Tuesday, 21 October 2014

વિક્રમ સંવત ૨૦૭૧ ખેડૂતોનાં જીવનમાં ખુશીઓ રેલાવશે


કપાસના ઉત્પાદન અને ચોખાની નિકાસમાં ભારત વિશ્વમાં નંબર વન બને તેવા સંજોગો : બાગાયત, ફૂડ પ્રોસેસિંગ, ફાર્મ મિકેનાઇઝેશન અને એગ્રો કેમિકલ વ્યવસાયમાં ભારત પ્રગતિના પંથે :  ખેતીની પ્રગતિ એટલે ખેડૂતોની પ્રગતિ : સૂક્ષ્મ સિંચાઈ માટે રૃ.એક હજાર કરોડ ખર્ચાશે  :  દેશમાં કૃષિનો વિકાસ થાય અને ખેડૂતોને સરળતાથી ધિરાણ મળે એ માટે આઠ લાખ કરોડ રૃપિયાની જોગવાઇ કરાઇ : ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ૨૦૦૦થી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૫૩૬૦ કરોડ ડોલરનું રોકાણ થશે  : એગ્રો કેમિકલ વ્યવસાય ૨૦૧૯ સુધીમાં ૨૬૧ અબજ ડોલરનો થશે : ૨૭.૧૪ લાખ કરોડની આયાત અને ૧૮.૯૪ લાખ કરોડની નિકાસ કરાઈ  :  ૭ સેક્ટરના વિકાસ માટે ૧૦ હજાર યુવાઓને તાલીમ અપાશે

દિવાળીના તહેવારોના માહોલમાં દીવાઓના ઝગમગાટ વચ્ચે જગતના તાત ગણાતા ખેડૂતોનું જીવન પણ દિવાળીના દીવાઓની જેમ નવા વર્ષમાં ઝળહળશે. કપાસ અને ચોખામાં ખેડૂતોની મહેનતને પગલે વિશ્વમાં નંબર વન બનવાના ઉજળા સંજોગો વચ્ચે ખેતીમાં ખેડૂતોનો વિકાસ થાય તે માટે ૮ લાખ કરોડ રૃપિયાની કૃષિ ધિરાણ પેટે જોગવાઈ કરાઈ છે. સૂક્ષ્મ સિંચાઇ માટે પણ રૃ. એક હજાર કરોડની જોગવાઇ વચ્ચે એગ્રો કેમિકલ વ્યવસાય પણ ૨૦૧૯ સુધીમાં ૨૬૧ અબજ ડોલરનો થવાનો અંદાજ છે. દેશમાંથી ખેડૂતોની મહેનતને પગલે ૧૮.૯૪ લાખ કરોડ રૃપિયાની નિકાસ થઇ છે. ભારતે ખેતીના વિકાસ માટે બાવન દેશો સાથે એમઓયુ કરવાની સાથે ૨૦૧૫ સુધીમાં દેશનાં ૯ રાજ્યોમાં એક્સલન્સ સેન્ટર શરૃ થઇ જશે. કર્ણાટકમાં દેશનો સૌથી મોટો ફૂડ પાર્ક શરૃ થવાની સાથે યુરિયાના ઉત્પાદન માટે રૃ.૫૦ હજાર કરોડની જોગવાઇ કરાઇ છે. સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયામાં પણ કૃષિક્ષેત્રના બે સેક્ટરના સમાવેશથી આગામી દિવસોમાં કૃષિ ક્ષેત્રમાં પ્રગતિ રહેશે.

દેશમાં કૃષિક્ષેત્રના વિકાસમાં વધારો થતો જાય છે. દેશની ૬૦ ટકા આબાદીને સીધી કે આડકતરી રીતે રોજગારી પૂરી પાડતા આ ક્ષેત્રે છેલ્લા દાયકામાં ઘણો વિકાસ કર્યો છે. આજે ભારત એ કઠોળ, ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. શેરડીના ઉત્પાદનમાં બ્રાઝિલ બાદ બીજો ક્રમ ધરાવે છે. ૨૦૧૪માં કૃષિક્ષેત્ર ૪.૬ ટકાના દરે વિકાસ કરે તેવી સંભાવના છે. છેલ્લા દાયકામાં પાકના ઉત્પાદન ખર્ચને આધારે નક્કી કરાતી એમએસપીના ભાવોમાં પણ વધારો થયો છે. દેશમાં મસાલા બજારના મજબૂત માળખાને પગલે નિકાસ બજાર દર વર્ષે ૧૫ ટકાના દરે વધીને ૨૦૧૬-૧૭માં ૩ અબજ ડોલરે પહોંચે તેવી સંભાવના છે. ભારત કપાસના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચે તેવી સંભાવના વચ્ચે ચોખાની નિકાસમાં પણ ભારત વિશ્વમાં પ્રથમ ક્રમ હાંસલ કરે તેવી શક્યતા છે. બાસમતી ચોખાના ઉત્પાદન અને સ્ટોક વચ્ચે ભારતમાંથી ૧૨૦થી ૧૨૫ લાખ ટન ચોખાની નિકાસ થાય તેવા સંજોગો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતે સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, પોલેન્ડ અને યુક્રેન જેવા દેશોમાં પણ બાસમતી ચોખાની નિકાસમાં વધારો કર્યો છે. દેશમાં એફડીઆઇ અંતર્ગત સૌથી વધુ રોકાણ ફાર્મ મિકેનાઇઝેશન ક્ષેત્રમાં થયું છે. જેમાં ૨૦૦૦થી ૨૦૧૪ સુધીમાં ૩૫૯ મિલિયન ડોલરનું ભારતમાં રોકાણ થયું છે. દેશમાં એગ્રીકલ્ચર ક્ષેત્રમાં હવે ખાનગી કંપનીઓએ પણ ઝંપલાવી કરોડોનું રોકાણ કરી કૃષિક્ષેત્રનો ગ્રોથ વધારી રહી છે.  આ ઉપરાંત દેશભરમાં સૂક્ષ્મ સિંચાઇ યોજના લાગુ કરવા માટે પણ એક હજાર કરોડ રૃપિયાની ફાળવણી કરાઇ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના પણ દેશભરમાં લાગુ કરાઇ છે. દેશમાં ચાલુ વર્ષે વરસાદની અછત વચ્ચે પણ વાવેતર વધ્યું છે.

રાજ્યમાં ખાતરોમાં સૌથી વધુ વપરાશ યુરિયા ખાતરનો થાય છે. દર વર્ષે કરોડો 
રૃપિયાનું વિદેશી હૂંડિયામણ માત્ર યુરિયાની આયાત પાછળ ખર્ચ કરવા છતાં પણ ખેડૂતો યુરિયાની બૂમરાણ મચાવતા હોય છે. જેને પગલે ભારતે ખાતરના પ્લાન્ટોને ફરી ચાલુ કરવા રૃ. ૫૦ હજાર કરોડ ખર્ચવાનો નિર્ણય લીધો છે. જેમાં તેલંગણા, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સામાં સંયંત્રોને ચાલુ કરાશે. આ માટે બજેટમાં પણ રાષ્ટ્રીય ગેસ ગ્રીડની સ્થાપના માટે રૃ.૧૦ હજાર કરોડની જોગવાઇ કરાઇ છે. આ સંયંત્રોમાં ગ્રીડના માધ્યમથી ગેસ પૂરો પડાશે. ફૂડ પ્રોસેસિંગ સેકટરનો પણ વધતો વિકાસઃ દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો પણ કૂદકે ને ભૂસકે વિકાસ થઇ રહ્યો છે. જેને પગલે પ્રોસેસિંગ સેક્ટરના વિકાસ માટે પણ કૃષિ વિભાગ સક્રિય બન્યું છે. એગ્રો પ્રોસેસિંગ યુનિટ વધારવા માટે પણ બજેટમાં નાબાર્ડને વધારાની ૨૦૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. ફૂડ પ્રોસેસિંગની મશીનરીની આયાત પર પણ ડયૂટી ઘટાડીને ૧૦ ટકામાંથી ૬ ટકા કરી દેવાઇ છે. આ સેક્ટરમાં રોકાણ કરવા ઇચ્છુક વ્યક્તિઓ માટે પણ સહાયતા ડેસ્ક લોન્ચ કરાયું છે. સ્કિલ મેનેજમેન્ટ અંતર્ગત પણ કૃષિ ક્ષેત્રના ૭ સેક્ટરમાં ૧૦,૦૦૦ નિષ્ણાતોની ફોજ ઊભી કરવા માટે લાખો રૃપિયાનું રોકાણ કરાયું છે. દેશમાં બિહાર, મહારાષ્ટ્ર, હિમાચલ અને  છત્તીસગઢમાં પાંચ મેગા ફૂડ પાર્ક ઊભા કરાયા છે. આ ઉપરાંત ૮૩ નવી પ્રપોઝલો પણ ફૂડ પાર્ક માટે આવી છે. જે કૃષિક્ષેત્રના વિકાસનાં લક્ષણો છે. આ ઉપરાંત ૨૦ નવા કોલ્ડચેઇન પ્રોજેક્ટોને પણ મંજૂરી આપી દેવાઇ છે. ૨૦૧૫ સુધીમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ૨૫૮ બિલિયન ડોલરે પહોંચે તેવી સંભાવના છે. ૨૦૦૦થી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૫૩૬૦ કરોડ ડોલરનું રોકાણ થયું છે.

૨૦૧૫ સુધીમાં ઇઝરાયેલ ૨૮ એક્સલન્સ સેન્ટર ઊભાં કરશે
ઇઝરાયેલ અને ભારત વચ્ચે ૨૦૦૮માં એક્સલન્સ સેન્ટર શરૃ કરવા માટે સમજૂતી થઈ હતી. જે કરાર બે વાર લંબાઇ ચૂક્યા છે. હવે ૨૦૧૫ સુધીમાં ઇઝરાયેલ ૯ રાજ્યોમાં ૨૮ એક્સલન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં ૪ એક્સલન્સ સેન્ટર ઊભાં કરાયાં છે. ઇઝરાયેલે પીપીપી મોડ પર ડેરીક્ષેત્રમાં પણ સહયોગ માટે તૈયારી દર્શાવી છે. જે અંતર્ગત ભારત અને ઇઝરાયેલ વચ્ચે કરાર થવાની સંભાવના છે.

ભારતે ખેતીના વિકાસ માટે બાવન દેશો સાથે એમઓયુ કર્યાઃ  ભારતમાં કૃષિ ક્ષેત્ર સંલગ્ન સેક્ટરોના વિકાસ માટે બાવન દેશો સાથે એમઓયુ કરાયા છે. જેમાં કૃષિક્ષેત્રના વિકાસ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, રોગપ્રતિકારક જીવાણુઓની આપ-લે, ફૂડ પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન સેક્ટર, ડેરી, મત્સ્યપાલન અને પ્લાન્ટ પ્રોટેક્શન ઉપરાંત પશુપાલનનો સમાવેશ છે.




બાગાયતની પ્રગતિ એટલે ખેડૂતોની પ્રગતિ : ગુજરાતમાં બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે. બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર વધારવા કૃષિ વિભાગની પણ સક્રિયતાને પગલે ફળપાકોનો વાવેતર વિસ્તાર ૨૦૧૬-૧૭માં ૫.૧૦ લાખ હેક્ટર, શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર ૬.૨૭ લાખ હેક્ટર અને મસાલા તેમજ ફૂલપાકોનો વાવેતર વિસ્તાર ૬.૩૫ લાખ હેક્ટરે લઇ જવા પ્રયત્નો હાથ ધરાયા છે. ગુજરાતમાં બાગાયતના વિકાસને પગલે ૧૨,૦૦૦ હેક્ટરમાં પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ થવાની સાથે કેળામાં હેક્ટરદીઠ ઉત્પાદકતા ૫૮ ટન સુધી મળી છે. રાજ્યમાં એકંદરે ૮૬૩ પેકહાઉસ, ૪૮૧ સામાન્ય કોલ્ડ સ્ટોરેજ, ૪૨ રાઇપનીંગ ચેમ્બર, ૯૧ ર્શોિટગ ગ્રેડિંગ યુનિટ, ૧૯ ટિશ્યૂકલ્ચર લેબોરેટરી, ૨૦૯૪ ગ્રીનહાઉસ અને ૩૩૪૨ નેટહાઉસ ઉભા કરાયા છે. આ વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના વદરાડ સ્થિત ઇઝરાયેલના સહયોગથી એકસલન્સ સેન્ટર ફોર વેજીટેબલ શરૃ થશે. જેથી ખેડૂતોને ફાયદો થશે. કચ્છમાં પણ ખારેકનું પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર ઉભું થઇ રહ્યું છે. તલાલામાં પણ એક્સલન્સ સેન્ટર ઓફ મેંગો નિર્માણ પામી રહ્યું છે. છેલ્લા દાયકામાં બાગાયતના બજેટમાં ૨૫ ગણો વધારો થયો છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 15 October 2014

કંદપાકોની ખેતીમાં મૂલ્યવર્ધન



સૂંઠ બનાવવા માટે આદુંને છોલીને ખેતરમાં ઓછામાં ઓછા ૪૫ દિવસ સૂકવણી કરવી : ૨૦૦ ક્વિન્ટલ આદુના વેચાણ થકી રૃપિયા ૮ લાખની આવક થવાનો અંદાજ વ્યક્ત કરતા બોરિયાવીના ખેડૂત

રા જ્યમાં હવે ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. જે રીતે લોકો માંગ અને ઓર્ગેનિક બનાવટો અંગે માહિતગાર થયા છે તેને ધ્યાને રાખીને હવે રાજ્યના ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વધારે રસ દાખવી રહ્યાં છે. સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી અપનાવી ખેડૂતો બિલકુલ ઓર્ગેનિક બનાવટો લોકોને પૂરી પાડી રહ્યાં છે. ખાસ કરીને નોર્થ ઈસ્ટનાં રાજ્યોમાં ઓર્ગેનિક ખેતીનું વધારે ચલણ જોવા મળે છે તે હવે ધીરે ધીરે ગુજરાત તરફ પણ ડગ માંડી રહ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ ઓર્ગેનિક ખેતી અંગે ખેડૂતો જાગૃત થયા છે અને મોટાપાયે ખેતી પણ અપનાવી રહ્યાં છે. આણંદ જિલ્લાના બોરિયાવી ગામના રમેશભાઈ છોટાભાઈ પટેલ પણ પાછલાં કેટલાંક વર્ષોથી ઓર્ગેનિક ખેતી અપનાવી રહ્યાં છે. રમેશભાઈની સાથે તેમના પુત્ર દેવેશ પટેલ પણ આ ખેતીમાં જોતરાઈ ગયા છે. રમેશભાઈએ જણાવ્યું હતું કે અમે પાછલાં ૩૦ વર્ષથી વિવિધ પાકોની ખેતી અપનાવીએ છીએ. અમારી પાસે કુલ ૨૦ વીઘા જમીન છે. અને ૨૦ વીઘા ભાડા પેટે રાખેલી છે. અત્યારે ૧ એકરમાં આદુંની ખેતી છે. ૨ એકરમાં રતાળુની ખેતી છે. ૭ એકરમાં સૂરણની ખેતી છે અને ૬ એકરમાં લાલ હળદરની ખેતી છે.
સૌ પહેલાં આદુંની ખેતી વાત કરીએ તો આ અમારી બાપદાદાની ખેતી છે. આદુંની ખેતી આ વર્ષના ૬ મહિનામાં અપનાવી હતી. આ આદુંને ગાંઠો બનાવીને ૬૦થી ૬૫ ગ્રામનું પાકું આદું હોય તેને રોપ્યું હતું. ૧૦ ઈંચ બાય ૧૦ ઈંચની જગ્યા રાખીને ૬ ઈંચ ઊંડું આદું રોપ્યું હતું. આ સંપૂર્ણ ખેતી ડ્રિપથી છે એટલે રોપણી કર્યા બાદ તુરત જ પિયત આપ્યું હતું અને રોજ એક કલાક પિયત આપ્યાં હતાં. આ પાક જૂનથી ફેબ્રુઆરી સુધીનો હોય છે એટલે ફેબ્રુઆરીની શરૃઆતમાં ઉત્પાદન આવશે. ફેબ્રુઆરીમાં જે આદું નીકળે તેની સૂંઠ બને છે. એક હેક્ટરમાં આદુંની ખેતી છે એટલે ૧૮૦ મણ બિયારણ વપરાયું હતું. આદું એ શાકભાજી પ્રકારનો પાક છે એટલે વાતાવરણ પર આધાર રાખે છે. જો વધારે પડતો વરસાદ પડી જાય અને જમીનમાં પાણી ભરાઈ જાય તો આદું લાલ થઈ જાય છે જેને કારણે મૂળ  ખલાસ થઈ જાય છે. જો કે અમારે બધી પરિસ્થિતિઓને ધ્યાને રાખવી પડે છે. આ સીઝનમાં ૪૦૦થી  ૪૫૦ ક્વિન્ટલ આદું પાકશે. આ આદું ફેબ્રુઆરી મહિનામાં કાઢવામાં આવશે.
તેમણે કમાણી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે આદું એ શાકભાજી પ્રકારનો પાક છે એટલે ઉતારચઢાવ રહેતો હોય છે. અત્યારે આદુંનો ભાવ ૬૦ રૃપિયા કિલો છે. જ્યારે દક્ષિણ ભારતમાં ૩૦ રૃપિયા કિલો ચાલી રહ્યો છે. એવરેજ આદુંનો ભાવ ૪૦ રૃપિયે કિલો ગણીએ તો એક ક્વિન્ટલના ૪૦૦૦ રૃપિયા જેટલી આવક થાય છે. જો ૨૦૦ ક્વિન્ટલ આદુંનું વેચાણ કરીએ તો અંદાજે ૮ લાખ રૃપિયા જેટલી આવક થઈ જાય છે.

પ્રોસેસ્ડ હળદરની ખેતીમાં પણ લાખો રૃપિયાની કમાણી

બોરિયાવીના  પ્રગતિશીલ ખેડૂતે  ૬ એકર જમીનમાં લાલ હળદરની ખેતી અપનાવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ખેતીમાં અંદાજે ૫૦ ક્વિન્ટલ બિયારણ વપરાયું હતું. ૨૫૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ બિયારણનો ભાવ રહેતા અંદાજે ૧ લાખ ૨૫ હજાર રૃપિયા જેટલો ખર્ચ કર્યો હતો. ઓર્ગેનિક હળદરની વાવણી અમે એપ્રિલ માસના અંતમાં કરી હતી અને તેનું ઉત્પાદન ઓક્ટોબર- નવેમ્બર માસમાં આવવાનું શરૃ થશે. તેમણે જણાવ્યું હતું કે જો ઓક્ટોબર માસમાં હળદર કાઢવાનું શરૃ કરીએ તો ૬ એકરમાંથી ૧૫૦- ૨૦૦ ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. જ્યારે જાન્યુઆરી માસમાં કાઢવામાં આવે તો પાકી હળદર અંદાજે ૬૦૦ ક્વિન્ટલની આસપાસ નીકળે છે, કારણ કે હળદર ડબલ થાય છે અને વજન પણ વધે છે. ઓક્ટોબરમાં એક ક્વિન્ટલ હળદરનોે ભાવ ૩૦૦૦ રૃપિયા રહે છે અને ડિસેમ્બરમાં કાઢીએ તો પાકી હળદરનો ભાવ ૨૦૦૦ રૃપિયા થઈ જાય છે, કારણ કે ઉત્પાદન સમગ્ર બાજુથી આવતું હોય છે એટલે કાચી હળદરનું વેચાણ કરવું હિતાવહ છે. જો કે અમે લીલી હળદર વેચતા જ નથી અને હળદર પ્રોસેસ્ડ કરીએ છીએ. ૧૦૦ સેલ્સિયસ ડિગ્રી ગરમ પાણીમાં બોઈલ કરીને આ હળદરને સૂકવવામાં આવે છે અને પછી અમે જાતે બનાવેલા મશીનમાં તેનો પાઉડર બનાવીએ છીએ. અમારી પાસે કુલ એક ક્વિન્ટલ સૂકી હળદરમાંથી ૨૦ કિલો પાઉડર બને છે. એક ક્વિન્ટલ લીલી હળદર ૨૦૦૦ રૃપિયાની થાય છે જ્યારે સૂકી કરીને પાઉડર બનાવીને તેનું વેચાણ કરતા ૪૦૦૦ રૃપિયા જેટલી આવક થાય છે. કુલ ૬ એકરમાંથી ૧૫૦ ક્વિન્ટલ પ્રોસેસ્ડ હળદરનું ઉત્પાદન ગણીએ તો કુલ ૬ લાખ રૃપિયા જેટલી ચોખ્ખી આવક થઈ જાય છે. 



આદું કરતાં સૂંઠના વેચાણમાં ત્રણ ગણી વધારે કમાણીનો અંદાજ

બોરિયાવીના પ્રગતિશીલ ખેડૂત રમેેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે આદું કરતાં સૂંઠમાં ત્રણ ગણા ભાવ મળી જાય છે. અમારી પાસે આદુંમાંથી સૂંઠ બનાવવા પ્રોસેસ્ડ મશીન છે. આ મશીનને અમે ઘરે જાતે જ વિકસાવ્યાં છે જેમાં તમામ પ્રોસેસ કરવામાં આવે છે. સૂંઠ બનાવવા માટે પહેલાં આદુંને છોલી નાંખવું પડે છે અને ત્યારબાદ ખેતરમા ઓછામાં ઓછા ૪૫ દિવસ તેને સૂકવવા દેવું પડે છે અને પછી તેને ભેગું કરી લઈને પ્રોસેસ્ડ મશીનમાં નાખવામાં આવે છે ત્યારબાદ તેમાં પોલિશ થઈને સૂંઠ તૈયાર થઈ જાય છે. આ સૂંઠનું વેચાણ કરીએ તો ત્રણ ગણા ભાવ મળે છે. એક મણ સૂંઠનો ભાવ ૯૦૦૦ રૃપિયા મળે છે. આદુંમાંથી સૂંઠ બને એટલે તેનું વજન પણ ઘટી જાય છે એટલે સીધું જ ૫૦ ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. એક ક્વિન્ટલ સૂંઠનો ભાવ ૪૫ હજાર રૃપિયા જેટલો થાય છે જો ૫૦ ક્વિન્ટલ સૂંઠનું વેચાણ કરીએ તો ૨૨,૫૦,૦૦૦ જેટલી આવક મળી રહે છે. આદુંમાંથી સૂંઠ બનાવવા માટે ૧ લાખ રૃપિયા જેટલો પ્રોસેસ્ડ ખર્ચ રહે છે.
આદુંની ખેતીમાં ખર્ચ અંગે તેમણે જણાવ્યું હતું કે એક વીઘે ૧૫ ટ્રોલી છાણિયું ખાતર વપરાય છે એટલે કુલ એક હેક્ટરમાં ૬૦ ટ્રોલી જેટલા ખાતરની પાછળ ૯૦ હજાર રૃપિયા જેટલો ખર્ચ થઈ જાય છે. એક હેક્ટરમાં કુલ ૯૦ મણ બિયારણનો વપરાશ થાય છે. ૧ મણ બિયારણનો ભાવ ૧૫૦૦ રૃપિયા જેટલો રહે છે તો કુલ ૧ લાખ ૩૫ હજાર રૃપિયાનું બિયારણ વપરાય છે. જ્યારે દિવેલીના ખોળ પાછળ કુલ રૃ. ૩૬,૦૦૦ હજારનો ખર્ચ થાય છે. જ્યારે ૧૦ ગૂણી લિંબોળીનો ખોળ વપરાય છે જેની પાછળ અંદાજે રૃ. ૨૦ હજારનો ખર્ચ થાય છે. આ સિવાય બેક્ટેરિયા, સલ્ફર અને રાયઝોબિયમની પાછળ રૃ. ૧૫થી ૨૦ હજારનો ખર્ચ રહે છે અને મજૂરી ખર્ચ રૃ. ૫૦ હજાર જેટલો ગણતા કુલ અંદાજે રૃપિયા ૩ લાખ જેટલો ખર્ચ થઈ જાય છે. જો કે આ ખર્ચ એક વાર કર્યા બાદ બીજા બે પાક આસાનીથી લઈ શકાય છે અને બે સીઝન સુધી કોઈ ખર્ચ કરવો પડતો નથી. આદુંની ખેતી સિવાય અમે ૨ એકરની અંદર રતાળુની ખેતી કરી છે જેની ૫મા મહિનાના અંતમાં વાવણી કરી હતી. આ ખેતીમાં ૧૬ ક્વિન્ટલ બિયારણનો વપરાશ રહ્યો હતો. ૬૦ રૃપિયા કિલો લેખે બિયારણ વાપરતા અંદાજે રૃપિયા ૯૬ હજારનું બિયારણ વપરાયું હતું. ૨ એકર જમીનમાંથી ફેબ્રુઆરીના અંતમાં ૨૦૦ ક્વિન્ટલ રતાળુનો ઉતારો રહેશે. એક ક્વિન્ટલનો ભાવ ૫૦૦૦ રૃપિયા લેખે ગણીએ તો કુલ ૧૦ લાખ રૃપિયાનું રતાળું પાકશે. આ સિવાય અમે ૭ એકર જમીનમાં એપ્રિલના પહેલા અઠવાડિયાની અંદર સૂરણની ખેતી અપનાવી હતી અને અત્યાર સુધી અમે ૫૦ ટકા જેટલું ઉત્પાદન પણ લઈ લીધું છે. અમે સપ્ટેમ્બર માસ સુધીમાં ૩ એકર જમીનમાંથી ૪૦૦ ક્વિન્ટલ જેટલાં સૂરણનો ઉતારો લઈ લીધો છે અને એક ક્વિન્ટલના ૧૨૦૦ રૃપિયા લેખે વેચાણ કરતા ૬ લાખ જેટલી કમાણી પણ કરી લીધી છે. હજુ પણ સૂરણનો ઉતારો ચાલુ છે હજી બીજા ૪૦૦થી ૫૦૦ ક્વિન્ટલ સૂરણનો ઉતારો રહેશે અને કુલ રૃપિયા ૧૨ લાખ ૫૦ હજાર જેટલી કમાણી થઈ જશે.

સંપર્કઃ ૯૪૨૬૦ ૬૧૮૭૮
published in Gujarat leading agriculture news paper Agro sandesh..


Monday, 13 October 2014

ચોખાના સ્વાદની દુનિયા દિવાની : ભારત ટોચના સ્થાને પહોંચશે


થાઇલેન્ડ, ચીન અને વિયેતનામને ટક્કર આપવા ભારતે ચોખાના નિકાસ ભાવમાં ઘટાડો કર્યો : ચીનની પણ માંગ રહેવાની સાથે નાઇજિરિયામાં ચૂંટણી ભારતને ફાયદાકારક રહેશે : ગત વર્ષે ૧૦૬૦ લાખ ટન ચોખાનું ઉત્પાદન થયું હતું

દે શમાં ખરીફ સીઝનમાં ઓછા વરસાદને પગલે ચોખાના વાવેતરમાં ઘટાડો થવાથી ઉત્પાદન ૮૮૮ લાખ  ટન  પાકે તેવી સંભાવના વચ્ચે ભારત થાઇલેન્ડને પછાડી ચોખાની નિકાસમાં નંબર વન બને તેવી શક્યતાઓ છે. બાસમતી ચોખાના સારા ઉત્પાદનનેે પગલે વિદેશમાં આફ્રિકા અને મિડલ ઇસ્ટના દેશોમાં ભારતીય ચોખાની સારી માંગને પગલે નિકાસ બજારમાં ભારત મેદાન મારે તેવી શક્યતા છે. દેશમાં ગત વર્ષે ચોખાનું વાવેતર વધતાં ઉત્પાદનનો આંક ૧૦૬૦ લાખ ટને પહોંચી ગયો હતો. આ વર્ષે ઓછા ઉત્પાદનની ઘટ વચ્ચે ઉત્પાદનનો આંક કૃષિ વિભાગના પ્રથમ અંદાજ અનુસાર ૮૬૬ લાખ ટન સુધી પહોંચે તેવી સંભાવના છે. પંજાબ અને હરિયાણામાં ઓછા વરસાદ વચ્ચે પણ બાસમતી ચોખાની નવી જાતના વાવેતરથી ઉત્પાદન વધે તેવી સંભાવના છે. વિશ્વબજારમાં થાઈલેન્ડ એ નિકાસમાં અગ્રણી દેશ છે. ભારતે વિશ્વના નિકાસ બજારમાં થાઇલેન્ડને પાછળ રાખી પ્રથમ ક્રમ મેળવ્યા બાદ ગુમાવી દીધો હતો. આ વર્ષે વિશ્વ બજારમાં ભારતને હુકમના એક્કા સાબિત થવાની ફરી તક ઊભી થઈ છે. ભારતે ૨૦૧૨માં બાસમતી અને નોન બાસમતી ચોખાની ૧૧૦થી ૧૨૦ લાખ ટન નિકાસ કરી હતી. ચાલુ વર્ષે ઓછા ઉત્પાદનની સંભાવના વચ્ચે પણ ચોખાના સારા કેરી ફોરવર્ડ સ્ટોકને પગલે ભારતને વિશ્વમાં ચોખાની નિકાસમાં સારી તક ઊભી થઇ છે. ભારતે આફ્રિકન દેશોમાં સારી નિકાસ માટે થાઇલેન્ડથી ૧૦થી ૧૫ ડોલર ઓછા એટલે કે ટનદીઠ ૪૦૦ ડોલરનો ભાવ મૂક્યો છે. જ્યારે સફેદ ચોખાનો બજારમાં નિકાસભાવ પણ વિયેતનામ અને પાકિસ્તાનની સરખામણી કરી શકે તે માટે ટન દીઠ ૩૬૦થી ૩૭૦ ડોલર રાખ્યા છે. દિવાળી સમયે સાઉદી અરેબિયા અને યુરોપની માંગ શરૃ થતી હોય છે. ૧૦ દિવસમાં ઝારખંડ, છત્તીસગઢ, બિહાર અને તમિલનાડુમાં ચોખાની કાપણીની સીઝન શરૃ થશે. નાઇજિરિયામાં ૨૦૧૫માં ચૂંટણી હોવાથી સ્થાનિક સરકાર મોટાપાયે ગુણવત્તાયુક્ત ચોખાની આયાત સ્થાનિક લોકો માટે કરવા માંગે છે. જેનો ફાયદો ભારતીય નિકાસને મળે તેવી સંભાવના છે. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટ્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે આ વર્ષે બાસમતી ચોખાની ઓછામાં ઓછા ૪૦ લાખ ટનની નિકાસમાં ૫ ટકાનો વધારો પણ જોવા મળી શકે છે. ભારતે ૨૦૧૨-૧૩ની તુલનામાં ૨૦૧૩-૧૪માં સાઉદી અરબમાંથી ૫૦.૯૬માં ટકા વધુ ચોખાની નિકાસ કરી છે. ભારતે એપ્રિલ ૨૦૧૩થી ૨૦૧૪ સુધી ૩૭.૫૭ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી છે. જેની કિંમત ૨૯,૨૯૯ કરોડ રૃપિયા હતી. ૨૦૧૨-૧૩માં ભારતે ૩૪.૫૯ લાખ ટન ચોખાની નિકાસ કરી ૧૯ હજાર કરોડ રૃપિયાની આવક મેળવી હતી.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

ગુવારમાં ખેડૂતોને ફાયદો થશે


માવઠા અને વાવેતરની ઘટે ગુવારનું ઉત્પાદન ૨૫ ટકા ઘટાડયું  : મધ્ય ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી નિકાસ માંગ રહેતાં ગુવારના ભાવમાં વધારો થવાની સંભાવના : હાલમાં દેશમાં ગુવારનો ક્વિન્ટલ ભાવ રૃપિયા ૪૫૦૦થી ૫૫૦૦ : ગુવારસીડના ઓછા ઉત્પાદન વચ્ચે નિકાસ માંગમાં વધારો : ગત વર્ષે ૨૨ લાખ ટન ગુવારનું ઉત્પાદન થયું હતું : રાજસ્થાનના ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના : ગુવારનો દેશમાં ૫ લાખ ટન કેરીફોરવર્ડ સ્ટોક હોવાથી ભાવમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના ઘણી ઓછી : અનિયમિત માવઠાને પગલે ગુવારના પાકને ભારે નુક્સાન થયું  : અમેરિકા અને ચીનની માંગમાં વધારો

ખરીફ સીઝનમાં વાવેતર કરાતા ગુવારના પાકમાં માવઠાથી નુક્સાન અને ઓછા વાવેતરને પગલે ૨૫ ટકા ઉત્પાદન ઓછું આવવાની સંભાવનાથી ભાવમાં ફૂલગુલાબી તેજી આવવાની સંભાવના છે. અમેરિકા અને ચીનની માંગ પણ રહેતાં ઓક્ટોબરથી ડિસેમ્બરના અંત સુધી ભાવમાં સુધારો મળે તેવી શક્યતા છે. હાલમાં ગુવારના ભાવ ક્વિન્ટલે રૃ.૪૫૦૦થી ૫૫૦૦ ચાલી રહ્યા છે. ગત વર્ષે ગુવારનો ભાવ વધીને ક્વિન્ટલે રૃ.૮૦૦૦ સુધી પહોંચ્યો હતો. ચાલુ સીઝનમાં ગુવારના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય રાજ્સ્થાનમાં ઉત્પાદન ૫૦ ટકા ઘટવાની સંભાવનાને પગલે ભાવમાં સુધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ ૧.૭૦ લાખ ટન ગુવારનું ઉત્પાદન થવાના અંદાજો મુકાયા છે.
          રા જ્યમાં ગુવાર એ ઓછાં પાણીએ પાકતો પાક હોવાથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગુવારનું સૌથી વધુ વાવેતર થાય છે. ગુવારના ૨૦૧૨ બાદ ખેડૂતોને સારા ભાવ મળવાના શરૃ થતાં ખેડૂતોએ હવે ધીમે ધીમે ગુવારની ખેતી વધારી છે. ૨૦૧૨માં ગુવારનો પ્રતિ ક્વિન્ટલે ખેડૂતોને સરેરાશ રૃપિયા ૩૦,૦૦૦ ભાવ મળ્યો હતો. ત્યારબાદ ભાવ ગગડતાં ભાવ આજે પ્રતિ ક્વિન્ટલે રૃપિયા ૪૫૦૦થી ૫૫૦૦ની વચ્ચે ચાલી રહ્યો છે. અન્ય પાકોને ૭થી ૮ દિવસમાં જ્યારે ગુવારના પાકને ૧૫થી ૨૦ દિવસે પાણી જોઇતું હોવાથી ગુવાર ખેડૂતોની પસંદ બની રહી છે. ગુવારમાં ૭૦ ટકા ચારો અને ૩૦ ટકા ગમ નીકળે છે. જેનો ઉપયોગ તેલના ઉત્પાદનમાં, કાપડ ઉદ્યોગ, પેપર ઉદ્યોગ, દવાઓ અને ખાદ્યપદાર્થ સહિત ૫૦ વસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગી સાબિત થાય છે.
ગુવાર મોટાભાગે ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાવેતર કરાય છે. ભારત અને પાકિસ્તાન એ ગુવારગમનું ઉત્પાદન કરતા સૌથી મોટા દેશ છે. દેશમાં ગુવારગમનું સૌથી વધુ વાવેતર રાજસ્થાનમાં થાય છે. આ ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ સહિતનાં રાજ્યોમાં ખેડૂતો વાવેતર કરે છે. ભારત એ વિશ્વમાં ગુવારની નિકાસમાં સૌથી મોટો દેશ છે. ૨૦૧૩-૧૪માં ૬.૦૧ લાખ ટન ગુવારગમની નિકાસ કરી ભારતે ૧૧ હજાર કરોડ રૃપિયાનું વિદેશી હૂંડિયામણ એકઠું કર્યું હતું. ભારતમાંથી ગુવારગમની સૌથી વધુ માંગ અમેરિકા, ચાઇના, જર્મની, રશિયા, કેનેડા અને ઇટાલીની રહે છે. દેશમાં ગુવારની કાપણીની સીઝન નજીક આવી રહી છે. ૫૦ ટકાથી વધારે ગુવાર કાપણીના તબક્કે તૈયાર થઇ ગયો છે. દેશમાં ચાલુ વર્ષે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં મળી ગુવારસીડનું ઉત્પાદન ૧૫થી ૧૬ લાખ ટન થાય તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. જે ૨૦૧૨-૧૩ની સીઝનમાં ૨૨ લાખ ટન હતો. આ વર્ષે ગુવારનું સારું ઉત્પાદન થાય છતાં ઉત્પાદનનો આંક ૧૭ લાખ ટનથી વધે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. ગુવારનો કેરી ફોરવર્ડ સ્ટોક ૫ લાખ ટન હોવાથી ભાવમાં મોટો ઉછાળો તેવી શક્યતા ઘણી ઓછી હોવા છતાં ભાવમાં ડિસેમ્બરના અંત સુધી નિકાસ માંગ રહેતાં ભાવમાં તેજી રહેશે. ગુવારસીડનો પાક ઓછો હોવાની સામે વિશ્વબજારમાં ગવારગમની માંગ ઊંચકાઈ છે. બ્રાઝિલ, આર્જેન્ટિના, ન્યૂઝીલેન્ડ, રશિયા, વિયેતનામ અને ચીનમાં તાજેતરના મહિનાઓમાં ઓઇલના ડ્રિલિંગમાં ગમનો મોટો વપરાશ થવા લાગ્યો છે. રાજસ્થાનમાં કૃષિ વિભાગના છેલ્લા સત્તાવાર આંક અનુસાર ઓગસ્ટના અંત સુધીમાં ૩૧.૮૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જે ગત વર્ષે ૩૪.૭૧ લાખ હેક્ટરમાં થયું હતું. આ જ પ્રકારે ગુજરાતમાં પણ ગુવારનું વાવેતર ૨.૯૯ લાખ હેક્ટરમાં થયું છે. જે ગત વર્ષે ૪.૭૩ લાખ હેક્ટરમાં થયું હતું.




ખેડૂતોએ સારા ભાવની રાહ જોવી ફાયદાકારક રહેશે

હાલમાં બજાર ક્વિન્ટલે રૃપિયા ૫,૦૦૦થી ૫,૫૦૦ના ભાવમાં વધઘટ થયા કરે છે. જેમાં માંગ નીકળતાં તેજી રહેશે. ગુવારમાં નિકાસ માંગ મધ્ય ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી નીકળતી હોય છે. ગુવારમાં વર્ષની શરૃઆતમાં ભાવ ક્વિન્ટલે રૃપિયા ૪,૪૦૦થી ૬,૦૦૦ની વચ્ચે હતો, પરંતુ જૂનમાં વરસાદના અભાવે ભાવ ઊંચકાઈને ક્વિન્ટલે રૃ. ૫,૧૩૫થી ૬,૧૫૫ એ પહોંચી ગયો હતો. મધ્ય ઓક્ટોબર બાદ ગુવારનો પાક બજારમાં આવવાની શરૃઆત થશે. આ વર્ષે ખેડૂતો પણ ક્વિન્ટલે રૃ. ૫,૦૦૦થી ઓછા ભાવે વેચાણ ન કરવાના મૂડમાં હોવાથી ખેડૂતોની પક્કડને પગલે ભાવમાં તેજી આવવાની સંભાવના છે. નિકાસ માંગ સારી રહી તો ભાવ ઊંચકાઈને ક્વિન્ટલે ૭,૫૦૦ સુધી પહોંચે તેવી પણ સંભાવના છે. ગુવારનો ભાવ હાલમાં દેશમાં નીચો ચાલી રહ્યો છે. જે ભાવ વધવાના સંજોગો છે. વિદેશમાં સારી માંગને પગલે ભાવ ઊંચકાવાની શક્યતા વધારે છે જેથી ખેડૂતોએ સારા ભાવ મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોવી એ જ સમયનો તકાજો છે. 

સૌથી મોટાં ગુવાર ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદનમાં ઘટાડો

દેશમાં ગુવારનું ૮૦ ટકા ઉત્પાદન થાય છે તેવા રાજસ્થાનમાં ગત વર્ષે રેકોર્ડબ્રેક ૨૮.૬૨ લાખ ટન ઉત્પાદન થયું હતું જે આ વર્ષે ૧૩.૩૯ લાખ ટન રહે તેવી સંભાવના છે. રાજસ્થાનમાં વરસાદના અભાવે ગુવારની હેક્ટર દીઠ ઉત્પાદકતામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે પ્રતિ હેક્ટરે ૫૬૪ કિલો ગુવારસીડનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે ઘટીને ૪૧૭ કિલો રહેવાનો અંદાજ છે. આમ, ગુવારના ઉત્પાદનમાં હેક્ટરદીઠ ઉત્પાદકતા ઘટતાં ઘટાડો નોંધાશે. ગુજરાતમાં પણ કૃષિ વિભાગે બહાર પાડેલા સત્તાવાર અંદાજ મુજબ ગત વર્ષે ગુવારનું ઉત્પાદન ૨.૯૩ લાખ ટન સામે ચાલુ સીઝનમાં ઉત્પાદન ૧.૭૧ લાખ ટન રહેશે. આમ, ગુવારનું વાવેતર કરતાં બે મોટાં રાજ્યોમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે.  

અમેરિકામાં ગુવારગમની સૌથી વધુ આયાત

અમેરિકાએ ગત ૨૫ જૂનના રોજ લગભગ ૪૦ વર્ષો બાદ તેલ અને ગેસની નિકાસ પરની રોક હટાવી દીધી છે એટલે નિકાસ માટે અમેરિકાએ વધારે તેલ અને ગેસનું ઉત્પાદન કરવું પડશે જેને કારણે ગુવાર ગમનો ઉપયોગ અનિવાર્ય બની જશે, કારણ કે ગેસ ઉત્પાદન માટે ગુવાર ગમથી ઉત્તમ કોઈ હાઈડ્રોલિક ફ્લૂઇડ નથી. ડ્રિલિંગમાં ગુવારગમનો વપરાશ પણ વધશે. જો નિકાસના આંકડા પર નજર કરીએ તો દેશમાંથી વર્ષ ૨૦૧૩-૧૪માં લગભગ ૬.૦૧ લાખ ટન ગુવાર ગમની નિકાસ થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૨-૧૩માં લગભગ ૪.૦૬ લાખ ટન નિકાસ થઈ હતી. બજારના નિષ્ણાતોના મતે આ વર્ષે દેેશમાં ગુવાર ગમની નિકાસ ૮ લાખ ટનથી વધુ થઈ શકે છે. જેને કારણે લગભગ ૨૮ લાખ ટન ગુવાર સીડની જરૃરિયાત રહેશે એટલે કે આ વર્ષે ગુવારગમનું જેટલું ઉત્પાદન થશે તેની મોટાપાયે નિકાસ થવાની શક્યતા વધારે રહે છે.

ગુવારગમની દેશમાંથી નિકાસ
વર્ષ                     જથ્થો            રૃપિયા
૨૦૧૧-૧૨         ૭.૦૭    ૧૬,૫૨૩
૨૦૧૨-૧૩         ૪.૦૬    ૨૧,૨૮૭
૨૦૧૩-૧૪         ૬.૦૧    ૧૧,૭૩૪

નોંધઃ ઉત્પાદન લાખ ટનમાં અને રૃપિયા કરોડમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 6 October 2014

યુરિયાની અછતથી ખેડૂતો પરેશાન


પાકમાં  ખાતર આપવા સમયે જ ખેડૂતોને ખાતર ન મળતાં ખરીફ ઉત્પાદન પર અસર થશે :  રેકોર્ડબ્રેક ૧૦.૧૧ લાખ ટન ખાતરનો સપ્લાય કરાયો હોવાનો કૃષિ વિભાગનો દાવો : રાજ્યની સહકારી મંડળીઓના ધરમધક્કા ખાતા ખેડૂતો  : ગુજકોમાસોલ પાસે જ ૨ લાખ ટનની ડિમાન્ડ  : અછતથી યુરિયાના દોઢા પૈસા ચૂકવવા પણ ખેડૂતો તૈયાર  : ઓક્ટોબરમાં માંગ નીકળતાં પુરવઠો પહોંચાડવામાં તંત્ર અસમર્થ  : ખાતરનો પુરવઠો એલોટમેન્ટના આધારે જ મળતો હોવાથી ખાતરની સમસ્યા વધુ જટિલ બની  : યુરિયાના અભાવે મંડળીઓને ફાળવાતા સ્ટોકમાંથી લાઇનો લગાવી લઈ જતા ખેડૂતો  : એમોનિયમ સલ્ફેટ ડેપો પર જ મળતું હોવાનો બળાપો

ખરીફ સીઝનમાં યુરિયાના પુરવઠા સામે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં માંગ વધુ રહેતાં રાજ્યભરમાં યુરિયા ખાતર ન મળતું હોવાની ખેડૂતો બૂમરાણો પાડી રહ્યા છે. સહકારી મંડળીઓ પાસે પણ સ્ટોક ન હોવાથી ખેડૂતો દોઢા ભાવે યુરિયા ખરીદવા તૈયાર હોવા છતાં ખાતર મળતું નથી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી રેકોર્ડબ્રેક ૧૦.૧૧ લાખ ટન યુરિયા ખેડૂતો સુધી પહોંચાડાયું હોવાના કૃષિ વિભાગના દાવા વચ્ચે ખેડૂતો સુધી ખાતર પહોંચ્યું ન હોવાની પણ હકીકત છે. રાજ્યમાં સહકારી મંડળીઓ થકી ખાતર પહોંચાડતી ગુજકોમાસોલ પાસે પણ ૨ લાખ ટન યુરિયાની ડિમાન્ડ છે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં ગુજકોમાસોલે માત્ર ૮૭ હજાર ટન ખાતરનો પુરવઠો પૂરો પાડયો હતો. યુરિયા ખાતર ન મળતું હોવાની બૂમરાણો વચ્ચે હવે ખેડૂતોએ પણ સ્ટોક કરવા લાગતા યુરિયાનો કકળાટ હવે વધી રહ્યો છે.  
રાજ્યમાં ઓક્ટોબરમાં ખરીફ સીઝનમાં ર્પૂિત ખાતર તરીકે અપાતું યુરિયા ખાતર ન મળતું હોવાની રાજ્યભરના ખેડૂતો બૂમરાણ પાડી રહ્યા છે. ખરીફ સીઝનમાં હાલમાં પાકમાં ખાતર આપવાનો યોગ્ય સમય છે ત્યારે જ ખાતર ન મળતા તેની સીધી અસર ઉત્પાદન પર પડવાની સંભાવના છે. સહકારી મંડળીઓમાં જ ખાતર ન હોવાથી ખેડૂતો મંડળીઓના રોજેરોજ ધક્કા ખાઈ રહ્યા છે. ખાતરની બૂમરાણ અંગે કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વિશ્રામભાઇ રાબડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ખાતરની માંગ છે. કચ્છમાં ખાતરના અભાવે ખાતરની પૂર્તતા કરવા અમે માગણીઓ કરી કરીને થાકી ગયા છીએ. દરેક સંઘની યુરિયાની માંગ છે પણ પુરવઠો પૂરો પડાતો નથી. એમોનિયમ સલ્ફેટ પણ ખેડૂતોને માત્ર ડેપો પર જ મળી રહ્યું છે.  જેની સીધી અસર ખરીફ ઉત્પાદન પર પડશે.

૧૦.૧૧ લાખ ટન યુરિયા ખાતર ખેડૂતોને અપાયું

ગુજરાતમાં ખરીફ સીઝનમાં સૌથી વધુ ખાતરની માંગ હોય છે. રાજ્યમાં ખરીફ સીઝનમાં ૮૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ખેડૂતો પાકમાં ખાતર શરૃઆતમાં વાવેતર સમયે બાદમાં ર્પૂિત ખાતર તરીકે આપતા હોય છે. ચાલુ સીઝનમાં વરસાદની અનિયમિતતાને પગલે વાવેતર બે તબક્કામાં વહેંચાઈ જતાં ખાતરની માંગ પણ બે તબક્કામાં વહેંચાઇ ગઇ હતી. ઓક્ટોબરમાં ખાતરની માંગમાં વધારો થયો છે.ગુજરાતમાં ૨૦૦૩-૦૪માં સારા વરસાદને પગલે રેકોર્ડબ્રેક ખાતરની માંગ રહેતાં રાજ્યમાં ૧૦.૬૨ લાખ ટન યુરિયા ખાતર સપ્લાય થયું હતું. આ વર્ષે પણ ખાતરની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. કૃષિવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગત સપ્તાહ સુધી ૧૦.૧૧ લાખ ટન ખાતરનો સપ્લાય પૂરો પડાયો છે. આ વર્ષે માંગ વધારે છે. જેમાં ખેડૂતો પણ ઓછું ખાતર હોવાની અફવાઓથી ખાતરનો સ્ટોક કરતા હોવાથી ડિમાન્ડ ઘટતી જ નથી. રાજ્યમાં ૯.૮૯ લાખ ટન ખાતરની જરૃરિયાતના અંદાજ કરતાં પણ બજારમાં વધુ ખાતર ઠલવાયું હોવા છતાં ખાતરની માંગ જારી છે. જેમાં અફવાઓ પણ જવાબદાર છે. ગત વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સારો વરસાદ રહેતાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં ખાતરની માંગ વધુ રહી હતી. આ વર્ષે ખાતરની માંગ હોવાથી ખાતરનો સપ્લાય અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. ખાતરની બૂમરાણમાં સ્થાનિક સહકારી મંડળીઓની બેજવાબદાર નીતિ હોવાનું પણ કૃષિ વિભાગના અધિકારીઓએ કબૂલ્યું હતું. હવે સહકારી મંડળીઓ પણ ખાતરનો સ્ટોક કરવા લાગી છે. રાજ્યમાં રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા જેવા જિલ્લામાં ખાતરનો પુરવઠો મંડળીઓએ જાળવ્યો હોવાથી ખાતરની બૂમરાણ ન હોવાનું કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

ડિમાન્ડ ખેડૂતોની બે ગણી

રાજ્યમાં ખરીદ વેચાણ સંઘ મારફતે ચેનલ થકી ખાતર પૂરુંુ પાડતા ગુજકોમાસોલના એમ એમ પટેલે જણાવ્યું હતું કે, ડિમાન્ડ સામે ઓછા પુરવઠાને પગલે ખેડૂતોને સમયસર ખાતર મળી શકતું નથી. હાલમાં ખેડૂતોની ડિમાન્ડ પુરવઠા કરતાં ડબલ છે. ગુજકોમાસોલ એ રાજ્યના ખેડૂતોની ૫૦થી ૬૦ ટકા ખાતરની જરૃરિયાત પૂરી પાડે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ખાતરનું વેચાણ માત્ર ૮૭ હજાર ટન હતું. ૨૦૧૨-૧૩માં ઓક્ટોબરમાં ૭૦ હજાર ટન ખાતરનું વેચાણ થયું હતું. હાલમાં ડિમાન્ડ જ ૨ લાખ ટન ખાતરની છે. માટે પુરવઠાને અભાવે ખેડૂતોને સમયસર ખાતર મળી શકતું નથી. ખાતર આયાત કરાયું હોવા છતાં સમય લાગતાં ખેડૂતોમાંથી બૂમરાણ ઊઠી રહી છે. 


દેશમાં જૈવિક ખાતરની માંગ વધી

ગુજરાતમાં ખેડૂતો હવે રાસાયણિક ખાતરોની સાથે બાયોર્ફિટલાઇઝરની પણ ડિમાન્ડ કરવા લાગ્યા છે. સજીવ ખેતીના વધતા વ્યાપ વચ્ચે ખેડૂતો હવે જૈવિક ખાતરોનો વપરાશ વધારી રહ્યા છે. એઝેટોબેક્ટર, બ્લૂ ગ્રીન આલ્ગી, રાઇઝોબિયમ, એઝોસ્પાઇરિલિયમ વગેરે નામથી જાણીતાં આ જૈવિક ખાતરોનો ૨૦૧૧-૧૨માં વપરાશ ૪૦,૩૨૪ ટન હતો જે ૨૦૧૩-૧૪માં વધીને ૬૫,૫૨૮ ટન થયો છે. સજીવ ઉત્પાદનના ખેડૂતોને સારા મળતા ભાવથી ખેડૂતો પણ હવે સજીવ ખેતીમાં ઝંપલાવી રહ્યા છે. હાલમાં કુલ ખાતરના વપરાશ સામે જૈવિક ખાતરના વપરાશની તુલના ઘણી ઓછી હોવા છતાં જૈવિક ખાતરોની ધીમેધીમે દેશમાં માંગ વધી રહી છે. 

રવી સીઝનમાં પણ ખાતરોની માંગ વધશે

દેશમાં રવી સીઝનમાં ૬૦૦ લાખ હેક્ટરથી વધુમાં ખેતી થાય છે. જેમાં મુખ્ય પાક તરીકે ખેડૂતો ઘઉંની વાવણી કરતા હોય છે. દેશમાં ૨૦૧૩-૧૪માં ખાતરના વેચાણના આંક જોઇએ તો યુરિયાના ૧૫૩ લાખ ટન વેચાણ સામે ૨૦૧૪-૧૫માં જરૃરિયાત ૧૬૪ લાખ ટન રહેવાની સંભાવના છે. ખાતરમાં સૌથી વધુ વપરાશ યુરિયાનો રહેતો હોવાથી ભારત દર વર્ષે યુરિયા ખાતરની આયાત કરતું હોય છે. રવી સીઝનમાં યુરિયા સિવાયનાં તમામ ખાતરોની માંગ વધે તેવો અંદાજ કૃષિ વિભાગે મૂક્યો છે. ૨૦૧૩-૧૪માં ડીએપીના ૩૬.૭૩ લાખ ટન વેચાણ સામે ૨૦૧૪-૧૫માં ૪૭.૮૭ લાખ ટન જરૃરિયાત રહેવાનો અંદાજ મુકાયો છે. દેશમાં યુરિયા ખાતર સબસિડાઇઝડયુક્ત વેચાણને પગલે ખેડૂતોની યુરિયાની માંગ વધુ રહે છે.
ગુજરાતમાં ખરીફ સીઝનમાં જ ખેડૂતોને ખાતર ન મળતાં ખેડૂતો તાલુકાના ધક્કા ખાઈ રહ્યા છે. યુરિયાનો સ્ટોક મંડળી પર આવતાં જ ખલાસ થઇ જાય છે. ખાતર એ એલોટમેન્ટના આધારે મળતું હોવાથી ખાનગી કંપનીઓ પણ માંગ મુજબ જ ખાતરનો સપ્લાય કરતી હોય છે એટલે ખાતરની માંગ વધુ જટિલ બની છે.



રવીમાં ખાતરનો વપરાશ અને જરૃરિયાત
               ૨૦૧૩-૧૪              ૨૦૧૪-૧૫
ખાતર       જરૃરિયાત   વેચાણ          જરૃરિયાત
યુરિયા       ૧૭૧.૯      ૧૫૩.૫૫    ૧૬૪.૦૮
ડીએપી      ૪૫.૨       ૩૬.૭૩       ૪૭.૮૭
એમઓપી   ૧૪.૮૭     ૧૦.૯૩      ૧૫.૪૧
એનપીકે     ૫૨.૫૩      ૪૨.૫૫     ૫૦.૨૧
એસએસપી ૪૨.૮૫     ૨૦.૯૫     ૩૫.૦૮

નોંધ  : આંક લાખ ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 1 October 2014

વરસાદની અછત : ખરીફ બાદ રવીને ભારે પડશે


વર્ષ ૨૦૧૪-૧૫માં વાવેતર કરાયેલા ખરીફ પાકોના ઉત્પાદનના અંદાજ અને રવી સીઝનના ઉત્પાદનના લક્ષ્યાંક જાહેર : ખરીફમાં ૯૨૦ લાખ ટન ચોખા પાકશે : રવીમાં ૯૪૦ લાખ ટન ઘઉંનું ઉત્પાદન રહેશે  : વરસાદની ઘટથી રવી ખેતી ખોટકાશે

દેશમાં ઓછો વરસાદ ખરીફ સીઝન બાદ રવી સીઝનને પણ ભારે પડશે. પાણીની અછત અને અનિયમિત વરસાદની વચ્ચે કૃષિ વિભાગે ખરીફ સીઝનના બહાર પાડેલા પ્રથમ અંદાજમાં ખરીફ સીઝનમાં વાવેતર કરાતા તમામ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાના અંદાજો મુકાયા છે. ધાન્ય પાકોના ઉત્પાદનમાં ૬.૯૪ ટકા, કઠોળમાં ૧૩.૬૩ ટકા, તેલીબિયાંમાં ૧૨.૨૭ ટકા અને મોટા અનાજના ઉત્પાદનમાં ૧૪.૨૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ઉપરાંત રવી સીઝનમાં પાક ઉત્પાદનના કૃષિ વિભાગ દ્વારા મુકાયેલા લક્ષ્યાંક પણ ઘઉં, ચોખા અને મકાઇના ઉત્પાદનમાં ઘટાડો થવાનું સૂચવે છે. ઘઉંનું ઉત્પાદન ૨૦ લાખ ટન ઘટીને ૯૪૦ લાખ ટન થવાનો કૃષિ વિભાગ દ્વારા લક્ષ્યાંક મુકાયો છે. રવીમાં ૭ લાખ ટન કઠોળ અને ૬ લાખ ટન મકાઈનું ઓછું ઉત્પાદન રહેશે. એકમાત્ર ખરીફ સીઝનમાં જ ૯૦ લાખ ટન ઉત્પાદન ઘટે તેવી સંભાવના છે.    

વ રસાદ ખેંચાવાને કારણે વિવિધ પાકોની વાવણી મોડી થતાં ખરીફ ઉત્પાદન એક મહિનો મોડું આવવાની શક્યતાઓ વચ્ચે ઉત્પાદન ઓછું આવવાના કૃષિ વિભાગે અંદાજો બહાર પાડયા છે. આ વર્ષે ખરીફ સીઝનની અંદર દેશમાં કુલ ૧૦૧૫ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે કે ગત વર્ષે ૧૦૪૦ લાખ હેક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થયું હતું. જો કે કૃષિ મંત્રાલયે જાહેર કરેલા પહેલા અંદાજ અનુસાર દેશમાં ખરીફ અનાજનું ઉત્પાદન પાછલી સીઝનના મુકાબલે ૯૦ લાખ ટન ઘટશે, વર્ષ ૨૦૧૪-૧૫ની ખરીફ સીઝનમાં ૧૨૯૨ લાખ ટન અનાજનું ઉત્પાદન થવાનું અનુમાન છે. સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ની ખરીફ અને રવી સીઝનમાં અનાજના ઉત્પાદનના અંદાજો અને લક્ષ્યાંક જાહેર કર્યા છે.
  સરકારના અંદાજ મુજબ આ ખરીફ સીઝનની અંદર ૯૨૦ લાખ ટન ચોખાનુંં ઉત્પાદન થશે જ્યારે ઉનાળુ સીઝનમાં ૧૪૦ લાખ ટન ચોખાનું ઉત્પાદન રહેશે, તેવી જ રીતે રવી સીઝનમાં ૯૪૦ લાખ ટન ઘઉંનું ઉત્પાદન રહેવાનો અંદાજ છે. જે ગત વર્ષે ૯૫૯ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. ખરીફ સીઝનમાં મકાઈનું ૧૭૦ લાખ ટન  જ્યારે રવી સીઝનમાં ૬૦ લાખ ટન ઉત્પાદન રહેવાનો અંદાજ છે. કઠોળ પાકોનું ખરીફ સીઝનની અંદર ૭૦ લાખ ટન અને રવી સીઝનમાં ૧૨૫ લાખ ટન ઉત્પાદન રહેવાનો કૃષિ વિભાગે અંદાજ મૂક્યો છે.
દેશમાં ખરીફ સીઝનની અંદર કુલ ૧૨૦૨ લાખ ટન અને રવી સીઝનની અંદર ૧૨૯૦ લાખ ટન અનાજના ઉત્પાદન સાથે કુલ ૨૬૧૦ લાખ ટન અનાજનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જો વાવણીની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૩માં દેશમાં ૩૬૭ લાખ હેક્ટરમાં ચોખાની વાવણી કરવામાં આવી હતી જે આ વર્ષે ૩૬૬ લાખ હેક્ટરમાં થઈ છે. જ્યારે ગત વર્ષે મકાઈની ૮૧ લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી તે આ વર્ષે ઘટીને ૭૭ લાખ હેક્ટરમાં થઈ છે. આ જ પ્રકારે બાજરીની વાવણી ૯૮ લાખ હેક્ટરમાં થઈ છે. જે ગત વર્ષે ૧૧૩ લાખ હેક્ટરમાં કરવામાં આવી હતી. આમ, મોટા અનાજની વાવણી ૫૪૨ લાખ હેક્ટરમાં કરવામાં આવી છે. જે ગત વર્ષે ૫૬૨ લાખ હેક્ટરમાં થઈ હતી. સામાન્ય રીતે ૫૪૯ લાખ હેક્ટરમાં તેનું વાવેતર કરવામાં આવે છે.
દેશ બાદ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખરીફ વાવેતર ૮૫ લાખ હેક્ટરે પહોંચ્યું છે. વર્ષ ૨૦૧૩-૧૪ની ખરીફ સીઝનની અંદર ૭.૯૯ લાખ હેક્ટરમાં ડાંગરની વાવણી કરવામાં આવી હતી અને ૧૬.૭૪ લાખ ટન ઉત્પાદન રહ્યું હતું. જ્યારે રવી સીઝનની અંદર ૧૫ લાખ હેક્ટરની અંદર ઘઉંની વાવણી કરાતાં ઉત્પાદન કુલ ૪૮ લાખ ટન રહ્યું હતું. જો કે આ વર્ષે ઘઉંના પાકને અસર પહોંચવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવી જ રીતે બાજરીની કુલ ૭.૨૭ લાખ હેક્ટરમાં વાવણી થતાં ઉત્પાદન ૧૪.૧૬ લાખ ટન રહ્યું હતું. મકાઈની પણ ૪.૯૦ લાખ હેક્ટરમાં વાવણી કરવામાં આવી હતી અને કુલ ૮.૭૧ લાખ ટન ઉત્પાદન રહ્યું હતું. આમ, કુલ મોટા અનાજનું ઉત્પાદન ૯૧.૬૯ લાખ ટન રહ્યું હતું. 



મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં ઘઉંની વાવણી વધશે

વરસાદની અછતને કારણે ખરીફ ખેતીને તો સીધી અસર પડશે જ પરંતુ સાથે સાથે આ વર્ષનું ચોમાસું રવી પાકોને પણ નડશે તેવા કૃષિ વિભાગના અંદાજ છે. ખાસ કરીને રવી સીઝનમાં પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઘઉંની વાવણીમાં ઘટાડો જોવા મળશે. આ વર્ષે જૂન અને સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાનો વરસાદ ઓછો રહેવાને કારણે રવી પાક પર સીધી અસર જોવા મળશે.
જો કે આ તરફ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં ઘઉંની વાવણી વધે તેવી શક્યતાઓ પણ પ્રબળ બની છે.  જે વિસ્તારોમાં આ વર્ષે પૂરતો વરસાદ નથી થયો ત્યાં રવી સીઝનમાં મોટા અનાજના પાકને અસર પહોંચી શકે છે. પાછલા કેટલાંક દિવસોમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, પરંતુ તે રવી સીઝનમાં ભરપાઈ કરવાને લાયક નથી. એટલે જે વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે તેની સીધી અસર રવી સીઝનની વાવણી પર પડશે. 

પંજાબ અને મહારાષ્ટ્રમાં ઘઉંની ખેતીમાં આંશિક ઘટાડો થશે

ખાસ કરીને રવી સીઝનની વાવણી ઓક્ટોબર માસથી શરૃ થાય છે. આ દરમિયાન ઘઉં, મકાઈ, ચણા, રાયડો તેમજ બટાટાની વાવણી કરવામાં આવે છે. રવી સીઝનનો મુખ્ય પાક ઘઉં છે. ગત રવી સીઝનમાં ૩૧૮ લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી થઈ હતી અને સરકારના ચોથા અનુમાન મુજબ ૯૫૯ લાખ ટન ઘઉંનું ઉત્પાદન રહ્યું હતું. જો રાજ્યવાર વાત કરવામાં આવે તો પંજાબમાં રવી સીઝનમાં ઘઉંની વાવણી ૩૪.૭ લાખ હેક્ટરમાં થવાની ધારણા છે. જ્યારે કે ગત વર્ષે ૩૫.૧ લાખ હેક્ટરની અંદર તેની વાવણી કરવામાં આવી હતી. પંજાબના ખેડૂતો રવી સીઝનમાં ઘઉંને બદલે રાયડો અને કઠોળની ખેતી તરફ વળી શકે છે તેવું કૃષિ વિભાગના અધિકારીઓનું માનવું છે.રાજસ્થાનમાં પણ ઘઉંની વાવણી પાછલા વર્ષના મુકાબલે ૨ લાખ હેક્ટર ઘટીને ૩ લાખ હેક્ટરમાં થવાની આશંકા છે. રાજસ્થાનના ખેડૂતો સપ્ટેમ્બરમાં થયેલા મોડા વરસાદનો લાભ લેવા માટે જવ અને રાયડાની ખેતી તરફ વળી શકે છે. મહારાષ્ટ્રમાં પણ ઘઉંની ખેતી કરતા ખેડૂતો પાણીની અછતને પગલે જુવાર અને ચણાની ખેતી તરફ વળી શકે છે. જો કે આ તરફ હરિયાણામાં ઘઉંની વાવણીને મોટી અસર પહોંચવાની સંભાવનાઓ ઓછી છે. હરિયાણામાં ઘઉંની વાવણી ૨૫.૨ લાખ હેક્ટરમાં થઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં પણ પહેલી ઓક્ટોબરથી ઘઉંની વાવણી શરૃ થઈ જાય છે. જો કે આ વર્ષે રવી સીઝનમાં સરકારના લક્ષ્યાંક પ્રમાણે ૯૬ લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી થશે. જો કે ગત વર્ષ ૨૦૧૩માં ૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંની વાવણી થઈ હતી. આ જ પ્રકારેે બિહારમાં પણ ૨૪ લાખ હેક્ટરમાં ઘઉંની ખેતી થશે, જે ગત વર્ષ કરતાં ૧ લાખ હેક્ટર વિસ્તારમાં વધારે થાય તેવો અંદાજ છે. મધ્યપ્રદેશમાં વર્ષ ૨૦૧૩માં ૫૮.૭ લાખ હેક્ટરમાં ઘઉંની ખેતી થઈ હતી. તે આ વર્ષે વધીને ૬૦ લાખ હેક્ટરમાં થવાનો કૃષિ વિભાગનો અંદાજ છે. 


ખરીફ ઉત્પાદનમાં મસમોટો ઘટાડો થશે
પાક         ૨૦૧૪-૧૫         ૨૦૧૩-૧૪         ટકા
ધાન્ય             ૧૨૦૨                  ૧૨૯૨              - ૬.૯૪
ચોખા             ૮૮૦                     ૯૧૬                -૪
મોટું અનાજ     ૨૭૦                    ૩૧૫               -૧૪.૨૦
મકાઈ             ૧૬૦                   ૧૭૬                 -૯.૩૩
કઠોળ              ૫૨                       ૬૦                  -૧૩.૬૨
તેલીબિયાં       ૧૯૬                    ૨૨૪               -૧૨.૨૭
સોયાબીન         ૧૧૮                 ૧૨૦                -૧.૬૬
શેરડી             ૩૪૨૭                   ૩૫૦૦                -૨.૧
મગફળી           ૫૦                       ૭૮                 -૩૫.૭૨
નોંધઃ ઉત્પાદન લાખ ટનમાં છે.

વિવિધ ક્ષેત્રમાં જીવંત પાણીના સંગ્રહનો જથ્થો
ક્ષેત્ર                 વર્ષ        ટકાવારી
ઉત્તર ભારત          ૨૦૧૪       ૭૨
                          ૨૦૧૩       ૯૫
પૂર્વ ભારત            ૨૦૧૪       ૭૮
                         ૨૦૧૩        ૭૮
પશ્ચિમ ભારત      ૨૦૧૪        ૭૮
                          ૨૦૧૩       ૭૭
મધ્ય ભારત           ૨૦૧૪      ૯૦
                         ૨૦૧૩      ૮૭
દક્ષિણ ભારત        ૨૦૧૪      ૭૨
                         ૨૦૧૩      ૮૨
કુલ                   ૨૦૧૪      ૭૭
                       ૨૦૧૩     ૮૩
૧૦ વર્ષની સરેરાશ              ૭૨

ભારતમાં પાછલા એક દાયકામાં સરેરાશ નોંધાયેલો વરસાદ

વર્ષ           વરસાદ (મિમી)
૨૦૦૪         ૭૭૪.૨
૨૦૦૫         ૮૭૪.૩
૨૦૦૬         ૮૮૯.૩
૨૦૦૭         ૯૪૩.૦
૨૦૦૮        ૮૭૭.૭
૨૦૦૯        ૬૯૮.૨
૨૦૧૦       ૯૧૧.૧
૨૦૧૧       ૯૦૧.૩
૨૦૧૨       ૮૨૩.૯
૨૦૧૩       ૯૩૭.૨
૨૦૧૪       ૮૨૪.૩

published in Gujarat leading agriculture news paper Agro sandesh..