Monday, 2 December 2013

ગુજરાતમાં ઘઉં અને જીરાનું વાવેતર વધશે



ગુજરાત અને રાજસ્થાનમાં સિંચાઈના પાણીની ઉપલબ્ધતાને કારણે જીરુંના વાવેતરમાં વધારો થવાની ધારણા : રાજ્યમાં ઘઉંનું વાવેતર ૧૪ લાખ હેક્ટરના આંકને વટાવી જશેઃ  દેશમાં ઘઉંનો વાવેતર વિસ્તાર વધવાની સાથે ઉત્પાદન ૯૨૫ લાખ ટનથી વધુ થવાનો કૃષિ વિભાગને અંદાજ : ૨૫મી નવેમ્બર સુધી જીરાનું ૮૩ હજાર હેક્ટરમાં વાવેતર


સારા ચોમાસાને પગલે સિંચાઇના પાણીની સારી ઉપલબ્ધતાથી પિયત અને ભેજને આધારે રવી સીઝનમાં થતી ખેતીના મુખ્ય બે પાક ઘઉં અને જીરાના વાવેતરમાં વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં ઘઉંનું ૧૩ લાખ હેક્ટર અને જીરાનું ૩.૫૦ લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. ચાલુ રવી સીઝનમાં ઘઉંનું વાવેતર ૧૪ લાખ હેક્ટરને આંબી જાય તેવા ઉજળા સંજોગો છે. ૨૫મી નવેમ્બર સુધીમાં રાજ્યમાં ઘઉંનું ૪.૫૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આ જ સ્થિતિ જીરામાં છે. સૌરાષ્ટ્રમાં પાણીની સુવિધાને પગલે ખેડૂતો જીરાનું વાવેતર વધારે તેવી પૂરી સંભાવનાથી જીરાનું વાવેતર પણ ૩.૫૦ લાખ હેક્ટરના આંકને વટાવી જશે. દેશમાં ઘઉંનું ૩૦૦ લાખ હેક્ટરમાં થતા વાવેતર સામે ૩૦ ટકાથી વધુ વાવેતર થઇ ચૂક્યું છે. કૃષિ વિભાગે દેશમાં ઘઉંનું ૯૨૫ લાખ ટનથી પણ વધુ ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા બહાર પડાતા અંદાજો અનુસાર કાપણી સમયે ઘઉંનો પ્રતિમણે ભાવ રૃપિયા ૩૨૦ અને જીરાનો પ્રતિમણે ભાવ રૃપિયા ૨૩૦૦ રહેશે.   

      વિશ્વમાં ભારત સૌથી વધુ મસાલા પાકોનું ઉત્પાદન કરતો દેશ છે અને વિશ્વમાં સૌથી વધુ જીરુંનું ઉત્પાદન કરે છે. દેશમાં જીરુના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭૦ ટકા કરતાં વધુ છે. ત્યાર પછીના ક્રમે રાજસ્થાન રહે છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ અનુસાર ૩.૫૦ લાખ હેક્ટરની આસપાસ જીરાનું વાવેતર થાય છે. વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ગુજરાતમાં જીરુંનું વાવેતર અંદાજે ૩.૩૫ લાખ હેક્ટરમાં થયું હતું જે અગાઉના વર્ષ કરતાં ૧૦ ટકા ઓછું હતું. ગુજરાતમાં જીરુંનું વાવેતર વર્ષ ૨૦૦૧-૦૨માં ૧.૪૫ લાખ હેક્ટરમાં થયું હતું, જે વધીને ૨૦૧૧-૧૨માં ૩.૭૪ લાખ હેક્ટર થયું છે. ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪માં ગુજરાત અને રાજસ્થાનમાં પૂરતા સિંચાઈના પાણીની ઉપલબ્ધતાને કારણે જીરુંના વાવેતર વિસ્તારમાં વધારો થવાની ધારણા છે. દેશમાંથી સને ૨૦૧૧-૧૨માં જીરુંની નિકાસ ૪૫,૫૦૦ ટન થઇ હતી, જે વધીને વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ૭૯,૯૦૦ ટન થઇ છે. ઉપરાંત એપ્રિલથી જૂન, ૨૦૧૩ના સમયગાળામાં નિકાસમાં ગત વર્ષ કરતાં ૨૫ ટકા વધારો થયો છે અને નિકાસ કરેલા માલના કિલોદીઠ રૃ.૧૨૯.૫૦ આસપાસ એટલે કે મણના રૃ. ૨૫૯૦ મળ્યા છે.  છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દેશમાં જીરાનું ઉત્પાદન સારું થયું હોવા છતાં ઘરઆંગણે જીરુંના ભાવ રૃ. ૨૪૦૦ આસપાસ જળવાઈ રહ્યા છે. જીરંુના મુખ્ય નિકાસકારો સીરિયા અને તુર્કી છે, પરંતુ તેમનું ઉત્પાદન જૂન અને જુલાઈના અંતમાં મોડું આવે છે. ભારતીય જીરુંની નિકાસ યુએસ, યુકે, યુએઈ, જાપાન, બ્રાઝિલ વગેરે દેશોમાં કરવામાં આવે છે. ગત વર્ષે માર્ચથી જૂન ૨૦૧૩ દરમિયાન કાપણી સમયે જીરુંના ભાવ મણના રૃપિયા ૨૪૦૦ આસપાસ રહ્યા હતા જે વર્ષ ૨૦૧૩-૧૪ની આગામી સીઝનમાં થોડી વધઘટ સાથે સ્થિર રહે તેવી સંભાવના છે. રાજ્યમાં જીરાનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. ૨૦૧૨-૧૩માં ૩.૩૫ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું હતું.
સૌરાષ્ટ્રમાં ૧.૫૦ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થાય છે. ત્યારબાદ જીરાનું સૌથી વધુ વાવેતર ૧.૩૦ લાખ હેક્ટરમાં ઉત્તર
ગુજરાતમાં થાય છે. જીરું એ વાતાવરણ આધારિત પાક હોવાથી ખેડૂતો જીરુંનું વાવેતર કરીને જોખમ જ ઉઠાવતા હોય છે. આમ છતાં જીરાના પાકને સુરેન્દ્રનગર જિલ્લાનું વાતાવરણ અનુકૂળ આવતું હોવાથી ખેડૂતો વાવેતર વધારી રહ્યા છે. ચાલુ વર્ષે જીરાનું ૧.૬૭ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે અને જીરાનું વાવેતર વધે તેવા સંજોગો છે.
રાજ્યમાં જીરાના વાવેતરની સારી તકો, સંભવિત ઉત્પાદન, ભાવનું વલણ અને વેપારીઓના અહેવાલોને ધ્યાનમાં રાખીને કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિર્વિસટી, જૂનાગઢની સંશોધન ટીમે ઊંઝા માર્કેટયાર્ડના જીરાના પાછલાં વર્ષોના ભાવોનું પૃથક્કરણ કર્યું છે. જેનું તારણ તેમજ નેશનલ એગ્રીકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટ, ડોમેસ્ટિક એન્ડ એક્સપોર્ટ માર્કેટ સેલ, તામિલનાડુ કૃષિ યુનિર્વિસટી કોઈમ્બતુરની સલાહ મુજબ અનુમાન છે કે, માર્ચથી મે, ૨૦૧૪ દરમિયાન જીરુંના ભાવ મણના રૃપિયા ૨૨૦૦થી ૨૪૦૦ આસપાસ રહેવાની સંભાવના છે જેથી ઉપરોક્ત ભાવ સપાટીને ધ્યાનમાં લઈ ખેડૂતભાઈઓ અનુકૂળતા મુજબ જીરાના વાવેતર અંગે પોતાની રીતે નિર્ણય કરી શકે છે.

રાજ્યમાં ઘઉંનું ૩૬ ટકા અને જીરાનું ૪૮ ટકા વાવેતર
રાજ્યમાં ઘઉંનું ૧૨.૪૩ લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. ગત રવી સીઝનમાં ૨૫ નવેમ્બર સુધીમાં ૨.૩૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું સામે ચાલુ સીઝનમાં ૪.૫૦ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જ્યારે ૭૫ હજાર હેક્ટરમાં થતા બિનપિયત ઘઉંના વાવેતરમાં ૨૫મી સુધીમાં ૧૨ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થઇ ચૂક્યું છે. જીરાનો પણ સરેરાશ વાવેતર વિસ્તાર ૩.૪૦ લાખ હેક્ટર છે. જેમાં ગત રવી સીઝનમાં ૨૫મી સુધીમાં ૧.૫૭ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર સામે હાલમાં ૧.૬૭ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. આમ, જીરાના વાવેતરમાં વધારો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પાણીની સુવિધાને પગલે જીરાનું વાવેતર વધે તેવી સંભાવના છે. ૨૫મી સુધીમાં રાજ્યમાં ઘઉંનું ૩૬ ટકા અને જીરાનું ૪૮ ટકા વાવેતર થઇ ચૂક્યું છે. 


ઘઉંના ભાવ મણના રૃપિયા ૩૨૦ આસપાસ રહેવાની સંભાવના


વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ભારતમાં કુલ અનાજનું ઉત્પાદન ૨૫.૫૪ કરોડ ટન સામે વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૨૫.૯૦ કરોડ ટનનો લક્ષ્યાંક નક્કી કરાયો

વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ભારત બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં છેલ્લા દાયકામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ઘઉંનું ૭.૨૮ કરોડ ટન ઉત્પાદન થયું હતું જે વધીને વર્ષ ૨૦૧૧-૧૨માં ૯.૪૯ કરોડ ટન થયું છે. ગત વર્ષે ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં વરસાદની અછતને કારણે ઘઉંનું વાવેતર ૨.૯૬ કરોડ હેક્ટરમાં અને ઉત્પાદન થોડું ઓછું ૯.૨૫ કરોડ ટન થયું હતું. પરંતુ ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન દેશમાં ખૂબ જ સારું ચોમાસું રહેવાને લીધે સિંચાઈના પાણીની ઉપલબ્ધતાને કારણે ઘઉંનો વાવેતર વિસ્તાર વધવાની સંભાવના છે. ભારત સરકારના (તા.૨૪-૦૯-૨૦૧૩) પ્રથમ આગોતરા અંદાજ મુજબ વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ભારતમાં કુલ અનાજનું ઉત્પાદન ૨૫.૫૪ કરોડ ટન થયું છે અને વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૨૫.૯૦ કરોડ ટનનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ગુજરાતમાં ઘઉંનું ૧૩.૫૧ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૪૦.૭૨ લાખ ટન મળ્યું હતું, પરંતુ ગત વર્ષે ૨૦૧૨-૧૩માં વાવેતરમાં ૧૦.૪૮ ટકા જેટલો ઘટાડો થયો હતો અને ઉત્પાદન પણ ઘટયું હતું. તેથી ગુજરાતમાં ઘઉંના ભાવ મે, ૨૦૧૨માં મણના રૃ. ૨૯૦ જેટલા હતા, જે વધીને માર્ચ - જૂન ૨૦૧૩ દરમિયાન મણના રૃપિયા ૩૫૦ આસપાસ થયા હતા.
હાલમાં ઘઉંના ભાવ મણના રૃપિયા ૩૬૦ આસપાસ પ્રવર્તે છે. ચાલુ વર્ષે પિયત પાણીની પૂરતી ઉપલબ્ધતા હોવાથી રાજ્યમાં ઘઉંનો વાવેતર વિસ્તાર ૧૪ લાખ હેક્ટરથી વધવાની શક્યતા છે. સરકારે ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪ માટે ઘઉંના ટેકાના ભાવ મણના રૃપિયા ૨૮૦ નક્કી કર્યા છે. દેશમાં હાલમાં ઘઉંના વાવેતરમાં તેજી જોવા મળી રહી છે.
ગત સપ્તાહે દેશમાં ઘઉંનું ૨૫ ટકા વાવેતર થઇ ગયું હતું. ૨૦૧૧-૧૨માં ઘઉંનં નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં વાવેતર ૧૦૧ લાખ હેક્ટર થયું હતું. જે ચાલુ વર્ષે ૧૨૭ લાખ હેક્ટરમાં થઇ ચૂક્યું છે. સારા વરસાદ અને પિયતની ઉજળી શક્યતાથી દેશમાં ઘઉંના વાવેતરમાં વધારો થવાની શક્યતા છે. દેશમાં ઘઉંનું ૩૦૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ચાલુ રવી સીઝનમાં કૃષિ વિભાગે ઘઉંનું ૯૨૫ લાખ ટન ઉત્પાદન થવાના અંદાજો મૂક્યા છે.
દેશમાં અને ગુજરાતમાં ઘઉંના ઉત્પાદનની ઉજળી શક્યતાઓ અને વેપારીઓના અહેવાલોને ધ્યાનમાં રાખીને કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિર્વિસટી, જૂનાગઢની સંશોધન ટીમે ગોંડલ માર્કેટના ઘઉંના પાછલાં ૨૨ વર્ષોના ભાવોનું પૃથક્કરણ કર્યું છે. જેનું તારણ તેમજ નેશનલ એગ્રીકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટ ડોમેસ્ટિક એન્ડ એક્સપર્ટ માર્કેટ સેલ, તામિલનાડુ કૃષિ યુનિર્વિસટી, કોઈમ્બતુરની સલાહ મુજબ અનુમાન છે કે ઘઉંના ભાવ એપ્રિલથી જૂન ૨૦૧૪ દરમિયાન કાપણી સમયે મણના રૃપિયા ૩૦૦થી ૩૨૦ રહેવાની સંભાવના છે. જેથી ઉપરોક્ત ભાવસપાટીને ધ્યાનમાં રાખીને ખેડૂતભાઈઓ ઘઉંના વાવેતર અંગે પોતાની રીતે અનુકૂળતા મુજબ નિર્ણય કરવો જોઇએ. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment