ગુજરાતમાં ગ્રીનહાઉસ બનાવવા એનએચબી અને સ્થાનિક બાગાયતના નિયમો અલગ અલગ : એમ્પેનલમાં હવે માત્ર ૬ કંપનીઓ રહી : ગ્રીનહાઉસમાં ખેડૂતોનો રસ ઓસર્યો
૨૦૦૮-૦૯માં ગુજરાતમાં ગ્રીનહાઉસનો સૂરજ તપતો હતો ત્યારે ખીરાકાકડી, કેપ્સિકમ કે જરબેરાનાં ફૂલોના ટેમ્પાઓ ભરાતા જોઈને ખેડૂતોમાં પણ ગ્રીનહાઉસ જોવાનો જબરો ક્રેઝ હતો. ફલાણા કે ઢીંકણા ભાઇનાં ઘરે જવું છે એમ ગામના ચોરે પૂછાય કે તુરત ચાર જણા ઊભા થઈ રસ્તો બતાવવા તૈયાર થઈ જાય. નામ સાંભળતાં જ ખબર પડી જાય કે ગ્રીનહાઉસ જોવા આવ્યા હશે, સાથે ખેતરમાં ૩૦થી ૪૦ લાખ રૂપિયાનું રોકાણ કરનારની ગણતરી પૈસાદારમાં થવાની સાથે પ્રગતિશીલ ખેડૂત હોવાનો પંથકમાં માન-મોભો જળવાય એ તો નફાનો. સગાંસંબંધી સુદ્ધાં વાતો કરે કે અમારાં સગાંએ હમણાં જ ગ્રીનહાઉસ બનાવ્યું. ગ્રીનહાઉસ કે નેટહાઉસ બનાવીને ૨૦૦૮-૦૯માં આ પ્રકારનો 'રોલો' ભોગવનાર ખેડૂતો હાલમાં ગ્રીનહાઉસનાં નામથી ભાગી રહ્યા છે. ગુજરાતમાં ગ્રીનહાઉસ તો આજે પણ ઊભાં છે પણ તેમાં કાકડી કે કેપ્સિકમને પ્લાસ્ટિકનાં ચીંથરાં ઊડી રહ્યાં છે. અત્યાધુનિક ટેક્નોલોજીના વાયરામાં ખેતરમાં ગ્રીનહાઉસ ઊભાં કરનાર ખેડૂતો આજે પેટભરીને પસ્તાઈ રહ્યા છે, આ એક-બે ખેડૂતની વાત નથી, સંખ્યા ૧૦૦થી વધુ ગ્રીનહાઉસધારકોની છે. કહેવાનો મતલબ જરા પણ એવો નથી કે ગ્રીનહાઉસની ટેક્નોલોજી નિષ્ફળ છે. આજે પણ નવાં ગ્રીનહાઉસ ગુજરાતમાં બની રહ્યાં છે. ગ્રીનહાઉસ અને નેટહાઉસમાં ખેડૂતો સારી કમાણી કરી રહ્યા છે પણ એ રેશિયો ૬૦:૪૦માં વહેંચાઈ ગયો છે. ગ્રીનહાઉસની ટેક્નોલોજી ન સમજનાર ખેડૂતોએ વાવેતર જ છોડી દેતાં બેન્કમાં વ્યાજનું યે વ્યાજ ચડી રહ્યું છે. આજે ખેડૂતોમાં ગ્રીનહાઉસ બનાવવાનો ઉત્સાહ ઓસરી ગયો છે અને ૨૦૧૨-૧૩માં જે ૪૪૧ ગ્રીનહાઉસને મંજૂરી આપી હતી તે ૨૦૧૪-૧૫માં માત્ર ૭૫ થઈ ગઈ છે.
દેવાદાર ખેડૂતો સરકારનાં દ્વાર ખખડાવીને થાકી ગયા છે, ગત સપ્તાહે પણ ગ્રીનહાઉસના ખેડૂતોએ ઉ. ગુજરાતમાં કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપી ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. કૃષિવિભાગના અધિકારીઓ પણ જાણે છે કે આમાં ભરાયેલા ખેડૂતોને છોડાવવા મુશ્કેલ છે. ગુજરાતમાં ૨,૦૯૪ ગ્રીનહાઉસ અને ૩,૩૪૨ નેટહાઉસ ઊભાં છે. દેશમાં પણ એમઆઇડીએચ હેઠળ ૨૦૧૫-૧૬ સુધી ૧૨૪ હેક્ટરમાં હાઇટેક ગ્રીનહાઉસ અને ૪,૦૯૦ હેક્ટરમાં નેટહાઉસમાં ખેતી થાય છે.
ગ્રીનહાઉસની નિષ્ફળતા માટે જવાબદાર કોણ? સરકારી સિસ્ટમ, સરકારી અધિકારીઓ, ગ્રીનહાઉસ બનાવતી ખાનગી કંપનીઓ કે ગ્રીનહાઉસ ટેક્નોલોજી બાબતે અધકચરું જ્ઞાન ધરાવતા ખેડૂતો કે ખાનગી કંપનીઓના કહેવાતા નિષ્ણાતો? જે હોય તે પરંતુ આ તમામ બાબતોમાં આખરે 'મરો' તો ખેડૂતોનો જ થયો છે. કૃષિ વિભાગે તો શરૂઆતની નિષ્ફળતા બાદ ભૂલ સુધારી લીધી છે પણ ત્યાં સુધી મોડું થઈ ગયું છે.
ગ્રીનહાઉસમાં મસમોટી સબસિડી જોઈ એક સમયે એવી પડાપડી હતી કે, સગાંસંબંધીનાં નામે મંજૂરી આપવા માટે રાજકીય અગ્રણીઓ સુધી ભલામણો કરતા હતા. ગુજરાતમાં ગ્રીનહાઉસનું એસોસિયેશન તો છે પણ ઘણા ખેડૂતો આ એસોસિયેશનને અવગણી રહ્યા છે અને એસોસિયેશનને દેવાદાર ખેડૂતોમાં રસ નથી. ગુજરાતમાં કૃષિ વિભાગની ગ્રીનહાઉસ યોજનામાં કેન્દ્ર અને રાજ્યનાં ધોરણો અલગ અલગ કેમ એ જ એક મોટો સવાલ છે. કૃષિવિભાગમાં જ એકમતતા નથી. ગુજરાતમાં ગ્રીનહાઉસ યોજનામાં એમ્પેનલ સમયે આરંભે શૂરાની માફક ૨૬થી ૩૨ જોડાયેલી કંપનીઓ પૈકી હાલમાં માત્ર ૬ કંપનીઓ એમ્પેનલ અંતર્ગત કામગીરી કરી રહી છે, જેમાં ગુજરાતની એક પણ નથી. એમ્પેનલમાં ખેડૂતોને એક એકરમાં ૬૫ ટકા સબસિડીનો લાભ મળે છે. ખેડૂતો માટે સૌથી વધુ સેફ્ટી હોવા છતાં ખેડૂતો એનએચબીની ૫૦ ટકા સહાયનાં ધોરણોમાં પણ ગ્રીનહાઉસમાં બનાવી રહ્યા છે. જેનું મુખ્ય કારણ એનએચબીમાં એક હેક્ટર સુધીનાં ગ્રીનહાઉસમાં સબસિડીનો લાભ અને ગુજરાતની ખાનગી કંપનીઓ ખેડૂતોને ફોસલાવી એનએચબીમાં ઢસડી રહી છે. ગુજરાતમાં નવાં ગ્રીનહાઉસ બનાવતા ખેડૂતોએ ભૂતકાળ તપાસવાની જરૂર છે અને ધૂળ ખાતાં ગ્રીનહાઉસ જોવાની જરૂર છે, જોકે ગ્રીનહાઉસની નિષ્ફળતામાં કૃષિ વિભાગની સાથે ખેડૂતો પણ એટલા જ જવાબદાર છે. ગ્રીનહાઉસમાં સબસિડીની લ્હાયમાં રોકાણ કરનાર હવે ભરાઈ ગયા છે. બેન્કના હપતા અને વ્યાજ ચડી ગયાં છે અને ઘેટાંનાં ઝૂંડની જેમ એકની પાછળ એક દોરવાઇ હવે ગુજરાતમાં ગ્રીનહાઉસમાં નિષ્ફળ થનાર ખેડૂતો સંગઠિત થઇને મોરચો લઇને ફરી રહ્યા છે. ગ્રીનહાઉસમાં નિષ્ફળ ખેડૂતોને ખોટા ઠેરવવાનો ઇરાદો નથી પણ ગ્રીનહાઉસ પ્રોજેક્ટમાં લાખો રૂપિયાનાં રોકાણ બાદ અવગણના કરવી એ પતનની નિશાની છે.