Monday, 31 March 2014

જીરુંનું ૨૦ લાખ ગૂણી ઉત્પાદન વધશે

  • દેશમાં ૬૦થી ૬૫ લાખ ગૂણી જીરુંનું ઉત્પાદન થવાનો અંદાજ
  • જીરુંનો સરેરાશ ભાવ મણના રૃ.૧૮૦૦થી ૨૩૦૦
  • ઊંઝામાં રોજની આવક ૪૫થી ૫૦ હજાર બોરી
  • જીરુંની નિકાસમાં તેજી રહી તો ખેડૂતો ફાવશે
  • ગુજરાત અને રાજસ્થાનમાં સિંચાઈના પાણીની પૂરતી ઉપલબ્ધતાને કારણે જીરુંના વાવેતર વિસ્તારમાં વધારો 
  • જીરાના ભાવમાં ગત સપ્તાહે ૦.૩૦ ટકાનો વધારો નોંધાયો હતો

  મસાલા પાકોની ખેતીમાં દબદબો ધરાવતા જીરુંના પાકના દોઢા વાવેતર બાદ અનુકૂળ હવામાન રહેતાં પાકનું ઉત્પાદન દોઢું થવાના અંદાજો છે. ૨૦૧૨-૧૩માં ૪૫ લાખ ગૂણી ઉત્પાદન સામે ચાલુ વર્ષે જીરુંનું ૬૦થી ૬૫ લાખ ગૂણી ઉત્પાદન થવાના અંદાજો છે. ૨૦૧૩-૧૪માં જીરુંની એક લાખ ટન નિકાસ થતાં જીરુંના ભાવ ખેડૂતોને મણે રૃપિયા ૩૩૦૦ સુધી મળ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દેશમાં ઊંચા ઉત્પાદન વચ્ચે ભાવ રૃ.૨૪૦૦ આસપાસ જળવાઈ રહ્યા છે. આ વર્ષે પણ ઊંચા ઉત્પાદનના અંદાજો છતાં ઊંઝા માર્કેટયાર્ડમાં રોજની ૫૦ હજાર ગૂણીની આવક વચ્ચે ભાવ મણે રૃપિયા ૧૮૦૦થી ૨૩૦૦ની વચ્ચે જળવાઇ રહ્યા છે. રાજસ્થાનમાં પણ ઊંચા વાવેતરથી જીરુંના ભાવ દબાયેલા રહેવાની શક્યતાઓ છે.        
જીરુંની ખેતીમાં ગુજરાત એ અગ્રણી રાજ્ય છે. જીરુંની ખેતીમાં ભારત પણ વિશ્વમાં દબદબો ધરાવતો હોવાથી જીરુંની માંગ વિશ્વભરમાં છે. ભારતમાં વર્ષ ૨૦૧૪માં ૬૦થી ૬૫ લાખ ગૂણી (૧ ગૂણી =૫૫ કિલો) જીરુંનું ઉત્પાદન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગત વર્ષે ૪૫ લાખ ગૂણી જીરુંનું ઉત્પાદન નોંધાયું હતું. જો કે આ વર્ષે સારા હવામાનને કારણે અને ખેતીનો વ્યાપ વધતા જીરુંનું ઉત્પાદન પણ વધારે રહેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સારી નિકાસ માંગ રહી તો જીરુંના ભાવ જળવાઇ રહેશે. હાલમાં ઊંઝા ગંજબજારમાં સારા માલના ભાવ મણે રૃપિયા ૨૨૦૦થી ૨૪૦૦ જ્યારે નીચા માલના ભાવ ૧૭૦૦થી ૧૮૦૦ ચાલી રહ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ ભાવના અંદાજ મુજબ રાજ્યમાં ૨૪૦૦થી ૨૫૦૦ ભાવ જળવાઇ રહ્યા છે.
  ઊંઝામાં  જીરુંની આવકો એપ્રિલમાં વધશે.  રાજસ્થાનમાં પણ સારા વાવેતરથી ઉત્પાદન ૨ લાખ ગૂણી રહેવાનો અંદાજ છે. જીરુંની હાલમાં સારી ખપત હોવાથી વધુ વાવેતર છતાં ભાવ નીચા જવાની શક્યતાઓ ઘણી ઓછી છે. દેશમાં ૩૬થી ૩૮ લાખ ગૂણી સ્થાનિક વપરાશ  અને ૨૦ લાખ ગૂણી નિકાસની ગણતરી મૂકીએ છતાં ઉત્પાદનનો આંક ઉંચો જતો હોવાથી જીરુંના ભાવ સરેરાશ જળવાઇ રહેશે.  આમ છતાં જીરુંની ખેતીમાં ખર્ચ વધતાં ખેડૂતો ઓછા ભાવ મળી રહ્યા હોવાની ઉત્તર ગુજરાતમાં બૂમરાણો પાડી રહ્યા છે. સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર ભારતમાં ગત વર્ષે ૩, ૯૪, ૩૨૮  ટન જીરુંનું ઉત્પાદન નોંધાયું હતું. જેને કારણે ભારત જીરુંનું ઉત્પાદન કરતા સીરિયા અને તુર્કી સાથે ટોપનો દેશ બન્યો હતો. તો થોડા સમય પહેલાં સીરિયામાં રાજકીય અસ્થિરતા અને ચીન અને તુર્કીમાં પાક નિષ્ફળ જવાને પગલે ભારત વૈશ્વિક બજારમાં જીરુંનો મુખ્ય સપ્લાયર દેશ બન્યો છે. નિષ્ણાતોને મતે જીરુંનું ઉત્પાદન અને નિકાસ કરતા દેશોની તુલના સાથે ભારત વર્ષ ૨૦૧૪ના અંત સુધીમાં ૧ લાખ ટન જીરુંની નિકાસ કરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.
 ભારતમાંથી વર્ષ ૨૦૧૩માં કુલ ૭૯,૯૦૦ ટન જીરુંની નિકાસ કરવામાં આવી હતી. જો કે આ નિકાસમાં ચાલુ વર્ષે વધારો નોંધાશે. એક તરફ નિકાસ બજારમાં જીરું  ઊંચી કિંમતની વસ્તુ હોવાથી જીરુંની નિકાસની ગુણવત્તા અને પ્રમાણમાં ૯૦ ટકાનો પણ વધારો નોંધાયો છે. જેને કારણે કોેમોડિટી બજારમાં વધતી નિકાસ માગ અને ઊંચા ઉત્પાદનને કારણે જીરુંના ભાવોમાં તેજી પણ જોવાઈ છે. જીરુંના ભાવમાં હાલ ૦.૩૦ ટકાનો વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં રૃપિયા ૯,૯૪૦ પ્રતિ ક્વિન્ટલના ભાવ ચાલી રહ્યા છે.  નિષ્ણાતોના મતે દેશમાં સારું ચોમાસું અને અનુકૂળ વાતાવરણ રહેતા જીરુંનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં ખેતીનો વ્યાપ વધ્યો છે જેને કારણે આ વર્ષે બંપર ઉત્પાદન રહેવાનાં એંધાણ છે. 


જીરુંના ઉત્પાદનમાં ધ્યાનમાં રાખવાની બાબતો

જીરુંના પાકમાં નીંદણની કાળજી ખૂબ જ રાખવી પડે છે. શરૃઆતમાં તો પાક અને નીંદણ એટલા ભેગાં ઊગે છે કે ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. આથી પહેલું પાણી આપ્યા પછી નીંદણને પારખીને તેનો કયારામાંથી નિકાલ કરવો જોઇએ. એ પછી જ્યારે પણ નીંદણ ત્રણ કે ચાર સેમી. જેટલું ઊંચું થાય ત્યારે તેને નીંદતા રહેવું જોઇએ. હાલમાં ચોથું તથા પાંચમું પાણી આપવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું હોય તો જીરુંના કયારાની પાળી પર બેસીને પાકને નુકસાન ના થાય એ રીતે લાંબા હાથે નીંદણ કરતા રહેવાથી ઉત્પાદન સારું મળે છે. જોકે જીરુંનું નીંદણકાર્ય કાળજી માંગી લે તેવું છે જેમાં શારીરિક શ્રમ અને મજૂરોનો ખર્ચ વધે છે, પરંતુ તેનું વળતર ઉત્પાદનમાં મળી રહે છે.

રાજસ્થાનમાં ૩.૯૦ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર

રાજસ્થાનમાં આ વર્ષે ૩.૯૦ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર કરવામાં આવ્યું છે. જો કે ગત વર્ષે આ વાવેતર ૪.૧૬ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં સૌથી વધુ જીરુંનું વાવેતર જોધપુર, બાડમેર અને ઝાલોરમાં થાય છે. જોધપુરમાં ૮૩.૯૦ હજાર હેક્ટર, બાડમેરમાં ૧.૧૦ લાખ હેક્ટરમાં અને ઝાલોરમાં ૧.૯ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર કરવામાં આવ્યું છે. તો આ તરફ જેસલમેરમાં ૨૪.૯૦ હજાર હેક્ટર, નાગોરમાં ૩૨.૨૦ હજાર હેક્ટર, જયપુરમાં ૮.૫૦ હજાર હેક્ટર ચુરુમાં ૪.૫૦ હજાર હેક્ટરમાં જીરુંનું વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત બિકાનેર, પાલી અને શિરોહીમાં પણ છૂટંુછવાયું વાવેતર નોંધાયું છે. જો કે રાજસ્થાનમાં કોલ્ડવેવને કારણે જીરુંના ઊભા પાકને થોડું નુકસાન થયું છે. દૃ

દેશમાં જીરુંનો ર્વાિષક વપરાશ ૩૬થી ૩૮ લાખ ગૂણી

જીરું ઓછા સમયમાં અને માફકસરની મહેનતમાં સારી આવક આપતો પાક હોવાથી છેલ્લા એક દાયકાથી રાજ્યના ખેડૂતોનો જીરુંના પાકમાં રસ વધતો જાય છે. જીરુંનો દેશમાં ર્વાિષક વપરાશ ૩૬થી ૩૮ લાખ ગૂણી છે જેમાં દર વર્ષે વધારો થતો જાય છે. ભારતમાં ૪૫-૫૦ લાખ ગૂણીના અંદાજ સામે આ વર્ષે પણ ૬૦થી ૬૫ લાખ ગૂણી જીરુંનું ઉત્પાદન થાય તેવી સંભાવના છે. વિશ્વમાં ભારત સૌથી વધુ મસાલા પાકોનું ઉત્પાદન કરતો દેશ છે અને વિશ્વમાં સૌથી વધુ જીરુંનું ઉત્પાદન કરે છે. દેશમાં જીરુંના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭૦ ટકા કરતાં વધુ છે. ત્યાર પછીના ક્રમે રાજસ્થાન રહે છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ અનુસાર ૩.૫૦ લાખ હેક્ટરની આસપાસ જીરાનું વાવેતર થાય છે. વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ગુજરાતમાં જીરુંનું વાવેતર અંદાજે ૩.૩૫ લાખ હેક્ટરમાં થયુંં હતું જે અગાઉના વર્ષ કરતાં ૧૦ ટકા ઓછું હતું. ગુજરાતમાં જીરુંનું વાવેતર વર્ષ ૨૦૦૧-૦૨માં ૧.૪૫ લાખ હેક્ટરમાં થયું હતું, જે વધીને ૨૦૧૧-૧૨માં ૩.૭૪ લાખ હેક્ટર થયું છે. ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪માં ગુજરાત અને રાજસ્થાનમાં પૂરતા સિંચાઈના પાણીની ઉપલબ્ધતાને કારણે જીરુંના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. દેશમાંથી સને ૨૦૧૧-૧૨માં જીરુંની નિકાસ ૪૫,૫૦૦ ટન થઇ હતી, જે વધીને વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ૭૯,૯૦૦ ટન થઇ છે. ઉપરાંત એપ્રિલથી જૂન, ૨૦૧૩ના સમયગાળામાં નિકાસમાં ગત વર્ષ કરતાં ૨૫ ટકા વધારો થયો છે અને નિકાસ કરેલા માલના કિલોદીઠ રૃ.૧૨૯.૫૦ આસપાસ એટલે કે મણના રૃ. ૨૫૯૦ મળ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દેશમાં જીરુંનું ઉત્પાદન સારું થયું હોવા છતાં ઘરઆંગણે જીરુંના ભાવ રૃ. ૨૪૦૦ આસપાસ જળવાઈ રહ્યા છે. જીરંુના મુખ્ય નિકાસકારો સીરિયા અને તુર્કી છે, પરંતુ તેનું ઉત્પાદન જૂન અને જુલાઈના અંતમાં મોડું આવે છે. બીજી બાજુ વિશ્વમાં જીરુંની સાથોસાથ દર વર્ષે જીરુંનો વપરાશ વધી રહ્યો છે. વૈશ્વિક માંગમાં બે લાખ ગૂણીનો વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વિવિધ હર્બલ દવાઓમાંનું માર્કેટ વધી રહ્યું છે. દ
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Friday, 28 March 2014

દ્રાક્ષની નિકાસમાં એપ્રિલ સુધી સતત તેજી રહેશે


યુરોપ, રશિયા, બાંગ્લાદેશ અને મધ્ય-પૂર્વના દેશોમાં દ્રાક્ષની માંગ મજબૂત રહેતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં દ્રાક્ષની ખેતી કરવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો દ્રાક્ષની ખેતીમાં સારી એવી આવક મેળવી રહ્યા છે. ભારતના વિવિધ રાજ્યોમાં પણ દ્રાક્ષની મોટાપાયે ખેતી કરવામાં આવે છે અને ભારતીય દ્રાક્ષે હવે યુરોપિયન માર્કેટમાં પણ પગદંડો જમાવ્યો છે. વિદેશોમાં ખાસ કરીને સારી ગુણવત્તાવાળી દ્રાક્ષની નિકાસમાં તેજી આવી છે. એક તરફ જંતુનાશક અવશેષોને પગલે યુરોપીયન યુનિયન તરફથી ભારતીય દ્રાક્ષને નામંજૂર કર્યાના ચાર વર્ષ પછી ફરી એકવાર દ્રાક્ષની ખરીદી કરવા માટે લાઈનો લગાવી છે અને યુરોપીયન યુનિયનો હવે ભારતીય દ્રાક્ષની ક્વોલિટી પર પોતાનો ભરોસો વ્યક્ત કરી રહ્યા છે. પહેલા યુરોપિયન યુનિયને ભારતીય દ્રાક્ષની નિકાસ પર રોક લગાવતા ખાસી એવી અસર પડી હતી. જો કે આ તરફ મહારાષ્ટ્રમાં માવઠાને કારણે  દ્રાક્ષનું ઉત્પાદન કરતા વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવા છતાં વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતમાંથી દ્રાક્ષની રેકોર્ડબ્રેક નિકાસ થવાનું નક્કી છે. વળી યુરોપ, રશિયા, બાંગ્લાદેશ અને મધ્ય-પૂર્વના દેશોમાં દ્રાક્ષની માંગ મજબૂત રહેતા ખેડૂતોને સારા ભાવ પણ મળવાની આશા છે. ૩ માર્ચ સુધી યુરોપ અને યુકે.માં ૧૪,૦૦૦ ટન દ્રાક્ષની નિકાસ થઈ છે. જે પાછલા વર્ષે આજ સમયગાળામાં ૮,૫૦૦ ટન દ્રાક્ષની નિકાસ કરવામાં આવી હતી. યુરોપ અને યુકે.ના ગ્રાહકોને હવે ભારતીય દ્રાક્ષની ગુણવત્તા પર ભરોસો વધ્યો છે. તો રશિયા અને ચીન જેવા દેશોએ વૈકલ્પિક બજાર ખોલતા દ્રાક્ષની એકંદરે નિકાસમાં વધારો થયો છે. દ્રાક્ષના ખેડૂતોને હાલમાં નિકાસ ક્વોલિટીની દ્રાક્ષ માટે રૃપિયા ૬૫થી ૯૦ પ્રતિ કિલો સુધીના ભાવ મળી રહ્યા છે. વેપારીઓના મતે લંબાઈવાળી દ્રાક્ષની બાંગ્લાદેશ અને મિડલ ઈસ્ટમાં ખાસ્સી એવી માગ છે જ્યારે યુરોપિયન ગ્રાહકો મોટી સાઈઝની દ્રાક્ષ પસંદ કરી રહ્યા  છે. તો  આફ્રિકા અને ચીલી જેવા દેશોમાંથી  સપ્લાય ઓછો થતાં યુરોપિયન ગ્રાહકો ભારતીય દ્રાક્ષની ખરીદી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દ્રાક્ષની નિકાસ કરતી કંપનીઓએ ૪૦થી ૫૦ ટકાનો નિકાસ ગ્રોથ હાંસલ કર્યો હતો. ત્યારે આ વર્ષે અલગ અલગ વેરાયટીને કારણે ભારતીય દ્રાક્ષની નિકાસમાં એપ્રિલ માસ સુધી સતત તેજી જોવાઈ શકે છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 24 March 2014

ગુજરાતમાં ૪૦ લાખ ટન ડુંગળી, બટાટાનું ઉત્પાદન થશે


રવીમાં ડુંગળી અને બટાટાનું સૌથી વધુ થતું વાવેતર  : ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશેઃ ભાવમાં વધારો રહેશે : ૩ કરોડ કટ્ટા બટાટા કોલ્ડસ્ટોરેજમાં મૂકાયા : ભાવ ઘટયા

રાજ્યમાં રવી સીઝનમાં શાકભાજીના રાજા ગણાતા ડુંગળી અને બટાટાના ઉંચા વાવેતરને પગલે ઉત્પાદન ૪૦ લાખ ટન થવાની સંભાવના છે. ડુંગળીએ ખેડૂતોને ચોંધાર આંસુએ રડાવ્યા બાદ હવે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળીના પાકમાં નુક્સાનથી ઉત્પાદનમાં ઘટાડાનો નવો અંદાજ મૂકાયો છે. આમ છતાં રાજસ્થાનમાં ડુંગળીનો દોઢો પાક ડુંગળીના ભાવનું ભવિષ્ય નક્કી કરશે. રાજ્યના ખેડૂતો ડુંગળીના વેચાણમાં સંયમ રાખે તો ભાવ મણે રૃપિયા ૧૪૦ થવાની સંભાવના છે. બટાટામાં પણ રેકોર્ડબ્રેક ભાવ મણે રૃપિયા ૨૫૦ પહોંચ્યા બાદ બટાટાના ભાવમાં છેલ્લા પખવાડિયામાં રૃપિયા ૧૦૦નો ઘટાડો નોંધાયો છે. રાજ્યના ૨૫૦ કોલ્ડ સ્ટોરેજમાં ૩ કરોડ કટ્ટા બટાટાના સંગ્રહ બાદ બટાટા બજારમાં ઠલવાતાં ભાવને અસર પહોંચી છે. છતાં પણ બટાટાના ભાવ સરેરાશ જળવાઇ રહેશે. આમ બટાટા અને ડુંગળીના ખેડૂતો માટે નવી સીઝન સરેરાશ રહેશે.  

રાજ્યમાં ડુંગળીનો પાક ૨૧ લાખ ટન થવાની સંભાવના વચ્ચે મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે નવી સીઝન સારી રહી ન હોવા છતાં ખેડૂતોને હાલમાં મણે રૃપિયા ૧૨૦થી ૧૨૫નો ભાવ મળી રહ્યો છે. ખેડૂતો લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળીનું બમણું વેચાણ કરી રહ્યા છે. જો ખેડૂતો વેચાણમાં સંયમ રાખે તો મણે ભાવ રૃપિયા ૧૪૦થી ૧૫૦ પહોંચી શકે છે. માટે ખેડૂતોએ ડુંગળીના વેચાણમાં સંયમ રાખવો જોઇએ. એનએચઆરડીએફના સૂત્રોના અંદાજ અનુસાર માર્ચના અંત સુધીમાં ડુંગળીની નિકાસ ૧૩ લાખ ટને પહોંચી છે. ડુંગળીની સૌથી વધુ નિકાસ મલેશિયા, દુબઇ, કુવૈત, કતાર, સિંગાપોર અને શ્રીલંકા, બાંગ્લાદેશમાં કરવામાં આવે છે. 
   ડુંગળીનું ગુજરાતમાં ૭૫,૦૦૦ હેક્ટર, મહારાષ્ટ્રમાં ૩.૪૨ લાખ હેક્ટર, કર્ણાટકમાં ૧.૬૪ લાખ, મધ્યપ્રદેશમાં ૧.૧૭ હેક્ટર અને ૮૯ હજાર હેક્ટરમાં આંધ્રપ્રદેશમાં વાવેતર થયું છે. જોકે, કમોસમી વરસાદથી ડુંગળીના ઉત્પાદનમાં ૧૫ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં લેઇટ ખરીફ પાકમાં ૧૦થી ૧૫ ટકાની નુક્સાની છે. મધ્યપ્રદેશમાં પણ વરસાદથી શિયાળુ ડુંગળીમાં ૩૦ ટકા પાકને નુક્સાન થયું છે. શિયાળુ ડુંગળી બજારમાં એપ્રિલથી મે મહિનામાં આવશે આ પાક મોટો હોવાથી ખરીફ ડુંગળીની આવકો આવશે ત્યાં સુધી બજારમાં નીચા ભાવ રહે તેવી ધારણા છે. જોકે, ડુંગળીની ગુણવત્તાને અસર પહોંચશે તો ભાવ ઉંચકાવાની સંભાવના છે.  બટાટાનું રાજ્યમાં ૧૭ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. બટાટા અંગે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસો. ના પ્રમુખ ગણપતભાઇ કચ્છવાએ જણાવ્યું હતું કે, રાજ્યના ૨૫૦ કોલ્ડસ્ટોરેજમાં ૩ કરોડ કટ્ટાનો સંગ્રહ થયો છે. હાલમાં બટાટા હવે બજારમાં આવવા લાગતાં ભાવમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ખેડૂતો માટે બટાટાની સીઝન સારી રહી છે. 


જાન્યુઆરીમાં ઘટાડા સાથે ૧.૨૧ લાખ ટન ડુંગળીની નિકાસ

વિદેશમાં ભાવ ઓછા રહેવાને કારણે વર્ષ ૨૦૧૪ના જાન્યુઆરી માસમાં ડુંગળીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. ડુંગળીની નિકાસ ઘટીને ૧.૨૧ લાખ ટને પહોંચી હતી. જો કે ગત વર્ષે આજ સમયગાળામાં જાન્યુઆરી માસમાં ૧.૩૩ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. તેવી જ રીતે ડિસેમ્બર ૨૦૧૩માં પણ ભારતમાંથી ૧.૩૩ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. સરકારે ડિસેમ્બર માસમાં ડુંગળીના લઘુતમ ટેકાના ભાવ ૩૫૦ ડોલરથી ઘટાડીને ૧૫૦ ડોલર પ્રતિ ટન કર્યા હતા. આ બાદ નિકાસમાં થોડો સુધારો જોવાયો હતો. નેશનલ હોર્ટીકલ્ચર એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના આંકડાઓ અનુસાર નિકાસ ભાવ ઓછા રહેવાને કારણે શિપમેન્ટ પર પ્રતિકૂળ અસર વર્તાઈ હતી. જાન્યુઆરી માસમાં ડુંગળીના નિકાસ ભાવ ૯૩૦૦ રૃપિયા પ્રતિ ટન રહ્યા હતા. જ્યારે કે ગત વર્ષે જાન્યુઆરી માસમાં આ ભાવ ૧૮,૬૦૦ રૃપિયા પ્રતિ ટને પહોંચ્યા હતા. આ વર્ષે જાન્યુઆરી માસમાં ૧૧૨.૫૩ કરોડ રૃપિયાની ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે કે ગત વર્ષે આજ સમયગાળામાં ૨૪૭.૯૧ કરોડ રૃપિયાની ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. એપ્રિલથી જાન્યુઆરી માસ દરમિયાન નિકાસમાં ૨૮ ટકાના ઘટાડા સાથે ૧૧.૦૮ લાખ ટન ડુંગળીની નિકાસ નોંધાઈ હતી. ગત વર્ષે આજ સમયગાળામાં ૧૫.૩૯ લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી. પાછલા નાણાકિય વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન કુલ ૧૮.૨૨ લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી. જો કે એક તરફ સરકારે વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર માસમાં ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ નિકાસમાં કેટલીય વાર વધારો કર્યો હતો. જેને કારણે નિકાસ પર અંકુશ લગાવીને સ્થાનિક પુરવઠામાં સુધારો લાવી શકાય. જો કે આ સમયે પુરવઠાના અભાવને કારણે ડુંગળીના ભાવ વધીને ૧૦૦ રૃપિયે કિલો પહોંચી ગયા હતા. જો કે આ સમયે સરકારે નિકાસ પર પ્રતિબંધ નહોતો લગાવ્યો. પરંતુ આયાતની પરવાનગી આપી હતી.  કેન્દ્રએ ડુંગળીની અછત વર્તાતા મીનીમમ સપોર્ટ પ્રાઇઝ નાબૂદ કરી દેતાં હવે નિકાસમાં તેજી જોવા મળશે. ૨૦૧૨-૧૩માં ૧૮.૨૨ લાખ ટન ડુંગળીની નિકાસ થઇ હતી. જ્યારે ૨૦૧૧-૧૨માં ૧૫.૫૨ લાખ ટન ડુંગળીની નિકાસ થઇ હતી. 

ડુંગળીના ભાવ ઘટતાં  ડિહાઈડ્રેશન ઉદ્યોગમાંં તેજી

છેલ્લા બે મહિનાની અંદર ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ગુજરાતમાં ડુંગળીના ડિહાઈડ્રેશન ઉદ્યોગમાં તેજી આવી છે.  ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બર માસમાં ડુંગળીના ભાવ ૮૫થી ૧૦૦ રૃપિયે કિલો પહોંચી જતાં ડિહાઈડ્રેશન ઉદ્યોગને  વ્યવસાય ટકાવવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. ગત વર્ષે સપ્ટેમ્બર- ઓક્ટોબર માસમાં ગુજરાતમાં ડુંગળીના ભાવ ૮૫થી ૮૮ રૃપિયે પ્રતિ કિલો ચાલી રહ્યા હતા જો કે આ વર્ષે ભાવમાં બિલકુલ ઘટાડો થઈ ગયો છે અને ડુંગળીનો ભાવ ૩થી ૯ રૃપિયે પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. ગત સપ્તાહે ગુજરાતના વિવિધ માર્કેટમાં ૪થી સાડા ચાર લાખ ગૂણી ડુંગળીની આવક આવી રહી હતી (એક ગૂણીમાં ૫૦ કિલો). ખાસ કરીને ડુંગળીના ડિહાઈડ્રેશન ઉદ્યોગો આવેલા છે તેવા  ભાવનગર, મહુવા, ગોંડલના માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકોમાં તેજી જોવાઈ છે. જો કે કેટલાંક ઉદ્યોગકારોને ડુંગળીના ભાવમાં તેજી આવશે તો વ્યવસાઈમાં મંદી આવશે તેવી આશંકા હતી પરંતુ ડુંગળીનું ઉત્પાદન સારું રહેતાં અને ભાવ નીચા જતા ઉદ્યોગકારોએ હાશકારો પણ અનુભવ્યો છે. વ્યવસાયકારોના મતે ડિહાઈડ્રેશન સિઝનની શરૃઆત આમ તો ડિસેમ્બર માસથી થાય છે પરંતુ આ વખતે ડુંગળીના ભાવ નીચા જવાની શક્યતાને પગલે જાન્યુઆરી માસમાં ડિહાઈડ્રેશન સિઝનની શરૃઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે  ભારતમાં દરરોજ ૨૦૦થી ૨૫૦ લાખ ટન ડુંગળીનું ડિહાઈડ્રેશન કરવામાં આવે છે. 
રાજ્યમાં બટાટાના પાકનું સરવૈયું
  •  છેલ્લા મહિનામાં બટાટાના ભાવમાં પ્રતિ મણે રૃપિયા ૧૦૦નો ઘટાડો નોંધાયો. 
  •  ઉત્તર પ્રદેશના આગ્રાના બટાટાનો ગુજરાતમાં પ્રવેશથી હવે ભાવમાં વધારો થવાની શક્યતાઓ ઘણી ઓછી.
  •  ડીસાના ૧૦૪ કોલ્ડ સ્ટોરેજમાં ૧.૬૦ કરોડ કટ્ટાનો સંગ્રહ થયો.
  • બનાસકાંઠા જિલ્લામાં વાવેતર વધવાની સાથે ઉત્પાદનમાં પણ વધારો થતાં ખેડૂતો ખુશખુશહાલ
  •  કૃષિ વિભાગના અંદાજ મુજબ રાજ્યમાં ૧૭ લાખ ટન જ્યારે કોલ્ડસ્ટોરેજ સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ૧૫ લાખ ટન બટાટા પાકશે.

રાજ્યમાં ડુંગળીના પાકનું સરવૈયું
  •  છેલ્લા પખવાડિયામાં ડુંગળીના  ભાવમાં વધારો નોંધાયો. 
  •  માવઠાથી નાસિકમાં ડુંગળીના પાકમાં નુક્સાન થવાનો અંદાજ.
  •  ડુંગળીનું ગુજરાતમાં ઓલટાઇમ હાઇ વાવેતર થતાં ઉત્પાદન પણ ઓલટાઇમ ૨૧ લાખ ટન થવાનો અંદાજ મૂકાયો.
  •  કેન્દ્ર સરકારે નિકાસભાવ પરની પાબંદી હટાવી લેતાં નિકાસમાં તેજી જોવા મળી.

ડુંગળીનું ઉત્પાદન વધ્યું

૨૦૧૨-૧૨ની સીઝનમાં ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળતાં ખેડૂતોએ વાવેતર વધારતાં ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ચાલુ સીઝનમાં રાજ્યમાં ૭૫ હજાર હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૨૧ લાખ ટન થવાનો અંદાજ છે. ૨૦૧૨-૧૩માં ૭ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું. રાજ્યમાં ડુંગળીનું સરેરાશ ઉત્પાદન ૧૫થી ૧૭ લાખ ટન થાય છે. ૨૦૧૧-૧૨માં ડુંગળીનું સરેરાશ ઉત્પાદન ૧૫.૬૨ લાખ ટન થયું હતું. રાજ્યમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ૨૦૦૫-૦૬માં ૨૧.૨૮ લાખ ટન થયું હતું.

બટાટાનું વર્ષવાર ઉત્પાદન
    વર્ષ           વાવેતર    ઉત્પાદન      ઉત્પાદકતા
૨૦૦૮-૦૯   ૫૭         ૧૪.૪૮       ૨૫.૪૨
૨૦૦૯-૧૦   ૬૦         ૧૬.૫૭       ૨૭.૫૭
૨૦૧૦ -૧૧  ૬૫         ૧૮.૮૧      ૨૮.૮૨
૨૦૧૧-૧૨   ૮૦.૭૦   ૨૩.૯૫       ૨૯.૬૮
૨૦૧૨-૧૩   ૮૧.૨૭   ૨૪.૯૯      ૩૦.૭૬
૨૦૧૩-૧૪   ૭૫.૦૦   ૧૭.૪૮     ૨૩.૩૦ 
વાવેતર હજાર હેક્ટરમાં, ઉત્પાદન લાખ ટનમાં અને ઉત્પાદકતા કિલોમાં છે. 



ડુંગળીનું વર્ષવાર ઉત્પાદન
    વર્ષ           વાવેતર      ઉત્પાદન      ઉત્પાદકતા
૨૦૦૮-૦૯  ૫૭,૬૦૦   ૧૪                ૨૪.૪૭
૨૦૦૯-૧૦  ૪૩,૪૦૦   ૧૬                ૨૪.૮૫
૨૦૧૦-૧૧  ૬૨,૦૦૦   ૧૫.૧૪         ૨૪.૪૨
૨૦૧૧-૧૨  ૬૧,૦૦૦   ૧૫.૬૨         ૨૫
૨૦૧૨-૧૩  ૨૮,૦૦૦    ૭.૦૪           ૨૪.૪૨
૨૦૧૩-૧૪  ૭૫,૦૦૦   ૨૧.૯૫         ૨૯.૨૬

ડુંગળીનું વાવેતર હેક્ટરમાં, ઉત્પાદન લાખ ટનમાં અને ઉત્પાદકતા કિલોમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 19 March 2014

ગુજરાતમાં ઘઉંના ભાવ એપ્રિલ સુધી જળવાઇ રહેશે


યુક્રેન અને રશિયામાં રાજકીય અશાંતિ તેમજ અમેરિકામાં ધાન્ય પાક ઓછો થવાને કારણે ભારતીય ઘઉંના ભાવ સરેરાશ રહ્યા

ભારતના મુખ્ય ધાન્યપાક ગણાતા ઘઉંનું રેકોર્ડબ્રેક વાવેતર બાદ ઉત્પાદનના ઉંચા અંદાજોથી એક સમયે ભારતનો નેટ આયાતકાર દેશ આજે વિશ્વમાં નિકાસકાર દેશ બની ગયો છે. દેશમાં ૮૦૦ લાખ ટન ઘઉંની વપરાશ સામે છેલ્લા ત્રણ વર્ષથી દેશમાં ૯૦૦ લાખ ટનથી વધુ ઘઉં પાકતાં ભારતમાં ૨૪૨ લાખ ટન ઘઉંનો જથ્થો સરકાર પાસે પડયો છે. ચાલુ વર્ષે ભારતમાં ઘઉંના ૩૧૫ લાખ હેક્ટર વાવેતર વચ્ચે દેશમાં માવઠાની સીધી અસર તેની ગુણવત્તા પર પડી છે. દેશમાં ઘઉંના પાકમાં નુકસાનીના અહેવાલને પગલે વૈશ્વિક માર્કેટમાં ઘઉંના ભાવમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક માર્કેટમાં માર્ચ મહિનામાં ડિલિવરી કરાતા ઘઉંના ભાવ ૨૮૦ ડોલર પ્રતિ ટન પહોંચી ગયા છે. જો કે આ વર્ષે જાન્યુઆરી માસમાં ઘઉંનો ભાવ ૨૬૫ ડોલર પ્રતિ ટન રહ્યો હતો. ગુજરાતના વિવિધ માર્કેટમાંથી ઘઉંની નિકાસ થતી હોવાથી ટ્રેડર્સ અને કંપનીઓનું અનુમાન છે કે એપ્રિલ માસના અંત સુધીમાં ઘઉંના ભાવ જળવાઇ શકે છે. ગુજરાતમાં નવા ઘઉંના ભાવ ૧૦ ડોલર પ્રતિ ટન મજબૂત થયા છે. માર્ચ મહિનાની ડિલિવરીવાળા ઘઉં માટે ૨૭૬-૨૮૦ ડોલર પ્રતિ ટન એફઓબી એટલે કે ફ્રી ઓન બોર્ડ ભાવ લગાવવામાં આવ્યો છે અને વર્તમાન સમયમાં મધ્ય-પૂર્વના માર્કેટમાં ઘઉંની નિકાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ઘઉંની ક્વોલિટી સારી રહેવા સાથે ઊપજ વધવાને કારણે વિવિધ ટ્રેડર્સને ગુજરાતના ઘઉં ખરીદવાનોે વિકલ્પ બચ્યો છે.
વર્તમાન સમયમાં વરસાદ અને કરા પડવાને કારણે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઘઉંના પાક પર નકારાત્મક અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને પગલે વિવિધ રાજ્યોમાં ઘઉંની કાપણી પણ મોડેથી કરાઇ છે. ભારતીય ઘઉંની મુખ્ય માગ બાંગ્લાદેશ, મધ્ય-પૂર્વ, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા દેશોમાં વધારે રહે છે. એક તરફ યુક્રેન અને રશિયામાં રાજકીય અશાંતિ તેમજ અમેરિકામાં ધાન્ય પાક ઓછો થવાને કારણે ભારતીય ઘઉંના ભાવ જળવાયા છે. જો કે આ તરફ મે માસમાં ઘઉંના માર્કેટમાં નરમી આવી શકે છે  અને ભારતીય ઘઉંના ભાવ ઘટીને ૨૬૦ ડોલર પ્રતિ ટન થઈ શકે છે. આ સમયે ખાનગી કંપનીઓ માર્કેટમાં આવી શકે છે અને ફરી પાછી ઘઉંની ખરીદી કરી શકે છે. જ્યારે ઘઉંની ખરીદી થશે ત્યારે ફરી પાછી દેશભરમાં નવા પાકની આવકમાં તેજી રહેશે. ટ્રેડર્સોના મતે વૈશ્વિક માર્કેટમાં ઘઉંની માંગ જુલાઈ- ઓગસ્ટ સુધી રહેશે. ત્યારબાદ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી ઘઉંની સપ્લાય વધી જશે. રાજકોટના વિવિધ એક્સપોર્ટરોના મતે હાલ ખરીદદારો મે માસમાં ડિલિવરી પૂરી પાડવા માટે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે. માર્કેટમાં તમામ મોટા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખરીદદારો ભાગ લઈ રહ્યા છે. રાજકોટના માર્કેટમાં ગુજરાત લોક-૧ ઘઉંનો ભાવ ૧૫૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલની આસપાસ ચાલી રહ્યો છે.  નિકાસકારોનું માનવું છે કે કિંમત ૨૬૦થી ૨૮૦ ડોલર પ્રતિ ટન વચ્ચે તેજી રહેતાં નિકાસનો વધારો થશે.

ભારતીય ઘઉંની નિકાસ સબસિડી પર અમેરિકા, કેનેડાની ડબલ્યુટીઓને ફરિયાદ

એક તરફ વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની નિકાસમાં તેજી જોવાઈ રહી છે તો બીજી તરફ ભારતીય ઘઉંની નિકાસ સબસિડીને લઈને અમેરિકા અને કેનેડાએ વિશ્વ વેપાર સંગઠનમાં ફરિયાદ કરી છે. અમેરિકા અને કેનેડાનું કહેવું છે કે ભારત ઘઉંના લઘુતમ ટેકાના ભાવ ઓછા રાખીને વૈશ્વિક બજારમાં અન્ય દેશોના ઘઉંના ભાવને ખરડી રહ્યું છે.  જો કે આ તરફ વિશ્વ વેપાર સંગઠને અમેરિકા અને કેનેડાની ફરિયાદને ફગાવી દીધી છે અને ભારતની નિકાસ સબસિડીની તરફેણ કરી છે. વિશ્વ વેપાર સંગઠનનું કહેવું છે કે ભારતે ઘઉંના ૨૬૦થી ૩૦૦ ડોલર પ્રતિ ટનના ભાવ નક્કી કર્યા તે યોગ્ય છે. જેની સામે કેનેડાનું કહેવું છે કે ભારતીય ઘઉંની સામે કેનેડાના ઘઉંના ભાવ બિલકુલ નીચા જઈ રહ્યા છે  જેથી ભારતે પોતાના લઘુતમ ટેકાના ભાવ વધારવા જોઈએ. જો કે આ તરફ વિશ્વ વેપાર સંગઠનનું કહેવું છે કે ભારત વિશ્વ વેપાર સંગઠનની પોલિસી અનુસાર ઘઉંની નિકાસ કરી રહ્યું હોવાથી વૈશ્વિક બજાર પર તેની કોઈ અસર નહીં પડે.


રાજકીય કટોકટીથી યુક્રેનને નુકસાનઃ ભારતને લાભ

યુક્રેનમાં રાજકીય અશાંતિને કારણે ભારતના ઘઉં બજારને ફાયદો થઈ શકે છે. રાજકીય કટોકટીને પગલે થોડા સમય પહેલાં ઈજીપ્તિયન ઘઉં માટે ૧૦ જેટલા ટ્રેડર્સ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. જેમાં યુક્રેનનો સમાવેશ નહોતો કરાયો. વળી યુક્રેનમાંથી મકાઈ સહિત વિવિધ ધાન્યપાકોનું ઈરાન આયાત કરે છે તે આયાત પણ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે અને ઈરાન હાલ હંગેરીથી ધાન્યપાકોની આયાત કરી રહ્યંુ છે. એક તરફ યુક્રેન વિશ્વમાં સૌથી સસ્તા ભાવે ઘઉં અને મકાઈનું વેચાણ કરે છે. જો કે ૨૦૧૩-૧૪ના માર્કેટિંગ વર્ષમાં યુક્રેનમાંથી નિકાસ ઘટવાને કારણે અને કટોકટીની સ્થિતિને કારણે ભારતને તેનો સીધો ફાયદો થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની માંગ વધી રહી છે તો આ તરફ ભારત સરકારે વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓને પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું સૂચન કર્યું છે. સરકારે  વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ૨૬૦ ડોલર પ્રતિ ટનના ટેકાના ભાવ નક્કી કર્યા છે. જો કે યુક્રેનમાં કટોકટીને પગલે હાલ વિવિધ કંપનીઓ ૨૭૫ ડોલર પ્રતિ ટનના ભાવે ઘઉંની ખરીદી કરી રહી છે. જે ભારત માટે એક સારી બાબત માનવામાં આવે છે. યુક્રેનમાં કટોકટીની સ્થિતિ અને બ્રાઝિલમાં ખરાબ હવામાનને કારણે પણ ભારતને મકાઈ તેમજ ઘઉંની નિકાસમાં સારો એવો ફાયદો મળી શકે છે. 

૨૦ લાખ ટન ઘઉંની નિકાસ થશે

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ કરવા માટે પરવાનગી આપી છે. જેમાંથી મોટાભાગના ટેન્ડરો બહાર પડી ગયા છે. ઘઉંની નવી સીઝન ચાલુ થઇ જતાં સરકારી અને ખાનગી કંપનીઓ પણ ઘઉંની ખરીદી માટે પડાપડી કરી રહી છે. નિકાસલાયક ઘઉંની ખરીદી એપ્રિલથી મે સુધી ચાલતી હોવાની સાથે ગુણવત્તાવાળા ઘઉં ગુજરાતમાંથી પ્રાપ્ય બને તેવી શક્યતાઓથી ઘઉંની મોટાપાયે ખરીદી થઇ રહી છે. પરિણામે રાજ્યમાં ઘઉનું ૪૮ લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા છતાં પણ ઘઉંના ભાવ જળવાઇ રહેશે.
ઘઉંના આયાતકાર મુખ્ય દેશ
દેશ                                નિકાસ
દ. કોરિયા                        ૧૦.૦૧
ઇથોપિયા                         ૬.૮૦
બાંગ્લાદેશ                        ૬.૭૫
યમન                              ૩.૦૬
થાઇલેન્ડ                          ૨.૭૧
ઇન્ડોનેશિયા                      ૨.૧૦
નોંધઃ નિકાસ લાખ ટનમાં અને એફસીઆઇ દ્વારા ૨૦૧૨-૧૩માં થયેલી છે.

ઘઉંના ઉત્પાદનના અંદાજ
વર્ષ                    ઉત્પાદન
૨૦૦૯-૧૦         ૮૦૮.૮
૨૦૧૦-૧૧         ૮૬૮.૭
૨૦૧૧-૧૨         ૯૪૦.૮
૨૦૧૨-૧૩         ૯૨૩.૦
૨૦૧૩-૧૪         ૯૫૬.૦
નોંધ : ઉત્પાદનના આંક લાખ ટનમાં છે.

રાજ્યના મુખ્ય માર્કેટયાર્ડના ભાવ
યાર્ડ                 લોકવન               ટુકડા
રાજકોટ              ૨૮૮થી ૩૬૫       ૨૯૨થી ૪૧૦
ગોંડલ                 ૨૮૦થી ૪૦૧       ૨૯૭થી ૪૪૬
હિંમતનગર           ૩૧૧થી ૪૬૦       -----------
જૂનાગઢ              ૨૮૫થી ૩૫૭       ૨૯૦થી ૪૦૩
ઇડર                   ૩૨૫થી ૪૧૫       -----------         
કોડિનાર              ૨૬૦થી ૩૦૦       -----------

નોંધઃ  ભાવ મણના છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 18 March 2014

માવઠાએ ખેતીનાં સમીકરણો બદલ્યાં

  • દેશના આઠ રાજ્યોમાં માવઠાની અસર
  • ૪૦ ટકા કેરીના પાકને માવઠાથી સૌરાષ્ટ્રમાં ફટકો
  • ગુજરાતમાં કેરી, ધાણા અને ઘઉંના પાકને કમોસમી વરસાદથી નુકસાન
  • ૧૩ હજાર કરોડનું મધ્યપ્રદેશમાં ખેતીને નુકસાન
  • ૬.૭૨લાખ હેક્ટરમાં મહારાષ્ટ્રમાં માવઠાથી અસર
  • મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ઘઉંના પાકને ફટકો 


રવી  સીઝનમાં કમોસમી વરસેલા માવઠાએ ખેતીના સમીકરણો બદલી નાંખવાની સાથે ઉત્પાદનોના આંકનું ગણિત ફેરવી દીધું છે. દેશના આઠ રાજ્યોમાં માવઠાની અસર રહેતાં રવી પાકોને મોટુ નુકસાન થયું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદથી કેરીમાં ખાખડી અને મગિયો ખરી જતાં પાકમાં ૪૦ ટકા નુકસાન થવાની ગણતરીઓ મંડાઇ છે. ઘઉં, જીરું, અને ધાણાના પાકમાં પણ ૧૦થી ૧૫ ટકા નુકસાન થવાનો અંદાજ કૃષિ નિષ્ણાતો લગાવી રહ્યા છે. દેશમાં મધ્યપ્રદેશમાં ૧૩,૦૦૦ કરોડ રૃપિયાનું માવઠાએ નુકસાન પહોંચાડવાની સાથે મહારાષ્ટ્રમાં ૬.૨૦ લાખ હેક્ટરમાં ખેતીપાકો અને ૫૦ હજાર હેક્ટરમાં ફળ પાકોમાં નુકસાન કર્યું છે. દેશમાં ઘઉંના પ્રદેશ ગણાતા હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઘઉંના પાકને નુકસાનના અહેવાલથી દેશમાં ૯૫૬ લાખ ટન ઘઉંના ઉત્પાદનના મૂકાયેલા અંદાજમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે. હિમાચલ અને કાશ્મીરમાં પણ બરફ પડવાથી સફરજનના પાકને ભારે નુકસાન થયું છે. રવી પાકોની સીઝનનો માવઠાએ સોથ બોલાવી દીધો છે.      

સૌરાષ્ટ્રમાં ફાગણમાં સર્જાયેલા અષાઢી માહોલ વચ્ચે આકાશમાંથી વરસેલા વરસાદ અને કરાને લીધે ખેતરોમાં કાપણી અવસ્થાએ આવી ગયેલા ઘઉં, જીરું અને ધાણાના પાકમાં વ્યાપક નુકસાની આવી છે. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો કુદરતે ઝૂંટવી લીધો છે. બદલાયેલા વાતાવરણે ખેડૂતોનું નસીબ પલટાવી નાખ્યું છે. બીજી તરફ તોફાની પવન ફૂંકાવાના કારણે ફળોમાં લોકપ્રિય એવી કેસર કેરીના પાકનો પણ સોથ વળી ગયો છે. મોર, મગિયો અને ખાખડી વ્યાપક પ્રમાણમાં ખરી પડતાં ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકા સુધીનો ઘટાડો આવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો કેરીના પાકને બચાવવા માટે દવાઓનો છંટકાવ કરી મગિયો અને ભૂકીછારો જેવા રોગ આવતા અટકાવી પાકને બચાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. કેરીના પાકનું વધુ ઉત્પાદન થવાની ખેડૂતોની તમામ ગણતરીઓ ખોરવાઇ ગઇ છે. માવઠાએ સમગ્ર દેશમાં અસર પહોંચાડી છે. દેશના આઠ રાજ્યોમાં માવઠાની ઓછીવત્તી અસર થઇ છે. સૌથી વધુ નુકસાન ઘઉંના પાકને થયું છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ઘઉંના પાકને નુકસાનના અહેવાલો છે. પરિણામે પાક ઉત્પાદનના અંદાજો પણ બદલાઈ જવાની સંભાવના છે. માવઠાએ રવી સીઝનના ઉત્પાદનનું ચિત્ર જ બદલી નાખ્યું છે. દેશમાં માવઠાની અસરનો ભોગ માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો પણ ભોગ બન્યા છે.

સૌરાષ્ટ્રમાં ઘઉંમાં ૧૦થી ૧૫ ટકા જેટલી નુકસાની
કમોસમી વરસાદની અસરથી ઘઉંના પાકમાં સારી એવી નુકસાની થઈ છે. જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના સંશોધન વૈજ્ઞાાનિક કે. એચ. ડાભીના જણાવ્યા અનુસાર તોફાની પવનને લીધે ઘઉંનો પાક ઢળી ગયો છે. પરિણામે હાર્વેસ્ટીંગમાં મોટી સમસ્યા રહેશે. જે તે વિસ્તાર પ્રમાણે ઉભા ઘઉં ઢળી ગયા છે એ પ્રમાણે નુકસાની જોવા મળી રહી છે. એકંદર જોઈએ તો ઘઉંના પાકમાં ૧૦થી ૧૫ ટકા જેટલી નુકસાની ચોક્કસ રહેશે. આ ઉપરાંત ભેજવાળા વાતાવરણને લીધે  દાણામાં કાળી ટપકી થવા માંડશે એટલે ઘઉંની ગુણવત્તામાં ઘટાડો જોવા મળતાં ભાવ ઘટશે.
ઘઉંમાં ભેજ લાગી જતાં સંગ્રહ કરવામાં પણ ખેડૂતોએ ખાસ કાળજી રાખવી પડશે. બે-ચાર દિવસ તડકામાં સૂકાયા બાદ જ ખેડૂતોએ ઘઉંનો સંગ્રહ કરવો હિતાવહ રહેશે. બીજી તરફ અનેક ખેતરોમાં પાથરા પડયા હતાં તેના ઉપર વરસાદ પડતા તેમાં પણ સારી એવી નુકસાની થઈ છે. ખેડૂતોએ બિયારણ માટે ઘઉં રાખવા હોય તો તડકો પડયા બાદ સારા ઘઉં ભરી લેવા જોઈએ. અત્યારે ભેજવાળંુ વાતાવરણ હોવાથી હાર્વેસ્ટરથી કાપણી થઈ શકે તેમ નથી.

જીરું અને ધાણામાં સરેરાશ ૧૦થી ૧પ ટકા સુધીની નુકસાની
વરસાદ અને કરા જ્યાં પડયા છે તેવા ખેતરોમાં વધુ નુકસાન છે. એકાદ અઠવાડિયા પછી આ બન્ને પાકની કાપણીનો નિશ્ચિત સમય થતો હતો. પરિણામે મોટાભાગનો પાક ખેતરોમાં જ ઉભો હતો. આવી સ્થિતિમાં બદલાયેલા વાતાવરણથી  વ્યાપક નુકસાની થઈ છે. આ વિશે વિગતો આપતા જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના ડો. વાડોદરિયા કહે છે કે, કેટલાક ખેતરોમાં તો ૧૦૦ ટકા નુકસાની થઈ હોય તેવી હાલત પણ છે પરંતુ એકંદરે જોઈએ તો સૌરાષ્ટ્રમાં જીરું અને ધાણાના પાકમાં ૧૦થી ૧પ ટકા સુધીની સરેરાશ નુકસાની થવાની શક્યતા છે.
હાલના વાતાવરણથી આ બન્ને પાકમાં ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે. તેના નિયંત્રણ માટે અત્યારની સ્થિતિએ કોઈ વિકલ્પ નથી એટલે કે તેનો કંટ્રોલ થઈ શકે તેમ જ નથી. ભેજને લીધે દાણાની ક્વોલિટી બગડશે અને વજન પણ ઘટશે. તેમજ જો પૂરતો તડકો નહીં પડે તો ફૂગ આવી શકે છે. કેટલાક ખેતરોમાં હાર્વેસ્ટ કરેલા જીરું અને ધાણા પડયા હતાં. તેના ઉપર વરસાદ પડતા સ્વાભાવિક રીતે જ તેમાં પણ ફૂગ આવી શકે છે. આજના સમય સુધી હજુ પણ ભેજનું પ્રમાણ વધારે છે. સામાન્ય રીતે પાક ન આવ્યો હોય એવા તબક્કે આ બન્ને પાકમાં દવાનો છંટકાવ કરી શકાય છે. પરંતુ અત્યારે ધાણા અને જીરું બન્ને પાક અવસ્થાએ આવી ચૂક્યા હોવાથી દવા પણ છાંટી શકાય તેમ નથી. પાક અવસ્થાએ હોવાથી દવાનું કોઈ પરિણામ મળી શકે તેમ નથી. જો કે એકાદ અઠવાડિયા અગાઉ દવા છાંટી હોય તેને ઓછી નુકસાની આવશે.
કયા પાકને અસર
 કેરી, ઘઉં, જીરું, ધાણા, બાજરી, લસણ અને કપાસના પાકને માવઠાથી અસર થઇ છે.

દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને  નુક્સાન 
માવઠાની અસર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને બારડોલીને બાદ કરતા તમામ જિલ્લાઓમાં માવઠાથી ખેતીને નુકસાન થયું છે. સૌથી વધુ અસર કેરીના પાકને થઇ છે. આ અંગે નવસારી કૃષિ યુનિના. ફળવિજ્ઞાાનના નિષ્ણાત ડો. નીતિનભાઇ શાહે જણાવ્યું હતું કે, માવઠાથી નવસારી અને વલસાડ જિલ્લામાં મગિયો નીચે પડી જવાની સાથે મગિયામાં જીવાતનું નુક્સાન થવાની સંભાવના વધુ છે. આ સિવાય ડાંગ, વાંસદા, તાપીમાં વરસાદથી કેરીના પાકને સરેરાશ નુકસાન થયું છે. પરિણામે દક્ષિણ ગુજરાતમાં કેરીના ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે. હાલમાં ખેડૂતોએ પાકને બચાવવા માટે એસિફેટ અથવા ઇમિડાક્લોપ્રીડનો છંટકાવ કરવો જોઇએ. વલસાડમાં કેરીના પાકને નુકસાન અંગે વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક સી. ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, વલસાડમાં માવઠાની ઓછી અસરની સાથે આંબામાં કેરીનું સેટીંગ થઇ ગયું હોવાથી રોગ-જીવાતથી કેરીના પાકને નુકસાનથી બચાવવા ખેડૂતોએ દવાનો છંટકાવ કરવો પડશે. આથી વધારે મગિયો ખરી પડયો એવી કોઇ સમસ્યા ધ્યાને આવી નથી.

કૃષિ વિભાગના અંદાજ મુજબ રાજ્યમાં ત્રણ જિલ્લામાં નુક્સાન
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠા બાદ કૃષિ વિભાગ દ્વારા એકઠી કરાયેલી વિગતો મુજબ રાજ્યના જૂનાગઢ, જામનગર અને ડાંગ જિલ્લામાં જ નુકસાન પહોંચ્યું હોવાની વિગતો સાંપડી છે. સૌથી વધુ નુકસાન સરકારી ચોપડે જૂનાગઢ જિલ્લામાં નોંધાયું છે. જેમાં ૩,૦૦૦ હેક્ટરમાં આંબાના પાકને, ૧,૦૦૦ હેક્ટરમાં જીરું, ૧,૭૫૦ હેક્ટરમાં ધાણા અને ૭૦૦૦ હેક્ટરમાં ઘઉંના પાકને નુકસાન થયું છે. જેમાં ઘઉં, જીરું અને ધાણાના પાકને ૩થી ૧૫ ટકા અને આંબામાં ૨૫થી ૩૦ ટકા નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ચણા, ઘઉં અને તુવેરના પાકમાં ૫૦ ટકાથી ઓછું નુકસાન થયું છે. જ્યારે જામનગરના ૩૦ ગામમાં ૨થી ૧૦ ટકા નુકસાન થયું હોવાની વિગતો છે. 

મધ્યપ્રદેશમાં ૧૯ જિલ્લામાં નુકસાન
માવઠાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય બન્યા છે. મહારાષ્ટ્રમાં ૨૮ જિલ્લામાં માવઠાની અસર થઇ છે. મહારાષ્ટ્રના એગ્રીકલ્ચર કમિશ્નરના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૬.૭૨ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે. જેમાં ૫૦ હજાર હેક્ટરમાં ફળપાકોને અને ૬.૨૦ લાખ હેક્ટરમાં ખેતીપાકને નુક્સાન થયું છે. મહારાષ્ટ્રમાં મરાઠાવાડ, બુલધાન જિલ્લો, વિદર્ભ વિસ્તાર, જલગાંવ, ધૂલે, સતારા, સોલાપુર, સાંગલી અને અહેમદનગર જિલ્લામાં ભારે નુકસાન થયું છે. મધ્યપ્રદેશના ૩૭ જિલ્લાઓમાં ઓછાથી ભારે માવઠાની અસર થઇ છે. જ્યારે ૧૯ જિલ્લાઓમાં માવઠાથી ખેતીના પાકને નુકસાન વધુ છે. જેમાં હોશંગાબાદ, ઇન્દોર, રાઇસન અને દેવાસ વિસ્તારનો સમાવેશ થાય છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર એક માત્ર ઘઉંના પાકમાં ૨૦થી ૨૫ ટકા નુકસાન થયું છે. ૨૦૧૨-૧૩માં ૧૯૨ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. 

શા માટે માર્ચમાં માવઠું?
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાની નોબત આવી છે. આ અંગે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સનો ઝુકાવ દક્ષિણ બાજુ હોવાથી ભેજ સાથેના પવનો અરબી સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે ભેજ બેવડાઇ જાય છે. જેના કારણે આકાશમાં વાદળો બંધાઇ જતાં હોવાથી ફ્રિઝીંગ લેવલ એકદમ નીચું ચાલ્યું જવાથી માવઠાની સ્થિતિ ઉદ્ભવી છે.

કયા વિસ્તારમાં માવઠાની અસર
રાજ્યમાં માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારને થઇ છે. સૌરાષ્ટ્રમાં સતત બે દિવસ માવઠું થતાં ખેડૂતોને કેરી, ઘઉં, જીરું ધાણા, બાજરી, લસણ અને કપાસમાં મોટું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, ધોરાજી, અમરેલી અને સુરેન્દ્રનગર સહિત ઉપલેટા, માળિયાહાટિના, મેંદરડા, વંથલી, ભેંસાણ, કેશોદ અને કોડિનાર પંથક સુધી વરસાદની અસર રહી છે. આ ઉપરાંત ખાંભા જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ માવઠાથી ખેતી પાકને નુકસાન થયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, સોનગઢ અને ઉકાઇ સહિતના વિસ્તારોમાં પણ માવઠાને પગલે ખેતીપાકોમાં નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને બારડોલીને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં માવઠાની અસર રહી હતી. વડોદરા જિલ્લાના શિનોર, બોડેલી, વાઘોડિયા, નર્મદા જિલ્લાના દેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા વિસ્તારમાં માવઠાની અસર રહી હતી.

   


રાજ્યમાં કમોસમી વરસાદથી કેરીના ખેડૂતોની હાલત બગડી

આંબા પરથી મોર, મગિયો, ખાખડી ખરી પડીઃ ૩૦થી ૪૦ ટકા નુકસાનઃ ૧૦ લાખથી વધુ કેરી પાકવાના અંદાજો બદલાયા : ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન વધવાના ખેડૂતોના સપનાં માવઠાએ રોળી નાખ્યાં

ત્રણ તબક્કે આવેલા મોરને પગલે કેરીનું ઉત્પાદન ૧૦ લાખ ટનને આંબવાની સંભાવના વચ્ચે વરસેલા માવઠાએ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડયું છે. ૨૦૧૨-૧૩માં ૧૦ લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતુું આ વર્ષે આંબા પર સારો મોર આવવાની સાથે મગીયો બંધાતાં ખેડૂતોના ચહેરા પર ખુશી આવી હતી પરંતુ કેરીના વિસ્તાર સમા સૌરાષ્ટ્ર પંથકમાં જ સતત બે દિવસ વરસેલા વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન થયું છે. બદલાયેલા વાતાવરણની અસર હેઠળ ફૂંકાયેલા તોફાની પવન અને વરસાદની સાથે વરસેલા કરાના કારણે આંબા ઉપરથી મોર, મગીયો અને ખાખડી સાવ ખરી પડી છે. ક્લાઈમેટ ચેન્જ પહેલા આંબા ઉપર એટલો બધો મોર આવ્યો હતો કે ખેડૂતો ખુશખુશાલ હતાં. મોરમાંથી મગીયો પણ સારો બંધાયો હતો અને કેરીમાં ધરતીપુત્રો આ વખતે માલામાલ થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ ફક્ત બે દિવસમાં જ ખેડૂતોના નસીબ આડે પાંદડું આવી ગયું છે અને હવે મજૂરીના પણ પૈસા ન મળે તેવી હાલત થઈ ગઈ છે.
જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના બાયગત વિભાગના ડો. આર. આર. વિરડીયા કહે છે કે, ગીર સહિત સમગ્ર સોરઠ પંથકમાં કેરીના અનેક બગીચા સાવ પૂરા થઈ ગયા છે. અત્યાર સુધી કેરી સારી હતી અને બંધારણ પણ સારું હતું. તોફાની પવનમાં આ બધું ખરી ગયું છે. જેટલી કેરી બચી છે તેમાં પણ કાળી ટપકી આવી ગઈ છે. કરા સીધા જ મગિયા અને ખાખડીની માથે પડતા આ મુશ્કેલી આવી પડી છે અને કરા પડયાના ફક્ત બે દિવસમાં કાળી ટપકી ડેવલોપ થઈ ગઈ છે. તોફાની પવન, વરસાદ અને કરાના કારણે કેરીમાં આશરે ૩૦થી ૪૦ ટકા સુધીની નુકસાની ગઈ છે. હાલમાં આંબા ઉપર બચેલી કેરી પણ ખરવા માંડી છે.
જ્યાં કરા પડયા છે તેવા વિસ્તારના બગીચાઓ લગભગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જ્યારે વરસાદ પડયો છે તેવા વિસ્તારના બગીચાઓમાં પણ મોટા પાયે નુકસાની ગઈ છે. આ મુશ્કેલી સામે રક્ષણ મેળવવા માટે ખેડૂતો પાસે કોઈ ઉપાય નથી. છતાં પણ પાક બચ્યો છે તેવા ખેડૂતો થોડું-ઘણું રક્ષણ આપવા માટે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરી શકે છે. જેનાથી કાળી ટપકીમાં નિયંત્રણ મળશે. હાલમાં આંબામાં ગુંદર છૂટવા માંડયો છે. આ ઉપરાંત ભેજવાળા વાતાવરણથી બેક્ટેરિયા અને ફૂગ વિકાસ પામશે. એક સમયે ભર્યાભાદર્યા આંબા અત્યારે સાવ ખાલી થઈ ગયા છે. બરફ પડયો છે તેવા વિસ્તારમાં અતિશય ઠંડકથી કોષ નાશ પામ્યા છે. ત્યાં સુધી કે આંબાના વૃક્ષો પણ નબળા પડી ગયા છે.
જૂનાગઢના કૃષિ વૈજ્ઞાાનિક ડો. આર. એલ. સાવલિયા કહે છે કે, વરસાદને લીધે ભેજવાળંુ વાતાવરણ થઈ જતાં ખાખડી કાળી થવાની ભીતિ છે. આ ઉપરાંત થ્રિપ્સ, ગળો (મોલો-મશી) અને લીલી પોપટી વગેરે જેવી ચુસિયાં પ્રકારની જીવાતોનો ઉપદ્રવ હવે પછી જોવા મળશે. આંબામાં ફૂગ આવશે. તેના માટે ખાસ કોઈ ઉપાયો નથી.
ભેંસાણ તાલુકાના માલીડા ગામના ખેડૂત રમેશભાઈ ગોધાણીએ પોતાના ૬૦ વીઘા બગીચામાં ગયેલી નુકસાનીનો ચિતાર આપતા કહે છે કે, એક સપ્તાહ પહેલા તેની બાગમાંથી પ હજાર મણ કેસર કેરીનું ઉત્પાદન થવાની આશા હતી. તેના બદલે હવે ફક્ત દોઢ-બે હજાર મણ ઉત્પાદન પણ માંડ માંડ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી આંબામાં બંધાયેલા મોરના ઉછેર માટે કરેલા ખર્ચ ઉપર પાણી ફરી વળ્યું છે. કમાણી કરવાની વાત તો દૂર રહી, મજૂરીના પૈસા પણ માંડ છૂટે તેવી સ્થિતિ છે. સાત વર્ષથી તેઓએ બગીચો બનાવ્યો છે. જેમા આ વર્ષે ઉત્પાદન વહેલું આવવાની આશા હતી. એપ્રિલના અંત સુધીમાં કેરી બજારમાં આવી જાય તેવી સ્થિતિ હતી અને એક મહિના પછી તો આંબામાંથી કેરી વેડવાની શરૃઆત કરવાની હતી પરંતુ હવે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. ખેડૂતો હતાશામાં ગરક થઈ ગયા છે.

ગીર પંથકમાં સતત બે દિવસ સુધી દોઢેક ઈંચ જેટલો પડેલો વરસાદ અને કરાને લીધે આંબા ઉપરથી મોર, મગીયો અને ખાખડી ખરી પડી છે. ખેડૂતોને હવે શું કરવું? તે નક્કી કરી શકાતું નથી. અગાઉ આવેલા મોરને લીધે ખેડૂતો આ વખતે ખૂબ જ કમાણી કરે તેવી આશા હતી. કોઈ આંબો કે આંબાની એક પણ ડાળ ખાલી નહોતી. છતાં ફક્ત બે દિવસના ક્લાઈમેટ ચેન્જમાં ખેડૂતોની હાલત બગડી ગઈ છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 11 March 2014

ખરીફ ખેતીમાં ખેડૂતોને ફટકો પડશે


રાજ્યમાં વરસાદની અછત સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાં વધુ રહેશે  : ૨૦૦૯ અને ૨૦૧૨ બાદ અલનીનોની અસરને પગલે રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેવાના એંધાણ : દેશના ૫૦૦ જિલ્લાઓ માટે આપાતકાલીન યોજના ઘડાઈ : રૃ ૩૦ હજાર અબજનું વરસાદ આધારિત દેશનું અર્થતંત્ર : રાજ્યમાં ૪૮ લાખ હેક્ટર ખરીફ વાવેતર વરસાદને ભરોસે : વરસાદની અસર કૃષિ સેક્ટરને પ્રભાવિત કરશે

રવી સીઝનમાં કમોસમી માવઠાથી ખેતીમાં નુક્સાની ભોગવી રહેલા  ખેડૂતો માટે વધુ એક માઠા સમચાર એ છે કે અલનીનોની પગલે ૨૦૦૯ અને ૨૦૧૨માં વરસાદની અછતનો ભોગ બનનાર ગુજરાતમાં ખરીફ ૨૦૧૪માં પણ વરસાદની અછત રહેવાની સંભાવના છે. અલનીનોની અસરથી ચોમાસું સામાન્ય રહેવાની આગાહીઓથી દેશના ૨૩ રાજ્યોના ૫૦૦ જિલ્લાઓમાં આપાતકાલીન યોજના ઘડાઇ ચૂકી છે. દેશમાં ૩૦ હજાર અબજનું વરસાદ આધારિત અર્થતંત્ર છે. દેશની ઇકોનોમીમાં કૃષિ સેક્ટરનો મહત્વનો ફાળો છે. ભારત ચોખા, ખાંડ, ઘઉં, અને કપાસમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દેશના ૨૩૫ લાખ ખેડૂતો ચોમાસા પર નિર્ભર છે. કુલ ૧૪૦૦ લાખ હેક્ટર ખેતીલાયક જમીનમાંથી ૪૦ ટકા જમીનમાં સિંચાઈની સુવિધા હોવાની સાથે દક્ષિણ ભારતમાં ચોખાનો પાક મુખ્યત્વે વરસાદ પર જ આધારિત છે. દેશમાં ૨૦૦૯માં વરસાદની અછતથી ૨૧૦૦ લાખ ટન અનાજ પાક્યું હતું. આ વર્ષે ૨૦૦૯ જેટલી અછત રહેવાની નહીવત્ સંભાવનાઓ વચ્ચે પણ કૃષિ વિભાગે અછત નિવારવા તૈયારીઓ આરંભી છે. આ જ સ્થિતિ ગુજરાતની પણ છે. રાજ્યમાં ૨૦૧૨ બાદ વધુ એક વરસાદની અછત રહેવાની સંભાવના છે. રાજ્યમાં ખરીફ સીઝનમાં ૯૦ લાખ હેક્ટરમાં થતા વાવેતર પૈકી ૪૮ લાખ હેક્ટર ખેતી વરસાદ પર આધારિત છે. અછત સર્જાય તો સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતના ખેડૂતોને થશે.                                      
૨૦૧૪ના ચોમાસા પર અલનીનોની અસર રહે તેવી સંભાવનાઓ વચ્ચે કેન્દ્ર સરકારે અલનીનોની દેશમાં ઓછી અસર રહે માટે અત્યારથી દેશના ૨૩ રાજ્યોના ૫૦૦ જિલ્લાઓમાં આકસ્મિક યોજનાઓની તૈયારીઓ આરંભી દીધી છે. ઉપરાંત દેશના ૨૩ રાજ્યના કૃષિ વિભાગને પણ ઓછા વરસાદથી પાક ઉત્પાદનમાં અસર ન વર્તાય માટે સાવધાન રહેવાની સૂચના અપાઇ છે. જો ેઅલનીનોની અસર વર્ષ ૨૦૦૯ના જેવી ન હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ૨૦૦૯માં દેશમાં છેલ્લા ૩૦ વર્ષમાં ના પડી હોય તેવી અછત દેશના કૃષિ વિભાગ પર રહી હતી. અલનીનો હવામાનની એક એવી ઘટના છે કે દક્ષિણ અમેરિકાના પશ્વિમીતટ પર ઉઠતા ગરમ પવનોને કારણે બનતા ચોમાસાના વાદળોને અસર પહોંચે છે. આ પ્રકારની ઘટના દર ત્રણથી ૭ વર્ષ દરમિયાન ઉભી થાય છે ત્યારે દેશમાં વરસાદની અછત સર્જાય છે. અલનીનોની અસરને પગલે દેશમાં ૫૦૦ જિલ્લાઓ માટે આપાતકાલિન આયોજનો ઘડાયા છે. જો વરસાદની અછત રહેશે તો આપાતકાલિન યોજના દેશમાં લાગુ પડશે તેમ કૃષિમંત્રીએ ર્વાિષક ખરીફ સંમેલનમાં જણાવ્યું હતું. દેશમાં અલનીનોને પગલે છેલ્લા દસકામાં ૨૦૦૨, ૨૦૦૪ અને ૨૦૦૯માં વરસાદની અછત રહી છે. ૨૦૦૨માં વરસાદ સામાન્યથી ૨૨ ટકા ઓછો, ૨૦૦૪માં ૧૭ ટકા ઓછો જ્યારે ૨૦૦૯માં દેશમાં ભયંકર અછત સર્જાઇ હતી. ૨૦૦૯ના ચાર મહિનામાં જ ૨૭ ટકા વરસાદ ઓછો વરસ્યો હતો. પરિણામે ધાન્યપાકોનું ઉત્પાદન પણ ૨૧૮૧ લાખ ટન રહ્યું હતું. ૨૦૧૨માં અલનીનોને પગલે ૭ ટકા વરસાદ ઓછો પડયો હતો. દેશમાં ખેતી એ મોટાભાગે વરસાદ અધારિત છે. અલનીનોને પગલે વૈજ્ઞાાનિકોને પણ વરસાદની અછતમાં પણ ટકી રહે અને ઓછા સમયમાં ઉત્પાદન આપે તેવા બિયારણો તૈયાર કરવાની સૂચનાઓ અપાઇ છે. ભારતમાં મોસમની જાણકારી આપતી સૌથી મોટી ખાનગી એજન્સીએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આવકના સમીકરણો બદલતો વરસાદ

ભારતમાં ચોમાસું નિષ્ફળ જાય તો ચીજવસ્તુઓના વૈશ્વિક બજારમાં પણ ભૂકંપ સર્જાવાની શક્યતાઓ છે. ૨૦૦૮-૦૯માં ખાંડના નિકાસકાર ભારતે ખાંડની આયાત કરવી પડી હતી. કપાસ અને તેલીબિયાં બજારના સમીકરણો બદલાય તો ભારતે કરોડો રૃપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચીને આયાત કરવી પડે તેવી સ્થિતિ પેદા થવાની શક્યતાઓ વધી જાય. સૌથી મહત્વની બાબત એ છે કે ખેતપેદાશો પરની સબસિડી અને અન્ય કર્જ માફીની યોજનાઓ તેમજ સરકારી નીતિ મુજબ સારું ચોમાસું હોય તો યંત્ર સામગ્રીથી લઇને બિયારણો પરની ખેડૂતોને અપાતી સબસિડીમાં ઘટાડો કરી શકાય છે. ભારતના કુલ ર્વાિષક ઉત્પાદનમાં કૃષિનો ફાળો ફક્ત ૧૭થી ૨૦ ટકા છે તો ચોમાસાના સારા અને સમયસર વરસાદને આટલું મહત્વ આપવામાં આવે તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ સારા અથવા ખરાબ વરસાદની અસર ખેતી કે ખેડૂતો પર જ થતી નથી પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અર્થતંત્રના બીજા ક્ષેત્રો પર પણ થાય છે. ખાતર, બિયારણ, જંતુનાશકો, વીજળી અને ટેલીકોમ તેમજ બેન્કો પર નબળાં ચોમાસાની સીધી અસર થાય છે.

ચોમાસુ ભારત માટે કઇ રીતે મહત્વનું


ભારત એ ઉદ્યોગ પ્રધાન દેશ હોવાનું સ્ટેટસ જાળવવા મથામણ કરી રહ્યું છે. આમ છતાં પરંપરાગત રીતે હજારો વર્ષોથી ભારત કૃષિ પ્રધાન દેશ રહ્યો છે અને બીજા સૈકાઓ સુધી તેમાં કોઇ ફરક પડવાનો નથી. આજે ભારતના અર્થતંત્રને ધબકતું રાખતા ર્વાિષક રૃપિયા 2 લાખ અબજના બજારમાં કૃષિ પેદાશો એકમાત્ર 30,૦૦૦ અબજ રૃપિયાનો હિસ્સો ધરાવે છે. દેશમાં કુલ ૧૭૦૦ લાખ જમીનમાં પિયતની સુવિધા નહીંવત છે. દેશમાં ૬૦ ટકા હિસ્સો સંપૂર્ણપણે વરસાદ આધારિત છે. અર્થતંત્રની દૃષ્ટીએ જોઇએ તો ભારતનું ર્વાિષક 30,૦૦૦ અબજ રૃપિયાનું બજાર વરસાદ આધારિત છે. આયોજન પંચના રિપોર્ટ મુજબ સરેરાશ ઓછો વરસાદ થયો છે ત્યારે ભારતનું ખાદ્ય સામગ્રીનું આયાત બિલ ૧૬.૫ ટકા જેટલું વધ્યું છે. દેશમાં મોંઘવારી સરેરાશ દોઢ ટકો વધી છે. ભારતમાં ખરીફના બે મુખ્ય પાક ઘઉં અને ચોખામાંથી દક્ષિણ ભારતમાં ચોખાનો પાક વરસાદ આધારિત જ છે. ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવતા ભારતમાં ચોખાનું વાવેતર ૮૫ ટકા વરસાદ પર નિર્ભર છે. બ્રાઝિલ બાદ ભારત શેરડીના ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે. શેરડી એ લાંબાગાળાનો પાક છે. જો વરસાદ અપૂરતો રહે અને શેરડીનો પાક નિષ્ફળ જાય તો વિદેશી હૂંડિયામણ ઘટવાની સાથે દેશમાં ખાંડના ભાવમાં તોતિંગ વધારો થવાની સંભાવના છે. તેલીબિયાં પાકોનું પણ દેશમાં સૌથી વધુ વાવેતર ખરીફ સીઝન એટલે ચોમાસાની સીઝનમાં થાય છે. તેલીબિયાંના પાકોમાં હજુ ભારતે આત્મનિર્ભરતા મેળવી નથી. ફક્ત તેલીબિયાં આયાત બંધ કરાય તો વર્ષે ભારત ૮૦ કરોડ ડોલર રૃપિયા બચાવી શકે તેમ છે. આ ઉપરાંત વરસાદની અસર રવી અને ઉનાળામાં પણ પડે તેવી સંભાવના છે. આમ વરસાદ કૃષિક્ષેત્રમાં પાયાની ભૂમિકા ભજવે છે. ખેતીને ભારતમાં કન્ટ્રોલર ઓફ પ્રાઇસ પણ કહી શકાય છે. ખેતીની સીધી અસર ઔદ્યોગિક ઉત્પાદન પર થાય છે કારણ કે ઔદ્યોગિક ઉત્પાદન માટે જરૃરી લગભગ ૪૦ ટકા સામાન કૃષિક્ષેત્ર પૂરો પાડે છે. ભારતની કુલ જમીનનો ૪૦ ટકા ભાગ કૃષિ હેઠળ છે.  


ગુજરાતને અલનીનો કેવી અસર પહોંચાડી શકે?

ગુજરાતમાં ખેતીલાયક જમીનો પૈકી ૯૦ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ સીઝનમાં ખેતી થાય છે. જેમાં સૌથી મોટો આધાર એ વરસાદ છે. રાજ્યમાં માત્ર ૪૨ લાખ હેક્ટરમાં પિયતની સુવિધા છે. ૪૮ લાખ હેક્ટરમાં ખરીફ સીઝન વરસાદ આધારિત છે. અલનીનોને પગલે વરસાદની અછત સર્જાય તો ૪૮ લાખ હેક્ટરમાં થયેલી ખેતી સામે પ્રશ્નાર્થ સર્જાવાની શક્યતા વધી જાય. રાજ્યના પાટણ, કચ્છ, પંચમહાલ, દાહોદ,  સાબરકાંઠા, સહિતના જિલ્લાઓમાં મોટાભાગે વરસાદ આધારિત ખેતી થાય છે. ગુજરાતમાં વરસાદની અછતની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં મહી નદીના પાણીથી ખેડૂતો પિયતની સુવિધા ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં પણ નર્મદા અને તાપીના પાણી પિયત માટે ઉપયોગમાં લેવાય છે.  રાજ્યમાં વરસાદની અછત ૨૦૦૯ અને ૨૦૧૨માં પણ જોવા મળી હતી. 

અલનીનોની કયા દેશમાં કેવી અસર રહેશે

અલનીનોએ દુનિયાભરના મોસમ પર પોતાની અસર દેખાડી છે. અલનીનોને પગલે ક્યાંક વરસાદની અછત તો ક્યાં ધોધમાર વરસાદ વરસશે. પરિણામે ચોખા, પામ તેલ , ખાંડ, કોફી, રબર જેવા પાકો પર અસર થવાની સંભાવના છે. ભારત સહિત દક્ષિણ, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર-પૂર્વ બ્રાઝિલમાં વરસાદની અછત જ્યારે પેરું, બોલિવીયામાં ધોધમાર વરસાદ તેમજ મધ્ય પ્રશાંત ક્ષેત્રમાં ચક્રવાત અને અમેરિકાના દક્ષિણ પશ્વિમી રાજ્યોમાં તોફાન આવવાની સંભાવના છે.
ભારતઃ ભારતમાં અલનીનોને પગલે વરસાદની અછતથી ખરીફ ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી સંભાવના વધી જાય છે. વર્ષ ૨૦૦૯માં ચાર દાયકાનો સૌથી મોટો દુષ્કાળ પડયો હતો.
ચીનઃ ચીનમાં અલનીનોની કોઇ અસર પડશે નહીં, ચીનમાં શેરડી, કોફી, ચોખા અને કપાસની મોટી ખેતી થાય છે.
અમેરિકાઃ વાવેતરના સમયે હવામાન બગડવાની સંભાવનાથી ઘઉં અને મકાઇના ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે. જેને પગલે વિશ્વના એગ્રીકલ્ચર માર્કેટમાં તેજી આવવાની શક્યતા છે.
બ્રાઝિલઃ બ્રાઝિલમાં કોફીના પાક પર અસર થવાની સંભાવના છે. અલનીનોના પગલે અહીં વરસાદની અછત રહેવાની સંભાવના છે.
મલેશિયાઃ મલેશિયામાં વરસાદની અછતથી પામતેલના ઉત્પાદન પર સીધી અસર પડવાનો અંદાજ છે. રબરનું ઉત્પાદન પણ ઘટવાની સંભાવના છે.
ઇન્ડોનેશિયાઃ ઇન્ડોનેશિયામાં અલનીનોને પગલે પામના છોડ નાના હોવાથી ખાસ અસર રહેશે નહીં. અહીંયાં પામની ખેતી વધતાં ઉત્પાદન ૨૫૦ લાખ ટન થવાની સંભાવના છે. કોફીની કાપણી જૂનમાં થતી હોવાથી કોફીના ઉત્પાદન પર અસર પડવાની શક્યતા છે. રબરના ઉત્પાદનમાં પણ ઇન્ડોનેશિયામાં ઘટાડો થવાની સંભાવના રહેશે.
થાઇલેન્ડઃ ભારત માટે ચોખાની નિકાસમાં સૌથી મોટા હરિફ દેશ થાઇલેન્ડમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. રબરનું ઉત્પાદન આ દેશમાં ઘટવાની સંભાવના છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Saturday, 8 March 2014

ઉનાળુ: ઉત્પાદકતામાં સૌથી અગ્રેસર સીઝન


ઉનાળુ પાકમાં  રોગ અને જીવાતનો ઓછો ઉપદ્રવ : વધુ ઉત્પાદન અને સારા ભાવથી ખેડૂતોને  થતો ફાયદો : વાવેતરમાં  બનાસકાંઠા  જિલ્લો મોખરે 

રાજ્યમાં ઉનાળુ સીઝનના વાવેતરની શરૃઆત થઇ ગઇ છે. ઉનાળામાં ૧૨.૫૧ લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તાર વચ્ચે ૨૦૧૨-૧૩માં ૯.૪૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે પણ ૧૦ લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થવાનો કૃષિ વિભાગને અંદાજ છે. ઉનાળામાં ખેડૂતો વાવેતર કરવાનું ટાળતા હોય છે, પરંતુ પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ ઉનાળાની સીઝનમાં ચોક્કસ વાવેતર કરવું જોઇએ, કારણ કે ઉનાળાની સીઝન પાક ઉત્પાદનમાં ત્રણેય સીઝનમાં સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. ઉનાળામાં પાકમાં નહીંવત્ રોગ-જીવાતની વચ્ચે હેક્ટરદીઠ ઉત્પાદકતા દોઢી મળતી હોવાથી ખેડૂતોને સારી આવક પણ મળી રહે છે. એટલે જ ઉનાળુ સીઝનને ઓછા ખર્ચે વધુ વળતર આપતી સીઝન કહેવાય છે. આ સીઝનમાં તલ, બાજરી, અડદ, અને મગફળી જેવા પાકોનું વાવેતર કરી ખેડૂતો અન્ય સીઝનની ઓછી કમાણીની ભરપાઇ કરી શકે છે. 
રાજ્યમાં ઉનાળુ સીઝનમાં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો મોટાભાગે વાવેતર કરતા હોય છે. પરંતુ રાજ્યમાં પિયતની સુવિધા ઓછી હોવાથી ઉનાળુ વાવેતરનું પ્રમાણ ઓછું હોય છે. ખેડૂતોે આ સીઝનમાં વાવેતર કરે તો સારી આવક મેળવી શકે છે. ઉનાળુ વાવેતરમાં રાજ્યનો બનાસકાંઠા જિલ્લો મોખરે છે.


મગફળીમાં દોઢું મળતું ઉત્પાદન

રાજ્યમાં ઉનાળુ સીઝનમાં મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૧.૬૯ લાખ હેક્ટર છે. ૨૦૧૧-૧૨માં મગફળીના સારા ભાવને પગલે ખેડૂતોએ વાવેતર વિસ્તાર વધારતાં ઉત્પાદન ૨ લાખ હેક્ટરે પહોંચ્યું હતું. દેશમાં ચાલુ વર્ષે મગફળી માટે મુખ્ય સીઝન ગણાતી ખરીફ સીઝનમાં રેકોર્ડબ્રેક વાવેતર બાદ ૨૫ લાખ ટન ઉત્પાદન થવાની સંભાવના વચ્ચે ખેડૂતોને એમએસપીથી પણ નીચા મળતા ભાવથી ખેડૂતો આ વર્ષે ઉનાળુ વાવેતર ઘટાડે તેવા સંજોગો છે, પરંતુ ઉનાળુ વાવેતરના ફાયદાઓ સમજાવતાં મગફળી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. કે. એલ ડોબરિયાએ જણાવ્યું હતું કે, ઉનાળામાં ખરીફ સીઝન કરતાં ખેડૂતોને લગભગ દોઢું ઉત્પાદન મળે છે. રાજ્યમાં હેક્ટરદીઠ સરેરાશ ૧૮૦૦ કિલો ઉત્પાદન મળતું હોય છે. ઉનાળામાં રોગ-જીવાતના ઓછા ઉપદ્રવ વચ્ચે ચોમાસાની જેમ મગફળી ખરાબ થવાની સમસ્યા નડતી નથી. જે ખેડૂતો મગફળીની ખેતી કરવા ઇચ્છુક હોય તેવા ખેડૂતો ઉનાળામાં મગફળીનું વાવેતર કરી સારી આવક મેળવી શકે છે. 

બાજરીમાં ખેડૂતોને ઉત્પાદનમાં થતો ફાયદો
ઉનાળુ સીઝનમાં બાજરીના પાકનું સૌથી વધુ વાવેતર થાય છે. બાજરીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩ લાખ હેકટર છે. ૨૦૧૧-૧૨માં ૪ લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. ગત વર્ષે વરસાદની અછતથી ૨.૮૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. બાજરીનું ખેડૂતોએ સારું ઉત્પાદન મેળવવું હોય તો ઉનાળાની સીઝનમાં વાવેતર કરવું એ લાભદાયી છે. ઉનાળાની સીઝનમાં બાજરીના વાવેતરના લાભો અંગે બાજરી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. કે. ડી. મૂંગરાએ જણાવ્યું હતું કે, બાજરીનું ખરીફ સીઝન કરતાંં દોઢું ઉત્પાદન થાય છે. ચોમાસામાં રોગ-જીવાત અને વરસાદને કારણે બાજરી આડી પડી જતી હોવાની સમસ્યા સર્જાતી હોવાથી બાજરીની ગુણવત્તા ઘટવાની સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. આમ, બાજરીનું ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવું હોય તો ઉનાળુ સીઝન જ ઉત્તમ છે. 

મગ અને અડદમાં ઓછા ખર્ચે ધાર્યું ઉત્પાદન મેળવી શકાય
ઉનાળુ સીઝનમાં કઠોળ પાકોમાં મગ અને અડદની ખેડૂતો ખેતી કરતા હોય છે. જેમાં મગનું સૌથી વધુ વાવેતર થાય છે. મગ અને અડદની ખેતી ચોમાસામાં પણ થતી હોય છે, પરંતુ આ બંને પાક ઓછા વરસાદમાં તૈયાર થતા હોવાથી ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધુ રહે તો ખેડૂતોને નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. માટે જે ખેડૂતો પાસે પિયતની સુવિધા હોય તેવા ખેડૂતોએ મગ અને અડદની ખેતી કરવી જોઇએ તેમ કઠોળ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. એસ. એમ. પીઠિયાએ જણાવ્યું હતું. ઉનાળામાં રોગ-જીવાતની ઓછી સંભાવના વચ્ચે ખેડૂતો પાકનું ધાર્યું ઉત્પાદન મેળવી શકે છે. 
તલ ઓછા ખર્ચે વધુ વળતર આપતો પાક
તલની ખેતી ઉનાળામાં ધીમેધીમે વધી રહી છે. તલ એ ઓછા ખર્ચે વધુ વળતર આપતો પાક હોવાનું તલ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. રાદડિયાએ જણાવ્યું હતું. ચોમાસામાં તલના પાકને સૌથી મોટો ખતરો વરસાદનો હોય છે. પાકવાના સમયે જ વરસાદ વરસે તો ખેડૂતોને મોટું નુક્સાન ભોગવવાનો વારો આવે છે. જ્યારે ઉનાળામાં રોગ-જીવાતનું પ્રમાણ પણ ઓછુ હોવાથી ઉનાળામાં તલની ખેતી કરતા ખેડૂતને સારી આવક થાય છે. ગત વર્ષે ઓછા વાવેતરથી ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાતાં ખેડૂતોને તલના ઊંચા ભાવ મળ્યા છે પરિણામે તલની ખેતી ઉનાળામાં પણ વધે તેવી શક્યતાઓ છે. 

પાકની રાજ્યમાં સ્થિતિ
ડાંગરઃ રાજ્યમાં ઉનાળુ ડાંગરની પણ મોટાપાયે ખેડૂતો ખેતી કરે છે. ઉનાળુ ડાંગરની ખેતીમાં સમસ્યાઓની ભરમાર ઓછી હોવાથી પિયત ધરાવતા ખેડૂતો ઉનાળામાં ડાંગરની ખેતી કરે છે. રાજ્યમાં ઉનાળુ ડાંગરનું સરેરાશ ૬૫ હજા૨ હેક્ટરમાં વાવેતર થાય છે. ગત વર્ષે માત્ર ૩૦ હજાર હેક્ટરમાં ઉનાળુ ડાંગરનું વાવેતર થયું હતું. જેમાં નવસારી જિલ્લામાં ૧૧,૨૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ ઉપરાંત સુરતમાં ૫ હજાર હેક્ટર અને અમદાવાદમાં ૪૭૦૦ હેક્ટર જ્યારે ખેડામાં ૪૨૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું
બાજરીઃ બાજરીનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બાજરીનું સરેરાશ વાવેતર મધ્ય અને ઉત્તર ગુજરાતના ખેડૂતો કરે છે. બાજરીના વાવેતર માટે ખરીફ અને ઉનાળુ સીઝન એ મુખ્ય છે. ખરીફમાં વરસાદની સમસ્યા નડતી હોવાથી મોટાભાગના ખેડૂતો ઉનાળામાં બાજરીની ખેતી સૌથી વધુ પસંદ કરતા હોય છે. ૨૦૧૨-૧૩માં બાજરીનું ૨.૮૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે પણ વાવેતર સરેરાશ રહે તેવી શક્યતાઓ છે.
મગઃ કઠોળ પાકોમાં મગનું ઉનાળામાં સૌથી વધુ વાવેતર થાય છે. મગનું ૩૨,૮૦૦ હેક્ટરમાં વાવેતર થાય છે. મગની ખેતી ગત વર્ષે પાટણ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લામાં થઈ હતી. સૌથી વધુ મગ સાબરકાંઠા જિલ્લામાં વાવેતર કરાય છે. ત્યારબાદ તાપી, સુરત અને બનાસકાંઠા જિલ્લામાં વધુ ખેતી થાય છે.
મગફળીઃ રાજ્યમાં મગફળીના ખેડૂતો માથે તો પનોતી બેઠી હોય તેમ ઓલટાઇમ ઊંચા ઉત્પાદન છતાં ભાવ ન મળતાં ખેડૂતોને મગફળીની ખેતી માથે પડી રહી છે. મગફળીના નીચા ભાવની અસર ઉનાળુ સીઝનના વાવેતરમાં થવાની શક્યતા છે. મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૧.૬૯ લાખ હેક્ટર છે. ગત વર્ષે પણ વરસાદની અછતથી ૭૫ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું જેમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે.
શાકભાજીઃ રાજ્યમાં ઉનાળાની સીઝનમાં શાકભાજીનું પોણા બે લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ગત વર્ષે ખેડૂતોએ અન્ય પાકને બદલે રોકડિયા પાક ગણાતા શાકભાજીની ખેતી વધારતાં વાવેતર ઊંચકાઇને ૨.૪૨ લાખ હેક્ટરે પહોંચ્યું હતું. શાકભાજીના સારા મળતા ભાવને પગલે ખેડૂતો શાકભાજીની ખેતી વધારી રહ્યા છે.
ઘાસચારોઃ ઉનાળામાં સૌથી મોટી મુશ્કેલી પશુપાલકોને પશુઓને જિવાડવાની અને તેમને આહાર પૂરો પાડવાની હોય છે. માટે ઉનાળામાં પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો ઘાસચારાની ખેતી કરે છે જેમાં જુવારની ખેતી એ મુખ્ય હોય છે. ઉનાળામાં ઘાસચારાને અભાવે પશુઓની હિજરત કરવી પડે તેવી સ્થિતિ પેદા ન થાય તે માટે પશુપાલકો ઉનાળામાં ખાસ કરીને ઘાસચારાની ખેતી કરે છે. ઉનાળામાં ઘાસચારાનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩.૨૫ લાખ હેક્ટર છે. ૨૦૧૨-૧૩માં વરસાદની અછતથી ઘાસચારાના વાવેતરમાં ઘટાડો નોંધાયો હતો અને વાવેતર ૨.૫૦ લાખ હેક્ટર થયું હતું.


                                    ઉનાળામાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં વધારો

પાક                        ખરીફ સીઝન                                    ઉનાળુ સીઝન
            વાવેતર           ઉત્પાદન          ઉત્પાદકતા   વાવેતર         ઉત્પાદન      ઉત્પાદકતા
ચોખા     ૭,૯૯,૦૦૦         ૧૬,૭૪,૦૦૦      ૨,૦૯૫        ૮૦,૦૦૦        ૨,૪૨,૦૦૦    ૩૦૩૩
બાજરી   ૩,૪૪,૦૦૦         ૪,૭૪,૦૦૦        ૧,૩૭૯         ૩,૮૩,૦૦૦    ૯,૪૨,૦૦૦    ૨૪૫૯
મકાઇ     ૩,૪૭,૦૦૦         ૫,૮૩,૦૦૦        ૧,૬૮૦         ૩૩,૦૦૦       ૬૬,૦૦૦        ૨૦૦૦
મગ        ૧,૨૮,૦૦૦         ૬૫,૦૦૦           ૫૧૦            ૭૧,૦૦૦        ૩૯,૦૦૦        ૫૪૯
તલ        ૧,૧૮,૦૦૦         ૫૫,૦૦૦           ૪૬૫            ૭૫,૦૦૦        ૩૮,૦૦૦        ૫૦૭
નોંધઃ આંક ૨૦૧૩-૧૪ના વર્ષમાં થયેલા ઉત્પાદનને આધારે, વાવેતર હેક્ટરમાં, ઉત્પાદન ટનમાં અને ઉત્પાદકતા કિલોમાં છે.

રાજ્યમાં ઉનાળુ સીઝનમાં થતું વાવેતર
પાક          સરેરાશ      ૨૦૧૧-૧૨       ૨૦૧૨-૧૩
ડાંગર      ૬૫,૦૦૦            ૭૮,૯૦૦            ૩૦,૯૦૦
બાજરી   ૩,૨૫,૬૦૦         ૪,૦૬,૬૦૦         ૨,૮૪,૮૦૦
મકાઇ     ૨૧,૪૦૦            ૨૨,૮૦૦            ૧૨,૨૦૦
મગ        ૫૨,૨૦૦            ૬૫,૫૦૦            ૩૨,૮૦૦
અડદ      ૫,૧૦૦              ૭,૦૦૦               ૩૦૦
મગફળી  ૧,૬૯,૮૦૦         ૨,૦૮,૧૦૦         ૭૫,૩૦૦
તલ        ૫૭,૯૦૦            ૬૫,૮૦૦            ૭,૩૦૦
ડુંગળી     ૮,૯૦૦               ૯,૨૦૦                 ૨,૧૦૦
શાકભાજી ૧,૭૮,૭૦૦         ૨,૧૩,૦૦૦         ૨,૪૨,૨૦૦
ઘાસચારો ૩,૨૫,૮૦૦         ૪,૨૩,૯૦૦         ૨,૫૦,૫૦૦
અન્ય      ૪૧,૨૦૦            ૪૧,૨૦૦            ૫,૪૦૦
કુલ        ૧૨,૫૧,૫૦૦      ૧૫,૪૨,૦૦૦      ૯,૪૩,૮૦૦
નોંધઃ વાવેતર હેક્ટરમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..