Monday, 20 January 2014

મગફળીમાં ખેડૂતોને મહેનત માથે પડી


  • ૨૦૧૨માં વરસાદની અછતથી મગફળીની ખેતીમાં થયેલા નુક્સાનને સરભર કરવાનાં સપનાં જોતાં ખેડૂતોનાં સપનાં રોળાયાં
  • ૫૫ હજાર ગૂણીનું દરરોજ ટેકાના ભાવથી પણ નીચા ભાવે વેચાણ
  • ૫૬  હજાર ટન મગફળીની ટેકાના ભાવે નાફેડે છેલ્લા બે માસમાં ખરીદી કરી
  • ખેડૂતોને ટેકાના ભાવે છોડી દેવાયા

રાજ્યમાં મગફળીની ખેતીએ ખેડૂતોને પરેશાનીમાં મૂક્યા છે. સારા વરસાદથી વાવેતરમાં વધારો અને હેક્ટરદીઠ ઉત્પાદકતા પણ વધતાં ગત ચોમાસાની અછતમાં થયેલી નુક્સાની ભરપાઇ કરવાનાં સપનાં જોતાં ખેડૂતોનાં આ સીઝને પણ સપનાં રોળી નાખ્યાં છે. ઉત્પાદનના ઢગ જોઈ હરખાતો જગતનો તાત મગફળીના ભાવ જોઇ મૂંઝાઇ રહ્યો છે, પરંતુ તેની મૂંઝવણનો કોઇ ઉકેલ મળતો નથી. મગફળીની ખરીદી કરતાં તમામ માર્કેટયાર્ડોમાં ભાવ એમએસપીથી પણ નીચા હોવાથી ટેકાના ભાવે ખરીદીના બહાને સરકારે મગફળીના મામલે  હાથ ખંખેરી લીધા છે અને ખેડૂતો પિસાઇ રહ્યા છે. બીજી તરફ તલાટીઓની ઘટથી ૭-૧૨ના ઉતારાની રામાયણ, મંડળીમાં ખેડૂતોની લાઇનો, વેરહાઉસ અને ગોડાઉનોની સમસ્યાઓ અને પૈસા સપ્તાહ બાદ મળવાના નિયમોએ મગફળીના ખેડૂતોને એવા મૂંઝવી નાખ્યા છે કે ખેડૂતો ઓછા  ભાવે બજારમાં મગફળી વેચવા તૈયાર છે, પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા તૈયાર નથી. પરિણામે બજારમાં હાલમાં ૫૫ હજાર ગૂણી મગફળી ટેકાના ભાવથી ઓછા ભાવે વેચાવા માટે આવે છે. જ્યારે લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૃ કરનાર ગુજકોમાસોલ  માત્ર ૨૦૦ કરોડની ટેકાના ભાવની ૫૬ હજાર ટન મગફળી ડિસેમ્બરના અંત સુધી ખરીદી કરી શક્યું છે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને નામે રાજસ્થાનની મગફળી ખરીદાઈ રહી હોવાની ખેડૂતો બૂમરાણો પાડી રહ્યા છે.
                        
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કાજુ ગણાતી મગફળીની ખેતી ખેડૂતોને ચાલુ વર્ષે રડાવી રહી છે. સૌરાષ્ટ્રમાં ખરીફ સીઝનના મુખ્ય પાક ગણાતી એવી મગફળીની ખેતીમાં માઠી દશા બેઠી છે. ૨૦૧૨માં વરસાદની અછતથી મગફળીની ખેતી ન કરી શકનાર ખેડૂતોને ભાગે ચાલુ સીઝનમાં પણ નુકસાની સહન કરવાની નોબત આવી છે. ખેડૂતોને ઉત્પાદન ઊંચું આવ્યું છે, પરંતુ ભાવ ન મળતાં ખેડૂતોને ભાગે ફક્ત મજૂરી કરવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવની રામાયણને પગલે ખેડૂતો સૌરાષ્ટ્રમાં બૂમરાણો મચાવી રહ્યા છે, પરંતુ આ અંગે કોઇ પગલાં ન લેવાતાં ખેડૂતો દરરોજનું લાખોનું નુક્સાન ભોગવી રહ્યા છે.

રાજ્યમાંથી ૫૬ હજાર ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી

મગફળીના ભાવો દિવાળી સમયે ટેકાના ભાવથી પણ નીચા જતાં ખેડૂતોએ પાડેલી બૂમરાણને પગલે નાફેડે લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી સેન્ટરો શરૃ કર્યાં હતાં. જેમાં ટેકાના ભાવે ખરીદી બાબતે કેટલાંક ધારાધોરણો મુકાયાં હતાં જે હાલમાં ખેડૂતોના ગળાનો ગાળિયો બની ગયા છે. રાજ્યમાં ૩૧ ડિસેમ્બર સુધીમાં મગફળીની માત્ર ૫૬ હજાર ટનની ખરીદી થઇ છે. રાજ્યમાં ૨૫ લાખ ટન મગફળીના ઉત્પાદન વચ્ચે માત્ર ૫૬ હજાર ટન મગફળીની ખરીદી પાશેરામાં પૂણી સમાન છે. ગોડાઉનના સ્ટોકના ભાવે મગફળીની ખરીદી અટકતાં ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે. મગફળીની ખરીદીમાં સાચા ખેડૂતો મગફળી વેચવા અને પોષણક્ષમ ભાવો મેળવવા માટે લાઇનોમાં ઊભા રહે છે. જ્યારે ખેડૂતોની જાણબહાર ૭-૧૨ના ઉતારા રેકર્ડ પર રજૂ કરીને વચેટિયા તત્ત્વો કમાણી કરી રહ્યાં હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે.

ઉનાળુ મગફળીનું વાવેતર ઘટશે

ખરીફ મગફળીનું રાજ્યમાં ૨૫ લાખ ટન ઉત્પાદન છતાં ભાવ ટેકાના ભાવથી પણ નીચા રહેતાં ખેડૂતોને મગફળીની ખેતીમાં નુક્સાન સહન કરવાની નોબત આવી છે. હાલમાં રાજ્યના તમામ માર્કેટયાર્ડમાં મગફળીનો ભાવ પ્રતિ મણે રૃપિયા ૬૫૦થી ૭૫૦ ચાલી રહ્યો છે. સરકારે ટેકાનો ભાવ પ્રતિ મણ રૃપિયા ૮૦૦ નક્કી કર્યો છે. આમ, ખેડૂતો મગફળીની ખેતીમાં સરેરાશ નુક્સાન સહન કરી રહ્યા છે. પરિણામે ઉનાળુ મગફળીની વધતી જતી ખેતી પર તેની સીધી અસર પડવાની સંભાવના છે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી ઉનાળુ મગફળીની ખેતી વધી રહી છે. ચાલુ વર્ષે તેમાં કાપ આવવાની સંભાવના છે. રાજ્યમાં ગત ઉનાળામાં ૭.૫૩ લાખ હેક્ટરમાં વાવેતર પહોંચ્યું હતું. ૨૦૧૨માં વાવેતરનો આંક ૨.૦૮ લાખ હેક્ટર હતો. રાજ્યમાં ઉનાળુ મગફળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર, જામનગર, સાબરકાંઠા, વડોદરા, કચ્છ અને રાજકોટમાં વધારે પ્રમાણમાં થાય છે. તેમાં મોટો કાપ આવશે. ૨૦૧૩માં મગફળીનું સૌથી વધુ વાવેતર કચ્છમાં થયું હતું.

દેશમાં ૪૫થી ૪૭ લાખ ટન મગફળી પાકશે

દેેશમાં મગફળીનો વાવેતર વિસ્તાર વધવાની સાથે સારા વરસાદથી હેક્ટરદીઠ ઉત્પાદન પણ વધતાં મગફળીનું ઉત્પાદન ૪૫થી ૪૭ લાખ ટન થવાની સંભાવના છે. દેશમાં ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં ૯૦ ટકા ઉત્પાદન થાય છે. આઇઓપીઇપીસીના અંદાજ અનુસાર ૨૦૧૨માં મગફળીનું ઉત્પાદન ૨૧ લાખ ટન થયું હતું, પરંતુ ૨૦૧૩માં દેશમાં ૪૯ લાખ ટન ઉત્પાદન થશે. આમ, ચાલુ વર્ષે ૨૮ લાખ ટન મગફળીનું ઉત્પાદન વધશે. જ્યારે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશનના અંદાજ અનુસાર ૨૦૧૩-૧૪માં દેશમાં મગફળીનું ઉત્પાદન ૪૭ લાખ ટન થશે જે ૨૦૧૨માં ૨૬ લાખ ટન હતું. ગુજરાતમાં સૌથી વધુ ૨૫ લાખ ટન ઉત્પાદન થવાની સંભાવના છે. આઇઓપીઇપીસીના એક અંદાજ અનુસાર દેશમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં મગફળીની નિકાસ ૨૧૧,૭૬૫ લાખ ટન થઇ છે. ૨૦૧૨માં ૩૪૧,૬૭૮ લાખ ટન થઇ છે. આમ નિકાસમાં ૧૨૯,૯૧૩ લાખ ટનનો ઘટાડો થયો છે.

અપેડાના નિયમોએ સીંગદાણાનાં કારખાનાંઓનો મૃત્યુઘંટ વગાડયો

સીંગદાણાની નિકાસ માટે સરકાર હસ્તકના અપેડાએ ગત જાન્યુઆરીમાં દરેક યુનિટ અને નિકાસકાર માટે નવા રજિસ્ટ્રેશનના નિયમો અમલમાં મૂક્યા બાદ સૌરાષ્ટ્રમાં સીંગદાણાના ઉદ્યોગની પડતી શરૃ થઇ હતી. હાલમાં સીંગદાણાના બજારની પડતી શરૃ થતાં સૌરાષ્ટ્રમાં ૭૦ ટકા યુનિટો બંધ પડયા છે. સૌરાષ્ટ્રમાં ૮૫ ટકા યુનિટો નાના છે. અપેડાના નવા નિયમોમાં નાના યુનિટોનો મરો થયો છે. ભારતમાંથી સીંગદાણાની ૮.૩૨ લાખ ટનની નિકાસ થઇ હતી ત્યારે યુરોપિયન દેશોમાં નિકાસની માત્રા ૫૦ હજાર ટન જ હતી. અપેડાના નવા નિયમો યુરોપિયન દેશોએ પાડેલી બૂમરાણોને આધારે જ અમલમાં મુકાયા છે. યુરોપિયન દેશોમાં ભારતીય સીંગદાણાની ઓછી ખપત છતાં અપેડાના નિયમોથી સૌરાષ્ટ્રમાં સીંગદાણાનો ઉદ્યોગ મરી પરવારી રહ્યો છે. સીંગદાણાની નિકાસના નિયમો જોઇએ તો સીંગદાણાની નિકાસ કરતા યુનિટો અને નિકાસકારોએ હેસેપ્સનું ર્સિટફિકેટ લેવાનું હોય છે. અગાઉ મગફળીના સપ્લાયનું ચેકિંગ પોર્ટ પર થતું હતું તેને માટે બહુ જ ઓછો સમય લાગતો પરંતુ હવે ફેક્ટરી પર સેમ્પલિંગ થયા બાદ તેની મંજૂરી પાછળ જ છથી સાત દિવસનો સમય લાગે છે. આમ નિકાસ માર્કેટની ચેન તૂટતાં જ્યાં હલકી ગુણવત્તાના આફ્રિકન દેશોના સીંગદાણાની માંગ ન હતી. તે સીંગદાણા હાલમાં યુરોપિયન દેશો ૮૦૦થી ૯૦૦ ડોલરે ખરીદી કરી રહ્યા છે.

માર્કેટયાર્ડમાંથી મગફળીની ખરીદી થવી જોઇએ


 મગફળીની ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતો ધરમધક્કા ખાઇ રહ્યા છે ત્યારે વિસાવદર તાલુકાના ઝીંયાવડણા ગામના સરપંચ અને ખેડૂત અગ્રણી ભાનુભાઇ કોટડિયાએ જણાવ્યું હતું કે, મગફળીની ખરીદીમાં ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે. હાલમાં ગુજકોમાસોલ મગફળીની ખરીદીના આંક દર્શાવી રહ્યું છે તેમાં મોટાભાગની મગફળી રાજસ્થાનની મગફળીની હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ગોડાઉનનાં ભાડાં પણ ઊંચાં ચૂકવાઇ રહ્યાં છે. ખરેખર તો મગફળીના વેચાણ માટે ખેડૂતો માર્કેટયાર્ડમાં જાય છે તો મગફળી યાર્ડમાંથી ટેકાના ભાવે ખરીદાવી જોઇએ. સહકારી મંડળીઓને ખરીદી કરવાની સત્તાથી સાચા ખેડૂતોની માંડવી ખરીદાતી નથી.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment