Thursday, 30 April 2015

ખેતીનો ઉદય : ૧૦,૦૦૦ વર્ષનો ઇતિહાસ



૯૫૦૦ વર્ષ પૂર્વે અનાજની આઠમી જાત ઘઉં તરીકે ઓળખાઈ હતી આ સમયગાળા દરમિયાન જવ, વટાણા, મસુર, ચણા  અને જંગલી રાઈનું પણ સંશોધન થઇ ગયું હતું : ખેતીનો સ્વતંત્ર વિકાસ સૌ પહેલાં ઉત્તર અને દક્ષિણ ચીનમાં થયો હતો ત્યારબાદ તેમાં ધીરે ધીરે વધારો થતો ગયો અને આફ્રિકાના સાહેલ, ન્યુ ગીનીઆ અને અમેરિકાના કેટલાક વિસ્તારોની અંદર ફેલાવો થવા લાગ્યો

આ જે ભારતીય ખેતી પ્રગતિના પંથે આગળ વધી રહી છે. ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ખેતીનો હિસ્સો મહત્વનો છે. ખેતી એ જે તે દેશ, રાજ્ય, જિલ્લા કે ગામની પરિસ્થિતીને ટકાવી રાખવાનું કામ કરે છે. ખેતી પર ખેડૂત, મજૂર, માલિક અને દેશનું અર્થતંત્ર ધબકતું રહે છે. ખેતી આજે જેટલી રસપ્રદ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે એટલો જ તેનો ઈતિહાસ રસપ્રદ અને મહત્વપૂર્ણ છે. આજે આપણે અહીં વાત કરીએ ખેતીના ૧૦,૦૦૦ વર્ષ પૂર્વેના અતિ મહત્વપૂર્ણ અને રસપ્રદ ઈતિહાસની...
આજથી ૧૦ હજાર વર્ષ પહેલાં ખેતીનો ઉદય થયો હોવાનું માનવામાં આવે છે. આ વર્ષો બાદ ખેતીમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો હોવાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેતીનો સ્વતંત્ર વિકાસ સૌ પહેલા ઉત્તર અને દક્ષિણ ચીનમાં થયો હતો. ત્યારબાદ તેમાં ધીરે ધીરે વધારો થતો ગયો અને આફ્રિકાના સાહેલ, ન્યુ ગીનીઆ અને અમેરિકાના કેટલાક વિસ્તારોની અંદર ફેલાવો થવા લાગ્યો હતો. ખેતીમાં સિંચાઈ, પાક ફેરબદલી, ખાતર અને દવાઓનો વિકાસ બહુ પહેલા થઈ ચુક્યો હતો. જો કે પાછલી સદીમાં જોરદાર પ્રગતિ નોંધાવી છે. જે ખેડૂતો માટે ફાયદાકારક છે.

૯૫૦૦ વર્ષ પૂર્વે :  ઘઉંનું સ્થાનિક સ્તરે ઉદ્ભવ આ વર્ષોમાં થયું હોવાનું કહેવામાં આવે છે. હોલોકેનના લેવન્ટ પ્રાંતની અંદર ઘઉંની જાતનું સૌ પ્રથમ સંશોધન થયું હતું. ત્યારબાદ ધીરે ધીરે ઘઉંનો વાવેતર વિસ્તાર વધવા માંડયો હતો અને તે દક્ષિણ-પશ્ચિમ એશિયાથી વધીને ઉત્તર આફ્રિકા સુધી તેનો ફેલાવો થયો હતો. ૯૫૦૦ વર્ષ પૂર્વે અનાજની આઠમી જાત ઘઉં તરીકે ઓળખાઈ હતી. આ સમયગાળા દરમિયાન જવ, વટાણા, મસુર, ચણા  અને જંગલી રાઈનું પણ સંશોધન થયું હતું.

૮૦૦૦ વર્ષ પૂર્વે પશુઓના પુરાવા : આજથી ૮ હજાર વર્ષ પહેલા પશુઓને પાલતું બનાવાયા હોવાના પુરાવા મળ્યા છે. ૮૦૦૦ વર્ષ પૂર્વે લોકો ખોરાક માટે, દૂધ માટે, માંસ માટે, લોહી માટે અને માલવાહક તરીકે પણ ઉપયોગ કરતા હતા. ઉત્તર-પશ્ચિમ એશિયામાં ખાસ કરીને ચીન, મંગોલીયા અને કોરીયામાં ૫૦૦૦ વર્ષ પૂર્વે પશુઓને પાલતુ બનાવાયા હોવાના પુરાવા છે. તો આફ્રિકાના કેપલેટી, અલ્જેરીયા જેવા દેશોમાં પણ તેનો વ્યાપ વધવા લાગ્યો હતો. જે ઇતિહાસમાં ધરબાયેલો છે.


૭૦૦૦ વર્ષ પૂર્વે જવની ખેતી : ૭ હજાર વર્ષ પૂર્વે બલુચિસ્તાન અને પાકિસ્તાનમાં ઘઉં અને જવની ખેતીના પુરાવા મળ્યા છે. આ સિવાય દક્ષિણ એશિયામાં ઘેટાં અને બકરાંનું પાલન કરતા હોવાના પણ પુરાવા મળ્યા છે. ૭,૦૦૦ વર્ષ પૂર્વે આ ખેતીની વાવણી અને કાપણી મેસોપોટેમીયા અને ગલ્ફ કંટ્રીમાં ફેલાઈ હોવાના પણ પુરાવાઓ છે.

૬૫૦૦ વર્ષ પૂર્વે તુર્કીમાં પ્રાણીઓને પાલતું બનાવાયા : ૬૫૦૦ વર્ષ પૂર્વે તુર્કીના લોકોએ પાલતુ પ્રાણીઓનો સ્વીકાર કરી લીધો હતો. જેમાં ઘેટાં, બકરા, ડુક્કર અને શ્વાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

૬૦૦૦ વર્ષ પૂર્વે : આજથી ૬ હજાર વર્ષ પૂર્વે સિંધુ ખીણમાં કઠોળ પાકની વાવણીનો ઉદભવ થયો હોવાના પુરાવા છે. આ સિવાય ઘઉં, કપાસ અને શેરડીની ખેતી પણ આજ દાયકા દરમિયાન થઈ હોવાનો પણ પુરાતત્વ વિભાગોના અહેવાલોમાં ઉલ્લેખ કરાયો છે. ૬ હજાર વર્ષ પૂર્વે નારંગીની ખેતીની પણ શરૃઆત થઈ હોવાનું માનવામાં આવે છે. સિંધ ખીણમાં ૪,૦૦૦ વર્ષ પૂર્વે ખાસ કરીને ઘઉં, વટાણા, તલના બિયારણ, જવ, બાજરી, ખજૂર અને કેરીની ખેતી હોવાના પુરાવા છે. જ્યારે કે ૩૫૦૦ વર્ષ પૂર્વે કપાસની ખેતીનો ઉદભવ થયો હતો. તો ૩૦૦૦ વર્ષ પૂર્વે ડાંગર અને ચોમાસાની સીઝન દરમિયાન શેરડીની ખેતીનો આરંભ થયો હોવાના પણ અહેવાલો છે.

૫૪૦૦ વર્ષ પૂર્વે  : આ સમય ગાળા દરમિયાન મરઘીને પાલતુ બનાવાઈ હોવાના પુરાવા સામે આવ્યા છે. દક્ષિણ-પૂર્વ એશિયાના મોટાભાગના વિસ્તારોમાં લાલ જંગલી મરઘાંઓના પુરાવા જોવા મળ્યા હતા. જો કે કેટલાંક લોકોનું માનવું છે કે ૮૦૦૦ વર્ષ પહેલા થાઈલેન્ડમાં મરઘાંને પાલતુ પક્ષી તરીકે ઉછેરવામાં આવતા હતા. જો કે પાછળથી આ પ્રજાતિનો વ્યાપ યુરોપ અને આફ્રિકાના દેશોમાં થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

૫૦૦૦ વર્ષ પૂર્વે : આ સમયગાળા દરમિયાન આફ્રિકાની અંદર ડાંગર અને ઘાસચારાની ખેતી અપનાવવામાં આવતી હતી. સ્થાનિક સ્તરે આ ખેતીનો સ્વતંત્ર વિકાસ થયા બાદ ધીરે ધીરે તે પશ્ચિમ આફ્રિકા અને યુથોપીયાથી લઈને ન્યુ ગીનીઆ સુધી પહોંચી હતી.

૪૦૦૦ વર્ષ પૂર્વે : પ્લાઉ અને સીડ ડ્રિલનું સંશોધન થયું હોવાના પુરાવા છે. ખાસ કરીને યુક્રેનમાં તેનો પહેલો પ્રયોગ થયો હોવાનું માનવામાં આવે છે.

૩૦૦૦  વર્ષ પૂર્વે : આ સમયગાળા દરમિયાન ભારતમાં હળદર, ઈલાયચી, મરી અને રાયડાની કાપણી કરાઇ હતી.

૨૭૩૭ : ૨૭૩૭ વર્ષ પુર્વે ચીનમાં સૌ પ્રથમ ચાનું સંશોધન થયું હોવાના પુરાવા છે. ચીનના શેનોંગ પ્રાંતમાં ચાનું સફળ સંશોધન થયું હતું.

૨૦૦૦ વર્ષ પૂર્વે : આ સમયગાળા દરમિયાન બેબીલોનમાં પવન ચક્કીની શોધ થઈ હોવાના પુરાવા છે.
૧૦૦૦ વર્ષ પૂર્વે  : ૧૦૦૦ વર્ષ પૂર્વે ન્યુ ગીનીઆમાં શેરડીની ખેતી થતી હોવાના પુરાવા મળ્યા છે. ધીરે ધીરે તેનો ફેલાવો થતો ગયો અને તે દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતમાં થતો ગયો હતો અને શેરડી અંગે લોકો માહિતગાર થયા હતા ત્યારબાદ તેમાંથી રસ, ગોળ અને અન્ય ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરવાની શરૃઆત કરવામાં આવી હતી.

૫૦૦ વર્ષ પૂર્વે : આ સમયગાળા દરમિયાન ચીન અને યુરોપમાં બિયારણના ઉગાવામાં બન્ને દેશોએ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી હોવાના અહેવાલ છે. યુરોપીયન દેશોના લોકો દ્વારા બિયારણનો છૂટી છવાઈ જગ્યાઓએ નાંખીને ઉગાવો કરવામાં આવતો હતો. જ્યારે કે ચીનના લોકો દ્વારા બિયારણનું નુકસાન ઓછું કરવા માટે એક પછી એક બિયારણની રોપણી કરીને ઉગાવો મેળવવાની પદ્ધતિ અપનાવવામાં  આવી હતી.

૨૦૦ વર્ષ પૂર્વે : આજથી ૨૦૦ વર્ષ પહેલા ચીનમાં મલ્ટી-ટયુબ સીડ ડ્રિલનું સંશોધન કરવામાં આવ્યું હતું. આ સીડ ડ્રિલની મદદથી જમીનની અંદર બીજની રોપણી કરવામાં આવતી હતી. હાથથી બીજની વાવણી થતી હોવાને કારણે ઉત્પાદકતામાં મસમોટું નુકસાન આવતું હતું. જેની સામે મલ્ટી ટયુબ સીડ ડ્રિલ કારગત સાબિત થયું હતું.

આ તો વાત થઈ ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે થયેલા ખેતીના ઈતિહાસની ત્યારબાદ પણ ખેતીમાં અવનવા સંશોધન થતા આવ્યા છે જેમાં વર્ષ ૧૫૯૯માં રોમમાં પહેલીવાર પ્રેક્ટીકલ ગ્રીન હાઉસ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૭૦૦માં બ્રિટીશ એગ્રીકલ્ચર રિવોલ્યુશન, ૧૮૦૦માં વર્ષમાં કેમીકલયુક્ત ખાતરોના વપરાશનો પ્રારંભ, ૧૮૩૭માં સ્ટીલ પ્લાઉનું સંશોધન, ૧૮૭૯માં મિલ્કીંગ મશીનનું સંશોધન, ૧૮૯૨માં ગેસોલાઈન પાવર ટ્રેક્ટરનો ઉપયોગ અને વર્ષ ૧૯૦૦માં ઈન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચરનો ઉદ્ભવ થયો હતો. તો વર્ષ ૧૯૩૦માં પહેલી પ્લાન્ટ પેટર્નનું સંશોધન અને વર્ષ ૧૯૩૯માં ડીડીટીનો વધતો વ્યાપ પણ ખેતીના ઈતિહાસ સ્થાન નોંધાવે છે.  વર્ષ ૧૯૪૪માં ગ્રીન રિવોલ્યુશન અને વર્ષ ૧૯૭૨માં ઓર્ગેનિક ખેતીની ચળવળનો પ્રારંભ પણ વૈશ્વિક ખેતીના ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 27 April 2015

‘અેગ્રો સંદેશ’ની ડબલ સેન્ચૂરી


ગુજરાતના અગ્રેસર કૃષિ સમાચારપત્ર ‘અેગ્રો સંદેશ’ ને ખેડૂતોનો હંમેશાં સાથ મળ્યો છે. ખેડૂતોઅે અેગ્રો સંદેશ પર મૂકેલા વિશ્વાસને હંમેશાં અેગ્રો સંદેશે નિભાવ્યો છે. જેને પગલે અાજે અેગ્રો સંદેશ સફળતાના સોપાનો સર કરી રહ્યું છે. અેગ્રો સંદેશે 27 અેપ્રિલ 2015ના રોજ 200 અંક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.





published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 20 April 2015

કૃષિક્ષેત્રના આધાર પર 'બ્રેક'


દેશભરમાં આરકેવીવાયના ફંડમાં ૫૦ ટકાનો કાપ : માર્ચમાં જૂના પ્રોજેક્ટો પૂર્ણ કરી નવા પ્રોજેકટને મંજૂરી ન આપવા રાજ્યોને પરિપત્ર કરાયા બાદ એપ્રિલમાં યોજનામાં ફેરફાર કરાયો :  હવે કેન્દ્ર માત્ર ૫૦ ટકા ફંડ જ આપશે :ગુજરાતને મોટો ફટકો, દર વર્ષે રૃ.૫૦૦ કરોડની થતી ફાળવણી :  કૃષિ વિભાગના નવા પ્રોજેક્ટો લંબાશે: બાગાયત, ખેત ઓજાર, પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યોદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોની ૫૭૮૬ જેટલી પરિયોજનાઓ પાછળ ૧૧મી પંચર્વિષય યોજનામાં ૨૧,૫૮૬ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી હતી

દેશના કૃષિક્ષેત્રના વિકાસ માટે આધાર સમાન રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના બજેટમાં સરકારે ૫૦ ટકા કાપ મૂકતાં કૃષિ વિભાગના કરોડોના નવા પ્રોજેક્ટો લંબાઇ જશે. ૧૧મી પંચર્વિષય યોજનામાં રૃ.૨૧ હજાર કરોડ રૃપિયાની ફાળવણીથી દેશના કૃષિ વિકાસદરમાં એક ટકાનો વધારો થયો હતો. કૃષિક્ષેત્રની મહત્વની આ યોજનામાં ૧૦૦ ટકા કેન્દ્રની ફાળવણીથી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનું રાજ્યોના કૃષિક્ષેત્રના વિકસમાં મહત્વ વધ્યું હતું. બજેટમાં આ વર્ષે માત્ર રૃપિયા ૪૫૦૦ કરોડની ફાળવણી થતાં ૨૦૧૫-૧૬ના નવા પ્રોજેક્ટો સ્થગિત કરી જૂના પ્રોજેક્ટો પૂર્ણ કરવા રાજ્ય સરકારોને આદેશ કરાયો છે. જોકે, એપ્રિલ મધ્યમાં સરકારે નવો પરિપત્ર કરી યોજના અંતર્ગત ૫૦ ટકા ફંડ જ આપવાનો નિર્ણય લેતાં હવે આ યોજનામાં ૫૦ ટકાનો હિસ્સો રાજ્ય સરકારનો રહેશે.  ગુજરાતને આ યોજના હેઠળ રૃ.૫૦૦ કરોડનું ફંડ ફળવાતું હોવાથી રાજ્યના કૃષિવિભાગના આયોજનો પર મોટો ફટકો પડે તેવી સંભાવના છે. કેન્દ્રના આ નિર્ણયથી રાજ્યોને રૃ.૫૫૦૦ કરોડના આયોજનો પર સીધો ફટકો પડશે

કૃ ષિ અને સંબંધિત ક્ષેત્રોનો વિકાસ કરવા માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭-૦૮માં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૃઆત કરવામાં આવી હતી. આરકેવીવાય હેઠળ ૧૧મી પંચવર્ષીય યોજના દરમિયાન ૨૨,૪૦૮.૭૬ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આ સહાય હેઠળ દેશના વિવિધ રાજ્યોમાં બાગાયતી, કૃષિ ઓજારો, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યોદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોની ૫૭૮૬ જેટલી પરિયોજનાઓ પાછળ ૨૧,૫૮૬.૬ કરોડ રૃપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ અનેક કામગીરી હાથ ધરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ અને તેના સંબંધિત ક્ષેત્રોનો વિકાસ કરીને ર્વાિષક વૃદ્ધિ દર ઊંચો લઈ જવો તેમજ ખેડૂતો અને ખેતીનો વિકાસ કરવાનો  છે. આ યોજના હેઠળ સમયે સમયે ભારત સરકાર દ્વારા વિશેષ સ્કીમ પણ દાખલ કરવામાં આવે છે જેનો ખેડૂતો અને ખેતીને સીધો લાભ પણ મળે છે. આ યોજનાને આગામી બજેટમાં ખાસ મહત્વ ન અપાતા આરકેવીવાય યોજના હેઠળ માત્ર રૃપિયા ૪૫૦૦ કરોડની જ ફાળવણી કરાઇ છે. આમ ૫૦ ટકા જ ફાળવણી થતાં દેશમાં આરકેવીવાય યોજના હેઠળ ચાલતા મોટાભાગના પ્રોજેક્ટોને ધક્કો પડયો છે.  હવે સરકારે આરકેવીવાય યોજનામાં કેન્દ્રનો હિસ્સો ૫૦ ટકા અને રાજ્યનો હિસ્સો ૫૦ ટકા કરી દેતાં હવે રાજ્યોએ નવેસરથી આયોજન કરવું  પડશે. દેશમાં કૃષિ વિકાસ દર ૩થી ૪ ટકાના દરે જળવાઇ રહ્યો છે તે આ યોજનાને આભારી હોવાનું કહેવાતું હતું. જોકે, બજેટ વિના આરકેવીવાય યોજનાનું આ વર્ષે મહત્વ ઘટયું એ ચોક્ક્સ છે.

રાજ્યમાં આરકેવીવાય યોજનાનીઉત્તમ કામગીરી

ગુજરાતમાં એનીમલ ફાર્મ : સાબરકાંઠા જિલ્લાના આકોદરામાં આવેલી પશુહોસ્ટેલ આરકેવીવાય યોજનાનું ઉત્તમ ઉદાહરણ છે. પશુ હોસ્ટેલ માટે થયેલા ૫૮૪ લાખ રૃપિયા પૈકી ૪૩૪ લાખ રૃપિયા આરકેવીવાય યોજના હેઠળ ફાળવાયા હતા. રાજ્યમાં જમીન ચકાસણી પ્રયોગશાળા કેન્દ્રો, ખેતઓજાર ચકાસણી કેન્દ્ર, જૂનાગઢ અને ગામડાઓમાં ખેતતલાવડીઓ આરકેવીવાય યોજનાના ઉત્તમ ઉહાહરણો છે. આરકેવીવાય યોજના હેઠળ ૧૦૦ ટકા ફંડની ફાળવણી થતી હોવાથી આ યોજના હેઠળ રાજ્યમાં ઉત્તમ કામગીરી થઇ છે.


યોજના કેવી રીતે શરૃ થઇ?
૨૦૦૭માં ૨૯ મેના રોજ રાષ્ટ્રીય કૃષિ વિકાસ પરિષદની એક બેઠકમાં કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે એક રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનો અમલ કરવાનો મામલો ચર્ચામાં હાથ ધરાયા બાદ ૨૦૦૭-૦૮માં આ યોજનાની અમલવારી શરૃ થઇ ગઇ હતી. ખાસ કરીને ૧૧મી યોજના હેઠળ આ યોજના હેઠળ બાગાયતી પાકોના વિકાસ, કૃષિ યાંત્રીકરણ, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યપાલન સહિતની વિવિધ ૫૭૬૮ યોજના માટે ૨૧,૫૮૬ કરોડની ફાળવણી કરાઇ હતી. જેના પરિણામ સ્વરૃપ ૧૦મી પંચર્વિષય યોજનામાં ૨.૪૬ કૃષિ વિકાસ દર ૧૧મી યોજનામાં ૩.૬૪ ટકાએ પહોંચ્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો સુધી કૃષિક્ષેત્રની નવી ટેકનોલોજીઓને સરળતાથી પહોંચાડવાનો છે. દૃ

આ યોજના હેઠળ કયા ક્ષેત્રનો સમાવેશ
 *           બરછટ અનાજ, કઠોળ અને નાના ધાન્યપાકોના વિકાસનો સમાવેશ
*           કૃષિમાં યાંત્રિકરણ
*           જમીન આરોગ્ય અને ઉત્પાદકતા વધારવી
*           વરસાદ આધારિત સિસ્ટમનો વિકાસ
*           સંકલિત જંતુવ્યવસ્થાપન
*           બજાર માળખું
*           બાગાયતનો વિકાસ
*           પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલન
*           ઓર્ગનિક અને બાયો ખાતર
*           અનોખી યોજનાઓ
*           સંસ્થાઓનેે કૃષિ અને બાગાયત વગેરે પ્રોત્સાહન પૂરું પાડવું
*           કૃષિ સંશોધન અને શિક્ષણ
*           કૃષિ માર્કેટીંગ, ખાદ્ય સંગ્રહ અને ગોડાઉન, કૃષિ નાણાકીય સંસ્થાઓ અને અન્ય કૃષિ સહકાર કાર્યક્રમો હેઠળ આરકેવીવાય યોજના હેઠળ પ્રોત્સાહન અપાય છે. 

ગુજરાતમાં વર્ષે રૃ.૫૦૦ કરોડની થતી ફાળવણી : આરકેવીવાય યોજના ગુજરાતના ખેડૂતો માટે ઘણી અગત્યની છે. આ યોજના હેઠળ ગુજરાતને રૃપિયા ૫૦૦ કરોડની આસપાસ ફાળવણી થાય છે. ગુજરાતના કૃષિ યાંત્રીકરણ, સૂક્ષ્મસિંચાઇ, ગ્રીનહાઉસ અને નેટહાઉસ જેવા મોટાભાગના પ્રોજેક્ટો આ યોજના પર નિર્ભર છે. દર વર્ષે આ યોજના હેઠળ ૨૦થી ૨૫ પ્રોજેક્ટો નવા અમલમાં મૂકાય છે. આ બજેટમાં આરકેવીવાય યોજનામાં ૫૦ ટકા કાપ મૂકાતાં નવા આયોજનો લટકી પડે તેવી સંભાવના છે. દેશમાં શરૃઆતમાં ૪૫૦૦ કરોડનું જ બજેટ ફળવાતાં હવે નવી યોજનાઓ માટે રાજ્ય સરકારોએ હિસ્સો ઉમેરવો પડશેે. આ યોજનાની સાતત્યતા માટે દિલ્હી સ્થિત આરકેવીવાય યોજનાના નાયબ સચિવ સાથે ટેલિફોનીક વાતચીત કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, આરકેવીવાય યોજનામાં હવે નિયમો બદલાયા છે. જેમાં હવે કેન્દ્ર અને રાજ્યનો ૫૦ ટકા હિસ્સો રહેશે. હવે ૨૦૧૫-૧૬ના તમામ નવા પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનો ૫૦ ટકા હિસ્સો રહેશે.  ગુજરાત કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરકેવીવાય યોજનામાં ભારત સરકાર ફંડીગ પેટર્ન ચેન્જ કરવા માટે વિચારણા કરી રહી છે. આ મામલે ગુજરાત સહિત અન્ય રાજ્યો પાસે અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે અને અન્ય રાજ્યોના અભિપ્રાય આવશે ત્યારબાદ કેન્દ્ર સરકાર ફંડીંગ પેટર્ન મુદ્દે કામગીરી આગળ વધારશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો ફંડીંગ પેટર્ન એટલે કે નાણાંકીય ભંડોળમાં ફેરફાર થશે તો કૃષિ ક્ષેત્રના વિકાસ અને આયોજનો પર ચોક્કસ અસર થશે.

આરકેવીવાય યોજના હેઠળ કેન્દ્રમાંથી થતી ફાળવણી
વર્ષ                     પ્રોજેક્ટ       ફાળવણી
૨૦૧૪-૧૫         ૧૯૪૬   ૧૦,૯૬૩
૨૦૧૩-૧૪         ૧૪૮૩   ૧૦,૦૦૫
૨૦૧૨-૧૩         ૧૮૧૦   ૧૨,૪૦૭
૨૦૧૧-૧૨         ૧૬૧૪   ૮૮૦૯
૨૦૧૦-૧૧         ૧૬૧૪   ૮૩૮૮
૨૦૦૯-૧૦         ૧૧૭૨   ૪૭૪૮
નોંધ ઃ ખર્ચના આંક કરોડ રૃપિયામાં છે.

ગુજરાતમાં આરકેવીવાય હેઠળ થતી જોગવાઇ
વર્ષ                    પ્રોજેક્ટ        જોગવાઇ
૨૦૧૪-૧૫         ૨૯        ૫૯૩
૨૦૧૩-૧૪         ૨૪        ૫૫૭
૨૦૧૨-૧૩         ૧૧૮     ૫૮૬
૨૦૧૧-૧૨         ૮૭        ૫૧૫
૨૦૧૦-૧૧         ૧૦૬     ૩૫૩
૨૦૦૯-૧૦         ૬૧        ૩૮૬
નોંધ ઃ ફાળવણીના આંક કરોડમાં છે.




આરકેવીવાય : ગુજરાતમાં ૨૦૧૪-૧૫માં ૨૯ પ્રોજકટ અમલમાં


રા ષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને પણ કરોડો રૃપિયાની ફાળવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં પણ આરકેવીવાય યોજના હેઠળ ડેરી, મત્સ્ય, બિયારણ ક્ષેત્રથી લઈને વિવિધ પાક સંરક્ષણ પર ભાર આપવા માટે કરોડો રૃપિયાની ફાળવણી કરવામાં આવી છે.
૧. ખેતઓજાર :રાજ્યમાં કૃષિ યાંત્રિકરણનો બહોળો વ્યાપ છે. આજે મજૂરોની અછતને પગલે ખેડૂતો સ્વખર્ચે વિવિધ મશીનરી વસાવીને મજૂરોની અછતની ઘટ પુરી કરી રહ્યાં છે. ખેતી અને ખેડૂતોનો વિકાસ થાય તે હેતુથી આરકેવીવાય યોજના હેઠળ કૃષિક્ષેત્રમાં યાંત્રિકિકરણ પાછળ ૨૮૧ કરોડ રૃપિયાની  જોગવાઈ કરવામાં આવી છે.
૨. પશુપાલન : ૨૦૧૪-૧૫માં પશુપાલન ક્ષેત્ર હેઠળ નવા ૭ પ્રોજેક્ટ મૂકાયા હતા. જેમાં પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોનો વિકાસ થાય તે હેતુથી ૫૦૦ નવા એઆઈ સેન્ટરની સ્થાપના કરવા માટે તેમજ મોબાઈલ લેબોરેટરી વાન માટે ૧ કરોડ તેમજ પશુપાલનની વિવિધ સ્કીમ પાછળ ૨૦થી ૨૫ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૩. પાક ઉત્પાદન :  પાક વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં ચોખા અને ઘઉંની ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવા પાક વિકાસ ક્ષેત્ર હેઠળ કુલ ૮ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૪. ડેરી વિકાસ :સહકારી દૂધ મંડળીઓને ૨૭૫૦ જેટલા મિલ્કિંગ મશીન યુનિટની સ્થાપના કરવા માટે રૃ.૧૫ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૫. મત્સ્યપાલન :  યોજનામાં મત્સ્યઉદ્યોગને પણ આવરી લેવામાં આવ્યો છે. આજે ગુજરાતના મોટાભાગના બંદરો પરથી મત્સ્યોદ્યોગ ધમધમી રહ્યો છે. આ ઉદ્યોગને ધ્યાને રાખીને કેન્દ્ર દ્વારા રાજ્યોને ભંડોળ પુરું પાડવામાં આવે છે. ૨૦૧૪-૧૫માં બે પ્રોજેક્ટ હાથ ધરાયા હતા. જેમાં રાજ્યમાં પણ મત્સ્યોદ્યોગ માટેનું સુવિધાજનક માર્કેટ ઉભું થાય તે માટે વલસાડ, નવસારી, બિલિમોરા, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે ૮ કરોડ રૃપિયા જ્યારે દાહોદ જિલ્લામાં પણ મત્સ્ય બજારની માળખાગત સુવિધા ઉભી કરવા માટે અલગથી ૧ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૬. બાગાયત : બાગાયત ક્ષેત્રમાં પણ આરકેવીવાય યોજનાનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. બાગાયતના વિકાસ માટે ૨૦૧૪-૧૫માં કૃષિ વિભાગ દ્વારા આરકેવીવાય યોજના હેઠળ નવા સાત પ્રોજેક્ટ અમલમાં મૂકાયા હતા. રાજ્યના પછાત જિલ્લાઓમાં આદુ, હળદર, ડુંગળી અને લસણની ઉત્પાદકતા અને ઉત્પાદન વધે તે માટે ૧૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખજૂરના ટિશ્યૂકલ્ચર રોપાનો વાવેતર વિસ્તાર વધે તે માટે રૃ. ૬ કરોડ, વાડી સ્થિત ખેત વૃક્ષ સ્થાપના અને મેનેજમેન્ટ માટે રૃ.૨૧ કરોડ, શાકભાજીની પ્લગ નર્સરી માટે રૃ.૫૪ કરોડ, વિવિધ શાકભાજી પાકો માટે રૃ.૩૩ કરોડ, કેળની ખેતીના વિકાસ માટે રૃ. ૩૮ કરોડ, પેકહાઉસમાં શાકભાજી પાકોની ખેતી માટે ૮ કરોડ રૃપિયાની સહાય પુરી પાડવામાં આવી છે.
૭. સંકલિત જંતુ વ્યવસ્થાપન :  ખેતીમાં ઉંદરોના વધતા ત્રાસને રોકવા માટે ઉંદરોના નિયંત્રણ માટે પણ આરકેવીવાય યોજના હેઠ એક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો જેની માટે ૨.૧૪ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઇ હતી.
૮. સૂક્ષ્મ સિંચાઇ :  રાજ્યમાં સિંચાઈની સુવિધાઓ વધે તે માટે પછાત વિસ્તારોમાં ચેકડેમ તેમજ સિંચાઈ સુવિધાનું માળખું ઉભુ થાય તે માટે ૧૫ કરોડ રૃપિયાના ભંડોળનું આયોજન કરવામાં આવ્યું છે.
૯. જળસંચય વ્યવસ્થાપન : રાજ્યમાં ખેત તલાવડીઓનો વ્યાપ વધે અને તેના થકી ખેડૂતોને સિંચાઈમાં લાભ મળે અને પાક ઉત્પાદન વધે તે માટે પણ ૪૫૦ કરોડ રૃપિયાની કૃષિલક્ષી કાર્યોની જોગવાઈ કરવામાં આવી છે.
૧૦. ઓર્ગેનિક ર્ફાિંમગ : ઓર્ગેનિક અને બાયોફર્ટીલાઈઝર ક્ષેત્રમાં પણ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ લાખો રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના નવસારી જિલ્લામાં અત્યાધુનિક ર્વિમકંપોસ્ટ ઉત્પાદન યુનિટની સ્થાપના કરવા માટે રૃ.૨૦ લાખ ના ભંડોળનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૧ સંશોધન : રાજ્યમાં ખાનગી ધોરણે પણ ટિશ્યૂકલ્ચર શેરડીના રોપાના ઉત્પાદન માટે લેબોરેટરી બનાવવા આરકેવીવાય યોજના હેઠળ ૬૯ લાખ રૃપિયાની જોગવાઇ કરાઇ હતી.

૧૨ બિયારણ :  બિયારણ ક્ષેત્રમાં ૬ નવા પ્રોજેક્ટની શરૃઆત કરાઇ હતી. શાકભાજી, હાઈબ્રીડ અનાજ અને ફાયબર પાકોનું ઉત્પાદન વધારવા માટે ૩ કરોડ રૃપિયા, બીજ ઉન્નતીકરણ માટે ૩૬ કરોડ, આરકેવીવાય યોજના હેઠળ ર્સિટફાઈડ બીજનું ઉત્પાદન વધારવા માટે ૧૪ કરોડ, બીજ ઉત્પાદનમાં ભાગ લેનાર ખેડૂતો માટે ૩ કરોડ અને મગફળીના સંવર્ધક બીજ ઉત્પાદન માટે ૧૫ લાખ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. 

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 13 April 2015

જીરુંના ભાવમાં તેજીથી ખેડૂતો રાજી


ગુજરાતના ખેડૂતો પાસે જ ગુણવત્તાવાળું જીરું : ગુજરાતમાં જીરુંના પાકમાં માત્ર ૯ હજાર હેક્ટરમાં નુક્સાન : એપ્રિલ વાયદો ક્વિન્ટલે રૃ.૧૭ હજારને પાર : રાજસ્થાનમાં ૩.૩૯ લાખ હેક્ટર વાવેતર પૈકી ૨.૪૧ લાખ હેક્ટરમાં જીરુંના પાકને નુક્સાન : ચીનની માંગથી નિકાસમાં ૨૯ ટકાનો ઉછાળો : ગત વર્ષ કરતાં ૪૦ ટકા ભાવ વધ્યા : જીરુંમાં ૩૦થી ૪૦ ટકા વરસાદથી નુક્સાની : ગુજરાતના ખેડૂતોને ઉંચા ભાવ મળે તેવી શક્યતા : જીરુના વૈશ્વિક વિશ્વમાં વિશ્વમાં જીરુંના ઉત્પાદનમાં ભારતનો ફાળો ૭૦થી ૮૦ ટકા : સારા ગુણવત્તાવાળા જીરુંનો ભાવ મે માસ સુધીમાં ૧૮,૦૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલના સ્તરે પહોંચી શકે છે : માર્ચ ૨૦૧૪માં ગુજરાતમાં ૧,૦૩,૯૪૩ ટન જીરુંની આવક સામે માર્ચ ૨૦૧૫માં ૩૨,૧૫૭ ટન આવક થઇ : ચીનમાં નબળા પાકને પગલે ચીને ભારત પાસેથી વિપુલ પ્રમાણમાં જીરુંની ખરીદી કરી : રાજસ્થાનમાં આ વર્ષે ૩.૩૯ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું

મસાલાપાકોમાં અગ્રેસર જીરુંના વાવેતરમાં ૩૦થી ૪૦ ટકાના ઘટાડા બાદ કમોસમી વરસાદથી પાકને ૨.૫૦ લાખ હેક્ટરમાં નુક્સાનથી જીરુંના ભાવમાં લાલઘૂમ તેજી જોવા મળશે. ગત વર્ષ કરતાં હાલમાં ૪૦ ટકાનો ભાવ વધારો છતાં ક્વિન્ટલે ભાવ રૃ.૧૮,૦૦૦એ પહોંચે તેવી સંભાવના છે. વરસાદથી રાજસ્થાનમાં ૩.૩૯ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર પૈકી ૨.૪૧ લાખ હેક્ટરમાં નુકસાન છે. રાજ્યમાં પણ ૨.૬૪ લાખ હેક્ટરમાંથી ૯ હજાર હેક્ટરમાં નુકસાનીના આંકથી દેશમાં સારી કવોલિટીયુક્ત જીરું ફક્ત ગુજરાતના ખેડૂતો પાસે જ છે. દેશમાં જીરુંનું ઉત્પાદન ૩ લાખ ટનથી પણ ઓછંુ થવાની સંભાવના છે. દેશમાંથી ચીનની સારી નિકાસ માંગને પગલે નિકાસ ૨૯ ટકા વધીને ડિસેમ્બર સુધી ૧.૨૮ લાખ ટનના આંકને વટાવી ગઇ છે. હાલમાં ગુજરાતમાં જીરુંનો મણનો ભાવ નીચામાં રૃ.૨૨૦૦થી લઇને ઉંચામાં રૃ.૩૮૦૦ સુધી ચાલી રહ્યા છે.  રાજસ્થાનમાં પણ જીરુંનો ભાવ પ્રતિ મણે રૃ.૨૪૦૦થી રૃ.૩૦૦૦ ચાલી રહ્યો છે. આ તમામ પરીબળો દર્શાવે છે કે, જીરુંની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે સારા ભાવ મળશે તેવા ઉજળા સંજોગો છે.
જીરુુંના વાવેતર અને ઉત્પાદનમાં ભારત એ અગ્રેસર દેશ છે. ભારતમાં જીરુંનો ઉપયોગ હંમેશાં મસાલાપાક તરીકે થાય છે. તુર્કી અને સીરીયામાં પણ જીરુંનો ઉપયોગ દવાઓ અને મસાલા તરીકે થાય છે. મસાલા માર્કેટની કુલ નિકાસમાં જીરુંનો હિસ્સો હંમેશાં ૨૦થી ૩૦ ટકા હોય છે. દેશમાં સૌથી વધુ જીરુંનું વાવેતર રાજસ્થાન બાદ ગુજરાતમાં થાય છે. રાજસ્થાન અને ગુજરાત મળી દેશનું કુલ ૮૦ ટકા જીરું પકવે છે. જીરુંનું વાવેતર ગુજરાતમાં ઓક્ટોબર, નવેમ્બરમાં થતાં ઉત્પાદન ફેબ્રુઆરીથી લઇને માર્ચ સુધી આવતું હોય છે. રાજસ્થાનમાં પણ નવેમ્બરના મધ્યથી લઇને ડિસેમ્બર સુધી વાવેતર કરાતું હોય છે. જીરુંના વૈશ્વિક ઉત્પાદનમાં પણ ભારતનો ફાળો ૭૦થી ૮૦ ટકા છે. ભારત બાદ તુર્કી, સીરીયા, ઇરાન, પાકિસ્તાન, ઇજિપ્ત, અફઘાનિસ્તાન અને ચીલીમાં જીરુંનું વાવેતર થાય છે. સીરીયામાં ૨૫ હજાર ટન અને તુર્કીમાં ૧૫ હજાર ટન જીરુંનું ઉત્પાદન થાય છે. દેશમાં પણ ગુજરાત અને રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ, પશ્વિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં જીરુંનું આંશિક વાવેતર થાય છે. ભારતમાંથી સૌથી વધુ નિકાસ અમેરિકા, બ્રિટન, જાપાન, બ્રાઝિલ, બાંગ્લાદેશ, સીંગાપુર અને ચીનમાં થાય છે. આ વર્ષે ચીનની માંગ વધતાં નિકાસમાં ઉછાળો આવ્યો છે.       



મે માસથી જુલાઈ માસ સુધી જીરુંના ભાવમાં તેજી રહેશે :  ફેબ્રુઆરીમાં આ વર્ષે કમોસમી વરસાદને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં જીરુંની ખેતી પર માઠી અસર પડી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ના શરૃઆતના પહેલા ૯ મહિનાની અંદર જીરુંની નિકાસ ૨૮ ટકા વધીને ૧.૨૮ લાખ ટને પહોંચી ગઈ છે. જો કે આ તરફ સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડિયાએ વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝન માટે ૧ લાખ ટન જીરુંની નિકાસ થવાનો લક્ષ્યાંક સેવ્યો હતો. માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે લગભગ ૨.૫ લાખ હેક્ટરમાં ફેલાયેલી જીરુંની ખેતીને નુકસાન પહોંચ્યું છે. જેને કારણે આ વર્ષે ઉત્પાદન ઘટવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જીરુંના ઓછા ઉત્પાદનની સંભાવનાઓને કારણે આગામી ત્રણ ચાર મહિનામાં ભાવમાં તેજીનો માહોલ સર્જાઈ શકે છે. સારા ગુણવત્તાવાળા જીરુંનો ભાવ મે માસ સુધીમાં ૧૮,૦૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલના સ્તરે પહોંચી શકે છે. કારણ કે માર્ચ માસમાં વરસાદને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં લગભગ ૨.૫ લાખ હેક્ટરમાં ફેલાયેલા જીરુંના પાકને નુકસાન પહોંચ્યું છે. કૃષિ મંત્રાલયના આંક અનુસાર રાજસ્થાનમાં ૨.૪૧ લાખ હેક્ટરમાં જીરુંના પાકનો સોંથ વળી ગયો છે. ગુજરાતના કૃષિ વિભાગના બીજા આગોતરા અંદાજ અનુસાર આ વર્ષે ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન ઘટીને ૧.૯૮ લાખ ટન થવાની સંભાવના છે. જ્યારે કે પાછલા વર્ષે રાજ્યમાં ૩.૪૭ લાખ ટન જીરુંનું ઉત્પાદન નોંધાયું હતું. આ બધી ઘટનાઓ વચ્ચે જીરુંના મુખ્ય ઉત્પાદક દેશ એવા સીરિયા અને તુર્કીમાંથી પણ પુરવઠો ઘટયો છે અને ભારત મુખ્ય નિકાસકાર દેશ બની ગયો છે. વર્તમાન સમયમાં ૨૮ ટકાના વધારા સાથે ચીનમાં સૌથી વધારે જીરુંની નિકાસ કરવામાં આવી રહી છે. જેની સીધી અસર આગામી દિવસોમાં ભાવ પર જોવા મળી શકેે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩-૧૪માં ૧,૨૧,૫૦૦ ટન જીરુંની ભારતમાંથી નિકાસ કરવામાં આવી હતી. જેની કુલ કિંમત ૧૬૦૦ કરોડ રૃપિયા હતી. માવઠાની અસર હાલમાં જીરુંની આવક પર જોવા મળી રહી છે. માર્ચ માસ દરમિયાન ગુજરાતમાં જીરુંની આવકોમાં ઘટાડો નોંધાયો છે. માર્ચ ૨૦૧૪માં ગુજરાતમાં ૧,૦૩,૯૪૩ ટન જીરુંની આવક સામે માર્ચ ૨૦૧૫માં ૩૨,૧૫૭ ટન આવક થઇ છે. જોકે, રાજસ્થાનમાં ચિત્ર ઉલટું છે. માર્ચ ૨૦૧૪માં જીરુંની માત્ર ૧૪૫૪ ટન આવક સામે આ વર્ષે માર્ચ ૨૦૧૫માં ૬૯૯૮ ટન એટલે કે પાંચ ગણી આવક વધી છે. આ વર્ષે જીરુંના ઉત્પાદનમાં ૪૦થી ૫૦ ટકા ઘટાડો થવાની સંભાવનાથી જીરુંના ભાવમાં ગત વર્ષની સાપેક્ષે ૪૦ ટકા વધુનો ઉછાળો છે.  આ વર્ષે નબળા વાવેતરની સામે માવઠાથી નબળા ઉત્પાદનના કારણે જીરંુ બજારમાં લાલઘૂમ તેજી જોવા મળી રહી છે. મસાલા બોર્ડના અંદાજ કરતાં પણ જીરુંની નિકાસમાં વધારો થયો છે. માવઠાને પગલે ગુજરાતમાં નવ હજાર હેક્ટરમાં અને રાજસ્થાનમાં ૨.૪૧ લાખ હેક્ટરમાં જીરુંના પાકને નુક્સાન થયું છે. આમ સરેરાશ પાકને નુક્સાનથી આ વર્ષે ખેડૂતોને જીરુંના સારા ભાવ મળવાની સંભાવના છે. જેથી ગુણવત્તાયુક્ત જીરંુનો સંગ્રહ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે. 

રાજ્યમાં જિલ્લાદીઠ જીરુંનું વાવેતર
જિલ્લો               વાવેતર
કચ્છ                   ૫૧૦૦    
બનાસકાંઠા           ૬૮,૫૦૦
પાટણ                 ૩૫,૫૦૦
મહેસાણા             ૩,૪૦૦
અમદાવાદ            ૨૩,૬૦૦
સુરેન્દ્રનગર           ૭૩,૩૦૦
રાજકોટ              ૫,૬૦૦
પોરબંદર              ૧૩,૫૦૦
જૂનાગઢ              ૧૧,૭૦૦
મોરબી                ૧૭,૭૦૦
નોંધ ઃ વાવેતર હેક્ટરમાં છે.

ગુજરાતમાં જીરુંના વાવેતરમાં મોટો ઘટાડો 
ગુજરાતમાં આ વર્ષે જીરુંના વાવેતરમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં જીરુંનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩.૮૦ લાખ હેક્ટર છે. ગયા વર્ષે રાજ્યમાં જીરુંનું વાવેતર ૪.૫૫ લાખ હેક્ટરમાં થયું હતું. જ્યારે આ વર્ષે માંડ ૨.૬૪ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જીરુંના ઓછા મળતાં ભાવથી ખેડૂતોએ જીરુંનો વાવેતર વિસ્તાર કપાસને ફાળવી દેતાં જીરુંના વાવેતરમાં ઘટાડો નોંધાયો હતો. રાજસ્થાનમાં પણ જીરુંના વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાન અને ગુજરાતમાં દેશના કુલ ઉત્પાદનનું ૮૦ ટકા જીરું પાકે છે. રાજસ્થાનમાં ગત વર્ષે ૩.૯૦ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું આ વર્ષે ૩.૩૯ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું છે.

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુંના ભાવનું સરવૈયું
                 વર્ષ ૨૦૧૫                        વર્ષ ૨૦૧૪
તારીખ                 નીચો      ઉંચો            તારીખ           નીચો      ઉંચો
૯ એપ્રિલ            ૨૧૦૦   ૩૮૮૧   ૯ એપ્રિલ            ૧૪૫૬   ૨૭૫૫
૭ એપ્રિલ            ૧૯૦૦   ૩૭૫૧   ૭ એપ્રિલ            ૧૪૫૭   ૨૭૫૦
૨ એપ્રિલ            ૨૧૦૦   ૩૪૩૧   ૨ એપ્રિલ            ૧૪૨૫   ૨૪૭૫
૨૬ માર્ચ ૨૦૫૦   ૩૩૯૦   ૨૬ માર્ચ ૧૪૧૧   ૨૪૫૫
નોંધ ઃ પ્રતિ મણના ભાવ છે.

દેશ-વિદેશમાં જીરુંના ભાવને અસર કરતાં પરિબળો : જી રુંએ ભારતના મસાલા પાકોમાંનો એક મુખ્ય પાક છે. ભારતમાં ખાસ કરીને ઓક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન તેની વાવણી કરવામાં આવે છે. જ્યારે ફેબ્રુઆરીથી માર્ચ માસ દરમિયાન તેની કાપણી થતી હોય છે. તેવી જ રીતે સીરીયા, તુર્કી અને ઈરાનમાં નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન તેની વાવણી કરવામાં આવે છે અને જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન તેની કાપણી કરવામાં આવે છે. ભારત બાદ સિરીયામાં જીરુંનો પાક મુખ્ય ગણવામાં આવે છે. અહીં મુખ્યત્વે ૨૦થી ૨૫ હજાર ટન જીરુંનું ઉત્પાદન થાય છે. જેમાંથી ૧૦થી ૧૫ ટકા જેટલો સ્થાનિક વપરાશ કરવામાં આવે છે. જ્યારે કે મોટાભાગનો પાક સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા જેવા દેશોને નિકાસ કરવામાં આવે છે.
ઈરાન : આ દેશ માટે પણ જીરુંનો પાક અતિ મહત્વનો ગણવામાં આવે છે. અહીના ખોરાસન વિસ્તારમાં ૪,૦૦૦ હેક્ટરની અંદર જીરુંની ખેતી કરવામાં આવે છે અને અંદાજે ૧૫,૦૦૦ હજાર ટન જેટલું ઉત્પાદન કરવામાં આવે છે. જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન તેની કાપણી થતી હોય છે. સ્થાનિક વપરાશ બિલકુલ સીમિત છે જ્યારે કે મોટાભાગની નિકાસ અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વના દેશોને કરવામાં આવે છે. ઈરાની જીરુંનું ઉત્પાદન ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં મુખ્ય ભુમિકા ભજવે છે. જો આ જીરુંનું ઉત્પાદન ઘટે તો સીધી જ માંગ પર અસર વર્તાય છે. જેને કારણે ઈરાની જીરુંના ભાવ પણ વધી શકે છે. ઈરાન અને સિરિયામાં જીરુંના ઉત્પાદનમાં ૧૦થી ૧૫ હજાર ટનનો ફરક જોવા મળે છે. પરંતુ તે પણ ભાવને અસર કરી શકે છે.

એપ્રિલથી જુલાઈ : ભારતમાં સામાન્ય રીતે ફેબ્રુઆરીથી માર્ચ માસ દરમિયાન કાપણી થતી હોય છે. જ્યારે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મહત્વપૂર્ણ ગણાતા એવા સિરિયા અને તુર્કીમાં જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન નવા પાકની આવકો શરૃ થતી હોય છે. એટલે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓછા સ્ટોકની સામે માંગ વધારે રહેતા સીધી જ ભાવ પર અસર પડે છે. એટલે કે બન્ને દેશોની કાપણી સીઝન અલગ અલગ હોવાથી ભારતીય જીરુંના ભાવ એપ્રિલથી લઈને ઓગસ્ટ માસના મધ્ય સુધીમાં ઊંચા રહી શકે છે. એટલું જ નહીં વિદેશની સાથે સાથે ભારતીય જીરુંના ખાસ કરીને માર્ચ મહિના સુધી ભાવ ઘટેલા રહે છે. પરંતુ જેવું કાપણી કાર્ય પૂર્ણ થાય છે ત્યારબાદ નવા જીરુંની આવક અને માંગ બન્નેમાં વધારો જોવા મળે છે. ભારતની અંદર ખાસ કરીને ઉત્તર ભારતમાં ઉનાળાની સીઝન દરમિયાન જીરુંની માંગ વધે છે જેને કારણે ભાવને બળ મળી જાય છે.

ઓગસ્ટથી ઓક્ટોબર : જુલાઈ માસના પ્રારંભથી જીરુંના માર્કેટમાં થોડો ઘટાડો જોવા મળે છે. ખાસ કરીને આ એવો સમયગાળો છે જ્યારે તુર્કી અને સિરિયામાં જીરુંની કાપણી શરૃ થતી હોય છે. અને આ જીરુંના ભાવ ભારતીય જીરું કરતા ઓછા હોય છે. નિકાસકારો પણ આ સમયે મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં સારા વરસાદનો આધાર રાખીને બેઠા હોય છે. જો વરસાદ સારો થાય તો અન્ય પાકોની વાવણી પર નિકાસકારોનો આધાર રહેલો હોય છે. એટલે સારો વરસાદ પણ બજારની ગતિવિધીઓ પર અસર કરે છે. કારણ કે જો વરસાદ સારો થાય તો જમીનમાં ભેજનું પ્રમાણ વધે છે જેે આગામી મહિનાઓમાં થતી વાવણી અને ઉત્પાદન બન્ને પર અસર કરે છે.

નવેમ્બરથી માર્ચ : આ મહિના દરમિયાન વાતાવરણ મુખ્ય ભૂમિકા ભજવે છે. ઓક્ટોબર મહિનામાં વાવણી પહેલા જો વરસાદ સારો થાય તો તે ફાયદાકારક માનવામાં આવે છે. સાથેજ શિયાળાની સીઝનમાં તાપમાન પણ એટલું જ મહત્વનું માનવામાં આવે છે. ઠંડુ વાતાવરણ જીરુંના પાકના ઉત્પાદનને અસર કરે છે. પરંતુ જો આ સમયગાળા દરમિયાન વરસાદ પડે તો ઉભા પાકની સાથે સાથે જીરુંના પાકને પણ નુકસાન થાય છે. ખાસ કરીને નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન અમેરિકા અને યુરોપીયન દેશોમાં નિકાસ માંગ વધે છે. જેને કારણે ભાવને સપોર્ટ મળે છે. એટલે ઓવરઓલ વાતાવરણ વાવણી વિસ્તાર, ઉત્પાદન, પાકનો વિકાસ અને કાપણી દરમિયાન અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેથી ખેડૂતોએ આ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૃર છે.



જીરુંના પાકની વાવણી અને કાપણીની સ્થિતિ : દેશ અને વિદેશ સહિત રાજ્યમાં પણ જીરુંના પાકની વાવણી અને કાપણીની સ્થિતી બિલકુલ અલગ અલગ હોય છે. દરેક વિસ્તારમાં વાતાવરણ એ જીરુંના પાકમાં મુખ્ય ભુમિકા ભજવતો હોવાથી ખેડૂતો પણ અલગ અલગ સીઝનની અંદર આ પાકની વાવણી કરતા હોય છે. જીરુંમાં આ વર્ષે ઓછા ઉત્પાદન વચ્ચે ઊંઝા માર્કેટયાર્ડમાં રાજસ્થાની જીરુંનો ગત સપ્તાહે ઉંચામાં ઉંચો ભાવ મણે રૃ.૪૧૦૦ પડયો હતો. ભાવમાં વધારો થવાની સંભાવના હોવાથી ખેડૂતો પણ આ વર્ષે તક જોઇને વેપાર કરશે તો સારી કમાણી કરી શકશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો અહીં ઓક્ટોબર માસના મધ્યથી નવેમ્બર માસના મધ્યગાળા સુધીમાં જીરુંની વાવણી કરવામાં આવે છે. જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસના મધ્યગાળામાં કાપણી કરવામાં આવે છે. તેવીજ રીતે ઉત્તર ગુજરાતમાં નવેમ્બર માસમાં વાવણી થાય છે. જ્યારે ફેબ્રુઆરીથી માર્ચ માસના મધ્યગાળા સુધીમાં કાપણી કરવામાં આવે છે. તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં નવેમ્બરથી ડિસેમ્બર માસના મધ્યગાળામાં વાવણી થાય છે અને માર્ચ મહિનામાં કાપણી કરવામાં આવે છે.
વિવિધ દેશોમાં જીરુંની નિકાસના આંક
દેશ                 નિકાસ (ટકામાં)
વિયેતનામ            ૧૩
અમેરિકા             ૧૧
યુએઈ                ૧૦
ઈજીપ્ત              ૬
નેપાલ               ૫
સ્પેન                 ૫
બ્રાઝિલ              ૫
મલેશિયા             ૩
સાઉદી અરેબિયા    ૪
પાકિસ્તાન           ૪
બાંગ્લાદેશ            ૨
મેક્સિકો              ૨
તુર્કી                    ૨
અન્ય                 ૨૪
(નિકાસના આંક વર્ષ ૨૦૧૨-૧૩ની સ્થિતીએ ગણવા)

જીરુંના પાકની વાવણી અને કાપણીની સ્થિતિ
દેશ           વાવણી સમય                 કાપણી સમય
ભારત     ઓક્ટોબરથી નવેમ્બર          ફેબ્રુઆરીથી માર્ચ
સિરીયા   નવેમ્બરથી ડિસેમ્બર            જૂનથી સપ્ટેમ્બર
તુર્કી        નવેમ્બરથી ડિસેમ્બર            જૂનથી સપ્ટેમ્બર
ઈરાન     નવેમ્બરથી ડિસેમ્બર            જૂનથી સપ્ટેમ્બર

published in Gujarat leading agriculture news paper Agro sandesh..


Monday, 6 April 2015

કેરી મોડી અને મોંઘી આવશે


કેરીના પાક માટે વાતાવરણ વિલન સાબિત થયું  : કેસર કેરીમાં સૌથી વધુ નુકસાન :  કેસરનો માત્ર ૩૦થી ૪૦ ટકા જ પાક બચ્યો  ડિસેમ્બરના ફ્લાવરિંગની કેરી જ આંબા પર બચી : તાલાળામાં તો કેસરના પાકને ૮૦ ટકા નુકસાન : વિસાવદર, ધારી અને વંથલીમાં ૬૦થી ૬૫ ટકા નુકસાન : કેરીનું ઉત્પાદન સરેરાશ ૩૦થી ૩૫ ટકા ઓછું આવશેઃ ૨૦મી મે આસપાસ તાલાળા માર્કેટયાર્ડમાં કેરી આવે તેવી સંભાવના : નિકાસ આંકમાં ૨૫થી ૩૦ ટકાનું ગાબડું પડશે : કેરીના ખરીદદારોએ ૧૦ કિલોના બોક્સે રૃ.૧૦૦થી ૧૫૦ વધુ ચૂકવવાની તૈયારી રાખવી પડશે : ગોંડલમાં કેસર કેરીના ૧૦ કિલોના રૃપિયા ૭૦૦થી ૭૭૭ ભાવ પડયા

રાજ્યમાં કેરીના પાક માટે વાતાવરણ વિલન સાબિત થતાં આ વર્ષે કેરીનો પાક મહિનો મોડો આવવાની સાથે સરેરાશ ૩૦થી ૩૫ ટકા ઓછો આવશે. ગત વર્ષે ગુજરાતમાં ૧૧.૨૫ લાખ ટન કેરીનો પાક બજારમાં આવ્યો હતો. આફૂસ, રાજાપુરી, તોતાપુરી અને કેસરની સરખામણીએ સૌથી વધુ વાતારવરણની અસર કેસરના પાક પર થઇ છે. કેસર કેરીના પાકને સરેરાશ ૬૫થી ૭૦ ટકા નુકસાન છે. તાલાળામાં ૨૦મી મે આસપાસ કેરી બજારમાં આવે તેવી સંભાવના છે. કેરીના ઓછા ઉત્પાદનની અસર નિકાસ ઉપર પણ જોવા મળતાં નિકાસ આંકમાં ૨૫થી ૩૦ ટકાનું ગાબડું પડવાની સંભાવના છે. ગત વર્ષે કેરીની નિકાસ પર પ્રતિબંધથી કેરીના ભાવ પાણી પાણી થઇ ગયા હતા. આ વર્ષે નિકાસ પરનો પ્રતિબંધ હટતાં કેરીના ખેડૂતોને સારા ભાવ મળવાની આશા હતી પરંતુ પાક જ હાથમાં ન હોવાથી ખેડૂતોને મોટાપાયે નુક્સાની થઇ છે. કેરી રસિકોએ પણ પ્રતિ રૃ.૧૦ કિલોના બોક્સે રૃ.૧૦૦થી ૧૫૦ વધુ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ઇયુનો પ્રતિબંધ હટતાં નિકાસ માંગ સારી રહી તો ખેડૂતોને ઉત્તમ ક્વોલીટીની કેરીના સારા ભાવ મળે તેવી આ વર્ષે ઉજળી શક્યતા છે.

રાજ્યમાં કેરીના ખેડૂતોની સ્થિતિ સૌથી કફોડી
સૌરાષ્ટ્રમાં કેસર અને દક્ષિણ ગુજરાતમાં આફૂસ, રાજાપુરી અને તોતાપુરી કેરીનો પાક થાય છે. જેમાં સૌથી વધુ વાતાવરણનો ભોગ કેસર કેરી બની છે. જૂનાગઢ કૃષિ યુનિ.ના વૈજ્ઞાાનિક ડો. આર. આર. વિરડીયાએ જણાવ્યું હતું કે, કેસરમાં સૌથી વધુ નુકસાન તલાલા પંથકમાં છે. જ્યાં માત્ર ૨૦થી ૨૫ ટકા જ પાક બચ્યો છે. વિસાવદર, ધારી અને વંથલી પંથકમાં ૩૦થી ૪૦ ટકા સરેરાશ નુક્સાની છે. તાલાળામાં તો એ સ્થિતિ છે કે, કેટલાક ખેડૂતોને તો પોતાની વાડીની કેરી ખાવા નહીં મળે. સરેરાશ વાતાવરણ જ ખરાબ રહેતાં ખેડૂતોએ મોટી નુક્સાની ભોગવવી પડી છે. બીજી તરફ ખેડૂતો તો માત્ર ૧૦થી ૧૫ ટકા જ પાક હોવાની બૂમરાણ મચાવી સરકાર મદદ કરે તેવી માંગણી કરી રહ્યા છે. આંબાનો પાક વીમા યોજના હેઠળ રાજ્યમાં ન હોવાથી ખેડૂતોને આ વર્ષે મોટાપાયે નુક્સાન જવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ આફૂસ કેરીમાં ૨૫થી ૩૦ ટકાની સરેરાશ નુક્સાની હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જોકે, બાગાયત વિભાગે ખેડૂતોને નુક્સાની શૂન્ય હોવાનો રિપોર્ટ કરતાં ખેડૂતો ગાંધીનગર સુધી રજૂઆતો કરવાની તૈયારી આરંભી રહ્યા છે. ખેડૂતોને ગત વર્ષે પણ આફૂસ કેરી પરના નિકાસ પ્રતિબંધથી ભાવ નહોતા મળ્યા. આ વર્ષે  પણ ભાવ ન મળતા ખેડૂતો હવે આંબા કપાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.



રા જ્યમાં ચાલુ વર્ષે કેરીના પાકે ઘણાં બધાં ગ્રહણોનો સામનો કરવો પડયો છે. રાજ્યમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન અનુક્રમે નવસારી, જૂનાગઢ અને વલસાડ જિલ્લામાં થાય છે. રાજ્યમાં ગત વર્ષે કેરીનું કુલ ઉત્પાદન ૧૧.૨૫ લાખ ટન રહ્યું હતું.  પરંતુ આ વર્ષે સ્થિતિ તદ્ન અલગ છે. માર્ચ મહિનામાં વરસેલા વરસાદ અને સરેરાશ ખરાબ વાતાવરણથી કેરીના પાકને મોટાપાયે નુક્સાન થયું છે.  સૌરાષ્ટ્રમાં કેરીના પાકને વાતાવરણની અસરથી સૌથી મોટો ફટકો પડયો છે. આફૂસ, રાજાપુરી અને તોતાપુરીમાં પણ નુક્સાન છતાં સરકારી સર્વેમાં કેરીના પાકને નુક્સાન થયું હોવાનો રિપોર્ટ નીલ આવતાં વલસાડ જિલ્લાના ખેડૂતો ધૂઆપૂઆ થયા છે. આફૂસમાં પણ વાતાવરણ અને માવઠાની અસર નડી છે. ખેડૂતોએ તો સરકારી સર્વે જ ખોટો થયો હોવાનો આરોપ લગાવી રહ્યા છે અને ફરી સર્વે કરવા સરકારને રજૂઆત કરવાની પણ તૈયારીઓ આરંભી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં વાડીના માલિકો કેરીમાં ૩૫થી ૪૦ ટકાથી વધુ નુક્સાન થયું હોવાનું જણાવી રહ્યા છે જ્યારે સરકારી તંત્ર કેરીનો પાક દક્ષિણ ગુજરાતમાં સારો હોવાની સાથે સરેરાશ વાતાવરણની અસર થઇ હોવાનું સ્વીકારી રહી છે. જોકે, માવઠાથી કેરીના પાકને સીધું ૫૦ ટકા નુકસાન થયું હોવાના તથ્યને સ્વીકારી ન શકાય તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે. કેરીનો પાક દક્ષિણ ગુજરાતમાં ત્રણ સ્ટેજે આવ્યો છે. જેમાં ડિસેમ્બર સમયે ફ્લાવરિંગ થનારા પાકની સ્થિતિ હાલમાં સારી છે. વરસાદથી કેરીના પાકમાં આવેલી ફૂગ પણ ધોવાઇ ગઇ હોવાનું બાગાયતના સૂત્રો જણાવી રહ્યા છે. આ સિવાય અન્ય સ્ટેજમાં થયેલા ફ્લાવરિંગમાં નુક્સાનની અસર છે. સરેરાશ તથ્ય એ છે કે આફૂસ, રાજાપુરી અને તોતાપુરીનો પાક પણ દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષની તુલનાએ ઓછો ઉતરશે.

કેરીની ગુણવત્તા પર ભાવનો આધાર

કેરીમાં સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રમાં થયું છે. જૂનાગઢ બાગાયત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે વાતાવરણ જ કેરીના પાક માટે વિલન સાબિત થયું છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં માવઠાથી કેરીના પ્રથમ સ્ટેજમાં જ સમસ્યા સર્જાઇ હતી. હાલમાં કેરી વટાણાના સ્ટેજે છે. શિયાળો પણ લાંબો ચાલતા કેરીના પાકને ફ્લાવરિંગના તબક્કામાંથી ફળના સ્ટેજે પહોંચવા ગરમીનું યોગ્ય પ્રમાણ ન મળતાં કેરી નાની રહી ગઇ છે. શિયાળામાં ઝાકળ પડવાની સાથે ફેબ્રુઆરીના અંત અને માર્ચના પ્રથમ સપ્તાહમાં પડેલા વરસાદથી પણ કેરીના પાકને મોટું નુક્સાન થયું છે. તાલાળા અને વંથલીમાં કેરીના પાકને સમસ્યા છે. તાલાળામાં કેટલીક વાડીમાં આંબા ૫૦ વર્ષથી વધુ વયના હોવાથી ત્યાં પણ ઉત્પાદનમાં સમસ્યા સર્જાઇ છે. સરેરાશ કેસર કેરીના પાકને વાતાવરણની અસરથી ૭૦ ટકા કરતાં પણ વધુ નુક્સાન થતાં કેરી આ વર્ષે મોંઘી થવાની સંભાવના છે. જોકે, હવે કેરીની ક્વોલિટી પર ભાવનો આધાર છે.

કમોસમી વરસાદે કેરીનો સ્વાદ 'કડવો' બનાવ્યો

કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે સમગ્ર દેશમાં કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં માવઠાને કારણે કેરીના પાકને નુકસાન તો થયું જ છે સાથે સાથે ઉત્પાદન પર પણ માઠી અસર જોવા મળી છે. ફ્લાવરીંગ સમયે કરા અને વાવાઝોડાની સ્થિતીને કારણે દેશમાં ૩૦થી ૪૦ ટકા જેટલા કેરીના પાકને નુકસાન થયું છે. જેમાં સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાં અસર જોવા મળી છે. નુકસાનને કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં ઓછું આવવાના અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે. ઓછા ઉત્પાદનને કારણે નિકાસ પર પણ અસર થશે અને ૨૫થી ૩૦ ટકા જેટલી નિકાસ ઘટી શકે છે. કમોસમી વરસાદ પહેલાં નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ દ્વારા તેના બીજા અંદાજમાં ભારતમાં કેરીનું કુલ ૧૯૨.૭ લાખ ટન ઉત્પાદન રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો જ્યારે કે ગત વર્ષે ૧૮૪.૨ લાખ ટન ઉત્પાદન રહ્યું હતું. આ વર્ષે વાતાવરણે કેરીના ઉત્પાદનના તમામ અંદાજો પર પાણી ફેરવી નાંખ્યું છે. એનએચબીના મત પ્રમાણે કમોસમી વરસાદને કારણે ઉત્પાદન તો ઘટશે જ, સાથે સાથે નિકાસ અને ભાવ પર પણ અસર વર્તાશે. ગત વર્ષ કરતા આ વર્ષે ઓછા ઉત્પાદનને કારણે ભાવમાં ૪૦થી ૫૦ ટકા જેટલો વધારો થઈ શકે છે. ભારત ખાસ કરીને પાકિસ્તાન તેમજ તાઈવાન જેવા દેશોની સાથે હરીફ રહીને યુરોપીયન દેશો તેમજ મધ્ય પૂર્વના દેશોમાં કેરીની નિકાસ કરે છે. ભારતીય મૂળના લોકો ખાસ કરીને આફૂસ, કેસર, બેંગાલ બેલી, સફેદા સહિતની વિવિધ વેરાયટીઓની ભારતીય માર્કેટમાંથી ઉંચા ભાવે આયાત કરે છે. જો કે, આ વર્ષે વિદેશના લોકોને પણ કેરીનો મીઠો મધુરો સ્વાદ ચાખવામાં રાહ જોવી પડી શકે છે. કારણ કે ભારતમાં ઉત્પાદન ઓછું રહેશે તો નિકાસમાં પણ અછત વર્તાઈ શકે છે.



કેરીના ભાવમાં ૫૦ ટકાનો વધારો રહેવાના અંદાજ

દેશ સહિત રાજ્યના વિવિધ વેપારીઓના મતે ગુજરાતના કચ્છ અને જુનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનથી  કારણે ભાવમાં સીધો જ ૫૦ ટકાનો વધારો થઈ શકે છે અને આફૂસ કેરીના પ્રતિ ડઝનના ભાવ ૬૦૦થી ૧૫૦૦ રૃપિયા રહી શકે છે. આગામી દિવસોમાં નિકાસ કેવી રહેશે તેના આધારે ભાવ વધારો પણ નક્કી થઈ શકે છે. પરંતુ વર્તમાન સમયમાં કેરળ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી સફેદા, ચૌસા, દશેરી સહિતની વિવિધ કેરીઓની વેપારીઓ આયાત કરીને સ્થાનિક માંગને પુરી કરી રહ્યાં છે. જો કે ૫૦ ટકાથી વધુ ઉત્પાદન ઘટવાને કારણે વેપારીઓ આગામી દિવસોમાં કેરીના ભાવ વધે તેવી આશા સેવીને બેઠા છે.

૧૫મી મેના આસપાસ કેરી તાલાળામાં આવશે

આ વર્ષે કેરીના પાકમાં વિલંબને પગલે કેરીનો પાક ૧૫મી મેની આસપાસ એટલે કે એક મહિનો મોડી આવશે. વ્યક્તિગત ખેડૂતોને કેરીના અભાવથી નુક્સાન આવશે પણ કેરી બજારમાં આવશે. માંગ સામે પુરવઠો ઓછો હોવાથી ખેડૂતોને કેરીના સારા ભાવ મળશે એ ચોકક્સ છે તેમ તાલાળા માર્કેટયાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જાસણિયાએ જણાવ્યું હતું. ફ

બજારમાં કેરીનો પાક આવવાનો યોગ્ય સમયગાળો
રાજ્ય                     સીઝન                              કેરીની જાતો
આંધ્રપ્રદેશ            ફેબ્રુઆરી-મધ્ય જુલાઇ         બંગનપાલી, તોતાપુરી,
                        સુવર્ણલેખા, નીલમ
ગુજરાત              એપ્રિલ-જુલાઇ                 કેસર, રાજાપુરી, હાફૂસ
કર્ણાટક                એપ્રિલ-જુલાઇ                 બંગનપાલી, તોતાપુરી, નીલમ,
મહારાષ્ટ               માર્ચ-જુલાઇ                    આફૂસ, કેસર, પૈરી
ઉત્તર પ્રદેશ           મે- ઓગસ્ટ                     બોમ્બે ગ્રીન, દશેરી, આમ્રપાલી,
                                                                   ચૌસા
કેરી ઉત્પાદનમાં ગુજરાત પાંચમા ક્રમે

રસ મધૂરી કેરીની સીઝન પુર બહારમાં ચાલુ થશે. દેશ -વિદેશમાં કેરીની અનેક સારી જાતોનું વાવેતર અને ઉત્પાદન થાય છે. જેમાં ઓછા રેસા અને વધુ મીઠાશ માટે ગુજરાતની કેસર કેરી પ્રખ્યાત છે. આથી જ તો સૌરાષ્ટ્રની ખ્યાતનામ કેસર કેરીની યુરોપ તથા આરબ દેશોમાં દર વર્ષે સારી માંગ રહે છે. ઘર આંગણે પણ કેસર કેરીનો જ સૌથી વધુ ઉપાડ રહે છે. રાજયમાં અમદાવાદ એરકાર્ગો પરથી ૨૦૧૧-૧૨માં ૩૪૬ ટન કેરીની નિકાસ થઇ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પાકતી કેસર કેરીનો મોટો ફાળો છે. એશિયા ખંડમાં ખાસ કરીને દક્ષિણ એશિયામાં દુનિયામાં થતી કુલ કેરીનું ૯૦ ટકા જેટલું ઉત્પાદન થતું હોવાથી કેરીની સુધારેલી જાતો ઘણી બહાર પડી છે. ભારત ઉપરાંત ચીન, થાઇલેન્ડ, પાકિસ્તાન અને ફિલિપાઇન્સ જેવા દેશો પણ ગુણવત્તાયુકત કેરીઓનું ઉત્પાદન અને નિકાસ કરે છે. ભારત દુનિયામાં અગ્રણી કેરી ઉત્પાદક અને નિકાસકાર દેશ હોવા ઉપરાંત તે કેરીનું મૂલ્યવર્ધન કરીને ર્વાિષક ૬૨૦ કરોડના મેંગો પલ્પની નિકાસ કરે છે. વર્ષ ૨૦૧૧- ૧૨માં ૧૦૫ લાખ ટન મેંગો પલ્પની સાઉદી અરેબિયા અને નેધરલેન્ડ જેવા દેશોમાં નિકાસ કરાઇ હતી. કેરીનું મૂલ્યવર્ધન કરીને તેના પલ્પની પણ નિકાસ કરવાથી સારા ભાવ મળે છે. ગુજરાતમાં પણ ખાસ તો દક્ષિણ ગુજરાતમાં મેંગો પલ્પ તૈયાર કરીને નિકાસ કરવામાં આવે છે. દુનિયામાં થતાં કુલ ઉત્પાદનના ૪૮ ટકા જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે. કેરીના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર આગળ પડતા રાજયો છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા મુજબ ભારતના કેરી ઉત્પાદક રાજયોમાં ઉત્તરપ્રદેશ ૨૩.૮૬ ટકા સાથે પ્રથમ ક્રમ ધરાવે છે. જયારે ગુજરાત ૬ ટકા સાથે કેરી ઉત્પાદનમાં ૫ મો ક્રમ ધરાવે છે. કેરીના કુલ નિકાસ પર દૃષ્ટીપાત કરીએ તો ૨૦૦૯-૧૦માં ભારતમાંથી કેરીની નિકાસ રૃપિયા ૨૦૦ કરોડની રહી હતી. જે ૨૦૧૦- ૧૧માં નબળા ઉત્પાદનના પગલે ઘટીને નિકાસ આવક ૧૬૨ કરોડ થઇ ગઇ હતી. ૨૦૧૧-૧૨માં કેરીની નિકાસ આવક ૨૦૯ કરોડની હતી. ૨૦૧૧-૧૨માં કેરીની આવક એક મહિનો મોડી પડી હતી. આ વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિ રહે તેવી સંભાવના છે. દૃ


કેરીમાં દેશની સ્થિતિ
વર્ષ                    વાવેતર    ઉત્પાદન  ઉત્પાદકતા
૨૦૦૭-૦૮         ૨૨.૦૧  ૧૩૯     ૬.૩૬
૨૦૦૮-૦૯         ૨૩.૦૮  ૧૨૭     ૫.૫૨
૨૦૦૯-૧૦         ૨૩.૧૨  ૧૫૦     ૬.૫૦
૨૦૧૦-૧૧         ૨૨.૯૬  ૧૫૧     ૬.૬૧
૨૦૧૧-૧૨         ૨૩. ૭૮ ૧૬૧     ૬.૮૦
૨૦૧૨-૧૩         ૨૫.૦૦  ૧૮૦     ૭.૨૦
૨૦૧૩-૧૪         ૨૫.૧૬  ૧૮૪     ૭.૩૧
નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં
ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા
હેક્ટરદીઠ ટનમાં છે.

કેરીમાં રાજ્યની સ્થિતિ
વર્ષ                   વાવેતર    ઉત્પાદન  ઉત્પાદકતા
૨૦૦૯-૧૦         ૧.૨૧    ૮.૫૬    ૭.૦
૨૦૧૦-૧૧         ૧.૩૦    ૯.૧૧    ૭.૦
૨૦૧૧-૧૨         ૧.૩૬    ૯.૬૬    ૭.૧૦
૨૦૧૨-૧૩         ૧.૪૧    ૧૦.૦૩  ૭.૧૧
૨૦૧૩-૧૪         ૧.૪૨    ૧૧.૨૫  ૭.૯૨



ભારતીય કેરીની નિકાસ ૨૫ ટકા ઘટવાનો અંદાજ

અપેડા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૩-૧૪ની સીઝનમાં ભારતમાંથી ૩૦૦ કરોડ રૃપિયાની કુલ  ૪૧,૨૮૦ ટન કેરીની નિકાસ થઈ હતી. જ્યારે કે ગત વર્ષ ૨૦૧૨-૧૩ની સીઝનમાં ૨૮૮ કરોડ રૃપિયાના બજાર સાથે ૫૫, ૫૮૪.૯૮ ટન કેરીની નિકાસ થઈ હતી. જો કે આ વર્ષે પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે કેરીની ક્વોલિટી, ઓછી ઉત્પાદકતા અને ઉત્પાદન તમામ બાબતો પ્રભાવિત થઈ છે. જેની સીધી અસર નિકાસ પર પણ જોવા મળી શકે છે. બીજી તરફ વૈશ્વિક માપદંડોને પુરા કરવા માટે અપેડા દ્વારા હોટ વોટર ઈમર્સન ટ્રીટમેન્ટની ભલામણો કરતી એક સલાહ પણ જાહેર કરી છે. યુરોપીયન સંઘે ભારતમાંથી કેરીની આયાત પર લાગેલો એક વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. પરંતુ ભારત સરકારે હવે નિકાસ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સિસ્ટમ (એસઓપી) જાહેર નથી કરી. જેને કારણે નિકાસકારો માટે અનિશ્ચિતતાનો માહોલ ઉભો થયો છે અને યુરોપીયન સંઘને નિકાસ કરવાની મંજૂરી હશે કે નહીં તે મુદ્દે અસમંજસની સ્થિતી ઉભી થઈ છે. એટલે  નિકાસકારોએ વર્તમાન સમયમાં ચાલી રહેલી ૩૦થી ૪૦ ટકા ટ્રાન્સપોર્ટ સબસિડીને વધારીને ૭૦ ટકા કરવાની માંગ કરી છે. જેને કારણે કેરીની નિકાસને વેગ આપી શકાય.