આંબા
આરામની અવસ્થામાં ન જતાં સ્થિતિ બદલાઈ : ઠંડીની ઉણપ, ધાબળિયું વાતાવરણ અને કમોસમી વરસાદથી
રાજ્યમાં આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા વિલંબમાં પડી : સૌરાષ્ટ્રમાં કેસર કેરીને
સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં આફૂસ કેરી પણ મોડી આવવાની સંભાવના : રાજ્યમાં ૨૫ ટકા
કેરીના પાકને અસર પહોંચવાની સંભાવના
રાજ્યમાં
આંબા પર મોર બંધાવાની પ્રક્રિયામાં અસમાન ઠંડી, ધાબળિયું વાતાવરણ અને માવઠું વિલન બનતાં
એપ્રિલ-મે માસમાં બજારમાં આવતી કેરી એક મહિનો મોડી આવશે. રાજ્યમાં ઉત્પાદિત થતી ૧૦
લાખ ટન કેરીમાંથી ૨૫ ટકા કેરીનો મોર નવેમ્બર-ડિસેમ્બરમાં બંધાતો હોય છે, પરંતુ આંબા
આરામની સ્થિતિમાં ન જતા હવે મોર બંધાવાની પ્રક્રિયા જાન્યુઆરી સુધી ખેંચાઈ જશે. જેની
સીધી અસર કેરીના પાક પર પડશે. આ જ સ્થિતિ મહારાષ્ટ્રની પણ છે. મહારાષ્ટ્રમાં માવઠાથી
આફૂસ મહિનો મોડી આવવાના સંજોગો સર્જાયા છે. સૌરાષ્ટ્રમાં આંબાના વિસ્તાર ગણાતા ધારી,
ગીર અને વંથલી પંથકમાં માવઠાની અસરથી કેસર કેરીને સૌથી મોટો ફટકો પડયો છે. દેશમાં ગયા
વર્ષે ૨૫.૫૦ લાખ હેક્ટરમાં પથરાયેલાં આંબાવાડિયામાંથી ઉત્પાદન ૧૮૬ લાખ ટન અને ગુજરાતમાં
૧.૪૧ લાખ હેક્ટર વિસ્તારમાંથી ૧૦.૦૩ લાખ ટન ઉત્પાદન મળ્યું હતું.
શિ
યાળાની શરૃઆત છતાં ઠંડીનું ઓછું પ્રમાણ પાકને સીધી અસર પહોંચાડી રહ્યું છે. રાજ્યમાં
કેરી એક મહિનો મોડી આવવા છતાં કેરીની ગુણવત્તા અને ઉત્પાદન જળવાઈ રહેશે. રાજ્યમાં સૌથી
વધુ આંબાવાડિયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે. સૌરાષ્ટ્રમાં કેસર અને દક્ષિણ ગુજરાતની
આફૂસ કેરીની મહેક દુનિયાભરમાં પ્રખ્યાત છે. આંબા પર મોર ત્રણ અલગ અલગ સ્ટેજે બંધાતો
હોય છે. કૃષિ નિષ્ણાતો મોર બંધાવાના સ્ટેજ અને હવામાનને આધારે કેરીના ઉત્પાદન અને કેરીના
સમયની આગાહી કરતા હોય છે. રાજ્યમાં નવેમ્બર- ડિસેમ્બરમાં કુલ ઉત્પાદિત થતી ૩૦ ટકા કેરીનો
મોર બંધાય છે. ચોમાસા બાદ આંબો આરામની અવસ્થામાં ગયા બાદ મોરની પ્રક્રિયાનો આરંભ થાય
છે. ચાલુ વર્ષે ચોમાસુ મોડા સુધી ચાલુ રહેવાની સાથે કમોસમી માવઠાથી આંબામાં આરામમાં
જવાના સ્ટેજ પર સીધી અસર પહોંચી છે. પરિણામે નવેમ્બરમાં બંધાતા મોરની પ્રક્રિયા પણ
વિલંબમાં મુકાઇ ગઇ છે. કેરીના ખેડૂતો માટે નવેમ્બર બાદનો સમયગાળો ઘણો જ અગત્યનો છે.
ખેડૂતો આંબામાં હાલથી સમસયર પિયત અને ખાતર આપે તો જ સારા ઉત્પાદનનો લાભ મેળવી શકે છે.
