Monday, 29 June 2015

કચ્છી બંધુઓની ત્રિપુટી, ખેતીમાં મેનેજમેન્ટના સ્ટાર


મોટાભાઈએ કચ્છ, નાના ભાઈએ ઉમરગામમાં ખેતી સંભાળી અને ત્રીજા નંબરના ભાઈએ મુંબઈમાં માર્કેટીંગ સંભાળીને મેનેજમેન્ટથી ખેતીમાં ઝંપલાવ્યું 
 ઉચ્ચ અભ્યાસને ખેતીમાં જોતરી નાંખ્યો : મોટાભાઇએ ઓસ્ટ્રેલિયામાં બીએસસી હોર્ટીકલ્ચરનો, સૌથી નાનાએ ઇઝરાયેલમાં બીએસસી ઇન એગ્રીકલ્ચરનો અને વચોટ ભાઇએ એમબીએનો અભ્યાસ કર્યો
ગુજરાતમાં ભાગ્યે જ થતી અંજીરની ખેતી ગ્રીનહાઉસમાં કરીને ખેતીમાં ટેકનોલોજીની તાકાત સાબિત કરી
ઉમરગામમાં ૯૦ એકર અને કચ્છમાં ૧૭૫ એકર જમીનમાં ખારેક, શાકભાજી પાક, અંજીર અને અન્ય ખેતી અપનાવતા ખેડૂત બંધુઓ
ત્રણેય ભાઈઓ દર વર્ષે કરે છે કરોડો રૃપિયાનું ટર્નઓવર કરે છે.

રાહુલ ગાલા, અપુર્વ ગાલા, હર્ષલ ગાલા કચ્છમાં આ નામ જ કાફી છે. અદ્ભૂત મેનેજમેન્ટથી ખેતી જોવી હોય તો રાયણના ફાર્મની મુલાકાત લેવી પડે. ત્રણેય ભાઇઓ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ૧૨ એકરમાં ગ્રીનહાઉસમાં સફળ ખેતી કરે છે. સીઝન પ્રમાણે ઉમરગામ અને કચ્છના ફાર્મ પર ખેતી કરી મુંબઇથી વેચાણનું થતું મેનેજમેન્ટ ખરેખર જાણવા જેવું છે. એંક સંપ થઇ ખેતીનું યોગ્ય માર્કેટીંગ કરાય તો ખેતીએ વ્યવસાય બનીને ઉભરી શકે છે એ સાબિત કર્યું છે આ ત્રણ ભાઇઓની ત્રિપુટીએ. નાની ઉંમરમાં આ ખેડૂતોએ ખેતીમાં સતત વિકાસ કર્યો છે.

ખેતીમાં જો યોગ્ય મેનેજમેન્ટ હોય તો ધાર્યા કરતા વધારે આવક અને ઉત્પાદન બંને મેળવી શકાય છે. કચ્છના માંડવી તાલુકાના રાયણ ગામના ત્રણ ખેડૂત ભાઈઓ પણ પાછલા કેટલાક વર્ષથી પ્રોપર મેનેજમેન્ટ અને ટેક્નોલોજીના સહારે વિવિધ ખેતીમાં વધારે ઉત્પાદન અને આવક મેળવી રહ્યાં છે. આ ત્રણેય ભાઈઓનું મેનેજમેન્ટ બિલકુલ અલગ અલગ છે. રાહુલ પ્રવિણભાઈ ગાલા, અપુર્વ ગાલા અને હર્ષલ ગાલા નામના આ ત્રણેય ભાઈઓ કચ્છ, ઉમરગામ અને મુંબઈમાં મેનેજમેન્ટથી સમગ્ર ખેતીને સંભાળી રહ્યા છે. રાહુલભાઈએ ઓસ્ટ્રેલિયાથી બીએસસી હોર્ટીકલ્ચરનો, બીજા નંબરના અપુર્વભાઈએ એમબીએનો જ્યારે કે ત્રીજા નંબરના હર્ષલભાઈએ ઈઝરાયલથી બીએસસી ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલો છે.

પોતાની સમગ્ર ખેતી અને તેના મેનેજમેન્ટ અંગે વાત કરતા રાહુલભાઈએ જણાવ્યું હતું કે, અમારી પાસે કુલ ૧૭૫ એકર જમીન છે. જેની અંદર ૧૨૦ એકરમાં ખારેકની ખેતી, ૬ એકરમાં દાડમની ખેતી, ૬ એકરમાં વેલાવાળા  દુધી, કારેલાં, પરવળ જેવા શાકભાજીની ખેતી છે. આ સિવાય ૧૦ એકરના અલગ અલગ ગ્રીનહાઉસમાં શાકભાજી પાક અને ૨ એકરમાં અંજીરની ખેતી અપનાવવામાં આવે છે. જ્યારે બાકીની જમીન ખુલ્લી છે તેમાં સીઝનેબલ શાકભાજીની પણ ખેતી કરવામાં આવે છે. આ તમામ ખેતીમાં સૌથી વધારે ખારેકની ખેતી છે. આ ખેતી વર્ષ ૨૦૦૨ના ઓગસ્ટ મહિનાની અંદર અપનાવી હતી. આ ખેતી અપનાવવાનો મુખ્ય ઉદેશ્ય ખેતીનું ભવિષ્ય છે.  વલસાડ જિલ્લાના ઉમરગામમાં પણ ૯૦ એકરમાં ખેતી અપનાવવામાં આવે છે. ચોમાસુ અને શિયાળુ પાકની ખેતી કચ્છમાં લેવામાં આવે છે. જ્યારે ઉનાળુ અને શિયાળુ પાકની ખેતી ઉમરગામમાં કરવામાં આવે છે. ઉમરગામનું ફાર્મ મારા નાના ભાઈ હર્ષલ ગાલા સંભાળે છે. જ્યારે કચ્છમાં હું પોતે ખેતી સંભાળું છંુ. કચ્છમાં કુલ ૧૭૫ એકર જમીનમાં વિવિધ ખેતી છે. જેમાં ૧૨૫ એકરમાં ખારેકનો સમાવેશ થાય છે. આ ખેતી અંગે અમારા પિતાજીએ સલાહ આપી હતી. કચ્છની ખારેક વિશ્વમાં નિકાસ થાય છે. લંડનની લેબે ખારેકની બારાહી  વેરાયટી છે તે અંગે માહિતી આપી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૯૮માં ૨૫૦૦ રૃપિયા પ્રતિ છોડ દીઠ કુલ ૫૦૦ રોપા મંગાવ્યા હતા. આ રોપાની કુલ ૧૦ એકરમાં વાવણી કરી હતી. ત્યારપછી તેની માવજત કરતા ૨૦૦૫માં પહેલંુ ઉત્પાદન આવ્યું હતું અને માર્કેટ પણ રહ્યું હતું. પછી વર્ષ ૨૦૦૬થી ૨૦૦૮ની વચ્ચે જોર્ડન અને દુબઈથી ટીશ્યુકલ્ચરના બારાહી જાતના કુલ ૪૫,૦૦૦ રોપા મંગાવ્યા હતા. જેમાંથી અમુક રોપા ખેડૂતોને આપ્યા હતા અને માર્કેટીંગમાં પણ મદદ કરી હતી. બાકીના ૧૨૫ એકરમાં અમે ૬ હજાર રોપાની વાવણી કરી છે                                                                                                                                        સંપર્ક : ૯૩૭૫૦ ૫૦૦૦૦



ખારેકમાં ૨ કરોડની ચોખ્ખી કમાણી
ખારેકની વાવણી કર્યા પછી ત્રણ વર્ષે ઉત્પાદન મળે છે. જ્યારે કે ખારેકની ફ્લાવરીંગ સીઝન ફેબ્રુઆરી મહિનામાં રહે છે અને જુલાઈથી ઓગસ્ટ સુધી ઉત્પાદન આપે છે. એક છોડ પુખ્ત વયનો થાય એટલે કે ૮ વર્ષનો છોડ ૨૫૦થી ૩૦૦ કિલો ઉત્પાદન આપે છે. અમારા ફાર્મની અંદર ૬ હજાર છોડ છે તેમાંથી ૫૦૦ છોડ પુખ્તવયના છે. જ્યારે બાકીના ૫થી ૭ વર્ષના છે એટલે સરેરાશ ૭૦૦ થી ૮૦૦ ટન ઉત્પાદનનો અંદાજ છે. એક કિલો ખારેકના ક્વોલિટી પ્રમાણે ૪૦થી ૧૦૦ રૃપિયા સુધીના ભાવ મળે છે. સરેરાશ એક વર્ષ દરમિયાન ૫૦ રૃપિયા ભાવ ગણીએ તો ૧૨૫ એકરમાંથી ૪ કરોડ  રૃપિયાની આવક થઈ જાય છે. આવક સામે ખર્ચ ૫૦ ટકા જેટલો રહે છે.


સ્ટાફને પગારથી રાખ્યો છે


ખેતીમાં સારું મેનેજમેન્ટ કરવા માટે ૨૦ માણસનો સ્ટાફ રાખ્યો છે. આ સિવાય જરૃરીયાત પ્રમાણે મજૂરી કામ લેવામાં આવે છે. સ્ટાફના મુખ્ય માણસ ફાર્મ મેનેજર છે. ત્યારપછી એકાઉન્ટન્ટ, મેઈન સુપરવાઈઝર, ઈરીગેશન ઈન્ચાર્જ, સેક્ટર ઓપરેટર રાખ્યા છે. જ્યારે  બાકીના ખેતી કાર્ય માટેના મજૂરોનો સમાવેશ થાય છે. આ લોકોને રોજનું ઈન્સ્ટ્રક્શન આપવામાં આવે છે અને તેઓ તે પ્રમાણે ખેતી કરાવે છે. અમે દરરોજ ફાર્મમાં આંટો મારીને ચેક કરીએ છીએ ત્યારપછી સંબંધીત સ્ટાફના સભ્યોને જાણ કરવામાં આવે છે. આ તમામ સ્ટાફને પગાર પર રાખવામાં આવે છે. જે તમામ બાબતોનું મેનેજમેન્ટ કરે છે. આ સ્ટાફ શાકભાજી, અંજીરની ખેતીની સાથે સાથે તમામ ખેતીનું મેનેજમેન્ટ કરે છે. આ સિવાય નાના ભાઈ અપુર્વ ગાલા મુંબઈ સ્થિત ઓફિસમાંથી ખેતીની તમામ પ્રોડક્ટનું માર્કેટીંગ કરે છે. મોટાભાગની ખારેક, અંજીર, શાકભાજી સહિતના તમામ પાકને મુંબઈ નિકાસ માટે મોકલવામાં આવે છે. મુંબઈથી સાઉથ ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ, ફાર ઈસ્ટ, ગલ્ફ કંટ્રી અને યુરોપીયન કંટ્રીમાં નિકાસ કરવામાં આવે છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment