Monday, 2 June 2014

નવી સરકાર સામે ચેલેન્જરૃપ : કૃષિક્ષેત્રના પાયારૃપ પડકાર


ભારતીય કૃષિ ક્ષેત્રનો દિવસે ને દિવસે વિકાસ થઈ રહ્યો છે. કૃષિના ક્ષેત્રમાં ઉન્નતિ અને વિકાસે જાણે હરણફાળ ભરી છે. દેશના જીડીપીમાં કૃષિનો પણ મસમોટો હિસ્સો રહેલો છે.  એક તરફ વિકાસ તો થઈ રહ્યો છે, તેની સામે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં વિવિધ પડકારો પણ રહેલા છે. કેટલાંક પડકારો કુદરતી  તો કેટલાંક માનવર્સિજત છે. આજથી બે વર્ષ પહેલાં ચોમાસું નબળું રહ્યું હતું.  આગામી ચોમાસું પણ અલ-નીનોની શક્યતાને પગલે નબળું રહી શકે છે. આજે પણ દેશનાં વિવિધ રાજ્યોમાં સિંચાઈ સંબંધિત સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કૃષિ ક્ષેત્રમાં રોકાણ, વિભાજિત જમીનના એકીકરણ માટે કાયદો,  એગ્રીકલ્ચર માર્કેટિંગ, અપૂરતી સંગ્રહ સુવિધાઓ, નબળુ પરિવહન  અને ઉચ્ચ કવોલીટીના બિયારણ તેમજ કૃષિ સંબંધિત સમયસર માહિતીનો  અભાવ નવી સરકાર સામે પડકારરૃપ છે. જેને નજર સમક્ષ રાખીને કૃષિ વિભાગ, ખેડૂત અને સરકારે સાવચેતી રાખીને આગળ વધવું પડશે. કૃષિ ક્ષેત્રમાં આવા અનેક પડકારો છે જેની આપણે અહીં વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.


ખેડૂતો માટે સારી ક્વોલિટીના બિયારણની તંગી : કૃષિ ક્ષેત્રમાં બિયારણ સૌથી મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. બિયારણ પાકની ઉપજમાં અને કૃષિની ઉત્પાદકતામાં સતત વૃદ્ધિ હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ઈનપુટ માનવામાં આવે છે. સારી ગુણવત્તાનાં બીજનું ગરીબ ખેડૂતો વચ્ચે વિતરણ થવું પણ જરૃરી છે. જો કે ઊંચા ભાવને કારણે સારી ક્વોલિટીનાં બિયારણ ખેડૂતો સુધી નથી પહોંચી રહ્યાં. વર્ષ ૧૯૬૯માં સ્ટેટ ફાર્મર્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સ્થાપના કરાઈ હતી. બિયારણ ઉદ્યોગે પણ દેશમાં પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે ત્યારે આગામી સમયમાં પણ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાવી બિયારણ ઉદ્યોગ આગળ વધે તે જરૃરી છે. ખેડૂતોને સમયસર બિયારણ મળે તો કૃષિક્ષેત્રના વિકાસમાં બિયારણ એ મોટો ભાગ ભજવી શકે તેમ છે.
બિયારણના સંશોધનો પાછળ કરોડોનો ખર્ચ થતો હોવા છતાં નવાં બિયારણના સંશોધનોમાં  કૃષિ વિભાગ હજુ ઘણો પાછળ છે. વિશ્વ બજારમાં હેક્ટરદીઠ ઉત્પાદકતામાં ભારત ઘણો પાછળ હોવાનું કારણ ઉચ્ચ ક્વોલિટીના બિયારણનો અભાવ છે. દેશ પાસે કૃષિલાયક જમીન વધારે હોવા છતાં ઘણા પાકોના ઉત્પાદનમાં આપણે ઘણા પાછળ છીએ. જેથી નવી સરકારે સૌથી પહેલું પગલું ઉચ્ચ ક્વોલિટીના બિયારણોના ઉત્પાદન માટે ભરવું પડશે.

દેશમાં વધતી જતી સિંચાઈની સમસ્યા : સૌ કોઈ જાણે છે તેમ ભારતીય કૃષિ આમ તો ચોમાસા આધારિત છે. જો કે ચોમાસું ઘણી વાર અનિયમિત, અનિશ્ચિત અને અવિશ્વસનીય રહ્યું છે. ચોમાસાના અભાવને કારણે ખેડૂતોને સિંચાઈ પર આધાર રાખવો પડે છે. ચીન પછી ભારત સિંચાઈ આધારિત ખેતી કરતો બીજા નંબરનો દેશ છે. ભારતમાં એક તૃતિયાંશ ભાગમાં સિંચાઈ આધારિત ખેતી કરવામાં આવે છે. જો કે ભારતમાં સિંચાઈ સિસ્ટમમાં પણ ઘણાં બધા ફેરફાર કરવાની જરૃર છે. એક તરફ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં અડધાથી વધુ પાકો સિંચાઈ હેઠળ લેવામાં આવે છે. જ્યારે બાકીનાં રાજ્યોમાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોને આર્િથક નુકસાની ભોગવવી પડે છે. ડ્રિપ અને ટપક જેવી ટેકનોલોજી હોવા છતાં આજે પણ ખેડૂતો ચોમાસા પર આધાર રાખે છે. ઇઝરાયેલમાં પાણીની તંગી હોવા છતાં પાણીની એક એક બૂંદનો ખેતીમાં ઉપયોગ કરી ઇઝરાયેલ આજે ખેતીમાં આગળ પડતો દેશ ગણાય છે જ્યારે દેશમાં કુલ સ્ટોરેજ ખેતીલાયક પાણીનો યોગ્ય ઉપયોગ થાય તો ખેડૂતોએ ચોમાસા પર નિર્ભર ના રહેવું પડે તેટલો પૂરતો વરસાદ તો દેશમાં થાય છે. જરૃર છે માત્ર સિંચાઇમાં ટેકનોલોજીનો અમલ કરવાનો.

દેશમાં યાંત્રિકીકરણનો અભાવ :  કૃષિ ક્ષેત્રમાં ઉન્નતિ આવી હોવા છતાં મોટાભાગના ખેડૂતો વાવણી, સિંચાઈ, પાળા બાંધવા માટે કે હાર્વેસ્ટિંગ માટે પરંપરાગત સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. નાના અને સીમાંત ખેડૂતો મજૂરોનો ઉપયોગ કરીને પોતાની ઉપજ ઘટાડી રહ્યા છે. જો કે આઝાદી પછી ભારતમાં યંત્ર ઓજારોનો બહોળો ઉપયોગ થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૬૬-૬૭માં શરૃ કરવામાં આવેલી હરિયાળી ક્રાંતિને કારણે ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ભાર મૂકાયોે હતો. કૃષિ મશીનરીનો વધારે ઉપયોગ થાય તે દિશામાં મોટાપાયે કૃષિ મશીનરીના ઉદ્યોગોની સ્થાપના પણ કરવામાં આવી હતી. છતાં આજે કૃષિમાં યાંત્રિકરણનો પૂરતો ઉપયોગ થતો નથી અને ખેડૂતો ખેતી માટે મજૂરો પર જ આધારિત રહે છે.

 પાણીને કારણે ખેતીલાયક જમીનોનું ધોવાણ : ભારતીય કૃષિમાં જમીન ધોવાણ સૌથી મોટી સમસ્યા તરીકે બહાર આવી રહ્યું છે. ખેડૂતો માટે જમીન સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. જમીન દ્વારા જ ખેડૂતોને પાકની ઉત્પાદકતા સૌથી વધુ મળે છે. જો કે જમીન ધોવાણ થતાં ખેડૂતોને સૌથી મોટી નુકસાની વેઠવાનો પણ વારો આવે છે. ખાસ કરીને પાણી, પવન અને પ્રાણીઓ સહિત વિવિધ પરિબળોને કારણે જમીનનું ધોવાણ થતું હોય છે. પાણીને કારણે જમીનનું ધોવાણ થતા ખેડૂતને સૌથી મોટી નુકસાની આવે છે, અને જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. જો કે આ ધોવાણને કેટલીક કૃષિ પદ્ધતિઓ અપનાવવાથી રોકી શકાય છે. સાથે જ નાના નાના ચેકડેમો, પાકની ફેરબદલી, આંતરપાક, ઢાળ પર વાવણી કરીને ખેડૂત જમીનનું ધોવાણ થતું અટકાવી શકે છે.

નબળું એગ્રીકલ્ચર માર્કેટિંગ : ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ એગ્રીકલ્ચર માર્કેટિંગની વ્યવસ્થા ચિંતાનો વિષય છે. યોગ્ય માર્કેટિંગની સુવિધાઓને અભાવે ખેડૂતોને પોતાની ઉપજ સ્થાનિક ટ્રેડર્સો અથવા વચેટિયાઓ મારફતે સાવ સસ્તા ફેંકી દેવાના ભાવે વેચવી પડે છે.  નાનાં ગામડાંઓમાં ખેડૂતને નાણાં ધીરનારને પણ પોતાની ઉપજ વેચવાનો વારો આવે છે. એક અંદાજ અનુસાર ઉત્તરપ્રદેશમાં ૮૫ ટકા ઘઉં, ૭૫ ટકા તેલીબિયાં પાકોનું ખેડૂતો પોતાના ગામમાં જ વેચાણ કરી દે છે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળમાં ૯૦ ટકા શણ, પંજાબમાં ૭૦ ટકા તેલીબિયાં અને ૩૫ ટકા કપાસનું પોતાના ગામમાં જ વેચાણ કરવામાં આવે છે. ઘણાં માર્કેટના સર્વેને આધારે એ તથ્ય પણ સામે આવ્યું છે કે વિવિધ માર્કેટમાં વચેટિયાઓ ચોખાના ભાવ પર ૪૭ ટકા, મગફળીમાં ૫૨ ટકા અને બટાટામાં ૬૦ ટકાનો નફો કમાઈ રહ્યા છે. સરકાર દ્વારા નિયંત્રણ કરાતા વિવિધ બજારોમાં ખેડૂતોનાં હિત માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જો કે વચેટિયાઓને કારણે ખરીદ-વેચાણની પ્રક્રિયા ખોરંભે ચઢી છે અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા આર્િથક નુકસાન થઈ રહ્યું છે.

અપૂરતી સંગ્રહ સુવિધાઓ : ગ્રામિણ વિસ્તારોમાં સંગ્રહ સુવિધાઓનો અભાવ ગરીબ ખેડૂતો માટે વિનાશક સાબિત થઈ રહી છે. ખેડૂતોને લણણી પછી તરત જ પોતાની ઉપજને નીચા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. એક અંદાજ મુજબ પાકની કાપણી પહેલાં ૯.૩ ટકા પાકને નુકસાન થાય છે. જ્યારે ૬.૬ ટકા પાકને સંગ્રહ સુવિધાઓ ન હોવાને કારણે નુકસાન થઈ રહ્યું છે. વર્તમાન સમયમાં પૂરતી સંગ્રહ વ્યવસ્થા હોવી જરૃરી છે. દેશમાં વિવિધ એજન્સીઓ દ્વારા વેર હાઉસિંગ અને સ્ટોરેજની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જો કે કેટલીક વાર અપૂરતી સંગ્રહ સુવિધાઓને કારણે ખેડૂતોને પોતાના પાકમાં આર્િથક નુકસાન ભોગવવું પડે છે.

અપૂરતું પરિવહન : ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો એગ્રીકલ્ચર ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. આજે ભારતનાં કેટલાંય ગામડાંઓમાં યોગ્ય રસ્તાઓનો અભાવ છે. કૃષિ અને બજાર આ બંને ક્ષેત્રો રોડ સાથે જોડાયેલાં છે, પરંતુ બજાર સુધી કૃષિ ઉપજ પહોંચાડવા માટે વ્યવસ્થિત રોડની જોગવાઈ નથી, જેને કારણે બજાર ખેડૂતોથી દૂર જઈ રહ્યું છે. દેશનાં વિવિધ ગામડાંઓમાં વરસાદી માહોલ બાદ રોડની હાલત કથળતી જાય છે. જેને કારણે ટ્રાન્સપોર્ટેશનમાં ઘણીબધી મુશ્કેલીઓ સર્જાય છે.  દરેક ગામડાને યોગ્ય રોડથી જોડવામાં આવે અને પૂરતી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તો કૃષિના ક્ષેત્રમાં બહોળો વિકાસ થઈ શકે છે.
ખેડૂતો પાસે મૂડીની અછત : કૃષિમાં ટેકનોલોજીની પ્રગતિની સાથે સાથે મૂડીરોકાણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. ખેડૂતોનું રોકાણ પોતાની જમીનમાં જ સમાયેલું છે. ખેડૂતોને પોતાની ઉપજની રકમ મુખ્યત્વે નાણાં ધીરનાર, ટ્રેડર્સ અને કમિશન એજન્ટો પાસેથી મળતી હોય છે, પરંતુ આ ત્રણેય લોકો ખેડૂતો પાસે રહેલી ઉપજની મોટાભાગની રકમ વસૂલ કરી લે છે, એટલે કે કમીશન કાઢી લે છે. જેને કારણે ખેડૂતોને પોતાની ઉપજના નાણાં બિલકુલ ઓછા મળે છે. એટલે કે ખેડૂતને રોકાણ કરતા આવકની રકમ ઓછી મળે છે અને નાણાંકીય નુકસાન થાય છે. જો કે આ આખી પ્રક્રિયામાં પારદર્શક વહિવટનો અભાવ રહે છે, જેથી કૃષિને આંશિક નુકસાન પહોંચે છે. ખેડૂતો પાસે પૂરતી મૂડી હોય તો ખેતીમાં રોકાણ કરી ખેડૂતો સારી આવક મેળવી શકે તેમ છે. 



નાના અને વિભાજિત જમીનધારકો :  સમૃદ્ધ ભારતીય ખેડૂતો જમીન ધારણ કરેલી હોવાથી આર્િથક રીતે સધ્ધર તો બને છે, પરંતુ નાના અને વિભાજિત જમીનધારકોને કારણે કૃષિ ક્ષેત્રમાં જોઈએ તેવું પરિણામ નથી મળતું. ખાસ કરીને આપણો કાયદો કૃષિ ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો એક પિતા પોતાના પુત્રોને જમીનની વહેંચણી કરી દે છે, ત્યારબાદ તેના પુત્રો કદાચ આર્િથક રીતે સધ્ધર હોય તો તેઓ જમીનમાં ખેતી કરવાનું પસંદ નથી કરતા અથવા એવું પણ બને કે સહિયારી જમીનમાં અલગ અલગ ખેતીને કારણે કૃષિ ઉત્પાદન પર અસર પણ થાય છે. તો ઘણી વાર પડતર જમીન રહેવાને કારણે ફળદ્રુપતામાં ઘટાડો થાય અથવા ત્યારબાદ લીધેલા પાકની ઉપજ પર અસર પણ વર્તાય. જમીન વિભાજન કર્યા બાદ સૌથી મોટી સમસ્યા સિંચાઈની પણ રહે છે. ધારો કે બે પુત્રને જમીનની વહેંચણી કરવામાં આવી હોય તો તેમાંથી એકને સિંચાઈની સગવડ મળી રહે છે, તો બીજાએ રાહ જોવી પડે છે, જેને કારણે સીધી અસર ખેતી પર પણ થઈ શકે છે. એટલું જ નહીં ખેતરની આસપાસની જમીનની હદ નક્કી કરવાને કારણે ફળદ્રુપ જમીનનો કેટલોક ભાગ પણ બરબાદ થઈ શકે છે. ભારતમાં વિભાજિત જમીનના એકીકરણ માટે કાયદો પણ અમલમાં મૂકવામાં આવ્યો છે, જો કે પરંપરાગત રીતે જે ચલણ ચાલ્યું આવે છે, તેને ખેડૂતો અપનાવી રહ્યા છે. એટલે આ કાયદાને જોઈએ તેવો પ્રતિસાદ નથી મળી રહ્યો. 



ખાતર અને દવાઓના યોગ્ય ઉપયોગનો અભાવ : ભારતીય ખેડૂતો પ્રાચીન અને રૃઢિગત પરંપરાને આધારે ખેતી કરતા હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જમીનની પૂરતી કાળજી લીધા વગર ખેતી કરાતી હોવાને કારણે પણ ઉપજ પર અસર વર્તાઈ રહી છે. બિનકાળજીપૂર્વક ખેતી કરવાને કારણે વિશ્વમાં પણ દરેક પાકની ઉપજમાં ઘટાડો જોવા મળ્યો છે. પાકને પૂરતાં ખાતરો અને યોગ્ય માવજત ન મળતાં હોવાને કારણે ઉપજમાં ઘટાડો જોવા મળે છે. જેવી રીતે માનવજાતના વિકાસ માટે પૂરતાં પોષકતત્ત્વો મળી રહેવાં જરૃરી છે, તેવી જ રીતે જમીનને પણ સારું પોષણ મળે તો સારી ઉપજ આપી શકે છે. એક અનુમાન મુજબ પૂરક ખાતરો આપવાથી એગ્રીકલ્ચર ઉપજમાં ૭૦ ટકાનો વધારો કરી શકાય છે. જો કે ઘણી વાર રાસાયણિક ખાતરો મોંઘાં હોવાને કારણે ઘણાં ખેડૂતોને પોસાય તેમ હોતું નથી. જો કે તેની સામે છાણિયાં ખાતરનો વપરાશ કરી શકાય છે. છાણિયાં ખાતરનો ઉપયોગ જમીનની ફળદ્રુપ શક્તિ ટકાવી રાખે છે. ભારતમાં ખાતરની સમસ્યા તીવ્ર અને જટિલ છે, પરંતુ તેની સામે ઓર્ગેનિક એટલે કે જૈવિક ખાતરનો વપરાશ પણ જમીનને ટકાવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સમયયર ખેડૂતોને ખાતર પણ મળતા ન હોવા ઉપરાંત ખેડૂતોને ખાતર મેળવવા રીતસરની લાઇનો લગાવવી પડે છે. કરોડો રૃપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચીને ખાતરની આયાત કરવા છતાં ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી તો પાકમાં કેટલું ખાતર વાપરવું તે દેશના ૫૦ ટકા ખેડૂતોને પ્રમાણભાન નથી. જેથી ખાતરના અને દવાના વપરાશની જાગૃતિ લાવવા પણ કૃષિ વિભાગે પ્રયત્નો કરવા પડશે.

વર્તમાન સમયમાં ભારતમાં ગ્રામિણ ક્ષેત્રમાં ૬૫૦૦ લાખ ટન ખાતરનું ઉત્પાદન થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં ૧૬૦૦ લાખ ટન ખાતરનું ઉત્પાદન થાય છે. જો કે આ તમામ ખાતરનો પૂરતા પ્રમાણમાં વપરાશ નથી થતો. સરકારના અથાગ પ્રયાસ બાદ રાસાયણિક ખાતરોનો વપરાશ વધારવામાં આવ્યો હતો. સાથે જ ખેડૂતોને યોગ્ય ખાતર મળે તે હેતુથી તેનાં ધોરણો જાળવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂતો પાસે હજુ પણ રાસાયણિક ખાતર અને દવા છંટકાવની યોગ્ય માહિતીનો અભાવ હોવાથી ખેડૂતો ખેતીમાં ખર્ચ વધારી જમીનની ફળદ્રુપતા ગુમાવવાની સાથે ઉત્પાદનમાં પણ ઝેર ભેળવી રહ્યા છે. ખરેખર ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે તે જરૃરી છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment