Monday, 27 January 2014

ગુજરાતમાં રવી પાકોનું રેકોર્ડબ્રેક વાવેતર


ઘઉં, મકાઇ, રાઇ અને જીરુંનો વાવેતર વિસ્તાર વધ્યો

રાજ્યમાં ચાલુ વર્ષે રવી સીઝનમાં વિક્રમી રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. સારા ચોમાસાથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહેતાં ખેડૂતોએ મોટાપાયે વાવેતર કરતાં ચાલુ રવી સીઝનમાં  ગુજરાતમાં વાવેતરનો આંક ૩૮.૪૨ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. રાજ્યમાં રવી સીઝનનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩૫.૭૪ લાખ હેક્ટર છે. ૨૦૧૨માં રવી સીઝનમાં ૨૯.૮૩ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર સામે ચાલુ વર્ષે ૯ લાખ હેક્ટરમાં વાવેતર વધ્યું છે. રાજ્યમાં સૌથી વધુ વાવેતર ઘઉંનું થયું છે. ૨૦૧૨માં રવી સીઝનમાં ઘઉંના ૧૦.૪૮ લાખ હેક્ટર વાવેતર સામે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર ૧૪.૯૮ લાખ હેક્ટરે પહોંચ્યું છે. ૨૦૧૩માં જીરું, લસણ અને ડુંગળીના  ભાવો ખેડૂતોને સારા મળતાં ખેડૂતોએ ત્રણેય પાકોના વાવેતરમાં વધારો કર્યો છે. રાજ્યમાં રવી સીઝનમાં જીરાનું ૪.૫૦ લાખ હેક્ટર, ડુંગળીનું ૭૩ હજાર હેક્ટર અને લસણનું  ૪૦ હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. ગુજરાતમાં રવી સીઝનમાં સારા વાવેતરને પગલે ઘઉં અને જીરાનું ઉત્પાદન નવી ટોચે પહોંચે તેવી શક્યતા છે.  દેશમાં પણ રવી વાવેતર વિસ્તારમાં ધરખમ વધારો નોંધાયો છે.  દેશમાં રવી વાવેતર વિસ્તારનો આંક ૬૨૫ લાખ હેક્ટરે પહોંચ્યો છે.
    ગુજરાતમાં ચાલુ વર્ષે રવી વાવેતરમાં ધરખમ વધારો થયો છે. ધાન્ય પાકોમાં મોખરે ગણાતા પાક એવા ઘઉંનું ચાલુ વર્ષે એટલે કે ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૪ સુધીમાં ૧૪.૯૮ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે ૨૦મી જાન્યુઆરી સુધીમાં ૧૦.૪૭ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હતું. તેવી જ રીતે મકાઈના વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો છે. મકાઇનું ૧.૧૬ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે ગત વર્ષે માત્ર ૯૮ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું હતું. તેવી જ રીતે ચણાનું વાવેતર પણ વધ્યું છે. આ વર્ષે ૨.૪૭ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. રાઈના વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો છે. રાઇના સરેરાશ ૨.૩૨ લાખ હેક્ટરમાં થતા વાવેતર સામે ચાલુ રવી સીઝનમાં ૨.૮૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
   મસાલા પાકોમાં જીરુંના પાકમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. જીરાનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩.૪૯ લાખ હેક્ટર છે. ૨૦૧૨ની રવી સીઝનમાં જીરાનું ૩.૩૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે ચાલુ રવી સીઝનમાં ૪.૫૫ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. લસણ અને ડુંગળીના વાવેતરમાં પણ આ વર્ષે વધારો જોવા મળ્યો છે. લસણનું કુલ ૪૦,૬૦૦ હેક્ટર વિસ્તારમાં તો ડુંગળીનું ચાલુ વર્ષે ૭૨,૬૦૦ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ડુંગળીનું ગત રવી સીઝનમાં માત્ર ૧૭,૫૦૦ હેક્ટરમાં વાવેતર વિસ્તાર નોંધાયો હતો.
    ગુજરાતમાં વિવિધ પાકોના વાવેતરમાં વધારો થયો છે.  ઘઉં, જીરું, મકાઇ, ચણા અને રાઇ ઉપરાંત તમાકું, જુવારનું ૧૦૦ ટકાથી વધુ વાવેતર થયું છે. ચાલુ રવી સીઝનમાં સરેરાશ વાવેતર વિસ્તાર વધવાની સાથે સારા હવામાનથી ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવનાથી રવી પાકોના ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે. 

દેશમાં રવી વાવેતરમાં પ ટકાનો વધારો : ઉત્પાદન વધશે
દેશભરમાં રવી પાકના વાવેતરમાં ઉત્તરોઉત્તર વધારો જોવા મળ્યો છે. ચાલુ રવી સીઝનમાં વાવેતરમાં ૪.૯ ટકાના વધારા સાથે કુલ ૬૨૫.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જો કે ગત વર્ષે ૧૭ જાન્યુઆરી માસ સુધી ૫૯૬.૨૦ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું હતું. વાવેતર વિસ્તારમાં થયેલો વધારો અને અનુકૂળ હવામાનને કારણે ચાલુ રવી સીઝનમાં ઘઉં, ચણા, રાઈનું ઉત્પાદન ગત વર્ષ કરતાં વધારે હોવાનું અનુમાન છે. ઘઉં, ચણા અને રાઈનું વાવેતર વધ્યું છે અને રવી પાકોને અનુકૂળ વાતાવરણ પણ રહ્યું છે. રવી પાકમાં પ્રમુખ ગણાતા ઘઉંનું વાવેતર વધીને ૩૧૩.૬૯ લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે જે ગત વર્ષે આ સમયે ૨૯૫ લાખ હેક્ટરમાં નોંધાયું હતું.  તેવી જ રીતે ચણાનું વાવેતર ગત વર્ષે ૯૨.૮૯ લાખ હેક્ટરમાં થયું હતું તે વધીને ૧૦૨.૨૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તો રાઈનું વાવેતર ૬૬.૯૭ લાખ હેક્ટરમાં થયું હતું તે આ વર્ષે વધીને ૭૦.૫૨ લાખ હેક્ટરે પહોંચ્યું છે. રવી સીઝનમાં કઠોળ પાકનું વાવેતર ૧૪૯.૨૦ લાખ હેક્ટરથી વધીને ૧૫૬.૧૭ લાખ હેક્ટરમાં થયંુ છે. 

રાજ્યમાં ૨૦મી જાન્યુઆરી સુધી થયેલું રવી વાવેતર
પાક       સરેરાશ   ૨૦૧૨        ૨૦૧૩
ઘઉં        ૧૩.૧૮ ૧૦.૪૭      ૧૪.૯૮
જુવાર     ૦.૫૯    ૦.૩૬         ૦.૫૩
મકાઇ     ૧.૦૪    ૦.૯૮         ૧.૧૬
ચણા      ૨.૧૯    ૧.૭૧         ૨.૪૭
રાઇ       ૨.૩૨    ૨.૧૪         ૨.૮૧
જીરું       ૩.૪૯    ૩.૩૫         ૪.૫૫
લસણ     ૦.૩૪    ૦.૦૯         ૦.૪૦
ડુંગળી     ૦.૫૩    ૦.૧૭         ૦.૭૨
બટાટા    ૦.૭૬    ૦.૭૩          ૦.૭૩

નોંધઃ વાવેતર વિસ્તારના આંક લાખ હેક્ટરમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

કાગવડમાં કૃષિમેળાનું પાણીદાર આયોજન

ખેડૂતોનો મહાસાગર ઉમટયો

રાજકોટના કાગવડ ગામે એશિયાનો સૌથી મોટો જ્ઞાનવર્ધક ચાર દિવસીય કૃષિમેળો સંપન્ન : ૪૨૦૦ મીટર જમીનમાં સિંચાઇનું પ્રેક્ટિકલ પ્રદર્શન યોજાયું : કૃષિમેળામાં ૮૦૦ સ્ટોલ અને ૩૦થી વધુ સેમિનારમાંથી ખેડૂતોએ કૃષિજ્ઞાનનો લાભ લીધો  રાજ્યભરમાંથી દરરોજ છ લાખથી પણ વધુ લોકો ઉમટયા : દેશ-વિદેશના કૃષિ તજજ્ઞો પણ હાજર રહ્યા : આધુનિક યંત્રઓજારો, જંતુનાશક દવાઓ, સોલાર સિસ્ટમ અને ગ્રીનહાઉસના સ્ટોલ પર ખેડૂતોનો જમાવડો રહ્યોઃ કૃષિ પ્રદર્શનમાં પ્રગતિશીલ ખેડૂતોએ મુલાકાતીઓ સાથે કૃષિજ્ઞાનની વહેંણી કરી : ડ્રિપ ઇરિગેશન માટે સ્થળ પર ડેમોસ્ટ્રેશન 









સૌરાષ્ટ્રમાં કૃષિક્ષેત્રે ક્રાંતિનો શંખનાદ કાગવડથી શરૃ થયો. ખેડૂતોને અત્યાધુનિક ટેકનોલોજીથી જાણકાર બનાવવાના ઉદાત્ત હેતુસર યોજાયેલા આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શને ખેડૂતોને એક નવી દિશા આપી હતી. રાજકોટ જિલ્લાના કાગવડ ગામે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત દેશનો સૌથી મોટો કૃષિ મેળો 'એગ્રીવિઝન ઇન્ડિયા ૨૦૧૪' માં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી ખેડૂતો કીડિયારાની જેમ ઉભરાઇ આવતાં કૃષિક્ષેત્રે નવા વિચારોની વાવણીનો મૂળભૂત હેતુ આયોજકોનો પણ સફળ રહ્યો હતો. પ્રદર્શનમાં ૮૦૦ જેટલા સ્ટોલ્સ ઉપરાંત ૫૦ જેટલા પેગોડા અને સેમિનાર માટેના હોલમાંથી ખેડૂતો માટે કૃષિજ્ઞાાનની સરવાણી વહેતી હોય તેવા ઉત્સાહથી ખેડૂતોએ કૃષિ મેળાને માણ્યો હતો. પ્રદર્શનનો સમય સવારે ૯ વાગ્યાનો હોવા છતાં વહેલી સવારથી જ આ સમિટ નિહાળવા લોકોનો ભારે ધસારો જોવા મળતો હતો. આયોજકોએ ધાર્યા કરતાં પણ વધારે લોકોએ આ કૃષિ પ્રદર્શનનો લાભ લીધો હતો.

Monday, 20 January 2014

ચાર્જમાં ચાલતો ગુજરાતનો કૃષિવિભાગ



ગુજરાત આજે કૃષિક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતનો કૃષિ વિકાસદર ૧૦ ટકાના દરે પ્રગતિ કરી રહ્યો છે.  દેશમાં પહેલી હરિયાળી ક્રાન્તિની આગેવાની પંજાબે લીધી હતી. આજે ૨૧મી સદીના પ્રથમ દસકામાં દેશમાં બીજી હરિયાળી ક્રાંતિ લાવવાનું નેતૃત્વ ગુજરાતે લીધું છે. ગુજરાતે આ જવાબદારી અને આગેવાની ખૂબ જ સમજી વિચારીને લીધી છે. ગાંધીજી કહેતા હતા કે હિન્દુસ્તાનનો આત્મા તો ગુજરાતમાં વસે છે. દેશના સરેરાશ કૃષિ વિકાસ દરથી ત્રણ ગણો કૃષિ વિકાસદર ગુજરાતનો છે. આ ઉપરોક્ત તમામ બાબતો કૃષિ પ્રદર્શનના કાર્યક્રમમાં રાજ્યસરકારના અધિકારીઓથી લઇ મંત્રીઓ અને મુખ્યમંત્રી પણ ઉચ્ચારે છે. આવતી કાલ એટલે કે ૨૧મી જાન્યુઆરી ૨૦૧૪.  કાગવડમાં આંતરરાષ્ટ્રીયકક્ષાના કૃષિ પ્રદર્શનમાં મુખ્યમંત્રીના હસ્તે થતા ઉદ્ઘાટનમાં આ વાક્યો કદાચ ફરી દોહરાશે. સરકાર ખેડૂતોની હામી હોવાનું જણાવી કદાય સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મુખ્યમંત્રી દ્વારા કોઇ યોજનાનું એલાન થાય તો નવાઇ નહીં. સૌ ની એટલે સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવાની યોજનાના ગુણગાન તો મોખરે રહેશે. કૃષિ પ્રગતિના આ ગુણગાન વચ્ચે પાયાની બાબતો એ વિસરાઇ રહી છે કે સરકાર માત્ર વહિવટી મંજૂરી આપી શકે છે પરંતુ ખરું કામ તો કૃષિ વિભાગના અધિકારીઓ  દ્વારા થતી યોજનાઓની અમલવારીને આધારે થતું હોય છે. છેલ્લા કેટલાય મહિનાથી રાજ્યના ખેત નિયામક બી. આર. શાહના રિટાયર્ડમેન્ટ બાદ ખેત નિયામકની જગ્યા ઇન્ચાર્જથી ચાલી રહી છે. રાજ્યની કૃષિ પ્રગતિનો આધાર જેના ખભે હોય તે જગ્યા હાલમાં ઇન્ચાર્જમાં હોવા છતાં સરકારને ખેત નિયામકને લાયક અધિકારી મળતા નથી કે સરકારમાં આવા અધિકારીઓની ઉણપ સર્જાઇ તે તો સરકાર જાણે. પરંતુ ખેત નિયામકની વાત તો બાજુમાં રાખો ગત ૧૫મી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ રાજ્યના બાગાયત નિયામક  બી. એસ. પટેલ પણ રિટાયર્ડ થતાં આ જગ્યા પણ ઇન્ચાર્જથી ચલાવવાની નોબત આવી છે. આમ કૃષિક્ષેત્રના બે આધાર સ્તંભ એવા ખેત નિયામક અને બાગાયત નિયામકની જગ્યા ચાર્જમાં હોવાથી કૃષિક્ષેત્રના વિકાસની પ્રગતિ પર તેની સીધી અસર પડતી હોય છે. આ કટાક્ષ નથી પરંતુ રાજ્ય સરકારે પણ કૃષિપ્રગતિનો વિકાસરથ આ જ ઝડપે આગળ ધપાવવો હશે તો સરકારે પણ આ જ્ગ્યાઓ ત્વરિત ભરવી પડશે. આપણે પણ આશા રાખીએ કે ચાર્જમાં ચાલતા રાજ્યના કૃષિ વિભાગને ખેત નિયામક અને બાગાયત નિયામકને લાયક અધિકારીઓ જલ્દી મળી રહે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

મગફળીમાં ખેડૂતોને મહેનત માથે પડી


  • ૨૦૧૨માં વરસાદની અછતથી મગફળીની ખેતીમાં થયેલા નુક્સાનને સરભર કરવાનાં સપનાં જોતાં ખેડૂતોનાં સપનાં રોળાયાં
  • ૫૫ હજાર ગૂણીનું દરરોજ ટેકાના ભાવથી પણ નીચા ભાવે વેચાણ
  • ૫૬  હજાર ટન મગફળીની ટેકાના ભાવે નાફેડે છેલ્લા બે માસમાં ખરીદી કરી
  • ખેડૂતોને ટેકાના ભાવે છોડી દેવાયા

રાજ્યમાં મગફળીની ખેતીએ ખેડૂતોને પરેશાનીમાં મૂક્યા છે. સારા વરસાદથી વાવેતરમાં વધારો અને હેક્ટરદીઠ ઉત્પાદકતા પણ વધતાં ગત ચોમાસાની અછતમાં થયેલી નુક્સાની ભરપાઇ કરવાનાં સપનાં જોતાં ખેડૂતોનાં આ સીઝને પણ સપનાં રોળી નાખ્યાં છે. ઉત્પાદનના ઢગ જોઈ હરખાતો જગતનો તાત મગફળીના ભાવ જોઇ મૂંઝાઇ રહ્યો છે, પરંતુ તેની મૂંઝવણનો કોઇ ઉકેલ મળતો નથી. મગફળીની ખરીદી કરતાં તમામ માર્કેટયાર્ડોમાં ભાવ એમએસપીથી પણ નીચા હોવાથી ટેકાના ભાવે ખરીદીના બહાને સરકારે મગફળીના મામલે  હાથ ખંખેરી લીધા છે અને ખેડૂતો પિસાઇ રહ્યા છે. બીજી તરફ તલાટીઓની ઘટથી ૭-૧૨ના ઉતારાની રામાયણ, મંડળીમાં ખેડૂતોની લાઇનો, વેરહાઉસ અને ગોડાઉનોની સમસ્યાઓ અને પૈસા સપ્તાહ બાદ મળવાના નિયમોએ મગફળીના ખેડૂતોને એવા મૂંઝવી નાખ્યા છે કે ખેડૂતો ઓછા  ભાવે બજારમાં મગફળી વેચવા તૈયાર છે, પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા તૈયાર નથી. પરિણામે બજારમાં હાલમાં ૫૫ હજાર ગૂણી મગફળી ટેકાના ભાવથી ઓછા ભાવે વેચાવા માટે આવે છે. જ્યારે લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૃ કરનાર ગુજકોમાસોલ  માત્ર ૨૦૦ કરોડની ટેકાના ભાવની ૫૬ હજાર ટન મગફળી ડિસેમ્બરના અંત સુધી ખરીદી કરી શક્યું છે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને નામે રાજસ્થાનની મગફળી ખરીદાઈ રહી હોવાની ખેડૂતો બૂમરાણો પાડી રહ્યા છે.
                        
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કાજુ ગણાતી મગફળીની ખેતી ખેડૂતોને ચાલુ વર્ષે રડાવી રહી છે. સૌરાષ્ટ્રમાં ખરીફ સીઝનના મુખ્ય પાક ગણાતી એવી મગફળીની ખેતીમાં માઠી દશા બેઠી છે. ૨૦૧૨માં વરસાદની અછતથી મગફળીની ખેતી ન કરી શકનાર ખેડૂતોને ભાગે ચાલુ સીઝનમાં પણ નુકસાની સહન કરવાની નોબત આવી છે. ખેડૂતોને ઉત્પાદન ઊંચું આવ્યું છે, પરંતુ ભાવ ન મળતાં ખેડૂતોને ભાગે ફક્ત મજૂરી કરવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવની રામાયણને પગલે ખેડૂતો સૌરાષ્ટ્રમાં બૂમરાણો મચાવી રહ્યા છે, પરંતુ આ અંગે કોઇ પગલાં ન લેવાતાં ખેડૂતો દરરોજનું લાખોનું નુક્સાન ભોગવી રહ્યા છે.

રાજ્યમાંથી ૫૬ હજાર ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી

મગફળીના ભાવો દિવાળી સમયે ટેકાના ભાવથી પણ નીચા જતાં ખેડૂતોએ પાડેલી બૂમરાણને પગલે નાફેડે લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી સેન્ટરો શરૃ કર્યાં હતાં. જેમાં ટેકાના ભાવે ખરીદી બાબતે કેટલાંક ધારાધોરણો મુકાયાં હતાં જે હાલમાં ખેડૂતોના ગળાનો ગાળિયો બની ગયા છે. રાજ્યમાં ૩૧ ડિસેમ્બર સુધીમાં મગફળીની માત્ર ૫૬ હજાર ટનની ખરીદી થઇ છે. રાજ્યમાં ૨૫ લાખ ટન મગફળીના ઉત્પાદન વચ્ચે માત્ર ૫૬ હજાર ટન મગફળીની ખરીદી પાશેરામાં પૂણી સમાન છે. ગોડાઉનના સ્ટોકના ભાવે મગફળીની ખરીદી અટકતાં ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે. મગફળીની ખરીદીમાં સાચા ખેડૂતો મગફળી વેચવા અને પોષણક્ષમ ભાવો મેળવવા માટે લાઇનોમાં ઊભા રહે છે. જ્યારે ખેડૂતોની જાણબહાર ૭-૧૨ના ઉતારા રેકર્ડ પર રજૂ કરીને વચેટિયા તત્ત્વો કમાણી કરી રહ્યાં હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે.

ઉનાળુ મગફળીનું વાવેતર ઘટશે

ખરીફ મગફળીનું રાજ્યમાં ૨૫ લાખ ટન ઉત્પાદન છતાં ભાવ ટેકાના ભાવથી પણ નીચા રહેતાં ખેડૂતોને મગફળીની ખેતીમાં નુક્સાન સહન કરવાની નોબત આવી છે. હાલમાં રાજ્યના તમામ માર્કેટયાર્ડમાં મગફળીનો ભાવ પ્રતિ મણે રૃપિયા ૬૫૦થી ૭૫૦ ચાલી રહ્યો છે. સરકારે ટેકાનો ભાવ પ્રતિ મણ રૃપિયા ૮૦૦ નક્કી કર્યો છે. આમ, ખેડૂતો મગફળીની ખેતીમાં સરેરાશ નુક્સાન સહન કરી રહ્યા છે. પરિણામે ઉનાળુ મગફળીની વધતી જતી ખેતી પર તેની સીધી અસર પડવાની સંભાવના છે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી ઉનાળુ મગફળીની ખેતી વધી રહી છે. ચાલુ વર્ષે તેમાં કાપ આવવાની સંભાવના છે. રાજ્યમાં ગત ઉનાળામાં ૭.૫૩ લાખ હેક્ટરમાં વાવેતર પહોંચ્યું હતું. ૨૦૧૨માં વાવેતરનો આંક ૨.૦૮ લાખ હેક્ટર હતો. રાજ્યમાં ઉનાળુ મગફળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર, જામનગર, સાબરકાંઠા, વડોદરા, કચ્છ અને રાજકોટમાં વધારે પ્રમાણમાં થાય છે. તેમાં મોટો કાપ આવશે. ૨૦૧૩માં મગફળીનું સૌથી વધુ વાવેતર કચ્છમાં થયું હતું.

દેશમાં ૪૫થી ૪૭ લાખ ટન મગફળી પાકશે

દેેશમાં મગફળીનો વાવેતર વિસ્તાર વધવાની સાથે સારા વરસાદથી હેક્ટરદીઠ ઉત્પાદન પણ વધતાં મગફળીનું ઉત્પાદન ૪૫થી ૪૭ લાખ ટન થવાની સંભાવના છે. દેશમાં ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં ૯૦ ટકા ઉત્પાદન થાય છે. આઇઓપીઇપીસીના અંદાજ અનુસાર ૨૦૧૨માં મગફળીનું ઉત્પાદન ૨૧ લાખ ટન થયું હતું, પરંતુ ૨૦૧૩માં દેશમાં ૪૯ લાખ ટન ઉત્પાદન થશે. આમ, ચાલુ વર્ષે ૨૮ લાખ ટન મગફળીનું ઉત્પાદન વધશે. જ્યારે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશનના અંદાજ અનુસાર ૨૦૧૩-૧૪માં દેશમાં મગફળીનું ઉત્પાદન ૪૭ લાખ ટન થશે જે ૨૦૧૨માં ૨૬ લાખ ટન હતું. ગુજરાતમાં સૌથી વધુ ૨૫ લાખ ટન ઉત્પાદન થવાની સંભાવના છે. આઇઓપીઇપીસીના એક અંદાજ અનુસાર દેશમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં મગફળીની નિકાસ ૨૧૧,૭૬૫ લાખ ટન થઇ છે. ૨૦૧૨માં ૩૪૧,૬૭૮ લાખ ટન થઇ છે. આમ નિકાસમાં ૧૨૯,૯૧૩ લાખ ટનનો ઘટાડો થયો છે.

અપેડાના નિયમોએ સીંગદાણાનાં કારખાનાંઓનો મૃત્યુઘંટ વગાડયો

સીંગદાણાની નિકાસ માટે સરકાર હસ્તકના અપેડાએ ગત જાન્યુઆરીમાં દરેક યુનિટ અને નિકાસકાર માટે નવા રજિસ્ટ્રેશનના નિયમો અમલમાં મૂક્યા બાદ સૌરાષ્ટ્રમાં સીંગદાણાના ઉદ્યોગની પડતી શરૃ થઇ હતી. હાલમાં સીંગદાણાના બજારની પડતી શરૃ થતાં સૌરાષ્ટ્રમાં ૭૦ ટકા યુનિટો બંધ પડયા છે. સૌરાષ્ટ્રમાં ૮૫ ટકા યુનિટો નાના છે. અપેડાના નવા નિયમોમાં નાના યુનિટોનો મરો થયો છે. ભારતમાંથી સીંગદાણાની ૮.૩૨ લાખ ટનની નિકાસ થઇ હતી ત્યારે યુરોપિયન દેશોમાં નિકાસની માત્રા ૫૦ હજાર ટન જ હતી. અપેડાના નવા નિયમો યુરોપિયન દેશોએ પાડેલી બૂમરાણોને આધારે જ અમલમાં મુકાયા છે. યુરોપિયન દેશોમાં ભારતીય સીંગદાણાની ઓછી ખપત છતાં અપેડાના નિયમોથી સૌરાષ્ટ્રમાં સીંગદાણાનો ઉદ્યોગ મરી પરવારી રહ્યો છે. સીંગદાણાની નિકાસના નિયમો જોઇએ તો સીંગદાણાની નિકાસ કરતા યુનિટો અને નિકાસકારોએ હેસેપ્સનું ર્સિટફિકેટ લેવાનું હોય છે. અગાઉ મગફળીના સપ્લાયનું ચેકિંગ પોર્ટ પર થતું હતું તેને માટે બહુ જ ઓછો સમય લાગતો પરંતુ હવે ફેક્ટરી પર સેમ્પલિંગ થયા બાદ તેની મંજૂરી પાછળ જ છથી સાત દિવસનો સમય લાગે છે. આમ નિકાસ માર્કેટની ચેન તૂટતાં જ્યાં હલકી ગુણવત્તાના આફ્રિકન દેશોના સીંગદાણાની માંગ ન હતી. તે સીંગદાણા હાલમાં યુરોપિયન દેશો ૮૦૦થી ૯૦૦ ડોલરે ખરીદી કરી રહ્યા છે.

માર્કેટયાર્ડમાંથી મગફળીની ખરીદી થવી જોઇએ


 મગફળીની ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતો ધરમધક્કા ખાઇ રહ્યા છે ત્યારે વિસાવદર તાલુકાના ઝીંયાવડણા ગામના સરપંચ અને ખેડૂત અગ્રણી ભાનુભાઇ કોટડિયાએ જણાવ્યું હતું કે, મગફળીની ખરીદીમાં ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે. હાલમાં ગુજકોમાસોલ મગફળીની ખરીદીના આંક દર્શાવી રહ્યું છે તેમાં મોટાભાગની મગફળી રાજસ્થાનની મગફળીની હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ગોડાઉનનાં ભાડાં પણ ઊંચાં ચૂકવાઇ રહ્યાં છે. ખરેખર તો મગફળીના વેચાણ માટે ખેડૂતો માર્કેટયાર્ડમાં જાય છે તો મગફળી યાર્ડમાંથી ટેકાના ભાવે ખરીદાવી જોઇએ. સહકારી મંડળીઓને ખરીદી કરવાની સત્તાથી સાચા ખેડૂતોની માંડવી ખરીદાતી નથી.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

બાગાયતી સહાયમાં ખેડૂતોને લાભ જ લાભ


સંકલિત આંતરિક વિકાસ મિશન હેઠળ નવાં સહાયનાં ધોરણો જાહેર : નર્સરી અપગ્રેડેશન, ટપક સિંચાઈ સાથે સંકલન કરાશે : જાહેરહિતના જૂથો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ સહિત વિવિધ નવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો : નર્સરી, પોલીહાઉસ, નેટહાઉસ માટે નવાં ધોરણો આવ્યાં : ૧ એપ્રિલ બાદ નવા ધોરણો અમલમાં આવશે : સહાયમાં ૮૫:૧૫ની ફોર્મ્યુલા અપનાવાઇ


બાગાયતી પાકના વધતા જતા ચલણને લઈને હવે સરકાર પણ સજાગ બની છે. બાગાયતી ખેતી અંદાજે ૨૩૦ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવે છે અથવા તો એવું પણ કહી શકાય કે દેશના ૧૬ ટકા જેટલા વિસ્તારમાં બાગાયતી ખેતી કરવામાં આવે છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં બાગાયતી ખેતી માટે નવી યોજનાઓ અમલમાં મૂકાઇ છે. આ યોજનાઓ થકી બાગાયતી ઉત્પાદનમાં વધારો થવાની સાથે સ્થાનિક વપરાશ અને નિકાસમાં વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ યોજનાઓના અમલીકરણ માટે બાગાયતી વિભાગ દ્વારા સમીક્ષા કરાઇ યોગ્ય ખર્ચના ધોરણો તેમજ જમીનની વાસ્તવિકતા અંગે સહાય પેટર્ન નક્કી કરવામાં આવી છે. જેમાં નર્સરી અપગ્રેડેશન, ટપક સિંચાઈ સાથે સંકલન, ખેડૂત હિત જૂથો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ સહિત વિવિધ નવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ યોજનાઓ માટે ૧૨મી પંચવર્ષીય યોજનામાં બાગાયત સંકલિત વિકાસ મિશન એટલે કે (એમઆઈડીએચ) હેઠળ ભલામણો કરવામાં આવી હતી. નવા આ સહાયના ધોરણો ૧ એપ્રિલ બાદ અમલમાં આવશે. યોજના ૮૫ ઃ૧૫ની હોવાથી સહાયમાં ૮૫ ટકા હિસ્સો કેન્દ્રનો અને ૧૫ ટકા હિસ્સો રાજ્ય સરકારનો રહેશે.                                         
  કેન્દ્ર સરકારના બાગાયતી વિભાગ દ્વારા સંકલિત બાગાયત વિકાસ માટે ફળો, શાકભાજી, રૃટ અને કંદ પાક, મશરૃમ, મસાલા પાક, ફૂલ પાક, સુગંધિત પ્લાન્ટ, નાળિયેર, કાજુ, કોકો અને વાંસના પાકને આવરી લેવામાં આવ્યા છે અને આ તમામ પાકનો સર્વગ્રાહી વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકારે વિકાસ પ્રોત્સાહન માટે યોજનાઓ અમલમાં મૂકી છે.  સંકલિત બાગાયત વિકાસ મિશન એટલે કે (એમઆઈડીએચ) હેઠળ યોજનાઓનો સમાવેશ કરવા માટે ભલામણો કરવામાં આવી હતી. એમઆઈડીએચ અને નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રિકલ્ચર એટલે કે એનએમએસએ સાથે મળીને કામ કરશે જેમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂક્ષ્મ સિંચાઈથી ખેતી કરી પાકને બચાવવા સહિત ખેડૂતોને પૂરતું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. એમઆઈડીએચ દ્વારા રાજ્ય સરકારના બાગાયતી વિભાગને ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવશે. બાગાયત વિભાગની સહાયની સાથે સાથે હેતુ અને ઉદ્દેશો પર નજર કરીએ તો એમઆઈડીએચ ટેકનોલોજી પ્રમોશન, વિસ્તરણ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, પ્રક્રિયા અને માર્કેટિંગ સહિત વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ બાગાયતી ખેતીનો વ્યાપ વધારવામાં આવશે. આ સિવાય ખેડૂતોના પાકની સુરક્ષા અને આવક સહાય સુધારવા સહિત બાગાયત ઉત્પાદન વૃદ્ધિ અંગે ધ્યાન આપવામાં આવશે. માઈક્રો સિંચાઈ પદ્ધતિ દ્વારા જળવપરાશ, કાર્યક્ષમતા અને ઉત્પાદન વધારવા અંગેનાં પણ કાર્યો હાથ ધરવામાં આવશે. બાગાયત વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી સહાય યોજનાની ગાઇડલાઇનમાં ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવામાં આવશે તે વિે જોઈએ તો, એમઆઈડીએચ દ્વારા બાગાયતમાં ખર્ચ ધોરણો અને પેટા યોજનાઓ નક્કી કરવામાં આવી છે.  જેમાં રિસર્ચ માટે સરકારે ૧૦૦ લાખની સહાયની જોગવાઇ કરી છે. આ સહાયના તમામ નાણાં સંશોધન અને વાવેતર વિકાસ સામગ્રીની આયાત માટે ખર્ચવામાં આવશે. ટેકનોલોજીનું માનકીકરણ અને ટેકનોલોજી સંપાદન અને વિવિધ તાલીમ માટે પણ ભંડોળ ખર્ચવામાં આવશે.ટિસ્યૂકલ્ચર યુનિટને મજબૂત બનાવવા માટે ૨૦ લાખ રૃપિયા પ્રતિ યુનિટ દીઠની જોગવાઇ કરાઇ છે. જેમાં ૧૦૦ ટકા લેખે જાહેર ક્ષેત્રમાં ખર્ચવામાં આવશે જ્યારે ખાનગી ક્ષેત્રે ૫૦ ટકા લેખે સબસિડી આપવામાં આવશે. નવા ટિસ્યૂકલ્ચર વિસ્થાપિત કરવા માટે રૃપિયા ૨૫૦ની સહાયની જોગવાઇ છે જે સંપૂર્ણપણે જાહેરક્ષેત્રમાં ખર્ચવામાં આવશે.શાકભાજી અને મસાલા બીજ ઉત્પાદન માટે રૃપિયા ૫૦,૦૦૦ પ્રતિ હેક્ટર દીઠ સહાયની નવી ગાઇડલાઇનમાં જોગવાઇ કરાઇ છે. જેમાં ઓપન પોલીનેટેડ (પરાગધાન પાકો) માટે રૃપિયા ૩૫ હજાર પ્રતિ હેક્ટર દીઠની જોગવાઇ છે. જેમાં ૧૦૦ ટકા લેખે જાહેરક્ષેત્રમાં ખર્ચ કરવામાં આવશે જ્યારે ૩૫ ટકા ખાનગી ક્ષેત્રમાં ખર્ચવામાં આવશે.  હાઈબ્રિડ શાકભાજી બીજ ઉત્પાદન માટે રૃપિયા દોઢ લાખ પ્રતિ હેક્ટર દીઠની પણ જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ૧૦૦ ટકા જાહેરક્ષેત્ર અને ૩૫ ટકા જનરલ એરિયા માટે સહાય રહેશે. બીજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૨૦૦ લાખ રૃપિયાની સહાયની પણ જોગવાઇ છે જેમાં બીજ નિયંત્રણ, બીજ સંગ્રહ, પેકિંગ તમામનો સમાવેશ થાય છે. આ રકમ ૧૦૦ ટકા જાહેરક્ષેત્રે અને ૫૦ ટકા લેખે ખાનગી સાહસો પાછળ વાપરવામાં આવશે. પ્લાન્ટેશન પાકમાં પણ સરકારે સહાયની જોગવાઇ કરી છે જેમાં કાજુ અને કોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ૧ લાખ પ્રતિ હેક્ટર માટે સહાય અપાશે. જેમાં રૃપિયા ૪૦,૦૦૦ પ્રતિ હેક્ટર દીઠ ખર્ચના અંદાજ મુજબ ૪૦ ટકા લેખે ખેડૂતને સહાય મળશે. આમ, સરકારના નવાં સહાયનાં ધોરણોથી ખેડૂતોને ફાયદો થશે.

ગ્રીનહાઉસ માટે વિશેષ સહાયની જોગવાઈ

હવે વાત કરીએ રક્ષિત ખેતીની તો સરકારે ગ્રીનહાઉસથી થતી ખેતીમાં સહાયની પણ વિશેષ જોગવાઈઓ કરી છે. જેમાં ફેન એન્ડ પેડ સિસ્ટમ માટે સામાન્ય ખેડૂતો માટે ખર્ચના ૫૦ ટકા મુજબ લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મીની મર્યાદામાં સહાયની જોગવાઇ કરાઇ છે. ૨૦૮૦ ચોરસ મીટરથી લઈ ૪૦૦૦ ચોરસ મીટર લેખે રૃપિયા ૧૪૦૦ની સહાયની આ ગાઇડલાઇનમાં જોગવાઇ છે. કુદરતી વેન્ટિલેશનમાં નળાકાર માળખામાં ૨૦૮૦ ચોરસ મીટરથી લઈ ૪૦૦૦ ચોરસ મીટર લેખે રૃપિયા ૧૦૬૦ પ્રતિ ચો.મી સહાયની જાહેરાત થઈ છે.  લાકડાના માળખા માટે રૃપિયા ૫૪૦ પ્રતિ ચો.મી, વાંસના માળખા માટે ૪૫૦ રૃપિયા પ્રતિ ચો.મીના ખર્ચ પ્રમાણે ૫૦ ટકા મુજબ સહાયની જોગવાઇ છે. શેડ નેટહાઉસ માટે નળાકાર માળખામાં રૃપિયા ૭૧૦ પ્રતિ ચો.મી, લાકડાના માળખા માટે ૪૯૨ રૃપિયા પ્રતિ ચો.મી, વાંસના માળખા માટે રૃપિયા ૩૬૦ પ્રતિ ચો.મીના ખર્ચ પ્રમાણે ૫૦ ટકા લેખે સહાયની જોગવાઇ કરાઇ છે. પ્લાસ્ટિક ટનલ્સ માટે રૃપિયા ૬૦ ચો.મીના ખર્ચના ૫૦ ટકા મુજબ ૧૦૦૦ ચો.મી સુધીની સહાય, પક્ષી-કરા સામે સંરક્ષણ નેટમાં રૃ. ૩૫ ચો.મીના ખર્ચના ૫૦ ટકા લેખે ૫૦૦૦ ચો.મી સુધીની સહાયનાં પણ ધારાધોરણો છે. પોલીહાઉસમાં અતિ મૂલ્યવાન શાકભાજીના પ્લાન્ટિંગ મટીરિયલ્સ માટે રૃ. ૧૪૦ પ્રતિ ચો.મી તથા ફૂલ પાકના પ્લાન્ટિંગ મટીરિયલ માટે રૃ.૭૦૦ પ્રતિ ચો.મીના ખર્ચના ૫૦ ટકા મુજબ ૫૦૦ ચો.મી સુધીની સહાયની જોગવાઈ છે. પોલીહાઉસમાં ઉગાડાતા જરબેરા અને કાર્નેશનના પ્લાન્ટિંગ મટીરિયલ માટે રૃપિયા ૬૧૦ પ્રતિ ચો.મી, જ્યારે ગુલાબનાં ફૂલોની ખેતી માટે રૃપિયા ૪૨૬ પ્રતિ ચો.મીના ખર્ચના ૫૦ ટકા મુજબ ૪૦૦૦ ચો.મી સુધીની સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો પ્લાસ્ટિક મલ્ચિંગ માટે ૩૨,૦૦૦ રૃપિયા પ્રતિ હેક્ટરના ખર્ચ પ્રમાણે ૫૦ ટકા મુજબ અને ૨ હેક્ટર સુધીની સહાયની જોગવાઇ કરાઈ છે.

નર્સરીમાં સહાયના ખેડૂતો માટે આ રહ્યાં ધોરણો

હાઈટેક નર્સરીમાં પ્રતિ એક હેક્ટર દીઠ ૨૫ લાખ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં જાહેર ક્ષેત્ર માટે ૧૦૦ ટકા લેખે રૃપિયા ૧૦૦ લાખ પ્રતિ એકમ સુધીની જોગવાઇ છે તો ખાનગી ક્ષેત્રમાં નર્સરી માટે ૪૦ ટકા સબસિડી જાહેર કરવામાં આવી છે જેમાં રૃપિયા ૪૦ લાખ ૪ હેક્ટર વિસ્તારમાં પ્રતિ યુનિટ લેખે ખેડૂતને સહાય પેટે મળશે. આ સહાય માટે નર્સરીને ૫૦ હજાર જેટલા છોડનું ઉત્પાદન કરવું પડશે.તેવી જ રીતે નાની નર્સરીમાં સમાવેશ થતા ફળ પાક, મસાલા છોડ, ઔષધીય છોડ, પ્લાન્ટેશન પાક, સુગંધિત છોડ પાક માટે પ્રતિ હેક્ટર દીઠ લેખે રૃપિયા ૧૫ લાખની સહાય કરવાની જોગવાઇ કરાઇ છે.  આ સહાય ૧૦૦ ટકા જાહેર ક્ષેત્ર માટે રહેશે. ખાનગી ક્ષેત્રની નાની નર્સરીમાં રૃપિયા ૭. ૫૦ લાખ પ્રતિ યુનિટ દીઠ પ્રોજેક્ટની કાર્યરચના માટેની પણ જોગવાઇ કરાઇ છે. જે તે નર્સરીએ વાનસ્પતિક યોગ્યતા, ગુણવત્તા વગેરે જળવાઈ રહે તેવા ૨૫,૦૦૦ જેટલા છોડનું ઉત્પાદન કરવાનું રહેશેઅપગ્રેડિંગ નર્સરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧૦ લાખ રૃપિયા પ્રતિ હેક્ટરદીઠ ૪ નર્સરી લેખે સહાયની જોગવાઇ કરાઇ છે. જેમાંં જાહેરક્ષેત્રે ૧૦૦ ટકા સહાય જાહેર કરવામાં આવી છે જ્યારે ખાનગી ક્ષેત્રે ૫૦ ટકા લેખે વધુમાં વધુ રૃપિયા ૫ લાખ પ્રતિ હેક્ટર દીઠ ફાળવવામાં આવશે. સાથે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે પણ નાણાં ખર્ચ કરવામાં આવશે. જેમા સિંચાઈ, ફળદ્રુપતા, નેટ હાઉસિંગ સહિત તમામ બાબતો આવરી લેવામાં આવી છે.     
published in Gujarat leading agriculture news paper Agro sandesh..