Monday, 20 January 2014

બાગાયતી સહાયમાં ખેડૂતોને લાભ જ લાભ


સંકલિત આંતરિક વિકાસ મિશન હેઠળ નવાં સહાયનાં ધોરણો જાહેર : નર્સરી અપગ્રેડેશન, ટપક સિંચાઈ સાથે સંકલન કરાશે : જાહેરહિતના જૂથો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ સહિત વિવિધ નવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો : નર્સરી, પોલીહાઉસ, નેટહાઉસ માટે નવાં ધોરણો આવ્યાં : ૧ એપ્રિલ બાદ નવા ધોરણો અમલમાં આવશે : સહાયમાં ૮૫:૧૫ની ફોર્મ્યુલા અપનાવાઇ


બાગાયતી પાકના વધતા જતા ચલણને લઈને હવે સરકાર પણ સજાગ બની છે. બાગાયતી ખેતી અંદાજે ૨૩૦ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવે છે અથવા તો એવું પણ કહી શકાય કે દેશના ૧૬ ટકા જેટલા વિસ્તારમાં બાગાયતી ખેતી કરવામાં આવે છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં બાગાયતી ખેતી માટે નવી યોજનાઓ અમલમાં મૂકાઇ છે. આ યોજનાઓ થકી બાગાયતી ઉત્પાદનમાં વધારો થવાની સાથે સ્થાનિક વપરાશ અને નિકાસમાં વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ યોજનાઓના અમલીકરણ માટે બાગાયતી વિભાગ દ્વારા સમીક્ષા કરાઇ યોગ્ય ખર્ચના ધોરણો તેમજ જમીનની વાસ્તવિકતા અંગે સહાય પેટર્ન નક્કી કરવામાં આવી છે. જેમાં નર્સરી અપગ્રેડેશન, ટપક સિંચાઈ સાથે સંકલન, ખેડૂત હિત જૂથો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ સહિત વિવિધ નવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ યોજનાઓ માટે ૧૨મી પંચવર્ષીય યોજનામાં બાગાયત સંકલિત વિકાસ મિશન એટલે કે (એમઆઈડીએચ) હેઠળ ભલામણો કરવામાં આવી હતી. નવા આ સહાયના ધોરણો ૧ એપ્રિલ બાદ અમલમાં આવશે. યોજના ૮૫ ઃ૧૫ની હોવાથી સહાયમાં ૮૫ ટકા હિસ્સો કેન્દ્રનો અને ૧૫ ટકા હિસ્સો રાજ્ય સરકારનો રહેશે.                                         
  કેન્દ્ર સરકારના બાગાયતી વિભાગ દ્વારા સંકલિત બાગાયત વિકાસ માટે ફળો, શાકભાજી, રૃટ અને કંદ પાક, મશરૃમ, મસાલા પાક, ફૂલ પાક, સુગંધિત પ્લાન્ટ, નાળિયેર, કાજુ, કોકો અને વાંસના પાકને આવરી લેવામાં આવ્યા છે અને આ તમામ પાકનો સર્વગ્રાહી વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકારે વિકાસ પ્રોત્સાહન માટે યોજનાઓ અમલમાં મૂકી છે.  સંકલિત બાગાયત વિકાસ મિશન એટલે કે (એમઆઈડીએચ) હેઠળ યોજનાઓનો સમાવેશ કરવા માટે ભલામણો કરવામાં આવી હતી. એમઆઈડીએચ અને નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રિકલ્ચર એટલે કે એનએમએસએ સાથે મળીને કામ કરશે જેમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂક્ષ્મ સિંચાઈથી ખેતી કરી પાકને બચાવવા સહિત ખેડૂતોને પૂરતું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. એમઆઈડીએચ દ્વારા રાજ્ય સરકારના બાગાયતી વિભાગને ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવશે. બાગાયત વિભાગની સહાયની સાથે સાથે હેતુ અને ઉદ્દેશો પર નજર કરીએ તો એમઆઈડીએચ ટેકનોલોજી પ્રમોશન, વિસ્તરણ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, પ્રક્રિયા અને માર્કેટિંગ સહિત વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ બાગાયતી ખેતીનો વ્યાપ વધારવામાં આવશે. આ સિવાય ખેડૂતોના પાકની સુરક્ષા અને આવક સહાય સુધારવા સહિત બાગાયત ઉત્પાદન વૃદ્ધિ અંગે ધ્યાન આપવામાં આવશે. માઈક્રો સિંચાઈ પદ્ધતિ દ્વારા જળવપરાશ, કાર્યક્ષમતા અને ઉત્પાદન વધારવા અંગેનાં પણ કાર્યો હાથ ધરવામાં આવશે. બાગાયત વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી સહાય યોજનાની ગાઇડલાઇનમાં ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવામાં આવશે તે વિે જોઈએ તો, એમઆઈડીએચ દ્વારા બાગાયતમાં ખર્ચ ધોરણો અને પેટા યોજનાઓ નક્કી કરવામાં આવી છે.  જેમાં રિસર્ચ માટે સરકારે ૧૦૦ લાખની સહાયની જોગવાઇ કરી છે. આ સહાયના તમામ નાણાં સંશોધન અને વાવેતર વિકાસ સામગ્રીની આયાત માટે ખર્ચવામાં આવશે. ટેકનોલોજીનું માનકીકરણ અને ટેકનોલોજી સંપાદન અને વિવિધ તાલીમ માટે પણ ભંડોળ ખર્ચવામાં આવશે.ટિસ્યૂકલ્ચર યુનિટને મજબૂત બનાવવા માટે ૨૦ લાખ રૃપિયા પ્રતિ યુનિટ દીઠની જોગવાઇ કરાઇ છે. જેમાં ૧૦૦ ટકા લેખે જાહેર ક્ષેત્રમાં ખર્ચવામાં આવશે જ્યારે ખાનગી ક્ષેત્રે ૫૦ ટકા લેખે સબસિડી આપવામાં આવશે. નવા ટિસ્યૂકલ્ચર વિસ્થાપિત કરવા માટે રૃપિયા ૨૫૦ની સહાયની જોગવાઇ છે જે સંપૂર્ણપણે જાહેરક્ષેત્રમાં ખર્ચવામાં આવશે.શાકભાજી અને મસાલા બીજ ઉત્પાદન માટે રૃપિયા ૫૦,૦૦૦ પ્રતિ હેક્ટર દીઠ સહાયની નવી ગાઇડલાઇનમાં જોગવાઇ કરાઇ છે. જેમાં ઓપન પોલીનેટેડ (પરાગધાન પાકો) માટે રૃપિયા ૩૫ હજાર પ્રતિ હેક્ટર દીઠની જોગવાઇ છે. જેમાં ૧૦૦ ટકા લેખે જાહેરક્ષેત્રમાં ખર્ચ કરવામાં આવશે જ્યારે ૩૫ ટકા ખાનગી ક્ષેત્રમાં ખર્ચવામાં આવશે.  હાઈબ્રિડ શાકભાજી બીજ ઉત્પાદન માટે રૃપિયા દોઢ લાખ પ્રતિ હેક્ટર દીઠની પણ જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ૧૦૦ ટકા જાહેરક્ષેત્ર અને ૩૫ ટકા જનરલ એરિયા માટે સહાય રહેશે. બીજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૨૦૦ લાખ રૃપિયાની સહાયની પણ જોગવાઇ છે જેમાં બીજ નિયંત્રણ, બીજ સંગ્રહ, પેકિંગ તમામનો સમાવેશ થાય છે. આ રકમ ૧૦૦ ટકા જાહેરક્ષેત્રે અને ૫૦ ટકા લેખે ખાનગી સાહસો પાછળ વાપરવામાં આવશે. પ્લાન્ટેશન પાકમાં પણ સરકારે સહાયની જોગવાઇ કરી છે જેમાં કાજુ અને કોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ૧ લાખ પ્રતિ હેક્ટર માટે સહાય અપાશે. જેમાં રૃપિયા ૪૦,૦૦૦ પ્રતિ હેક્ટર દીઠ ખર્ચના અંદાજ મુજબ ૪૦ ટકા લેખે ખેડૂતને સહાય મળશે. આમ, સરકારના નવાં સહાયનાં ધોરણોથી ખેડૂતોને ફાયદો થશે.

ગ્રીનહાઉસ માટે વિશેષ સહાયની જોગવાઈ

હવે વાત કરીએ રક્ષિત ખેતીની તો સરકારે ગ્રીનહાઉસથી થતી ખેતીમાં સહાયની પણ વિશેષ જોગવાઈઓ કરી છે. જેમાં ફેન એન્ડ પેડ સિસ્ટમ માટે સામાન્ય ખેડૂતો માટે ખર્ચના ૫૦ ટકા મુજબ લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મીની મર્યાદામાં સહાયની જોગવાઇ કરાઇ છે. ૨૦૮૦ ચોરસ મીટરથી લઈ ૪૦૦૦ ચોરસ મીટર લેખે રૃપિયા ૧૪૦૦ની સહાયની આ ગાઇડલાઇનમાં જોગવાઇ છે. કુદરતી વેન્ટિલેશનમાં નળાકાર માળખામાં ૨૦૮૦ ચોરસ મીટરથી લઈ ૪૦૦૦ ચોરસ મીટર લેખે રૃપિયા ૧૦૬૦ પ્રતિ ચો.મી સહાયની જાહેરાત થઈ છે.  લાકડાના માળખા માટે રૃપિયા ૫૪૦ પ્રતિ ચો.મી, વાંસના માળખા માટે ૪૫૦ રૃપિયા પ્રતિ ચો.મીના ખર્ચ પ્રમાણે ૫૦ ટકા મુજબ સહાયની જોગવાઇ છે. શેડ નેટહાઉસ માટે નળાકાર માળખામાં રૃપિયા ૭૧૦ પ્રતિ ચો.મી, લાકડાના માળખા માટે ૪૯૨ રૃપિયા પ્રતિ ચો.મી, વાંસના માળખા માટે રૃપિયા ૩૬૦ પ્રતિ ચો.મીના ખર્ચ પ્રમાણે ૫૦ ટકા લેખે સહાયની જોગવાઇ કરાઇ છે. પ્લાસ્ટિક ટનલ્સ માટે રૃપિયા ૬૦ ચો.મીના ખર્ચના ૫૦ ટકા મુજબ ૧૦૦૦ ચો.મી સુધીની સહાય, પક્ષી-કરા સામે સંરક્ષણ નેટમાં રૃ. ૩૫ ચો.મીના ખર્ચના ૫૦ ટકા લેખે ૫૦૦૦ ચો.મી સુધીની સહાયનાં પણ ધારાધોરણો છે. પોલીહાઉસમાં અતિ મૂલ્યવાન શાકભાજીના પ્લાન્ટિંગ મટીરિયલ્સ માટે રૃ. ૧૪૦ પ્રતિ ચો.મી તથા ફૂલ પાકના પ્લાન્ટિંગ મટીરિયલ માટે રૃ.૭૦૦ પ્રતિ ચો.મીના ખર્ચના ૫૦ ટકા મુજબ ૫૦૦ ચો.મી સુધીની સહાયની જોગવાઈ છે. પોલીહાઉસમાં ઉગાડાતા જરબેરા અને કાર્નેશનના પ્લાન્ટિંગ મટીરિયલ માટે રૃપિયા ૬૧૦ પ્રતિ ચો.મી, જ્યારે ગુલાબનાં ફૂલોની ખેતી માટે રૃપિયા ૪૨૬ પ્રતિ ચો.મીના ખર્ચના ૫૦ ટકા મુજબ ૪૦૦૦ ચો.મી સુધીની સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો પ્લાસ્ટિક મલ્ચિંગ માટે ૩૨,૦૦૦ રૃપિયા પ્રતિ હેક્ટરના ખર્ચ પ્રમાણે ૫૦ ટકા મુજબ અને ૨ હેક્ટર સુધીની સહાયની જોગવાઇ કરાઈ છે.

નર્સરીમાં સહાયના ખેડૂતો માટે આ રહ્યાં ધોરણો

હાઈટેક નર્સરીમાં પ્રતિ એક હેક્ટર દીઠ ૨૫ લાખ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં જાહેર ક્ષેત્ર માટે ૧૦૦ ટકા લેખે રૃપિયા ૧૦૦ લાખ પ્રતિ એકમ સુધીની જોગવાઇ છે તો ખાનગી ક્ષેત્રમાં નર્સરી માટે ૪૦ ટકા સબસિડી જાહેર કરવામાં આવી છે જેમાં રૃપિયા ૪૦ લાખ ૪ હેક્ટર વિસ્તારમાં પ્રતિ યુનિટ લેખે ખેડૂતને સહાય પેટે મળશે. આ સહાય માટે નર્સરીને ૫૦ હજાર જેટલા છોડનું ઉત્પાદન કરવું પડશે.તેવી જ રીતે નાની નર્સરીમાં સમાવેશ થતા ફળ પાક, મસાલા છોડ, ઔષધીય છોડ, પ્લાન્ટેશન પાક, સુગંધિત છોડ પાક માટે પ્રતિ હેક્ટર દીઠ લેખે રૃપિયા ૧૫ લાખની સહાય કરવાની જોગવાઇ કરાઇ છે.  આ સહાય ૧૦૦ ટકા જાહેર ક્ષેત્ર માટે રહેશે. ખાનગી ક્ષેત્રની નાની નર્સરીમાં રૃપિયા ૭. ૫૦ લાખ પ્રતિ યુનિટ દીઠ પ્રોજેક્ટની કાર્યરચના માટેની પણ જોગવાઇ કરાઇ છે. જે તે નર્સરીએ વાનસ્પતિક યોગ્યતા, ગુણવત્તા વગેરે જળવાઈ રહે તેવા ૨૫,૦૦૦ જેટલા છોડનું ઉત્પાદન કરવાનું રહેશેઅપગ્રેડિંગ નર્સરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧૦ લાખ રૃપિયા પ્રતિ હેક્ટરદીઠ ૪ નર્સરી લેખે સહાયની જોગવાઇ કરાઇ છે. જેમાંં જાહેરક્ષેત્રે ૧૦૦ ટકા સહાય જાહેર કરવામાં આવી છે જ્યારે ખાનગી ક્ષેત્રે ૫૦ ટકા લેખે વધુમાં વધુ રૃપિયા ૫ લાખ પ્રતિ હેક્ટર દીઠ ફાળવવામાં આવશે. સાથે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે પણ નાણાં ખર્ચ કરવામાં આવશે. જેમા સિંચાઈ, ફળદ્રુપતા, નેટ હાઉસિંગ સહિત તમામ બાબતો આવરી લેવામાં આવી છે.     
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

   


No comments:

Post a Comment