ખેડૂતોને સીસીઆઇના ભરોસે છોડી દેવાયા : સીસીઆઇની ખરીદી પણ ખેડૂતોને નુકસાનીમાંથી નહીં બચાવી શકે : ખેડૂતોનો બંને બાજુ મરો : ઉત્પાદન વધે તો પણ નુકસાન અને ઘટે તો પણ નુકસાન : કપાસના ભાવ વધે તેવી શક્યતાઓ ઘણી જ ઓછી : માર્ચ ૨૦૧૫ બાદ ભાવમાં સુધારો થવાની સંભાવના : જૂનાગઢ કૃષિ યુનિ.ના અંદાજ મુજબ દેશમાં રૃનું ઉત્પાદન ૩૪૬ લાખ ગાંસડી અને ગુજરાતમાં ૧૦૫ લાખ ગાંસડી રૃ પાકશે : કપાસનું ૧૨૦ લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ : ખેડૂતોને સરેરાશ ગત વર્ષની તુલનાએ મણે રૃ.૧૬૦ ઓછો મળતો ભાવ ( 01 /12/ 2014 ની સ્થિતિ )
ગુ જરાતના ખેડૂતોના આધારસમા કપાસના પાકમાં ઓછા ભાવથી ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવના ખરીદકેન્દ્રો શરૃ થયાં છતાં પણ ખેડૂતોને પ્રતિ મણ ગત નવેમ્બરની તુલનાએ રૃ.૧૬૦ ઓછા મળી રહ્યા છે. રાજ્યમાં રેકોડબ્રેક ૩૦ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે અને ઉત્પાદન ૧૨૦ લાખ ગાંસડી થવાના અંદાજો મુકાયા છે. બીજી તરફ ચીનની કોટનનીતિમાં ફેરફાર થવાથી ખેડૂતોને કપાસની ખેતીમાં ખર્ચ પણ માથે પડી રહ્યો છે. સરકારે ટેકાના ભાવનાં ખરીદી કેન્દ્રો વધારવાની તૈયારી દર્શાવી ખેડૂતોના આ મામલામાંથી હાથ ખંખેરી લીધા છે અને હવે રૃની નિકાસ માટે નવા દેશો તરફ નજર લંબાવી છે. સરકારની ટેકાના ભાવમાં વધારો ન કરવાની સ્પષ્ટ નીતિને પગલે કપાસના ભાવના મામલાએ હવે રાજકીય રંગ ધારણ કર્યો છે. ખેડૂતોને મળી રહેલા ઓછા ભાવને પગલે આગામી દિવસોમાં રાજ્યભરમાં દેખાવો યોજાય તો નવાઇ નહીં. ખેડૂતો માટે કરમ કઠણાઇ એ છે કે, પાકનું ઉત્પાદન કરનાર ખેડૂતો ભાવ નક્કી કરી શકતા નથી. કપાસમાં વાયદાબજારમાં પણ ૨૫૦૦ કરોડનું નુક્સાન ઇન્વેસ્ટરોએ ભોગવવું પડે તેવી શક્યતા છે. કપાસની ખેતીમાં ખેડૂતોને ફટકો સીધી અર્થવ્યવસ્થાને અસર કરશે. રાજ્યમાં ખરીફ સીઝનમાં વાવેતર કરતો પાક કપાસ ૩૦ લાખ હેક્ટરમાં વાવણી કરાય છે. ખેડૂતોની આવકમાં કપાસની આવકમાં મયમોટો હિસ્સો હોવાથી તેની સીધી અસર રાજ્યના અર્થતંત્ર પર અસર કરશે.
દેેશમાં ખેતી જ એક એવો વ્યવસાય છે જેમાં ખેડૂતોના ભાગે હંમેશાં નુક્સાની આવે છે. ખેડૂતોના ખેતરમાં સારું પાકે તો ભાવની ભાંજગડમાં ખેડૂતો કમાણી કરી શકતા નથી. જો વરસાદ ઓછો હોય અને ઓછું પાકે તો પણ ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે. દેશમાં માત્ર ખેડૂતો જ પોતાની પ્રોડક્ટનો ભાવ નક્કી કરી શકતા નથી. રાતદિવસ કાળી મજૂરી કરીને પકવેલા અનાજના ભાવ એસી ઓફિસમાં બેસતા અને ખેતર પણ ન જોયું હોય તેવા અધિકારીઓ અને વેપારીઓ કરતા હોય છે. રાજ્યમાં સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને જઇ રહ્યું છે. ગત વર્ષે મગફળીમાં પણ ખેડૂતોની આ જ સ્થિતિ રહી હતી. જેથી મગફળીથી ત્રાસીને ખેડૂતો કપાસની ખેતી તરફ વળતાં કપાસમાં પણ નુક્સાની કરી રહ્યા છે. રાજ્યમાં કપાસનું સરેરાશ ૨૫ લાખ હેક્ટરની આસપાસ વાવેતર થાય છે. આ વર્ષે ખેડૂતોએ રેકોર્ડબ્રેક ૩૦ લાખ હેક્ટરમાં વાવેતર કરતાં ઉત્પાદન ૧૨૦ લાખ ગાંસડી થવાના અંદાજો મુકાયા છે. જોકે, જૂનાગઢ કૃષિ યુનિ.ના અંદાજ મુજબ રાજ્યમાં ૧૦૫ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થશે. રાજ્યના ખેડૂતોને માર્કેટયાર્ડ અને સીસીઆઇનાં ખરીદકેન્દ્રો પરથી ગત વર્ષની તુલનાએ ૧૬૦ રૃપિયા પ્રતિ મણે ઓછો ભાવ મળી રહ્યો છે. હવે સ્થિતિ સુધરવાની શક્યતા ઘણી ઓછી હોવાથી ખેડૂતોને ગત વર્ષની તુલનાએ રૃ. ૧૬૩૨ કરોડનું નુક્સાન જવાની સંભાવના છે. ગુજરાતમાં ગત વર્ષે ૨૬.૯૧ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થતાં ઉત્પાદન ૧૨૦ લાખ ગાંસડી (રૃ) જેટલું વિક્રમજનક થયું હતું. ચાલુ વર્ષે ૨૦૧૪-૧૫માં વાવેતર વધીને ૩૦ લાખ હેક્ટરમાં થયું છે, પરંતુ ઉત્પાદન ઘટીને ૧૦૫ લાખ ગાંસડી આસપાસ થશે. ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદ એક મહિનો મોડો, જુલાઈ, ૨૦૧૪ના ત્રીજા અઠવાડિયામાં થયો હતો અને ચોમાસું મોડું શરૃ થયું હતું. જેથી ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભેજની તીવ્ર ખેંચ રહી છે. ઉપરાંત ઓક્ટોબર કે નવેમ્બર, ૨૦૧૪માં તાપમાન ઊંચું રહેતા લગભગ ૧૦ લાખ હેક્ટર જેટલા બિનપિયત કપાસની ઉત્પાદકતા નબળી રહેવાની સંભાવના છે. અંદાજે ૨૦ ટકા જેટલાં ખેતરોમાં રાતડાને લીધે ઉત્પાદન પર માઠી અસર થશે. જ્યારે ૨૦ લાખ હેક્ટર જેટલા પિયત વિસ્તાર પૈકી લગભગ ૫૦ ટકા વિસ્તારમાં અપૂરતા પિયતને લીધે ઉત્પાદકતા સામાન્ય કરતાં ઓછી રહેશે. કેટલાંક ખેડૂતોએ પણ ઓછા ઉતારાની દહેશત વ્યક્ત કરી છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં પણ સામાન્ય કરતાં ઓછી ઉત્પાદકતા રહેવાના અહેવાલ છે. દેશમાં ચાલુ વર્ષે કપાસનું વાવેતર વધીને ૧૨૬.૫૫ લાખ હેક્ટરમાં થયું છે. (જે ગત વર્ષે ૧૧૪.૩૭ લાખ હેક્ટર હતો) પરંતુ ઉત્પાદન (પ્રથમ આગોતરા અંદાજ તા. ૧૯-૯-૨૦૧૪ મુજબ) ૩૪૬ લાખ ગાંસડી આસપાસ રહેશે, જે ગત વર્ષે વિક્રમજનક ૩૬૫.૯૦ લાખ ગાંસડી મળ્યું હતું. ચાલુ વર્ષે ૨૦૧૪-૧૫માં વિશ્વસ્તરે કપાસનું ઉત્પાદન ગત વર્ષ (૧૫૫૦ લાખ ગાંસડી) જેટલું જ ૧૫૪૪ લાખ અંદાજવામાં આવ્યું છે (આઈસીએસીનો તા.૫-૧૧-૨૦૧૪નો અહેવાલ) પરંતુ અમેરિકામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ૨૭ ટકા જેટલું વધારે થવાનો અંદાજ છે તેમજ ચીન દ્વારા કપાસની આયાતમાં કાપ મૂકવાને લીધે અમેરિકા અને વિશ્વબજારમાં કપાસના ભાવ ખૂબ જ ઘટી ગયા છે. (નવેમ્બર, ૨૦૧૩માં ૮૪.૬૫થી ઘટીને નવેમ્બર,૨૦૧૪માં ૬૭ સેન્ટ/પાઉન્ડ થયેલા છે એટલે કે કિલો રૃના ૯૨ રૃપિયા ગુજરાતમાં પણ હાલ તેટલા જ ભાવ છે) વિશ્વબજારમાં ભાવ ઘટવાથી તેમજ નિકાસની ઓછી શક્યતાને લીધે ભારતમાં પણ કપાસના ભાવ ઘટી ગયા છે. છેલ્લાં પાંચ વર્ષથી વિશ્વસ્તરે બિનવપરાશી જથ્થો સતત વધી રહ્યો છે જે ગત વર્ષના અંતે ૧૧૮૭ લાખ ગાંસડી રહ્યો હતો. કપાસ દુનિયાનો મહત્ત્વનો પાક હોવાથી ફૂડ, તેલ અને સોના-ચાંદીની બજારમાં થયેલી ઘટાડાની થોડી અસર કપાસ બજાર ઉપર પણ થવા સંભવ છે. ગુજરાતમાં નવેમ્બર, ૨૦૧૩માં કપાસનો ભાવ મણના રૃ. ૯૬૦ જેટલો હતો જે ઘટીને નવેમ્બર, ૨૦૧૪માં રૃ. ૮૦૦ આસપાસ છે. ગત વર્ષે કપાસની નિકાસ કરતી એક મોટી પાર્ટી ઊઠી જવાને લીધે પણ બજાર પર તેની માઠી અસર થઇ છે. ચાલુ વર્ષ માટે સરકારે કપાસના ટેકાના ભાવ મણના રૃ. ૮૧૦ નક્કી કર્યા છે. ઉપરોક્ત વિગતે બજાર અહેવાલ, કપાસનું ઉત્પાદન અને વપરાશ, બિનવપરાશી જથ્થો અને બજાર વલણની સમીક્ષા કરી, જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીની સંશોધક ટીમે ગોંડલ વિનિમય બજારના કપાસના ઐતિહાસિક માસિક ભાવના આંકડાઓનું પૃથક્કરણ કર્યું છે. જેના તારણ મુજબ એવું અનુમાન છે કે, આગામી ડિસેમ્બર, ૨૦૧૪થી ફેબ્રુઆરી,૨૦૧૫ દરમિયાન (વીણી સમયે) કપાસનો ભાવ મણના રૃ.૮૦૦થી ૮૬૦ જેટલા રહેવાની શક્યતા છે. નજીકના ભવિષ્યમાં ભાવ વધવાની ખૂબ જ ઓછી શક્યતા હોવાથી ખેડૂતભાઈઓ વીણી કરી, તેનો સંગ્રહ ન કરતા ટેકાના ભાવે વેચાણ કરવા પોતાની રીતે નિર્ણય કરી શકે છે. જો કે માર્ચ ૨૦૧૫ સુધી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા ખેડૂતો, થોડી રાહ જુએ તો પાક ઉત્પાદનના ખરા આંકડા પ્રાપ્ત થશે. બજાર થોડું સુધારા તરફી રૃ.૮૮૦ આસપાસ થવા સંભવ છે.
ખેડૂતોની રૃમાં પ્રતિ મણ રૃ.૨૦૦ બોનસની માંગ
કપાસના મબલક ઉત્પાદન સામે તળિયે બેસી ગયેલા ભાવને કારણે ખેડૂતોને છતે માલે બેહાલ થવાનો વખત આવ્યો છે. ખેડૂતો દ્વારા કપાસનું વેચાણ કર્યા બાદ ઓઈલ અને જીન મિલરો પાસેથી રાજ્ય સરકાર ૪ ટકા વેટ અને કેન્દ્ર સરકાર ૧ ટકા ર્સિવસ ટેક્સ વસૂલે છે. આ રીતે દેશના સૌથી મોટા કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાતમાંથી દર વર્ષે કરોડો રૃપિયાની આવક સરકારની તિજોરીમાંથી ઠલવાય છે. ત્યારે આ વર્ષ નબળું હોવાને નાતે સરકારે મણ દીઠ ર૦૦ રૃપિયા બોનસ આપવું જોઈએ તેવી ખેડૂતોએ માગ કરી રહ્યા છે.
ખેડૂતો કપાસના પાક પર રોટાવેટર ફેરવવા લાગ્યા
કપાસના ઉત્પાદન સામે ઓછા ભાવથી ઘણા ખેડૂતો પ્રથમ વીણી બાદ જ રોટાવેટર ફેરવી રવી સીઝનના ઘઉં અને જીરુંના પાક લેવાની તૈયારી આરંભી દીધી છે. કમોસમી માવઠાથી કપાસનો પાક બગડવાની સાથે ભાવ ઓછા મળતાં ખેડૂતોએ પાકને ઉખાડી કાઢવાનો નિર્ણય લીધો છે. કપાસના ભાવ વધવાની નહીંવત્ શક્યતા વચ્ચે અન્ય પાકમાં ખેડૂતોને કમાવવાની આશા જાગી છે. કપાસ એ લાંબાગાળાનો પાક હોવા સામે ઓછા વળતરથી ખેડૂતોએ રવી સીઝનના વાવેતરનો આશરો લીધો છે.
૩૦ કિમી.એ સીસીઆઇનું કેન્દ્ર ખેડૂતોને વધુ પડતું અંતર
સરકારે ૩૦ કિમી. એ એક સીસીઆઇનું ખરીદી કેન્દ્ર શરૃ કરવાની જાહેરાત તો કરી છે. હજુ સીસીઆઇનાં ખરીદ કેન્દ્રો દર ૩૦ કિમીએ શરૃ થયાં ન હોવા છતાં ખેડૂતોને ૩૦ કિમી.માં એક તાલુકો બદલવાની ફરજ પડી રહી છે. જેમાં ટ્રેક્ટર લઇને વેચવા જવું મોંઘુંં પડી રહ્યું છે. હાલમાં ટેકાના ભાવથી રૃનો ભાવ ૪૦થી ૫૦ નીચો હોવાથી ખેડૂતો ૩૦ કિમી. દૂર જઇ ટેકાના ભાવે સપ્તાહ બાદ પૈસા લેવાના બદલે ઓછા ભાવે પણ યાર્ડમાં રૃનું વેચાણ કરી રહ્યા છે. ટેકાના ભાવમાં પણ કાગળિયાની માથાકૂટ ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે.
નિકાસકારોને સરકારે પાંચ ટકા પ્રોત્સાહન આપવાની જરૃર
દેશમાં રૃના ગગડતા જતા ભાવ વચ્ચે ખેડૂતોને હવે ભાવ વધુ મળે તેવી સંભાવના ન હોવાથી સીસીઆઇ રૃની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. આ અંગે જિનિંગ એસો.ના પ્રમુખ દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સીસીઆઇની ખરીદી વધારી નુક્સાન કરવાને બદલે નિકાસકારોને પાંચ ટકાનું પ્રોત્સાહન આપે તો રૃના ભાવ વધી શકે છે. વિશ્વબજારમાં રૃના ગગડતા જતા ભાવ વચ્ચે સીસીઆઇને પણ ખરીદી બાદ વેચાણમાં નુકસાન જ જવાની શક્યતા છે. જો નિકાસકારોને પ્રોત્સાહન અપાય તો ખેડૂત, જીનર્સ અને નિકાસકારોને ફાયદો થઇ શકે છે.
કપાસ : ખેડૂતો અને સરકારના ગળાનો ગાળિયો બન્યો
કપાસના ભાવને અસર, નિકાસ પણ ૪૦ ટકા ઘટશે : ૭૦ લાખ ગાંસડીથી વધુની નિકાસ નહીં થાય તેવા અંદાજો : ચીન આ વર્ષે ૫૦ ટકાથી પણ ઓછી આયાત કરશે : સરકારે ભાવ અને નિકાસ મુદ્દે ચોક્કસ રણનીતિ ન બનાવતા ખેડૂતો મુશ્કેલીમાં ( ૨૪ નવેમ્બરની સ્થિતિ )
દે શમાં આ વર્ષે કપાસનું વાવેતર વધતાં બંપર ઉત્પાદન રહેવાના અંદાજોને કારણે ભાવ પર તેની સીધી અસર જોવા મળી છે. એક તરફ કપાસના ભાવ એમએસપીથી પણ નીચા ગયા હોવાની ખેડૂતો બુમરાણ મચાવી ભાવમાં વધારો કરવા માંગ કરી રહ્યાં છે. જો કે, બીજી બાજુ વધુ ઉત્પાદનને કારણે ડિસેમ્બર મહિનામાં ભાવ હજુ પણ નીચા જાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કપાસની નિકાસમાં પણ ૪૦ ટકાનો ઘટાડો રહેશે તેવાં અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. દેશમાં આ વર્ષે ૪૦૦ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, પરંતુ પાછલાં વર્ષ કરતાં આ વર્ષે ભાવ ૨૦ ટકાથી પણ વધારે ઘટી ગયા છે જેને કારણે નિકાસ ઘટે તેવી પણ સંભાવનાઓ છે. વેપારીઓએ આ પહેલાં વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં ૯૦ લાખ ગાંસડી કપાસની નિકાસ થવાનું અનુમાન લગાવ્યું હતું. જો કે હવે ૭૦ લાખ ગાંસડીથી વધુની નિકાસ નહીં થાય તેવા અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે. આ વર્ષે ચીને પણ પોતાની આયાત પર કાપ મૂક્યો છે. ચીન પાસે કપાસનો રેકોર્ડબ્રેક સ્ટોક રહેલો છે એટલે ચીન આ વર્ષે ૫૦ ટકાથી પણ ઓછી આયાત કરી શકે છે. જે પાછલાં ૫ વર્ષમાં સૌથી નીચલા સ્તરની માનવામાં આવે છે. સતત ઘટી રહેલા ભાવ પાછળ કપાસનો સ્ટોક પણ જવાબદાર માનવામાં આવે છે, કારણ કે વિશ્વના તમામ વેરહાઉસમાં કપાસનો સ્ટોક વધવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવ પાછલાં ૫ વર્ષના નીચલા સ્તરે આવી ગયા છે. આ વર્ષે દેશમાં કપાસના સારા ઉત્પાદનને કારણે લગભગ ૧૭૦ લાખ ગાંસડી કપાસનો સરપ્લસ સ્ટોક રહેલો છે.
વૈશ્વિક બજારોમાં કપાસના ભાવ ગગડી ગયા છે. ભારતમાં ય બંપર ઉત્પાદન અને વૈશ્વિક માંગ કમજોર રહેવાને કારણે ભાવ એમએસપીથી પણ નીચા ચાલી ગયા છે. ભાવની ભાંજગડ મુદ્દે સરકાર દ્વારા તેલંગણા અને આંધ્રપ્રદેશમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૃ કરવામાં આવી છે. આ સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પણ ધીમે ધીમે ખરીદી શરૃ કરી છે. ખેડૂતો પાસેથી વધુમાં વધુ કપાસની ખરીદી થાય તે માટે સરકાર દ્વારા આંધ્રપ્રદેશ અને તેલંગણામાં ૯૦ સેન્ટરોને બદલે ૧૧૩થી ૧૧૮ સેન્ટરો ઊભાં કરવાની યોજના બનાવી છે, પરંતુ કાપડ મંત્રાલય, કૃષિ વિભાગ અને સરકાર કપાસના ભાવ અને નિકાસ મુદ્દે હજુ સુધી કોઈ ચોક્કસ રણનીતિ નથી બનાવી શક્યા જેને કારણે ખેડૂતોને કપાસના ભાવમાં ખોટ ખાવાનો વારો આવ્યો છે.
કપાસના ટેકાના ભાવ નહીં વધે, હવે સીસીઆઈ ખેડૂતોનો આધાર : કૃષિ મંત્રાલયની બેઠકમાં કપાસના ટેકાના ભાવ નહીં પરંતુ ખરીદી વધારવાનો નિર્ણય લેવાયો : રાજ્યમાંથી ૨૩ લાખ ક્વિન્ટલ કપાસની ખરીદી કરાઈ
( ૧૭ નવેમ્બરની સ્થિતિ )
રા જ્યમાં કપાસના ભાવ ટેકાની આસપાસ રહેતાં ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે. રાજ્યમાં ૩૦ લાખ હેક્ટરમાં રેકોર્ડબ્રેક કપાસનું વાવેતર થયા બાદ ઉત્પાદન ૧૧૦ લાખ ગાંસડીથી ૧૨૦ લાખ ગાંસડી આવવાની શક્યતા છે, પરંતુ ભાવ ગત વર્ષ કરતાં મણે રૃ.૨૦૦ ઓછા મળતા હોવાથી ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે. કપાસના ટેકાના ભાવે રાજકીય રંગ પકડતાં સરકાર પણ સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૃ કરી પોતાનો બચાવ કરી રહી છે. કપાસના ટેકાના ભાવ વધારવા એ માત્ર કેબિનેટના હાથમાં હોવાથી હવે કોઇ પણ પ્રકારે ટેકાના ભાવમાં વધારો થાય તેવી શક્યતા નથી. રાજ્યમાં હાલ લગભગ સીસીઆઇ દ્વારા ૨૩થી ૨૪ કેન્દ્રો થકી ખરીદી શરૃ કરાઇ છે. જેમાં ૧૪મી નવેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ૨૩ હજાર ક્વિન્ટલની ખરીદી કરાઇ હતી. ટેકાના ભાવે વેચાણમાં પણ ખેડૂતોને નુક્સાન જતું હોવાથી કપાસની ખેતીમાં આ વર્ષે કમાણી થવાની આશા ઠગારી નીવડી છે. ગત વર્ષે પણ મગફળીના ખેડૂતોના આ જ હાલ થયા હતા. ગત સપ્તાહે ટેકાના ભાવથી પણ ખેડૂતોને નુકસાન જતું હોવાની ગુજરાત આંધ્રપ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રમાં બૂમરાણ ઊઠતાં કૃષિ વિભાગે એક બેઠક બોલાવી હતી. જેમાં કેન્દ્રીય કૃષિ, વાણિજ્ય અને કાપડમંત્રી હાજર રહ્યા હતા. જેમાં ટેકાના ભાવ વધારવા બાબતે થયેલી ચર્ચા આખરે નિષ્ફળ રહી હતી. સીસીઆઇ સરેરાશ રોજની ૩૦થી ૩૫ હજાર ગાંસડીની ખરીદી કરી રહી છે. ૧૨મી નવેમ્બર સુધીમાં દેશમાંથી સીસીઆઇ દ્વારા ૨.૫૦ લાખ ગાંસડીની ખરીદી કરાઇ હતી. ટેકાના ભાવ બાબતે મળેલી બેઠકમાં કપાસના ટેકાના ભાવ વધારવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આખરે બેઠક બાદ ટેકાના ભાવ નહીં પરંતુ કપાસના વધુ ઉત્પાદનને પગલે સીસીઆઇ દ્વારા રૃની વધુ ખરીદી નવાં સેન્ટરો ખોલી કરાશે તેવો નિર્ણય લેવાયો હતો. પરિણામે હવે કપાસના ભાવ વધે તેવી કોઇ સંભાવના નથી. ખેડૂતોને ટેકાના ભાવે વેચાણમાં પણ ૭-૧૨ના ઉતારા, વાવેતર નોંધ જેવા કાગળોની જરૃર પડતી હોવાથી ખેડૂતો ટેકાના ભાવે પણ વેચાણ ટાળી રહ્યા છે.
રૃના
ભાવ ટેકાની સમકક્ષ : મોડું પેમેન્ટ નડશે : સીસીઆઇ
લેઇટ પેમેન્ટથી ખરીદી કરી રહ્યું હોવાથી ટેકાના ભાવે વેચવામાં પણ ખેડૂતો નિરૃત્સાહ : રૃના ભાવ વધવાની ઓછી શક્યતાથી ખેડૂતોને મોટો ફટકો પડશે : હાલમાં આઠ ટકાથી વધુ હવાવાળો
આવતો માલ
( ૧૦ નવેમ્બરની સ્થિતિ )
રાજ્યમાં કપાસના રેકોર્ડબ્રેક વાવેતર બાદ રૃના ટેકાની સમકક્ષ પહોંચેલા ભાવથી ખેડૂતો મૂંઝવણમાં
મૂકાયા છે. રૃના ભાવ વધે તેવી ઓછી શક્યતાઓ વચ્ચે ખેડૂતોની બૂમરાણોથી સીસીઆઇએ આંધ્રપ્રદેશ
અને તેલંગાંણા બાદ ગુજરાતમાંથી પણ ખરીદીની પ્રક્રિયા આરંભી દીધી છે પરંતુ હાલમાં રૃમાં
હવાનો પ્રશ્ન ઉભો થયો છે. સીસીઆઇ ૮ ટકાથી વધુ હવાવાળો માલ ખરીદતી ન હોવાથી સીસીઆઇ પણ
ધ્યાનથી રૃની ખરીદી કરે તેવી સંભાવના છે. હાલમાં રાજ્યમાં રૃમાં ૧૫ ટકાથી વધુ માલમાં
હવા આવી રહી છે.
ગરમીનું વધારે પ્રમાણ અને ઠંડી શરૃ ન થતાં રૃની
ગુણવત્તા બગડી રહી છે. સીસીઆઇની હવે દેશભરમાં રૃની ખરીદી શરૃ થતાં કપાસના ભાવમાં સુધારો
જોવા મળ્યો છે પરંતુ ભાવમાં વધુ વધારો થવાની શક્યતા ઘણી ઓછી છે. સીસીઆઇ લેઇટ પેમેન્ટ
આપતી હોવાથી ટેકાના ભાવે પણ ખેડૂતો વેચાણ કરવા રાજી નથી. ખેડૂતો ઓછા ભાવે યાર્ડમાં
વેચાણ કરી રહ્યા છે પરંતુ ટેકાના ભાવે વેચાણ ન કરવાના મૂડમાં છે. આ અંગે રાજકોટના ખેડૂત
પ્રફૂલભાઇ પટેલે જણાવ્યું હતું કે, સીસીઆઇ દ્વારા હાલમાં ખેડૂતોને કપાસ ખરીદીના એક
સપ્તાહ બાદ ખેડૂતના બેન્કના ખાતામાં સીધા નાણા જમા કરવાની સગવડ છે. ખેડૂતો માલ વેચીને
સીધા નાણા લેવાની ટેવ વાળા હોવાથી ખેડૂતો લેઇટ
પેમેન્ટથી વેચાણ ટાળી રહયા છે. નોર્થમાં સીસીઆઇ દ્રારા એકથી સવા ટકા કમિશન કાપી રોકડા
નાણા ખેડૂતોને ચૂકવવામાં આવે છે. જોકે, ગુજરાતમાં આ સુવિધા ન હોવાથી ખેડૂતોને લેઇટ
પેમેન્ટ અપાઇ રહ્યા છે. જ્યારે રોકડથી સરકારને રૃની ખરીદીમાં ભ્રષ્ટાચાર થવાનો ડર સતાવી
રહ્યો છે. દેશમાં ૫મી નવેમ્બર સુધીમાં ૧૩.૦૩ લાખ ગાંસડીના કપાસની આવકો નોંધાઇ છે. જે
ગયા વર્ષે ૧૯.૧૮ લાખ ગાંસડીની નોંધાઇ હતી. આમ આ વર્ષે રૃની આવકમાં ઘટાડો નોંધાયો છે.
ખેડૂતોને રૃપિયા ૮૦૦થી નીચા ભાવે રૃનું વેચાણ પોષાતું ન હોવાથી ખેડૂતો પણ પક્કડ જમાવીને
બેઠા છે. મગફળીની સરખામણીએ રૃના વળતરદાયી ભાવથી
કપાસનું વાવેતર ૪ લાખ હેક્ટર ઉંચકાયું છે.
ઓક્ટોબર મહિનામાં ઉંચા તાપમાનને પગલે કપાસના ચાંપવા ખરી પડયા હોવાની પણ ખેડૂતો
બૂમરાણો મચાવી રહ્યા છે. હાલમાં ખેડૂતોને કપાસમાં બોનસ અપાય તો જ બે છેડા ભેગા થાય
તેવી શક્યતાઓ વચ્ચે ખેડૂતોને બોનસ મળે તેવી કોઇ શક્યતા પણ નથી.
ટેકાના
ભાવથી વેચાણમાં પણ ખેડૂતોને નુક્સાન
કોટન
કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આ વર્ષે દેશભરમાં રૃની ખરીદી શરૃ કરી દીધી છે પરંતુ આ વર્ષે
ગત વર્ષ કરતા કપાસના બજારભાવ પ્રતિ મણે ૨૦૦ ઓછા હોવાથી ખેડૂતોની સ્થિતી કફોડી બની છે.
ખેડૂતોને કપાસના સારા એવા ભાવ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત
કરવામાં આવી છે અને પ્રતિ ૨૦ કિલો કપાસના ભાવ ૮૦૦ રૃપિયા રાખવા માગણી કરવામાં આવી છે. જો કે બજારભાવ સાથે જ ટેકાના ભાવ રહેતા ખેડૂતોને
પોષણક્ષમ ભાવ મળશે નહીં અને ઓછા ભાવે કપાસનું વેચાણ કરવા મજબુર બનવું પડશે તેવી સ્થિતી
સર્જાઈ છે. કારણ કે પાછલા બે વર્ષ કરતા આ વર્ષે બજારભાવ બિલકુલ ઓછો સાબિત થયો છે. ખેડૂતોને
વર્ષ ૨૦૧૨માં ૯૨૦ રૃપિયા મણના ભાવ તો વર્ષ
૨૦૧૩માં ૧૦૦૦ સુધીના બજારભાવ મળ્યા હતા. જો કે આ વર્ષે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
દ્વારા ૮૦૦ રૃપિયા પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી શરૃ થતાં સારી આવક થવાની સંભાવનાથી
ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા પણ ઉતાવળ કરી રહ્યા છે.
રૃના વેચાણમાં રાજ્યના ખેડૂતો સાવધાની રાખે : ગુજરાતમાં નીલોફરથી હવામાન પલટાતાં રોગ-જીવાત વધવાની સંભાવનાને પગલે કપાસના પાકને આંશિક ફટકો પડશે : આંધ્રપ્રદેશ અને તેલંગણામાં રૃના ભાવ ટેકાના ભાવથી પણ નીચા જતા સીસીઆઇએ ખરીદી શરૃ કરી : વીણી દીઠ વેચાણ કરનાર ખેડૂત ફાવશે : હાલમાં ઓછા ભાવે વેચાણ નુકસાનકારક સાબિત થશે
( ૩ નવેમ્બરની સ્થિતિ )
રાજ્યમાં ખરીફ સીઝનમાં વાવેતર કરાતા રોકડિયા પાક કપાસના બમ્પર ઉત્પાદનના અંદાજો અને ચીનની કોટનનીતિને પગલે રૃના ભાવ ટેકાના ભાવની આસપાસ ચાલી રહ્યા છે. હાલમાં વધતા જતા ખેતીખર્ચ સામે ટેકાના ભાવથી ખેડૂતો નુકસાન જતું હોવાની બૂમરાણો મચાવી રહ્યા છે. આ વર્ષે દેશમાં રૃનું ૪૦૦ લાખ ગાંસડી ઉત્પાદન થવાના મુકાયેલા અંદાજો વચ્ચે આંધ્રમાં હૂડહૂડ અને ગુજરાતમાં નીલોફર વાવાઝોડાની અસરને પગલે સતત ધાબળિયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદને પગલે કપાસના પાકમાં રોગ-જીવાતનો વધારો થવાની સંભાવના છે. હાલમાં કપાસના ઓછા મળતા ભાવથી ખેડૂતો કપાસનું એક સાથે વેચાણ કરવાને બદલે સાવચેતીથી વેચાણ કરશે તો ફાવશે. રાજ્યમાં હાલ કપાસનો ભાવ મણનો રૃપિયા ૮૦૦થી ૮૫૦ આસપાસ ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે સીસીઆઇએ કપાસની ખરીદી શરૃ કરી છે. સીસીઆઇ અત્યાર સુધી ૧૭ હજાર ગાંસડી રૃની ખરીદી કરી ચૂકી છે.
સીસીઆઇએ મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં ટેકાના ભાવનાં ખરીદી કેન્દ્રો શરૃ કર્યાં છે. આ વર્ષે રૃના ભાવ ટેકાના ભાવની આસપાસ રહેવાની સંભાવના વચ્ચે સીસીઆઇ પણ ખરીદી કરવાના મૂડમાં છે. કપાસમાં મોંઘાં બિયારણ, દવાઓ અને વીણીની મજૂરીના ભાવોમાં તોતિંગ વધારો થતાં પ્રતિમણે મળતો રૃનો રૃપિયા ૮૦૦નો ભાવ ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થઇ રહ્યો છે. રાજ્યના ખેડૂતોમાં રૃના ઉત્પાદનના મુકાયેલા અંદાજો બાબતે પણ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. ગુજરાતમાં નીલોફરના પગલે રૃના ઉત્પાદન પર અસર પડશે તો ભાવમાં સુધારો થવાની શક્યતા હતી. પરંતુ નીલોફરનો ભય ટળી જતાં કપાસના ખેડૂતોનેે તો મોટી રાહત થઇ છે.
ગુજરાત એ દેશમાં કપાસ ઉત્પાદનમાં સૌથી અવ્વલ રાજ્ય ગણાય છે. આ વર્ષે પણ રૃનું ઉત્પાદન ૧૨૦ લાખ ગાંસડી આસપાસ થાય તેવી શક્યતાઓ વચ્ચે હવે આ ઉત્પાદનમાં ઘટાડો આવવાની ભીતી સેવાઈ રહી છે. જેને પગલે ખેડૂતો પણ જરૃરિયાત જેટલા કપાસનું વેચાણ કરે તે તેમના માટે યોગ્ય રહેશે. રૃમાં ચીનની કોટનનીતિમાં ફેરફાર થવાની સાથે દેશમાં કપાસના ઊંચા વાવેતરને પગલે રૃનું ઉત્પાદન વધવાના સંજોગો હતા. હવે આ અંદાજમાં ફેરફાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતમાં કપાસ જો કે હાલ રૃપિયાની મજબૂતીને પગલે અને અન્ય દેશોમાં ધીમી ખરીદીને કારણે ભાવ ઉંચકાવાની શક્યતાઓ ઓછી છે, પરંતુ આગામી વર્ષ ૨૦૧૫-૧૬ની સીઝનમાં કપાસના ભાવ સારા રહે તેવી સંભાવનાઓ રહેલી છે.
વૈશ્વિક વપરાશ સામે ઉત્પાદન વધુ રહેતાં ભાવ પર અસર
૨૦૧૪-૧૫ની સીઝનમાં કપાસના વૈશ્વિક ભાવ પણ એકદમ નીચા રહેવાની સંભાવનાઓ છે. વૈશ્વિક વપરાશની સામે કપાસનું ઉત્પાદન વધુ રહ્યું છે સાથે જ સ્ટોક પણ વધારે પડતો હોવાથી ભાવ પર અસર જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ૨૧૪ લાખ ટન કપાસનો સ્ટોક રહેવાની સંભાવનાઓ છે જે ગત વર્ષે ૧૯૭ લાખ ટન રહ્યો હતો. ચીન એ વિશ્વમાં સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ સાથે જ આયાતકાર અને વપરાશકાર પણ માનવામાં આવે છે. જો કે ચીન દ્વારા કોટન પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને પાછલાં ત્રણ વર્ષથી આયાતમાં ઘટાડો કરી દેવાતા તેની સીધી અસર ભાવ પર જોવા મળી છે. આ વર્ષે પણ ચીન મોટી માત્રામાં કપાસની આયાત કરે તેવી શક્યતાઓ ઓછી છે કારણ કે ચીન પાસે પણ કપાસનો ખાસ્સો એવો સ્ટોક બચેલો છે.
કપાસની વૈશ્વિક સ્થિતિ
વર્ષ ૨૦૧૩-૧૪ ૨૦૧૪-૧૫
ઉત્પાદન ૨૬૦ ૨૬૧
વપરાશ ૨૩૫ ૨૪૪
ટ્રેડિંગ ૮૯ ૭૯
સ્ટોક ૧૯૭ ૨૧૪
(આંક લાખ ટનમાં છે)
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..