Tuesday, 31 December 2013

કેળાં મોંઘાં થશે

 કેળાંની પ્રગતિ રિવર્સ ગિયરમાં
  • દેશમાં ત્રણ વર્ષમાં લાખ હેક્ટર વાવેતર ઘટયું
  • ૨૦૧૩-૧૪માં ૩૬ લાખ ટન ઉત્પાદન ઓછું થશે
  • વરસાદે કેળાંમાં મોટું નુક્સાન પહોંચાડતાં સીઝનમાં કેળાંના ભાવ ઊંચકાવાની શક્યતા
  • તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક વાવેતરમાં મોખરે પણ ઉત્પાદનમાં દેશભરમાં ગુજરાત અવ્વલ
  • દેશમાં કેળાનું ૨૪૮ લાખ ટન ઉત્પાદન થશે

દેશમાં ફળપાકોનું ૬૮ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૭૭૭ લાખ ટને પહોંચ્યું છે. ફળોના ઉત્પાદનમાં કેરી, કેળાં અને પપૈયાંનો સૌથી મોટો હિસ્સો છે. કૃષિમાં અત્યાધુનિક ટેક્નોલોજી આવવાની સાથે ખેડૂતો પણ પ્રયોગશીલ બનતાં ટિશ્યૂકલ્ચર, ડ્રિપ, વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરી કેળાંમાં બમણું ઉત્પાદન લઇ રહ્યા છે. કેળાંનુંં ૨૦૦૧-૦૨માં ૪.૬૦ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૪૨ લાખ ટન થયું હતું. ૨૦૧૧-૧૨માં ૮.૩૦ લાખ હેક્ટરમાં કેળાંનું વાવેતર પહોંચતાં ઉત્પાદન ૨૯૭ લાખ ટને પહોંચ્યું હતું, પરંતુ ૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪ની સીઝનમાં કેળાંની પ્રગતિ રિવર્સમાં ગઇ છે.૨૦૧૧-૧૨માં કેળાંનું વાવેતર ૭.૯૭ લાખ હેક્ટરે પહોંચતાં ઉત્પાદન ૨૮૪ લાખ ટન થયું હતું. ચાલુ વર્ષે તો કેળાંના પાકમાં વરસાદે મોટું નુક્સાન સર્જતાં કેળાનું વાવેતર ૭.૨૧ લાખ હેક્ટર થતાં ઉત્પાદન ૨૪૮ લાખ ટન થવાની સંભાવના છે. આમ, એક જ વર્ષમાં કેળાંના ઉત્પાદનમાં ૩૬ લાખ ટનનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ઉત્પાદન જેટલી છે. ચાલુ ચોમાસામાં વરસાદે કેળાંના નવા પાકમાં પણ નુક્સાન સર્જતાં આગામી વર્ષોમાં પણ કેળાંનું ઉત્પાદન ઘટે તેવી સંભાવના છે. આમ, કેળાંની ખેતીમાં માઠી દશા બેઠી હોય તેમ પ્રગતિ હાલમાં રિવર્સમાં ચાલી રહી છે
કેળાંના વાવેતરમાં આજે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક દેશભરમાં અગ્રેસર હોવા છતાં કેળાંના ઉત્પાદનમાં ગુજરાત એ દેશભરમાં દબદબો ધરાવે છે. દેશમાં કેળાંનું કુલ વાવેતર ૭થી ૮ લાખ હેક્ટરની આસપાસ થાય છે. ગુજરાતમાં ૨૦૧૩-૧૪માં કેળાંના વાવેતરનો આંક ૭૦ હજાર હેક્ટરે પહોંચતાં ઉત્પાદન ૪૫ લાખ ટન થવાનો બાગાયત વિભાગે અંદાજ લગાવ્યો છે.
 ૨૦૦૮-૦૯માં કેળાંનું ૬૦ હજાર હેક્ટરમાં વાવેતર થતાંં ઉત્પાદન ૩૫ લાખ ટન થયું હતું. ૨૦૧૦-૧૧માં ૬૫ હજાર હેક્ટરમાં વાવેતર થતાં  ઉત્પાદન ૪૦ લાખ ટન થયું હતું. કેળાંની ખેતીમાં ખેડૂતો હવે ડ્રિપ, ટિશ્યૂકલ્ચર રોપા, મલ્ચિંગ અને વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવા લાગતાં ગુજરાતમાં પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં ઘણો વધારો થયો છે. આમ છતાં દેશમાં છેલ્લાં ત્રણ વર્ષથી કેળાંની પ્રગતિ રિવર્સમાં જવા લાગી છે. મહારાષ્ટ્રમાં કેળાનું ૮૨ હજાર હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૩૬ લાખ ટન થવાની શક્યતા છે. આ જ પ્રકારે કર્ણાટકમાં ૯૭ હજાર હેક્ટરમાં કેળાનું વાવેતર થતું હોવા છતાં ઉત્પાદન ૨૬ લાખ ટન થાય છે.
 ચાલુ વર્ષે કેળાના પાક પર ચોમાસા અને દક્ષિણ ભારતમાં ત્રાટકેલા વાવાઝોડાથી પણ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. દેશ ફળોના ઉત્પાદનમાં પ્રગતિના પંથે જઇ રહ્યો છે ત્યારે કેળામાં ઉત્પાદનમાં ઘટાડો એ ચિંતા ઉપજાવે તેવો વિષય છે. ગુજરાતનાં કેળાંની ગુણવત્તા દેશમાં સૌથી સારી હોવાથી દેશમાંથી કેળાંની થતી નિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે. રાજ્યમાંથી દર વર્ષે આરબ દેશોમાં ૬૦૦થી ૭૦૦ કન્ટેનર કેળાંની નિકાસ થાય છે, પરંતુ ચાલુ વર્ષે નર્મદામાં પૂર આવતાં ભરૃચ અને નર્મદા જિલ્લામાં ૬૦૦૦ હેક્ટરમાં કેળાંના પાકને નુક્સાન પહોંચતાં કેળાંની નિકાસ અને ઉત્પાદન પર આગામી વર્ષે અસર પડવાની સંભાવના છે. કેળાંનો પાક ૧૮ માસનો હોવાથી તેના ઉત્પાદન અને ઘટના ફેરફારની અસર બીજા વર્ષે જોવા મળે છે, પરંતુ દેશમાં સરેરાશ ઉત્પાદનમાં ઘટાડાની અસર ગુજરાતને પણ થશે. પરિણામે કેળાંની સીઝનમાં ભાવ ઊંચકાય તેવી પૂરતી શક્યતા છે.
કેળાંની ૨૦૧૧-૧૨માં રૃ. ૯૧૫૪ લાખની નિકાસ થઇ
કેળાંની ૨૦૦૭-૦૮માં નિકાસ ૧૬,૬૬૨ ટન થતાં રૃ. ૨૬૦૭ લાખ રૃપિયાની આવક થઇ હતી. કેળાંની સૌથી વધુ નિકાસ યુએઇમાં થાય છે. ત્યારબાદ કેળાં સાઉદી અરેબિયા અને નેપાલમાં નિકાસ થાય છે. ૨૦૦૮-૦૯માં કેળાંની ૩૦ હજાર ટન નિકાસ થતાંં દેશને ૫,૫૪૫ લાખ રૃપિયાની આવક થઇ હતી. ૨૦૦૯-૧૦માં ૫૪ હજાર ટન કેળાંની નિકાસ થતાં કેળાંના સારા ભાવને પગલે કેળાંની આવક ૧૩,૦૨૫ લાખ રૃપિયા થઇ હતી, પરંતુ ૨૦૧૧-૧૨માં ૪૫ હજાર ટન કેળાંની નિકાસ થતાં આવક રૃપિયા ૯,૧૫૪ લાખ રૃપિયા થઇ હતી. આમ, ૨૦૦૯-૧૦ બાદ કેળાંની નિકાસમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં કેળાંના ઉત્પાદનમાંં ભારત એ અગ્રેસર દેશ ગણાય છે. દેશમાં એકમાત્ર મહારાષ્ટ્ર અને
ગુજરાતમાં જ કુલ ઉત્પાદનના ૩૦ ટકા કેળાંનું ઉત્પાદન થાય છે.

કેળાંનું દેશમાં વર્ષ પ્રમાણેનું સરવૈયું
વર્ષ                    વાવેતર    ઉત્પાદન            
૨૦૦૫-૦૬         ૫.૬૯    ૧૮૮   
૨૦૦૬-૦૭         ૬.૦૪    ૨૦૯   
૨૦૦૭-૦૮         ૬.૫૮    ૨૩૮   
૨૦૦૮-૦૯         ૭.૦૯    ૨૬૨     ૨૦૦૯-૧૦         ૭.૭૦    ૨૬૪   
૨૦૧૦-૧૧         ૮.૩૦    ૨૯૭               
૨૦૧૧-૧૨         ૭.૯૭    ૨૮૪               
૨૦૧૨-૧૩         ૭.૨૧    ૨૪૮   
નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..



Monday, 30 December 2013

ડુંગળીના કોઈ લેવાલ નથી


૨૦૧૩નું વર્ષ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું રહ્યું. ચૂંટણીઓથી ભરચક વર્ષમાં ડુંગળીનો મુદ્દો દેશભરમાં છવાયેલો રહ્યો. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં રૃપિયા ૧૦૦ના કિલો ભાવે ન મળતી ડુંગળીના હાલમાં રૃપિયા ૧૦ના કિલોએ પણ કોઈ લેવાલ નથી. આવી સ્થિતિ વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ડુંગળી સરકારના ગળાનો ગાળિયો બને તો નવાઇ નહીં. શેરડી ઉગાડતા ખેડૂતોની વોટબેન્કને તથા રાજકીય રીતે મૂલ્યવાન ખાંડઉદ્યોગને રીઝવવા સરકારે રૃપિયા ૬૬૦૦ કરોડનું પેકેજ જાહેર કરી સાચવી તો લીધા પરંતુ ડુંગળીના ખેડૂતોને નારાજ કરવા પણ કૃષિમંત્રી શરદ પવારને પોષાય તેમ નથી. પરિણામે જ શરદપવારે ડુંગળીમાં મંદીનો માર અને મહારાષ્ટ્રના ખેડૂતોની નારાજગી ધ્યાને લઇ ડુંગળી પરના તમામ નિકાસ નિયંત્રણો દૂર કરાય તેવી શક્યતા વ્યક્ત કરી મોકો જોઇ ચોક્કો લગાવી દીધો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ કેન્દ્ર સરકારને પણ ડુંગળીના ભાવનું કમઠાણ પોષાય તેમ નથી. ડુંગળીના ભાવ કિલોએ રૃપિયા ૧૦૦એ પહોંચ્યા ત્યારે છૂટક બજારમાં ભાવ જાળવી રાખવા કેન્દ્ર સરકારે નિકાસ ભાવમાં વધારો કરી ૧૧૫૦ પ્રતિ ડોલર કરી દીધા હતા. જેમાં તબક્કાવાર ત્રણ વાર ઘટાડો કરી નિકાસ ભાવ ૧૫૦ ડોલર પ્રતિ ટન કર્યા છે. પાકિસ્તાને પણ નિકાસભાવ ૪૦૦ ડોલરથી ઘટાડીને ૨૦૦ ડોલર કર્યા છે. છતાં નિકાસ વેગ પકડતી નથી. જેનું મુખ્ય કારણ એ પણ છે કે વૈશ્વિક ડુંગળીના ખરીદદારોને વર્તમાન લઘુત્તમ નિકાસ ભાવ અંગે વિશ્વાસ નથી. તાજેતરમાં બે વાર નિકાસભાવમાં ઘટાડા બાદ સરકાર ફરી ઘટાડો કરે તેવી ધારણાએ નવા નિકાસ વેપારો પણ અટકી પડયા છે. નવેમ્બરથી એપ્રિલ સુધી પાકતી ડુંગળી વધુમાં વધુ ૨૦ દિવસ સુધી જ સંગ્રહી શકાતી હોવાથી હાલના તબક્કે ડુંગળીના ભાવમાં વધારો થવાના કોઇ કારણો ન હોવાથી ડુંગળીના ભાવો લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી મુદ્દો બને તો નવાઇ નહીં.
દેશમાં ડુંગળીના ભાવનું ચક્ર પૂર્ણ થયું છે. ખરીફ પાક હેઠળના વિસ્તારો અને પાછોતરો ખરીફ પાક પણ આશરે ૧૦થી ૧૫ ટકા ઉંચો હોવાની અપેક્ષા છે. ગત ડિસેમ્બરમાં ડુંગળીની નીચી કિંમતોના પગલે નાશિકમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખેડૂતોએ હરાજી પણ રોકી દીધી હતી. દેશભરમાં હવે ડુંગળીનો પુરવઠો પુષ્કળ રહેવાની અપેક્ષા છે. કારણ કે ખેડૂતોએ રવી સીઝનમાં પણ સારા ભાવને ધ્યાને લઇ પુષ્કળ વાવેતર કર્યું છે. ગુજરાતમાં ડુંગળીનો રવી સીઝનમાં સરેરાશ વાવેતર વિસ્તાર ૫૩,૬૦૦ હેક્ટર છે. ૨૦૧૨માં ૨૩મી ડિસેમ્બર સુધીમાં ૧૩,૬૦૦ હેક્ટરમાં થયેલા વાવેતર સામે ચાલુ રવી સીઝનમાં વાવેતરનો આંક ઉંચકાઇને ૭૧,૮૦૦ હેક્ટરે પહોંચ્યો છે. આમ સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં પણ ડુંગળીના વાવેતરમાં ધરખમ વધારો થવાથી ઉત્પાદન વધે તેવા પૂરતા સંજોગો છે. ડુંગળી હાલમાં જ કિલોએ છૂટક બજારમાં ૧૦થી ૧૨ રૃપિયે કિલો મળી રહી છે. ડુંગળીના ભાવમાં ચાલુ વર્ષે ૨૮૦ ટકાનો વધારો થયો છે. ભૂતકાળમાં ડુંગળીના રાજકારણે સરકારો ઉથલાવી હોવાના દાખલાઓ મોજૂદ હોવાથી ડુંગળીના ભાવ વધતાં દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે ડુંગળીના વેચાણ કેન્દ્રો શરૃ કરાવ્યા હતા. ડુંગળીમાં સંગ્રહખોરીને પગલે ઉંચકાયેલા ભાવ બાદ ખેડૂતોને હાલમાં ડુંગળીના વેચાણમાં પડતર કિંમત પણ મળતી ન હોવાથી ખેડૂતોના રોષનો સામનો ન કરવા અને નિકાસમાંગ વધારવા સરકાર નિકાસ પરની એમઇપી દૂર કરવાના પગલાં ભરી રહી છે.

દેશમાં ડુંગળીનું કુલ ર્વાિષક ઉત્પાદન ૧૬૦થી ૧૭૫ લાખ ટન છે. છેલ્લા દસકાની સ્થિતિ પર નજર કરીએ તો ૧૦ વર્ષે પૂર્વે ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન બીજા નંબરે હતું અને કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૨૦થી ૨૫ ટકા હતો જે હાલમાં ઘટીને ૧૦ ટકાની પણ અંદર આવી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત કુલ ઉત્પાદનમાં બીજા સ્થાનેથી ગબડી ત્રીજા અને ગત વર્ષે ચોથા સ્થાને આવી ગયું છે. રાજ્યના કુલ ઉત્પાદનના ઘટાડાની સ્થિતિમાં ગુજરાત માટે આશ્વાસન લેવા જેવી બાબત એ છે કે વીઘાદીઠ ઉત્પાદકતામાં ગુજરાત પ્રથમ નંબરે છે. ગુજરાતમાં થતા હેક્ટરદીઠ ૨૫ ટન ઉત્પાદન સામે અન્ય રાજ્યોનું ઉત્પાદન ૨૦ ટન છે. જ્યારે દેશમાં સૌથી વધુ ડુંગળી પકવતા મહારાષ્ટ્રની હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૬ ટનની છે. આમ ડુંગળીની ખેતીમાં મહારાષ્ટ્ર એ અગ્રણી રાજ્ય હોવાથી કૃષિમંત્રી શરદપવાર પણ લોકસભાની ચૂંટણી સુધી ડુંગળીના ખેડૂતોને છંછેડવા માગતા નથી. પરંતુ ડુંગળીના ભાવની આ જ  સ્થિતિ રહી તો લોકસભાની ચૂંટણીમાં ડુંગળી મુદ્દો બની રહે તેવા ઉજળા સંજોગો છે. આશરે ૧૨૫ કરોડ જેટલી દેશની જનતાને  રડાવતી ડુંગળીનું પણ એક રોટેશન રચાયેલું છે. ચોમાસાના અંતને નવા વર્ષની શરૃઆત ગણીએ તો ઓક્ટોમ્બરમાં મહારાષ્ટ્રના પુના, ધુલીયા, અહમદનગર, કોલ્હાપુર વિસ્તારમાં નવો પાક નીકળે છે. જે સમગ્ર દેશમાં પહોંચી વળે છે. ત્યારબાદ નવેમ્બરમાં રાજસ્થાનના ખેરથલ, અલ્વરનો પાક બજારમાં આવે છે. ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા, ભાવનગર, તળાજા અને મહારાષ્ટ્રના લાસલગાંવ, પીપલગાંવ સહિતના મોટા વિસ્તાર સાથે મધ્યપ્રદેશમાં પાકતી ડુંગળી એપ્રિલ સુધી દેશને ડુંગળી પૂરી પાડે છે. નવેમ્બરથી એપ્રિલ સુધી બજારમાં આવતી ડુંગળીની શેલ્ફલાઇફ ૧૫થી ૨૦ દિવસની જ હોય છે. આ ડુંગળી પાકે એટલે ખેડૂત સીધી બજારમાં વેચાણ કરે છે. ત્યારે ખેડૂતોએ જે ભાવ હોય તે ભાવે વેચાણ કરવી પડે છે. કારણ કે તે બગડી જાય છે. આ સનાતન સત્ય છે. નવેમ્બરથી એપ્રિલ સુધીમાં દેશના કોઇપણ વિસ્તારમાં પાકેલી ડુંગળી ખેડૂતના ખેતરમાંથી નીકળ્યા બાદ વધુમાં વધુ ૨૦ દિવસમાં ગ્રાહક સુધી પહોંચવી જરૃરી છે. પરિણામે ડુંગળીનો હાલની સ્થિતિ પ્રમાણેનો ઓછો ભાવ સરકારને ધોળા દિવસે તારા દેખાડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 24 December 2013

ખેતીમાંથી વર્ષે રૃ.૧૩ લાખ કમાતો લાલપુરનો ખેડૂત


ખેતીએ ખેડૂતનું જીવનધોરણ સુધાર્યું : ૮૦ વીઘા જમીન ભાડે લઇ કુલ ૧૦૦ વીઘામાં ખેતી કરતો ખેડૂત : ૪૦ વીઘામાં બીજનિગમના બિયારણની ખેતી

સારી ખેતી કરતા ખેડૂતો હવે વર્ષે લાખો રૃપિયાની કમાણી કરતાં હોવાથી ખેડૂતોનું જીવનધોરણ સુધર્યું છે.  જમીન હોય તો  નોકરી કરતાં ખેતી સારી એવું સમજી ચૂકેલું યુવાધન હવે ખેતીમાં નાનપ અનુભવતું નથી. કૃષિ સેક્ટર હવે વિકાસ કરી રહ્યું છે ત્યારે અહીં એક એવા ખેડૂતની વાત છે જેમના જીવનમાં ખેતી એક મહત્ત્વનું અંગ છે. ૧૭ વર્ષ પૂર્વે જ્યારે જામગર જિલ્લાના લાલપુરના ખેડૂતે ખેતીની શરૃઆત કરી ત્યારે આવકમાં પા પા પગલી ભરતા ખેડૂત આજે ખેતીમાં વર્ષે ૧૩થી ૧૪ લાખ રૃપિયાની ચોખ્ખી કમાણી કરે છે. આજે ખેતીએ તેમનું જીવનધોરણ સુધારી દીધું હોવાની સાથે લાલપુરના તેઓ પ્રગતિશીલ ખેડૂત ગણાય છે. ખેતીલક્ષી કાર્યક્રમોમાં તેઓ અચૂક હાજર રહીને નવી ખેતી માટે તત્પર રહે છે. જેઓને અત્યાર સુધી ચારથી પાંચ ખેડૂત એવોર્ડ પણ મળી ગયા છે. ખેતી અંગે જામનગર જિલ્લાના લાલપુરના મહેન્દ્રભાઇ રામજીભાઇ વાચ્છાણીએ જણાવ્યું હતું કે, તેમની પાસે ૨૦ વીઘા જમીન છે. બાકીની ૮૦ વીઘા જમીન તેઓ સગાંસંબંધીની ભાડે લઇ ખેતી કરે છે.
આ જમીન પૈકી તેઓ વર્ષે ૩૦થી ૪૦ વીઘામાં તો બિયારણના પ્લોટ તૈયાર કરે છે. હાલમાં ખેડૂતે ૨૦ વીઘામાં ઘઉંના બિયારણનું પ્લોટિંગ કર્યું છે. ખરીફમાં મગફળીનું પ્લોટિંગ કરતાં ખેડૂતને વીઘા દીઠ ૩૦ મણ મગફળીનું ઉત્પાદન મળ્યું છે.  જેના ખેડૂતને પ્રતિ મણે રૃપિયા ૧,૦૦૦ મળ્યા છે. જ્યાં ખેડૂતોને ચાલુ વર્ષે રૃપિયા ૭૦૦થી ૮૦૦ મગફળીના ભાવ મળ્યા છે ત્યાં આ ખેડૂતને પ્રતિ મણ મગફળીમાં રૃપિયા ૨૦૦ વધારે મળ્યા છે.
ખેડૂતે અત્યાર સુધીમાં તલ અને અડદનું પણ પ્લોટિંગ કરી બિયારણ પકવી સારી આવક મેળવી છે. ખેડૂતે જણાવ્યું હતું કે, પાકમાં યોગ્ય માત્રામાં ખાતર, પાણી આપવા સાથે રોગિંગનું પણ  મહત્ત્વ છે. ખેડૂત પાકમાં ધ્યાન રાખે તો સારું બિયારણ પકવી શકે છે. નવો ખેડૂત બિયારણનું વાવેતર કરવા ઇચ્છતો હોય તો બીજનિગમની જિલ્લા કચેરીએ અરજી કરી રજિસ્ટ્રેશન કરાવી નોંધણી કરાવવાની હોય છે.  મહેન્દ્રભાઇ આત્મા અને કૃષિ વિજ્ઞાાન કેન્દ્ર સાથે જોડાયેલા હોવાથી અત્યાર સુધીમાં દેશના મોટા ભાગના હિસ્સામાં ખેડૂત મુલાકાતો કરી આવ્યા છે. નવી ખેતી માટે રાજ્ય બહાર ટ્રેનિંગ પણ લઈને ખેતીમાં પ્રગતિ કરી છે. લાલપુરમાં અગ્રણી પ્રગતિશીલ ખેડૂત હોવાથી કૃષિ શિબિરો અને ખેડૂતોની સભાઓનો તેઓ અચૂક લાભ લે છે.        સંપર્ક : ૯૮૨૫૫ ૬૨૬૫૨
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 17 December 2013

રેકોર્ડબ્રેક રાઈ પાકશે



મોલોમશીના ઉપદ્રવને રોકવામાં ખેડૂતો સફળ રહ્યા તો

રેકોર્ડબ્રેક રાઈ પાકશે

દેશમાં રાઇના ૬૧ લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તાર સામે ૧ર ડિસેમ્બર સુધીમાં ૬૬.૫૨ લાખ હેક્ટરમાં વાવેતરઃ ગુજરાતમાં ૨.૩૩ લાખ હેક્ટર વિસ્તાર સામે ૨.૭૬ લાખ હેક્ટરમાં વાવેતરઃ વાવેતર હજુ વધવાની શક્યતાઃ ઉત્પાદન ૭૯થી ૮૦ લાખ ટન થશે

દેશમાં તેલીબિયાં પાક ગણાતા રાઈનું રવી સીઝનમાં બમ્પર વાવેતર થતાં ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે. કૃષિ વિભાગે રાઇનું દેશમાં ૭૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ ઉત્પાદન ૭૯થી ૮૦ લાખ ટને પહોંચવાની સંભાવના છે. ૨૦૧૦-૧૧માં રાઈનું ૬૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન રેકોર્ડબ્રેક ૮૨ લાખ ટન થયું હતું. ચાલુ વર્ષે પણ વાવેતરનો આંક ૨૦૧૧-૧૨માં થયેલા વાવેતર સુધી પહોંચવાની ઉજળી શક્યતાથી હાલમાં ઉત્પાદનનો આંક ઊંચો અંકાઈ રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દેશમાં રાઈના પાકમાં આવતી મોલોમશીના ઉપદ્રવને ખાળવામાં ખેડૂતો સફળ રહ્યા તો રાઈનું વાવેતર ઉત્પાદનનો નવો રેકોર્ડ પણ બનાવી શકે છે. ગુજરાતમાં રાઇનો સરેરાશ વાવેતર વિસ્તાર ૨.૩૩ લાખ હેક્ટર હોવા છતાં ૯મી ડિસેમ્બર સુધીમાં વાવેતરનો આંક ૨.૭૬ લાખ હેક્ટરે પહોંચ્યો છે. દેશમાં રાઈનું સૌથી વધુ વાવેતર રાજસ્થાનમાં થાય છે. રાજસ્થાનમાં વાવેતરનો આંક ૩૦ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. રવી સીઝનમાં મહત્ત્વના ગણાતા રાઈના પાકનું ઉત્પાદન વધ્યું તો ખેડૂતોને ફાયદો થશે, કારણ કે ચાલુ સીઝનમાં રાઇની એમએસપીમાં વધારો થવાથી ભાવ પ્રતિક્વિન્ટલ રૃપિયા ૩૦૫૦ કરાયો છે. આમ, રાઈમાં સારા ભાવ અને ઊંચું ઉત્પાદન ખેડૂતોને કમાણી કરાવશે.                    
દેશમાં રાઇનો રવી તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં ૭૫ ટકા અને કુલ તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં ૨૫ ટકા હિસ્સો છે. દેશના કુલ ખાદ્યતેલના ઉત્પાદનમાં પણ રાઇ ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને પશ્ચિમ બંગાળ એ રાઇના કુલ વિસ્તારનો ૯૦ ટકા હિસ્સો ધરાવે છે, જે પૈકી એકમાત્ર રાજસ્થાનનો જ હિસ્સો ૪૫.૫ ટકા છે. રાઇમાં ૨૦૦૧-૦૨થી ઉત્પાદનમાં સતત વધારો થતો જાય છે. ૨૦૦૧-૦૨માં ઉત્પાદન ૫૧ લાખ ટન થયું હતું. આ વર્ષે કેન્દ્ર સરકારના અંદાજ અનુસાર દેશમાં રાઇના પાકનું ઉત્પાદન ૭૪ લાખ ટન થશે.
હાલમાં રાઇનું વાવેતર સતત વધી રહ્યું છે. સારા વરસાદથી દેશભરમાં વાવેતરમાં વધારો નોંધાયો છે. ૨૦૧૨માં ૬૩ લાખ હેક્ટર વાવેતર સામે ચાલુ વર્ષે ૧૨ ડિસેમ્બર સુધીમાં દેશમાં ૬૬.૫૨ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. હજુ પણ વાવતેરમાં વધારો થાય તેવી શક્યતા છે. રાજ્યમાં પણ ૨.૩૩ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. આમ, દેશમાં વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. તેલીબિયાં પાકોમાં રવી સીઝનમાં વાવેતર કરવામાં આવતા રાઇની નિકાસ બજારમાં ભારે માંગ હોવાથી દેશમાં રાઇનું વાવેતર અને ઉત્પાદન વધારવાના કૃષિ વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વિશ્વમાં ૬૦૦ લાખ ટન થતું રાઇનું ઉત્પાદન
રાઇનું વિશ્વમાં ઉત્પાદન ૬૦૦ લાખ ટન છે. રાઇના સૌથી મોટા ઉત્પાદક દેશ ચીન પછી ભારત ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે. ૨૦૦૯-૧૦માં વિશ્વમાં ૩૧૧ લાખ હેક્ટરમાં વાવેતર અને ઉત્પાદન ૬૦૫ લાખ ટન થયું હતું. છેલ્લાં સાત વર્ષથી વિશ્વબજારમાં રાઇની ઉત્પાદકતા વધતી જાય છે. ૨૦૦૩-૦૪માં રાઇની ઉત્પાદકતા પ્રતિહેક્ટરે ૧૫૪૦ કિલો રહેતાં ઉત્પાદન ૩૯૪ લાખ ટન થયું હતું. ૨૦૦૯-૧૦માં પ્રતિ હેક્ટરે ૧૯૫૦ કિલો રાઇનું ઉત્પાદન થતાં કુલ ઉત્પાદન ૬૦૫ લાખ ટનનું હતું. જ્યારે ૨૦૧૧-૧૨માં ૬૦૬ લાખ ટન ઉત્પાદન થયું હતું. ૨૦૧૨-૧૩માં પણ વિશ્વમાં ૩૪૧ લાખ હેક્ટરમાં રાઇનું વાવેતર થતાં ઉત્પાદન ૬૩૦ લાખ ટન થયું હતું અને પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૮૫૦ કિલો રહી હતી. વિશ્વમાં વાવેતરમાં ભારત ૧૯ ટકા અને ઉત્પાદનમાં ૧૧ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

વર્ષ               વાવેતર   ઉત્પાદન
૨૦૦૬-૦૭         ૨૬૭     ૪૬૨
૨૦૦૭-૦૮         ૨૮૦     ૪૮૨
૨૦૦૮-૦૯         ૩૧૦     ૫૭૮
૨૦૦૯-૧૦         ૩૧૧     ૬૦૫
૨૦૧૦-૧૧         ૩૨૬     ૫૮૭
૨૦૧૧-૧૨         ૩૩૧     ૬૦૬
૨૦૧૨-૧૩         ૩૩૮     ૬૧૪
૨૦૧૩-૧૪         ૩૪૧     ૬૩૦
નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે.

દેશમાં રાઇનું વાવેતર અને ઉત્પાદન
વર્ષ               વાવેતર   ઉત્પાદન
૨૦૦૬-૦૭         ૬૮        ૭૪
૨૦૦૭-૦૮         ૫૮        ૫૮
૨૦૦૮-૦૯         ૬૩        ૭૨
૨૦૦૯-૧૦         ૫૬        ૬૬
૨૦૧૦-૧૧         ૬૯        ૮૨
૨૦૧૧-૧૨         ૫૯        ૬૬
૨૦૧૨-૧૩         ૬૩        ૭૪
૨૦૧૩-૧૪         ૬૬.૫૩  ૮૦

૨૦૧૩-૧૪નો વાવેતરના આંક ૧૨ ડિસેમ્બર સુધીના છે. વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 16 December 2013

કોંક્રિટના જંગલમાં શાકભાજીની ખેતી


કોંક્રિટના જંગલમાં શાકભાજીની ખેતી
દેશમાં સૌપ્રથમ ટેરેસ ગ્રીનહાઉસનો અમદાવાદમાં પ્રયોગ

એસજી હાઇવે પર સંસ્કાર ફ્લેટના ૧૦૦૦ સ્કવેર ફૂટના ટેરેસ પર હાઇટેક ટેકનોલોજીથી સજ્જ સોઇલલેસ અને ચાર લેયરવાળા ગ્રીનહાઉસમાં ખેતીનો પ્રયોગ : શહેરમાં ખેતી ન જાણનાર ફ્લેટ કે મકાનમાલિકને ગ્રીનહાઉસ કંપની ત્રણ વર્ષ સુધી ખેતી કરી દર મહિને રૃપિયા ૮૫ હજાર કમાઈ આપશેઃ ઓર્ગેનિક ધાણા, લીલી ડુંગળી અને લીલા લસણનો પ્રયોગ કરાશેઃ રાજ્યભરમાં આ પ્રોજેક્ટનો અમલ થાય તો શહેરોમાં પણ ખેતી શરૃ થશે

ગ્રીનહાઉસ એટલે આરક્ષિત ખેતી, ખુલ્લા ખેતર કરતાં પાકનું બેથી ત્રણ ગણું ઉત્પાદન લેવા વાતાવરણને નિયંત્રિત કરી ખેડૂતોને કમાણી કરાવતી ટેક્નોલોજી એટલે ગ્રીનહાઉસ ટેક્નોલોજી. પરંતુ અહીંયાં ગ્રીનહાઉસથી પણ અત્યાધુનિક ટેક્નોલોજીની વાત થઇ રહી છે. શહેરમાં આલીશાન મકાન કે ફ્લેટના ટેરેસ પર ગ્રીનહાઉસ ઊભું કરવાની લોકો ક્લ્પનાઓ તો કરે છે પરંતુ આ વાસ્તવિક કરી બતાવ્યું છે અમદાવાદના સાહસિક ઉદ્યોગપતિની ખેડૂત બનવાની ઇચ્છાએ. ભારતભરમાં સૌ પ્રથમ વાર અમદાવાદમાં ૧૦૦૦ સ્કવેર ફૂટના ફ્લેટના ટેરેસ પર આધુનિક ટેકનોલોજીથી સજ્જ સોઇલલેસ અને ચાર લેયરવાળું ગ્રીનહાઉસ ઊભું કરાયું છે. કેમિકલના વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિની આગવી સૂઝબૂઝ અને વેપારમાં સાહસ કરવાની વૃત્તિને પરિણામે ચાર લેયરના કોકોપીટમાં વાવેતર કરાયેલા ધાણા, લીલી ડુંગળી અને કોથમીર, મરચી તેમજ ટામેટાં જેવા પાકોમાંથી વેપારી દર મહિને રૃપિયા ૮૫ હજારની કમાણી કરશે. ભારતભરમાં તદ્દન જ નવો આ કોન્સેપ્ટ આમ શહેરીજનોમાં સ્વીકારાય તો શાકભાજીના વધતા ભાવો કાબૂમાં લાવી શકવાની સાથે શહેરોમાં ફાજલ પડેલા ટેરેસમાં પણ સોઇલલેસ ખેતી કરી વર્ષે લાખોની કમાણી મેળવી શકય તેમ છે. જેની શરૃઆત અમદાવાદમાંથી થઇ છે.
અમદાવાદમાં એસજી હાઇવે પર શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલા સંસ્કાર ફ્લેટમાં રહેતાં મહેશભાઈ મહેશ્વરીએ ફ્લેટના ટેરેસ પર ૧૦૦૦ સ્કવેર ફૂટમાં શાકભાજીનું ખેતર બનાવ્યું છે એ પણ રેત વિનાનું. ફ્લેટના ટેરેસ પર એક પણ ખીલો માર્યા વિના ઊભા કરાયેલા ૧૦૦૦ સ્કવેર ફૂટનાં સ્ટ્રક્ચર અને ચાર લેયરના ગ્રીનહાઉસમાં ઊભી કરાયેલી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ જોઇને દંગ રહી જવાય. ફ્લેટના ગેટ પર ઊભા રહીને ક્લ્પના પણ ન કરી શકાય કે શહેરની વચ્ચે આવેલા આ આલીશાન ફ્લેટના ટેરેસ પર શાકભાજીની ખેતી થાય છે. મહેશભાઇ મહેશ્વરી આમ તો કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ ખેડૂત બની ખેતી કરવાની ઇચ્છાએ ખેતીમાં એક નવો અધ્યાય શરૃ કર્યો છે. શહેરમાં મકાન કે ફ્લેટના ધાબા પર ગ્રીનહાઉસ ઊભાં કરી ખેતી કરવાની આ દેશભરમાં પ્રથમ પહેલ છે અને આ ટેક્નોલોજીનો અમલ થાય તો શહેરોમાં ખેતી કરવાનો એક નવો ટ્રેન્ડ શરૃ થશે. ફ્લેટના ટેરેસ પર કોકોપીટથી ખેતી કરવાની આ નવીન ટેક્નોલોજીનો કૃષિ વિભાગે પણ અમલ કરાવવાની જરૃરિયાત છે. દેશમાં વધતી જતી વસતી સામે અનાજનું ઉત્પાદન કરવાનો કૃષિ વિભાગ સામે પડકાર છે ત્યારે શહેરો એક નવો વિકલ્પ બનીને ઉભરી શકે છે.
સંસ્કાર ફ્લેટમાં રહેતા મહેશભાઈ મહેશ્વરીએ ગ્રીનહાઉસમાં ચાર લાઇનો ધરાવતા ચાર લેયરના ઊભા કરેલા સ્ટ્રક્ચરમાં એક સાથે પાક લઇ શકાતો હોવાથી ૧૦૦૦ સ્કવેર ફૂટના આ ગ્રીનહાઉસમાંથી ૪૦૦૦ સ્કવેર ફૂટના ગ્રીનહાઉસનું ઉત્પાદન લઈ શકાય છે. ગ્રીનહાઉસમાં કોકોપીટના ઉપયોગથી પાકમાં નીંદામણ કે રોગ-જીવાત આવવાનો પ્રશ્ન ઊભો જ થતો ન હોવાથી આ ગ્રીનહાઉસમાંથી સારામાં સારું ઓર્ગેનિક ઉત્પાદન મહેશભાઇ મેળવી રહ્યા છે. ગ્રીનહાઉસમાં પિયત માટે ડ્રિપ, વાતાવરણ નિયંત્રિત કરવા માટે ફોગર સિસ્ટમ અને  ટેરેસ પર ગ્રીનહાઉસ હોવાથી ગરમીને કન્ટ્રોલમાં રાખવા ફેન એન્ડ પેડ સિસ્ટમનો પણ ઉપયોગ કરાયો છે. 
ટેરેસ ગ્રીનહાઉસમાં આવક-જાવકનું સરવૈયું : ટેરેસ ગ્રીનહાઉસમાં આવક અંગે ગ્રીનહાઉસ બનાવતી ખાનગી કંપનીના સંચાલકના જણાવ્યા મુજબ, મહેશભાઇના ૧૦૦૦ સ્કવેર ફૂટના ગ્રીનહાઉસમાં ધાણાની, લીલી ડુંગળી અને લીલા લસણની ઓર્ગેનિક ખેતી કરવાનો પ્રોજેક્ટ છે. ધાણાનો પાક ૩૫ દિવસનો હોવાથી વર્ષભરમાં ૧૦ સીઝન ધાણાની લઇ શકાય છે. જેમાં ૬ મહિના ધાણાનો કિલોએ સરેરાશ ભાવ રૃપિયા ૩૫થી ૪૦ મળે છે. જ્યારે ઓફ સીઝનના ચાર મહિનામાં ધાણાનો ભાવ કિલોએ રૃપિયા ૧૦૦થી ૧૩૦નો મળતો હોય છે. ધાણાની ૧૦૦૦ સ્કવેર ફૂટમાં ખેતીથી ધાણાનું દર સીઝનમાં ૨.૫ ટન એટલે ર્વાિષક ૨૫ ટન ઉત્પાદન થાય છે. જેમાંથી ૧૫ ટન ધાણા ૩૦ રૃપિયે કિલો અને ૧૦ ટન ધાણાનો ભાવ રૃપિયા ૧૦૦થી ૧૩૦ મળી શકે છે. આમ સરેરાશ ધાણાની ખેતીમાંથી રૃપિયા ૧૫ લાખની કમાણી કરી શકાય છે. જ્યારે ધાણાની ખેતીમાં ખર્ચનું સરવૈયું ગણીએ તો ધાણાની ખેતીમાં ૧૦ સીઝનમાં બિયારણનો ખર્ચ રૃપિયા ૫૪ હજાર, ગ્રીનહાઉસમાં એક મજૂરનો ખર્ચ પ્રતિ મહિના રૃપિયા ૬ હજાર પ્રમાણે ર્વાિષક ૭૨ હજાર રૃપિયા, ખાતરનો રૃપિયા ૩૦ હજાર ખર્ચ, પાણીનો રૃપિયા ૩૦ હજાર ખર્ચ અને એગ્રોનોમિસ્ટનો ખર્ચ પ્રતિ મહિને રૃપિયા ૫૦૦૦ પ્રમાણે ૬૦ હજાર એટલે કુલ ખર્ચ ૨.૪૬ લાખ થાય છે.
આમ, ધાણાની ખેતીમાં ૧૨ લાખનો ચોખ્ખો નફો થાય છે. પરિણામે ટેરેસ ગ્રીનહાઉસ બનાવનાર ત્રણ વર્ષમાં જ બેન્ક લોન અને વ્યાજ સાથે રકમમાંથી મુક્તિ મેળવી શકે છે. આ ઉપરાંત ટેરેસ ગ્રીનહાઉસ ધારક કંપની સાથે આ પ્રકારનો કોન્ટ્રાક્ટ ન કરવા ઇચ્છે અને ઉત્પાદનની વેચાણ વ્યવસ્થા પોતે સંભાળવા માગે તો ખાનગી ગ્રીનહાઉસ કંપનીને દર મહિને રૃપિયા ૪૦ હજારની ચૂકવણી કરે તો કંપની દાવા કર્યા પ્રમાણે પાકનું ઉત્પાદન અપાવવામાં મદદરૃપ થાય છે. આ બંને પ્રોજેક્ટમાં પાણી અને લાઇટનો ખર્ચ ગ્રીનહાઉસ બનાવનારે ભોગવવો પડે છે.
ગ્રીનહાઉસ એટલે શું?: વનસ્પતિ હોય, ફળ હોય કે ફૂલ દરેકને ચોક્કસ પ્રકારનું વાતાવરણ જોઇએ છે. જો અનુકૂળ વાતાવરણ ન હોય તો ફળ અને ફૂલનો યોગ્ય પ્રકારે વિકાસ થઈ શકતો નથી અને મૂરઝાઇ જતાં હોય છે.  પ્રતિકૂળ વાતાવરણને પાકને અનુકૂળ વાતાવરણ કરી પાકનું વધુ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ એટલે ગ્રીનહાઉસ. ગ્રીનહાઉસના બાંધકામમાં પારદર્શક પ્લાસ્ટિકના આવરણવાળી રચના કરવામાં આવે છે જેથી વનસ્પતિના વિકાસ માટે તેને કુદરતી સૂર્યપ્રકાશ મળી રહે છે.  ગ્રીનહાઉસમાં ઉષ્ણતામાન, પ્રકાશ, ભેજ અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને નિયંત્રિત કરીને પાકનું બેથી ત્રણ ગણું ઉત્પાદન લઇ આવકમાં વધારો કરી શકાય છે.

ગ્રીનહાઉસ બનાવીને કમાણી કઈ રીતે થઈ શકે? : મકાન કે ફ્લેટના ટેરેસ પર  ૧૦૦૦ સ્કવેર ફૂટના ગ્રીનહાઉસ સ્ટ્રક્ચર પાછળ ૨૦થી ૨૨ લાખ રૃપિયાનું આંધણ કર્યા બાદ આવક કેવી રીતે મેળવવી એ દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવવો એ સ્વાભાવિક છે. સાથે એ પણ પ્રશ્ન થાય કે નોકરી અને ધંધામાંથી નવરાશ જ મળતી ના હોય ત્યાં ખેતી કઈ રીતે કરવી. આ અંગે જવાબ આપતાં મહેશભાઈ મહેશ્વરી જણાવે છે કે, સૌ પ્રથમ મારા મનમાં પણ આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો, પરંતુ કોંક્રિટના જંગલમાં બનાવેલું મારું શાકભાજીનું  ખેતર ટેરેસ ગ્રીનહાઉસના વ્યવસાય સાથે સંકળાયેલી ખાનગી કંપનીના ભરોસે છોડી દીધું છે. શહેરમાં ટેરેસ ગ્રીનહાઉસ બનાવવાનો પ્રોજેક્ટ નવો હોવાની સાથે સરકારી સબસિડીનો લાભ મળતો ન હોવાથી શરૃઆતમાં ૨૦થી ૨૨ લાખનો ખર્ચ થાય છે. જેમાં ટેરેસ ગ્રીનહાઉસ બનાવનારી ખાનગી કંપનીનો રોલ આવકમાં સૌથી મોટો હોય છે. ટેરેસ ગ્રીનહાઉસ સાથે સંકળાયેલી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરતાં ૭૦ દિવસ બાદ દર મહિને કંપની મહેશભાઇને ત્રણ વર્ષ સુધી ૮૫ હજારની આવક આપતી રહેશે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 11 December 2013

પપૈયાં: બાગાયતી પાકોમાં ગુજરાતના ખેડૂતોની પ્રથમ પસંદ




પપૈયાની ખેતી કરતા ખેડૂતોને ચાલુ વર્ષે ઉંચો ભાવ મળવાની સંભાવના : રાજ્યમાં પપૈયાંના ૧૮ હજાર હેકટરમાં થતા વાવેતરથી ૧૦ લાખ ટન પપૈયાંનું ઉત્પાદન : રાજકોટ જિલ્લામાં પપૈયાની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ૧૧૦ ટન

રાજ્યમાં પપૈયાંની ખેતી આજે બાગાયત પાકોમાં ખેડૂતોની પ્રથમ પસંદગી બની છે. ઓછા ખર્ચમાં સારી આવક આપતો પાક આજે ૧૮ હજાર હેક્ટરમાં થઇ રહ્યો છે અને દર વર્ષે એક હજાર હેકટરમાં પપૈયાંનો પાક વધી રહ્યો છે. દેશમાં પપૈયાના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર દબદબો ધરાવે છે. જ્યાં નવેમ્બરમાં વરસાદને પગલે પપૈયામાં પાકમા બગાડ અને મધ્યપ્રદેશમાં પાક ઓછો થવાના અંદાજ વચ્ચે પપૈયાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે ફાયદો થવાની સંભાવના છે.
૨૦૧૧-૧૨માં પપૈયાનું રાજ્યમાં કુલ ઉત્પાદન ૧૦.૬૦ લાખ ટન હતું જે કેરીના ઉત્પાદન કરતાં પણ વધુ હતું. પપૈયાંના ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે છે જ્યારે વાવેતરમાં પ્રથમ ક્રમે છે. આંધ્રપ્રદેશમાં વાવેતર ફક્ત ૧૪ હજાર હેક્ટરમાં થાય છે, પરંતુ પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વધારે હોવાથી આંધ્રપ્રદેશમાં ૧૧.૮૯ લાખ ટન પપૈયાનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં પપૈયાંનું સૌથી વધુ વાવેતર આણંદ જિલ્લામાં થાય છે. જોકે, કચ્છ જિલ્લાની પ્રતિહેક્ટર ઉત્પાદકતા વધારે હોવાથી કચ્છ ઉત્પાદનમાં રાજ્યમાં સૌથી મોખરે છે. રાજકોટમાં પપૈયાંનું વાવેતર ઓછું થાય છે, પરંતુ પ્રતિહેક્ટર ઉત્પાદકતા માં રાજકોટ જિલ્લો પ્રથમ છે. રાજકોટની હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૧૦ ટન છે.
કચ્છમાં હેકટરદીઠ ઉત્પાદકતા ૧૦૭ ટન
કચ્છમાં બાગાયત પાકોમાં પપૈયાંના પાકનો હિસ્સો મોટો છે. કચ્છમાં ખેડૂતો ૨ હજાર હેક્ટરમાં ટિશ્યૂકલ્ચર રોપાથી પપૈયાંનું વાવેતર કરી રહ્યા છે. કચ્છનું હવામાન પપૈયાંના પાકને અનુકૂળ આવવાની સાથે કચ્છના ખેડૂતોને એરંડા અને કપાસની તુલનામાં પપૈયાંની ખેતીમાં સારી આવક આવતી હોવાથી ખેડૂતો પપૈયાંના પાક તરફ વળ્યા છે. બે ત્રણ વર્ષ પૂર્વે પપૈયાંના પાકમાં કિલોએ ખેડૂતોને રૃપિયા ૩થી ૪ રૃપિયાનો મળતો ભાવ હવે કિલોએ રૃપિયા ૫થી ૬નો મળવા લાગ્યો છે. કચ્છમાં કરારની જેમ ખેડૂતના ખેતરમાંથી જ ભાવ નક્કી કરી વેપારી પપૈયાંનો પાક સીધો જ લઈ જતા હોવાથી ખેડૂતને વેપારીઓ શોધવા માટે નીકળવું પડતું નથી. કચ્છમાં પપૈયાની હેક્ટરદીઠ ઉત્પાદકતા વધારે હોવાથી ખેતી વધી રહી છે.

રાજ્યમાં પપૈયાંની ઉત્પાદકતામાં કોડીનાર પંથક મોખરે

રાજ્યમાં પપૈયાંની ખેતીમાં ઉત્પાદકતામાં રાજકોટ જિલ્લાનો કોડીનાર પંથક રાજ્યભરમાં અગ્રેસર છે. કોડીનાર પંથકનું હવામાન પપૈયાંના પાકને માફક આવતું હોવાથી અહીં પપૈયાંની ખેતી કરનાર ખેડૂતને બખ્ખા થાય છે. પપૈયાંમાં જોવા મળતો યલો મોજિક નામનો વાઇરસ પણ કોડીનાર પંથકમાં જોવા મળતો નથી. આ અંગે બાગાયત અધિકારી ઘનશ્યામભાઈ કાતરિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેરના પાંચદ્વારકા, ચીંગાવદર ગામમાં ખેડૂતો મોટાપાયે પપૈયાંની ખેતી કરે છે. આ ખેડૂતોની પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૧૦ ટન છે.

પપૈયાંની ખેતીમાં અગ્રેસર રાજ્યના જિલ્લા
જિલ્લો   વાવેતર      ઉત્પાદન   ઉત્પાદકતા
આણંદ    ૨,૫૨૫  ૧,૦૬,૮૩૩     ૪૨.૩૨
કચ્છ       ૨,૩૩૫  ૨,૫૨,૦૧૭    ૧૦૭.૩૯
વડોદરા   ૧,૯૨૫  ૭૯,૬૮૦                   ૪૧.૩૯
તાપી      ૧,૭૦૦  ૧,૦૫,૪૦૦      ૬૨.૦૦
ભરૃચ      ૧,૧૭૫  ૫૨,૦૫૨                    ૪૪.૩૦
સા.કાં     ૧,૬૮૦  ૮૯,૦૪૦                   ૫૩.૦૦
ખેડા       ૯૬૬     ૪૧,૮૩૮                   ૪૩.૩૧
રાજકોટ  ૧૯૦     ૨૦,૯૦૦                        ૧૧૦

નોંધઃ વાવેતર હેક્ટરમાં, ઉત્પાદન ટનમાં જ્યારે ઉત્પાદકતા હેક્ટરદીઠ ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 10 December 2013

ચણાનું વાવેતર વધવાના અંદાજથી ભાવમાં ઘટાડો


ચણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૩૪૦૦થી વધુ થવાની શક્યતા ઓછીઃ વિશ્વમાં ચણાનું ૭૦ ટકા ઉત્પાદન કરતો દેશ ભારત

દેશમાં રવી સીઝનના વાવેતરની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રવી વાવેતર વધવાના સંજોગો વચ્ચે ચણાનું વાવેતર ૧૦ ટકા વધવાના અંદાજથી ભાવમાં છેલ્લા પખવાડિયાથી ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે રવીમાં સારા હવામાનને પગલે ચણાના ઉત્પાદનમાં પણ વધારો થવાનો અંદાજ મૂકાયો છે. ચણાના વાયદા બજારમાં ૧૬મી નવેમ્બરના રોજ રૃ.૩૨૪૦ની સપાટી હતી જે ઘટીને ૩૦ નવેમ્બરના રોજ ૩,૦૬૫ થઇ ગઇ હતી. આમ, નવેમ્બરમાં પંદર દિવસમાં જ ચણાના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં ૨૦૦થી ૩૦૦ રૃપિયાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં ચણાનો વાવેતર વિસ્તાર ૮૨ લાખ હેક્ટર સરેરાશ છે. ૫મી ડિસેમ્બર સુધીમાં દેશમાં ચણાનું ૮૨.૦૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેે ૨૦૧૨માં ૭૬.૬૭ લાખ હેક્ટર હતું. દેશમાં ચણાનું સૌથી વધુ વાવેતર મધ્યપ્રદેશમાં ૩૫ લાખ હેક્ટરમાં થાય છે. જ્યાં ચાલુ સીઝનમાં ૩૨ લાખ હેક્ટરમાં થઇ ચૂક્યું છે. ત્યારબાદ રાજસ્થાનમાં સરેરાશ ૧૩.૫૭ લાખ હેક્ટરમાં થતા વાવેતર સામે હાલમાં ૧૩.૩૧ લાખ હેક્ટરમાં વાવેતર થઇ તૂક્યું છે.

ચાલુ વર્ષે રાજસ્થાન સરકારે ચણાનું વાવેતર ૧૫ લાખ હેક્ટર થવાનો આગોતરો અંદાજ લગાવ્યો છે. જ્યાં ૨૯મી નવેમ્બર સુધીમાં ચણાનું ૧૩.૩૧ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. રાજસ્થાનમાં ૨૦૧૨માં ૧૧.૧૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ગુજરાતમાં પણ ૨ ડિસેમ્બર સુધી ૧.૬૨ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર નોંધાયું હતું. દેશમાં ૨૦૧૨માં ચણાના વાવેતરમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યનો દબદબો રહ્યો છે. વિશ્વમાં ચણાનું ૭૦ ટકા ઉત્પાદન એકમાત્ર ભારતમાં થાય છે. ત્યારબાદ ઇરાનમાં ૩ ટકા, તુર્કીમાં ૩ ટકા અને પાકિસ્તાનમાં ૩ ટકા ચણાનું ઉત્પાદન થાય છે. આમ છતાં ભારત દર વર્ષે ૩૦ લાખ ટન કઠોળની આયાત કરે છે. પી. ચિદમ્બરમે લોકસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતે ૨૦૧૧-૧૨માં ૮,૭૬૭ કરોડ રૃપિયાના કઠોળની આયાત કરી હતી. મધ્યપ્રદેશમાં ચણાના વાવેતરમાં નજીવો વધારો થઇ શકે છે. સોયાબીનના વધુ વાવેતર અને ઘઉંના ઊંચા ભાવથી ખેડૂતો ચણાના વાવેતર તરફ વળ્યા છે. ચણાની સીઝનમાં અંતે ૩ લાખ ટનનો સ્ટોક રહે તેવી ધારણા છે. ચણામાં શરૃઆતમાં તેજીની શક્યતાના અંદાજો હતા જેમાં વાવેતર વધવાના અંદાજોથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 9 December 2013

ગુજરાતમાં ડુંગળીનું વધતું વાવેતરઃ ભાવ ખેડૂતોને રડાવશે


ફેબ્રુઆરીમાં ડુંગળીનો હોલસેલ ભાવ કિલો રૃપિયા ૭થી ૮ થવાની શક્યતા: વાવેતરમાં ગત વર્ષ કરતાં છ ગણો વધારો

લસણ અને ડુંગળીના ઊંચા ભાવથી રાજ્યમાં ખેડૂતોએ આ વર્ષે આ બન્ને પાકોનું વાવેતર વધાર્યું છે. ડુંગળીના ભાવનું ચક્ર હવે પૂરું થયું હોય તેમ ડુંગળીની કિંમત રૃપિયા ૮૦એ કિલોને બદલે હવે હોલસેલમાં માત્ર ૧૦થી ૧૨ રૃપિયા કિલો થઇ ગઇ છે. બીજી તરફ ઊંચા ભાવથી ખેડૂતોએ પણ વાવેતર વધારતાં રાજ્યમાં ડુંગળી અને લસણનું વાવેતર વધી રહ્યું છે.  ડુંગળી અને લસણમાં વેપારીઓએ સ્ટોક કરતાં ઊંચકાયેલા ભાવોથી વેપારીઓ માલામાલ થઇ ચૂક્યા છે, પરંતુ હવે જ્યારે ખેડૂતો બજારમાં ડુંગળી અને લસણના વેચાણ માટે નીકળશે ત્યારે ભાવ કડડભૂસ થાય તેવી શક્યતા વેપારી સૂત્રો મૂકી રહ્યાં છે. લસણ અને ડુંગળીમાં ચાલુ રવી સીઝનમાં ઊંચું ઉત્પાદન થવાનો અંદાજ છે. ૨૦૧૨-૧૩માં ડુંગળીનું ૧૬૧ લાખ ટન ઉત્પાદન થયું હતું. હાલમાં વાવેતરનો રેશિયો જોતાં રવીમાં પાણીના સંગ્રહને પગલે ઉત્પાદન ઊંચું જવાની શક્યતા છે. રવીમાં દેશભરમાં વાવેતર વિસ્તારમાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. પરિણામે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીમાં ડુંગળીનો હોલસેલ ભાવ રૃપિયા ૭થી ૮ થવાની શક્યતા છે.  ડુંગળીના સૌથી મોટા માર્કેટ ગણાતા નાસિકમાં એક મહિના પૂર્વે ડુંગળીનો રૃપિયા ૩૫૦૦ ક્વિન્ટલ ભાવ હાલમાં રૃપિયા ૧૪૦૦ પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે. રાજ્યમાં પણ ડુંગળીના વાવેતરમાં વધારો નોંધાયો છે.

 સરેરાશ ૫૩ હજાર હેક્ટરમાં થતું વાવેતર ૨ ડિસેમ્બર સુધીમાં ૪૫ હજાર હેક્ટરમાં થઇ ચૂક્યું છે જે ૨૦૧૨-૧૩માં માત્ર ૭ હજાર હેક્ટર વિસ્તારમાં જ થયું હતું. ડુંગળીના ઘટતા ભાવને પગલે ૩૦મી નવેમ્બરના રોજ નાસિકમાં ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ડુંગળીની હરાજી રોકી દીધી હતી. દેશમાં ડુંગળીના વધતા જતા ભાવોને રોકવા માટે સરકારે ટન દીઠ ૧,૧૨૫ ડોલરની લઘુતમ નિકાસ કિંમત લાદી દીધી હતી. પડોશી દેશ પાકિસ્તાન ટન દીઠ વિશ્વબજારમાં ૫૫૦ ડોલરે  નિકાસ કરે છે. હાલની એમઇપી પ્રમાણે ડુંગળીનો ભાવ કિલોના રૃપિયા ૭૦ થાય છે. જ્યારે છૂટક બજારમાં રૃપિયા ૨૦ના ભાવે કિલો ડુંગળી મળી રહી છે. પરિણામે ઓનિયન એક્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખે એમઇપી હટાવવા સંબંધિત મંત્રાલયનું ધ્યાન દોર્યું છે. હાલમાં શ્રીલંકા અને મધ્યપૂર્વના દેશોમાં ડુંગળીની સારી માંગ હોવાથી ઊંચી એમઇપીથી ભારતના નિકાસકારો સ્પર્ધા કરી  શકતા નથી.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Friday, 6 December 2013

બટાટામાં ૪ કરોડની કમાણી કરતું ખેડૂતોનું ગ્રૂપ




શિવપુરાકંપાના યુવાને ઊભા કરેલા ગ્રૂપમાં ત્રણ જિલ્લાના ૫૦થી ૬૦ ખેડૂતોનો સમાવેશ  : ૬ હજાર વીઘામાં બટાટાની સામૂહિક ખેતી કરતા ગ્રૂપના પ્રગતિશીલ ખેડૂતો

ખેડૂતોનું ગ્રૂપ બનાવી ૬ હજાર વીઘામાંથી બટાટાની સીઝનમાં ૩.૫ કરોડથી ૪ કરોડની કમાણી કરતા કોઈ ગ્રૂપને મળવું હોય તો ગાંધીનગર તાલુકાના શિવપુરાકંપા ગામની મુલાકાત લેવી પડે. શિવપુરાકંપા ગામ સહિત પડોશી જિલ્લાના ખેડૂતોએ ભેગા મળી શરૃ કરેલી કરારી ખેતી રાજ્યના અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૃપ સાબિત થઈ છે. ખેડૂતો એકઠા થાય તો ઓછા ખર્ચે ઉત્પાદનના સારા ભાવ મેળવવાની સાથે સારી કમાણી પણ મેળવી શકે છે. શિવપુરાકંપા ગામના ગ્રેજ્યુએટ ખેડૂતે ઊભા કરેલા ખેડૂતોનું ગ્રૂપ એક સાથે જ બિયારણની ખરીદી કરવાની સાથે ખાનગી કંપની સાથે કરાર કરી બટાટાના સારા ભાવ મેળવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે ખેડૂતોને બટાટાની ખેતીમાં સારા ભાવ મળ્યા છે ત્યારે આ ગ્રૂપ સાથે સંકળાયેલા ખેડૂતોએ પણ ખાનગી કંપની સાથે કરાર કરીને મણના ૧૯૪ રૃપિયાના ભાવે ૭૦થી ૮૦ હજાર કટ્ટા બટાટાનું વેચાણ કર્યું છે.
શિવપુરાકંપા ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામથી ચાર કિમી દૂર આવેલું નાનકડું ગામ છે. માત્ર ૨૭ કુટુંબની વસતી ધરાવતા ગામના લોકો છેલ્લાં ૨૦ વર્ષથી ટપક સિંચાઇ અપનાવીને ખેતી કરે છે. બધા જ ખેડૂતોએ જીજીઆરસીની સ્થાપના પણ ન થઇ હતી તે પૂર્વે ખિસ્સાની ૧૦૦ ટકા રકમ ખર્ચીને ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ ખરીદી છે, કારણ કે જે સમયે સરકારની પ્રેરણા, સાહસ કે સહાય પણ મળતી ન હતી ત્યારથી આ આધુનિક પિયત પદ્ધતિને વરેલા ખેડૂતોએે આજે પ્રગતિ કરી છે. બટાટા ખેડૂતોનો મુખ્ય પાક છે. આ ઉપરાંત કપાસ, મગફળી તથા બાગાયતી પાકોની ખેતી કરવાનો પણ લાંબો અનુભવ ધરાવે છે, પરંતુ તેમની પહેલી પસંદ બટાટાની ખેતી રહી છે. વિવિધ પ્રકારની જાતો, રોગ તથા ભાવો અંગે જાણકારી રાખીને અદ્યતન પ્રકારની ખેતી બાપદાદાઓના વખતથી કરતા આવ્યા છે. હવે યુવાપેઢી મૂલ્યવર્ધન કરીને વિવિધ પ્રકારની પ્રોડકટ બનાવતી કંપનીઓને તેનો માલ વેચીને કોન્ટ્રાક્ટ ર્ફાિમંગ પ્રકારની ખેતી કરીને નફો મેળવે છે. તેના માટે પંથકની આજુબાજુનાં ગામોના રસ ધરાવતા બટાટા ઉત્પાદક ખેડૂતોએ મળીને ફાર્મર ગ્રૂપ બનાવ્યું છે.  જેમાં શિવપુરાના ખેડૂતો ઉપરાંત મૌહુરા, વાસણા ચૌધરી, ચેખલારાણી, બાલાસિનોર તાલુકાના જમિયતપુરા, સાબરકાંઠાના રણાસણ મોતીપુરા તથા દહેગામ પંથકના ખેડૂતોનો સમાવેશ થાય છે. ખેડૂતોના આ ગ્રૂપનું નેતૃત્વ શિવપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત પરાગભાઇ શાંતિભાઇ પટેલ સંભાળે છે. તેમણે દુનિયાના સાત દેશોમાં વેફરનો વ્યવસાય કરતી એક કંપની સાથે કરાર કર્યા છે. આ કંપની દર વર્ષે તેમની પાસેથી સારા ભાવ આપીને બટાટાની ખરીદી કરે છે. આ વર્ષે બટાટાનું બજાર સારું હોવાથી ૧૯૪ રૃપિયાના મણના ભાવે અંદાજે ૭૦થી ૮૦ હજાર ક્ટ્ટા બટાટાનું વેચાણ કર્યું હતું.   કંપની સાથેના કરારમાં બટાટાની સાઇઝ ૪૫ એમ.એમ.થી વધારે હોવી જરૃરી છે. હા, તેમાં ૩ ટકા જેટલા બટાટા ૪૫ એમએમથી નાના હોય તો ચલાવી લેવામાં આવે છે. એનાથી વધારે હોય તો માલ રીજેેકટ થાય છે. ગ્રૂપના ખેડૂતો તેમના માલને કંપનીના સ્ટોરેજમાં મોકલાવે તે પછી માત્ર અઠવાડિયામાં જ પેમેન્ટ મળી જાય છે. બારદાન કંપની આપે છે જયારે ગોડાઉન સુધી માલ પહોંચાડવાનો વાહન વ્યહવાર ખર્ચ ખેડૂતોએ ભોગવવો પડે છે. ખેડૂતો કંપની પાસે ફેબ્રુઆરીમાં પૈસા જમા કરાવી બિયારણ બટાટાની સીઝનમાં લેતા હોય છે ત્યારે પણ કંંપની ૫૦ કિલો વજનથી બિયારણ આપતી હોવાથી ખેડૂતોને ફાયદો મળે છે.
ગત સીઝનમાં ગ્રૂપના ખેડૂતોને ૩.૫ થી ૪ કરોડનું પેમેન્ટ મળ્યું હતું. આમ બટાટાની કોન્ટ્રાકટ પદ્ધતિથી ખેતી કરવાથી શીવપુરાકંપા જ નહીં આજુ બાજુના પંથકના ખેડૂતો માટે પણ ફાયદાનો સોદો બની રહ્યો છે.


સંપર્ર્કં ઃ ૯૮૨૫૫ ૨૦૮૪૭
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

ગુજરાતમાં ગ્રીનહાઉસમાં એમ્પેનલ : નર્યું નાટક



નવા એમ્પેનલમાં ગ્રીનહાઉસ ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતી કંપનીઓનો નિયમ હવે ત્રણ વર્ષનો થઇ ગયો

ગુજરાતમાં ગ્રીનહાઉસનો પ્રોજેક્ટ હંમેશાં વિવાદોમાં રહ્યો છે. પ્રોજેક્ટમાં ઉંચી મળતી સબસીડીની લાલચ જ વિવાદોનું મૂળ છે. ગ્રીનહાઉસમાં વર્ષે કરોડો રૃપિયાના ફાળવાતા બજેટમાં કમાણીના નીત નવા નુસખાઓ શોધાઇ રહ્યા છે. કૃષિ વિભાગમાં બાગાયત સેક્ટરમાં સૌથી વધુ પૈસાની ફાળવણી થતી હોવાથી સંલગ્ન વ્યક્તિઓને હવે બાગાયતમાં કમાણી દેખાઇ રહી છે. ગ્રીનહાઉસના પ્રોજેક્ટમાં ૫૦ ટકા સબસીડી કેન્દ્ર અને વધારાની ૧૫ ટકા સબસીડી રાજ્ય સરકાર ખેડૂતોને આપે છે. એટલે કે ૩૫ લાખનું ગ્રીનહાઉસ બનાવનાર ખેડૂતે શરૃઆતમાં નજીવા રોકાણમાં ૩૫ લાખનો પ્રોજેક્ટ ઉભો કરી સારી કમાણી કર શકે છે. પરંતુ અમે રહી ગયા અને તમે ફાવી ગયાની ભાવના અને મારી ઓળખાણ વાળી કંપની ગ્રીનહાઉસના એમ્પેનલમાંથી બાકાત રહી ગઇ નો ડંખ ભોગવનારને હવે ફરી તક મળી ગઇ છે.
એમ્પેનલ અંગે ઘણા લોકો અજાણ હોવાથી શરૃઆત એમ્પેનલ એટલે શું તેનાથી કરવી જરૃરી છે. રાજ્યમાં ગ્રીનહાઉસનો પ્રોજેક્ટ અમલમાં આવ્યો ત્યારે બાગાયત વિભાગ દ્વારા ગ્રીનહાઉસનો પ્રોજેક્ટ રજૂ કરનાર ખેડૂતની યોગ્ય ચકાસણી અને બેન્ક લોન મેળવવામાં ભાગ્યશાળી બનનાર ખેડૂતને ગ્રીનહાઉસ બનાવવાની મંજૂરી અપાતી હતી. ભાગ્યશાળી શબ્દ એટલા માટે લખાયો છે કે બેન્ક લોન માટે હજારો ખેડૂતો પ્રયાસ કરતા હોવા છતાં નસીબદાર ખેડૂત જ બેન્ક લોન મેળવવામાં સફળતા મેળવે છે.
બેંક લોનની મંજૂરી મેળવનાર ખેડૂત બાગાયતના યોગ્ય ધારાધોરણો મુજબ ગ્રીનહાઉસની કામગીરી પૂરી કરે ત્યારે સબસીડી માટે યોગ્ય ઠરતો હતો. આ પ્રોજેક્ટની શરૃઆતના વર્ષોમાં ગ્રીનહાઉસમાં આડેધડ મંજૂરીઓ અપાઇ ગઇ હોવાનું બાગાયતને એકાએક  (બાગાયત વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ) ધ્યાને આવતાં બાગાયતે એમ્પેનલ બનાવી ગ્રીનહાઉસના ક્ષેત્રમાં કેટલાક નિયંત્રણો મૂકી દીધા. જેમાં ૨૦૧૨માં નવેસરથી એમ્પેનલની કામગીરી શરૃ કરી આ ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતી કંપનીઓનો સમાવેશ કરી ગ્રીનહાઉસ બનાવતી કંપનીઓ માટે પણ કેટલાક નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું.

હાલમાં દેશમાં ગ્રીનહાઉસમાં એમ્પેનલ સિસ્ટમ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ અમલમાં છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની એમ્પેનલની કામગીરીમાં ફક્ત છ કંપનીઓનો સમાવેશ થતાં રાજ્યમાં ગ્રીનહાઉસના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીના સંચાલકોમાં સોપો પડી ગયો હતો. કારણ કે આ વ્યવસાય સાથે રાજ્યમાં ૧૫૦ કંપનીઓ સંકળાયેલી છે. જેઓની નારાજગી પણ ન સહેવાય ન રહેવાય તેવી હોવાથી ફરી ત્રીજા મહિને ફરી એમ્પેનલમાં નવી કેટલીક કંપનીઓનો સમાવેશ થયો આખરે એક વર્ષમાં એમ્પેનલમાં સમાવેશ ૧૫થી વધુ કંપનીઓએ પોતાની કામગીરી શરૃ કરી ત્યાં એક જ વર્ષમાં બાગાયતની આ કામગીરી કોના નજરે ચઢી. પરંતુ હવે નવેસરથી ગ્રીનહાઉસમાં એમ્પેનલની કામગીરી શરૃ થઇ ગઇ છે. જેમાં ૨૦૧૨માં એમ્પેનલમાં સમાવેશ માટે ગ્રીનહાઉસ ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતી કંપનીઓનો નિયમ હવે ત્રણ વર્ષનો થઇ ગયો છે. કઇ કંપનીઓ માટે  બે વર્ષમાં ઘટાડો કરાયો એ તો વિચાર માગે તેવો પ્રશ્ન છે. સવાલ એમ્પેનલની કાનગીરીનો નથી પરંતુ  ગ્રીનહાઉસમાં એમ્પેનલની કામગીરીના આ પ્રકરણમાં સપ્ટેમ્બરથી નવા ગ્રીનહાઉસની મંજૂરીઓ ટલ્લે ચઢી જતાં ગ્રીનહાઉસ બનાવવાના સપનાં સેવનાર ખેડૂતોનાં સપનાં રોળાઇ રહ્યા છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 2 December 2013

દેશમાં પાકનું ઉત્પાદન વધારવાનો કૃષિ વિભાગનો પાઇલટ પ્રોજેક્ટ


દેશમાં ખરીફ સીઝન એ ચોમાસા પર નિર્ભર હોવાની સાથે કુલ વાવેતર વિસ્તાર પૈકી ૧૦૦૦ લાખ હેક્ટરમાં વાવેતર થતું હોવાથી ભવિષ્યમાં ખેત ઉત્પાદન વધારવા કૃષિ વિભાગે રવી અભિયાન હાથ ધર્યું છે. દિલ્હીમાં સપ્ટેમ્બરમાં રવી અભિયાનના નામે બે દિવસ કોન્ફરન્સ પણ યોજાઇ ગઇ. સારા વરસાદને પગલે ઊંચા જળસ્ત્રોતથી ખરીફની સાથે રવીમાં પણ ઊંચું ઉત્પાદન મેળવવાના કૃષિ વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે. રવી સીઝનમાં કઠોળનું ૧૨૦ લાખ ટન, ચોખાનું ૧૪૦ લાખ ટન અને ૪૪ લાખ ટન મકાઇ તેમજ બરેલીનું ૧૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુકયો છે. ખરીફમાં વાવેતર અને ઉત્પાદન વધારવામાં વરસાદ મુખ્ય આધારભૂત હોવાથી કૃષિ વિભાગે સિંચાઇ અને ભેજને આધારિત ૬૦૦ લાખ હેક્ટરમાં થતા રવી વાવેતરને વધારવાના પ્રયાસો શરૃ કર્યા છે. દેશમાં વધતી જતી વસતી સામે પાક ઉત્પાદન વધારવા માટે રવી સીઝનમાં જ વાવેતર વધે તેવી ઉજળી શક્યતા કૃષિ વિભાગને લાગી રહી છે. દિલ્હીમાં યોજાયેલી કોન્ફરન્સમાં ચાર જુદા-જુદા ઝોન બનાવી ખેતીમાં સુધારાવધારા માટે માર્ગદર્શનની માંગણી કરાઇ હતી. જેમાં રાજ્યોમાંથી ઉપસ્થિત અધિકારીઓએ પણ કૃષિ પ્રગતિમાં નડતરરૃપ કારણોની રૃપરેખા આપી હતી.



રવી સીઝન શા માટે?  : દેશમાં પાકની સૌથી મોટી સીઝન ખરીફ ગણાય છે. જૂનથી જુલાઇ દરમિયાન સૌથી વધુ વાવેતર દેશમાં થાય છે. આ સીઝન દેશના ધાન્ય પાકોના ઉત્પાદનમાં સૌથી મોટો ભાગ ભજવે છે. દેશમાં રવી સીઝનનું મહત્ત્વ તેલીબિયાં, કઠોળ અને ધાન્ય પાકોના ઉત્પાદનમાં વધારો કરવાનું છે. રવી પાકોનું વાવેતર મુખ્યત્વે પિયત અને વરસાદના ભેજમાં થાય છે. ચોમાસામાં સારો વરસાદ થાય તો રવી સીઝનને ઘણો ફાયદો થાય છે. દેશમાં ચોમાસામાં સારા વરસાદને પગલે ચાલુ વર્ષે પણ રવી સીઝનમાં સારા ઉત્પાદનના ઊંચા અંદાજો લગાવાયા છે. દેશમાં ખેતી માટે વરસાદ એ મુખ્ય આધાર છે. ખરીફ સીઝન એ મુખ્ય વરસાદ આધારિત છે. ઓછો વરસાદ દેશના કૃષિ વિકાસને ઘણી માઠી અસર પહોંચાડે છે. ભારતમાં ૨૦૧૨માં ૨૫૦૪ લાખ ટન રેકર્ડ બ્રેક ધાન્ય પાકોનું ઉત્પાદન થયું છે. આમ છતાં એશિયામાં ત્રીજો સૌથી મોટો વિકાસશીલ દેશ ગણાતા ભારતમાં બાળકોમાં કુપોષણ, ભૂખમરાનું પ્રમાણ ઘણું જ ઊંચું છે. જે પ્રમાણે દેશમાં વસતીનો વિસ્ફોટ થઇ રહ્યો છે તે જોતાં આગામી વર્ષોમાં ખેત ઉત્પાદન ન વધ્યું તો મોંઘવારીનો દર ઓલટાઇમ ઊંચો જશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. દેશમાં ચોખાનું ૧૦૦૦ લાખ ટન, ઘઉંનું ૯૨૫ લાખ ટન અને કઠોળનું ૧૮૦ લાખ ટન ઉપરાંત તેલીબિયાંના ઊંચા ઉત્પાદન છતાં આજે દેશમાં ભૂખમરાનું પ્રમાણ ઊંચું છે.

રવી સીઝનમાં ઉત્પાદન વધવાની  સંભાવના
  દેશમાં સારા ચોમાસાનો ફાયદો ખરીફની સાથે રવી સીઝનને પણ થવાનો અંદાજ છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન થયેલા સારા વરસાદને પગલે પાણીનો સ્ટોક દેશમાં ઊંચો છે. પરિણામે પિયતની સારી સુવિધા અને જમીનમાં ઊંચા ભેજને પગલે રવી સીઝનમાં દેશમાં વાવેતર ઊંચકાવાની પણ સંભાવના છે. ચાલુ રવી સીઝનમાં ઊંચા ઉત્પાદનના અંદાજ અને ખરીફમાં ઊંચા ઉત્પાદનથી ચાલુ વર્ષે ેએગ્રીકલ્ચર સેક્ટર માટે ઉત્તમ નીવડે તેવી સંભાવના છે. દેશમાં ચાલુ વર્ષે રવી સીઝનમાં ૧૨૮૫ લાખ ટન ધાન્ય પાકોનું ઉત્પાદન થવાના અંદાજો મંડાયા છે. કૃષિ વિભાગે કઠોળનું ૧૨૦ લાખ ટન, ચોખાનું ૧૪૦ લાખ ટન અને ૪૪ લાખ ટન મકાઇ તેમજ બરેલીનું ૧૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. દેશનાં જળાશયોમાં પાણીનો સ્ટોક પણ ચાલુ રવી સીઝનમાં ઘણો ઊંચો છે. હાલમાં ૮૫ જળાશયોમાં ૧૩૦ બિલિયન ક્યૂબિક મીટર સામે ૧૫૫ બિલિયન ક્યૂબિક મીટર પાણીનો સ્ટોક છે. જેમાં ઉત્તર અને સાઉથ ભારતમાં પાણીનો સ્ટોક ઘણો ઊંચો છે. દેશમાં ઓગસ્ટમાં જળાશયોમાં રહેલો પાણીનો સ્ટોક છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી ઊંચો છે.

રવીમાં ઉત્પાદન વધારતી યોજનાઓ
દેશમાં ધાન્યપાકોનું રેકર્ડબ્રેક ઉત્પાદન થાય અને કઠોળ પાકોનું ઉત્પાદન વધે તે માટે કૃષિ વિભાગ દ્વારા યોજનાઓ ચાલી રહી છે. કઠોળના ઉત્પાદનમાં દેશ સક્રિય થઇ રહ્યો છે. દેશના કુલ વાવેતરમાં કઠોળ પાકોનું વાવેતર ૩૧ ટકા અને ઉત્પાદનમાં ૨૩.૫ ટકા હિસ્સો ધરાવે છે. આમ છતાં દેશમાં કઠોળની ૩૦ લાખ ટન આયાત થાય છે. કઠોળની આયાતનું મુખ્ય કારણ કઠોળમાં હેક્ટરદીઠ ઉત્પાદકતા છે. કેનેડાની હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૯૨૯ કિલો ચીનની ૧૫૨૮ કિલો અને મ્યાનમારની ૧૦૭૦ કિલો છે. જ્યારે ભારતમાં સરેરાશ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૬૩૮ કિલો છે જે પાકિસ્તાનના ૬૪૬ કિલો કરતાં પણ ઓછી છે. દેશની કુલ વસતીની સંખ્યામાં કઠોળનું ઉત્પાદન ઓછું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અંદાજ અનુસાર ૮૦ ગ્રામ કઠોળ પ્રતિ દિવસ એક વ્યક્તિની જરૃરિયાત છે. જે આધારે ભારતમાં ૩૫૦ લાખ ટન કઠોળની જરૃરિયાત હોવાનો એસોચેમના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. કઠોળની આયાત માટે મ્યાનમાર, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, કેન્યા અને તાન્ઝાનિયા દેશ પર ભારતે આધાર રાખવો પડે છે. કઠોળના વાવેતર માટે રવી સીઝન એ મુખ્ય છે. સૌથી વધુ કઠોળનું ઉત્પાદન રવી સીઝનમાં ૧૨૦થી ૧૨૫ લાખ ટન થાય છે જેથી કૃષિ વિભાગે કઠોળનું વાવેતર વધારવા માટે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન અંતર્ગત યોજના ચલાવે છે. જેમાં ઘઉંનંુ અને ચોખાનું ઉત્પાદન વધારવાના પ્રયાસનો પણ સમાવેશ કરાયો છે. કઠોળનું ઉત્પાદન વધારવા માટે કૃષિ વિભાગ દ્વારા ૨૦૧૨-૧૩માં ૧૦૦ કરોડનો પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હતો જેમાંથી દેશનાં ૧૪ રાજ્યોમાં ૮૬ કરોડની ફાળવણી પણ થઇ ચૂકી છે. રવીનું ઉત્પાદન વધારવા માટે સરકારે રવી સીઝનની એમએસપીમાં પણ વધારો કર્યો છે. ઘઉંની એમએસપીમાં ૫૦ રૃપિયાનો વધારો કરી રૃપિયા ૧૪૦૦ પ્રતિ ક્વિન્ટલ, બરેલીની એમએસપીમાં પણ રૃપિયા ૧૨૦નો વધારો કરી રૃપિયા ૧૧૦૦ પ્રતિ ક્વિન્ટલ કરાઇ છે. ચણાની એમએસપીમાં પણ રૃપિયા ૧૦૦નો વધારો કરાયો છે. રાઇનું ઉત્પાદન વધે તેના ભાગરૃપે એમએસપીમાં રૃપિયા ૫૦નો વધારો કરાયો છે. સૂર્યમુખીની એમએસપીમાં પણ રૃપિયા ૨૦૦નો વધારો કરાયો છે.

રવીમાં અનિવાર્ય પાક કઠોળ 
 કઠોળ એ ભારતના રસોડામાં મુખ્ય છે. પ્રોટીનની ઉણપ નિવારવા કઠોળ એ મુખ્ય છે. દેશમાં કઠોળનું ૧૮૫ લાખ ટન ઉત્પાદન થાય છે. જેમાં ચણાનો હિસ્સો ૪૧ ટકા, તુવેરનો ૧૫ ટકા, અડદનો ૧૦ ટકા, મગનો ૯ ટકા, ચોળીનો ૭ ટકા, મસૂરનો ૫ ટકા સિવાય અન્ય કઠોળનો હિસ્સો ૫ ટકા છે. રવી સીઝનમાં કઠોળના કુલ ઉત્પાદન પૈકી ૬૦ ટકા વાવેતર થાય છે. વિશ્વમાં કઠોળના કુલ વપરાશમાં ભારતનો હિસ્સો ૩૦ ટકા છે. દેશમાં રવી સીઝનમાં ૧૩૦થી ૧૫૦ લાખ ટન ઉત્પાદન થાય છે. દેશમાં કઠોળની જરૃરિયાત ૨૧૦થી ૨૨૦ લાખ ટન સામે ઉત્પાદન ૧૭૦થી ૧૮૦ લાખ ટન છે. ૨૦૧૦-૧૧માં ૧૭૨ લાખ ટન કઠોળનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયું હતું. આ પૂર્વે ૨૦૦૩-૦૪માં ૧૪૯ લાખ ટન ઉત્પાદન થવાનો રેકોર્ડ હતો.જેમાં ખરીફ કઠોળનું ઉત્પાદન ૭૩ લાખ ટન થયું હતું. જેમાં ચણાનું ઉત્પાદન ૩૧ લાખ ટન અને બ્લેકગ્રામનું ઉત્પાદન ૧૮ લાખ ટન થયું હતું. ખરીફમાં કઠોળના ઉત્પાદનમાં આ રેકોર્ડ હજુ પણ અકબંધ છે. દેશમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ દેશના કુલ ઉત્પાદનના ૭૫ ટકા કઠોળનું ઉત્પાદન કરતાં રાજ્યો છે. મધ્યપ્રદેશમાં ૩૨ લાખ ટન કઠોળનું સૌથી ઊંચું ઉત્પાદન થાય છે ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. જ્યારે પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં  હરિયાણામાં ૮૨૪ કિલો હેક્ટરદીઠ કઠોળનું ઉત્પાદન થાય છે ત્યારબાદ સૌથી વધુ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારનો નંબર આવે છે. હાલમાં કઠોળની ૧૫થી ૨૦ ટકા આયાત થાય છે. જેમાં કેનેડા અને મ્યાનમારમાંથી મોટા પાયે કઠોળની આયાત થાય છે. ભારત લીલા અને સફેદ વટાણાની અમેરિકા અને કેનેડામાંથી આયાત કરે છે. મ્યાનમારમાંથી મોટાભાગનાં કઠોળની આયાત થાય છે જેમાં અડદ એ મુખ્ય કઠોળ હોય છે. ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયામાંથી મુખ્યત્વે ભારત દ્વારા ચણાની આયાત થાય છે.

રવીમાં આવશ્યક તેલીબિયાં પાકનું ઉત્પાદન વધારવું 

ભારત વિશ્વમાં ચોથા ક્રમનું તેલીબિયાં ઉત્પાદક રાજ્ય છે. પ્રથમ ક્રમે અમેરિકા, બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે બ્રાઝિલ આવે છે. વિશ્વમાં ર્વાિષક ૨૫૦૦ લાખ ટન તેલીબિયાં પાકોનું ઉત્પાદન થાય છે. ૧૯૯૫માં ભારત વિશ્વના કુલ ઉત્પાદનમાં ૧૦ ટકા હિસ્સો ધરાવતું હતું. ભારત એ વિશ્વમાં તેલીબિયાં પાકોનું ઉત્પાદન કરતો અગ્રણી દેશ છે. ભારતમાં તેલીબિયાં પાકોનો ર્વાિષક વપરાશ પ્રતિ વ્યક્તિદીઠ ભારતમાં ૧૦. કિલો, ચીનમાં ૧૨.૫ કિલો, જાપાનમાં ૨૦. કિલો બ્રાઝિલમાં ૨૧. કિલો જ્યારે અમેરિકામાં ૪૮. કિલો છે. દેશમાં તેલીબિયાં પાકોની ઘણી વેરાઇટીનું વાવેતર થાય છે. જેમાં સોયાબીન, કોટનસીડ, મગફળી, સૂર્યમુખી, રાઇ, તલ, કોપરા, એરંડા અને પામ એ મુખ્ય છે. ભારત એ વિશ્વમાં મગફળી, અળસી, એરંડાના ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દેશમાં તેલીબિયાં પાકોનું ૨૭૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. દેશમાં ૨૦૧૨-૧૩માં રાયડાના વધુ ઉત્પાદનને પગલે ખરીફમાં તેલીબિયાંના ૮૭.૯૦ લાખ ટન ઉત્પાદન સામે રવી સીઝનમાં તેલીબિયાંનું ૯૭.૯૩ લાખ ટન ઉત્પાદન થયું હતું. ૨૦૧૨-૧૩માં રાયડાનું ૭૧.૫૦ લાખ ઉત્પાદન થયું હતું. જે ૨૦૧૧-૧૨માં ૫૮.૮૦ લાખ ટન જ હતું. સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના અંદાજ અનુસાર ૨૦૧૧-૧૨માં મગફળીના ૧૭.૧૪ લાખ ટન ઉત્પાદન સામે ૨૦૧૧-૧૨માં ૧૮.૪૦ લાખ ટન ઉત્પાદન થયું હતું. દેશમાં તેલીબિયાં ઉત્પાદન સાથે ૬૦૦ દ્રાવણ નિષ્કર્ષણ પ્લાન્ટ, ૨૦૦ શાકભાજીની ઓઇલ રિફાઇનરી અને ૧૭૫ હાઇડ્રોજન પ્લાન્ટ જોડાયેલા છે. દેશમાં રવી સીઝનમાં તેલીબિયાં પાકોનું વાવેતર વધ્યું છે. દેશમાં ૨૦૧૧-૧૨માં ૯૦.૯૪ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૮૮.૪૨ લાખ ટન થયું હતું. જેમાં રાયડાનું ઉત્પાદન મુખ્ય હતું. દેશમાં નેશનલ મિશન તેલીબિયાં અને પામ ઓઇલ (એનએમઓઓપી) દ્વારા ૧૨મી પંચવર્ષીય યોજનામાં તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધારવા ૩૫૦૭ કરોડની ફાળવણી કરાઇ છે. આ રકમ થકી દેશમાં ૬૫ લાખ ટન તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધારવાનો .૨૫ લાખ હેક્ટરમાં ઓઇલપામનું વાવેતર વધારવાનો છે.
રવી સીઝન માટે સ્પેશ્યલ અભિયાનઃ મહત્ત્વની યોજનાના ભાગરૃપે દેશમાં રવી સીઝનમાં પાક ઉત્પાદન વધારવા માટે એક સ્પેશ્યલ અભિયાન કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાયું છે. જેના ભાગરૃપે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં એક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી. જે દરમિયાન રવી સીઝનમાં વાવેતર થતા પાકોના ઉત્તમ કક્ષાનાં બિયારણો ખેડૂતો સુધી પહોંચાડવાની, ખેડૂતો પાસે સમયસર વાવેતર કરાવવાની, ઉત્પાદન વધારવા ખેડૂતોને સમજણ પૂરી પાડવાની સાથે ઉત્પાદિત માલના ખેડૂતોને સારા ભાવ મળે તેની મુખ્ય ચર્ચા થઇ હતી.

રવીમાં ઘઉં મહત્ત્વનો પાકઃ ૨૦૧૧-૧૨માં રેકર્ડબ્રેક ઉત્પાદન થયું હતું


રવી સીઝનમાં ઘઉં એ મહત્ત્વનો પાક છે. ભારત ઘણાં વર્ષોની મહેનત બાદ ઘઉંના પાકમાં સ્વાવલંબી દેશ બન્યો છે. આજે ભારત ઘઉંના ઉત્પાદનમાં વિશ્વના અગ્રણી ઉત્પાદક દેશોની હરોળમાં આવી ગયો છે. દેશમાં ધાન્યપાકોમાં ચોખાના ઉત્પાદન બાદ ઘઉં એ બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક પાક છે. દેશમાં ૩૦૦ લાખ હેક્ટરમાં વાવેતર થતા પાકમાંથી ઘઉંનું ૯૨૫ લાખ ટન ઉત્પાદન થાય છે જે વિશ્વના કુલ ઉત્પાદનના ૧૩.૨ ટકા જેટલું છે. ભારત વિશ્વમાં હાલમાં બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકાર દેશ છે. દેશના કુલ ધાન્યપાકોના ઉત્પાદનમાં ઘઉંનો ૩૫.૫ ટકા અને વાવેતરમાં ૨૨ ટકાનો હિસ્સો છે. આમ છતાં વિશ્વના ઘઉંના ઉત્પાદક દેશોની તુલનામાં ઘઉંની ઉત્પાદકતા ઘણી નીચી છે. ચાઇનામાં પ્રતિ હેક્ટરદીઠ ઘઉંનું ઉત્પાદન ૪૧૦૦ કિલો, યુરોપમાં ૬૪૦૦ કિલો, અમેરિકામાં ૭૫૦૦ કિલો છે. જ્યારે ભારતની પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૨૬૦૦ કિલો છે. દેશમાં ૨૦૨૦માં ભારતની વસતી ૧૨૫ કરોડે પહોંચશે ત્યારે ઘઉંની સરેરાશ જરૃરિયાત ૧૦૯૦ લાખ ટન રહેશે. એટલે કે પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૩૧૦૦ કિલો કરવી પડશે. હાલમાં ઘઉંની હેક્ટરદીઠ ઉત્પાદકતાની ટકાવારી એક ટકા છે જે વધારીને ૨.૨ ટકા કરવી પડશે. ઘઉંનંુ વાવેતર ઓક્ટોબર નવેમ્બર અને કાપણી એપ્રિલ સુધી પૂરી થાય છે. દેશમાં ૨૦૧૧-૧૨માં ઘઉંનું રેકર્ડબ્રેક ૯૪૮ લાખ ટન ઉત્પાદન થયું હતું. ૨૦૧૨-૧૩માં ઘઉંનું ઉત્પાદન ૯૨૪ લાખ ટન થયું હતું. ચાલુ રવી સીઝનમાં પણ દેશમાં પાણીનો સ્ટોક છેલ્લાં ૧૦ વર્ષમાં રેકર્ડબ્રેક હોવાથી ૯૨૫ લાખ ટન ઉત્પાદનનો આંક સરળતાથી પાર કરી જવાનો અંદાજ કૃષિ વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

ગુજરાતમાં ઘઉં અને જીરાનું વાવેતર વધશે



ગુજરાત અને રાજસ્થાનમાં સિંચાઈના પાણીની ઉપલબ્ધતાને કારણે જીરુંના વાવેતરમાં વધારો થવાની ધારણા : રાજ્યમાં ઘઉંનું વાવેતર ૧૪ લાખ હેક્ટરના આંકને વટાવી જશેઃ  દેશમાં ઘઉંનો વાવેતર વિસ્તાર વધવાની સાથે ઉત્પાદન ૯૨૫ લાખ ટનથી વધુ થવાનો કૃષિ વિભાગને અંદાજ : ૨૫મી નવેમ્બર સુધી જીરાનું ૮૩ હજાર હેક્ટરમાં વાવેતર


સારા ચોમાસાને પગલે સિંચાઇના પાણીની સારી ઉપલબ્ધતાથી પિયત અને ભેજને આધારે રવી સીઝનમાં થતી ખેતીના મુખ્ય બે પાક ઘઉં અને જીરાના વાવેતરમાં વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં ઘઉંનું ૧૩ લાખ હેક્ટર અને જીરાનું ૩.૫૦ લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. ચાલુ રવી સીઝનમાં ઘઉંનું વાવેતર ૧૪ લાખ હેક્ટરને આંબી જાય તેવા ઉજળા સંજોગો છે. ૨૫મી નવેમ્બર સુધીમાં રાજ્યમાં ઘઉંનું ૪.૫૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આ જ સ્થિતિ જીરામાં છે. સૌરાષ્ટ્રમાં પાણીની સુવિધાને પગલે ખેડૂતો જીરાનું વાવેતર વધારે તેવી પૂરી સંભાવનાથી જીરાનું વાવેતર પણ ૩.૫૦ લાખ હેક્ટરના આંકને વટાવી જશે. દેશમાં ઘઉંનું ૩૦૦ લાખ હેક્ટરમાં થતા વાવેતર સામે ૩૦ ટકાથી વધુ વાવેતર થઇ ચૂક્યું છે. કૃષિ વિભાગે દેશમાં ઘઉંનું ૯૨૫ લાખ ટનથી પણ વધુ ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા બહાર પડાતા અંદાજો અનુસાર કાપણી સમયે ઘઉંનો પ્રતિમણે ભાવ રૃપિયા ૩૨૦ અને જીરાનો પ્રતિમણે ભાવ રૃપિયા ૨૩૦૦ રહેશે.   

      વિશ્વમાં ભારત સૌથી વધુ મસાલા પાકોનું ઉત્પાદન કરતો દેશ છે અને વિશ્વમાં સૌથી વધુ જીરુંનું ઉત્પાદન કરે છે. દેશમાં જીરુના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭૦ ટકા કરતાં વધુ છે. ત્યાર પછીના ક્રમે રાજસ્થાન રહે છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ અનુસાર ૩.૫૦ લાખ હેક્ટરની આસપાસ જીરાનું વાવેતર થાય છે. વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ગુજરાતમાં જીરુંનું વાવેતર અંદાજે ૩.૩૫ લાખ હેક્ટરમાં થયું હતું જે અગાઉના વર્ષ કરતાં ૧૦ ટકા ઓછું હતું. ગુજરાતમાં જીરુંનું વાવેતર વર્ષ ૨૦૦૧-૦૨માં ૧.૪૫ લાખ હેક્ટરમાં થયું હતું, જે વધીને ૨૦૧૧-૧૨માં ૩.૭૪ લાખ હેક્ટર થયું છે. ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪માં ગુજરાત અને રાજસ્થાનમાં પૂરતા સિંચાઈના પાણીની ઉપલબ્ધતાને કારણે જીરુંના વાવેતર વિસ્તારમાં વધારો થવાની ધારણા છે. દેશમાંથી સને ૨૦૧૧-૧૨માં જીરુંની નિકાસ ૪૫,૫૦૦ ટન થઇ હતી, જે વધીને વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ૭૯,૯૦૦ ટન થઇ છે. ઉપરાંત એપ્રિલથી જૂન, ૨૦૧૩ના સમયગાળામાં નિકાસમાં ગત વર્ષ કરતાં ૨૫ ટકા વધારો થયો છે અને નિકાસ કરેલા માલના કિલોદીઠ રૃ.૧૨૯.૫૦ આસપાસ એટલે કે મણના રૃ. ૨૫૯૦ મળ્યા છે.  છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દેશમાં જીરાનું ઉત્પાદન સારું થયું હોવા છતાં ઘરઆંગણે જીરુંના ભાવ રૃ. ૨૪૦૦ આસપાસ જળવાઈ રહ્યા છે. જીરંુના મુખ્ય નિકાસકારો સીરિયા અને તુર્કી છે, પરંતુ તેમનું ઉત્પાદન જૂન અને જુલાઈના અંતમાં મોડું આવે છે. ભારતીય જીરુંની નિકાસ યુએસ, યુકે, યુએઈ, જાપાન, બ્રાઝિલ વગેરે દેશોમાં કરવામાં આવે છે. ગત વર્ષે માર્ચથી જૂન ૨૦૧૩ દરમિયાન કાપણી સમયે જીરુંના ભાવ મણના રૃપિયા ૨૪૦૦ આસપાસ રહ્યા હતા જે વર્ષ ૨૦૧૩-૧૪ની આગામી સીઝનમાં થોડી વધઘટ સાથે સ્થિર રહે તેવી સંભાવના છે. રાજ્યમાં જીરાનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. ૨૦૧૨-૧૩માં ૩.૩૫ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું હતું.
સૌરાષ્ટ્રમાં ૧.૫૦ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થાય છે. ત્યારબાદ જીરાનું સૌથી વધુ વાવેતર ૧.૩૦ લાખ હેક્ટરમાં ઉત્તર
ગુજરાતમાં થાય છે. જીરું એ વાતાવરણ આધારિત પાક હોવાથી ખેડૂતો જીરુંનું વાવેતર કરીને જોખમ જ ઉઠાવતા હોય છે. આમ છતાં જીરાના પાકને સુરેન્દ્રનગર જિલ્લાનું વાતાવરણ અનુકૂળ આવતું હોવાથી ખેડૂતો વાવેતર વધારી રહ્યા છે. ચાલુ વર્ષે જીરાનું ૧.૬૭ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે અને જીરાનું વાવેતર વધે તેવા સંજોગો છે.
રાજ્યમાં જીરાના વાવેતરની સારી તકો, સંભવિત ઉત્પાદન, ભાવનું વલણ અને વેપારીઓના અહેવાલોને ધ્યાનમાં રાખીને કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિર્વિસટી, જૂનાગઢની સંશોધન ટીમે ઊંઝા માર્કેટયાર્ડના જીરાના પાછલાં વર્ષોના ભાવોનું પૃથક્કરણ કર્યું છે. જેનું તારણ તેમજ નેશનલ એગ્રીકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટ, ડોમેસ્ટિક એન્ડ એક્સપોર્ટ માર્કેટ સેલ, તામિલનાડુ કૃષિ યુનિર્વિસટી કોઈમ્બતુરની સલાહ મુજબ અનુમાન છે કે, માર્ચથી મે, ૨૦૧૪ દરમિયાન જીરુંના ભાવ મણના રૃપિયા ૨૨૦૦થી ૨૪૦૦ આસપાસ રહેવાની સંભાવના છે જેથી ઉપરોક્ત ભાવ સપાટીને ધ્યાનમાં લઈ ખેડૂતભાઈઓ અનુકૂળતા મુજબ જીરાના વાવેતર અંગે પોતાની રીતે નિર્ણય કરી શકે છે.

રાજ્યમાં ઘઉંનું ૩૬ ટકા અને જીરાનું ૪૮ ટકા વાવેતર
રાજ્યમાં ઘઉંનું ૧૨.૪૩ લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. ગત રવી સીઝનમાં ૨૫ નવેમ્બર સુધીમાં ૨.૩૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું સામે ચાલુ સીઝનમાં ૪.૫૦ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જ્યારે ૭૫ હજાર હેક્ટરમાં થતા બિનપિયત ઘઉંના વાવેતરમાં ૨૫મી સુધીમાં ૧૨ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થઇ ચૂક્યું છે. જીરાનો પણ સરેરાશ વાવેતર વિસ્તાર ૩.૪૦ લાખ હેક્ટર છે. જેમાં ગત રવી સીઝનમાં ૨૫મી સુધીમાં ૧.૫૭ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર સામે હાલમાં ૧.૬૭ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. આમ, જીરાના વાવેતરમાં વધારો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પાણીની સુવિધાને પગલે જીરાનું વાવેતર વધે તેવી સંભાવના છે. ૨૫મી સુધીમાં રાજ્યમાં ઘઉંનું ૩૬ ટકા અને જીરાનું ૪૮ ટકા વાવેતર થઇ ચૂક્યું છે. 


ઘઉંના ભાવ મણના રૃપિયા ૩૨૦ આસપાસ રહેવાની સંભાવના


વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ભારતમાં કુલ અનાજનું ઉત્પાદન ૨૫.૫૪ કરોડ ટન સામે વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૨૫.૯૦ કરોડ ટનનો લક્ષ્યાંક નક્કી કરાયો

વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ભારત બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં છેલ્લા દાયકામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ઘઉંનું ૭.૨૮ કરોડ ટન ઉત્પાદન થયું હતું જે વધીને વર્ષ ૨૦૧૧-૧૨માં ૯.૪૯ કરોડ ટન થયું છે. ગત વર્ષે ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં વરસાદની અછતને કારણે ઘઉંનું વાવેતર ૨.૯૬ કરોડ હેક્ટરમાં અને ઉત્પાદન થોડું ઓછું ૯.૨૫ કરોડ ટન થયું હતું. પરંતુ ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન દેશમાં ખૂબ જ સારું ચોમાસું રહેવાને લીધે સિંચાઈના પાણીની ઉપલબ્ધતાને કારણે ઘઉંનો વાવેતર વિસ્તાર વધવાની સંભાવના છે. ભારત સરકારના (તા.૨૪-૦૯-૨૦૧૩) પ્રથમ આગોતરા અંદાજ મુજબ વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ભારતમાં કુલ અનાજનું ઉત્પાદન ૨૫.૫૪ કરોડ ટન થયું છે અને વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૨૫.૯૦ કરોડ ટનનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ગુજરાતમાં ઘઉંનું ૧૩.૫૧ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૪૦.૭૨ લાખ ટન મળ્યું હતું, પરંતુ ગત વર્ષે ૨૦૧૨-૧૩માં વાવેતરમાં ૧૦.૪૮ ટકા જેટલો ઘટાડો થયો હતો અને ઉત્પાદન પણ ઘટયું હતું. તેથી ગુજરાતમાં ઘઉંના ભાવ મે, ૨૦૧૨માં મણના રૃ. ૨૯૦ જેટલા હતા, જે વધીને માર્ચ - જૂન ૨૦૧૩ દરમિયાન મણના રૃપિયા ૩૫૦ આસપાસ થયા હતા.
હાલમાં ઘઉંના ભાવ મણના રૃપિયા ૩૬૦ આસપાસ પ્રવર્તે છે. ચાલુ વર્ષે પિયત પાણીની પૂરતી ઉપલબ્ધતા હોવાથી રાજ્યમાં ઘઉંનો વાવેતર વિસ્તાર ૧૪ લાખ હેક્ટરથી વધવાની શક્યતા છે. સરકારે ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪ માટે ઘઉંના ટેકાના ભાવ મણના રૃપિયા ૨૮૦ નક્કી કર્યા છે. દેશમાં હાલમાં ઘઉંના વાવેતરમાં તેજી જોવા મળી રહી છે.
ગત સપ્તાહે દેશમાં ઘઉંનું ૨૫ ટકા વાવેતર થઇ ગયું હતું. ૨૦૧૧-૧૨માં ઘઉંનં નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં વાવેતર ૧૦૧ લાખ હેક્ટર થયું હતું. જે ચાલુ વર્ષે ૧૨૭ લાખ હેક્ટરમાં થઇ ચૂક્યું છે. સારા વરસાદ અને પિયતની ઉજળી શક્યતાથી દેશમાં ઘઉંના વાવેતરમાં વધારો થવાની શક્યતા છે. દેશમાં ઘઉંનું ૩૦૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ચાલુ રવી સીઝનમાં કૃષિ વિભાગે ઘઉંનું ૯૨૫ લાખ ટન ઉત્પાદન થવાના અંદાજો મૂક્યા છે.
દેશમાં અને ગુજરાતમાં ઘઉંના ઉત્પાદનની ઉજળી શક્યતાઓ અને વેપારીઓના અહેવાલોને ધ્યાનમાં રાખીને કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિર્વિસટી, જૂનાગઢની સંશોધન ટીમે ગોંડલ માર્કેટના ઘઉંના પાછલાં ૨૨ વર્ષોના ભાવોનું પૃથક્કરણ કર્યું છે. જેનું તારણ તેમજ નેશનલ એગ્રીકલ્ચર ઇનોવેશન પ્રોજેક્ટ ડોમેસ્ટિક એન્ડ એક્સપર્ટ માર્કેટ સેલ, તામિલનાડુ કૃષિ યુનિર્વિસટી, કોઈમ્બતુરની સલાહ મુજબ અનુમાન છે કે ઘઉંના ભાવ એપ્રિલથી જૂન ૨૦૧૪ દરમિયાન કાપણી સમયે મણના રૃપિયા ૩૦૦થી ૩૨૦ રહેવાની સંભાવના છે. જેથી ઉપરોક્ત ભાવસપાટીને ધ્યાનમાં રાખીને ખેડૂતભાઈઓ ઘઉંના વાવેતર અંગે પોતાની રીતે અનુકૂળતા મુજબ નિર્ણય કરવો જોઇએ. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..