Tuesday, 27 September 2016

ખેડૂતોની આવક ડબલ : અવરોધોની ભરમાર

સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાના સતત પ્રયત્નો કરી રહી છે. સરકારે આ માટે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, સોઇલ હેલ્થકાર્ડ, ઓનલાઇન માર્કેટયાર્ડ અને પાકવીમા યોજના લોન્ચ કરી છે. સરકાર ખેડૂતોનાં ભવિષ્યને બદલી રહી છે. કૃષિવિભાગનું સંમેલન હોય અને આ લાઇનો ના બોલાય તો કાર્યક્રમ પૂરો ના થાય. આજકાલ દેશભરમાં ઉપરોક્ત લાઇનો કોમન થઇ જતાં તમામે પાકી ગોખી કાઢી છે. દેશના કૃષિમંત્રી તો અગણિતવાર આ લાઇનો ઉચ્ચારી ચૂક્યા છે. દેશમાં ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં જોવાં એ સારી બાબત છે પણ પૂરાં કરવાં એ અઘરી બાબત છે. દેશમાં રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે ૫૮૫ માર્કેટયાર્ડોને ઓનલાઇન કરવાના સરકારનાં પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત સપ્ટેમ્બર સુધી ૨૦૦ને બદલે માત્ર ૬૯ માર્કેટયાર્ડ ઓનલાઇન થઇ શકયાં છે. પ્રોજેક્ટની શરૂઆત થઇ હતી તે ૨૧ માર્કેટયાર્ડો મહિનાઓ બાદ પણ ઓનલાઇન થઇ શક્યા નથી. જેમાં ગુજરાતના પણ ત્રણ માર્કેટયાર્ડો છે. સરકાર માર્કેટયાર્ડોને ઓનલાઇન કરવાના બે લક્ષ્યાંક તો ચૂકી ગઈ છે.
આ જ સ્થિતિ પાકવીમા યોજનાની છે. પાકવીમા યોજના પણ સરકારની મહત્ત્વાંકાંક્ષી યોજના છે. માંડ દેશના ૯ રાજ્યોમાં આ યોજના સફળ રહી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૩ કરોડ ખેડૂતોને યોજના સાથે જોડવાના લક્ષ્યાંક સામે માંડ ૨.૫૩ કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. જેમાં મોટાભાગના ખેડૂતો લોની ( ધિરાણ લેનાર) છે. રાજ્યમાં ૩૦ મી સપ્ટેમ્બર સુધી પાક-પાણીપત્રકમાં એન્ટ્રી થઇ જાય છે પણ આ વર્ષે કામગીરી લંબાઇ છે. અખતરાઓ યોજવા પૂરતા ગ્રામસેવકો ન હોવાથી ગુજરાતે કૃષિ જાણકારોને ભથ્થા પર રાખી અખતરાઓની કામગીરી પૂરી કરવાનો નિર્ણય લીધો છે. હવે કેટલા ખેડૂતોને આ યોજનાને લાભ મળે એ અલગ બાબત છે. હાલમાં કામગીરી પૂર્ણ થાય એ મહત્ત્વનું છે.
સોઇલ હેલ્થકાર્ડમાં પણ ૨.૫૩ કરોડના ટાર્ગેટ સામે ૨.૦૩ કરોડ સેમ્પલ લેવાયા છે અને માત્ર ૧.૦૫ કરોડ સેમ્પલોની ચકાસણી થઇ છે. આમ સરકાર કઇ યોજનાઓને આધારે ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં જોઇ રહી છે. મહત્ત્વાંકાંક્ષી તમામ યોજનાઓની કામગીરી ડચકાં ખાઈ રહી છે.
કઠોળમાં ખેડૂતોને આ વર્ષે પ્રોત્સાહન અપાતાં રેકોર્ડબ્રેક વાવેતર અને ઉત્પાદન પણ રેકોર્ડબ્રેક થવાના સરકારે અંદાજ મૂક્યા છે. ખરીફમાં ૮૭ લાખ ટન અને રવી સિઝનમાં પણ ૧૩૫ લાખ ટન કઠોળ પાકી શકે છે. કઠોળનાં વાવેતરની ખેડૂતોએ જવાબદારી નિભાવી સરકારને સાથ આપ્યો છે પણ કઠોળમાં લેવાઈ રહેલાં સરકારી નિર્ણયોને પગલે કઠોળના ભાવ પાણી પાણી થાય તેવી સંભાવના છે. સરકારને મોંઘવારીની ચિંતા છે પણ ખેડૂતો ભાવમાં માર ખાશે એ ચિંતા નથી. દેશમાં એક વર્ષ માટે ખાદ્યતેલ અને કઠોળમાં સ્ટોકલિમિટ લંબાવી દેવાઇ છે. દેશમાં ખેડૂતો મગના ભાવ માટે બૂમાબૂમ કરી રહ્યા છે.
ઘઉંનું ઉત્પાદન પણ ૯૬૨ લાખ ટન થવાનો અંદાજ છેક સુધી જાળવી રાખનાર સરકાર હવે એફસીઆઇના ગોડાઉનમાંથી કદાચ વેચાણ બંધ કરે તો નવાઇ નહીં. ગોડાઉનમાં ૨૩૨ લાખ ટન ઘઉંનો સ્ટોક છે. સરકારી બફર સ્ટોકનાં નિયમોને પગલે ૨૦૯ લાખ ટનથી વધારે હોવા છતાં સરકારે હવે ઘઉંની આયાતડયૂટી ૨૫ ટકામાંથી ઘટાડી ૧૦ ટકા કરી દેવી પડી છે. મિલો વિદેશમાંથી ૧૩ લાખ ટન ઘઉંની આયાત કરે તેવી સંભાવના છે. ડુંગળીના ભાવ એક રૂપિયે કિલો છે ત્યારે ડુંગળીની નિકાસ વધારવાને બદલે ૪૨૫ લાખ ટનથી વધુ પાકનાર બટાટાંની આયાતડયૂટી ઘટાડાઈ રહી છે.
કપાસમાં પણ દેશની મિલોએ ઉચ્ચ ક્વોલિટીનો માલ લેવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડયા છે અને દેશનો સસ્તો અને સારો માલ પાકિસ્તાન લઇ ગયું છે. પાકિસ્તાને આ વર્ષે સૌથી વધુ રૂની આાયાત ભારતમાંથી કરી છે. દેશમાં ખરીફ ઉત્પાદન અને રવીના લક્ષ્યાંકો એડવાન્સમાં બહાર પડયા છે. વર્ષ ૨૦૧૬ કૃષિક્ષેત્રમાં નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરે તો નવાઇ ના પામતા સરકારે રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાની વાહવાહી લૂંટવાને બદલે ઉત્પાદિત માલના ખેડૂતોને સારા ભાવ મળે એ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. હાલમાં ખરીફ ઉત્પાદનના તમામ અંદાજો ઊંચા છે. દેશમાં વાવેતરના આંક એ ફક્ત આંખે દેખ્યો અહેવાલ હોવાથી વેપારીઓ અને કૃષિવિભાગનાં ઉત્પાદનના આંકમાં જમીન આસમાનનો ફર્ક હોય છે. આ વર્ષે ઊંચા ઉત્પાદનના અંદાજ બાદ ખેડૂતોને સારી આવક મળશે તો ખેડૂતોની આર્થિક પ્રગતિ થશે અને દેશની પ્રગતિ થશે. હાલમાં ખેડૂતોની આવક ડબલ નહીં તો દોઢી કરવાની તક હોવાનો સરકાર લાભ ઉઠાવે એ જરૂરી છે. બાદમાં ખેડૂતોની આવક ડબલ કરવાની ગોખાયેલી લાઈનો બાલાશે તો કંઇક અંશે યોગ્ય લાગશે.

Monday, 19 September 2016

આયાત-નિકાસ : ખેડૂતોને ભેખ.ડે ભરાવતી નીતિ


કૃષિ એક એવું સેક્ટર છે જેમાં એક હાથે તાળી પડતી નથી. કુદરતી ચક્ર જ એવું છે કે, કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન દેશે પણ આયાત-નિકાસની પરંપરાને નિભાવવી પડે છે. પાકના ભાવના વધારા-ઘટાડામાં આયાત-નિકાસના આંક મહત્ત્વનું પરિબળ છે. ભારત કૃષિક્ષેત્રની આયાત-નિકાસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માર ખાઈ રહ્યું છે. કેન્દ્રીય વાણીજ્યમંત્રી કૃષિમાં આયાત સામે નિકાસનો આંક સતત ઘટી રહ્યો હોવાનો સ્વીકાર કરી રહ્યાં છે પણ હવે ધીમેધીમે સ્ટેબલ થશે એવો બચાવ પણ કરી રહ્યા છે. દેશમાંથી વર્ષે ૨૦૧૫-૧૬માં કૃષિની નિકાસમાં ૧૫ ટકાનો ઘટાડો થતાં આંક ૨૬૨.૩૦ અબજ ડોલરે પહોંચ્યો છે. ભારતે કૃષિના ૧૨ સેક્ટરમાં પ્રગતિ અને ૧૫ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથ મેળવ્યો છે. વિશ્વના ૧૫ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે કારણકે સરકાર કૃષિની આયાત-નિકાસમાં ધ્યાન આપવાને બદલે મોંઘવારી સંભાળવામાં વ્યસ્ત બની આડેધડ નિર્ણયો લઈ રહી છે. અમેરિકા, સંયુક્ત આરબ અમિરાત, ચીન, બ્રિટન, સિંગાપુર, જર્મની, બેલ્જિયમ અને ફ્રાંસ જેવા મહત્ત્વનાં દેશોમાં ભારતનો વેપાર ઘટયો છે. ભારતે નવા બજારો શોધવા છતાં નિકાસમાં ઘટાડો થયો એ વાસ્તવિકતા છે.
દૂધ સેક્ટરમાં પણ વર્ષ ૨૦૧૩-૧૪માં ૫૪૭.૪૦ મિલિયન ડોલર વેપાર સામે વર્ષ ૨૦૧૫-૧૬માં માત્ર ૧૧૫.૦૭ મિલિયન ડોલર વેપાર રહી ગયો છે. ભારતની નિકાસનીતિમાં દૂરંદેશીનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. કઠોળની આયાતમાં સરકાર એક મજાકનું પાત્ર બનીને ઊભરી રહી છે. સરકાર કઠોળના ભાવ ન વધે માટે ૯૦ હજાર ટનનો બફરસ્ટોક કરવા માગે છે. જે માટે આયાત થઈ રહી છે. ખેડૂતોને હાલમાં ટેકાથી પણ નીચા ભાવ કઠોળના મળી રહ્યાં હોવા સામે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે વિદેશમાં કઠોળની આયાત માટેના સોદા કરી રહી છે. મોઝાબિંકમાં કઠોળની ખેતી કરાવનાર સરકાર બ્રાઝિલમાં પણ આ જ ધારાધોરણો અનુસાર ખેતી કરાવવા માગે છે. બ્રાઝિલમાં કઠોળની ખેતી પાછળ ખર્ચ કરનાર સરકાર આ વર્ષે ખેડૂતોને કઠોળના ટેકાના ભાવથી વધુ ભાવ અપાવે તે તાતી જરૂરિયાત છે. મગનો ભાવ ટેકાથી પણ નીચો ગયો છે. કઠોળના ભાવ વધે તુરંત જ સરકારનું ટેન્ડર તૈયાર થઈ જાય છે. મકાઈની આયાત માટે ત્રણ ત્રણ વાર ટેન્ડરો ભરવા કંપનીઓ આગળ આવી નથી. ગત વર્ષે ડુંગળીની આયાત બાદ કોઇ ખરીદદારો મળ્યા ન હતા. આ વર્ષે ડુંગળીના ભાવ ધડામ દઈને નીચે પટકાતાં સરકારે નિકાસશુલ્કમાં રાહત આપવાની સાથે ૫ ટકાની છૂટછાટ પણ આપી છે.
વિશ્વભરમાં ઘઉંના ભાવ છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી નીચા છે પણ ભારતમાં સૌથી ઊંચા હોવાનું મુખ્ય કારણ ઘઉંની આયાત પર ૨૫ ટકા ડયૂટી છે. વિશ્વબજારમાંથી સસ્તા ઘઉં ભારત આવી શકે તેવી સ્થિતિ નથી, સરકાર ઘઉંનું ઉત્પાદન ૯૪૦ લાખ ટન થયું હોવાનું અશક્ય રટણ લગાવી રહી છે. સરકાર હાલમાં છૂટછાટ આપે તો ઘઉંના ઊંચા ઉત્પાદનનો પરપોટો ફૂટવાનો ડર છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ડયૂટી છતાં ટ્રેડરોએ ૮.૫ લાખ ટન ઘઉંની આયાત માટે બીડ કરી છે. જે નવ વર્ષમાં સૌથી વધુ છે. દેશમાં હાલમાં ઘઉંના પુરવઠાની સ્થિતિ તંગ હોવા છતાં પણ સરકાર આયાત ડયૂટી જાળવી રાખવાના મૂડમાં છે. દેશનાં ગોડાઉનોમાં ૨૭૦ લાખ ટન ઘઉંનો સ્ટોક પડયો છે. આ વર્ષે ઘઉંની આયાત રેકોર્ડબ્રેક થાય તેવી સંભાવના છે, છેલ્લે વર્ષ ૨૦૦૬માં ૬૦ લાખ ટન ઘઉંની આયાત કરતાં વૈશ્વિક ભાવમાં ૫૦ ટકાનો વધારો થયો હતો.
મગફળી અને તેલીબિયાં પાકોની સિઝન નજીક આવી રહી છે ત્યારે આયાતમિલો ખાદ્યતેલની આયાતડયૂટી વધારવા માટે બુમરાણ પાડી રહી છે. મર્યાદિત માત્રમાં ખાદ્યતેલની આયાત કરવાની માગ કરાઈ રહી છે. ભારતમાં આ વર્ષે પણ ૧૫૦ લાખ ટન ખાદ્યતેલની આયાત થાય તેવી સંભાવના છે. ખેડૂતોને બોનસ આપી કઠોળનું વાવેતર વધારવા પ્રોત્સાહન આપતાં વાવેતર વિસ્તાર ૧૪૨ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. હવે કઠોળના ભાવ ખેડૂતોને ટેકાથી પણ ઊંચા મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકારે ગત વર્ષે કઠોળની ખરીદી પાછળ ૨૫ હજાર કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચી કાઢયું છે. તેલીબિયાં પાછળ પણ રૂ. ૭૦ હજાર કરોડથી વધુનો ભારત ખર્ચ કરે છે. કૃષિક્ષેત્રના નિકાસ આંકમાં સતત ઘટાડો અને આયાત આંક વધી રહ્યો છે. નિકાસઆંકમાં વધારો થશે તો જ કૃષિક્ષેત્રની પ્રગતિ શક્ય છે. આ વર્ષે આશા રાખીએ કે તેલીબિયાં, કઠોળના ઊંચા ઉત્પાદન બાદ સરકારની આયાત-નિકાસ નીતિમાં સુધારો નહીં થાય તો ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવશે.

પાછોતરા વરસાદ પર કૃષિનું ભવિષ્ય


વરસાદ એ દેશની અર્થવ્યવસ્થાની જીવાદોરી છે. દેશની પ્રગતિને પાટા પર ચડાવવા માટે સારો વરસાદ એ અતિ જરૂરી છે. દેશનાં ૬૦ ટકા લોકોને રોજગારી પૂરી પાડતાં કૃષિક્ષેત્રનું વરસાદ પર અવલંબન છે. જીડીપીમાં કૃષિક્ષેત્રનો હિસ્સો ઘટીને ભલે હવે ૧૪ ટકા રહ્યો પણ વરસાદ એ દેશની કૃષિક્ષેત્રની પ્રગતિ સાથે પણ આડકતરી રીતે જોડાયેલો છે. ભારત છેલ્લાં બે વર્ષથી સતત દુકાળનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે હવામાન વિભાગે સામાન્યથી વધુ વરસાદના જાહેર કરેલા અંદાજમાં હવે નોંધપાત્ર ફેરફાર થયો છે. દેશમાં ૧૨મી સપ્ટેમ્બર સુધી ૫ ટકા ઓછો વરસાદ છે. પાકનાં ઉત્પાદનનાં સરકાર દ્વારા ઊંચા મુકાયેલા અંદાજ સુધી પહોંચવા માટે સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ એ અતિ જરૂરી છે. હાલમાં પાકની વૃદ્ધિનો નિર્ણાયક તબક્કો હોવાથી પાણીની અછત હેક્ટરદીઠ ઉત્પાદકતા પર અસર પાડશે. પાછોતરો વરસાદ એ કૃષિક્ષેત્રનું ભવિષ્ય નક્કી કરતો હોવાનું કહેવું પણ અતિશયોક્તિ ભર્યું નથી. ૧૫મી સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના આણંદ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિક ડો. વ્યાસપાંડેએ વ્યક્ત કરી છે.
દેશમાં આ વર્ષે મેઘરાજાએ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતને બદલે ઉત્તર અને મધ્ય ભારત પર ભારે હેત વરસાવ્યું છે. ગુજરાતની કમનસીબી ગણો કે મધ્ય ભારતમાં સૌથી ઓછો વરસાદ -૨૪ ટકા ગુજરાતમાં છે. દર વર્ષે પાણીની ભારે બુમરાણ મચાવતાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં સરેરાશ ૭૯૭ મિમી. વરસાદ વચ્ચે ૧૨મી સપ્ટેમ્બર સુધીમાં માત્ર ૫૬૯ મિમી. વરસાદ થયો છે. ગુજરાતમાં આગામી ૧૦ દિવસમાં વરસાદ નહીં થાય તો ગત વર્ષ અને આ વર્ષની સ્થિતિ સમાન થઇ જશે. ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે. ગુજરાતમાં કૃષિઉત્પાદનના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે, દુકાળ વચ્ચે પણ ખેતઉત્પાદનને જાળવી શકાયું છે. બે વર્ષથી દુકાળ વચ્ચે કૃષિક્ષેત્રનો વિકાસ થયાના દાવાઓ કરવા નરી મૂર્ખામી છે. ગુજરાતનાં મુખ્ય જળાશયોમાં પાણીની તંગી છે.
દેશમાં સારો વરસાદ છતાં પણ ૧૧ રાજ્યોમાં ઘટ અને ૨૨ રાજ્યોમાં સરેરાશ વરસાદ છે. માત્ર ૩ રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ છે. દેશમાં સૌથી ઓછો વરસાદ થાય છે તેવા રાજસ્થાનમાં આ વર્ષે સૌથી વધુ ૩૪ ટકા અને સૌથી વધુ વરસાદ ધરાવતાં મેઘાલયમાં વરસાદની ઘટ ૪૮ ટકા છે. ઓગસ્ટમાં હવામાન વિભાગે ૯૫ ટકાથી ૧૧૩ ટકા વરસાદ થવાના મૂકેલા અંદાજ સામે ઓગસ્ટમાં માત્ર ૯૧ ટકા વરસાદ થયો છે. પૂર્વોત્તરને પણ વરસાદે આ વર્ષે બાકાત રાખતાં આસામ અને મેઘાલયમાં વરસાદની ઘટ ૩૫ ટકાથી વધારે છે. દક્ષિણ ભારતમાં ઓગસ્ટના અંત સુધી ૧૦ ટકા ઓછો વરસાદ છે. ચોમાસાની શરૂઆત થાય છે તે કેરળમાં ૩૦ ટકા ઓછો વરસાદ છે. દેશનાં જળાશયો ૬૯ ટકા પાણીથી ભરાયેલાં છે. હાલમાં જળાશયોમાં ૧૦૮ બીસીએમ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
સામાન્ય રીતે પાંચ ટકા ઓછો વરસાદ જીડીપીને રૂપિયા દોઢ લાખ કરોડનું નુક્સાન કરાવે છે. છેલ્લાં બે વર્ષથી સતત ઓછા વરસાદથી કઠોળની આયાત પાછળ રૂ.૨૫ હજાર કરોડ અને ખાદ્યતેલની આયાત માટે રૂ. ૭૦ હજાર કરોડનો ખર્ચ થયો છે. ૧૬ વર્ષમાં પ્રથમવાર મકાઇની આયાત થવાની સાથે વિશ્વમાં બીજા નંબરના ખાંડના ઉત્પાદક દેશ ભારતમાં નવી સિઝનમાં કદાચ ખાંડની આયાત કરવી પડે તેવી સ્થિતિ પેદા થશે. ઘઉંમાં પણ ૬ વર્ષમાં સૌથી વધુ આયાત આ વર્ષે થઇ છે. કૃષિની નિકાસમાં ઘટાડો થતાં આંક ૨૭૩ અબજ ડોલરે અટકી ગયો છે. વરસાદ એ કૃષિક્ષેત્રને સીધી અસર કરે છે. આ વર્ષે હવામાન વિભાગના સારા વરસાદના અંદાજથી ખરીફ વાવેતરનો આંક ૧,૦૫૪ લાખ હેક્ટરે પહોંચ્યો છે. ગુજરાતમાં પણ ૮૩.૫૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ઊંચા ઉત્પાદનના અંદાજ મૂકી ખેડૂતોને સારા ભાવ મળવાની અપેક્ષાઓ પર ફિંડલું વાળી દીધું છે.
ચોમાસાના ચાર મહિનામાં ઓગસ્ટમાં ઓછો વરસાદ પાકની હેક્ટરદીઠ ઉત્પાદકતા પર સીધી અસર કરે છે. ગુજરાતમાં ખેડૂતો ચાતકનજરે વરસાદની રાહ જોઇને બેઠા છે. હવેના ૧૦ દિવસમાં વરસાદની અછત ખેતઉત્પાદન પર અસર કરશે. હવામાન વિભાગ અને આગાહીકારોની તમામ આગાહીઓ ખોટી ઠરી રહી છે. રાજ્યમાં ગરમીનું વધતું પ્રમાણ એ વરસાદ માટે ખતરાની નિશાની છે. ઊંચાં વાવેતર અને હાલની પાકની સ્થિતિ પ્રમાણે સારો વરસાદ કપાસ, મગફળી, કઠોળ અને ધાન્યપાકોનાં ઉત્પાદનમાં પાંચ ટકાનો વધારો કરે તેવી સ્થિતિ છે નહીં તો ખેડૂતોનાં મોઢા સુધી આવેલો કોળિયો છિનવાઇ જશે તેમાં મીનમેખ નથી.

ખાંડ : તહેવારોની સિઝનમાં વધુ કડવી લાગશે

૨૦મી સદીમાં ફક્ત પૈસાદારવર્ગ જ ખાંડ ખાઈ શકે તેવી સ્થિતિ વચ્ચે ગરીબવર્ગને ગળપણ લાવવાનો એક માત્ર આધાર ગોળ હતો. હાલમાં સ્થિતિ બદલાઇ છે અને પરિણામ એ છે કે, ૨૦મી સદીમાં થતાં વપરાશ સામે આજે વિશ્વમાં ૧૭ કરોડ ટન ખાંડની વપરાશ થાય છે. ખાંડની માગ વધી તેમ ઉત્પાદન અને ભાવ પણ વધ્યા છે. ઇઝરાયલ અને બાંગ્લાદેશ ખાંડ આરોગવામાં અવ્વલ હોવા છતાં ભારત પણ પાછળ નથી.
દેશમાં ખાંડની વપરાશ ૨૬૦ લાખ ટન છે. ખાંડ ફક્ત ચાની ચૂસકી કે ગળપણ લાવવામાં જ વપરાતી નથી પણ હાલમાં બજારમાં મળતા તમામ જંકફૂડમાં ખાંડની વપરાશ થાય છે, એટલે કે ચા ઓછી પીવાથી ખાંડ ઓછી આરોગતા હોવાનું માનવું જ ભૂલભરેલું છે. ખાંડના ભાવ હાલમાં ત્રણ વર્ષમાં સૌથી ઊંચા છે. છૂટકમાં કિલોનો ભાવ રૂપિયા ૪૦થી ૪૫ છે અને તહેવારમાં ૫૦ રૂપિયા પ્રતિ કિલો પણ પહોંચે તો નવાઈ નહીં. આ વર્ષે મોંઘવારી વધારવામાં કઠોળને પૂરતો સહયોગ ખાંડના ભાવોએ પૂરો પાડયો છે.
દેશમાં છેલ્લાં બે વર્ષમાં અલ-નિનોને પગલે વરસાદની ૧૨ ટકા અને ૧૪ ટકા ઘટ રહેતાં ખાંડનું ઉત્પાદન ઘટયું છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ખાંડનું ઉત્પાદન ૨૮૩ લાખ ટન હતું. ૨૦૧૫-૧૬માં ખાંડનું ઉત્પાદન ૨૫૨ લાખ ટન અને ૨૦૧૬-૧૭માં ૨૩૨ લાખ ટન રહે તેવી સંભાવના છે. દેશમાં ખાંડની વપરાશ ૨૬૦ લાખ ટન આસપાસ રહે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ખાંડનો એન્ડિંગ સ્ટોક ૯૧ લાખ ટન આસપાસ હોવા છતાં ખાંડના ભાવમાં ઉછાળો ખાંડમિલોના સ્ટોકને પગલે છે. સરકારે હવે ખાંડમિલો પર સ્ટોકલિમિટ લાગુ કરતાં ઓક્ટોબરના અંત સુધી દેશમાં ૪૮ લાખ ટન ખાંડ બજારમાં આવશે. દેશમાં ખાંડની સરેરાશ માસિક વપરાશ ૨૦થી ૨૨ લાખ ટન છે. ઓક્ટોબરના અંત સુધી ખેડૂતો ૩૭ ટકા ખાંડનો સંગ્રહ કરી શકે છે. ગુજરાતમાં પણ આ સિઝનમાં ૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન રહેતાં મિલો પાસે ૩.૫ લાખથી ૪ લાખ ટન ખાંડનો સ્ટોક છે.
દેશમાં ખાંડના પૂરતા સ્ટોક વચ્ચે ભાવવધારો એ આપણી કમનસીબી કે સરકારની નિષ્ફળતા છે. સરકાર ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૪,૦૦૦થી વધુ ન થાય તેની ચિંતા કરીને બેસી રહી છે. નવેમ્બર ૨૦૧૫માં ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨,૭૦૦ની આસપાસ હતો. હાલમાં ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ સરેરાશ ૩,૮૦૦થી ૩,૯૦૦ છે. છૂટકમાં તો ખાંડનો ભાવ પ્રતિ કિલો ૪૦થી ઉપર છે. તહેવારોમાં ખાંડના ભાવ ઊંચકાશે અને ખાનારને વધુ ભાવ ચૂકવવા પડશે. દેશમાં નવી સિઝનમાં શેરડીનું વાવેતર ૪૫ લાખ હેક્ટરમાં જ હોવાથી ખાંડનું ઉત્પાદન ૨૨૨થી ૨૩૨ લાખ ટન થવાનો અંદાજ મુકાયો છે. એન્ડિંગ સ્ટોક ૪૫ લાખ ટન આસપાસ રહે તેવી શક્યતાઓ છતાં ખાંડના ભાવ નીચા જાય તેવી કોઇ સંભાવના નથી. દેશમાં આ વર્ષે ઘટ છે પણ ૧૬ લાખ ટન ખાંડની નિકાસ થઇ હોવાનું સાબિત કરે છે કે દેશમાં કૃષિના આયાત-નિકાસના નિર્ણયોમાં દૂરંદેશીતાનો સદંતર અભાવ છે. મિલોને ખાંડના ઊંચા ભાવથી બખ્ખાં છે. મિલો હાલમાં સારા ભાવથી નફો નહીં પણ દેવું વસૂલ કરી રહી હોવાનું ગાણું ગાઇ ખેડૂતોને નવી સિઝનમાં શેરડીના ઊંચા ભાવ ન આપવા માટે છટકબારી શોધી રહી છે પણ ગુજરાતમાં તો શેરડીના ખેડૂતોને ઊંચા ભાવ મળે તેવી પૂરી શક્યતા છે.
દેશમાં શેરડીની એફઆરપી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૩૦થી વધારીને રૂ. ૨૬૦થી ૨૭૦ થાય તેવી પૂરી સંભાવના છે. સરકારે પણ શેરડીની ખેતીમાં વધારો થાય તે માટે પ્રોત્સાહન આપવું એ અતિ જરૂરી છે. ખાંડનાં ઉત્પાદનમાં ઘટાડો ભારત માટે જોખમી છે. દેશમાં ખાંડની વપરાશ જેટ ગતિએ વધી રહી છે. સરકાર મોંઘવારી રોકવા માટે કદાચ ખાંડની આયાત કરે તેવી પણ સંભાવના છે.
એશિયામાં ખાંડનાં ઉત્પાદનમાં ઘટાડાથી વિશ્વમાં પણ ખાંડના ભાવ ઊંચકાયા છે. વિશ્વમાં ખાંડની ૧૭.૪૦ કરોડ ટન વપરાશ સામે આ વર્ષે ઉત્પાદન ૧૬.૯૦ કરોડ ટન થયું છે. બ્રાઝિલમાં ઓગસ્ટના ક્વાર્ટરમાં ૧૧ લાખ ટન ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. દેશમાં ૫૩૨ ખાંડમિલો પૈકી ૧૦૦ પાસે સરકારી નિયમો કરતાં વધુ ખાંડનો સ્ટોક છે.
દેશમાં સતત ત્રણ વર્ષ વપરાશ કરતાં ખાંડનું ઉત્પાદન ઘટતાં નવી સિઝનમાં ખેડૂતોને શેરડીના ઊંચા ભાવ આપવા એ મિલો અને સરકારની મજબૂરી છે. પ્રતિ કિલો રૂપિયા ૩૩ના ખર્ચ સામે ખાંડના વધુ ભાવથી મિલોને હાલમાં પ્રતિ માસ ૧,૦૦૦ કરોડ રૂપિયા કમાણી થઇ રહી છે.