સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાના સતત પ્રયત્નો કરી રહી છે. સરકારે આ માટે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, સોઇલ હેલ્થકાર્ડ, ઓનલાઇન માર્કેટયાર્ડ અને પાકવીમા યોજના લોન્ચ કરી છે. સરકાર ખેડૂતોનાં ભવિષ્યને બદલી રહી છે. કૃષિવિભાગનું સંમેલન હોય અને આ લાઇનો ના બોલાય તો કાર્યક્રમ પૂરો ના થાય. આજકાલ દેશભરમાં ઉપરોક્ત લાઇનો કોમન થઇ જતાં તમામે પાકી ગોખી કાઢી છે. દેશના કૃષિમંત્રી તો અગણિતવાર આ લાઇનો ઉચ્ચારી ચૂક્યા છે. દેશમાં ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં જોવાં એ સારી બાબત છે પણ પૂરાં કરવાં એ અઘરી બાબત છે. દેશમાં રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે ૫૮૫ માર્કેટયાર્ડોને ઓનલાઇન કરવાના સરકારનાં પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત સપ્ટેમ્બર સુધી ૨૦૦ને બદલે માત્ર ૬૯ માર્કેટયાર્ડ ઓનલાઇન થઇ શકયાં છે. પ્રોજેક્ટની શરૂઆત થઇ હતી તે ૨૧ માર્કેટયાર્ડો મહિનાઓ બાદ પણ ઓનલાઇન થઇ શક્યા નથી. જેમાં ગુજરાતના પણ ત્રણ માર્કેટયાર્ડો છે. સરકાર માર્કેટયાર્ડોને ઓનલાઇન કરવાના બે લક્ષ્યાંક તો ચૂકી ગઈ છે.
આ જ સ્થિતિ પાકવીમા યોજનાની છે. પાકવીમા યોજના પણ સરકારની મહત્ત્વાંકાંક્ષી યોજના છે. માંડ દેશના ૯ રાજ્યોમાં આ યોજના સફળ રહી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૩ કરોડ ખેડૂતોને યોજના સાથે જોડવાના લક્ષ્યાંક સામે માંડ ૨.૫૩ કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. જેમાં મોટાભાગના ખેડૂતો લોની ( ધિરાણ લેનાર) છે. રાજ્યમાં ૩૦ મી સપ્ટેમ્બર સુધી પાક-પાણીપત્રકમાં એન્ટ્રી થઇ જાય છે પણ આ વર્ષે કામગીરી લંબાઇ છે. અખતરાઓ યોજવા પૂરતા ગ્રામસેવકો ન હોવાથી ગુજરાતે કૃષિ જાણકારોને ભથ્થા પર રાખી અખતરાઓની કામગીરી પૂરી કરવાનો નિર્ણય લીધો છે. હવે કેટલા ખેડૂતોને આ યોજનાને લાભ મળે એ અલગ બાબત છે. હાલમાં કામગીરી પૂર્ણ થાય એ મહત્ત્વનું છે.
સોઇલ હેલ્થકાર્ડમાં પણ ૨.૫૩ કરોડના ટાર્ગેટ સામે ૨.૦૩ કરોડ સેમ્પલ લેવાયા છે અને માત્ર ૧.૦૫ કરોડ સેમ્પલોની ચકાસણી થઇ છે. આમ સરકાર કઇ યોજનાઓને આધારે ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં જોઇ રહી છે. મહત્ત્વાંકાંક્ષી તમામ યોજનાઓની કામગીરી ડચકાં ખાઈ રહી છે.
કઠોળમાં ખેડૂતોને આ વર્ષે પ્રોત્સાહન અપાતાં રેકોર્ડબ્રેક વાવેતર અને ઉત્પાદન પણ રેકોર્ડબ્રેક થવાના સરકારે અંદાજ મૂક્યા છે. ખરીફમાં ૮૭ લાખ ટન અને રવી સિઝનમાં પણ ૧૩૫ લાખ ટન કઠોળ પાકી શકે છે. કઠોળનાં વાવેતરની ખેડૂતોએ જવાબદારી નિભાવી સરકારને સાથ આપ્યો છે પણ કઠોળમાં લેવાઈ રહેલાં સરકારી નિર્ણયોને પગલે કઠોળના ભાવ પાણી પાણી થાય તેવી સંભાવના છે. સરકારને મોંઘવારીની ચિંતા છે પણ ખેડૂતો ભાવમાં માર ખાશે એ ચિંતા નથી. દેશમાં એક વર્ષ માટે ખાદ્યતેલ અને કઠોળમાં સ્ટોકલિમિટ લંબાવી દેવાઇ છે. દેશમાં ખેડૂતો મગના ભાવ માટે બૂમાબૂમ કરી રહ્યા છે.
ઘઉંનું ઉત્પાદન પણ ૯૬૨ લાખ ટન થવાનો અંદાજ છેક સુધી જાળવી રાખનાર સરકાર હવે એફસીઆઇના ગોડાઉનમાંથી કદાચ વેચાણ બંધ કરે તો નવાઇ નહીં. ગોડાઉનમાં ૨૩૨ લાખ ટન ઘઉંનો સ્ટોક છે. સરકારી બફર સ્ટોકનાં નિયમોને પગલે ૨૦૯ લાખ ટનથી વધારે હોવા છતાં સરકારે હવે ઘઉંની આયાતડયૂટી ૨૫ ટકામાંથી ઘટાડી ૧૦ ટકા કરી દેવી પડી છે. મિલો વિદેશમાંથી ૧૩ લાખ ટન ઘઉંની આયાત કરે તેવી સંભાવના છે. ડુંગળીના ભાવ એક રૂપિયે કિલો છે ત્યારે ડુંગળીની નિકાસ વધારવાને બદલે ૪૨૫ લાખ ટનથી વધુ પાકનાર બટાટાંની આયાતડયૂટી ઘટાડાઈ રહી છે.
કપાસમાં પણ દેશની મિલોએ ઉચ્ચ ક્વોલિટીનો માલ લેવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડયા છે અને દેશનો સસ્તો અને સારો માલ પાકિસ્તાન લઇ ગયું છે. પાકિસ્તાને આ વર્ષે સૌથી વધુ રૂની આાયાત ભારતમાંથી કરી છે. દેશમાં ખરીફ ઉત્પાદન અને રવીના લક્ષ્યાંકો એડવાન્સમાં બહાર પડયા છે. વર્ષ ૨૦૧૬ કૃષિક્ષેત્રમાં નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરે તો નવાઇ ના પામતા સરકારે રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાની વાહવાહી લૂંટવાને બદલે ઉત્પાદિત માલના ખેડૂતોને સારા ભાવ મળે એ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. હાલમાં ખરીફ ઉત્પાદનના તમામ અંદાજો ઊંચા છે. દેશમાં વાવેતરના આંક એ ફક્ત આંખે દેખ્યો અહેવાલ હોવાથી વેપારીઓ અને કૃષિવિભાગનાં ઉત્પાદનના આંકમાં જમીન આસમાનનો ફર્ક હોય છે. આ વર્ષે ઊંચા ઉત્પાદનના અંદાજ બાદ ખેડૂતોને સારી આવક મળશે તો ખેડૂતોની આર્થિક પ્રગતિ થશે અને દેશની પ્રગતિ થશે. હાલમાં ખેડૂતોની આવક ડબલ નહીં તો દોઢી કરવાની તક હોવાનો સરકાર લાભ ઉઠાવે એ જરૂરી છે. બાદમાં ખેડૂતોની આવક ડબલ કરવાની ગોખાયેલી લાઈનો બાલાશે તો કંઇક અંશે યોગ્ય લાગશે.