Tuesday, 6 October 2015

સફેદ સોનાની ચમક ઓસરી : ખેડૂતોને 'ટેકા'નો સહારો



વરસાદના અભાવે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, હરિયાણા અને પંજાબમાં રૃનું ઉત્પાદન ઘટયું : ઊંચા સ્ટોક અને ઓછી નિકાસ માંગથી ખેડૂતોને ભાવમાં ભાંજગડ : સરકારની નિકાસ માટેની યોગ્ય પોલિસીના અભાવે ખેડૂતોને નુક્સાન : નવી સિઝન શરૃ થતાં જ ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો : રાજ્યમાં રવી સિઝનના કુલ ૩૦થી ૩૨ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે ખરીફમાં એક માત્ર કપાસનું વાવેતર ૨૮ લાખ હેક્ટર

વિશ્વમાં રૃના ઉત્પાદનમાં ચીનને પછાડી ભારતને નંબર વન બનાવવામાં સિંહફાળો આપનાર ગુજરાતના ખેડૂતોને નિકાસ માટેની યોગ્ય પોલિસીના અભાવે ઉત્તમ ક્વોલિટીના રૃનું ઉત્પાદન કરવા છતાં છેલ્લા બે વર્ષથી ટેકાની સમકક્ષ ભાવ મળી રહ્યા છે. ગુજરાતમાં સફેદ સોનું ગણાતા રૃની ચમક હવે ઓસરી રહી છે. કપાસની ખેતી ગુજરાત માટે એટલે મહત્વની છે કે કપાસના પાક સાથે ગુજરાતના લાખો ખેડૂતોનું ભાવિ જોડાયેલું છે. ગુજરાતમાં કપાસની થતી ૨૮ લાખ હેક્ટર ખેતી સામે રવી સિઝનનું કુલ વાવેતર ૩૦થી ૩૨ લાખ હેક્ટરની આસપાસ થાય છે. ઉનાળાની સમગ્ર સિઝનમાં તો માંડ ૧૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. આમ રાજ્યની રવી સિઝન અને કપાસની ખેતી એ લગભગ લગોલગ છે. આ વર્ષે રાજ્યમાં રૃની આવક શરૃ થતાં જ એક મહિનામાં ભાવ ધડામ દઇને ૧૦ ટકા નીચે ઊતરી ગયા છે. રૃનું ૨૦ ટકા ઓછંુ ઉત્પાદન થવાની સંભાવના છતાં ભારતમાં રૃના ભાવમાં વધારો એ ચીન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને વિયેતનામની આયાત પર નિર્ભર રહેશે. વિશ્વમાં રૃના ૨૪૬ લાખ ટન વપરાશ સામે ઉત્પાદન ૨૩૬ લાખ ટન થવા છતાં ઊંચા એન્ડિંગ સ્ટોકથી હાલમાં ભાવ વધે તેવી સંભાવના ઓછી છે. પંજાબ, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રની આવક શરૃ થતાં ભાવ વધુ ઘટે તેવા સંજોગો વચ્ચે કપાસની મંદીમાં ધીરજ રાખનાર જ તરી શકશે, કારણ કે પંજાબ અને હરિયાણામાં સફેદ માખીનો ઉપદ્રવ તેમજ આંધ્ર પ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રમાં વરસાદના અભાવે ઉત્પાદનમાં ઘટાડાનું ચિત્ર અંતિમ તબક્કામાં ક્લિયર થઇ શકશે. આ વર્ષે નિકાસ વધે તો ખેડૂતોને ફાયદો થવાની સંભાવના છે. સીસીઆઇ હવે ૧૦મી ઓક્ટોબર આસપાસ રૃની ખરીદી શરૃ કરે છતાં પણ સીસીઆઇ પાસે ૧૨થી ૧૫ લાખ ગાંસડી જૂનો સ્ટોક રહેવાની શક્યતા છે. ગત વર્ષે કપાસના ખેડૂતોએ ભાવના મામલે હોબાળા, રેલીઓ અને આત્મહત્યા સુધીનાં પગલાં ભરતાં સરકારે રૃ.૧૧૦૦ કરોડ રૃપિયાનું રાજ્યના તમામ ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું હતું.


દેશમાં ૧૧૫ લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થતા કપાસના પાકમાં ગુજરાતનો દબદબો છે. વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છતાં હેક્ટરદીઠ વધુ ઉત્પાદકતાને પગલે ગુજરાત એ રૃના ઉત્પાદનમાં પ્રથમક્રમ ધરાવે છે. ગુજરાતમાં નવી સિઝનમાં પણ ૮૫થી ૯૦ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થવાનો અંદાજ મૂકાયો છે. ગુજરાતમાં રૃના ઊંચી ક્વોલિટીના ઉત્પાદનથી નિકાસમાં પણ ભારે માગ હોવાથી ગુજરાતના રૃનો નિકાસ માર્કેટ પર પણ દબદબો છે. આ વર્ષે ઓછા વરસાદ છતાં વાવેતરનો આંક ૨૭.૭૫ લાખ હેક્ટરે પહોંચ્યો છે. દેશમાં પંજાબ અને હરિયાણામાં સફેદ માખીના ઉપદ્રવથી સરેરાશ ૨૦ ટકા ઉત્પાદન ઘટવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં ગત વર્ષની તુલનાએ વરસાદના અભાવે પાંચ ટકા ઉત્પાદન ઘટીને ૭૫ લાખ ગાંસડી રહેવાની સંભાવના છે. પંજાબમાં ૧૦ લાખ ગાંસડી, હરિયાણામાં ૧૮ લાખ ગાંસડી અને તેલંગણામાં ૫૦ લાખ ગાંસડી રૃના ઉત્પાદનનો અંદાજ છે. આ વર્ષે કપાસની નવી સિઝનની શરૃઆતમાં જ ઓછા ઉત્પાદનના અંદાજ વચ્ચે પણ રૃના ભાવમાં ઘટાડો થવાની શરૃઆત થઇ ગઇ છે. વિશ્વ માર્કેટમાં મંદી અને રૃની નિકાસ વધવાની ઓછી સંભાવના વચ્ચે હાલથી જ મંદીનો માહોલ છવાયેલો છે. ખેડૂતો  મૂંઝવણમાં મૂકાઇ જતાં સરકાર પણ કઠોળ, ડુંગળી અને તેલીબિયાં પાકોની જેમ કપાસના ભાવ જળવાઇ રહે તે પ્રકારનાં પગલાં ભરે એ જરૃરી છે. કપાસનું જીડીપીમાં ૪ ટકા યોગદાન રહેવાની સાથે ૯ રાજ્યોમાં મોટાપાયે ખેતી થાય છે.

સપ્ટેમ્બરમાં સમાપ્ત થતા કપાસ વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન ઓગસ્ટના અંત સુધી દેશમાંથી કપાસની નિકાસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સીસીઆઇના અંદાજ અનુસાર ચીનથી માંગ ઘટવાને પગલે દેશમાંથી ફક્ત બાવન લાખ ગાંસડી રૃની નિકાસ થઇ શકી છે જે ગયા વર્ષે ૧૧૧ લાખ ગાંસડી હતી. યુએસડીએના રિપોર્ટ અનુસાર ૨૦૧૫-૧૬માં ચીનની કપાસ આયાત ૫૯ ટકા ઘટીને ૧૨.૫ લાખ ટન રહી શકે છે. ગત વર્ષે ૩૦.૭ લાખ ટન કપાસ ચીને આયાત કર્યો હતો. ચીન દુનિયાનો સૌથી મોટો રૃનો વપરાશકાર દેશ છે. આ વર્ષે પણ ભારતમાંથી રૃની નિકાસ ૫૫થી ૬૦ લાખ ગાંસડી થવાની સંભાવના છે. તાજેતરમાં પડેલા વરસાદને પગલે કપાસના પાકને ફાયદો થવા છતાં સીસીઆઇએ રૃના ઉત્પાદનનો અંદાજ ૩૫૦ લાખ ગાંસડી મૂક્યો છે. સીસીઆઇ આ વર્ષે રૃની ખરીદી ઘટાડે તેવા સંજોગો છે કારણ કે ઓછા ઉત્પાદન વચ્ચે બાંગ્લાદેશ અને વિયેતનામ ખાતે ભારતીય રૃની નિકાસ વધે તેવા સંજોગો છે.


 વિશ્વમાં ૨૦૧૫-૧૬માં કપાસનો વપરાશ ૨ ટકા વધવાની સંભાવના છે. સૌથી વધુ કપાસનો વપરાશ ચીનમાં થાય છે. ચીનમાં આ વર્ષે ૭૪ લાખ ટન રૃનો વપરાશ રહે તેવી સંભાવના છે. ભારતમાં કપાસનો વપરાશ ૫૫ લાખ ટન અને પાકિસ્તાનમાં ૨૪ લાખ ટન વપરાશ રહેશે. બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં પણ રૃનો વપરાશ વધે તેવી સંભાવના છે. આ ઉપરાંત તુર્કીમાં ૧૪ લાખ ટન, બાંગ્લાદેશમાં ૧૩ લાખ ટન વિયેતનામમાં ૧૦ લાખ ટન અને અમેરિકામાં ૮૦ હજાર ટન વપરાશ રહે તેવી સંભાવના છે. વિશ્વમાં રૃનો કુલ વપરાશ ૨૩૬ લાખ ટન ઉત્પાદનની સામે ૨૪૬ લાખ ટન રહેશે.


 દેશમાં રૃનું ગયા વર્ષ કરતાં ઓછું ઉત્પાદન છતાં પણ હાલમાં નવા કપાસની આવકોને પગલે રૃના ભાવમાં દબાણ હેઠળ અને બજારમાં નાણાભીડ હોવાથી ભાવ ઊંચકાય તેવી શક્યતા હાલમાં નહિવત્ છે.  સીસીઆઇની પાસે પણ ૧૨થી ૧૫ લાખ ગાંસડી રૃનો જથ્થો કેરી ફોરવર્ડ થાય તેવી શક્યતા છે. નવા રૃની આવક શરૃ થઇ જતાં અને સીસીઆઇના જૂના રૃની ખરીદી ઓછી થતાં સિઝનની અંત સુધી સ્ટોક વધે તેવી સ્થિતિ પેદા થઇ છે. કાપડ અને ગારમેન્ટની ડિમાન્ડ ઘટતાં હાલમાં રૃના ભાવમાં મંદી ચાલુ છે. ચીન પાસે દોઢ વર્ષ ચાલે તેટલો રૃનો જથ્થો પડયો છે અને આ જથ્થો વેચાતો ન હોવાના સંજોગોમાં ચીને રૃની આયાત ઘટાડી નાખી છે. નવા રૃની સિઝન શરૃ થતાં હવે કોઇને પણ જુનું રૃ ખરીદવું નથી જેથી ખરીદદારો ઘટી રહ્યા છે.

દુષ્કાળ તરફ ધકેલાતો દેશ : મોંઘવારી ભડકે બળશે


૮૨ ટકા જ વરસાદ રહેવાનો હવામાન વિભાગનો નવો અંદાજ : દેશના ૧૧૫ વર્ષના ઇતિહાસમાં ચોથી વાર સતત બીજા વર્ષે દુષ્કાળની અસર : કોમોડિટીના ભાવમાં ૩૫ ટકાનો ઉછાળો : જળાશયોમાં ૧૦ વર્ષની સરેરાશ કરતાં ઓછો ૯૧.૮૪ બીસીએમ પાણીનો જીવંત જથ્થો : ૧૭ સબડિવીઝનમાં ઓછા વરસાદથી સરેરાશ ૧૪ ટકા ઓછો વરસાદ નોંધાયો : દેશના ૬૧૪ જિલ્લામાંથી ૨૪૪માં વરસાદની અછત અને ૨૬ જિલ્લામાં નહિવત વરસાદ : કર્ણાટક અને મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વિકટ : ગુજરાતમાં ઓગસ્ટમાં માત્ર ૫ ટકા વરસાદ : ધાન્ય, કઠોળ, શેરડી અને કપાસના પાકને સૌથી વધુ અસર પડશે



વરસાદના ક્યાંક ક્યાંક વરસી રહેલા ઝાપટાના સમાચારો ખેડૂતો માટે આશાનું કિરણ જગાવી રહ્યા છે પણ દેશ સતત બીજા વર્ષે દુષ્કાળની તરફ ધકેલાઇ રહ્યો છે એ કડવી વાસ્તવિકતા છે. જૂન, જુલાઇમાં ૧૭ ટકા વધુ વરસાદથી એક તબક્કે અલનીનોની અસર રહેવાનું હવામાન વિભાગનું અનુમાન ખોટું ઠરવાની ઉઠેલી આશા હવે ઠગારી નિવડી છે. જુલાઇમાં દેશમાં ૧૭ ટકા અને ઓગસ્ટમાં ૨૨ ટકા ઓછા વરસાદથી ૬ સપ્ટેમ્બર સુધી દેશમાં ૧૪ ટકા ઓછો વરસાદ વરસ્યો છે. હવે હવામાન વિભાગે દેશમાં ૮૨ ટકા વરસાદ એટલે કે ૧૮ ટકા ઘટ રહેવાની સંભાવના દર્સાવી છે. દેશમાં માત્ર પશ્વિમ બંગાળ અને રાજસ્થાનમાં જ સરેરાશ વરસાદ સારો રહ્યો છે. આસામમાં પૂરથી ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે તો મહારાષ્ટ્રના મરાઠાવાડમાં ખેડૂતો વરસાદની એક એક બૂંદ માટે વલખાં મારી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્રના મરાઠાવાડમાં સૌથી વધુ ૫૨ ટકા વરસાદની ઘટ છે. દેશના ૧૧૫ વર્ષના ઇતિહાસમાં સતત ચોથી વાર એવું બની રહ્યું છે કે, દેશમાં સતત બીજા વર્ષે વરસાદની ઘટ રહી હોય. ૧૯૦૪ અને ૧૯૦૫માં સતત બે વર્ષ વરસાદની ઘટ રહ્યા પછી હવે ૨૦૧૪-૧૫માં સતત બે વર્ષ દુષ્કાળ પડે તેવી સ્થિતિ છે. ૧૧૫ વર્ષમાં સૌથી ઓછો વરસાદ ૨૦૧૫માં ૬૫૦ મિમી. રહ્યો છે, જે સામાન્યની તુલનામાં ૧૪ ટકા ઓછો છે. ગત વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ૭૮૧ મિમી. વરસાદ થયો હતો. દેશમાં સૌથી વધુ વરસાદની ઘટ ૧૯૮૪માં ૧૯ ટકાની અને ૧૯૬૫માં ૧૮ ટકાની રહી છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાથી દેશમાંથી મોન્સૂન પરત ફરવાનું શરૃ થઇ જાય છે. હાલમાં મોન્સૂન રાજસ્થાનના પશ્વિમ ભાગથી પરત ફરી રહ્યું છે. ગુજરાતમાં પણ ૧૫ સપ્ટેમ્બર બાદ મોન્સૂન વિદાય લેશે. દેશમાં ઓછા વરસાદની સૌથી વધુ અસર કૃષિક્ષેત્રને પડી રહી છે. દેશમાં ૧૦.૦૮ લાખ કરોડનું વરસાદ આધારિત બજાર છે. ૧,૪૧૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી ૭૬૦ લાખ હેક્ટર વાવેતર એ વરસાદ ભરોસે જ કરાતું હોય છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની પાકને તાતિ જરૃરિયાત હોય છે. દેશમાં ૯૫ ટકા વાવેતર પૂર્ણ થઇ ગયું છે. વરસાદની અછત છતાં કઠોળના વાવેતર વિસ્તારમાં ૧૧ ટકાનો વધારો નોંધાયો છે. ૪ સપ્ટેમ્બર સુધીમાં વાવેતરનો આંક દેશમાં ૯૭૯ લાખ હેક્ટરે પહોંચ્યો છે. જેમાં ધાન્યપાકોનો વાવેતર આંક ૩૫૭ લાખ હેક્ટર અને તેલિબીયાં પાકોનો વાવેતર વિસ્તાર ૧૭૩ લાખ હેક્ટરે પહોંચ્યો છે. કપાસનું પણ ૧૧૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ૨૦૧૪-૧૫માં વરસાદની ૧૨ ટકા ઘટ રહેતાં અનાજના ઉત્પાદનમાં ૪.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આઇએઆરઆઇના અંદાજ અનુસાર તો સપ્ટેમ્બરમાં વરસાદની અછત રહી તો ખરીફ ઉત્પાદનમાં ઘટાડો ગત વર્ષની તુલનાએ પણ વધુ રહેશે. ૨૦૧૪-૧૫માં ૨,૫૨૬ લાખ ટન ધાન્ય પાકોનું ઉત્પાદન રહ્યું હતું. આમ સતત બીજા વર્ષે ધાન્ય પાકોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. જેથી હવે સપ્ટેમ્બરના વરસાદ પર તમામની નજર છે. હવામાન વિભાગના અંદાજ અનુસાર સપ્ટેમ્બરમાં અલનીનોનો પ્રભાવ વધુ જોવા મળી શકે છે. જેની સીધી અસર કૃષિના વિકાસ દર પર પડી શકે છે. સૌથી વધુ વરસાદની અછતની અસર દેશમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં છે. આ રાજ્યોમાં શેરડી અને કપાસનું વાવેતર થાય છે. 


વરસાદની ઘટની સૌથી વધુ અસર શેરડી, કપાસ અને કઠોળના પાકને થઇ શકે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ખરીફ ઉત્પાદન ઘટી શકે છે. ધાન્યપાકોના ઉત્પાદનના ગઢ ગણાતા હરિયાણામાં ૩૬ ટકા અને પંજાબમાં ૩૭ ટકા વરસાદની ઘટ છે. દેશના ૩૬માંથી ૧૭ સબડિવીઝનમાં વરસાદની માત્ર સામાન્ય અને ૧૭ સબડિવીઝનમાં વરસાદની અછત છે. માત્ર ૨ સબડિવીઝનમાં વરસાદ વધુ માત્રામાં વરસ્યો છે. દેશમાં હાલમાં ૨૦૦૯ જેવી સ્થિતિ ઉભી થવા જઇ રહી છે. વરસાદની અછતથી એગ્રી કોમોડિટીમાં નીચા ભાવથી મંદી અટકી ગઇ છે. ઘણી કોમોડિટીમાં બોટમ ભાવથી ૩૦થી ૩૫ ટકાનો ઉછાળો આવ્યો છે. ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવના ઓછી છે. કઠોળમાં ચણાના ભાવમાં એક મહિનામાં ૧૭ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. કઠોળની જંગી આયાત છતાં ડિસેમ્બર સુધી ભાવમાં ઘટાડો થવાની સંભાવના ઓછી છે. વરસાદની ખેંચથી ખરીફમાં ઉત્પાદન ઘટવાની સંભાવના અને રવી સિઝનમાં પણ કઠોળનું ચિત્ર ધૂંધળું દેખાતાં હાલમાં કઠોળના ભાવોમાં તેજી જોવા મળી રહી છે. દેશના ૬૧૪ જિલ્લાઓ પૈકી ૨૪૪ જિલ્લાઓમાં વરસાદની ઘટ અને ૨૬ જિલ્લામાં નહિવત વરસાદ છે. દેશના ૯૧ જળાશયોમાં ૧૫૭.૮૦ બીસીએમ પાણીના જીવંત જથ્થાનો સંગ્રહ થતો હોય છે. ૨૭ ઓગસ્ટ સુધીમાં આ જળાશયોમાં પાણીની માત્રા ૯૧.૮૪ બીસીએમ છે. જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૦૫.૧૧ બીસીએમ હતી. જળાશયોની છેલ્લા ૧૦ વર્ષની સરેરાશ પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા ૧૦૪.૭૨ બીસીએમ છે. 
 હવે સપ્ટેમ્બરના અંતમાં વરસાદ ન પડયો તો આ જળાશયોનું પાણી જ પીવામાં અને સિંચાઇમાં લેવાતું હોવાથી ખેડૂતોની સ્થિતિ વધુ કથળે તેવી સંભાવના છે. ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદની ઘટ હવે વધી રહી છે. ૭મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ૬૬ ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદની ઘટ વડોદરા જિલ્લામાં છે. વડોદરામાં માત્ર ૩૨ ટકા વરસાદ વરસ્યો છે. ખેડા, આણંદ, દેવભૂમી દ્વારકા, પોરબંદર, નર્મદા અને ડાંગ જિલ્લામાં ૫૦ ટકાથી પણ ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદથી ઘટ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં છે. જ્યાં માત્ર ૪૯.૮૦ ટકા વરસાદ થયો છે. જુલાઇના અંત સુધી ૬૧ ટકા વરસાદનો આંક ઓગસ્ટના અંત સુધી ૬૬ ટકાએ પહોંચ્યો છે. આમ ઓગસ્ટમાં ગુજરાતમાં માત્ર ૫ ટકા વરસાદ પડયો છે. સપ્ટેમ્બરમાં ઘટ હવે વધી રહી છે. ગુજરાતમાં કપાસ, મગફળી અને કઠોળ પાકની સ્થિતિ હવે કથળી રહી છે. એક સપ્તાહ સુધી વરસાદ નહીં થાય તો ખરીફ ખેતીમાં સમસ્યા સર્જાવાની શક્યતા છે. ખેડૂતો હવે તો હાથિયો વરસવાની પણ રાહ જોઇ રહ્યા છે. દેશમાં ૫૭ ટકા લોકો આડકતરી રીતે કૃષિક્ષેત્ર પર નિર્ભર હોવાથી વરસાદની ઘટની અસર કૃષિક્ષેત્રની સાથે સંકળાયેલા બિયારણ, ખાતર, સિંચાઇ અને ખેતઓજાર સહિત ઓટોમોબાઇલ, સોનાચાંદી, રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોને પણ અસર પહોંચાડી શકે છે. હવામાન વિભાગના અંદાજ અનુસાર ૯૦ ટકાથી ઓછો વરસાદ એ દુષ્કાળના લક્ષણો છે જ્યારે હાલમાં વરસાદની ઘટ ૧૪ ટકાથી પણ વધારે છે. એટલે એ કહેવું યોગ્ય ગણાશે કે દેશ દુષ્કાળ તરફ ધકેલાઇ રહ્યો છે.

Saturday, 3 October 2015

સસ્તી ખાંડ ખેડૂતોની મુશ્કેલીઓ વધારશે



નવી સીઝનમાં શેરડીના ખેડૂતોને ઊંચા ભાવ મળે તેવી શક્યતા નહિવત્  : ૨૦૧૪-૧૫માં ૨૮૩ લાખ ટન ખાંડનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થતાં ખાંડનો સ્ટોક નવી સીઝનમાં ૧૦૨ લાખ ટન થયો : વાવેતર ૪૮ લાખ હેક્ટરે પહોંચ્યું : નવી સીઝનમાં પણ ખાંડનું ઉત્પાદન વધે તેવી સંભાવના : દેશના સ્થાનિક ૨૪૦ લાખ ટન વપરાશ સામે ખાંડનો વધારો ખાંડના ભાવ ઘટાડશે


વર્ષભર ખાંડ સસ્તી મળશેના સમાચાર જ મોંઢામાં ગળપણ લાવી દે માટે પૂરતા છે. આ સમાચાર ગૃહિણીઓ માટે ખુશખબર તો ખેડૂતો માટે નવી સીઝન પણ મુશ્કેલીભરી રહેવાના એંધાણ છે. હવે ખાંડના ભાવ વધે તેવા કોઇ સંજોગો નથી . દેશમાં પાંચ કરોડ ખેડૂતો જેના પર નિર્ભર છે એવો શેરડીનો વ્યવસાય ખેડૂતો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે. દેશભરમાં ખાંડમીલો પાસે ખેડૂતોને રૃ.૧૪ હજાર કરોડનું લેણું બાકી છે. છેલ્લા પાંચ વર્ષથી સતત ખાંડનું ઉત્પાદન વધતું રહેતાં સ્થિતિ એવી સર્જાઇ છે કે ૨૦૧૫-૧૬માં નવી સીઝનમાં ખાંડનો ૧૦૨ લાખ ટન સ્ટોક રહેશે. દેશભરમાં ૨૧ ઓગસ્ટ સુધીમાં ૪૮.૮૪ લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું છે જે ગયા વર્ષે ૪૭.૧૭ લાખ હેક્ટરમાં હતું. આમ શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. સામે ૨૦૧૪-૧૫ની નવી સીઝનમાં ઇન્ડિયન સુગર મીલ એસો.ના અનુમાન અનુસાર દેશભરમાં જૂનના અંત સુધીમાં ૨૮૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે અને હજુ ૨.૫ લાખ લાખ ટન નવું ઉત્પાદન થશે. આમ ઉત્પાદનનો આંક ૨૮૩ લાખ ટનને આંબી જશે, જે ૨૦૦૭-૦૮ના રેકોર્ડબ્રેક ઉત્પાદનની સમકક્ષ પહોંચશે. શેરડીની નવી સીઝન ઓકટોબરથી શરૃ થશે. જેમાં ૨૦૧૫-૧૬માં ૧૦૨ લાખ ટન ખાંડનો સ્ટોક દેશની જરૃરિયાતથી ૪૦થી ૪૫ લાખ ટન વધારે છે. નવી સીઝનની શરૃઆતમાં ખાંડનો સ્ટોક અને શેરડીનું વાવેતર વધતાં નવી સીઝનમાં પણ ખાંડનું ઉત્પાદન વધે તેવા પૂરા સંજોગો છે. પરિણામે આગામી સીઝનમાં પણ ખાંડના ભાવ સરેરાશ જળવાઇ રહે તેવી પૂરી સંભાવના છે. 


સરકાર ખાંડનો સ્ટોક ઓછો કરવા માટે તેલીબિયાં અને કઠોળની આયાત સામે ખાંડની નિકાસ કરવાના પ્રયત્નો પણ કરી છે. જેનાથી ખાંડ ઉદ્યોગને ફાયદો થવાની સંભાવના છતાં આ યોજનાનો તાત્કાલિક અમલ શરૃ થાય તે પણ શક્ય નથી.કેન્દ્ર સરકારે હવે પછીની શેરડીની સીઝનમાં પેટ્રોલમાં ૧૦ ટકા ઇથેનોલ ઉમેરવાની યોજના બનાવી રહી છે. હાલમાં પેટ્રોલમાં માત્ર ૨થી ૩ ટકા ઇથેનોલ તેલ કંપનીઓ ઉમેરી રહી છે. ૧૦ ટકા ઇથેનોલ ઉમેરાય તો લગભગ ૨૩૦ કરોડ લિટર ઇથેનોલની માંગ ઉભી થઇ શકે છે. જે માટે ૧૫ લાખ ટનથી વધુ ખાંડની જરૃરિયાત ઉભી થઇ શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો, ઉત્પાદક દેશોમાં ખાંડનો સ્ટોક અને જૈવિક ઇંધણની પણ માંગ ઘટતાં ખાંડનો વપરાશ ઘટી રહ્યો છે. ગુજરાતમાં શેરડીનું વાવેતર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થાય છે. રાજ્યમાં શેરડીના વ્યવસાય સાથે ૪.૫ લાખ ખેડૂતો જોડાયેલા છે. રાજ્યમાં સહકારી ધોરણે સુગરક્ષેત્રનો વિકાસ થયો છે. રાજ્યની ૨૧ સુગરો દ્વારા શેરડીના ખેડૂતોના વિકાસ સાથે સારા ભાવ અપાવવાના પ્રયત્નો કરાતા હોય છે. જોકે, આ વર્ષે શેરડીના નીચા ભાવથી ખેડૂતોમાં અસંતોષની લાગણી પેદા થઇ હતી. હાલમાં ખાંડની સ્થિતિ જોતાં નવી સીઝનમાં પણ ગુજરાતના શેરડીના ખેડૂતોને શેરડીના ઉંચા ભાવ મળે તેવા સંજોગો ઘણા ઓછા છે. તહેવારોની માંગને પગલે હાલમાં પ્રતિક્વિન્ટલ ભાવ રૃ.૨૨૦૦થી ૨૩૦૦ ઊંચકાયા છે, પણ આ સ્થિતિમાં ફેરફાર નહીં થાય તો આ ભાવ લાંબો સમય જળવાય તેવા કોઇ સંજોગો નથી. ગત વર્ષે સરકારે ૧૪ લાખ ટન રો સુગર ખાંડ પર સબસીડીની યોજના જાહેર કરી હતી. જે સબસીડીની માંગ સુગર મીલોએ સપ્ટેમ્બરમાં કરવા છતાં સરકારે માર્ચમાં મંજૂરી આપતાં આ સબસીડી યોજના હેઠળ ૫૦ ટકા ખાંડની પણ નિકાસ થઇ શકી નથી કારણ કે આ પૂર્વે જ થાઇલેન્ડ અને બ્રાઝિલે ૫૫ ડોલર સબસિડી જાહેર કરી નીચા ભાવે વિશ્વ બજારમાં ખાંડનું વેચાણ કરી દીધું હતું. આ વર્ષે પણ સરકાર નિકાસ વધે તે માટે પ્રયત્નો કરી રહી છે પણ ૨૫ લાખ ટન ખાંડની નિકાસ શક્ય બની શકી છે. દેશમાં લગભગ ૪૦ લાખ હેક્ટર જમીનમાં શેરડીની વાવણી થાય છે અને શેરડી ઉદ્યોગથી લગભગ ૨૦ લાખ મજૂરોને રોજગારી મળે છે. પ્રતિ હેક્ટરે ૭૦ ટન શેરડીનું ઉત્પાદન થાય છે. પાછલા પાંચ વર્ષોમાં ભારત પોતાના વપરાશ કરતા વધારે ખાંડનું ઉત્પાદન કરી રહ્યો છે. માત્ર વર્ષ ૨૦૦૮-૦૯માં ખાંડનું ઉત્પાદન ઓછું રહેતા ૪૩ લાખ ટન આયાત કરવી પડી હતી. વર્ષ ૨૦૧૩-૧૪માં દેશમાં ૨૫૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન રહ્યું હતું. જ્યારે કે સ્થાનિક માંગ ૨૪૦ લાખ ટનથી પણ વધારે રહી હતી.


દેશમાં બે તૃત્યાંશ ખાંડનું ઉત્પાદન મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં થાય છે. આંકડાઓ અનુસાર માત્ર ઉત્તરપ્રદેશમાં શેરડીની મિલો પર ખેડૂતોને ૬૬ અબજ રૃપિયાનું ચુકવણું બાકી છે. લાંબા સમયથી ચુકવણું ન થતા પશ્ચિમ ઉત્તરપ્રદેશના ખેડૂતો ગુસ્સે ભરાયેલા છે. ઉત્તરપ્રદેશ સરકારે પણ વર્ષ ૨૦૧૫-૧૬માં પોતાના બજેટમાં મિલો માટે ૧૧ અબજ રૃપિયાની સબસીડીનું આયોજન કર્યું હતું. તેમ છતાં પણ ખાંડ ઉદ્યોગની સ્થિતિમાં સુધારાના કોઈ સંકેત નથી.
 કપાસ બાદ શેરડી એટલે કે ખાંડ કૃષિ આધારીત સૌથી મોટો ઉદ્યોગ છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત દેશભરના લગભગ ૫ કરોડ જેટલા ખેડૂતો આ ખેતી પર નિર્ભર છે. કહેવા માટે તો શેરડી એ રોકડીયો પાક છે. મિલો પર પણ ખેડૂતોના બે-બે અને ત્રણ-ત્રણ વર્ષ સુધીના અબજોે રૃપિયાનું ચુકવણું બાકી છે. આજે ભારત ખાંડ ઉત્પાદન પર જ આત્મનિર્ભર નથી, નિકાસથી પણ કરોડો રૃપિયા કમાઈ રહ્યો છે. તેમ છતાં દેશમાં શેરડીના ભાવ નક્કી કરવા માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા તૈયાર નથી કરવામાં આવતી. દરેક રાજ્યમાં ખેડૂતોને શેરડીના અલગ અલગ ભાવ મળી રહ્યાં છે અને વેચાણ કર્યા બાદ પણ ખેડૂતોને વર્ષો સુધી રૃપિયા પણ ચુકવાતા નથી !

ભારત દર વર્ષે દુનિયાના વિવિધ બજારોમાં ૫૦ થી ૬૦ લાખ ટન ખાંડનું વેચાણ કરીને બ્રાઝિલ અને થાઈલેન્ડ બાદ ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ બની શકે છે. પરંતુ વર્તમાન સમયમાં મુશ્કેલી એ છે કે, વિવિધ બજારોમાં ખાંડના ભાવ પાછલા ૬ વર્ષના સૌથી નીચલા સ્તરે છે.  ભાવ મુદ્દે સરકારે રંગરાજન કમીટીનું પણ ગઠન કર્યું હતું. જેમાં શેરડીના વેપારની ઉદારીકરણની ભલામણો કરતા આઠ મુખ્ય મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો હતો. કમિટીએ જાહેર બજારમાં વેચાણ માટે ખાંડ પુરી પાડવાની વ્યવસ્થા સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. જેને કેન્દ્ર સરકારે મંજુર પણ કરી લીધી હતી. પરંતુ ખાંડના ભાવ નક્કી કરવા મુદ્દે આજે પણ વિવાદ ઠેરનો ઠેર રહ્યો છે.

કઠોળનીઆયાત ફ્રી ડયૂટીનો નિર્ણય લંબાયો : ખેડૂતોનો મરો



૩૦મી સપ્ટેમ્બર બાદ કઠોળની આયાત ફ્રી ડયૂટીનો નિર્ણય લંબાયો તો કઠોળના ખેડૂતોને ભાવમાં સીધો ફટકો પડશે  : કૃષિ મંત્રાલયે ૧૦ ટકા આયાત ડયૂટી લગાવાની કરી ભલામણ : મોંઘવારી રોકવામાં વિદેશી ખેડૂતો કમાશે દેશના કઠોળના ખેડૂતોનો મરો થશે : ૧૦ હજાર ટન કઠોળની આયાતના ટેન્ડર બાદ શુક્રવારે નવું ૫,૦૦૦ ટન તુવેરની આયાત કરવાનો નિર્ણય લેવાયો : કઠોળની રેકોર્ડબ્રેક ૬૦ લાખ ટન આયાત થશે : વરસાદની ઘટથી કઠોળનું ઉત્પાદન ઘટવાનો અંદાજ


'ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો' આ કહેવત હાલમાં કઠોળના ખેડૂતો માટે બંધ બેસતી છે, એટલા માટે કે કઠોળના ભાવ પ્રતિ કિલો રૃ.૧૩૦થી ૧૪૦એ પહોંચતાં શુક્રવારે ૫,૦૦૦ ટન તુવેરનું આયાતનું એક નવું ટેન્ડર બહાર પાડવાના આદેશો જાહેર થયા છે. ૧૦ હજાર ટન આયાત કરાયેલી તુવેર અને અડદની દાળ ૨૩મી સપ્ટેમ્બર સુધી ભારતમાં પહોંચે તેવી સંભાવના વચ્ચે મોંઘવારી રોકવાના પ્રયાસમાં ખેડૂતોની ઘોર ખોદાઇ રહી છે. ગ્રાહક મંત્રાલય ૩૦મી સપ્ટેમ્બરે પૂરી થતી આયાત ફ્રી ડયૂટીની મુદત વધારવાના પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે. ગ્રાહક અને ઉપભોક્તા મંત્રાલયના આ પ્રયત્નોને રોકવા કૃષિ મંત્રાલયે વિરોધ નોંધાવી ૩૦મી સપ્ટેમ્બર બાદ કઠોળની આયાત પર ૧૦ ટકા ડયૂટી લગાવાની ભલામણ કરી છે પણ મોંઘવારીના વધતા જતા ભોરિંગ સામે કૃષિ મંત્રાલયની ભલામણને નજર અંદાજ કરાઇ તો દેશના કઠોળના ખેડૂતોના ભોગે વિદેશના ખેડૂતો માલામાલ થશે એ નક્કી છે. દેશમાં કઠોળની ૨૩૦થી ૨૪૦ લાખ ટનની જરૃરિયાત સામે દર વર્ષે ઓછા ઉત્પાદનથી ૩૦થી ૪૦ લાખ ટન કઠોળની આયાત થાય છે. આ વર્ષે તો આયાત તમામ રેકોર્ડ તોડી ૬૦ લાખ ટને પહોંચે તેવી સંભાવના છે. ગત વર્ષે ભારતે ૪૬ લાખ ટન કઠોળની આયાત કરી હતી.

  દેશમાં સૌથી વધુ કઠોળની આયાત કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમારમાંથી થાય છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ચણા, મસૂર અને તુવેરનું ઉત્પાદન વધ્યું છે. ઓસ્ટ્રેલિયા આ કઠોળની નિકાસ ભારતમાં વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. ભારતના આયાત ટેન્ડરોથી વિશ્વ બજારમાં પણ કઠોળના ભાવ ઊંચકાઇ રહ્યા છે. ભારતમાં કઠોળના એક વર્ષમાં ભાવ ૬૫ ટકા ઊંચકાયા છે. કઠોળનું દેશભરમાં ૧૧ ટકા વધારે વાવેતર સામે વરસાદની ઘટથી કઠોળના ઉત્પાદનને અસર થવાની સંભાવનાથી ભાવ ભડકે બળી રહયા છે પણ સામે વધતી આયાતથી દેશના કઠોળ પકવતા ખેડૂતો માટે વરસાદના અભાવે નુક્સાન બાદ ભાવમાં પણ માર ખાવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સરકારે કઠોળની આયાત કરતી એજન્સીઓને ૨૦૦૬થી ૨૦૧૧ સુધી કઠોળની આયાત પેટે થયેલા નુક્સાનના રૃ.૧૧૩ કરોડનું ચૂકવણું કરવાનો નિર્ણય લેતાં આ વર્ષે કઠોળની આયાત વધે તેવી પૂરી સંભાવના છે.
આ વર્ષે મગનું દેશમાં ૨૪.૫૭ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ગત વર્ષે ઓગસ્ટના અંત સુધીમાં ૨૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. એકમાત્ર રાજસ્થાનમાં જ ૧૧ લાખ હેક્ટરમાં મગની ખેતી થઇ છે. વરસાદની અછતથી હવે સ્ટોકિસ્ટોએ સંગ્રહ શરૃ કરતાં મગના ભાવમાં તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. મગની નવી આવક બાદ ભાવમાં ઘટાડો થશે પણ વરસાદ પર હવે મગના ભાવનો આધાર ટકેલો છે. ગુજરાતમાં પણ મગના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૫,૫૦૦થી ૭,૦૦૦ સુધી પહોંચી ગયા છે. રાજસ્થાનમાં મગની સૌથી વધુ ખેતી થાય છે. જ્યાં છેલ્લા ૨૫ દિવસથી વરસાદનું એક ટીપું પણ નથી પડયું. આ સિવાય ૧૧.૫૦ લાખ હેક્ટરમાં મઠની ખેતી કરાઈ છે. રાજસ્થાનમાં આ સપ્તાહમાં વરસાદ ન પડે તો મગ અને મઠમાં ભારે નુક્સાનની સંભાવના કૃષિ વિભાગ દ્વારા લગાવાઇ રહી છે. આમ એકમાત્ર રાજસ્થાનમાં મગ અને મઠના પાકને વરસાદના અભાવે ભારે નુકસાન થવાની શક્યતા છે.
દેશમાં ખરીફ સિઝનમાં કઠોળનું ૧૦૫ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૫૫થી ૬૦ લાખ ટનની વચ્ચે રહે છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સારા વરસાદથી હવે કઠોળની સ્થિતિમાં સુધારો થયો છે. ઓગસ્ટમાં વરસાદની ઘટ બાદ સપ્ટેમ્બરની શરૃઆતે વરસાદ થતાં પાકને જીવતદાન મળ્યું છે. કઠોળના ભાવ હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે. તુવેરના ભાવ ૧૦મી સપ્ટેમ્બર સુધી ઊંચકાઇને દિલ્હી, મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોમાં પ્રતિ કિલો રૃપિયા ૧૪૫, અડદના પ્રતિ કિલો રૃ.૧૨૫, મગના પ્રતિ કિલો રૃ.૧૧૫ અને મસૂરના ઊંચકાઇને પ્રતિ કિલો રૃ.૯૫એ પહોંચી ગયા હતા. કઠોળના ભાવ વધતાં ગ્રાહક મંત્રાલય પણ હરકતમાં આવી જતાં શુક્રવારે તુવેરની દાળનું ૫,૦૦૦ ટનનું નવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લેવાયો હતો. ૧૦ સપ્ટેમ્બર સુધી વરસાદની ૧૫ ટકા અછત વચ્ચે રવી સિઝનમાં જમીનમાં ભેજના અભાવે કઠોળના વાવેતરને અસર પડવાની સંભાવનાથી પણ કઠોળના ભાવ ઊંચકાઇ રહ્યા છે. હવે કઠોળનો પાક બજારમાં આવવાની તૈયારીમાં છે ત્યારે કઠોળની આયાતથી ખેડૂતોનો બંને બાજુ મરો થાય તેવી સંભાવના છે. આયાતને પગલે ભાવમાં ઘટાડો અને વરસાદની અછતથી ઉત્પાદનમાં ફટકાથી કઠોળના ખેડૂતો માટે તો એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાઇ જેવી સ્થિતિ છે.


રાજ્યોને કઠોળના સ્ટોકની સીમા નક્કી કરવા પણ જણાવાયું છે. હાલમાં ૧૦ હજાર ટન કાબૂલી ચણા અને સજીવ કઠોળની નિકાસ સિવાય તમામ કઠોળની નિકાસ પર પ્રતિબંધ છે. આયાત ડયૂટી ફ્રી હોવાથી કઠોળની આયાત વધી રહી છે. આફ્રિકન દેશોમાંથી ડિસેમ્બર સુધી ૨.૫૦ લાખથી ૩ લાખ ટન અડદની આયાત થાય તેવા સંજોગો છે. ચણા અને પીળા વટાણાની ૧૦ લાખ ટન આયાત માટે ખાનગી આયાતકારોએ સોદા કર્યા છે. ઓસ્ટ્રેલિયામાંથી પણ ૮૦ હજાર ટન ચણાની આયાત થવાની સંભાવના છે. ૪૦ હજાર ટન ચણાની આયાતના સોદા પણ થઇ ચૂક્યા છે. પીળા વટાણાની સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી ૮૦,૦૦૦ ટન આયાતની સંભાવના છે. કઠોળની આયાત સબસિડી પાછળ સરકાર અત્યાર સુધી રૃ. ૮૧ કરોડની ચૂકવણી કરી ચૂકી છે.

કઠોળની એમએસપીમાં આ વર્ષે વધારો થતાં ખેડૂતોએ કઠોળનું વાવેતર વધારતાં ૧૧ ટકા વાવેતર વધ્યું છે. કૃષિ વિભાગ પણ ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એમએસપીના ભાવથી કઠોળની ખરીદી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. ૨૦૧૩-૧૪માં સારા વરસાદથી કઠોળનું ૧૯૨ લાખ ટન ઉત્પાદન થયું હતું. ગત વર્ષે ચોમાસામાં વરસાદનો અભાવ અને કમોસમી વરસાદથી કઠોળનું વાવેતર ઘટતાં ઉત્પાદનમાં સીધો ફટકો પડતાં ૧૭૩ લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું હતું. ચાલુ ખરીફ સિઝનમાં જૂન અને જુલાઇમાં સારા વરસાદથી કઠોળનો વાવેતર વિસ્તાર ઊંચકાઇને ૧૦૮ લાખ હેક્ટરે પહોંચ્યો છે. પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની ઘટને પગલે ચિત્ર બદલાયું છે. જેમાં મોંઘવારી રોકવા કઠોળની આયાત માટે લેવાઇ રહેલા નિર્ણયોને પગલે ડિસેમ્બર સુધી સતત કઠોળની આયાત થતી રહેશે અને દેશના ખેડૂતોને ભાવમાં ફટકો સહન કરવો પડશે. દેશમાં કઠોળના ઓછા થતા વાવેતરને પગલે ખેડૂતોને પ્રોત્સાહન આપી કઠોળના ખેડૂતોને સારા ભાવ મળે તેવા પ્રયત્નો કરવાને બદલે કઠોળના ખેડૂતોને ઓછા ભાવ મળે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. કૃષિ વિભાગની સપ્ટેમ્બર બાદ આયાત પર ૧૦ ટકા ડયૂટી લગાવાના નિર્ણયને નજર અંદાજ કરાયો તો કઠોળના ખેડૂતો માટે નવી મુશ્કેલી ઉભી થશે તેમાં શંકાને સ્થાન નથી.

Friday, 2 October 2015

અનાજના ઉત્પાદન અને સ્ટોકમાં ૬ વર્ષનો કડાકો


દેશમાં ૨૦૧૩-૧૪માં ૧૩૬૪ લાખ ટન ઉત્પાદિત થયેલા અનાજ સામે ચાલુ ખરીફ સિઝનમાં ૧૨૪૦ લાખ ટન અનાજ પાકશે ,  સરકારી ગોડાઉનમાં સપ્ટેમ્બર સુધી ૪૮૩ લાખ ટન અનાજનો સ્ટોક જે ગયા વર્ષે ૫૨૮ લાખ ટન હતો : ચોખા અને ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં વરસાદની મોટી ઘટ : મકાઇ, બાજરીના ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની સંભાવના :  સપ્ટેમ્બરમાં વરસાદની પડેલી ઘટ ઘઉંના વાવેતરને અસર કરશે

ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવાતા ભારતમાં અનાજનું ૨૫૦૦ લાખ ટન ઉત્પાદન છતાં અછત સર્જાય તેવા સંજોગો  છે. વરસાદની ઘટથી અનાજનું ઉત્પાદન ખરીફ સિઝનમાં ૨૦૧૩-૧૪ના વર્ષની તુલનાએ ૧૪૭ લાખ ટન ઘટી જશે. આ માત્ર પ્રાથમિક અંદાજ છે. દેશમાં અનાજના સ્ટોકમાં પણ છેલ્લા છ વર્ષમાં સૌથી મોટો ઘટાડો આ વર્ષે છે. સરકારી ગોડાઉનોમાં સપ્ટેમ્બર સુધી ૪૮૩ લાખ ટન અનાજ સચવાયેલું પડયું છે જે ૨૦૧૪-૧૫માં ૫૨૮ લાખ ટન હતું. સરકારી આંક અનુસાર એફસીઆઇના ગોડાઉનમાં હાલમાં ૩૪૪ લાખ ટન ઘઉંનો સ્ટોક છે જે ગયા વર્ષ કરતાં ૩ ટકા ઓછો છે. ૨૦૧૪-૧૫માં ઘઉંનો સ્ટોક ૩૫૫ લાખ ટન હતો. સરકારે આ વર્ષે ૨૮૧ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જેમાં ઘઉંની ક્વોલિટી ઘણી નબળી છે. ચોખાની પણ આ જ સ્થિતિ છે. ચોખાનો સ્ટોક ૧૩૮ લાખ ટન છે જે ૨૦૧૪-૧૫માં ૧૭૩ લાખ ટન હતો. ચોખા અને ઘઉંનો આયાતકાર દેશ ખેડૂતોની મહેનતને પગલે નિકાસકાર દેશ બની ગયો છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં વરસાદની સતત અછતે સ્થિતિમાં બદલાવ કર્યો છે. દેશમાં ચોખાનો ૯૦૦ લાખ ટનની આસપાસ અને ઘઉંનો પણ ૮૫૦ લાખ ટનની આસપાસ ર્વાિષક વપરાશ છે. સરકારી ગોડાઉનમાં રહેલા સ્ટોકને પગલે ડિસેમ્બરના અંત સુધી ઘઉંનો ૨૬૦ લાખ ટન અને ચોખાનો ૯૦ લાખ ટનની આસપાસ સ્ટોક રહે તેવી સ્થિતિ હાલમાં છે.
અનાજ એ માનવીની મૂળભૂત જરૃરિયાત છે. ેદેશમાં ૨૦૧૪-૧૫માં વરસાદની ૧૨ ટકા અને ૨૦૧૫-૧૬માં વરસાદની ૧૫ ટકા ઘટ વચ્ચે ધાન્ય પાકોના ઉત્પાદનની સ્થિતિમાં ઘટાડો ખતરાની નિશાની છે. ૨૦૧૩-૧૪માં પાકેલા ૨૬૫૦ લાખ ટનની તુલનાએે ૨૦૧૪-૧૫માં ૨૫૨૬ લાખ ટન ધાન્યપાકોનું ઉત્પાદન રહ્યું હતું. ૨૦૦૯-૧૦માં દુષ્કાળ રહેતાં ધાન્યપાકોનું ખરીફ ઉત્પાદન ૧૨૦૯ લાખ ટન રહ્યું હતું ત્યારબાદ સતત ઉત્પાદનમાં વધારો થતો રહ્યો છે. ૨૦૧૪-૧૫માં ધાન્યપાકોનું ઉત્પાદન ખરીફ સિઝનમાં ૧૨૬૩ લાખ ટન રહ્યું હતું. જે આ વર્ષે ૧૨૪૦ લાખ ટન રહેવાનો અંદાજ મૂકાયો છે. ૨૦૧૩-૧૪માં ખરીફ સિઝનમાં ૧૩૬૪ લાખ ટન અનાજ પાક્યું હતું.


 દેશમાં સૌથી વધુ ધાન્ય પાકોનું ઉત્પાદન પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં થાય છે. આ વર્ષે મધ્ય પ્રદેશને બાકાત કરતાં સૌથી મોટી વરસાદની ઘટ ઉપરોક્ત તમામ રાજ્યોમાં છે. વરસાદની ઘટ હરિયાણામાં ૨૬ ટકા, પંજાબમાં ૪૦ ટકા, ઉત્તર પ્રદેશમાં ૪૩ અને બિહારમાં ૨૮ ટકા છે. ચોખા અને ઘઉંનું મુખ્ય ઉત્પાદન આ રાજ્યોમાં થાય છે. હાલમાં આ રાજ્યોમાં વરસાદના અભાવે ચોખાના ઉત્પાદનમાં પ્રથમ અંદાજમાં ગત વર્ષની તુલનાએ ૯૦૬ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂકી ગત વર્ષની તુલનાએ માત્ર ૨ લાખ ટનનો ઘટાડો દર્શાવાયો છે. જોકે, ઉત્પાદનની ઘટ વરસાદના અભાવે વધુ પણ રહી શકે છે. ઉત્તર ભારતમાં હવે વરસાદ થવાના સંજોગો નહિવત્ છે. હાલમાં જળાશયોમાં પાણીના અભાવે અને જમીનમાં સપ્ટેમ્બરમાં ઓછા વરસાદને અભાવે ભેજ ના હોવાથી રવિ સિઝન માટે ઓક્ટોબર અને નવેમ્બરમાં વાવેતર કરાતા ઘઉંના વાવેતરને પણ ફટકો પડે તેવી સંભાવના છે. ઉપરોક્ત રાજ્યો ઘઉંના કુલ ઉત્પાદનમાં ૯૦ ટકાનો ફાળો ધરાવે છે. જેથી સરેરાશ ધાન્યપાકોના ઉત્પાદનમાં ૨૦૧૫-૧૬માં પણ ઘટાડો થવાની સંભાવના છે.
 હાલમાં ધાન્ય પાકોનો ગોડાઉનમાં સ્ટોક છેલ્લા છ વર્ષના તળિયે છે. એમ પણ કહી શકાય કે ૨૦૦૮-૦૯ પહેલાં ધાન્યપાકોના ઉત્પાદનનો સ્ટોક ઓછો કરાતો હોવાથી ૨૦૦૮-૦૯ની સાથે તુલના કરી શકાય છે. ૨૦૦૮-૦૯માં સપ્ટેમ્બરમાં અનાજનો સ્ટોક ૩૧૮ લાખ ટન હતો. આ વર્ષે અનાજનો સ્ટોક ૪૮૩ લાખ ટન છે. ૨૦૧૪-૧૫માં આ સ્ટોક ૫૨૮ લાખ ટન હતો.
ગુજરાતમાં પણ ધાન્ય પાકોનું ઉત્પાદન ૯૦ લાખ ટનની આસપાસ થાય છે. ૨૦૧૦-૧૧માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક ધાન્યપાકોનું ઉત્પાદન ૧૦૦ લાખ ટન થયું હતું ત્યારબાદ ધાન્યપાકોના ઉત્પાદનમાં સતત ઘટાડો થતો જાય છે. ૨૦૧૪-૧૫માં માત્ર ૬૬ લાખ ટન ધાન્ય પાકોનું ઉત્પાદન થયું છે. જે ૨૫થી ૩૦ લાખ ટનનો ઘટાડો દર્શાવે છે. આ વર્ષે ડાંગરનું વાવેતર વધતાં કૃષિ વિભાગે ચોખાનું ૧૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. જોકે, આ લક્ષ્યાંક સુધી હવે વરસાદ જ પહોંચાડી શકે તેમ છે. સપ્ટેમ્બરના અંતમાં વરસાદ સારો રહ્યો તો જ ઘઉંનું વાવેતર વધી શકે તેમ છે.

દેશમાં ૧૪૦૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર છતાં ખેડૂતોની આકરી મહેનતને પગલે ભારતે ધાન્યપાકોના ઉત્પાદનમાં સધ્ધરતા મેળવી લેતાં એક તબક્કે ઘઉંનો આયાતકાર દેશ આજે નિકાસકાર બની ગયો છે. ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધ્યું છે પણ વધતી જતી વસતી સામે વપરાશ વધતાં આજે ઉત્પાદન અને વપરાશના આંક લગભગ નજીક પહોંચી ગયા છે. સતત બે વર્ષથી વરસાદની ઘટથી અનાજના ઘટની અસર આ વર્ષે નહીં દેખાય પણ ૨૦૧૬-૧૭માં અનાજના ઉત્પાદનની ઘટ ઉડીને આંખે વળગશે. ભારતમાં કઠોળની માગ સામે વપરાશ વધુ હોવાથી દર વર્ષે ૩૦થી ૪૦ લાખ ટન કઠોળની આયાતનો આંક આ વર્ષે ૬૦ લાખ ટને પહોંચે તેવી સ્થિતિ પેદા થઇ છે. તેલીબિયાંમાં પણ માંગ સામે ઉત્પાદન ઓછું હોવાથી વધતી જતી ખાદ્યતેલની આયાત રોકવા આયાતડયૂટી વધારવાની માગ કરી રહ્યા છે.
ભારતમાં આ વર્ષે વરસાદની ઘટને પગલે મકાઇ, બાજરી, રાગી, જુવારના ઉત્પાદનને પણ અસર પહોંચી શકે છે. મકાઇના ગત વર્ષે થયેલા ૧૬૩ લાખ ટન ઉત્પાદન સામે પ્રથમ એડવાન્સ અંદાજમાં ૧૫૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂકાયો છે. બાજરીના ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના છે. ૨૦૧૪-૧૫માં ૯૦ લાખ ટન થયેલા ઉત્પાદન સામે ૮૬ લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે. અનાજ એ મૂળભૂત જરૃરિયાત છે. ઘઉં, ચોખા અને બાજરીના ઉત્પાદનમાં ઘટાડો એ સામાન્ય માનવીને પણ અસર કરતો વિષય હોવાની સાથે ઉત્પાદનનો ઘટાડો સીધો જ ભાવ સાથે સંકળાયેલો હોવાથી અનાજના ભાવ આ વર્ષે વધારે રહે તેવી પણ સંભાવના છે. સરકાર હાલમાં અનાજનો પૂરતો સ્ટોક હોવાનું જણાવી રહી છે પણ અનાજના ઉત્પાદનમાં ઘટ અને હાલમાં સરકારી ગોડાઉનમાં ઓછો અનાજનો સ્ટોક એ કડવી વાસ્તવિકતા છે.

દેશમાં અનાજનો સ્ટોક
વર્ષ               સ્ટોક
૨૦૦૮                   ૩૧૮
૨૦૦૯                   ૪૭૭
૨૦૧૦                   ૫૦૭
૨૦૧૧                   ૫૬૪
૨૦૧૨                   ૭૧૮
૨૦૧૩                   ૫૮૯
૨૦૧૪                   ૫૨૮
૨૦૧૫                   ૪૮૩

નોંધ ઃ આંક સપ્ટેમ્બર સુધીના લાખ ટનના છે.

દૂધ સેક્ટર : દૂઝણી ગાયને દોહી લેવા પડાપડી



દેશમાં રૃ.૪ લાખ કરોડનું દૂધના સેક્ટરનું ટર્નઓવર : ૨૦૨૦માં ૨૦૦ મિલીયન ટન દૂધની જરૃરિયાત ઉભી થશે : અમૂલ ફેડરેશનનું ટર્નઓવર રૃ.૨૦ હજાર કરોડે પહોંચ્યું : ૨૦૧૪-૧૫માં ૧૪૮ લાખ લિટર દૂધનું રોજ એકત્રિકરણ કરાયું  : નોનસ્ટોપ વિકાસ કરતા સેક્ટરમાં કરોડો રૃપિયાના વહીવટ માટે રાજ્યના સૌથી મોટા બે દૂધ સંઘો દૂધસાગર અને બનાસમાં સત્તા હસ્તગત કરવાના પ્રયાસો ચરમસીમાએ

સત્તામાં કોઇ પણ હોય પરંતુ પશુપાલકોને દૂધના સારા ભાવ અપાવી શકે તે સત્તાધીશ જ સૌથી સારો. રાજ્યમાં એગ્રીકલ્ચર ક્ષેત્રની સાથે સાથે પા પા પગલી ભરતો પશુપાલન વ્યવસાય આજે સ્વતંત્ર બની જતાં ૩૩.૭૦ લાખ પશુપાલકો માટે ભરણપોષણનું મુખ્ય સાધન દૂધ અને દૂધના ભાવો છે. ગુજરાતમાં ૨૫૦ લાખ લિટર દૈનિક દૂધના ઉત્પાદન વચ્ચે ૩૧ જિલ્લાના પશુપાલકોનું દૂધ એકત્રિત કરતા ૧૭ દૂધ સંઘો રોજનું ૧૪૮ લાખ લિટર દૂધ એકત્ર કરે છે. બાકીનું દૂધ અન્ય પ્રોડક્ટ અને ખાનગી સેક્ટરમાં વપરાશ માટે જાય છે. આજે સૌથી વિકસતા સેક્ટરમાં દૂધના સેક્ટરની ગણના થાય છે. કરોડોનો કારોબાર અને કમાણીની ગેરંટી આપતા દૂધના સેક્ટરમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો દબદબો છે. ઉત્તર ગુજરાતમાં ઓછી પિયતની સુવિધા વચ્ચે જીવન ટકાવવા ખેડૂતોએ પશુપાલનને પણ વ્યવસાય તરીકે અપનાવી લેતાં ઉત્તર ગુજરાતની ત્રણ ડેરી બનાસ, દૂધસાગર અને સાબર સૌથી વધુ દૂધ એકત્રિકરણનો રેકોર્ડ પણ ધરાવે છે. બનાસ, દૂધસાગર અને સાબર ડેરીના કુલ દૂધનો આંક રાજ્યના બાકીના ૧૪ દૂધ સંઘોની સમકક્ષ રહેતો હોવાથી રાજ્યના ૧૭ દૂધ સંઘોના બનેલા ફેડરેશન જીસીએમએમએફ પર ઉત્તર ગુજરાતના આ ત્રણ સંઘો વર્ચસ્વ ધરાવે છે. અમૂલ ફેડરેશનનો કારોબાર ૨૦૧૪-૧૫માં રૃ.૨૦ હજાર કરોડનો અને ૨૦૧૯-૨૦માં રૃ.૫૦ હજાર કરોડે પહોંચવાની શક્યતા છે. દેશમાં રૃ.૪ લાખ કરોડે દૂધનો વ્યવસાય પહોંચ્યો છે. સતત પ્રગતિ કરી રહેલા દૂધ સેક્ટરના વ્યવસાયની દૂઝણી ગાયને દોહી લેવા માટે હાલમાં રાજ્યમાં રીતસરની પડાપડી થઇ રહી છે. રાજ્યના સૌથી મોટા બે દૂધ સંઘો પૈકી દૂધસાગરમાં કસ્ટોડિયનની નિમણૂક સામે દૂધ મંડળીના પ્રમુખો અને મંત્રીઓએ રીતસરની બાંયો ચડાવી છે. તો બનાસ ડેરીમાં કસ્ટોડિયનની નિમણૂક સામે બનાસ ડેરી બચાવો સમિતિ અને હિતરક્ષક સમિતીના બળિયાઓ બાહુબલનું પ્રદર્શન કરી રહ્યા છે. બનાસડેરીમાં રૃ.૪ હજાર કરોડનો અને મહેસાણા ડેરીનો કરોડોનો વહીવટ હસ્તગત કરવાનો મામલામાંથી ફેડરેશનના આર્િથક હિતો પણ બાકાત રહી શકે તેમ નથી. સાચા, ખોટાની ખરાખરીમાં મહેસાણાના ૫.૩૦ લાખ પશુપાલકો અને બનાસડેરીના ૨ લાખ પશુપાલકોના મહેનત વેડફાઇ રહ્યી છે.


ભારતમાં વધતી જતી વસતી સામે દૂધ અને દૂધ પ્રોડક્ટની વધતી જતી માગ સામે દૂધના વ્યવસાયનું ભવિષ્ય ઉજળું છે. દેશમાં ૨૦૧૬-૧૭માં ૧૫૫ મિલિયન ટન દૂધની જરૃરિયાત ઉભી થશે જે ૨૦૨૧-૨૨ સુધી ૨૦૦ મિલિયન ટન સુધી પહોંચશે. દિવસે દિવસે દેશમાં દૂધની માગ વધતી જતી હોવાથી હાલમાં દેશમાં દૂધનો વ્યવસાય ૪ લાખ કરોડ રૃપિયાએ પહોંચ્યો છે. દેશમાં દર વર્ષે ૪૦ લાખ ટન દૂધની માગ વધતી જાય છે. છેલ્લા ૧૦ વર્ષમાં તો દર વર્ષે ૭૮ લાખ ટન દૂધની માગ વધી છે. દેશના ૧૪ રાજ્યોમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. દેશમાં દૂધનું માર્કેટ ૪.૫ ટકાના દરે સતત વધતું જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં દૂધની ખરીદીમાં ૬૫ ટકાનો વધારો નોંધાયો છે. યુરોપિય સંઘ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ભારતના બજારને સર કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે. ભારતમાં દૂધના વ્યવસાયમાં ચાંદી જ ચાંદી હોવાથી આ ધીકતા ધંધાને સર કરવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે.

છેલ્લા પાંચ વર્ષમાં અમૂલ ફેડરેશને પણ ૧૫૯ ટકાની વૃદ્ધિ કરી છે. ૨૦૧૪-૧૫ના વર્ષમાં ફેડરેશનનો કારોબાર ૧૪.૩ ટકાની વૃદ્ધિ સાથે રૃ.૨૦,૭૩૩ કરોડે પહોંચ્યો છે. જે ૨૦૧૩-૧૪માં રૃ.૧૮,૧૪૩ કરોડ હતો. દૂધના વ્યવસાયમાં સતત પ્રગતિથી ૨૦૦૭-૦૮માં ફેડરેશનનું ટર્નઓવર ૫,૨૨૫ કરોડ રૃપિયાનું હતું જે ૨૦૧૯-૨૦માં ટર્નઓવર રૃ.૫૦ હજાર કરોડે પહોંચાડવાનો લક્ષ્યાંક મૂકાયો છે. અધધ પ્રગતિથી અને સંઘોની અઢળક કમાણીથી આ સત્તા હસ્તગત કરવા તેમજ એક હથ્થુ શાસન ચલાવવા ગુજરાતમાં હાલમાં મરણીયા પ્રયાસો થઇ રહ્યા છે. અમૂલ ફેડરેશન હાલમાં ૧૫૬ લાખ લિટર દૂધનું એકત્રિકરણ કરે છે. જે ૨૦૧૯-૨૦ સુધી ૨૭૦ લાખ લિટર સુધી લઇ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. ફેડરેશને ૨૦૧૪-૧૫માં સાડા પાંચ અબજ લિટર દૂધની ખરીદી કરી હતી. ૨૦૧૪-૧૫માં સરેરાશ પ્રતિ દિન દૂધની ખરીદી ૧૪૮ લાખ લિટર રહી હતી. રાજ્યમાં ફેડરેશનની સતત પ્રગતિ એ દર્શાવી રહી છે કે મહેનતની સાથે દૂધના આ વ્યવસાયમાં પૈસા જ પૈસા છે. પૈસા અને સત્તા હસ્તગત કરવા હાલમાં મહેસાણાની દૂધસાગર અને બનાસડેરીમાં કસ્ટોડિયનના મામલાએ જોર પકડયું છે.


બનાસકાંઠા સ્થિત બનાસડેરીનો રૃ. ૪ હજાર કરોડનો વહીવટ પરથીભાઇ ભટોળ સંભાળતા હતા.ગત ૧૮ સપ્ટેમ્બરે બનાસ ડેરીના ચેરમેન પરથી ભટોળની સંચાલક મંડળની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ ચૂંટણીનું જાહેરનામું બહાર ન પડતાં રાજ્ય સરકાર દ્વારા કસ્ટોડિયનની નિમણૂક કરી દેવાતાં વર્તમાન ચેરમેન પરથીભાઇ ભટોળના સમર્થક પશુપાલકોએ ધમાલ મચાવી હતી. બનાસડેરીમાં સત્તા હાંસલ કરવા માટે બન્ને જૂથના બળીયાઓ સામ-સામે આવી ચડતાં ડેરીના ઈતિહાસમાં પ્રથમવાર આવી ઘટના બની છે કે જ્યાં પશુપાલકોએ સરકારી અધિકારી અને પૂર્વ ડીરેક્ટરને ઠમઠોર્યા હતા. બનાસડેરીમાં પરથીભાઇ ભટોળ છેલ્લા વીસ વર્ષથી ચૂંટાઇ આવે છે.

 મહેસાણા દૂધસાગર સાથે ૫.૩૦ લાખ પશુપાલકો જોડાયેલા છે. દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલભાઇ ચૌધરીના શાસન બાદ હાલમાં કસ્ટોડિયન થકી ડેરીનો વહીવટ ચાલે છે. જે દૂધસાગરના કરોડો રૃપિયાના કારોબારને હસ્તગત કરવા મરણીયા પ્રયાસો થઇ રહ્યા છે. જે અંતર્ગત હવે દૂધ મંડળીઓ કસ્ટોડિયનની કામગીરી સામે વિરોધનો વંટોળ ઉઠયો છે.


દૂધ સેક્ટર હાલમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. ભવિષ્યમાં પણ દૂધના વ્યવસાયમાં મંદી આવે તેવી સંભાવના નથી, દેશમાં વધતી જતી વસતી સામે દૂધ અને દૂધની પ્રોડક્ટની સતત માગ વધતી રહેવાની છે. દેશમાં ૨૨૦ મિલિયન દૂધનો વપરાશ એ ૨૦૧૯-૨૦નું ભવિષ્ય છે. વિદેશની ડેરીઓ પણ ભારતમાં દૂધ સંલગ્ન પ્રોજક્ટના વ્યવસાય માટે લાલજાજમ બિછાવી રહી છે. ભારતમાં દૂધના વધતા જતા વપરાશને પગલે આ સેક્ટરનો સતત વિકાસ થઇ રહ્યો છે. જેથી ગુજરાતમાં પણ દૂધસંઘોના વર્ચસ્વ જમાવવા અને સત્તા હાંસલ કરવાના દાવપેચો હવે ચરમસીમાએ પહોંચ્યા છે. પશુપાલનમાં વધતા જતા ખર્ચ સામે આજે આ વ્યવસાય એ ખર્ચાળ બનતો જાય છે. ૩૪ લાખ પશુપાલકો ફક્ત ફેડરેશન સાથે જોડાયેલા હોવાથી ફેડરેશનના ગ્રોથની જેમ પશુપાલકોનો ગ્રોથ પણ વધતો જાય એ પણ એટલું જ જરૃરી છે.

ખાંડની નિકાસ : સફળતાની ટકાવારી ઘણી ઓછી


સુગર મિલોને ફરજિયાત ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરવી પડશે : ખાંડના ઘટતા ભાવ સામે સ્ટોક ઓછો કરવા માટે લેવાયેલો નિર્ણય : ગુજરાતને ૧.૭૫ લાખ ટન ખાંડની નિકાસનો ક્વોટા ફળવાયો : નોટિફિકેશન સબસિડીની જોગવાઇ ન હોવાની સાથે વિશ્વ બજારમાં મંદી અને સ્ટોક સામે સુગર મિલોને ફાયદો થાય તેવી સંભાવના ઓછી : નુક્સાન ભોગવીને પણ નિકાસ કરવી પડશે


ભલે ને શેરડીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા, કપાસ અને મગફળીના ઉત્પાદનમાં પ્રથમ અને બીજા ક્રમે હોય છતાં કપાસ અને મગફળીના ઓછા ભાવ હોબાળાના અંતે શમી જાય છે.ખેડૂતોને કરોડોનું નુક્સાન મૂગા મોઢે સહન કરવું પડે છે, પણ શેરડીના કે ખાંડના ભાવ ઘટે તો તુરંત મુદે બની જાય અને સબસિડીની પણ જાહેરાત થઇ જાય, કારણ કે શેરડી અને ખાંડના ભાવ સાથે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સંકળાયેલું હોવાની સાથે રાજકારણીઓના આર્િથક હિતો જોડાયેલા હોય છે. અહીં શેરડીના ખેડૂતોને સારા ભાવ મળે તેનો વિરોધ કરવાનો નથી પણ શેરડીની જેમ જ કપાસ અને મગફળી, તેલીબિયાં અને ધાન્ય પાકોના ભાવો બાબતેની તકેદારી પણ એટલી જ જરૃરી છે. હાલમાં ખાંડના ભાવ સાત વર્ષમાં સૌથી નીચા છે. એટલા નીચા કે પ્રતિ કિલો સુગર મિલોને રૃ.૩૦ની પડતર સામે હાલમાં ૨૩થી ૨૪ રૃપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે. શેરડીના ખેડૂતોનું ૧૪ હજાર કરોડનું સુગરમિલો પાસે લેણું બાકી હોવાથી સરકારે નવી સિઝનની શરૃઆત પૂર્વે જ સુગર મિલોએ ફરજિયાત ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાનું નોટિફિકેશન બહાર પાડયું છે. હાલમાં વિશ્વ માર્કેટમાં ખાંડના ભાવમાં મંદી ચાલી રહી છે. વિશ્વમાં ૪૨૪ લાખ ટન એન્ડિંગ સ્ટોક અને ૧,૭૩૪ લાખ ટન ઉત્પાદનથી ખાંડના ભાવ ઘટી રહ્યા છે. ભારતમાં પણ છેલ્લા પાંચ વર્ષથી વધતા ખાંડના ઉત્પાદનથી હાલમાં દેશમાં એક કરોડ ટન ખાંડનો જથ્થો છે. જેનો નિકાલ ના થાય ત્યાં સુધી ખાંડના ભાવ ઊંચકાય તેવી સ્થિતિ નથી. દેશમાં ખાદ્યમંત્રાલયના અધિકારીઓએ પણ વિદેશમાં બાર્ટર સિસ્ટમથી ખાંડની નિકાસ કરવાના પ્રયત્નો કરી જોયા તેમાં પણ જોઇએ તેવી સફળતા મળી નથી, કારણ કે વિશ્વ બજારમાં મંદીથી હાલમાં આ વિક્લ્પ ન સફળ રહેતાં સરકારે સુગર મિલોને ફરજિયાત નિકાસના આદેશો કર્યા છે. ૪૦ લાખ ટન ખાંડની નિકાસ સામે નિકાસ બજારનો ભૂતકાળ જોઇએ તો આ જ દિન સુધી ફક્ત ૨૦૧૨-૧૩માં ૨૭ લાખ ટન ખાંડની નિકાસ કરાઇ છે. ભારત ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરશે તો બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ બની જશે. હાલમાં વિશ્વમાં ખાંડની નિકાસમાં બ્રાઝિલ પ્રથમ અને થાઇલેન્ડ બીજા ક્રમે છે. ભારત નિકાસમાં છઠ્ઠા ક્રમનો નિકાસકાર દેશ છે.
ભારત પાસે ખાંડની નિકાસ સિવાય સ્ટોક ઘટાડવા અને ભાવ વધારવા માટે બીજો કોઇ વિકલ્પ નથી. હાલમાં ભારત પાસે ખાંડનો એક કરોડ સ્ટોક સામે ૨૦૧૫-૧૬ની નવી સિઝનમાં ૨૮૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાના અંદાજો ઇસ્માએ મૂક્યા છે. જેથી નવી સિઝનમાં પણ ખાંડનો ભરાવો ના થાય માટે સરકારે લાંબગાળાની નિતી અંતર્ગત ફરજિયાત સુગર મિલોને ખાંડની નિકાસ કરવાના આદેશો કર્યા છે. જેને ઇસ્માએ સારા સંકેતો ગણાવી ખાંડના ભાવ જાળવવા માટે મદદરૃપ થશે તેવો મત વ્યક્ત કર્યો છે. જોકે, આ અંગે ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે, ભારત પાસે ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાની સુવિધા જ નથી. હાલમાં વિશ્વ બજારમાં નીચા ભાવથી ખેડૂતોને ફરજિયાત ખાંડની નિકાસના આદેશોથી ઓછા ભાવે ખોટ ખાઇને પણ ખાંડની નિકાસ કરવી પડે તેવી સ્થિતિ છે. ગત વર્ષે સરકારે રો સુગર પર પ્રતિ ટન ૪,૦૦૦ રૃપિયા સબસિડી જાહેર કરી હોવા છતાં ફક્ત ૧૧ લાખ ટન ખાંડની નિકાસ થઇ શકી છે. સુગર મિલો સબસિડી હોવા છતાં પણ ખાંડની નિકાસ કરી શકી નથી. આ વર્ષે ફરજિયાતના નિયમથી ખોટ ખાઇને પણ નિકાસના વેપલાની અસર સીધી શેરડીના ભાવ પર જોવા મળશે.
 ખાંડ ઉદ્યોગ સંઘના ચેરમેન માનસિંહભાઇ પટેેલે જણાવ્યું હતું કે, આ સરકારની લાંબાગાળાની નિતી છે. હાલમાં નુક્સાની દેખાશે પણ ખાંડનો સ્ટોક ઘટતાં તેનો ફાયદો સુગર મિલો અને ખેડૂતોને થશે. હાલમાં સુગર મિલોને થનારું નુક્સાન એસડીએફટીમાંથી ચૂકવાય તેવી નીતિ પર કામગીરી ચાલી રહી છે. જોકે, આ બાબતે સપ્ટેમ્બર સુધી કોઇ નોટિફિકેશન બહાર પડયું ન હોવાની એ કડવી વાસ્તવિકતા છે કારણ કે ઓક્ટોબરથી નવી સિઝનની શરૃઆત સમયે જ નોટિફિકેશન બહાર પડતા હોય છે.
 ગણદેવી સુગરના ચેરમેન જયંતિભાઇ પટેલે પણ સરકારની ખાંડનો સ્ટોક ઓછો કરવાની નિતીને યોગ્ય ગણાવી હતી પરંતુ ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરવી શક્ય ન હોવાનું જણાવ્યું હતું. હાલમાં વિશ્વ બજારમાં મંદીની સાથે મહારાષ્ટ્ર અને ગુજરાત પાસે બંદરો છે. ગુજરાતને ૧.૭૫ લાખ ટનનો અને મહારાષ્ટ્રને દેશમાં સૌથી વધુ ૧૩ લાખ ટન ખાંડની નિકાસનો ક્વોટા ફળવાયો છે. ઉત્તર પ્રદેશ એ બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. ઉત્તર પ્રદેશની મિલોએ ખાંડની નિકાસ ગુજરાત, મહારાષ્ટ્ર કે કલક્ત્તાથી કરવી પડશે, જેમાં મિલોને સીધો ખર્ચ વધી જશે. હાલમાં દેશમાં ખેડૂતોને રૃ.૧૪ હજાર કરોડના લેણામાં સૌથી વધુ લેણું ઉત્તર પ્રદેશની મિલોનું ૫,૫૦૦ કરોડ બાકી છે. જેમાં આ ખર્ચ વધશે તો સુગરમિલોએ ઓછા ભાવે અને વધુ ખર્ચે ખાંડની નિકાસ કરવી પડવાની સ્થિતિમાં ઉલટું મિલોેને નુક્સાન વધશે. સામે વિશ્વ બજારમાં પણ મંદી હોવાથી આ લક્ષ્યાંક સુધી પહોંચવું જ મુશ્કેલ છે.



   સરકારનો ખાંડનો સ્ટોક ઓછો કરી ભાવ વધે તો શેરડીના ખેડૂતોને લાભ મળે તેવી લાંબાગાળાની નિતી યોગ્ય ન હોવાનો કહેવાનો હેતુ નથી પરંતુ અડચણોનું લિસ્ટ લાંબુ છે. તમામ સમસ્યા વચ્ચે પણ નિકાસ આંક સાંગોપાંગ પાર ઉતરી ગયો તો ખાંડનો સ્ટોક ઓછો થશે એ ચોક્કસ છે. જોકે, સફળતાની ટકાવારી ગણી ઓછી છે. ભારત એ કપાસના ઉત્પાદનમાં નંબર વન દેશ છે. છેલ્લા બે વર્ષથી રૃના વધતા ઉત્પાદન અને ચીનની નિકાસનીતિમાં ફેરફારથી ખેડૂતોને પડતર પણ મળતી નથી. આ વર્ષે રૃનું ઉત્પાદન ઘટવાની સંભાવનાથી ભાવ જળવાય તેવા સંજોગો વરસાદ બાદ બદલાયા છે. ગત વર્ષે તો કપાસના ખેડૂતોએ તો ગુજરાતમાં હોબાળો મચાવ્યો છતાં ખેડૂતો નુક્સાનીમાંથી તો બચી શક્યા ન હતા. શેરડી કરતાં દેશમાં કપાસના ખેડૂતોની સંખ્યા વધારે છે. આ સ્થિતિ ઘઉં, ચોખા અને કઠોળના ખેડૂતોની પણ છે. દિવસે દિવસે ખેતીખર્ચ વધવાની સામે ભાવ ઓછા મળી રહ્યા છે. શેરડીની જેમ લાંબાગાળાની નિતી અન્ય પાકો માટે અપનાવાય તો ખેતીક્ષેત્રનું ભવિષ્ય ઉજજ્વળ બની શકે છે. માટે જરૃર છે ફક્ત અન્ય પાકના ભાવ ઘટે ત્યારે સસ્તી થયેલી ખાંડ સમયે ફરજિયાત નિકાસ કરવાના જાહેર કરેલા આદેશો સમયે અપનાવાયેલી સમજદારીની.આમ છતાં આશા રાખીએ કે સરકારની લાંબાગાળાની નીતિનો પ્રયોગ અડચણો વચ્ચે પણ સફળ રહે તો શેરડીના ખેડૂતો માટે ફરી સુવર્ણદિવસો પાછા આવે.

મોંઘવારી રોકવાના આયોજનોમાં ખેડૂતોનો 'મરો'



કઠોળમાં ૧૦ ટકા આયાત ડયૂટી વધારવાની કૃષિ વિભાગની ભલામણને ધરાર અવગણાઇ : કઠોળમાં ઉત્પાદનમાં માર ખાનાર ખેડૂતો ભાવમાં પણ નુક્સાની વેઠશે : ખાદ્યતેલની આયાત પાછળ કરોડોનું આંધણ પણ તેલીબિયાં પાકોના ભાવો હંમેશાં ટેકાની સમકક્ષ : બટાટાના ઓછા ભાવ નજરઅંદાજ પણ ડુંગળીમાં સતત થતી આયાત


ખેતીનો વિકાસ ત્યારે જ થશે જ્યારે દેશમાંથી કૃષિ આયાતને બદલે નિકાસનો આંક વધશે. જોકે, ભારતમાં કૃષિની નિકાસને બદલે આયાત આંક વધી રહ્યો છે. દેશમાં વિકાસની હોડમાં ખેતી અને ખેડૂતોનો વિકાસ રિવર્સમાં જઇ રહ્યો છે. ખુલ્લા આકાશતળે લાખો રૃપિયાનું આંધણ કરતા ખેડૂતો માટે સૌથી અગત્યનું પાકનું ઉત્પાદન અને પાકના ભાવ છે. ખેડૂતો માટે સહાય, યોજનાઓ, કૃષિ કાર્યક્રમો અને અધિકારીઓ થકી માર્ગદર્શનો એ ગૌણ બાબત છે. છેલ્લા બે વર્ષથી સતત દુષ્કાળને પગલે ઉત્પાદનમાં માર ખાનાર ખેડૂતોને પાકના ભાવમાં સતત બીજા વર્ષે પણ નુક્સાન જઇ રહ્યું છે. ગત વર્ષે ઓછા ઉત્પાદન અને નુક્સાન બાદ નવી સિઝન પણ ખુશીઓ લાવવાને બદલે ગમ લઇને આવી છે. ૧૯૯૭-૯૮ બાદ અલનીનો સૌથી મજબૂત રહેતાં આ વર્ષે વરસાદની ઘટ ૧૪ ટકા રહી છે. સૌથી વધુ વરસાદની ઘટ ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશ એ કૃષિને દ્રષ્ટીએ સૌથી અગત્યનું રાજ્ય છે. પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને બિહાર પર વરસાદે હેત વરસાવ્યું નથી. જે રાજ્યો ધાન્ય અને તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં મહત્ત્વના રાજ્યો છે. દેશના ૯૧ જળાશયોમાં પણ પાણીનો જથ્થો માત્ર ૬૦ ટકા છે જે ગયા વર્ષે ૭૫ ટકા હતો. છેલ્લા ૧૦ વર્ષની સરેરાશ ૭૭ ટકા છે.
દેશમાં કઠોળના ખેડૂતોને રીતસરનો અન્યાય થઇ રહ્યો છે. ગત વર્ષે પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને કઠોળના પાકમાં મોટુ નુક્સાન ગયું હતું. હેક્ટરદીઠ ઉતારા પણ ઘટતાં દેશમાં માંડ કઠોળનું ૧૭૨ લાખ ટન ઉત્પાદન થયું હતું જે ૨૦૧૩-૧૪માં ૧૯૨ લાખ ટન હતું. આમ ૨૦ લાખ ટન કઠોળ ઓછું પાક્યું હતું. આ વર્ષે પણ ખરીફ સિઝનના પ્રથમ અંદાજમાં કઠોળનું ઉત્પાદન ગત વર્ષ કરતાં પણ એક લાખ ટન ઓછું એટલે કે ૫૫ લાખ ટન થવાનો અંદાજ મૂકાયો છે. ખેડૂતોને કઠોળના ઉત્પાદનમાં તો વરસાદના અભાવે નુક્સાન થવાની સંભાવના છે. જોકે, સરકારે મોંધવારી રોકવાના ભાગરૃપે સપ્ટેમ્બર બાદ કૃષિ વિભાગની આયાત ડયૂટી ૧૦ ટકા વધારવાની ભલામણની ધરાર અવગણના કરાઇ છે. ડિસેમ્બરથી કઠોળમાં આયાત ફ્રી ડયૂટીથી દેશમાં કઠોળની રેકોર્ડબ્રેક આયાત ૬૦ લાખ ટને પહોંચશે. આમ છતાં કઠોળની માગ પૂરી ન થતાં સરકાર વિદેશમાંથી સતત કઠોળની આયાત કરી રહી છે. કૃષિ વિભાગે કઠોળનું વાવેતર વધારવાના પ્રોત્સાહનના ભાગરૃપે અને કઠોળ એ જમીનમાં નાઇટ્રોજન પૂરો પાડતો પાક હોવાથી કઠોળમાં આયાત ડયૂટી ૧૦ ટકા વધારવા ભલામણ કરી હતી. જે કૃષિવિભાગની ભલામણને મંજૂર ન કરાઇ દેશમાં કઠોળના વધતા ભાવ રોકવા સરકારે આ વર્ષે ૩૦મી સપ્ટેમ્બરે કઠોળ પરની આયાત ડયૂટીની ફ્રી થતી મુદત વધારી દીધી છે. ફક્ત ચણા અને મસુરની દાળમાં ૩૧ ડિસેમ્બર બાદ ફરી નિર્ણય કરાશે. કઠોળમાં ઓછા ઉત્પાદન છતાં ખેડૂતોને સારા ભાવ મળવાના સપનાં પર પાણી ફરી રહ્યું છે. મોંઘવારી રોકવાના આયોજનોમાં ખેડૂતોનો 'મરો' થઇ રહ્યો છે.
     ખાદ્યતેલની આયાત પણ આ વર્ષે રેકોર્ડ તોડી ૧૫૦ લાખ ટને પહોંચી જશે. સતત ખાદ્યતેલની આયાત વધી રહી છે. દેશમાં ઓક્ટોબરથી શરૃ થતી નવી સિઝનમાં સીંગતેલની ઉપલબ્ધી ૧.૫૦ લાખ ટન, સોયાતેલની ૧૧.૯૦ લાખ ટન, રાયડા તેલની ૧૮.૮૦ લાખ ટન, અને કપાસિયા તેલની ૧૨.૬૦ લાખ ટન અને અન્ય તેલની ૧૭.૮૦ લાખ ટન મળી કુલ ૬૨.૬૦ લાખ ટન ખાદ્યતેલોનું નવી સિઝનમાં ઉત્પાદન થશે. તેની સામે વસતી ૧૩૨ કરોડે પહોંચતાં વ્યક્તિ દીઠ વપરાશ પણ ગયા વર્ષનો ૧૫.૧૬ કિલોથી વધીને ૧૫.૯૧ કિલો થતાં નવી સિઝનમાં ૨૧૧ લાખ ટન ખાદ્યતેલની જરૃરિયાત થશે.સામે ભારતમાં ખાદ્યતેલનું ઉત્પાદન માત્ર ૬૨ લાખ ટન થશે, આમ નવી સિઝનમાં પણ ૧૫૦ લાખ ટન ખાદ્યતેલની નિકાસ કરવી પડશે. આમ  ખાદ્યતેલની નિકાસ પાછળ કરોડોનું આંધણ કરાઇ રહ્યું છે, પરંતુ તેલીબિયાં પાકોના ખેડૂતોને સારા ભાવ મળે તેવા પ્રયત્નો કરાતા નથી. મગફળી, કપાસ અને સોયાબીનના ખેડૂતોને માંડ ટેકાના ભાવથી વધુ ભાવ મળી રહ્યા નથી. દેશમાં દરિયાકિનારાના વિસ્તારમાં ઓઇલપામના વાવેતરની ભરપૂર શક્યતા છતાં આ દિશામાં પ્રયત્નો કરવામાં પાછી પાની કરાઇ રહી છે. સૂરજમુખીનું તો હવે ખેડૂતોએ નુક્સાનીથી કંટાળી વાવેતર કરવાનું ઓછુ કર્યું છે તો ગુજરાતમાં લગભગ હવે ભાગ્યે જ વાવેતર થાય છે. આમ નિકાસ માટે લાલજાજમ બિછાવાય છે પણ ખેતી તેલીબિયાં પાકોની ખેતીને પ્રોત્સાહન આપી ખેડૂતોને સારા ભાવ મળી રહે તેવા ભાગ્યે જ પ્રયત્નો થાય છે. ખેડૂતોને પાકની નિકાસ પર આધાર રાખીને બેસે છે.

આજ સ્થિતિ ડુંગળી અને બટાટાની પણ છે. બટાટા અને ડુંગળીના ઓછા ભાવ હોય ખેડૂતો આ પાક રસ્તા પર ફેંકતા હોય ત્યારે ન ભરાનારા પગલાં આ પાકના ભાવ વધે તુરંત જ લેવાના શરૃ થઇ જાય છે. આ વર્ષે બટાટાના ઓછા ભાવ છતાં તેના ખેડૂતોને સારા ભાવ અપાવવા બાબતે કોઇ પગલાં ભરાયાં નથી. જોકે, ડુંગળીમાં ખેડૂતોને ઉત્પાદનમાં નુક્સાન બાદ ભાવ મળવાના શરૃ થતાં ડુંગળીની આયાત કરવાના પગલાં લેવાના શરૃ થઇ ગયા હતા. હાલમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે અને આયાત જારી રહી તો નવી સિઝનમાં વાવેતર કરનારા ખેડૂતોને પણ ઓછા ભાવ મળશે તેમાં શંકાને સ્થાન નથી. આમ મોંઘવારી રોકવામાં ખેડૂતોને રીતસરનો અન્યાય થઇ રહ્યો છે. અહીં મોંઘવારી અટકાવવા સરકાર દ્વારા લેવાયેલા પગલાં અંગેનો વિરોધ કરવાનો ઇરાદો નથી પણ ખેડૂતોને થતા નુક્સાન બાબતે પણ યોગ્ય પગલાં ભરાય તે દર્શાવાનો છે. મોંઘવારી રોકવી એ જરૃરી છે પણ સાથે એ પાકોનું ઉત્પાદન વધારવાની સાથે ખેડૂતોને પૂરતા ભાવ મળે એ પણ એટલું જ જરૃરી છે. ટેકાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે પણ પાકમાં ખેતીખર્ચ એ ડબલ થઇ ગયો છે. ઉપરાંત પિયતનો અભાવ અને વરસાદની અછત એ ખેડૂતોની કમરતોડી રહ્યા છે. દેશનો વિકાસ કરવો હશે તો કૃષિ સેક્ટરનો વિકાસ એટલો જ જરૃરી છે. કારણ કે જીડીપીમાં ૧૪ ટકાનો હિસ્સો ધરાવતું એગ્રીકલ્ચર સેક્ટર એ દેશના ૫૭ ટકા લોકોને આડકતરો રોજગાર પૂરો પાડે છે.