આંબામાં રોગ-જીવાતનું પ્રમાણ પણ નવેમ્બર બાદ શરૃ થતું હોય છે. ઠંડીનું પ્રમાણ ઘટતાં
આંબામાં સ્ટેજ ખોરવાઇ ગયાં છે. જેના પરિણામ થકી કેરીનું ઉત્પાદન પણ વહેલું કે સમયસર
આવે તેવી કોઈ સંભાવના નથી. દક્ષિણ ગુજરાતમાં
આફૂસ સહિત સૌરાષ્ટ્રમાં કેસર કેરીમાં પણ આ જ સ્થિતિ હોવાનું કેરી સંશોધન વૈજ્ઞાાનિક
ડો. આર. આર. વીરડિયાએ જણાવ્યું હતું. આંબામાં આ વર્ષે છેક જાન્યુઆરીના અંતમાં ફ્લાવરિંગ
સ્ટેજ શરૃ થાય તેવી સંભાવના છે. વલસાડ બાજુ કેરીની પ્રક્રિયા પણ નિયત ક્રમ મુજબ ન હોવાથી
રત્નાગીરી અને આફૂસ કેરી એપ્રિલના અંત સુધીમાં આવે તેવી શક્યતા ઘણી જ ઓછી છે. દર વર્ષે
રત્નાગીરી અને આફૂસ કેરી કેસર કેરી કરતાં વહેલી બજારમાં આવેે છે, પરંતુ સૌરાષ્ટ્રની
કેસર કેરીની વધુ માંગ રહે છે. કેસર કેરીના પાકમાં મોર આવવાની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ
હોવાથી આ સમય દરમિયાન પાકનું ધ્યાન રાખવું ખૂબ જ જરૃરી છે. રાજ્યમાં ૧.૪૧ લાખ હેકટર
આંબાવાડિયામાંથી ૧૦.૦૩ લાખ ટન ઉત્પાદન થાય છે. રાજ્યમાં પ્રતિ હેકટરે કેરીની સરેરાશ
ઉત્પાદકતા સાડા સાત ટન જેટલી છે. જૂનાગઢ કૃષિ યુનિ. બાગાયતી વિભાગના સંશોધન વૈજ્ઞાાનિક
ડો. આર. આર. વીરડિયાના જણાવ્યા અનુસાર, સામાન્યતઃ કેસર કેરીને પાકવા માટે ૯૦થી ૧૦૦
દિવસનો સમય લાગે છે. કેસર કેરીમાં ટી.એસ.એસ. ૮થી ૧૦ ટકા થાય ત્યારે જ પાકવાલાયક બને
છે.
આંબામાં
ફ્લાવરિંગ સ્ટેજ મહત્ત્વનું : ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન ધરાવતા અને સમુદ્રની સપાટીથી
૬૦૦ મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં આંબાની વેપારી ધોરણે ખેતી કરી શકાય છે. આંબાની
ઘણીખરી જાતો ૭૫૦થી ૩૭૫૦ મિમી. વરસાદવાળા વિસ્તારમાં સારી રીતે ઊગી શકે છે. જૂનથી સપ્ટેમ્બર
દરમિયાન વરસાદ અને ત્યારપછી ફેબ્રુઆરી માસ સુધી ભેજ વિનાનું સૂકું હવામાન આંબા પર મોર
બેસવાની પ્રક્રિયામાં ઘણું જ ઉપયોગી છે. જો ઓક્ટોબરમાં મોડે સુધી વરસાદ ચાલુ રહે તો
આંબામાં વાનસ્પતિક વૃદ્ધિ થયેલા આંબા પર મોર આવવાની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે. આંબા
પર મોર આવતા સમયે શુષ્ક અને ઠંડું વાતાવરણ હોવું જોઇએ. આમ છતાં પુષ્પના ફલિનીકરણ માટે
થોડું ઊંચું ઉષ્ણતામાન અને ફળના વિકાસના તબક્કામાં પૂરતી ગરમી મળવી જરૃરી છે. નવેમ્બરથી
ફેબ્રુઆરી માસ દરમિયાન વરસાદ, વાદળ કે ધુમ્મસવાળું વાતાવરણ મોર આવવા અને ફળ ધારણ પર
માઠી અસર કરે છે અને રોગ-જીવાતના ઉપદ્રવમાં પણ વધારો કરે છે. માર્ચથી મે માસના સમયગાળામાં
ઉષ્ણતામાન ૪૨ સે.થી વધારે થાય તો ગરમીથી ફળોને દાઝ લાગવાથી ખરી પડે છે તેમજ કેટલીક
જાતોનાં ફળોમાં કપાસીના ઉપદ્રવથી નુક્સાનની સંભાવના વધે છે.
હાલમાં
આંબાને આ રોગથી બચાવો : નવેમ્બરના અંતમાં કેરીના પાકમાં રોગ-જીવાત આવવાની સંભાવના છે.
હાલથી જ ખેડૂતો સતર્ક રહે તો કેરીનું સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. હાલમાં આંબામાં
મઘીયો, મોર અને ડૂંખ ખાનારી ઇયળો, પાન કોરિયું તથા પાનનો ઝાળો તેમજ કાલવ્રણ રોગ આવવાની
સંભાવના છે. આ રોગને નાથવા માટે ખેડૂતો ૧૦ લીટર પાણીમાં ૩ મિલી. ડેલ્ટામેથ્રિન ૨.૮
ટકા ઇસી.,સાયપરમેથ્રિન ૨૫ ટકા ઇસી. ૧.૨મીલી. કે આલ્ફામેથ્રિન ૧૦ ઇસી. ૧.૭ મીલી .ઉમેરી
છેટકાવ કરે તો ફાયદો મેળવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો ૧૦ લીટર પાણીમાં લેમ્ડાસાયહેલોથ્રિન
૫ ઇસી. ૬.૦ મિલિ. કે કાર્બેન્ડિઝમ ૫૦ ટકા વેપા. ૫ ગ્રામ ઉમેરી આંબામાં રોગ-જીવાત આવતી
અટકાવી શકે છે.
મહારાષ્ટ્રમાં
માવઠાથી આફૂસ કેરીને અસર : ગત સપ્તાહે દેશમાં વરસેલા માવઠાની અસરથી મહારાષ્ટ્ર પણ બાકાત
રહ્યું ન હતું. કોંકણમાં વરસાદ પડતાં દ્રાક્ષ અને કેરીના બગીચાઓને સીધી અસર પહોંચી
હતી. સતારા, બુલઢાણા, રત્નાગીરી, મહાબળેશ્વર અને પૂણેમાં તેમજ ઓરંગાબાદ, નાસિક, જાલના
અને પરભણીમાં પણ વરસાદની અસર રહી હતી. કોંકણ,
રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદથી કેરીની સીઝન મહિનો લેટ પડે તેવી સંભાવના
કૃષિ અધિકારીઓએ વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબર-નવેમ્બરમાં આંબામાં મોર બંધાવાની
પ્રક્રિયાનો આરંભ થતો હોય છે. જે વરસાદને પગલે આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા આરંભાઇ
હતી તેમાં વિક્ષેપ પડયો છે. આફૂસ કેરીને સૌથી વધુ સમસ્યા નડે તેવી સંભાવના છે. આફૂસ
કેરીના આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા નવેમ્બરના અંતમાં પૂર્ણ થતાં કેરી માર્ચમાં
આવતી હોય છે, જે હવે મોડી આવશે. મહારાષ્ટ્રમાં ૪ લાખ હેક્ટરમાં આંબાવાડિયાં પથરાયેલાં
છે. જેમાં આફૂસ કેરીનું ઉત્પાદન ૫ લાખ ટનની આસપાસ આવતું હોય છે. આફૂસ કેરીના ૩૦ ટકા
પાકને માવઠાથી અસર થઇ છે. મહારાષ્ટ્રમાં રત્નાગીરીના પાકને માવઠાથી સામાન્ય અસર તો
આફૂસ મહિનો લેટ આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ગુજરાતમાં
માવઠાથી ખરીફ અને રવી પાકને અસર થઈ : ગુજરાતમાં માવઠાએ માત્ર કેરીના પાકને અસર પહોંચાડી
નથી, પરંતુ રવી અને ખરીફ પાકને પણ અસર થઇ છે. ખરીફમાં માવઠાથી કપાસ અને મગફળીના પાકને
સીધી અસર પહોંચી છે. હવામાનમાં ફેરફારને પગલે ઠંડી જ ન જામતાં અને માવઠાથી રવી પાકમાં ઘઉંના વાવેતર કરાયેલા પાકમાં પણ ઉગાવાની સમસ્યા
સામે આવી છે. રાજ્યમાં માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે.
રાજ્યમાં
કેરીનું ઉત્પાદન અને ઉત્પાદકતા
વર્ષ વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
૨૦૦૯-૧૦ ૧.૧૫
૨.૯૯ ૨.૬
૨૦૧૦-૧૧ ૧.૨૧
૮.૫૬ ૭.૦
૨૦૧૧-૧૨ ૧.૩૦
૯.૧૧ ૭.૦
૨૦૧૨-૧૩ ૧.૩૬
૯.૬૬ ૭.૯
૨૦૧૩-૧૪ ૧.૪૧
૧૦.૦૩ ૭.૧૧
નોંધઃ
વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા હેક્ટર દીઠ ટનમાં
છે.
દેશમાં
ઉત્પાદિત કેરીના પાકનું સરવૈયું
વર્ષ વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
૨૦૦૭-૦૮ ૨૧.૫૩ ૧૩૭ ૬.૩૮
૨૦૦૮-૦૯ ૨૨.૦૧ ૧૩૯ ૬.૩૬
૨૦૦૯-૧૦ ૨૩.૦૮ ૧૨૭ ૫.૫૨
૨૦૧૦-૧૧ ૨૩.૧૨ ૧૫૦ ૬.૫૦
૨૦૧૧-૧૨ ૨૨.૯૬ ૧૫૧ ૬.૬૧
૨૦૧૨-૧૩ ૨૩. ૭૮ ૧૬૧ ૬.૮૦
૨૦૧૩-૧૪ ૨૫.૫૦ ૧૮૬ ૭.૨૦
નોંધ : વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા હેક્ટર દીઠ ટનમાં
છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment