Monday, 3 October 2016

ભારત-પાક. તંગદિલી : રૂના ખેડૂતોને અસર કરશે


ઉરી, સર્જિકલ સ્ટ્રાઇક અને બારામુલામાં બીએસએફ પર આતંકવાદીઓના હિચકારા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીભર્યા માહોલમાં પણ વેપારમાર્ગ હજુ ચાલુ છે. વિવાદનું મુખ્ય કેન્દ્ર હોવા છતાં ઉરીના સલામાબાદ પોસ્ટ પરથી પાકિસ્તાન અને ભારતમાંથી ટ્રકો આસાનીથી આવ-જા કરે છે. ફક્ત હવે ચેકિંગ થોડું વધુ છે. ગત સપ્તાહે પાકિસ્તાનમાંથી બદામ આવી અને ભારતમાંથી એલચી, શાકભાજી અને એમ્બ્રોઇડરીની નિકાસ થઇ. દેશમાંથી પાકિસ્તાન સાથે ભારતનો વેપાર અટારી-વાઘા બોર્ડર અને મુંબઇથી કરાંચી અને દુબઇ દરિયાઇ માર્ગે થાય છે. આ સિવાય પૂંચના ચકન દા બાગ અને ઉરીમાં સલામાબાદની ચેકપોસ્ટથી પાકિસ્તાન સાથે કાશ્મીરના વેપારસંબંધો છે. પાકિસ્તાન સાથે સુમેળભર્યા સંબંધો સાચવવા વર્ષ ૧૯૯૬થી ભારતે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો અપાયેલો હોવાથી આયાતમાં પાકિસ્તાનને સ્પેશિયલ છૂટછાટો મળે છે. ભારત હવે આ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત ખેંચવાની તૈયારી કરી રહ્યો છે. તંગદિલીભર્યા માહોલમાં એમ પણ બને કે પાકિસ્તાન ભારત સાથે વેપારી સંબંધો હાલ પૂરતા સ્થગિત કરી નાખે તો તેની સીધી અસર ભારતનાં એગ્રિકલ્ચર માર્કેટને થઇ શકે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી વધુ વેપાર ટેક્સ્ટાઇલ્સ ક્ષેત્રમાં થાય છે. નવેમ્બરમાં ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીની ૭૫મી બેઠક પાકિસ્તાનમાં યોજાઇ રહી છે. પાકિસ્તાન પાસે ૫૫ વર્ષ બાદ બેઠક યોજવાનો મોકો આવ્યો છે. આ બેઠકમાં ભારતીય વેપારીઓ ભાગ ન લે તો રૂની નિકાસ પર સીધી અસર પડી શકે છે. સાર્ક બેઠક ભારતે રદ કર્યા બાદ કોટન બેઠકમાં વેપારીઓ નહીં જાય તેવા પણ સમાચાર છે.  વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૦ કરોડ ડોલરની નિકાસ સામે વર્ષ ૨૦૧૫-૧૬માં ૭૮.૨૦ કરોડ ડોલર રૂની નિકાસ પાકિસ્તાનમાં થઇ છે. આ વર્ષે પણ પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન આ વર્ષે ઘટે તેવી સંભાવના વચ્ચે ભારત પાસે નિકાસની ઉત્તમ તક છે. વર્ષ ૨૦૧૫-૧૬માં દેશમાંથી ૬૫ લાખ ટન રૂની કુલ નિકાસમાં પાકિસ્તાને ૨૫ લાખ ગાંસડી રૂની ખરીદી કરી હતી.
વર્ષ ૨૦૧૫-૧૬માં ખેડૂતોને કપાસના ઊંચા ભાવ એ પાકિસ્તાનની ખરીદીને આભારી હતા.  નવી સિઝનમાં પણ હાલના માહોલ વચ્ચે રૂની પાકિસ્તાનમાં આયાત ન થાય તો નિકાસને ફટકો પડી શકે છે, જોકે વેપારીઓએ બાંગ્લાદેશ, ચીન, વિયેતનામ અને ઔતાઇવાન જેવા દેશોમાં રૂની નિકાસ વધારવાની તૈયારીઓ કરી રાખી છે.
પાકિસ્તાન અને ભારત વચ્ચે સૌથી વધુ વેપાર થવાના સંજોગો છતાં બંને દેશોએ એક નેગેટિવ લિસ્ટ બનાવી રાખ્યું છે. ભારતીય વેપારીઓ ૧,૨૦૯ પ્રોડક્ટ્સ અને પાકિસ્તાન ૬૧૪ પ્રોડક્ટ્સનો વેપાર એકબીજા સાથે કરી શકતા નથી. આમ આ સૂચિ જ લાંબી હોવાથી ૧૧ અબજ ડોલરનો વ્યવસાય કરી શકાય તેવી સ્થિતિ વચ્ચે માત્ર ૨.૬૧ અબજ ડોલરનો વેપાર થાય છે. પાકિસ્તાને વર્ષ ૨૦૧૨માં ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવાની હિમાયત કરી હોવા છતાં ૪ વર્ષ બાદ પણ સ્થિતિ જૈસે થે છે અને પાકિસ્તાન વેપારમાં લાભ લઇ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ૨૦૧૫-૧૬માં ૫.૩૧ અબજ ડોલરનો વેપાર થયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં આ આંક ૬.૭૧ અબજ ડોલર હતો. ભારત મોટાભાગે ખાંડ, કપાસ, તાજાં ફળો, શાકભાજી સહિતની ચીજવસ્તુઓની નિકાસ કરે છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં ભારતની કુલ ૬૪૧ અબજ ડોલરની નિકાસ સામે ભારતની પાકિસ્તાન વચ્ચે ૨.૬૧ અબજ ડોલરની નિકાસ એટલે કુલ નિકાસના ૦.૪૧ ટકા છે, એટલે કે ન બરાબર છે. આ આંક જ સાબિત કરે છે કે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો હોય કે ના હોય તેનાથી કોઇ ફર્ક પડતો નથી પણ સાથે એ પણ ન ભૂલવું જોઇએ કે, પાકિસ્તાન સાથે વેપારમાં ભારતનાં પણ હિતો જોડાયેલાં છે.
ભારતમાંથી પાકિસ્તાનમાં સૌથી વધુ નિકાસ એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સની થાય છે. મિલોએ વર્ષ ૨૦૧૫-૧૬માં ૪૬.૪૬ મિલિયન ડોલરની ખાંડની નિકાસ કરી છે. દેશમાંથી બટાટાં, ટ્રાયફ્રૂટ અને ટામેટાંનો વેપાર પાકિસ્તાનથી જો.ડાયેલો છે. પંજાબનાં મોટાભાગનાં બટાટાં અને ગુજરાતમાંથી ટામેટાં પાકિસ્તાનમાં નિકાસ કરાય છે. બે દેશો વચ્ચે તંગદિલી વધી તો પાકિસ્તાનને ટામેટાં, મરચાં અને બટાટાં વિના ફાંફાં પડશે પણ સાથે ભારતમાં પણ સ્ટોક વધતાં ભાવમાં કડાકો બોલે તેવી પૂરી સંભાવના છે. વર્ષ ૨૦૧૫-૧૬માં પાકિસ્તાનમાં શાકભાજીની ૧.૨૦ લાખ ટનની નિકાસ થઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આંકની દૃષ્ટિએ સામાન્ય ગણાતો વેપાર પણ પાકિસ્તાનમાં નિકાસ બંધ થતાં સીધી અસર ખેડૂતો પર પાડે છે.

Tuesday, 27 September 2016

ખેડૂતોની આવક ડબલ : અવરોધોની ભરમાર

સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાના સતત પ્રયત્નો કરી રહી છે. સરકારે આ માટે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, સોઇલ હેલ્થકાર્ડ, ઓનલાઇન માર્કેટયાર્ડ અને પાકવીમા યોજના લોન્ચ કરી છે. સરકાર ખેડૂતોનાં ભવિષ્યને બદલી રહી છે. કૃષિવિભાગનું સંમેલન હોય અને આ લાઇનો ના બોલાય તો કાર્યક્રમ પૂરો ના થાય. આજકાલ દેશભરમાં ઉપરોક્ત લાઇનો કોમન થઇ જતાં તમામે પાકી ગોખી કાઢી છે. દેશના કૃષિમંત્રી તો અગણિતવાર આ લાઇનો ઉચ્ચારી ચૂક્યા છે. દેશમાં ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં જોવાં એ સારી બાબત છે પણ પૂરાં કરવાં એ અઘરી બાબત છે. દેશમાં રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે ૫૮૫ માર્કેટયાર્ડોને ઓનલાઇન કરવાના સરકારનાં પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત સપ્ટેમ્બર સુધી ૨૦૦ને બદલે માત્ર ૬૯ માર્કેટયાર્ડ ઓનલાઇન થઇ શકયાં છે. પ્રોજેક્ટની શરૂઆત થઇ હતી તે ૨૧ માર્કેટયાર્ડો મહિનાઓ બાદ પણ ઓનલાઇન થઇ શક્યા નથી. જેમાં ગુજરાતના પણ ત્રણ માર્કેટયાર્ડો છે. સરકાર માર્કેટયાર્ડોને ઓનલાઇન કરવાના બે લક્ષ્યાંક તો ચૂકી ગઈ છે.
આ જ સ્થિતિ પાકવીમા યોજનાની છે. પાકવીમા યોજના પણ સરકારની મહત્ત્વાંકાંક્ષી યોજના છે. માંડ દેશના ૯ રાજ્યોમાં આ યોજના સફળ રહી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૩ કરોડ ખેડૂતોને યોજના સાથે જોડવાના લક્ષ્યાંક સામે માંડ ૨.૫૩ કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. જેમાં મોટાભાગના ખેડૂતો લોની ( ધિરાણ લેનાર) છે. રાજ્યમાં ૩૦ મી સપ્ટેમ્બર સુધી પાક-પાણીપત્રકમાં એન્ટ્રી થઇ જાય છે પણ આ વર્ષે કામગીરી લંબાઇ છે. અખતરાઓ યોજવા પૂરતા ગ્રામસેવકો ન હોવાથી ગુજરાતે કૃષિ જાણકારોને ભથ્થા પર રાખી અખતરાઓની કામગીરી પૂરી કરવાનો નિર્ણય લીધો છે. હવે કેટલા ખેડૂતોને આ યોજનાને લાભ મળે એ અલગ બાબત છે. હાલમાં કામગીરી પૂર્ણ થાય એ મહત્ત્વનું છે.
સોઇલ હેલ્થકાર્ડમાં પણ ૨.૫૩ કરોડના ટાર્ગેટ સામે ૨.૦૩ કરોડ સેમ્પલ લેવાયા છે અને માત્ર ૧.૦૫ કરોડ સેમ્પલોની ચકાસણી થઇ છે. આમ સરકાર કઇ યોજનાઓને આધારે ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં જોઇ રહી છે. મહત્ત્વાંકાંક્ષી તમામ યોજનાઓની કામગીરી ડચકાં ખાઈ રહી છે.
કઠોળમાં ખેડૂતોને આ વર્ષે પ્રોત્સાહન અપાતાં રેકોર્ડબ્રેક વાવેતર અને ઉત્પાદન પણ રેકોર્ડબ્રેક થવાના સરકારે અંદાજ મૂક્યા છે. ખરીફમાં ૮૭ લાખ ટન અને રવી સિઝનમાં પણ ૧૩૫ લાખ ટન કઠોળ પાકી શકે છે. કઠોળનાં વાવેતરની ખેડૂતોએ જવાબદારી નિભાવી સરકારને સાથ આપ્યો છે પણ કઠોળમાં લેવાઈ રહેલાં સરકારી નિર્ણયોને પગલે કઠોળના ભાવ પાણી પાણી થાય તેવી સંભાવના છે. સરકારને મોંઘવારીની ચિંતા છે પણ ખેડૂતો ભાવમાં માર ખાશે એ ચિંતા નથી. દેશમાં એક વર્ષ માટે ખાદ્યતેલ અને કઠોળમાં સ્ટોકલિમિટ લંબાવી દેવાઇ છે. દેશમાં ખેડૂતો મગના ભાવ માટે બૂમાબૂમ કરી રહ્યા છે.
ઘઉંનું ઉત્પાદન પણ ૯૬૨ લાખ ટન થવાનો અંદાજ છેક સુધી જાળવી રાખનાર સરકાર હવે એફસીઆઇના ગોડાઉનમાંથી કદાચ વેચાણ બંધ કરે તો નવાઇ નહીં. ગોડાઉનમાં ૨૩૨ લાખ ટન ઘઉંનો સ્ટોક છે. સરકારી બફર સ્ટોકનાં નિયમોને પગલે ૨૦૯ લાખ ટનથી વધારે હોવા છતાં સરકારે હવે ઘઉંની આયાતડયૂટી ૨૫ ટકામાંથી ઘટાડી ૧૦ ટકા કરી દેવી પડી છે. મિલો વિદેશમાંથી ૧૩ લાખ ટન ઘઉંની આયાત કરે તેવી સંભાવના છે. ડુંગળીના ભાવ એક રૂપિયે કિલો છે ત્યારે ડુંગળીની નિકાસ વધારવાને બદલે ૪૨૫ લાખ ટનથી વધુ પાકનાર બટાટાંની આયાતડયૂટી ઘટાડાઈ રહી છે.
કપાસમાં પણ દેશની મિલોએ ઉચ્ચ ક્વોલિટીનો માલ લેવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડયા છે અને દેશનો સસ્તો અને સારો માલ પાકિસ્તાન લઇ ગયું છે. પાકિસ્તાને આ વર્ષે સૌથી વધુ રૂની આાયાત ભારતમાંથી કરી છે. દેશમાં ખરીફ ઉત્પાદન અને રવીના લક્ષ્યાંકો એડવાન્સમાં બહાર પડયા છે. વર્ષ ૨૦૧૬ કૃષિક્ષેત્રમાં નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરે તો નવાઇ ના પામતા સરકારે રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાની વાહવાહી લૂંટવાને બદલે ઉત્પાદિત માલના ખેડૂતોને સારા ભાવ મળે એ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. હાલમાં ખરીફ ઉત્પાદનના તમામ અંદાજો ઊંચા છે. દેશમાં વાવેતરના આંક એ ફક્ત આંખે દેખ્યો અહેવાલ હોવાથી વેપારીઓ અને કૃષિવિભાગનાં ઉત્પાદનના આંકમાં જમીન આસમાનનો ફર્ક હોય છે. આ વર્ષે ઊંચા ઉત્પાદનના અંદાજ બાદ ખેડૂતોને સારી આવક મળશે તો ખેડૂતોની આર્થિક પ્રગતિ થશે અને દેશની પ્રગતિ થશે. હાલમાં ખેડૂતોની આવક ડબલ નહીં તો દોઢી કરવાની તક હોવાનો સરકાર લાભ ઉઠાવે એ જરૂરી છે. બાદમાં ખેડૂતોની આવક ડબલ કરવાની ગોખાયેલી લાઈનો બાલાશે તો કંઇક અંશે યોગ્ય લાગશે.

Monday, 19 September 2016

આયાત-નિકાસ : ખેડૂતોને ભેખ.ડે ભરાવતી નીતિ


કૃષિ એક એવું સેક્ટર છે જેમાં એક હાથે તાળી પડતી નથી. કુદરતી ચક્ર જ એવું છે કે, કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન દેશે પણ આયાત-નિકાસની પરંપરાને નિભાવવી પડે છે. પાકના ભાવના વધારા-ઘટાડામાં આયાત-નિકાસના આંક મહત્ત્વનું પરિબળ છે. ભારત કૃષિક્ષેત્રની આયાત-નિકાસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માર ખાઈ રહ્યું છે. કેન્દ્રીય વાણીજ્યમંત્રી કૃષિમાં આયાત સામે નિકાસનો આંક સતત ઘટી રહ્યો હોવાનો સ્વીકાર કરી રહ્યાં છે પણ હવે ધીમેધીમે સ્ટેબલ થશે એવો બચાવ પણ કરી રહ્યા છે. દેશમાંથી વર્ષે ૨૦૧૫-૧૬માં કૃષિની નિકાસમાં ૧૫ ટકાનો ઘટાડો થતાં આંક ૨૬૨.૩૦ અબજ ડોલરે પહોંચ્યો છે. ભારતે કૃષિના ૧૨ સેક્ટરમાં પ્રગતિ અને ૧૫ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથ મેળવ્યો છે. વિશ્વના ૧૫ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે કારણકે સરકાર કૃષિની આયાત-નિકાસમાં ધ્યાન આપવાને બદલે મોંઘવારી સંભાળવામાં વ્યસ્ત બની આડેધડ નિર્ણયો લઈ રહી છે. અમેરિકા, સંયુક્ત આરબ અમિરાત, ચીન, બ્રિટન, સિંગાપુર, જર્મની, બેલ્જિયમ અને ફ્રાંસ જેવા મહત્ત્વનાં દેશોમાં ભારતનો વેપાર ઘટયો છે. ભારતે નવા બજારો શોધવા છતાં નિકાસમાં ઘટાડો થયો એ વાસ્તવિકતા છે.
દૂધ સેક્ટરમાં પણ વર્ષ ૨૦૧૩-૧૪માં ૫૪૭.૪૦ મિલિયન ડોલર વેપાર સામે વર્ષ ૨૦૧૫-૧૬માં માત્ર ૧૧૫.૦૭ મિલિયન ડોલર વેપાર રહી ગયો છે. ભારતની નિકાસનીતિમાં દૂરંદેશીનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. કઠોળની આયાતમાં સરકાર એક મજાકનું પાત્ર બનીને ઊભરી રહી છે. સરકાર કઠોળના ભાવ ન વધે માટે ૯૦ હજાર ટનનો બફરસ્ટોક કરવા માગે છે. જે માટે આયાત થઈ રહી છે. ખેડૂતોને હાલમાં ટેકાથી પણ નીચા ભાવ કઠોળના મળી રહ્યાં હોવા સામે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે વિદેશમાં કઠોળની આયાત માટેના સોદા કરી રહી છે. મોઝાબિંકમાં કઠોળની ખેતી કરાવનાર સરકાર બ્રાઝિલમાં પણ આ જ ધારાધોરણો અનુસાર ખેતી કરાવવા માગે છે. બ્રાઝિલમાં કઠોળની ખેતી પાછળ ખર્ચ કરનાર સરકાર આ વર્ષે ખેડૂતોને કઠોળના ટેકાના ભાવથી વધુ ભાવ અપાવે તે તાતી જરૂરિયાત છે. મગનો ભાવ ટેકાથી પણ નીચો ગયો છે. કઠોળના ભાવ વધે તુરંત જ સરકારનું ટેન્ડર તૈયાર થઈ જાય છે. મકાઈની આયાત માટે ત્રણ ત્રણ વાર ટેન્ડરો ભરવા કંપનીઓ આગળ આવી નથી. ગત વર્ષે ડુંગળીની આયાત બાદ કોઇ ખરીદદારો મળ્યા ન હતા. આ વર્ષે ડુંગળીના ભાવ ધડામ દઈને નીચે પટકાતાં સરકારે નિકાસશુલ્કમાં રાહત આપવાની સાથે ૫ ટકાની છૂટછાટ પણ આપી છે.
વિશ્વભરમાં ઘઉંના ભાવ છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી નીચા છે પણ ભારતમાં સૌથી ઊંચા હોવાનું મુખ્ય કારણ ઘઉંની આયાત પર ૨૫ ટકા ડયૂટી છે. વિશ્વબજારમાંથી સસ્તા ઘઉં ભારત આવી શકે તેવી સ્થિતિ નથી, સરકાર ઘઉંનું ઉત્પાદન ૯૪૦ લાખ ટન થયું હોવાનું અશક્ય રટણ લગાવી રહી છે. સરકાર હાલમાં છૂટછાટ આપે તો ઘઉંના ઊંચા ઉત્પાદનનો પરપોટો ફૂટવાનો ડર છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ડયૂટી છતાં ટ્રેડરોએ ૮.૫ લાખ ટન ઘઉંની આયાત માટે બીડ કરી છે. જે નવ વર્ષમાં સૌથી વધુ છે. દેશમાં હાલમાં ઘઉંના પુરવઠાની સ્થિતિ તંગ હોવા છતાં પણ સરકાર આયાત ડયૂટી જાળવી રાખવાના મૂડમાં છે. દેશનાં ગોડાઉનોમાં ૨૭૦ લાખ ટન ઘઉંનો સ્ટોક પડયો છે. આ વર્ષે ઘઉંની આયાત રેકોર્ડબ્રેક થાય તેવી સંભાવના છે, છેલ્લે વર્ષ ૨૦૦૬માં ૬૦ લાખ ટન ઘઉંની આયાત કરતાં વૈશ્વિક ભાવમાં ૫૦ ટકાનો વધારો થયો હતો.
મગફળી અને તેલીબિયાં પાકોની સિઝન નજીક આવી રહી છે ત્યારે આયાતમિલો ખાદ્યતેલની આયાતડયૂટી વધારવા માટે બુમરાણ પાડી રહી છે. મર્યાદિત માત્રમાં ખાદ્યતેલની આયાત કરવાની માગ કરાઈ રહી છે. ભારતમાં આ વર્ષે પણ ૧૫૦ લાખ ટન ખાદ્યતેલની આયાત થાય તેવી સંભાવના છે. ખેડૂતોને બોનસ આપી કઠોળનું વાવેતર વધારવા પ્રોત્સાહન આપતાં વાવેતર વિસ્તાર ૧૪૨ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. હવે કઠોળના ભાવ ખેડૂતોને ટેકાથી પણ ઊંચા મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકારે ગત વર્ષે કઠોળની ખરીદી પાછળ ૨૫ હજાર કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચી કાઢયું છે. તેલીબિયાં પાછળ પણ રૂ. ૭૦ હજાર કરોડથી વધુનો ભારત ખર્ચ કરે છે. કૃષિક્ષેત્રના નિકાસ આંકમાં સતત ઘટાડો અને આયાત આંક વધી રહ્યો છે. નિકાસઆંકમાં વધારો થશે તો જ કૃષિક્ષેત્રની પ્રગતિ શક્ય છે. આ વર્ષે આશા રાખીએ કે તેલીબિયાં, કઠોળના ઊંચા ઉત્પાદન બાદ સરકારની આયાત-નિકાસ નીતિમાં સુધારો નહીં થાય તો ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવશે.

પાછોતરા વરસાદ પર કૃષિનું ભવિષ્ય


વરસાદ એ દેશની અર્થવ્યવસ્થાની જીવાદોરી છે. દેશની પ્રગતિને પાટા પર ચડાવવા માટે સારો વરસાદ એ અતિ જરૂરી છે. દેશનાં ૬૦ ટકા લોકોને રોજગારી પૂરી પાડતાં કૃષિક્ષેત્રનું વરસાદ પર અવલંબન છે. જીડીપીમાં કૃષિક્ષેત્રનો હિસ્સો ઘટીને ભલે હવે ૧૪ ટકા રહ્યો પણ વરસાદ એ દેશની કૃષિક્ષેત્રની પ્રગતિ સાથે પણ આડકતરી રીતે જોડાયેલો છે. ભારત છેલ્લાં બે વર્ષથી સતત દુકાળનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે હવામાન વિભાગે સામાન્યથી વધુ વરસાદના જાહેર કરેલા અંદાજમાં હવે નોંધપાત્ર ફેરફાર થયો છે. દેશમાં ૧૨મી સપ્ટેમ્બર સુધી ૫ ટકા ઓછો વરસાદ છે. પાકનાં ઉત્પાદનનાં સરકાર દ્વારા ઊંચા મુકાયેલા અંદાજ સુધી પહોંચવા માટે સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ એ અતિ જરૂરી છે. હાલમાં પાકની વૃદ્ધિનો નિર્ણાયક તબક્કો હોવાથી પાણીની અછત હેક્ટરદીઠ ઉત્પાદકતા પર અસર પાડશે. પાછોતરો વરસાદ એ કૃષિક્ષેત્રનું ભવિષ્ય નક્કી કરતો હોવાનું કહેવું પણ અતિશયોક્તિ ભર્યું નથી. ૧૫મી સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના આણંદ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિક ડો. વ્યાસપાંડેએ વ્યક્ત કરી છે.
દેશમાં આ વર્ષે મેઘરાજાએ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતને બદલે ઉત્તર અને મધ્ય ભારત પર ભારે હેત વરસાવ્યું છે. ગુજરાતની કમનસીબી ગણો કે મધ્ય ભારતમાં સૌથી ઓછો વરસાદ -૨૪ ટકા ગુજરાતમાં છે. દર વર્ષે પાણીની ભારે બુમરાણ મચાવતાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં સરેરાશ ૭૯૭ મિમી. વરસાદ વચ્ચે ૧૨મી સપ્ટેમ્બર સુધીમાં માત્ર ૫૬૯ મિમી. વરસાદ થયો છે. ગુજરાતમાં આગામી ૧૦ દિવસમાં વરસાદ નહીં થાય તો ગત વર્ષ અને આ વર્ષની સ્થિતિ સમાન થઇ જશે. ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે. ગુજરાતમાં કૃષિઉત્પાદનના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે, દુકાળ વચ્ચે પણ ખેતઉત્પાદનને જાળવી શકાયું છે. બે વર્ષથી દુકાળ વચ્ચે કૃષિક્ષેત્રનો વિકાસ થયાના દાવાઓ કરવા નરી મૂર્ખામી છે. ગુજરાતનાં મુખ્ય જળાશયોમાં પાણીની તંગી છે.
દેશમાં સારો વરસાદ છતાં પણ ૧૧ રાજ્યોમાં ઘટ અને ૨૨ રાજ્યોમાં સરેરાશ વરસાદ છે. માત્ર ૩ રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ છે. દેશમાં સૌથી ઓછો વરસાદ થાય છે તેવા રાજસ્થાનમાં આ વર્ષે સૌથી વધુ ૩૪ ટકા અને સૌથી વધુ વરસાદ ધરાવતાં મેઘાલયમાં વરસાદની ઘટ ૪૮ ટકા છે. ઓગસ્ટમાં હવામાન વિભાગે ૯૫ ટકાથી ૧૧૩ ટકા વરસાદ થવાના મૂકેલા અંદાજ સામે ઓગસ્ટમાં માત્ર ૯૧ ટકા વરસાદ થયો છે. પૂર્વોત્તરને પણ વરસાદે આ વર્ષે બાકાત રાખતાં આસામ અને મેઘાલયમાં વરસાદની ઘટ ૩૫ ટકાથી વધારે છે. દક્ષિણ ભારતમાં ઓગસ્ટના અંત સુધી ૧૦ ટકા ઓછો વરસાદ છે. ચોમાસાની શરૂઆત થાય છે તે કેરળમાં ૩૦ ટકા ઓછો વરસાદ છે. દેશનાં જળાશયો ૬૯ ટકા પાણીથી ભરાયેલાં છે. હાલમાં જળાશયોમાં ૧૦૮ બીસીએમ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
સામાન્ય રીતે પાંચ ટકા ઓછો વરસાદ જીડીપીને રૂપિયા દોઢ લાખ કરોડનું નુક્સાન કરાવે છે. છેલ્લાં બે વર્ષથી સતત ઓછા વરસાદથી કઠોળની આયાત પાછળ રૂ.૨૫ હજાર કરોડ અને ખાદ્યતેલની આયાત માટે રૂ. ૭૦ હજાર કરોડનો ખર્ચ થયો છે. ૧૬ વર્ષમાં પ્રથમવાર મકાઇની આયાત થવાની સાથે વિશ્વમાં બીજા નંબરના ખાંડના ઉત્પાદક દેશ ભારતમાં નવી સિઝનમાં કદાચ ખાંડની આયાત કરવી પડે તેવી સ્થિતિ પેદા થશે. ઘઉંમાં પણ ૬ વર્ષમાં સૌથી વધુ આયાત આ વર્ષે થઇ છે. કૃષિની નિકાસમાં ઘટાડો થતાં આંક ૨૭૩ અબજ ડોલરે અટકી ગયો છે. વરસાદ એ કૃષિક્ષેત્રને સીધી અસર કરે છે. આ વર્ષે હવામાન વિભાગના સારા વરસાદના અંદાજથી ખરીફ વાવેતરનો આંક ૧,૦૫૪ લાખ હેક્ટરે પહોંચ્યો છે. ગુજરાતમાં પણ ૮૩.૫૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ઊંચા ઉત્પાદનના અંદાજ મૂકી ખેડૂતોને સારા ભાવ મળવાની અપેક્ષાઓ પર ફિંડલું વાળી દીધું છે.
ચોમાસાના ચાર મહિનામાં ઓગસ્ટમાં ઓછો વરસાદ પાકની હેક્ટરદીઠ ઉત્પાદકતા પર સીધી અસર કરે છે. ગુજરાતમાં ખેડૂતો ચાતકનજરે વરસાદની રાહ જોઇને બેઠા છે. હવેના ૧૦ દિવસમાં વરસાદની અછત ખેતઉત્પાદન પર અસર કરશે. હવામાન વિભાગ અને આગાહીકારોની તમામ આગાહીઓ ખોટી ઠરી રહી છે. રાજ્યમાં ગરમીનું વધતું પ્રમાણ એ વરસાદ માટે ખતરાની નિશાની છે. ઊંચાં વાવેતર અને હાલની પાકની સ્થિતિ પ્રમાણે સારો વરસાદ કપાસ, મગફળી, કઠોળ અને ધાન્યપાકોનાં ઉત્પાદનમાં પાંચ ટકાનો વધારો કરે તેવી સ્થિતિ છે નહીં તો ખેડૂતોનાં મોઢા સુધી આવેલો કોળિયો છિનવાઇ જશે તેમાં મીનમેખ નથી.

ખાંડ : તહેવારોની સિઝનમાં વધુ કડવી લાગશે

૨૦મી સદીમાં ફક્ત પૈસાદારવર્ગ જ ખાંડ ખાઈ શકે તેવી સ્થિતિ વચ્ચે ગરીબવર્ગને ગળપણ લાવવાનો એક માત્ર આધાર ગોળ હતો. હાલમાં સ્થિતિ બદલાઇ છે અને પરિણામ એ છે કે, ૨૦મી સદીમાં થતાં વપરાશ સામે આજે વિશ્વમાં ૧૭ કરોડ ટન ખાંડની વપરાશ થાય છે. ખાંડની માગ વધી તેમ ઉત્પાદન અને ભાવ પણ વધ્યા છે. ઇઝરાયલ અને બાંગ્લાદેશ ખાંડ આરોગવામાં અવ્વલ હોવા છતાં ભારત પણ પાછળ નથી.
દેશમાં ખાંડની વપરાશ ૨૬૦ લાખ ટન છે. ખાંડ ફક્ત ચાની ચૂસકી કે ગળપણ લાવવામાં જ વપરાતી નથી પણ હાલમાં બજારમાં મળતા તમામ જંકફૂડમાં ખાંડની વપરાશ થાય છે, એટલે કે ચા ઓછી પીવાથી ખાંડ ઓછી આરોગતા હોવાનું માનવું જ ભૂલભરેલું છે. ખાંડના ભાવ હાલમાં ત્રણ વર્ષમાં સૌથી ઊંચા છે. છૂટકમાં કિલોનો ભાવ રૂપિયા ૪૦થી ૪૫ છે અને તહેવારમાં ૫૦ રૂપિયા પ્રતિ કિલો પણ પહોંચે તો નવાઈ નહીં. આ વર્ષે મોંઘવારી વધારવામાં કઠોળને પૂરતો સહયોગ ખાંડના ભાવોએ પૂરો પાડયો છે.
દેશમાં છેલ્લાં બે વર્ષમાં અલ-નિનોને પગલે વરસાદની ૧૨ ટકા અને ૧૪ ટકા ઘટ રહેતાં ખાંડનું ઉત્પાદન ઘટયું છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ખાંડનું ઉત્પાદન ૨૮૩ લાખ ટન હતું. ૨૦૧૫-૧૬માં ખાંડનું ઉત્પાદન ૨૫૨ લાખ ટન અને ૨૦૧૬-૧૭માં ૨૩૨ લાખ ટન રહે તેવી સંભાવના છે. દેશમાં ખાંડની વપરાશ ૨૬૦ લાખ ટન આસપાસ રહે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ખાંડનો એન્ડિંગ સ્ટોક ૯૧ લાખ ટન આસપાસ હોવા છતાં ખાંડના ભાવમાં ઉછાળો ખાંડમિલોના સ્ટોકને પગલે છે. સરકારે હવે ખાંડમિલો પર સ્ટોકલિમિટ લાગુ કરતાં ઓક્ટોબરના અંત સુધી દેશમાં ૪૮ લાખ ટન ખાંડ બજારમાં આવશે. દેશમાં ખાંડની સરેરાશ માસિક વપરાશ ૨૦થી ૨૨ લાખ ટન છે. ઓક્ટોબરના અંત સુધી ખેડૂતો ૩૭ ટકા ખાંડનો સંગ્રહ કરી શકે છે. ગુજરાતમાં પણ આ સિઝનમાં ૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન રહેતાં મિલો પાસે ૩.૫ લાખથી ૪ લાખ ટન ખાંડનો સ્ટોક છે.
દેશમાં ખાંડના પૂરતા સ્ટોક વચ્ચે ભાવવધારો એ આપણી કમનસીબી કે સરકારની નિષ્ફળતા છે. સરકાર ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૪,૦૦૦થી વધુ ન થાય તેની ચિંતા કરીને બેસી રહી છે. નવેમ્બર ૨૦૧૫માં ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨,૭૦૦ની આસપાસ હતો. હાલમાં ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ સરેરાશ ૩,૮૦૦થી ૩,૯૦૦ છે. છૂટકમાં તો ખાંડનો ભાવ પ્રતિ કિલો ૪૦થી ઉપર છે. તહેવારોમાં ખાંડના ભાવ ઊંચકાશે અને ખાનારને વધુ ભાવ ચૂકવવા પડશે. દેશમાં નવી સિઝનમાં શેરડીનું વાવેતર ૪૫ લાખ હેક્ટરમાં જ હોવાથી ખાંડનું ઉત્પાદન ૨૨૨થી ૨૩૨ લાખ ટન થવાનો અંદાજ મુકાયો છે. એન્ડિંગ સ્ટોક ૪૫ લાખ ટન આસપાસ રહે તેવી શક્યતાઓ છતાં ખાંડના ભાવ નીચા જાય તેવી કોઇ સંભાવના નથી. દેશમાં આ વર્ષે ઘટ છે પણ ૧૬ લાખ ટન ખાંડની નિકાસ થઇ હોવાનું સાબિત કરે છે કે દેશમાં કૃષિના આયાત-નિકાસના નિર્ણયોમાં દૂરંદેશીતાનો સદંતર અભાવ છે. મિલોને ખાંડના ઊંચા ભાવથી બખ્ખાં છે. મિલો હાલમાં સારા ભાવથી નફો નહીં પણ દેવું વસૂલ કરી રહી હોવાનું ગાણું ગાઇ ખેડૂતોને નવી સિઝનમાં શેરડીના ઊંચા ભાવ ન આપવા માટે છટકબારી શોધી રહી છે પણ ગુજરાતમાં તો શેરડીના ખેડૂતોને ઊંચા ભાવ મળે તેવી પૂરી શક્યતા છે.
દેશમાં શેરડીની એફઆરપી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૩૦થી વધારીને રૂ. ૨૬૦થી ૨૭૦ થાય તેવી પૂરી સંભાવના છે. સરકારે પણ શેરડીની ખેતીમાં વધારો થાય તે માટે પ્રોત્સાહન આપવું એ અતિ જરૂરી છે. ખાંડનાં ઉત્પાદનમાં ઘટાડો ભારત માટે જોખમી છે. દેશમાં ખાંડની વપરાશ જેટ ગતિએ વધી રહી છે. સરકાર મોંઘવારી રોકવા માટે કદાચ ખાંડની આયાત કરે તેવી પણ સંભાવના છે.
એશિયામાં ખાંડનાં ઉત્પાદનમાં ઘટાડાથી વિશ્વમાં પણ ખાંડના ભાવ ઊંચકાયા છે. વિશ્વમાં ખાંડની ૧૭.૪૦ કરોડ ટન વપરાશ સામે આ વર્ષે ઉત્પાદન ૧૬.૯૦ કરોડ ટન થયું છે. બ્રાઝિલમાં ઓગસ્ટના ક્વાર્ટરમાં ૧૧ લાખ ટન ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. દેશમાં ૫૩૨ ખાંડમિલો પૈકી ૧૦૦ પાસે સરકારી નિયમો કરતાં વધુ ખાંડનો સ્ટોક છે.
દેશમાં સતત ત્રણ વર્ષ વપરાશ કરતાં ખાંડનું ઉત્પાદન ઘટતાં નવી સિઝનમાં ખેડૂતોને શેરડીના ઊંચા ભાવ આપવા એ મિલો અને સરકારની મજબૂરી છે. પ્રતિ કિલો રૂપિયા ૩૩ના ખર્ચ સામે ખાંડના વધુ ભાવથી મિલોને હાલમાં પ્રતિ માસ ૧,૦૦૦ કરોડ રૂપિયા કમાણી થઇ રહી છે.

Tuesday, 12 April 2016

કેન્દ્ર-રાજ્ય સરકારનું પાણી માપશે દુકાળ


૫૦૦, મારા ૬૦૦, ભાઈ હું ૮૦૦ રૂપિયા આપીશ... આ ક્રિકેટસટ્ટા કે માર્કેટયાર્ડમાં પાકની હરાજીની વાત નથી. ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છેવાડાના તાલુકામાં પાણીનું ટેન્કર દેખાય તો ખરીદવા રીતસરની પડાપડી થાય છે. લોકોને ખાવા માટે અનાજ તો છે પીવા માટે પાણી નથી. શિહોરી લાઈનનું પાણી પહોંચતું નથી અને નર્મદા બંધ છે. આ એ જ જિલ્લા છે જ્યાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ થયો હતો, આમ છતાં લોકો પાણી માટે ફાંફાં મારી રહ્યાં છે.  
પાણી, પાણીના પોકારો ધીમે ધીમે વધશે. ઉનાળામાં ગરમી રેકોર્ડતોડ પડવાની છે. દેશનાં ૯૧ જળાશયોમાં માંડ ૨૫ ટકા પાણી બચ્યું છે. લોકો રસ્તા પર ઊતરી રહ્યાં છે અને સરકાર મનરેગાનાં કામોના પૈસા ચૂકવી લોકો પર ઉપકાર રહી હોય તેમ પોતાનો બચાવ કરી રહી છે. દેશમાં સિંચાઈ ક્ષેત્રની ૪,૦૦૦ યોજનાઓ અધૂરી છે. ગરમી વધી રહી છે, ખેતી નિષ્ફળ જઈ રહી છે. સ્થિતિ એવી છે કે, કઠોળ, તેલીબિયાં, મસાલા અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગરીબ વર્ગ માટે દિવસો કાઢવા મુશ્કેલ બન્યા છે. લોકો શાકભાજીના ભાવ સાંભળીને લીધેલી પાછી મૂકી રહ્યાં છે. સરકાર પાણી સંભાળવા જશે તો મોંઘવારીના ભોરીંગમાં ભરાઈ જશે.  
૨૦૧૫નાં વર્ષમાં ૧૭ રાજ્યોમાં વરસાદની અછત વચ્ચે ૧૦ રાજ્યોમાં જળસંકટ ઊભું થયું છે. મહારાષ્ટ્રમાં તો ૨૦૧૬-૧૭નાં વર્ષમાં અડધું બજેટ ખેતી માટે ફાળવવું પડે તેવી સ્થિતિ છે. ઔરંગાબાદ અને ઈલોરાની હાઈવે પરની હોટેલોમાં તો શૌચાલયો પર તાળાબંધી કરી દેવાઈ છે. મરાઠાવાડમાં લોકોએ તહેવાર અને લગ્નપ્રસંગને ટાળી દીધા છે. પાણીની અછતને પગલે મધ્ય પ્રદેશમાં કઠોળની ૭૦ મિલો બંધ કરી દેવાઈ છે. મહારાષ્ટ્રના મરાઠાવાડમાં પણ નવી સિઝનમાં શેરડીની શુગરમિલો અડધી બંધ રહે તેવી સ્થિતિ છે. કૃષ્ણા બેસીનમાં પાણીની તંગી આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુમાં સ્થિતિ ગંભીર બનાવી શકે છે. પ્રજાની કમનસીબી એટલી છે કે, દેશમાં દુકાળ બાબતે સુપ્રીમકોર્ટે ફટકાર લગાવવી પડી છે.  
દેશમાં પાણીની અછતનો સામનો કરતાં રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના ૧૩ જિલ્લાનાં જળાશયોમાં ક્રિકેટ રમી શકાય તેવી સ્થિતિ છે. આઈપીએલના માહોલમાં ક્રિકેટ રમવાની વાત નથી પણ જળાશયો સૂકાં ભઠ્ઠ પડયાં છે. રાજ્યનાં એક પણ જળાશયમાં ૩૦ ટકાથી વધુ પાણી નથી, હવેનો દોઢ મહિનો પ્રજા પાણી વિના કેવી રીતે કાઢશે એ જ સૌથી મોટી સમસ્યા છે. ઉત્તર પ્રદેશે તો બુંદેલખંડ સહિત રાજ્યના ૫૦ સૂકા વિસ્તારો માટે ખાદ્યતેલ અને અનાજની કેન્દ્ર સરકાર પાસે માગણી કરી છે. પિૃમી ઉત્તર પ્રદેશમાં ૨૫ ટકા અને પૂર્વાંચલમાં ૩૦ ટકા પાક બરબાદ થઈ ગયો છે.  

મરાઠાવાડમાં લોકો પાણી માટે રાતજગો કરી રહ્યાં છે. લાતૂર અને પરભણીમાં તો ૧૪૪ની કલમ લાગુ કરાઈ છે. મધ્ય પ્રદેશના ત્રિકમગઢમાં પોલીસબંદોબસ્ત હેઠળ પાણી આપવાની સાથે જમુનિયા નદીમાંથી પાણીની ચોરી કરવા માટે પાલિકાપ્રમુખે હથિયારધારી માણસો મૂક્યાં છે. મધ્ય પ્રદેશમાં ૪૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને ૪૮ લાખ ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે. રાજ્ય સરકારો પણ અત્યાર સુધી ઈમેજ ન બગડે માટે પાણીની અછતની સમસ્યા છુપાવી રહી હતી. ગુજરાતમાં ૨૦ ટકા વરસાદની ખાધ વચ્ચે પાંચ જિલ્લાનાં ૧,૧૦૦થી વધુ ગામડાઓ અસરગ્રસ્ત બન્યાં છે. ગુજરાતમાં સિંચાઈની મનાઈ ફરમાવનાર સરકાર હવે પીવાનાં પાણીની ગોઠવણ કરવામાં વ્યસ્ત બની છે. ગુજરાતમાં પાણી બાબતે સૌથી ખરાબ સ્થિતિ કચ્છ, સૌરાષ્ટ્રમાં છે.  
ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા જ્યારે દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુમાં ખરીફ સિઝનની વાવણી મોડી થશે. દક્ષિણ ભારતમાં પાણીના અભાવે મસાલાપાકની સ્થિતિ બદથી બદ્તર બની ગઈ છે. ભારત કૃષિપ્રધાન દેશ ગણાય છે પણ દર ૩૦ મિનિટે એક ખેડૂત આત્મહત્યા કરે છે. એનસીઆરબીના એક રિપોર્ટ અનુસાર ૧૯૯૫થી ૨૦૧૩માં પોણા ત્રણ લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂકયા છે. મહારાષ્ટ્ર આત્મહત્યાના મામલામાં છેલ્લાં ૧૫ વર્ષમાં આજે પણ પ્રથમ સ્થાને છે. સરકારો રાહતપેકેજ-જાહેર કરીને કામગીરી કર્યાનો સંતોષ માને છે અને આત્મહત્યાઓનું ચક્ર અટકતું નથી. પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં વરસાદની અછતમાં થરપારકરમાં ૨૦૦ લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાનમાં ૧.૭૫ લાખ લોકો પાણીની અછતથી પીડિત છે. દક્ષિણપૂર્વ એશિયામાં વિયેતનામ, થાઈલેન્ડ, ફિલિપીન્સ, કંબોડિયા, લાઓસ અને મલેશિયા પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. ગુજરાતીઓનાં મનપસંદ સ્થળ થાઈલેન્ડમાં એક દાયકાની સૌથી ખરાબ સ્થિતિ છે. હોટેલોમાં પાણીબચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે. થાઈલેન્ડના પ્રખ્યાત સોંગક્રાન તહેવારમાં ભગવાન બુદ્ધની પ્રતિમા પર ડોલ ભરીને પાણી ચડાવવામાં આવે છે. સરકારે ડોલ ભરીને બદલે કટોરી ભરીને પાણી ચડાવવા સામાન્ય જનતાને અપીલ કરી છે.

Wednesday, 24 February 2016

ગ્રીનહાઉસ : ગુજરાતને કાળી ટીલી લગાડશે


ગુજરાતમાં ગ્રીનહાઉસ બનાવવા એનએચબી અને સ્થાનિક બાગાયતના નિયમો અલગ અલગ : એમ્પેનલમાં હવે માત્ર ૬ કંપનીઓ રહી :   ગ્રીનહાઉસમાં ખેડૂતોનો રસ ઓસર્યો
૨૦૦૮-૦૯માં ગુજરાતમાં ગ્રીનહાઉસનો સૂરજ તપતો હતો ત્યારે ખીરાકાકડી, કેપ્સિકમ કે જરબેરાનાં ફૂલોના ટેમ્પાઓ ભરાતા જોઈને ખેડૂતોમાં પણ ગ્રીનહાઉસ જોવાનો જબરો ક્રેઝ હતો. ફલાણા કે ઢીંકણા ભાઇનાં ઘરે જવું છે એમ ગામના ચોરે પૂછાય કે તુરત ચાર જણા ઊભા થઈ રસ્તો બતાવવા તૈયાર થઈ જાય. નામ સાંભળતાં જ ખબર પડી જાય કે ગ્રીનહાઉસ જોવા આવ્યા હશે, સાથે ખેતરમાં ૩૦થી ૪૦ લાખ રૂપિયાનું રોકાણ કરનારની ગણતરી પૈસાદારમાં થવાની સાથે પ્રગતિશીલ ખેડૂત હોવાનો પંથકમાં માન-મોભો જળવાય એ તો નફાનો. સગાંસંબંધી સુદ્ધાં વાતો કરે કે અમારાં સગાંએ હમણાં જ ગ્રીનહાઉસ બનાવ્યું. ગ્રીનહાઉસ કે નેટહાઉસ બનાવીને ૨૦૦૮-૦૯માં આ પ્રકારનો 'રોલો' ભોગવનાર ખેડૂતો હાલમાં ગ્રીનહાઉસનાં નામથી ભાગી રહ્યા છે. ગુજરાતમાં ગ્રીનહાઉસ તો આજે પણ ઊભાં છે પણ તેમાં કાકડી કે કેપ્સિકમને પ્લાસ્ટિકનાં ચીંથરાં ઊડી રહ્યાં છે. અત્યાધુનિક ટેક્નોલોજીના વાયરામાં ખેતરમાં ગ્રીનહાઉસ ઊભાં કરનાર ખેડૂતો આજે પેટભરીને પસ્તાઈ રહ્યા છે, આ એક-બે ખેડૂતની વાત નથી, સંખ્યા ૧૦૦થી વધુ ગ્રીનહાઉસધારકોની છે. કહેવાનો મતલબ જરા પણ એવો નથી કે ગ્રીનહાઉસની ટેક્નોલોજી નિષ્ફળ છે. આજે પણ નવાં ગ્રીનહાઉસ ગુજરાતમાં બની રહ્યાં છે. ગ્રીનહાઉસ અને નેટહાઉસમાં ખેડૂતો સારી કમાણી કરી રહ્યા છે પણ એ રેશિયો ૬૦:૪૦માં વહેંચાઈ ગયો છે. ગ્રીનહાઉસની ટેક્નોલોજી ન સમજનાર ખેડૂતોએ વાવેતર જ છોડી દેતાં બેન્કમાં વ્યાજનું યે વ્યાજ ચડી રહ્યું છે. આજે ખેડૂતોમાં ગ્રીનહાઉસ બનાવવાનો ઉત્સાહ ઓસરી ગયો છે અને ૨૦૧૨-૧૩માં જે ૪૪૧ ગ્રીનહાઉસને મંજૂરી આપી હતી તે ૨૦૧૪-૧૫માં માત્ર ૭૫ થઈ ગઈ છે.
દેવાદાર ખેડૂતો સરકારનાં દ્વાર ખખડાવીને થાકી ગયા છે, ગત સપ્તાહે પણ ગ્રીનહાઉસના ખેડૂતોએ ઉ. ગુજરાતમાં કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપી ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. કૃષિવિભાગના અધિકારીઓ પણ જાણે છે કે આમાં ભરાયેલા ખેડૂતોને છોડાવવા મુશ્કેલ છે. ગુજરાતમાં ૨,૦૯૪ ગ્રીનહાઉસ અને ૩,૩૪૨ નેટહાઉસ ઊભાં છે. દેશમાં પણ એમઆઇડીએચ હેઠળ ૨૦૧૫-૧૬ સુધી ૧૨૪ હેક્ટરમાં હાઇટેક ગ્રીનહાઉસ અને ૪,૦૯૦ હેક્ટરમાં નેટહાઉસમાં ખેતી થાય છે.
ગ્રીનહાઉસની નિષ્ફળતા માટે જવાબદાર કોણ? સરકારી સિસ્ટમ, સરકારી અધિકારીઓ, ગ્રીનહાઉસ બનાવતી ખાનગી કંપનીઓ કે ગ્રીનહાઉસ ટેક્નોલોજી બાબતે અધકચરું જ્ઞાન ધરાવતા ખેડૂતો કે ખાનગી કંપનીઓના કહેવાતા નિષ્ણાતો? જે હોય તે પરંતુ આ તમામ બાબતોમાં આખરે 'મરો' તો ખેડૂતોનો જ થયો છે. કૃષિ વિભાગે તો શરૂઆતની નિષ્ફળતા બાદ ભૂલ સુધારી લીધી છે પણ ત્યાં સુધી મોડું થઈ ગયું છે.
ગ્રીનહાઉસમાં મસમોટી સબસિડી જોઈ એક સમયે એવી પડાપડી હતી કે, સગાંસંબંધીનાં નામે મંજૂરી આપવા માટે રાજકીય અગ્રણીઓ સુધી ભલામણો કરતા હતા. ગુજરાતમાં ગ્રીનહાઉસનું એસોસિયેશન તો છે પણ ઘણા ખેડૂતો આ એસોસિયેશનને અવગણી રહ્યા છે અને એસોસિયેશનને દેવાદાર ખેડૂતોમાં રસ નથી. ગુજરાતમાં કૃષિ વિભાગની ગ્રીનહાઉસ યોજનામાં કેન્દ્ર અને રાજ્યનાં ધોરણો અલગ અલગ કેમ એ જ એક મોટો સવાલ છે. કૃષિવિભાગમાં જ એકમતતા નથી. ગુજરાતમાં ગ્રીનહાઉસ યોજનામાં એમ્પેનલ સમયે આરંભે શૂરાની માફક ૨૬થી ૩૨ જોડાયેલી કંપનીઓ પૈકી હાલમાં માત્ર ૬ કંપનીઓ એમ્પેનલ અંતર્ગત કામગીરી કરી રહી છે, જેમાં ગુજરાતની એક પણ નથી. એમ્પેનલમાં ખેડૂતોને એક એકરમાં ૬૫ ટકા સબસિડીનો લાભ મળે છે. ખેડૂતો માટે સૌથી વધુ સેફ્ટી હોવા છતાં ખેડૂતો એનએચબીની ૫૦ ટકા સહાયનાં ધોરણોમાં પણ ગ્રીનહાઉસમાં બનાવી રહ્યા છે. જેનું મુખ્ય કારણ એનએચબીમાં એક હેક્ટર સુધીનાં ગ્રીનહાઉસમાં સબસિડીનો લાભ અને ગુજરાતની ખાનગી કંપનીઓ ખેડૂતોને ફોસલાવી એનએચબીમાં ઢસડી રહી છે. ગુજરાતમાં નવાં ગ્રીનહાઉસ બનાવતા ખેડૂતોએ ભૂતકાળ તપાસવાની જરૂર છે અને ધૂળ ખાતાં ગ્રીનહાઉસ જોવાની જરૂર છે, જોકે ગ્રીનહાઉસની નિષ્ફળતામાં કૃષિ વિભાગની સાથે ખેડૂતો પણ એટલા જ જવાબદાર છે. ગ્રીનહાઉસમાં સબસિડીની લ્હાયમાં રોકાણ કરનાર હવે ભરાઈ ગયા છે. બેન્કના હપતા અને વ્યાજ ચડી ગયાં છે અને ઘેટાંનાં ઝૂંડની જેમ એકની પાછળ એક દોરવાઇ હવે ગુજરાતમાં ગ્રીનહાઉસમાં નિષ્ફળ થનાર ખેડૂતો સંગઠિત થઇને મોરચો લઇને ફરી રહ્યા છે. ગ્રીનહાઉસમાં નિષ્ફળ ખેડૂતોને ખોટા ઠેરવવાનો ઇરાદો નથી પણ ગ્રીનહાઉસ પ્રોજેક્ટમાં લાખો રૂપિયાનાં રોકાણ બાદ અવગણના કરવી એ પતનની નિશાની છે.

Monday, 15 February 2016

ભારતીય કૃષિની નવી પ્રયોગશાળા : આફ્રિકા

 


૯૯ વર્ષનાં ભાડાપટ્ટે લીઝ પર મળતી જમીન અને ક્ષાર રહિત પાણી ખેડૂતો સાથે ખાનગી કંપનીઓમાં આકર્ષણનું કેન્દ્ર : આફ્રિકાના ૩૪ અલ્પવિકસિત દેશો પૈકી ૨૧ દેશો માટે આયાત શુલ્કમાં રાહત : ભારતનો આફ્રિકા સાથે ૨૦૧૦માં ૪૬ અરબ ડોલર વેપાર ૭૬ અરબ ડોલરે પહોંચ્યો 


ભારતીય કૃષિક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૃ થઇ રહ્યો છે. ૨૦૦૮ બાદ આફ્રિકા તરફી ભારતીય વિદેશનીતિમાં મોટા બદલાવને પગલે ઓક્ટોબર ૨૦૧૫માં ત્રીજા શીખર સંમેલન બાદ ફેબ્રુઆરીમાં ફિક્કી દ્વારા ઇન્ડિયન-આફ્રિકા બિઝનેસ ફોરમ યોજાઇ ગઈ. જે ફોરમનો મુખ્ય હેતુ એગ્રીકલ્ચરમાં આફ્રિકાનો વિકાસ અને તકોની છણાવટનો હતો. આફ્રિકામાં ખુલ્લી જમીન, પાણીની ભરપૂર તકો અને સસ્તી મજૂરી કૃષિક્ષેત્રના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી છે. જમીનમાં કાર્બનનું વધુ પ્રમાણ અને ક્ષારમુક્ત પાણી ઓર્ગેનિક ખેતીનો મુખ્ય સ્ત્રોત હોવાથી ભારતીય ખાનગી કંપનીઓ સહિત મોટા ખેડૂતો પણ હવે આફ્રિકામાં ખેતી તરફ વળ્યા છે. ઝામ્બિયામાં ૧૨૦૦ વીઘા જમીન ૯૯ વર્ષની લીઝ પર રાખી આ વર્ષથી ખેતી શરૃ કરવા જઇ રહેલા પડધરી તાલુકાના રૃપાવટી ગામના નવીનભાઇ નસીત અને તેમના ભાગીદાર અશ્વીનભાઇ ગુજરાતમાં એગ્રીકલ્ચરની ખાનગી કંપનીમાં મળેલા બહુમૂલ્ય અનુભવને આફ્રિકામાં અજમાવી જઇ રહ્યા છે. આ તો ઉદાહરણ છે પણ સૌરાષ્ટ્રના ખેડૂતોએ નવો ચીલો ચાતર્યા છે. જેઓ એક નહીં પણ બે પેઢીને કૃષિક્ષેત્ર સાથે સાંકળી રહ્યા છે.

ભારત માટે આફ્રિકા ખંડના દેશો એ દૂઝણી ગાય છે. ભારતીય કોર્પોરેટ જગતને સાચવવા આફ્રિકાને સાચવવું જરૃરી છે. દેશની ટોપની તમામ કંપનીઓનું આફ્રિકામાં મોટાપાયે રોકાણ છે. આ કંપનીઓ પણ ઇચ્છી રહી છે કે આફ્રિકા અને ભારત વચ્ચે સંબંધોમાં સુમેળતા જળવાઇ રહેે. ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી સદસ્યતા માટે ૫૩ દેશોના સમૂહની તાતી આવશ્યકતા છે. આફ્રિકાના દેશોમાં વિકાસની અધધ તક અને ક્રૂડ, કોલસાનો ભંડાર હોવાથી ભારતીય કંપનીઓની આંધળી દોટ આફ્રિકા બની રહ્યું છે. આફ્રિકાના ૩૪ અલ્પવિકસિત દેશો પૈકી ૨૧ દેશો ભારતમાં વ્યાપાર પર ૯૮.૨ પ્રતિશત આયાત શુલ્કમાં રાહત મેળવી રહ્યા છે, માત્ર ૧૩ દેશ જ ૨૦૦૮થી અમલમાં મૂકાયેલી યોજનાથી વંચિત છે. ભારતનો વાણિજ્ય વિભાગ આફ્રિકામાં કપાસની ખેતી કરતા દેશો માટે કપાસ તકનિકી સહાય પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. જેના પગલે આફ્રિકામાં કપાસની ખેતીનો વિકાસ થાય છે. આફ્રિકામાં કૃષિ પ્રયોગશાળા, ગોડાઉનો, જમીન સંશોધન અને ખાતર ચકાસણી પ્રયોગશાળા સહિત કૃષિવિજ્ઞાાન કેન્દ્રો ભારત સ્થાપી રહ્યું છે. આમ અફ્રિકાના દેશો એ ભારતીય કૃષિની નવી પ્રયોગશાળા બની રહ્યા છે.


ભારત સરકારે હાલમાં ફૂડપ્રોસેસિંગ ક્લસ્ટરની સ્થાપના કરી છે. ભારતીય કંપનીઓ માટે આફ્રિકાએ સૌથી મોટું બજાર છે. ફિક્કીના બિઝનેસ ફોરમમાં ઝામ્બિયાના કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ઝામ્બિયામાં ૧૦થી ૧૫ હજાર હેક્ટર જમીન ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપવા તૈયાર છે. જ્યાં ૭૫ લાખ હેક્ટર જમીનમાંથી ૫૮ ટકા જમીન ખેતીલાયક છે પણ ખેતી ૧૧ ટકા જમીનમાં જ થાય છે. જ્યાં ખેતીની ભરપૂર સંભાવનાઓ છે. ભારત કઠોળ અને ખાદ્યતેલની મોટાપાયે આયાત કરતું હોવાથી કૃષિમંત્રીએ પણ ભારતીય ખાનગી કંપનીઓેને આફ્રિકામાં કઠોળ અને તેલીબિયાં પાકોના વાવેતર માટે આહ્વાન કર્યું હતું.

ભારત અને આફ્રિકાના સંબંધો દાયકાઓ જૂના છે પણ ચીન અહીં પહોંચનાર અગ્રીમ દેશ છે. જેને આફ્રિકાના લગભગ તમામ દેશોમાં પગપેસારો કર્યો છે. આફિકા સાથે વેપારની ભાગીદારીમાં ચીન એ ત્રીજા ક્રમાંકનો તો ભારત એ ૧૦ ક્રમાંકનો મોટો દેશ છે. ભારતે આ શરૃઆત ૨૦૦૮માં દિલ્લીમાં ભારત-આફ્રિકા શીખર સંમેલન યોજીને કરતાં વેપારની દિશામાં એક નવા અધ્યાયની શરૃઆત થઇ હતી જોકે, માત્ર ભારત નહીં જાપાન, અમેરિકા, યુરોપિય સંઘના દેશો અવાર નવાર અહીં શીખર સંમેલનો કરી વ્યપાર આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે. ૨૦૧૧માં ઇથોપિયાની રાજધાની આદિસ અબાબામાં બીજા સંમેલન બાદ દિલ્હીમાં ૨૦૧૫માં ત્રીજુ શીખર સંમેલન યોજાઇ ગયું. આફ્રિકા ખંડ ૨૭ લાખ ભારતીયોનું ઘર હોવાથી ભારતે આફ્રિકન દેશોમાં શાંતી રહે માટે પણ ભરપૂર પ્રયાસો કર્યા છે. ભારતનો આફ્રિકા સાથે ૨૦૧૦માં ૪૬ અરબ ડોલર વેપાર ૭૬ અરબ ડોલરે પહોંચ્યો છે. જે ૨૦૦૧ની તુલનાએ ૧૫ ગણો વધારે છે. તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડાના વિકાસમાં તો ગુજરાતી મૂળના વ્યવસાયકારોનું મહત્વનું પ્રદાન છે.ભારતે ૨૦૧૦-૧૧માં ફેલોશીપ કાર્યક્રમ અંતર્ગત અત્યારસુધી ૧૭૫ છાત્રોમાંથી ૧૧૯ને માસ્ટર અને ૭૬ છાત્રોને કૃષિમાં પીએચડીની ડિગ્રી આપી છે. જેમાં ૧૬૨ પુરુષો અને ૩૩ મહિલાઓનો સમાવેશ થાય છે. આફ્રિકન દેશોમાં ફળદ્રુપ જમીનોનો ભંડાર અને ભરપૂર પાણી હોવાથી  ઝામ્બિયા, સેનેગલ, મોઝાબિંકા, રવાન્ડા, ઘાના, કેન્યા, તાન્ઝાનિયા  સહિતના દેશો ભારતીય કૃષિકારોને આમંત્રણ આપી રહ્યા છે. ઇથોપિયામાં ભારતીય કંપનીઓનું કૃષિમાં મોટું રોકાણ છે. 

આફ્રિકામાં ભારતે ૬૦ પાણીની યોજનાઓ પણ પૂર્ણ કરી છે. આફ્રિકામાં કૃષિક્ષેત્રનો વિકાસ થાય માટે આઇસીએઆરની ટીમો આફ્રિકામાં ખેત ટેક્નોલોજીમાં સુધારા કરવાના પ્રયાસો કરી રહી છે. છાત્રોને અભ્યાસ, કૃષિ સાહિત્ય અને વૈજ્ઞાાનિકોનું પણ આદાન પ્રદાન થઇ રહ્યું છે. ઇથોપિયાની ટિંહાહો ચીની પરિયોજના માટે ૬૪૦ મિલિયન ડોલર અનેે સેનેગલમાં પણ સિંચાઇ પરિયોજના માટે ૨૭ મિલિયન ડોલરની સહાય ભારતીય એકઝિમ બેંકે કરી છે. ૨૦૧૧માં સરકારે સેનેગલના કૃષિ યાંત્રિકરણ કાર્યક્રમ માટે ૧૬૦ મિલિયન ડોલરની સહાય જાહેર કરી હતી.

કોર્પોરેટ લોબીને સાચવવા ભારતે આફ્રિકન દેશોના હિતોનું રક્ષણ કરવું અગત્યનું છે. ભારત હાલમાં કઠોળ અને તેલીબિયાં પાકોની મોટાપાયે આયાત કરી રહ્યું છે. દેશની જમીન અને પાણીની ફળદ્રુપતા સામે મોટાપાયે લીઝ પર મળતી જમીનથી આફ્રિકાના દેશો ભારત કરતાં ખેતી માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઇ રહ્યા છે. ભારત પણ આફ્રિકામાં ખેતીના વિકાસ માટે સતત પ્રયત્નો કરી રહ્યું હોવાથી હવે ધીમેધીમે કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓ અને ખેડૂતોનો નવો પડાવ આફ્રિકા ખંડના દેશો બની રહ્યા છે.

Tuesday, 9 February 2016

ફૂડસિક્યોરિટી : ૨૦૧૩માં વિરોધ, ૨૦૧૬માં 'વાહવાહ'


એનએફએસ યોજના હેઠળ ૭૦ કરોડ ગરીબોને અનાજ પહોંચાડવા ૬૧૪ લાખ ટન ધાન્ય જોઈશે : સૂટબૂટની કહેવાતી સરકારનો ગરીબોના બેલી બનવાનો પ્રયાસ : ૭ વર્ષ બાદ દેશમાં સૌથી ઓછું ધાન્યનું ઉત્પાદન સરકારની મુશ્કેલી વધારશે : ધાન્યપાકોના ભાવથી ખેડૂતોને ફાયદો થશે
પીપળ પાન ખરંતી હસતી કૂંપળિયાં, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપૂડિયાં... આ કહેવત એ જીવનનો સાર છે. જીવનમાં દરેક દિવસો હંમેશાં સરખા હોતા નથી. 'સૂટબૂટ'ની કહેવાતી કેન્દ્ર સરકાર માટે આ કહેવત હાલમાં ફિટ બેસી રહી છે. ફૂડ સિક્યોરિટી એક્ટના ૨૦૧૩માં અમલ સમયે ઓછું અનાજ, કુપોષણ અને ગરીબોની થાળી છિનવાશે જેવા મામલે યુપીએની ઊંઘ હરામ કરનાર એનડીએ સરકાર થોડા ફેરફાર સાથે એપ્રિલ મહિનાથી ૨૭ રાજ્યોમાં ફૂડ સિક્યોરિટી એક્ટનો અમલ કરી ગરીબોના 'બેલી' હોવાનું પ્રસ્તાવિત કરવા જઈ રહી છે, જોકે સારી બાબત એ છે કે દેશના ૭૦ કરોડ ગરીબોને ૧ એપ્રિલથી ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા મળવાના શરૂ થશે. સરકારના નિર્ણયથી ગરીબોને બે ટંક ખાવાનું મળવાની સાથે ખેડૂતોને પણ ફાયદો થશે. એક્ટની અમલવારી માટે ફરજિયાત ૬૧૪.૨૬ લાખ ટન ધાન્યની જરૂરિયાત પડશે. જે અનાજ ખુલ્લા બજારમાં સરકાર ટેકાના ભાવે ખરીદવા નીકળશે એટલે ખેડૂતોને ભાવનો લાભ મળશે. ફૂડ બિલથી ૭૫ ટકા ગ્રામીણ અને ૫૦ ટકા શહેરી વસતીને લાભ થશે.
ફૂડ સિક્યોરિટી એક્ટના અમલની બીજી બાજુ એ પણ છે કે, દેશમાં મોંઘવારી રોકવામાં નિષ્ફળ કેન્દ્ર સરકારે ફરી એકવાર મોંઘવારીને આમંત્રણ આપ્યું છે. વરસાદના અભાવે દેશમાં ધાન્યપાકોનું ૬ વર્ષ બાદ સૌથી નીચું ઉત્પાદન થવાના અંદાજ વચ્ચે સરકાર ફૂડ સિક્યોરિટી એક્ટનો એપ્રિલથી અમલ કરી રહી છે. જાન્યુઆરી સુધી દેશના એફસીઆઇનાં ગોડાઉનમાં ૩૬૪ લાખ ટન ધાન્યપાકોનો સ્ટોક છે. વરસાદના અભાવે ઘઉંનું અને ચોખાનું ઉત્પાદન ૨૦૧૪-૧૫થી ઓછું થવાના કૃષિ વિભાગના અંદાજ વચ્ચે આ વર્ષે સરકારે મોંઘવારી રોકવા રેકોર્ડબ્રેક આયાત કરી છે. મકાઈનું ઉત્પાદન ઘટતાં સરકાર ૧૬ વર્ષ બાદ ૧૫ લાખ ટન આસપાસ આયાત કરે તેવા સંજોગો વચ્ચે સાઉથના ફ્લોરમિલરોએ એપ્રિલથી ઘઉંની આયાતડયૂટી નાબૂદ કરવા સરકારને પત્ર લખ્યો છે. આ વર્ષે ઘઉંના ભાવ વધે તે પૂર્વે મિલો અત્યારથી વિશ્વબજારમાંથી ૧૦ લાખ ટનથી વધુ ઘઉંની ખરીદી કરવાનો અંદાજ રાખી રહી છે. ૨૦૧૪-૧૫માં ૫ લાખ ટન ઘઉંની સાઉથની મિલોએ ખરીદી
કરી હતી. ૨૦૧૪-૧૫માં દેશમાં ઘઉંનું ૮૮૯ લાખ ટન અને ચોખાનું ૧,૦૪૮ લાખ ટન ઉત્પાદન થયું હતું. સરકારે એનએફએસ હેઠળ ગરીબોને અનાજ પહોંચાડવા ખરીફ સિઝનમાં ૨૪૪ લાખ ટન ચોખાની ટેકાના ભાવે બજારમાંથી ખરીદી કરી છે.
કૃષિમંત્રી ઘઉંનું ઉત્પાદન ગત વર્ષની સમકક્ષ થવાનો અંદાજ મૂકી રહ્યા છે, જોકે ઘઉંની વપરાશ દેશમાં ૮૦૦ લાખ ટનથી વધારે હોવાથી આ વર્ષે સરકાર પાસે ગોડાઉનમાં ૨૩૭ લાખ ટન ઘઉંના ઊંચા સ્ટોકથી એનએફએસ એક્ટના અમલ છતાં સરકાર સામે સમસ્યા નહીં આવે પણ ૨૦૧૭-૧૮ના વર્ષમાં સરકાર દ્વારા ૧,૦૦૦ લાખ ટન ઘઉં પકવવા ખેડૂતોને પ્રોત્સાહન નહીં અપાય તો ઘઉંની આયાત માટે તૈયારી રાખવી પડશે. દેશમાં નિકાસમાર્કેટ સતત ૧૩ મહિનાથી ઘટી રહ્યું છે. નિકાસઆંક ૨૬૦થી ૨૭૦ અબજ ડોલરની વચ્ચે રહેવાની સંભાવના વચ્ચે ૨૦૧૪-૧૫માં આ આંક ૩૨૦ અબજ ડોલર હતો. કૃષિપેદાશોની નિકાસમાં પણ આ વર્ષે ૩ અબજ ડોલર ઘટાડો થવાની સંભાવના છે. ભારતે જે દેશો સાથે મુક્ત વેપારના કરાર કર્યા તે મોટાભાગના દેશો નબળા છે.
ફૂડ સિક્યોરિટી મામલે ડબલ્યૂટીઓનાં ધોરણો ભારતવિરોધી છે. હાલમાં કોમોડિટીના ભાવ ઘટવાને કારણે કૃષિનિકાસ નીચી ગઈ હોવાની દલીલ કરવામાં આવી રહી છે, જોકે હકીકત એ છે કે ભારતીય કૃષિ જણસો વિશ્વબજારની હરીફાઇમાં ભાવમાં ટકતી નથી અને માર ખાઇ રહી છે. હાલમાં નિકાસ કરતાં ઊંચી આયાત છતાં જ્યાં સુધી ભારતની ક્ષમતા આયાતના પૈસા ચૂકવવાની છે ત્યાં સુધી વાંધો નથી પણ આ ગંભીર સંકેતો છે.
ફૂડ સિક્યોરિટીના અમલ વચ્ચે એફસીઆઇનાં ગોડાઉનમાં જાન્યુઆરી સુધી ૩૬૪ લાખ ટન ધાન્યપાકોનો જથ્થો સંગ્રહ કરાયેલો છે, જેમાં ૨૩૭ લાખ ટન ઘઉં અને ૧૨૬ લાખ ટન ચોખાનો સંગ્રહ છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટનો એપ્રિલથી અમલ થતાં ગુજરાતના પણ ૩ કરોડ ગરીબોને સરકારે ર રૂપિયે કિલો ચોખા અને ૩ રૂપિયે કિલો ઘઉં આપવા પડશે. ગુજરાતમાં ૧૫ લાખ ટન ચોખા અને ૩૫ લાખ ટન ઘઉં મળી ૫૦ લાખ ટન ધાન્યની સ્થાનિક વપરાશ છે. રાજ્યમાં આ વર્ષે વરસાદના અભાવે ૨૫.૮૫ લાખ ટન ઘઉં અને ૧૫.૬૪ લાખ ટન ચોખા પાકવાનો કૃષિ વિભાગ દ્વારા અંદાજ મુકાયો છે. ગુજરાતમાં ૧ જાન્યુઆરી સુધી એફસીઆઇનાં ગોડાઉનમાં ૬૭ હજાર ટન ચોખા અને ૩.૯૦ લાખ ટન ઘઉંનો સ્ટોક છે. રાજ્યમાં ચોખાની અને ઘઉંની ખરીદી નહીંવત્ રહેતી હોવાથી ફૂડ સિક્યોરિટી એક્ટની અમલવારી માટે હવે કેન્દ્ર પાસે અનાજ મેળવવા હાથ ફેલાવવા પડશે.
http://www.sandesh.com/article.aspx?newsid=3228291

Tuesday, 2 February 2016

પાકવીમો : સોનેરી સપનાં સરકારનાં


૩ દાયકામાં ૨૩ ટકા વિસ્તાર, ૩ વર્ષમાં જ ૫૦ ટકાએ લઈ જવાનો લક્ષ્યાંક : દેશમાં ૧૯૮૫ બાદ ચોથી વાર પાકવીમા યોજના લોન્ચ થઈ : બજેટમાં રૂપિયા ૧૭,૬૦૦ કરોડની ફાળવણી સામે શિયાળામાં કમોસમી વરસાદથી જ ખેતીને રૂપિયા ૨૦ હજાર કરોડનું નુક્સાન
ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ નવાં નામ, નવા રંગ-રૂપ અને નવા નિયમો સાથે દેશમાં ખેડૂતો માટે નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજના લોન્ચ કરાઈ. તહેવારોમાં ખેડૂતોને મહામૂલી ભેટ અપાઈ હોય એમ યોજનાનાં દેશભરમાં વધામણાં કરાયાં. પાકવીમા યોજનાનો આ સાથે દેશમાં પ્રથમ વાર નહીં પણ ચોથી વાર શુભારંભ થયો. ૧૯૮૫માં પાકવીમા યોજના (ઝ્રઝ્રૈંજી) લોન્ચ થઇ ત્યારે પણ સરકારે ખેડૂતો માટે સર્વશ્રેષ્ઠ પાકવીમા યોજના અમલમાં મૂકી હોવાનાં ગુણગાન ગાયાં હતાં, જે યોજનાનું ૧૯૯૭-૯૮માં ફીંડલું વળી ગયું અને નવી પાકવીમા યોજના શરૂ થયાના એક વર્ષમાં સરકાર બદલાઈ ગઈ અને ૧૯૯૯માં નવાં નામ સાથે રાષ્ટ્રીય કૃષિ પાકવીમા યોજના ફરી લોન્ચ થઈ. આ યોજના પણ અધૂરી હોવાથી નવી ગીલ્લી નવા દાવની જેમ સંશોધિત રાષ્ટ્રીય કૃષિ પાકવીમા યોજનાનો આરંભ થયો. હાલમાં આ બંને યોજના અંતર્ગત ખેડૂતોને પાકવીમાનો લાભ મળે છે. પાકવીમો એટલે 'પાકનું સુરક્ષાકવચ' આ અંગે ભાગ્યે જ કોઈ ખેડૂત અજાણ હશે, આમ છતાં ૧૯૮૫થી ૨૦૧૬ એટલે ૩૧ વર્ષમાં માત્ર ૨૩ ટકા વિસ્તાર સુધી પાકવીમા યોજનાનો લાભ પહોંચ્યો છે. આ લખવાનો મતલબ એ છે કે, નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજના ૨૦૧૯ સુધી સરકાર ૫૦ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખે છે,એટલે કે ત્રણ દાયકાની સફર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનાં હાલની સરકાર સોનેરી સપનાં જુએ છે. દેશમાં ૨ કરોડ ખેડૂતો માંડ પાકવીમા યોજનાનો લાભ લે છે. આ સંખ્યા સસ્તા વ્યાજે પાકધિરાણનો લાભ લેતા ખેડૂતોની છે. પાકધિરાણમાં ફરજિયાત વીમો હોવાથી પાકવીમા યોજનાનો આંક ૨ કરોડ ખેડૂતોએ પહોંચ્યો છે. નવી પાકવીમા યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો ૫૦-૫૦ ટકા હિસ્સો રહેશે. હાલમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો હિસ્સો ૫૦-૫૦ ટકા છે. કેન્દ્ર સરકારે બજેટમાં ૫૦ ટકા નાણાં એટલે રૂ. ૪,૫૦૦ કરોડનો કાપ મૂકતાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં પણ રાજ્ય સરકારનો હિસ્સો ૫૦ ટકા થઈ ગયો છે.
દેશમાં ૨૦૧૪-૧૫માં ફેબ્રુઆરી અને માર્ચમાં કમોસમી વરસાદથી રવી ખેતીને રૂપિયા ૨૦ હજાર કરોડનું નુકસાન ગયું હતું. દેશમાં ૧૮ રાજ્યોમાં વરસાદની અછત છતાં માત્ર ૭ રાજ્યોએ દુકાળ અંગેનો રિપોર્ટ સોંપી રૂપિયા ૨૫ હજાર કરોડની કરેલી માગણી સામે પ્રધાનમંત્રી પાકવીમા યોજના માટે બજેટમાં રૂ. ૧૭,૬૦૦ કરોડની ફાળવણી કરાઇ છે. સરકાર વાર્ષિક રૂ. ૮,૮૦૦ કરોડનું પાકવીમા યોજના હેઠળ બજેટ ફાળવશે. આ આંક ટાંકવાનો મતલબ એ છે કે, પ્રધાનમંત્રી પાકવીમા યોજનાનું બજેટ ખેડૂતોને કુદરતી આપદોઓથી થતાં નુકસાન સામે સામાન્ય છે. વર્ષ ૨૦૧૫માં દેશમાં ૬૧૦ જિલ્લા પૈકી ૩૦૦ જિલ્લામાં વરસાદની અછત રહી છે. ગૃહમંત્રાલયના એક રિપોર્ટ અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં ૩,૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં ટોપ પર છે. ખેડૂતોમાં જાગૃતિનો હજુ પણ અભાવ હોવાનું ન ભૂલાવું જોઇએ. સરકાર સ્વીકારે છે કે, હાલમાં ચાલુ રહેલી પાકવીમા યોજનામાં ખેડૂતોને ફાયદો ઓછો અને નુકસાન વધુ છે તો નવી પાકવીમા યોજના દેશમાં જલદી લાગુ થાય તે તાતી જરૂરિયાત છે.
જૂની પાકવીમા યોજનામાં ખેડૂતોને લાભ મળવામાં લાંબો સમય જતાં નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજનામાં ભારે ફેરફાર કરવામાં આવ્યા છે. ખેડૂતોને જલદી વીમાનો લાભ મળે માટે ગણતરીમાં સેટેલાઇટ ફોટોગ્રાફ, રિમોર્ટ સેન્સિંગ અને મોબાઇલ ટેક્નોલોજી પણ સરકાર ઉપયોગ કરવાની છે. કમોસમી વરસાદથી જઇ રહેલાં નુકસાન સામે હાલની બે પાકવીમા યોજનામાં ખેડૂતોએ ચૂકવવા પડતાં ઊંચા પ્રીમિયમની બુમરાણ સામે હવે ખરીફ સિઝનમાં અનાજનું પ્રીમિયમ ૨ ટકા અને રવી સિઝન માટે પ્રીમિયમ ૧.૫ ટકા ભરવું પડશે. સરેરાશ પ્રીમિયમ ૧.૫ ટકાથી લઇને ૫ ટકા, ક્લેઇમ કરતાં જ ૨૫ ટકા રકમ ખાતામાં જમા અને કાપણીના ૧૪ દિવસ સુધી પાકમાં નુકસાનીનો લાભ મળશે જેવા નિયમો સારા છે, જોકે સમયસર અમલ અતિ જરૂરી છે.
ગુજરાતના ખેડૂતોએ ખાસ હરખાવા જેવું એટલા માટે નથી કે આ યોજના હાલમાં દેશમાં માત્ર ૪૫ જિલ્લામાં જ અમલમાં મુકાવાની છે. ખરેખર એવું પણ બને કે દેશભરમાં અમલમાં આવ્યા પૂર્વે જ નવા નામ સાથે કદાચ નવી પાકવીમા યોજના લોન્ચ થઇ જાય, કારણ કે હાલમાં ચાલી રહેલી વીમા યોજના માત્ર ૧૪ રાજ્યો પૂરતી જ સીમિત છે. નવી પ્રધાનમંત્રી વીમા યોજનામાં ભાડૂઆત ખેડૂતોને બાકાત રખાયા છે. ખેડૂતોનો એક મોટો વર્ગ ભાડે જમીન લઇ ખેતી કરે છે, જેમનો સમાવેશ કરાયો નથી. કેન્દ્ર અને રાજ્યની ૫૦-૫૦ ટકા સહાયની યોજના હોવાથી મોડી પૈસાની ફાળવણી ખેડૂતોને પરેશાન કરી શકે છે. હવે હવામાનમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ભવિષ્યમાં કુદરતી આપદાઓમાં ખેડૂતોને નુકસાનીથી બચાવવાના છે. ૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધીમાં દેશનાં ૩૩ સબડિવિઝન પૈકી ૨૦ સબડિવિઝનમાં પાણીનું એક ટીંપું પણ પડયું નથી. આ સમયગાળામાં ૭.૩ મિ.મી. વરસાદ થતો હોય છે. જોકે, મધ્ય પ્રદેશમાં આ સપ્તાહે વરસાદ શરૂ થયો છે. ૨૦૧૪-૧૫માં ખેડૂતોને વરસાદની અછતમાં થયેલાં નુકસાનની તો ભરપાઈ થઈ શકે તેમ નથી. છેલ્લે ખેડૂતો માટે ઉપયોગી સૂચન એ છે કે, નવી યોજનામાં માત્ર ૪૫ જિલ્લાના સમાવેશથી બે વર્ષ બહુ આશા રાખ્યા વિના કુદરતી પ્રકોપ સામે બાથ ભીડવાની તૈયારી આરંભો... આ જ કડવી સચ્ચાઇ છે.

યુવાઓ સાથે ખેડૂતો માટે પણ 'હેપ્પી વેલેન્ટાઈન ડે'








વેલેન્ટાઇન માર્કેટ રૂપિયા ૨૫ હજાર કરોડે પહોંચશે : ડિસેમ્બરમાં ગરમીને પગલે આ વર્ષે ફૂલોના ભાવ ઊંચા રહેશે : નિકાસ માર્કેટમાં ૧૦ ટકાનો વધારો થશે : પુનાના ગુલટેકરી માર્કેટમાંથી રૂ. ૧૦૦ કરોડના ફૂલોનું વેચાણ થવાનો અંદાજ : ફૂલોના ખેડૂતો માટે કમાણીનો ઉત્તમ અવસર
વર્ષ ૧૯૪૪, સ્થળ લંડન. અમેરિકન સૈનિક ૨૧ ર્વિષય થોમસ અને ૧૭ વર્ષીય મોરિસ પ્રથમવાર મળ્યા અને પ્રેમના તાંતણે બંધાયા. પ્રેમીઓ લગ્નનાં સ્વપ્ના જોઈ રહ્યા હતા ત્યાં બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું અને પ્રેમીપંખીડાં વિખૂટાં પડી ગયાં. આ વિરહની ઘટનાના ૭૦ વર્ષ બાદ આ વેલેન્ટાઇન પર આ પ્રેમીપંખીડાંનું ફરી મિલન થઇ રહ્યું છે. નોરવુડ થોમસની ઉંમર ૯૩ વર્ષની અને જોયસી મેરિસની ઉંમર ૮૮ વર્ષની છે. જોયસી હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે અને થોમસ અમેરિકાના ર્વિજનિયામાં. થોમસ પાસે ઓસ્ટ્રેલિયા જવાના પૈસા નથી પણ ન્યૂઝીલેન્ડના એક ધનિકે થોમસના ઓસ્ટ્રેલિયા જવાનો ખર્ચ અને ૩૦૦થી વધુ વ્યક્તિઓએ થોમસને ૫ લાખ રૂપિયાનું ફંડ જમા કરાવી આપ્યું છે. વિખૂટા પડયાંનાં ૭૦ વર્ષ બાદ પણ આ પ્રેમીપંખીડાંનો પ્રેમ ઓછો થયો નથી અને આજે પણ તેઓ એકબીજાના પ્રેમમાં એટલાં જ ગળાડૂબ છે. આ કાલ્પનિક નહીં પણ વાસ્તવિક હકિકત છે. વેલેન્ટાઇનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ૧૪મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન. પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ. વેલેન્ટાઇન હવે પર્વની જેમ એક સપ્તાહ સુધી મનાવાય છે. ૭મી ફેબ્રુઆરીથી શરૂ થતા 'ડે' ૧૪મી ફેબ્રુઆરી સુધી નિયમિત ઊજવાશે.
કોલેજકાળના સોનેરી દિવસોમાં વેલેન્ટાઇનનું મહત્ત્વ વધતું જવાની સાથે જિંદગીભર સંભારણું બની જાય છે. હાલમાં કોલેજોમાં 'ડે' ની ધૂમ મચી છે. કોલેજમાં કાલે શું પહેરીશ કે નહીં પહેરીશની ચર્ચાઓ વચ્ચે વેલેન્ટાઇને ખરીદીની મોસમ રહેતાં બજાર આ વર્ષે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાએ પહોંચી જશે. હવે આવીએ મૂળ વાત પર તો વેલેન્ટાઇન એટલે ફૂલોની મૌસમ. વેલેન્ટાઇનની વર્ષભર આતુરતાથી રાહ એક તો યુવાઓ અને બીજા ફૂલોના ખેડૂતો કરે છે. યુવાઓ 'વેલેન્ટાઇન'મનાવવા પ્લાનિંગ કરે છે એમ ફૂલોના ખેડૂતો પણ પ્રેમ અને દોસ્તીની અભિવ્યક્તિ માટે જરૂરી ફૂલોની બજારમાં અછત ન રહેવાનું પ્લાનિંગ કરે છે. વેલેન્ટાઇન તો ખેડૂતો પણ મનાવે છે પણ એમનો અંદાજ જરા અલગ છે. વેલેન્ટાઇનમાં લોકો ખિસ્સાં ખંખેરે છે ખેડૂતો આ ખંખેરેલા પૈસાથી ખિસ્સાં ભરે છે. ૩૦મી જાન્યુઆરીથી ૧૨મી ફેબ્રુઆરી સુધીના વેલેન્ટાઇન પર્વના દિવસો ફૂલોના ખેડૂતો માટે સોનેરી દિવસો ગણાય છે.
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ફૂલોના માર્કેટનો અધધ ગ્રોથ થયો છે. આ વર્ષે દેશમાં ૧૬.૮૫ લાખ ટન છૂટા ફૂલો અને ૫૪૮ લાખ નંગ કટ્ ફ્લાવર્સનું ઉત્પાદન થવાનો બાગાયત વિભાગનો અંદાજ દર્શાવે છે કે આ વર્ષે ૨ લાખ ટન ફૂલોનું ઉત્પાદન ઘટયું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્ન સિઝનમાં ખેડૂતોને સારા ભાવ મળવા છતાં વર્ષભર વેલેન્ટાઇનના દિવસોમાં ફૂલોના સૌથી ઊંચા ભાવ પ્રતિ ફૂલ રૂ.૮થી ૧૮ રૂપિયા મળતા હોય છે. ફૂલોમાં દાંડીની સાઇઝ પ્રમાણે ભાવ અલગ અલગ હોવા છતાં નિકાસલાયક ફૂલોના ભાવ રૂ.૧૫થી ૩૫ રૂપિયા સુધી તો ચોક્કસ મળે છે. એક એકરના ગ્રીનહાઉસમાં ૭૦ હજારથી ૧ લાખ ફૂલોનું સરેરાશ ઉત્પાદન થતું હોવાથી ખેડૂત ફૂલોનું સ્થાનિકમાં વેચાણ કરે તો પણ સરેરાશ ૬.૫થી ૭.૫ લાખ રૂપિયાની આવક ફક્ત બે મહિનામાં મળે છે. ગુલાબની રોપણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં થાય તો જાન્યુઆરીના અંતમાં ફૂલોનું ઉત્પાદન શરૂ થઇ જાય છે. આ સમયગાળો ફ્લોરિકલ્ચરના ખેડૂતો અને નિકાસકારો માટે સર્વોત્તમ હોય છે. દેશમાં પુના અને બેંગ્લોરમાંથી મોટાપાયે આ સમયગાળામાં હાઇ ક્વોલિટીના ફૂલોની નિકાસ થાય છે. આ વર્ષે પુનાના ગુલટેકરી માર્કેટનું બજાર રૂપિયા ૧૦૦ કરોડ રહેવાનો અંદાજ છે. યુરોપ અને અમેરિકા માટે છેલ્લી નિકાસ તારીખ ૯ ફેબ્રુઆરી તો મિડલ ઇસ્ટમાં નિકાસકારો ૧૨મી ફેબ્રુઆરી સુધી ફૂલોની નિકાસ કરે છે. ૨૦૧૪-૧૫માં રૂપિયા ૪૬૦ કરોડના ફૂલોની થયેલી નિકાસમાં આ વર્ષે ૧૦ ટકાનો વધારો થવાની શક્યતાઓ છે.
વિશ્વમાં ફૂલોના સૌથી વધુ ઉત્પાદનમાં મોખરે નેધરલેન્ડ બાદ બીજા ક્રમાંકનો દેશ કોલંબિયા છે. આ વર્ષે કોલંબિયાએ ૫૦ કરોડ ફૂલોની નિકાસનો લક્ષ્યાંક મૂક્યો છે. કોલંબિયાંનાં ફૂલોની સૌથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે. કોલંબિયાંથી કુલ ઉત્પાદનના ૬૦ ટકા કાર્નેશન જાપાન ખરીદે છે. કોલંબિયામાં વેલેન્ટાઇન સમયે ૧૮,૦૦૦ નોકરીની નવી તક ઊભી થાય છે. ગુજરાત જેવડો ટચૂકડો દેશ હોવા છતાં નેધરલેન્ડના ફૂલોનું નિકાસ બજાર રૂ.૩૦૦ અબજ છે. પ્લાન્ટ્સ અને ફ્લાવર્સનું ૧૭૦ એકરમાં અલસમીર માર્કેટ ફેલાયેલું છે.
 દેશમાં કટ્ ફ્લાવર્સમાં સૌથી મોટું માર્કેટ ધરાવતા પુનામાં ૨૭૨ જેટલા વેપારીઓ ટ્રેડિંગ કરે છે. ભારતમાં ફૂલોનું કુલ માર્કેટ રૂપિયા ૧૦,૦૦૦ કરોડની આસપાસ હોવાની સાથે નિકાસ બજાર રૂ.૪૬૦ કરોડનું અને આયાત બજાર રૂ.૧૦૦ કરોડનું છે. દેશમાંથી રૂ.૧૦૦ કરોડના ફૂલો માત્ર અમેરિકા ખરીદે છે. ભારતમાં ૨૦૧૩માં વેલેન્ટાઇન માર્કેટ રૂપિયા ૧૫,૦૦૦ કરોડનું, ૨૦૧૪માં રૂ.૧૮,૦૦૦ કરોડનું હતું. ૨૦૧૫માં માર્કેટમાં ૪૦ ટકાનો વધારો થતાં ૨૨,૦૦૦ કરોડ રૂપિયા રહ્યું હોવાનો એસોચેમે અંદાજ મૂક્યો હતો.
વેલેન્ટાઇનમાં ફેન્સી ફ્લાવર્સની પણ એટલી જ માગ હોય છે. તુલિપ, લીલી, ઓર્િકડ, જરબેરા, કાર્નેશન, એન્થુરિયમ, અને બર્ડ ઓફ પેરેડાઇઝ યુવાઓની પ્રથમ પસંદ બની રહ્યા છે. ગુજરાતમાં ૧.૭૭ લાખ ટન ફૂલોનું ઉત્પાદન છતાં જરબેરા પુનાથી, એન્થુરિયમ અને કાર્નેશન ઉટી અને હિમાચલ પ્રદેશમાંથી તો બર્ડ ઓફ પેરેડાઇઝ અને ગુલાબ બેંગ્લોરમાંથી ગુજરાતમાં આવે છે. આ પ્રકારના ફૂલોની માગ કરતાં પણ એક અલગ વર્ગ છે. જે પૈસા નહીં પ્રેમની લાગણીને જુએ છે. આ વર્ષે ડિસેમ્બરમાં ઊંચી ગરમીને પગલે ફૂલોની ગુણવત્તા પર અસર પડવાની સાથે ૨ લાખ ટન ફૂલોના ઓછા ઉત્પાદનથી ભાવ ઊંચા રહેવાની સંભાવના છે, આમ છતાં આ વર્ષનું વેલેન્ટાઇન પર્વ યુવાઓ સાથે ખેડૂતો માટે પણ નવું સંભારણું બની રહે તેવી આશા રાખીએ.
http://www.sandesh.com/article.aspx?newsid=3225489