Saturday, 28 September 2013


રવી પાક ખેડૂતોને કમાણી કરાવશે
ટેકાના ભાવમાં રૃ.૧૨૦ સુધીનો વધારો થશે

ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિક્વિન્ટલ રૃપિયા ૧,૪૦૦, રાઇનો રૃપિયા ૩,૦૫૦ અને ચણાનો ટેકાનો ભાવ રૃપિયા ૩,૧૦૦ રહેવાનો અંદાજઃ કૃષિ મંત્રાલય દ્વારા પ્રતિક્વિન્ટલ રૃપિયા ૧૦૦થી ૨૦૦નો વધારો કરવાની કેબિનેટ કમિટીને ભલામણ કરાઈ

ખરીફ સીઝનના પાકનું ઉત્પાદન બજારમાં આવવાનું શરૃ થતાં ખેડૂતો હવે રવી સીઝનની તૈયારીઓ આરંભશે. વાવેતર કરતાં પાક ઉત્પાદનના ભાવ ખેડૂતો માટે ઘણાં અગત્યના છે. બજારભાવ જ ખેડૂતોના પરસેવાની કમાણી નક્કી કરતા હોવાની સાથે ભાવ સારા હોય તો ઓછા ઉત્પાદનની વચ્ચે પણ ખેડૂતોને સારી કમાણી થાય છે. ખેડૂતોે નુક્સાનીની ગર્તામાં ન ધકેલાય તે માટે દર વર્ષે પાકવાર ટેકાના ભાવો જાહેર થાય છે. ચાલુ વર્ષે પણ સીએસીપી ( કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ) અને કૃષિ મંત્રાલય દ્વારા ટેકાના ભાવની ભલામણ કેબિનેટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેમાં મંત્રાલય દ્વારા ટેકાના ભાવમાં ક્વિન્ટલે રૃપિયા ૧૦૦થી ૨૦૦નો તો સીએસીપીએ રૃપિયા ૫૦થી ૧૨૦નો વધારો કરવાની ભલામણો મૂકી છે. આ ભલામણો સ્વીકારવામાં આવશે તો ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિક્વિન્ટલ રૃપિયા ૧,૪૦૦, રાઈનો રૃપિયા ૩,૦૫૦ અને ચણાનો ટેકાનો ભાવ રૃપિયા ૩,૧૦૦ રહે તેવો અંદાજ લગાવાઇ રહ્યો છે.     

કૃષિ વિભાગ દ્વારા કઠોળ અને તેલીબિયાં પાકોનું વાવેતર વધે તેવા પ્રયાસોના ભાગરૃપે આ પાકોની એમએસપીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ખરીફ સીઝનમાં કઠોળ અને તેલીબિયાં પાકોની એમએસપીમાં વધારાની અસર વાવેતરમાં જોવા મળી હતી. રવી સીઝનમાં પણ કૃષિ વિભાગે ઘઉં, રાયડો, ચણા અને મસૂરના ભાવોની એમએસપીમાં રૃપિયા ૧૦૦થી ૨૦૦નો વધારો કરવા કેબિનેટ કમિટીને ભલામણ કરવામાં આવી છે. જો મંત્રાલયની ભલામણને સ્વીકારવામાં આવશે તો ખેડૂતોને બખ્ખાં થઇ જશે, પરંતુ હંમેશાં સીએસીપીની ભલામણોને કેબિનેટ કમિટી માન્ય ગણતી હોવાથી સીએસીપીએ રવી સીઝન માટે પાક દીઠ રૃપિયા ૫૦થી લઇને ૧૨૦ રૃપિયાનો વધારો કરવાની ભલામણ કરી છે. જે હાલમાં માન્ય ગણાશે તેવો અંદાજ બંધાઇ રહ્યો છે.
કઠોળ પાકોમાં રવી સીઝનના મુખ્ય પાક ચણા માટે સીએસીપીએ ૨૦૧૩-૧૪ કરતાં રૃપિયા ૧૦૦ વધારવાની તો કૃષિ મંત્રાલયે રૃપિયા ૨૦૦ એમએસપી વધારી ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૨૦૦ કરવાની માંગણી કરી છે. આ જ પ્રકારે મસૂરમાં સીએસીપીએ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૫૦ વધારવાની માંગણી સામે કૃષિ મંત્રાલયે ૨૦૦ રૃપિયા વધારી ભાવ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ ૩૧૦૦ નક્કી કરવાની ભલામણ કરી છે. રાયડાની એમએસપીમાં પણ સીએસીપીએ રૃપિયા ૫૦નો વધારો કરવાની તો કૃષિ મંત્રાલયે પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૧૫૦ વધારી ૩૧૫૦ કરવાનો અંદાજ લગાવ્યો છે. સીએસીપીએ ઘઉંની એમએસપીમાં રૃપિયા ૫૦ વધારવાની ભલામણ કરી છે. જ્યારે મંત્રાલય રૃપિયા ૧૦૦ વધારી ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૧૪૫૦ થાય તેવી માંગ કરી રહ્યું છે. આમ એમએસપીના વધારો અને ઘટાડો વાવેતરના આંકને અસર કરતો હોવાથી કૃષિ વિભાગ ખેડૂતોને ટેકાના ભાવ વધુ મળે તેવા પ્રયાસો કરી રહ્યું છે. ગત સપ્તાહે રવી સીઝન પર નેશનલ કોન્ફરન્સ યોજાઇ ગઇ. જેમાં રવી સીઝનમાં પાકનું ઉત્પાદન વધારવાનો જ મુખ્ય સૂર હતો. આ માટે રાષ્ટ્રવ્યાપી નીતિ ઘડવા પર ભાર મુકાયો હતો. આમ કૃષિ વિભાગ રવી સીઝનમાં ઉત્પાદન વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. રવી સીઝનમાં ધાન્ય પાકોનો મુખ્ય આધાર ગણાતા ઘઉં અને કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થાય છે તો તેલીબિયાં પાકોના ઉત્પાદનનો ગ્રાફ ઊંચો લઇ જવામાં રાઇના પાકનું પણ ઘણું ઊંચું મહત્ત્વ છે. એક દાયકા પૂર્વે નજર કરીએ તો ૨૦૦૩-૦૪માં ઘઉંનો ટેકાનો ભાવ રૃપિયા ૬૨૦ હતો જ્યારે ૨૦૧૨-૧૩માં ૧૩૫૦ અને ૨૦૧૩-૧૪માં ૧૪૦૦ થાય તેવી શક્યતા છે. આમ દાયકામાં  ઘઉંનો ટેકાનો ભાવ ડબલ થયો છે. આ જ પ્રકારે ચણાનો ભાવ રૃપિયા ૧૨૨૦ હતો જે હાલમાં ૩૧૦૦ રૃપિયા થયો છે. આમ ખેતી ખર્ચ વધતાં સામે ટેકાના ભાવમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. રાયડામાં પણ દસકા પૂર્વે ટેકાનો ૧૩૩૦નો ભાવ હાલમાં ૩૦૫૦ રૃપિયાએ પહોંચ્યો છે. આમ ટેકાના ભાવથી ખેડૂતોને ફાયદો થતો રહ્યો છે. રાજ્યમાંથી રવી સીઝનમાં ઘઉંની ટેકાના ભાવે મોટી ખરીદી થાય છે.

                                                              
ટેકાના ભાવમાં વધારો કરવા કરાયેલી ભલામણો

પાક       સીએસીપી           કૃષિ મંત્રાલય         નવો અંદાજ
ચણા      ૧૦૦                     ૨૦૦                  ૩૧૦૦
મસૂર      ૫૦                         ૨૦૦                 ૩૦૫૦
રાઇ       ૫૦                         ૧૫૦                 ૩૦૫૦
ઘઉં        ૫૦                        ૧૦૦                  ૧૪૦૦
જવ       ૧૨૦                       ૧૨૦                  ૧૧૦૦
સૂરજમુખ  ૨૦૦                    ૨૦૦                      ૩૦૦૦

નોંધઃ ભાવ પ્રતિક્વિન્ટલ રૃપિયામાં અને ટેકાના નવા ભાવનો અંદાજ સીએસીપીએ કરેલી ભલામણોને આધારે છે.

રવી પાકોના વર્ષવાર લઘુતમ ટેકાના ભાવ (રૃપિયામાં)

પાક       ૨૦૦૬-૦૭  ૨૦૦૭-૦૮  ૨૦૦૮-૦૯  ૨૦૦૯-૧૦  ૨૦૧૦-૧૧    ૨૦૧૧-૧૨  ૨૦૧૨-૧૩     ૨૦૧૩-૧૪
જવ         ૫૫૦              ૫૬૫             ૬૫૦     ૬૮૦                  ૭૫૦     ૭૮૦               ૯૮૦          ૯૮૦
ગ્રામ         ૧૪૩૫          ૧૪૪૫            ૧૬૦૦   ૧૭૩૦            ૧૭૬૦    ૨૧૦૦              ૨૮૦૦     ૩૦૦૦
મસૂર        ૧૫૩૫            ૧૫૪૫           ૧૭૦૦   ૧૮૭૦             ૧૮૭૦   ૨૨૫૦              ૨૮૦૦   ૨૯૦૦
રાયડો       ૧૭૧૫          ૧૭૧૫             ૧૮૦૦    ૧૮૩૦            ૧૮૩૦   ૧૮૫૦             ૨૫૦૦     ૩૦૦૦
સૂરજમુખી ૧૫૬૫           ૧૫૬૫            ૧૬૫૦   ૧૬૫૦              ૧૬૮૦   ૧૮૦૦            ૨૫૦૦   ૨૮૦૦
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 24 September 2013


ખાંડ મિલોને ઉત્તરપ્રદેશમાં  રૃ.૩૦૦૦ કરોડનું નુકસાન

૨૦૧૨-૧૩ વર્ષના ખેડૂતોને ૨૮૦૦ કરોડ ચૂકવવાના પણ બાકી : ખાંડના ઉત્પાદનનો ખર્ચ વધારે આવતો હોવાથી યુ.પીમાં ખાંડ મિલોને થતું નુક્સાન

દેશમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. દેશમાં ખાંડનું ૨૪૦થી ૨૫૦ લાખ ટન ઉત્પાદન થાય છે. દેશમાં ચાલુ વર્ષે પણ ૨૫૦ લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા હોવાની સાથે ખાંડનો ૮૦ લાખ ટનનો કેરીફોરવર્ડ સ્ટોક હોવાથી દેશ પાસે ૩૩૦ લાખ ટનનો સ્ટોક રહેશે. દેશમાં ખાંડની જરૃરિયાત પણ ૨૨૫ લાખ ટન હોવાથી ચાલુ વર્ષે ખાંડની નિકાસના સારા સંજોગો છે. કેન્દ્ર સરકારે શેરડી પર એસએ પી ૨૧૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે. હાલમાં શેરડીની કિંમત અને ખાંડના ભાવ વચ્ચે અસમતુલા હોવાથી ઉત્તર પ્રદેશમાં ચીનની મિલોની હાલત કફોડી થઇ ગઇ છે. ૨૦૧૨-૧૩ના વર્ષમાં જ ઉત્તર પ્રદેશમાં ચીનની મિલોએ રૃપિયા ૩૦૦૦ કરોડનંુ નુકસાન સહન કરવું પડયું છે. જેનું મુખ્ય કારણ ખાંડનો ઉત્પાદન ખર્ચ છે. પરિણામે મિલોએ શેરડીના ભાવ ખાંડના ભાવ સાથે જોડવાની માંગણી કરી છે. ખાંડની મિલોને નુકસાનને પરિણામે ખેડૂતોને ચૂકવવાના થતા ૨૮૦૦ કરોડ રૃપિયા પણ બાકી રહી ગયા છે.

રાજ્યના મિલમાલિકોએ એક મહિના બાદ શરૃ થતા ૨૦૧૩-૧૪ના માર્કેટિંગ વર્ષમાં શેરડીના ભાવ રૃપિયા ૨૪૦ પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં અસમર્થતા બતાવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આ વર્ષે ૨૮૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે. ઉત્તર પ્રદેશના સુગર કમિશનરને યુપી સુગર મિલ એસોસિયેશને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ૨૦૧૨-૧૩ના વર્ષમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૨૦૦ની આવક સામે ઉત્પાદન ખર્ચ રૃપિયા ૩૬૦૦ રૃપિયા થયો છે. પરિણામે સુગર ઇન્ડસ્ટ્રીઝને ચાલુ વર્ષે રૃપિયા ૩૦૦૦ કરોડનું નુકસાન થયું છે જેમાં કો. ઓપરેટિવ સેકટરનો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબરથી શેરડીની સીઝન શરૃ થાય છે ત્યારે બહાર આવેલી આ વિગતોએ શેરડીની ખેતી કરનાર ખેડૂતોમાં હલચલ મચાવી દીધી છે.

મિલ એસોસિયેશને ઉત્તર પ્રદેશ સરકારને રંગરાજન કમિટીની શેરડીની કિંમતો ખાંડ સાથે જોડવાની ભલામણ ધ્યાને લેવાની અપીલ કરી છે. ઇસ્માના ડાયરેક્ટર જનરલ અવિનાશ વર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો ખાંડ અને શેરડીના ભાવમાં કોઇ જોડાણ નહીં થાય તો આગામી દિવસોમાં બેન્કો સુગર ફેક્ટરીઓને લોન આપવાનું બંધ કરી દેશે. ઉત્તર પ્રદેશમાં ખાંડ મિલોને ઉત્પાદન ખર્ચ વધારે આવે છે. જેનું મુખ્ય કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થતી એસએપી કેન્દ્રની એસએપી કરતાં વધારે હોય છે. ઉત્તર પ્રદેશ દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરે છે. ૨૦૧૨-૧૩માં ૨૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું જેમાં એકમાત્ર ઉત્તર પ્રદેશમાંથી જ ૭૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Thursday, 12 September 2013

ખરીફ વાવેતર ખેડૂતો માટે સોનું પકવશે




દેશમાં ચોમાસાનો સારો વરસાદ ખરીફ પાકોને ફળ્યો છે. વાવેતરનો આંક એક હજાર લાખ હેક્ટરના આંકને વટાવી ગયો છે. ગુજરાતમાં વાવેતરના આંકે ૮૭ લાખ હેક્ટરના સરેરાશ આંકને પણ વટાવી દીધો છે. સારા અને સમયસર વરસાદને પગલે ચાલુ વર્ષે  રેકોર્ડબ્રેક ધાન્ય, કઠોળ અને તેલીબિયાં સહિતના પાકોનું ઉત્પાદન થાય તેવા અંદાજો કૃષિ વિભાગ લગાવી રહ્યું છે. ચાલુ વર્ષે ધાન્ય પાકોનું ૨૫૦૦ લાખ ટનથી વધુ, કઠોળ પાકોનું ૧૯૦ લાખ ટન અને ચોખાનું ૧૦૭૦ લાખ ઉપરાંત કપાસનું ૩૭૨ લાખ ગાંસડીના ઉત્પાદનના અંદાજો અત્યારથી મુકાઈ રહ્યા છે. શેરડીમાં પણ ઇસ્માના નવા અંદાજ મુજબ ૨૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે. આમ ઉત્પાદનના રેકોર્ડબ્રેક આંક સાબિતી પૂરી પાડી રહ્યા છે કે ચાલુ ખરીફ સીઝનમાં ખેડૂતોનાં ખેતરોમાં ધાનના ઢગલા થશે અને કમાણી સારી થશે. ખરીફ સીઝન ખેતીનો મુખ્ય હાર્દ હોવાથી સીઝન સારી જતાં ખેડૂતોને ખેતીનું ચાલુ વર્ષ સારું જશે. વરસાદ એ ખેતીનો મુખ્ય આધાર હોવાનો પુરાવો ખેડૂતોને આ સીઝનમાં મળ્યો છે. સમયસર વરસાદને પગલે વાવેતર પણ સમયસર રહેતાં સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૃઆતમાં એક વરસાદ ખેતીને ચાર ચાંદ લગાવી દેશે તેમાં બેમત નથી.

કપાસઃ દેશમાં ઉત્પાદન વધશે

ઓક્ટોબરથી શરૃ થનારી કપાસની નવી સીઝનમાં કપાસનું ઉત્પાદન વધીને ૩૭૨ લાખ ગાંસડી થવાનું અનુમાન કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ લગાવ્યું છે. ચાલુ વર્ષે કપાસનું વાવેતર તો ગત વર્ષની તુલનાએ સરેરાશ હોવા છતાં સારા વરસાદને પગલે કપાસની હેક્ટરદીઠ ઉત્પાદકતા વધે તેવા સંજોગો છે. અત્યાર સુધીમાં બજારમાં ૩૪૦ લાખ ગાંસડી આવી ચૂકી છે. હવે કપાસનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં રૃનો સિમીત સ્ટોક બચ્યો છે. બીજી તરફ યાર્નના ખરીદદારો અને નિકાસકારોમાં રૃની સારી માંગને પગલે હાલમાં બજારમાં કપાસના ભાવમાં તેજી છે. કૃષિ વિભાગના અંદાજ અનુસાર ૬ સપ્ટેમ્બર સુધીમાં ખરીફ સીઝનમાં દેશમાં ૧૧૩.૧૨ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. જે ૨૦૧૨-૧૩ના વર્ષમાં ૧૧૩.૦૩ લાખ હેક્ટર હતું.
કૃષિ મંત્રાલયના અંદાજ અનુસાર ૨૦૧૨-૧૩માં કપાસનું ૩૪૦ લાખ ગાંસડી અને ૨૦૧૧-૧૨માં ૩૫૨ લાખ ગાંસડી ઉત્પાદન થયું હતું. રાજ્યમાં ૧૬મી સપ્ટેમ્બર સુધી કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંક મુજબ રાજ્યમાં વાવેતરનો આંક ૨૬. ૮૬ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. ગયા વર્ષે ૨૪ લાખ હેક્ટરની આસપાસ હતો. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરે છે.

ચોખાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે

દેશમાં ૨૦૧૩-૧૪ની ખરીફ સીઝનમાં ચોખાનું ૧૦૭૦ લાખ ટન રેકર્ડબ્રેક ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે. આમ છતાં ચોખાની નિકાસમાં ઘટાડો થવાની શક્યતા છે. ગત વર્ષે ચોખાની નિકાસ ૯૪ લાખ ટન થઇ હતી જ્યારે ચાલુ વર્ષે ચોખાની નિકાસ ૮૫ લાખ ટન થવાની સંભાવના છે. વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવતા ભારતમાં ૨૦૧૨-૧૩માં ૧૦૪૦ લાખ ટન અને ૨૦૧૧-૧૨માં ૧૦૫૦ લાખ ટન ઉત્પાદન થયું હતું. ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલના છેલ્લા અહેવાલ મુજબ  દેશમાં ૧૦૭૦ લાખ ટન ચોખાના ઉત્પાદન સામે માંગ ૯૭૯ લાખ ટન છે. દેશમાં ચોખાનો શરૃઆતનો સ્ટોક ૨૨૯ લાખ ટન  હોવાથી દેશમાં ચોખાનો કુલ સ્ટોક ૨૦૧૩-૧૪માં ૧૨૯૯ લાખ ટન રહેશે. દેશમાં સારા વરસાદને પગલે ચોખાના ઉત્પાદનમાં વધારો થતો જાય છે.  દેશમાં ખરીફ ૨૦૧૩-૧૪ની સીઝનમાં સપ્ટેમ્બરની શરૃઆત સુધીમાં ૩૬૫ લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. ડાંગરનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩૯૨ લાખ હેક્ટર છે. ૨૦૧૨માં આ સમયગાળા દરમિયાન ૩૫૨ લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું. ગુજરાતમાં પણ ડાંગરનો સરેરાશ વાવેતર વિસ્તાર ૭.૨૯ લાખ હેક્ટર છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ડાંગરનું ૬.૫૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જેમાં ચાલુ વર્ષે ઉછાળો નોંધાયો છે અને વાવેતરનો આંક ૭.૮૭ લાખ હેક્ટરે પહોંચ્યો છે.

તલનું ૧૪ લાખ હેક્ટરમાં વાવેતર

તલ એક ટૂંકા ગાળાનો તેલીબિયાં પાક હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન તેનું વાવેતર થતું હોય છે. ભારત, ચીન, સુદાન, મેક્સિકો, તુર્કી, બર્મા અને પાકિસ્તાન એ તલનું ઉત્પાદન કરતા મુખ્ય દેશો છે. જેમાં ભારત વાવેતર અને ઉત્પાદનની દૃષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવતો હોવાથી વિશ્વની તલની મોટી માંગ ભારત પૂરી કરે છે. દેશમાં ૨૦૧૧-૧૨માં તલનું ૧૪.૪૪ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ૮.૧૦ લાખ ટન જેટલું ઉત્પાદન મળ્યું હતું. જ્યારે ૨૦૧૨-૧૩માં ૧૨.૮૯ લાખ હેક્ટરમાં તલનું વાવેતર થતાં ઉત્પાદન ૬.૫૪ લાખ ટન રહ્યું હતું. જ્યારે ૨૦૧૩-૧૪ની ખરીફ સીઝનમાં વાવેતરનો આંક ૧૪.૦૯ લાખ હેક્ટરે પહોંચ્યો છે. તલનો દેશમાં સરેરાશ વાવેતર વિસ્તાર ૧૬.૫૦ લાખ હેક્ટર હોવાની સાથે છેલ્લાં પાંચ વર્ષનું સરેરાશ વાવેતર ૧૪.૩૨ લાખ હેક્ટર રહે છે. ગુજરાતમાં તલનો સરેરાશ વાવેતર વિસ્તાર ૧.૫૭ લાખ હેક્ટર છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન તલનું ૫૮ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. ચાલુ વર્ષે વાવેતરનો આંક ૧.૧૭ લાખ હેક્ટરે પહોંચ્યો છે.

એરંડાના વાવેતરમાં ગુજરાતનો દબદબો

વિશ્વ લેવલે ભારત, ચીન અને બ્રાઝિલ એરંડાનું ઉત્પાદન કરતા મુખ્ય દેશો છે. તેમાં ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૮૦ ટકાનો છેે. આમ ગુજરાત એરંડાના ઉત્ પાદનમાં અગ્રેસર હોવાથી એરંડાની સીઝન દરમિયાન દેશ અને દુનિયાની નજર ગુજરાત તરફ મંડાયેલી છે. દેશમાં ઓગસ્ટથી લઇ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી વાવેતર કરાતા એરંડાનું હાલમાં દેશમાં વાવેતર ૯ લાખ હેક્ટરે પહોંચ્યું છે. દેશમાં એરંડાનું સરેરાશ વાવેતર ૯.૪૮ લાખ હેક્ટરમાં થાય છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૮.૪૨ લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થયું હતું. એરંડાના વાવેતરમાં ગુજરાતનો દબદબો છે. રાજ્યમાં એરંડાનો સરેરાશ વાવેતર વિસ્તાર ૭.૩૯ લાખ હેક્ટર છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૬.૫૫ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર સામે હાલમાં ૫.૭૨ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

રાજ્યમાં મગફળીનું ૧૬.૬૦ લાખ હેક્ટરમાં વાવેતર

વિશ્વમાં ભારત મગફળીના ૪૨ ટકા વિસ્તાર અને કુલ ઉત્પાદનમાં ૩૬ ટકા સાથે પ્રથમ છે. દેશમાં સૌ પ્રથમ મગફળીનું વાવેતર તમિલનાડુમાં શરૃ થયું હતું. મગફળીમાં ૩૦ ટકા ફાળો નોંધાવી ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. ૨૦૧૩-૧૪માં દેશમાં મગફળીના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરની શરૃઆત સુધીમાં દેશમાં મગફળીનું ૪૨.૫૯ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૪૯ લાખ હેક્ટર છે. ૨૦૧૨માં ૩૭ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. રાજ્યમાં મગફળીનું સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે. મગફળીનું ચાલુ વર્ષે ગુજરાતમાં ૧૬.૬૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૨.૦૨ લાખ હેક્ટર હતું. આમ રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તારમાં વધારો થતાં ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે.

શેરડીનું દેશમાં ૪૮ લાખ હેક્ટરમાં વાવેતર

૨૦૧૩-૧૪ના વર્ષમાં ઓકટોબર માસમાં શેરડીના ઉત્પાદનની આવકોની શરૃઆત થઇ રહી છે ત્યારે વર્તમાન વર્ષના છેલ્લા બે માસ દરમિયાન સારા વરસાદ અને સંજોગોના કારણે શેરડીનું વધુ ઉત્પાદન થવાની શક્યતા છે. જો કે દેશમાં શેરડીના ગત વર્ષના ૫૦.૦૬ લાખ હેકટરમાં થયેલા વાવેતર સામે વર્તમાન વર્ષમાં ૪૮.૮૩ લાખ હેકટરમાં શેરડીના પાકનું વાવેતર થયું છે જે ૩ ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. આમ છતાં વરસાદ, રોગ, હવામાનની સારી પરિસ્થિતિના પગલે ઉત્પાદકતામાં ંવધારો થાય તેવા સંજોગો છે. શેરડીનું સૌથી વધુ વાવેતર ૨૫.૧૭ લાખ હેકટર ઉત્તરપ્રદેશમાં થયું છે.

કઠોળ પાકોનું દેશમાં વાવેતર વધ્યું

દેશ કઠોળના ઉત્પાદનમાં સ્વાવલંબન મેળવે તે માટે કૃષિ વિભાગ દ્વારા કઠોળની ખેતી વધે તેવા દર વર્ષે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં હજુ પણ દર વર્ષે કઠોળની આયાત કરવામાં આવી રહી છે. કઠોળ માટેની મુખ્ય સીઝન આમ તો રવી સીઝન ગણાય છે. તેમ છતાં ખરીફ સીઝનમાં ૫૫થી ૬૦ લાખ ટન કઠોળ ખરીફ સીઝનમાં પાકતું હોય છે. ૨૦૧૨-૧૩ દરમિયાન દેશમાં કઠોળનું કુલ ઉત્પાદન ૧૮૦ લાખ ટન હતું જેમાં ખરીફ સીઝનનો હિસ્સો ૫૯ લાખ ટન હતો અને રવી સીઝનમાં ૧૨૦ લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું હતું, પરંતુ આ વર્ષે ખરીફમાં સારા વરસાદને પગલે કઠોળના વાવેતરમાં વધારો થતાં સ્થિતિ બદલાઇ છે અને કઠોળનું ઉત્પાદન ૬૫થી ૭૦ લાખ ટન થવાનો અંદાજ લગાવાયો છે. ગુજરાતમાં કઠોળ પાકોનું વાવેતર પાંચ લાખ હેક્ટરે પહોંચવા આવ્યું છે. રાજ્યમાં તુવેરનું ૨.૩૪ લાખ હેક્ટર, મગનું ૧.૨૮ લાખ હેક્ટર અને મઠનું ૨૭ હજાર ેહેક્ટર તેમજ અડદનું ૮૬ હજાર અને અન્ય કઠોળ પાકોનું ૧૯ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરના આ સમયગાળા દરમિયાન કઠોળ પાકોનું વાવેતર ૪.૦૪ લાખ હેક્ટરે પહોંચ્યું હતું. રાજ્યમાં કઠોળનો સરેરાશ વાવેતર વિસ્તાર ૫. ૬૬ લાખ હેક્ટર છે.

સોયાબીનઃ મધ્યપ્રદેશમાં ડબલ આવક શરૃ થઇ

સોયાબીનનું  વાવેતર ગુજરાતમાં વધવા લાગ્યું છે. શરૃઆતમાં સૌરાષ્ટ્ર પંથકમાં જ આ વાવેતર થતું હતું. ચાલુ વર્ષે તેલીબિયાં પાકોના કુલ વાવેતરમાં સોયાબીન પાકનું સૌથી વધુ વાવેતર છે. મધ્ય પ્રદેશમાં ખરીફ સીઝનમાં સોયાબીન એ મુખ્ય પાક ગણાય છે. ચાલુ વર્ષે સોયાબીનના વાવેતરનો આંક ૧૨૨ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. ૨૦૧૨-૧૩માં ૧૪૬ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થયું હતું. જેમાં ચાલુ વર્ષે વધારો નોંધાય તેવી શક્યતા છે. ગુજરાતમાં પણ સોયાબીનનું ૯૨ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. સોયાબીનની મધ્યપ્રદેશમાં આવકો શરૃ થઇ છે. જે ગયા વર્ષ કરતાં ડબલ છે. સોયાબીનનું દેશમાં સરેરાશ વાવેતર ૯૫ લાખ હેક્ટરમાં થાય છે. ૨૦૧૨માં સોયાબીનનું આ સમયગાળા દરમિયાન વાવેતર ૧૦૬ લાખ હેક્ટરમાં થયું હતું જે ચાલુ વર્ષે આ સમયગાળા રમિયાન ૧૨૨ લાખ હેક્ટર છે. ગુજરાતમાં પણ સોયાબીનના વાવેતરમાં ઉછાળો આવ્યો છે. સોયાબીનનો સરેરાશ વાવેતર વિસ્તાર ૮૬ હજાર હેકટર છે. ગયા વર્ષે થયેલા ૮૨ હજાર હેક્ટર વાવેતર સામે ચાલુ વર્ષે ૭૯ હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

રાજ્યમાં જિલ્લાદીઠ વાવેતરના આંક
જિલ્લો                           વાવેતર
બનાસકાંઠા                       ૬.૫૯
પાટણ                             ૬.૫૯ 
મહેસાણા                         ૨.૮૫
સાબરકાંઠા                       ૪.૩૫
ગાંધીનગર                        ૧.૪૦
અમદાવાદ                        ૪.૬૮
સુરેન્દ્રનગર                       ૭.૦૨
રાજકોટ                          ૭.૫૫
જામનગર                         ૬.૦૮
કચ્છ                               ૨.૨૦
પોરબંદર                          ૧.૦૮
જૂનાગઢ                          ૫.૦૯
અમરેલી                          ૫.૪૮
ભાવનગર                         ૫.૪૭
આણંદ                            ૧.૮૫
ખેડા                               ૨.૫૪
પંચમહાલ                         ૨.૬૬
દાહોદ                            ૨.૨૦
વડોદરા                           ૩.૯૮
નર્મદા                             ૧.૦૧
ભરૃચ                              ૨.૧૮
સુરત                              ૯૯, ૮૦૦
ડાંગ                               ૫૨, ૩૦૦
નવસારી                          ૭૪, ૧૦૦
વલસાડ                           ૧.૦૩
તાપી                              ૧.૧૧

નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 10 September 2013

દેશમાં ખાતરના વપરાશમાં ૧૨ ટકાનો વધારો


ખરીફ સીઝનમાં ખાતરના કુલ વપરાશમાં ૬૪.૩ ટકા યુરિયા  વપરાયું : પોટાશના વપરાશમાં ૩.૧ ટકાનો વધારો તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરના વપરાશમાં ૮.૨ ટકાનો ઘટાડો નોંધાયો

દેશમાં ખરીફ સીઝનમાં સર્જાયેલા સારા સંજોગોનો ફાયદો વાવેતરની સાથે સાથે ખાતર સેક્ટરને પણ થયો છે. જૂન, જુલાઇ અને ઓગસ્ટ માસમાં ખાતરના વપરાશમાં ૧૧.૭ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૨માં છૂટક ભાવ અને નબળા ચોમાસાને પગલે યુરિયા અને નોન યુરિયા ખાતરના વપરાશમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાલુ ખરીફ સીઝનમાં એકમાત્ર યુરિયા ખાતરના વપરાશમાં રેકોર્ડબ્રેક ૧૩ ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં કુલ ખાતરના વપરાશમાં યુરિયા ખાતરનો હિસ્સો અત્યાર સુધી ૫૦થી ૫૬ ટકા જ રહ્યો છે. ચાલુ સીઝનમાં યુરિયા ખાતરનો વપરાશ ૬૪.૩ ટકાએ પહોંચ્યો છે. એટલે કે ગત વર્ષના વપરાશ કરતાં યુરિયાનો ૧૩.૩ ટકાનો વધારો નોંધાયો છે. યુરિયા ખાતરમાં ઊંચી સબસિડીથી યુરિયા અન્ય ખાતરોની તુલનામાં સસ્તું પડતું હોવાથી હજુ પણ તેનો વપરાશ વધે તેવી શક્યતા છે. ખરીફમાં સિંગલ સુપર ફોસ્ફેટના વપરાશમાં ૮.૨ ટકાનો ઘટાડો તો પોટાશના વપરાશમાં ૩.૧ ટકાનો વધારો નોંધાયો છે.           

દેશમાં ૨૭૭.૪૦ લાખ ટન ખાતરોનો ર્વાિષક વપરાશ

ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે કહેવા પૂરતાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો હતો. ૧૯૫૦-૫૧ના વર્ષમાં ખાતરોનો વપરાશ માત્ર ૬૫ હજાર ટનનો હતો. જેમાંથી માત્ર નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ૫૮,૦૦૦ ટન જેટલો હતો. ત્યારબાદ દેશમાં એક પણ વર્ષ એવું નથી જે વર્ષે ખાતરોના વપરાશનો દર વધ્યો ના હોય. સૌથી મોટો ઉછાળો ૧૯૬૫-૬૬ પછી આવ્યો જે હરિતક્રાંતિનું પરિણામ હતું એમ કહી શકાય. ૧૯૬૫-૬૬ના વર્ષમાં દેશમાં નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ૫.૭૪ લાખ ટન થયો, ફોસ્ફરસયુક્ત ખાતરોનો વપરાશ વધીને ૧.૩૨ લાખ ટન હતો. જેની અંશત જરૃર પડે છે તેવાં પોટાશયુક્ત ખાતરોનો પણ  ૭૭ હજાર ટનનો દેશવ્યાપી વપરાશ નોંધાયો. કુલ મળીને આ વર્ષે ૭.૮૪ લાખ ટન ખાતરોનો ઉપયોગ થતો હતો, પરંતુ ૧૯૭૦-૭૧માં વધીને ૨૧.૭૭ લાખ ટન વપરાશ સાથે ત્રણ ગણી વૃદ્ધિ થયેલી. હાલમાં છેલ્લે મળતા ૨૦૧૧-૧૨ના ખાતર વપરાશના આંકની વાત કરીએ તો ૨૭૭.૪૦ લાખ ટન એનપીકે ખાતરોનો વપરાશ થાય છે જેમાં ૧૭૩ લાખ ટન નાઇટ્રોજન, ૭૯.૧૪ લાખ ટન ફોસ્ફરસ અને ૨૫.૨૫ લાખ ટન પોટાશ ખાતરોનો સમાવેશ થાય છે.

રાજ્ય પ્રમાણે ખાતરનો વપરાશ  (હજાર ટનમાં)
રાજ્ય                 એન                   પી                     કે                       કુલ
આંધ્રપ્રદેશ            ૧૯૭૭               ૧૦૪૩               ૩૨૨                 ૩૩૪૨  
કર્ણાટક                ૧૨૧૫               ૭૮૬                 ૩૩૨                 ૨૩૩૫
તમિલનાડુ            ૬૮૪                 ૩૧૬                 ૨૬૩                 ૧૨૬૪
મહારાષ્ટ્ર              ૧૬૧૦               ૧૦૧૧               ૩૯૯                 ૩૦૨૨
ગુજરાત              ૧૧૮૩               ૪૧૭                 ૧૩૨                 ૧૭૩૩
ઉત્તર પ્રદેશ           ૩૦૬૭               ૧૦૨૪               ૧૧૬                 ૪૨૦૭
બિહાર                ૯૬૭                 ૨૯૭                 ૧૧૫                 ૧૩૮૦
પશ્ચિમ બંગાળ     ૮૩૧                 ૪૭૬                 ૩૦૯                 ૧૬૧૭
મધ્યપ્રદેશ            ૧૦૬૧               ૭૫૦                 ૭૯                    ૧૮૯૧  
હરિયાણા             ૧૦૨૦               ૩૬૯                 ૩૭                    ૧૪૨૮
નોંધ : ખાતરના વપરાશના આંક ૨૦૧૧-૧૨ના છે.

દેશમાં છેલ્લા દાયકામાં ખાતરનો થયેલો વપરાશ

વર્ષ                              કુલ વપરાશ
૨૦૦૧-૦૨                     ૧૭૩૫૯
૨૦૦૨-૦૩                     ૧૬૦૯૪
૨૦૦૩-૦૪                     ૧૬૭૯૯
૨૦૦૪-૦૫                     ૧૮૩૯૮
૨૦૦૫-૦૬                     ૨૦૩૪૦
૨૦૦૬-૦૭                     ૨૧૬૫૧
૨૦૦૭-૦૮                     ૨૨૫૭૦
૨૦૦૮-૦૯                     ૨૪૯૦૯
૨૦૦૯-૧૦                     ૨૬૪૮૬
૨૦૧૦-૧૧                     ૨૮૧૨૨
૨૦૧૧-૧૨                     ૨૭૭૪૦

નોંધઃ ખાતરનો વપરાશ હજાર ટનમાં છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..