Monday, 2 December 2013

દેશમાં પાકનું ઉત્પાદન વધારવાનો કૃષિ વિભાગનો પાઇલટ પ્રોજેક્ટ


દેશમાં ખરીફ સીઝન એ ચોમાસા પર નિર્ભર હોવાની સાથે કુલ વાવેતર વિસ્તાર પૈકી ૧૦૦૦ લાખ હેક્ટરમાં વાવેતર થતું હોવાથી ભવિષ્યમાં ખેત ઉત્પાદન વધારવા કૃષિ વિભાગે રવી અભિયાન હાથ ધર્યું છે. દિલ્હીમાં સપ્ટેમ્બરમાં રવી અભિયાનના નામે બે દિવસ કોન્ફરન્સ પણ યોજાઇ ગઇ. સારા વરસાદને પગલે ઊંચા જળસ્ત્રોતથી ખરીફની સાથે રવીમાં પણ ઊંચું ઉત્પાદન મેળવવાના કૃષિ વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે. રવી સીઝનમાં કઠોળનું ૧૨૦ લાખ ટન, ચોખાનું ૧૪૦ લાખ ટન અને ૪૪ લાખ ટન મકાઇ તેમજ બરેલીનું ૧૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુકયો છે. ખરીફમાં વાવેતર અને ઉત્પાદન વધારવામાં વરસાદ મુખ્ય આધારભૂત હોવાથી કૃષિ વિભાગે સિંચાઇ અને ભેજને આધારિત ૬૦૦ લાખ હેક્ટરમાં થતા રવી વાવેતરને વધારવાના પ્રયાસો શરૃ કર્યા છે. દેશમાં વધતી જતી વસતી સામે પાક ઉત્પાદન વધારવા માટે રવી સીઝનમાં જ વાવેતર વધે તેવી ઉજળી શક્યતા કૃષિ વિભાગને લાગી રહી છે. દિલ્હીમાં યોજાયેલી કોન્ફરન્સમાં ચાર જુદા-જુદા ઝોન બનાવી ખેતીમાં સુધારાવધારા માટે માર્ગદર્શનની માંગણી કરાઇ હતી. જેમાં રાજ્યોમાંથી ઉપસ્થિત અધિકારીઓએ પણ કૃષિ પ્રગતિમાં નડતરરૃપ કારણોની રૃપરેખા આપી હતી.



રવી સીઝન શા માટે?  : દેશમાં પાકની સૌથી મોટી સીઝન ખરીફ ગણાય છે. જૂનથી જુલાઇ દરમિયાન સૌથી વધુ વાવેતર દેશમાં થાય છે. આ સીઝન દેશના ધાન્ય પાકોના ઉત્પાદનમાં સૌથી મોટો ભાગ ભજવે છે. દેશમાં રવી સીઝનનું મહત્ત્વ તેલીબિયાં, કઠોળ અને ધાન્ય પાકોના ઉત્પાદનમાં વધારો કરવાનું છે. રવી પાકોનું વાવેતર મુખ્યત્વે પિયત અને વરસાદના ભેજમાં થાય છે. ચોમાસામાં સારો વરસાદ થાય તો રવી સીઝનને ઘણો ફાયદો થાય છે. દેશમાં ચોમાસામાં સારા વરસાદને પગલે ચાલુ વર્ષે પણ રવી સીઝનમાં સારા ઉત્પાદનના ઊંચા અંદાજો લગાવાયા છે. દેશમાં ખેતી માટે વરસાદ એ મુખ્ય આધાર છે. ખરીફ સીઝન એ મુખ્ય વરસાદ આધારિત છે. ઓછો વરસાદ દેશના કૃષિ વિકાસને ઘણી માઠી અસર પહોંચાડે છે. ભારતમાં ૨૦૧૨માં ૨૫૦૪ લાખ ટન રેકર્ડ બ્રેક ધાન્ય પાકોનું ઉત્પાદન થયું છે. આમ છતાં એશિયામાં ત્રીજો સૌથી મોટો વિકાસશીલ દેશ ગણાતા ભારતમાં બાળકોમાં કુપોષણ, ભૂખમરાનું પ્રમાણ ઘણું જ ઊંચું છે. જે પ્રમાણે દેશમાં વસતીનો વિસ્ફોટ થઇ રહ્યો છે તે જોતાં આગામી વર્ષોમાં ખેત ઉત્પાદન ન વધ્યું તો મોંઘવારીનો દર ઓલટાઇમ ઊંચો જશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. દેશમાં ચોખાનું ૧૦૦૦ લાખ ટન, ઘઉંનું ૯૨૫ લાખ ટન અને કઠોળનું ૧૮૦ લાખ ટન ઉપરાંત તેલીબિયાંના ઊંચા ઉત્પાદન છતાં આજે દેશમાં ભૂખમરાનું પ્રમાણ ઊંચું છે.

રવી સીઝનમાં ઉત્પાદન વધવાની  સંભાવના
  દેશમાં સારા ચોમાસાનો ફાયદો ખરીફની સાથે રવી સીઝનને પણ થવાનો અંદાજ છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન થયેલા સારા વરસાદને પગલે પાણીનો સ્ટોક દેશમાં ઊંચો છે. પરિણામે પિયતની સારી સુવિધા અને જમીનમાં ઊંચા ભેજને પગલે રવી સીઝનમાં દેશમાં વાવેતર ઊંચકાવાની પણ સંભાવના છે. ચાલુ રવી સીઝનમાં ઊંચા ઉત્પાદનના અંદાજ અને ખરીફમાં ઊંચા ઉત્પાદનથી ચાલુ વર્ષે ેએગ્રીકલ્ચર સેક્ટર માટે ઉત્તમ નીવડે તેવી સંભાવના છે. દેશમાં ચાલુ વર્ષે રવી સીઝનમાં ૧૨૮૫ લાખ ટન ધાન્ય પાકોનું ઉત્પાદન થવાના અંદાજો મંડાયા છે. કૃષિ વિભાગે કઠોળનું ૧૨૦ લાખ ટન, ચોખાનું ૧૪૦ લાખ ટન અને ૪૪ લાખ ટન મકાઇ તેમજ બરેલીનું ૧૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. દેશનાં જળાશયોમાં પાણીનો સ્ટોક પણ ચાલુ રવી સીઝનમાં ઘણો ઊંચો છે. હાલમાં ૮૫ જળાશયોમાં ૧૩૦ બિલિયન ક્યૂબિક મીટર સામે ૧૫૫ બિલિયન ક્યૂબિક મીટર પાણીનો સ્ટોક છે. જેમાં ઉત્તર અને સાઉથ ભારતમાં પાણીનો સ્ટોક ઘણો ઊંચો છે. દેશમાં ઓગસ્ટમાં જળાશયોમાં રહેલો પાણીનો સ્ટોક છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી ઊંચો છે.

રવીમાં ઉત્પાદન વધારતી યોજનાઓ
દેશમાં ધાન્યપાકોનું રેકર્ડબ્રેક ઉત્પાદન થાય અને કઠોળ પાકોનું ઉત્પાદન વધે તે માટે કૃષિ વિભાગ દ્વારા યોજનાઓ ચાલી રહી છે. કઠોળના ઉત્પાદનમાં દેશ સક્રિય થઇ રહ્યો છે. દેશના કુલ વાવેતરમાં કઠોળ પાકોનું વાવેતર ૩૧ ટકા અને ઉત્પાદનમાં ૨૩.૫ ટકા હિસ્સો ધરાવે છે. આમ છતાં દેશમાં કઠોળની ૩૦ લાખ ટન આયાત થાય છે. કઠોળની આયાતનું મુખ્ય કારણ કઠોળમાં હેક્ટરદીઠ ઉત્પાદકતા છે. કેનેડાની હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૯૨૯ કિલો ચીનની ૧૫૨૮ કિલો અને મ્યાનમારની ૧૦૭૦ કિલો છે. જ્યારે ભારતમાં સરેરાશ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૬૩૮ કિલો છે જે પાકિસ્તાનના ૬૪૬ કિલો કરતાં પણ ઓછી છે. દેશની કુલ વસતીની સંખ્યામાં કઠોળનું ઉત્પાદન ઓછું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અંદાજ અનુસાર ૮૦ ગ્રામ કઠોળ પ્રતિ દિવસ એક વ્યક્તિની જરૃરિયાત છે. જે આધારે ભારતમાં ૩૫૦ લાખ ટન કઠોળની જરૃરિયાત હોવાનો એસોચેમના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. કઠોળની આયાત માટે મ્યાનમાર, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, કેન્યા અને તાન્ઝાનિયા દેશ પર ભારતે આધાર રાખવો પડે છે. કઠોળના વાવેતર માટે રવી સીઝન એ મુખ્ય છે. સૌથી વધુ કઠોળનું ઉત્પાદન રવી સીઝનમાં ૧૨૦થી ૧૨૫ લાખ ટન થાય છે જેથી કૃષિ વિભાગે કઠોળનું વાવેતર વધારવા માટે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન અંતર્ગત યોજના ચલાવે છે. જેમાં ઘઉંનંુ અને ચોખાનું ઉત્પાદન વધારવાના પ્રયાસનો પણ સમાવેશ કરાયો છે. કઠોળનું ઉત્પાદન વધારવા માટે કૃષિ વિભાગ દ્વારા ૨૦૧૨-૧૩માં ૧૦૦ કરોડનો પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હતો જેમાંથી દેશનાં ૧૪ રાજ્યોમાં ૮૬ કરોડની ફાળવણી પણ થઇ ચૂકી છે. રવીનું ઉત્પાદન વધારવા માટે સરકારે રવી સીઝનની એમએસપીમાં પણ વધારો કર્યો છે. ઘઉંની એમએસપીમાં ૫૦ રૃપિયાનો વધારો કરી રૃપિયા ૧૪૦૦ પ્રતિ ક્વિન્ટલ, બરેલીની એમએસપીમાં પણ રૃપિયા ૧૨૦નો વધારો કરી રૃપિયા ૧૧૦૦ પ્રતિ ક્વિન્ટલ કરાઇ છે. ચણાની એમએસપીમાં પણ રૃપિયા ૧૦૦નો વધારો કરાયો છે. રાઇનું ઉત્પાદન વધે તેના ભાગરૃપે એમએસપીમાં રૃપિયા ૫૦નો વધારો કરાયો છે. સૂર્યમુખીની એમએસપીમાં પણ રૃપિયા ૨૦૦નો વધારો કરાયો છે.

રવીમાં અનિવાર્ય પાક કઠોળ 
 કઠોળ એ ભારતના રસોડામાં મુખ્ય છે. પ્રોટીનની ઉણપ નિવારવા કઠોળ એ મુખ્ય છે. દેશમાં કઠોળનું ૧૮૫ લાખ ટન ઉત્પાદન થાય છે. જેમાં ચણાનો હિસ્સો ૪૧ ટકા, તુવેરનો ૧૫ ટકા, અડદનો ૧૦ ટકા, મગનો ૯ ટકા, ચોળીનો ૭ ટકા, મસૂરનો ૫ ટકા સિવાય અન્ય કઠોળનો હિસ્સો ૫ ટકા છે. રવી સીઝનમાં કઠોળના કુલ ઉત્પાદન પૈકી ૬૦ ટકા વાવેતર થાય છે. વિશ્વમાં કઠોળના કુલ વપરાશમાં ભારતનો હિસ્સો ૩૦ ટકા છે. દેશમાં રવી સીઝનમાં ૧૩૦થી ૧૫૦ લાખ ટન ઉત્પાદન થાય છે. દેશમાં કઠોળની જરૃરિયાત ૨૧૦થી ૨૨૦ લાખ ટન સામે ઉત્પાદન ૧૭૦થી ૧૮૦ લાખ ટન છે. ૨૦૧૦-૧૧માં ૧૭૨ લાખ ટન કઠોળનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયું હતું. આ પૂર્વે ૨૦૦૩-૦૪માં ૧૪૯ લાખ ટન ઉત્પાદન થવાનો રેકોર્ડ હતો.જેમાં ખરીફ કઠોળનું ઉત્પાદન ૭૩ લાખ ટન થયું હતું. જેમાં ચણાનું ઉત્પાદન ૩૧ લાખ ટન અને બ્લેકગ્રામનું ઉત્પાદન ૧૮ લાખ ટન થયું હતું. ખરીફમાં કઠોળના ઉત્પાદનમાં આ રેકોર્ડ હજુ પણ અકબંધ છે. દેશમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ દેશના કુલ ઉત્પાદનના ૭૫ ટકા કઠોળનું ઉત્પાદન કરતાં રાજ્યો છે. મધ્યપ્રદેશમાં ૩૨ લાખ ટન કઠોળનું સૌથી ઊંચું ઉત્પાદન થાય છે ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. જ્યારે પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં  હરિયાણામાં ૮૨૪ કિલો હેક્ટરદીઠ કઠોળનું ઉત્પાદન થાય છે ત્યારબાદ સૌથી વધુ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારનો નંબર આવે છે. હાલમાં કઠોળની ૧૫થી ૨૦ ટકા આયાત થાય છે. જેમાં કેનેડા અને મ્યાનમારમાંથી મોટા પાયે કઠોળની આયાત થાય છે. ભારત લીલા અને સફેદ વટાણાની અમેરિકા અને કેનેડામાંથી આયાત કરે છે. મ્યાનમારમાંથી મોટાભાગનાં કઠોળની આયાત થાય છે જેમાં અડદ એ મુખ્ય કઠોળ હોય છે. ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયામાંથી મુખ્યત્વે ભારત દ્વારા ચણાની આયાત થાય છે.

રવીમાં આવશ્યક તેલીબિયાં પાકનું ઉત્પાદન વધારવું 

ભારત વિશ્વમાં ચોથા ક્રમનું તેલીબિયાં ઉત્પાદક રાજ્ય છે. પ્રથમ ક્રમે અમેરિકા, બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે બ્રાઝિલ આવે છે. વિશ્વમાં ર્વાિષક ૨૫૦૦ લાખ ટન તેલીબિયાં પાકોનું ઉત્પાદન થાય છે. ૧૯૯૫માં ભારત વિશ્વના કુલ ઉત્પાદનમાં ૧૦ ટકા હિસ્સો ધરાવતું હતું. ભારત એ વિશ્વમાં તેલીબિયાં પાકોનું ઉત્પાદન કરતો અગ્રણી દેશ છે. ભારતમાં તેલીબિયાં પાકોનો ર્વાિષક વપરાશ પ્રતિ વ્યક્તિદીઠ ભારતમાં ૧૦. કિલો, ચીનમાં ૧૨.૫ કિલો, જાપાનમાં ૨૦. કિલો બ્રાઝિલમાં ૨૧. કિલો જ્યારે અમેરિકામાં ૪૮. કિલો છે. દેશમાં તેલીબિયાં પાકોની ઘણી વેરાઇટીનું વાવેતર થાય છે. જેમાં સોયાબીન, કોટનસીડ, મગફળી, સૂર્યમુખી, રાઇ, તલ, કોપરા, એરંડા અને પામ એ મુખ્ય છે. ભારત એ વિશ્વમાં મગફળી, અળસી, એરંડાના ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દેશમાં તેલીબિયાં પાકોનું ૨૭૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. દેશમાં ૨૦૧૨-૧૩માં રાયડાના વધુ ઉત્પાદનને પગલે ખરીફમાં તેલીબિયાંના ૮૭.૯૦ લાખ ટન ઉત્પાદન સામે રવી સીઝનમાં તેલીબિયાંનું ૯૭.૯૩ લાખ ટન ઉત્પાદન થયું હતું. ૨૦૧૨-૧૩માં રાયડાનું ૭૧.૫૦ લાખ ઉત્પાદન થયું હતું. જે ૨૦૧૧-૧૨માં ૫૮.૮૦ લાખ ટન જ હતું. સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના અંદાજ અનુસાર ૨૦૧૧-૧૨માં મગફળીના ૧૭.૧૪ લાખ ટન ઉત્પાદન સામે ૨૦૧૧-૧૨માં ૧૮.૪૦ લાખ ટન ઉત્પાદન થયું હતું. દેશમાં તેલીબિયાં ઉત્પાદન સાથે ૬૦૦ દ્રાવણ નિષ્કર્ષણ પ્લાન્ટ, ૨૦૦ શાકભાજીની ઓઇલ રિફાઇનરી અને ૧૭૫ હાઇડ્રોજન પ્લાન્ટ જોડાયેલા છે. દેશમાં રવી સીઝનમાં તેલીબિયાં પાકોનું વાવેતર વધ્યું છે. દેશમાં ૨૦૧૧-૧૨માં ૯૦.૯૪ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૮૮.૪૨ લાખ ટન થયું હતું. જેમાં રાયડાનું ઉત્પાદન મુખ્ય હતું. દેશમાં નેશનલ મિશન તેલીબિયાં અને પામ ઓઇલ (એનએમઓઓપી) દ્વારા ૧૨મી પંચવર્ષીય યોજનામાં તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધારવા ૩૫૦૭ કરોડની ફાળવણી કરાઇ છે. આ રકમ થકી દેશમાં ૬૫ લાખ ટન તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધારવાનો .૨૫ લાખ હેક્ટરમાં ઓઇલપામનું વાવેતર વધારવાનો છે.
રવી સીઝન માટે સ્પેશ્યલ અભિયાનઃ મહત્ત્વની યોજનાના ભાગરૃપે દેશમાં રવી સીઝનમાં પાક ઉત્પાદન વધારવા માટે એક સ્પેશ્યલ અભિયાન કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાયું છે. જેના ભાગરૃપે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં એક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી. જે દરમિયાન રવી સીઝનમાં વાવેતર થતા પાકોના ઉત્તમ કક્ષાનાં બિયારણો ખેડૂતો સુધી પહોંચાડવાની, ખેડૂતો પાસે સમયસર વાવેતર કરાવવાની, ઉત્પાદન વધારવા ખેડૂતોને સમજણ પૂરી પાડવાની સાથે ઉત્પાદિત માલના ખેડૂતોને સારા ભાવ મળે તેની મુખ્ય ચર્ચા થઇ હતી.

રવીમાં ઘઉં મહત્ત્વનો પાકઃ ૨૦૧૧-૧૨માં રેકર્ડબ્રેક ઉત્પાદન થયું હતું


રવી સીઝનમાં ઘઉં એ મહત્ત્વનો પાક છે. ભારત ઘણાં વર્ષોની મહેનત બાદ ઘઉંના પાકમાં સ્વાવલંબી દેશ બન્યો છે. આજે ભારત ઘઉંના ઉત્પાદનમાં વિશ્વના અગ્રણી ઉત્પાદક દેશોની હરોળમાં આવી ગયો છે. દેશમાં ધાન્યપાકોમાં ચોખાના ઉત્પાદન બાદ ઘઉં એ બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક પાક છે. દેશમાં ૩૦૦ લાખ હેક્ટરમાં વાવેતર થતા પાકમાંથી ઘઉંનું ૯૨૫ લાખ ટન ઉત્પાદન થાય છે જે વિશ્વના કુલ ઉત્પાદનના ૧૩.૨ ટકા જેટલું છે. ભારત વિશ્વમાં હાલમાં બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકાર દેશ છે. દેશના કુલ ધાન્યપાકોના ઉત્પાદનમાં ઘઉંનો ૩૫.૫ ટકા અને વાવેતરમાં ૨૨ ટકાનો હિસ્સો છે. આમ છતાં વિશ્વના ઘઉંના ઉત્પાદક દેશોની તુલનામાં ઘઉંની ઉત્પાદકતા ઘણી નીચી છે. ચાઇનામાં પ્રતિ હેક્ટરદીઠ ઘઉંનું ઉત્પાદન ૪૧૦૦ કિલો, યુરોપમાં ૬૪૦૦ કિલો, અમેરિકામાં ૭૫૦૦ કિલો છે. જ્યારે ભારતની પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૨૬૦૦ કિલો છે. દેશમાં ૨૦૨૦માં ભારતની વસતી ૧૨૫ કરોડે પહોંચશે ત્યારે ઘઉંની સરેરાશ જરૃરિયાત ૧૦૯૦ લાખ ટન રહેશે. એટલે કે પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૩૧૦૦ કિલો કરવી પડશે. હાલમાં ઘઉંની હેક્ટરદીઠ ઉત્પાદકતાની ટકાવારી એક ટકા છે જે વધારીને ૨.૨ ટકા કરવી પડશે. ઘઉંનંુ વાવેતર ઓક્ટોબર નવેમ્બર અને કાપણી એપ્રિલ સુધી પૂરી થાય છે. દેશમાં ૨૦૧૧-૧૨માં ઘઉંનું રેકર્ડબ્રેક ૯૪૮ લાખ ટન ઉત્પાદન થયું હતું. ૨૦૧૨-૧૩માં ઘઉંનું ઉત્પાદન ૯૨૪ લાખ ટન થયું હતું. ચાલુ રવી સીઝનમાં પણ દેશમાં પાણીનો સ્ટોક છેલ્લાં ૧૦ વર્ષમાં રેકર્ડબ્રેક હોવાથી ૯૨૫ લાખ ટન ઉત્પાદનનો આંક સરળતાથી પાર કરી જવાનો અંદાજ કૃષિ વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment