ઉરી, સર્જિકલ સ્ટ્રાઇક અને બારામુલામાં બીએસએફ પર આતંકવાદીઓના હિચકારા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીભર્યા માહોલમાં પણ વેપારમાર્ગ હજુ ચાલુ છે. વિવાદનું મુખ્ય કેન્દ્ર હોવા છતાં ઉરીના સલામાબાદ પોસ્ટ પરથી પાકિસ્તાન અને ભારતમાંથી ટ્રકો આસાનીથી આવ-જા કરે છે. ફક્ત હવે ચેકિંગ થોડું વધુ છે. ગત સપ્તાહે પાકિસ્તાનમાંથી બદામ આવી અને ભારતમાંથી એલચી, શાકભાજી અને એમ્બ્રોઇડરીની નિકાસ થઇ. દેશમાંથી પાકિસ્તાન સાથે ભારતનો વેપાર અટારી-વાઘા બોર્ડર અને મુંબઇથી કરાંચી અને દુબઇ દરિયાઇ માર્ગે થાય છે. આ સિવાય પૂંચના ચકન દા બાગ અને ઉરીમાં સલામાબાદની ચેકપોસ્ટથી પાકિસ્તાન સાથે કાશ્મીરના વેપારસંબંધો છે. પાકિસ્તાન સાથે સુમેળભર્યા સંબંધો સાચવવા વર્ષ ૧૯૯૬થી ભારતે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો અપાયેલો હોવાથી આયાતમાં પાકિસ્તાનને સ્પેશિયલ છૂટછાટો મળે છે. ભારત હવે આ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત ખેંચવાની તૈયારી કરી રહ્યો છે. તંગદિલીભર્યા માહોલમાં એમ પણ બને કે પાકિસ્તાન ભારત સાથે વેપારી સંબંધો હાલ પૂરતા સ્થગિત કરી નાખે તો તેની સીધી અસર ભારતનાં એગ્રિકલ્ચર માર્કેટને થઇ શકે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી વધુ વેપાર ટેક્સ્ટાઇલ્સ ક્ષેત્રમાં થાય છે. નવેમ્બરમાં ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીની ૭૫મી બેઠક પાકિસ્તાનમાં યોજાઇ રહી છે. પાકિસ્તાન પાસે ૫૫ વર્ષ બાદ બેઠક યોજવાનો મોકો આવ્યો છે. આ બેઠકમાં ભારતીય વેપારીઓ ભાગ ન લે તો રૂની નિકાસ પર સીધી અસર પડી શકે છે. સાર્ક બેઠક ભારતે રદ કર્યા બાદ કોટન બેઠકમાં વેપારીઓ નહીં જાય તેવા પણ સમાચાર છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૦ કરોડ ડોલરની નિકાસ સામે વર્ષ ૨૦૧૫-૧૬માં ૭૮.૨૦ કરોડ ડોલર રૂની નિકાસ પાકિસ્તાનમાં થઇ છે. આ વર્ષે પણ પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન આ વર્ષે ઘટે તેવી સંભાવના વચ્ચે ભારત પાસે નિકાસની ઉત્તમ તક છે. વર્ષ ૨૦૧૫-૧૬માં દેશમાંથી ૬૫ લાખ ટન રૂની કુલ નિકાસમાં પાકિસ્તાને ૨૫ લાખ ગાંસડી રૂની ખરીદી કરી હતી.
વર્ષ ૨૦૧૫-૧૬માં ખેડૂતોને કપાસના ઊંચા ભાવ એ પાકિસ્તાનની ખરીદીને આભારી હતા. નવી સિઝનમાં પણ હાલના માહોલ વચ્ચે રૂની પાકિસ્તાનમાં આયાત ન થાય તો નિકાસને ફટકો પડી શકે છે, જોકે વેપારીઓએ બાંગ્લાદેશ, ચીન, વિયેતનામ અને ઔતાઇવાન જેવા દેશોમાં રૂની નિકાસ વધારવાની તૈયારીઓ કરી રાખી છે.
પાકિસ્તાન અને ભારત વચ્ચે સૌથી વધુ વેપાર થવાના સંજોગો છતાં બંને દેશોએ એક નેગેટિવ લિસ્ટ બનાવી રાખ્યું છે. ભારતીય વેપારીઓ ૧,૨૦૯ પ્રોડક્ટ્સ અને પાકિસ્તાન ૬૧૪ પ્રોડક્ટ્સનો વેપાર એકબીજા સાથે કરી શકતા નથી. આમ આ સૂચિ જ લાંબી હોવાથી ૧૧ અબજ ડોલરનો વ્યવસાય કરી શકાય તેવી સ્થિતિ વચ્ચે માત્ર ૨.૬૧ અબજ ડોલરનો વેપાર થાય છે. પાકિસ્તાને વર્ષ ૨૦૧૨માં ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવાની હિમાયત કરી હોવા છતાં ૪ વર્ષ બાદ પણ સ્થિતિ જૈસે થે છે અને પાકિસ્તાન વેપારમાં લાભ લઇ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ૨૦૧૫-૧૬માં ૫.૩૧ અબજ ડોલરનો વેપાર થયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં આ આંક ૬.૭૧ અબજ ડોલર હતો. ભારત મોટાભાગે ખાંડ, કપાસ, તાજાં ફળો, શાકભાજી સહિતની ચીજવસ્તુઓની નિકાસ કરે છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં ભારતની કુલ ૬૪૧ અબજ ડોલરની નિકાસ સામે ભારતની પાકિસ્તાન વચ્ચે ૨.૬૧ અબજ ડોલરની નિકાસ એટલે કુલ નિકાસના ૦.૪૧ ટકા છે, એટલે કે ન બરાબર છે. આ આંક જ સાબિત કરે છે કે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો હોય કે ના હોય તેનાથી કોઇ ફર્ક પડતો નથી પણ સાથે એ પણ ન ભૂલવું જોઇએ કે, પાકિસ્તાન સાથે વેપારમાં ભારતનાં પણ હિતો જોડાયેલાં છે.
ભારતમાંથી પાકિસ્તાનમાં સૌથી વધુ નિકાસ એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સની થાય છે. મિલોએ વર્ષ ૨૦૧૫-૧૬માં ૪૬.૪૬ મિલિયન ડોલરની ખાંડની નિકાસ કરી છે. દેશમાંથી બટાટાં, ટ્રાયફ્રૂટ અને ટામેટાંનો વેપાર પાકિસ્તાનથી જો.ડાયેલો છે. પંજાબનાં મોટાભાગનાં બટાટાં અને ગુજરાતમાંથી ટામેટાં પાકિસ્તાનમાં નિકાસ કરાય છે. બે દેશો વચ્ચે તંગદિલી વધી તો પાકિસ્તાનને ટામેટાં, મરચાં અને બટાટાં વિના ફાંફાં પડશે પણ સાથે ભારતમાં પણ સ્ટોક વધતાં ભાવમાં કડાકો બોલે તેવી પૂરી સંભાવના છે. વર્ષ ૨૦૧૫-૧૬માં પાકિસ્તાનમાં શાકભાજીની ૧.૨૦ લાખ ટનની નિકાસ થઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આંકની દૃષ્ટિએ સામાન્ય ગણાતો વેપાર પણ પાકિસ્તાનમાં નિકાસ બંધ થતાં સીધી અસર ખેડૂતો પર પાડે છે.