઉંના ટેકાના ભાવ રૃપિયા ૧૧૦૦ હતા. તેમાં વધારો કરાતાં ૨૦૧૪-૧૫ સુધીમાં ટેકાના ભાવ રૃપિયા ૧૪૦૦ સુધી પહોંચ્યા છે. સરકારે ઘઉંના વાવેતર ખર્ચ સામે ટેકાના ભાવ સ્વરૃપે ખેડૂતોને વળતર આપ્યું છે. ૨૦૧૧-૧૨માં ઘઉંનો ટેકાનો ભાવ રૃપિયા ૧૧૨૦, ૨૦૧૨-૧૩માં રૃ. ૧૨૮૫ અને ૨૦૧૩-૧૪માં ઘઉંનો ટેકાનો ભાવ રૃપિયા ૧૩૫૦ થયો હતો.

વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ૬ ટકાનો વધારો નોંધાશે
વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન વધે તેવા અહેવાલો બહાર આવી રહ્યા છે. ૨૦૧૦-૧૧માં ઘઉંનું ઉત્પાદન ૬૯૬૪ લાખ મેટ્રિક ટન થયું હતું. જ્યારે ૨૦૧૧-૧૨માં ઘઉંનું ઉત્પાદન ૬૫૫૧ લાખ મેટ્રિક ટન થયું હતું. ૨૦૦૭-૦૮થી ઘઉંનું ઉત્પાદન ૬૧૨૦ લાખ ટનથી ૬૯૬૦ લાખ ટન જળવાઇ રહ્યું છે. ૨૦૦૮-૦૯માં ઘઉંના ઉત્પાદનમાં ૫૫ લાખ મેટ્ર્કિ ટનનો ઘટાડો નોંધાયો હતો જ્યારે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન કૃષિ વિભાગના અંદાજ અનુસાર ઘઉંના ઉત્પાદનમાં ૬.૪ ટકાનો વધારો થઇ ઉત્પાદન ૬૯૫૦ લાખ ટન રહેશે.

દેશમાં ઘઉંનું સમીકરણ
વર્ષ        વાવેતર    વપરાશ   ઉત્પાદન
૨૦૧૦   ૨૮૪     ૮૧૭     ૮૦૮
૨૦૧૧   ૨૯૦     ૮૧૪     ૮૬૮    
૨૦૧૨   ૨૯૮     ૮૩૮     ૯૪૮
૨૦૧૩   ૨૯૪     ૮૯૦     ૯૨૪
નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં, વપરાશ અને ઉત્પાદન લાખ ટનમાં છે.

પાણીના સ્ટોરેજે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો
દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ૬ ટકા વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ફાયદો પશ્ચિમ ભારતને થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદથી રવી સીઝનને ફાયદો થયો છે. દેશના ૬૨૨ જિલ્લાઓ પૈકી ૧૮૪ જિલ્લામાં વધુ વરસાદ, ૨૬૪ જિલ્લામાં સરેરાશ અને ૧૫૬ જિલ્લામાં વરસાદની અછત રહી છે જ્યારે ૧૮ જિલ્લામાં વરસાદને અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ રહી હતી. રવી સીઝનમાં સરેરાશ વધુ વરસાદને પગલે દેશમાં પાણીનો સંગ્રહ કરતાં ૮૫ મોટાં જળાશયોમાં ૧૫૫.૮૮ બિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. જે જળાશયોમાં ૩ ઓક્ટોબર સુધીમાં ૧૩૩. ૪૮ બિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ છે. જે ગયા વર્ષે ૧૧૫.૨૬ બિલિયન ક્યુબિક મીટર હતો. આ જળાશયોની સરેરાશ સ્ટોરેજ કેપેસિટી ૧૧૩.૫૨ બિલિયન ક્યુબિક
મીટર છે.

ઘઉંની નિકાસમાં ઘટાડો નોંધાયો
વિશ્વ બજારમાં રશિયા, કેનેડા અને લાલ સમુદ્રના દેશોમાં ઘઉંના ઓછા ઉત્પાદનને પગલે ભારતને વિશ્વબજારમાં ૨૦૧૨-૧૩માં નિકાસની મુખ્ય તક મળી હતી. આમ છતાં ભારત તેનો લાભ ઉછાવી શક્યું નથી. ચાલુ વર્ષે અપેડાના જણાવ્યા અનુસાર ૪૫ લાખ ટન ઘઉંની નિકાસ થવાની શક્યતા છે. જે ગયા વર્ષે ૬૫ લાખ ટન થઇ હતી. ભારતમાં હાલમાં ઘઉંનો જથ્થો સરકારી ગોદામોમાં રિઝર્વ પડયો છે, જ્યારે ભારતનો કુલ વપરાશ ૨૦૧૩માં ૮૯૦ લાખ ટન થયો હોવાથી ભારત નિકાસ બજારમાં પોતાનો સિક્કો જમાવી શકે છે. દેશમાં ૨૦૧૨-૧૩નું વર્ષ ઘઉં માટે સારું રહેતાં ૯૪૮ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. અત્રે ઉલ્લેખવું ઘટે કે, એક સમયનો ઘઉંનો આયાતકાર દેશ ભારત હાલમાં વિશ્વના નિકાસ બજારમાં પગદંડો જમાવી રહ્યો છે. ૨૦૧૧-૧૨માં ભારતે ૮ લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ૨૦૧૨-૧૩ના વર્ષમાં ભારતે ૫૫ લાખ ટન ઘઉંની નિકાસ કરીને વિશ્વમાં સાતમા નંબરનો નિકાસકાર દેશ બની ગયો છે.  આ વર્ષે ૪૫ લાખ ટનની નિકાસ થઇ છે. આમ ભારત પાસે સરેરાશ રવી સીઝનમાં ઉત્પાદન છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં ૯૦૦ લાખ ટનની આસપાસ થતાં દેશ માટે રિઝર્વ સ્ટોક રહેતાં દેશ ઘઉંની નિકાસ કરી શકે તેવી સ્થિતિમાં પહોંચી ગયો છે.

ઘઉંના વાવેતરનો આંક રાજ્યમાં ૧૩ લાખ હેક્ટરે પહોંચશે

રાજ્યમાં ઘઉંનો પિયત વાવેતર વિસ્તાર ૧૨ લાખ હેક્ટર છે. ગુજરાતની વાત કરીએ તો વર્તમાન ૨૦૧૨-૧૩ના વર્ષની ગત સીઝનમાં ૯.૯૪ લાખ હેકટરમાં પિયત ઘઉં તથા ૫૪ હજાર હેકટર જમીનમાં બિનપિયત ઘઉંની વાવણી થઈ છે. જ્યારે ૨૦૧૧-૧૨ વર્ષની સીઝનમાં ૧૩.૦૮ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષે ઓછા વાવેતર માટે રાજ્યમાં નબળું અને અનિયમિત રહેલું ચોમાસું જવાબદાર હતું, પરંતુ આ વર્ષે સ્થિતિ જુદી છે. રાજ્યમાં ઓછાવત્તા પ્રમાણમાં બધા જ જિલ્લાઓમાં ઘઉંનુ વાવેતર થાય છે. સૌથી વધુ વાવેતર કરતા જિલ્લાઓમાં અમદાવાદ, જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને રાજકોટ જિલ્લાઓનો સમાવેશ થાય છે. નર્મદા, ડાંગ, નવસારી તથા વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં મકાઇના વાવેતરનો મહિમા વધારે હોવાથી ઘઉંનું વાવેતર ઓછું થાય છે. આમ છતાં ચાલુ વર્ષે સારા વરસાદને પગલે વાવેતરનો આંક પિયત અને બિનપિયત મળી ૧૩ લાખનો આંક વટાવે તેવી સંભાવના છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..