Tuesday, 3 October 2017

સૂક્ષ્મ સિંચાઈ : જીએસટી સબસિડીનો લાભ ઓળવી ગઈ


એગ્રો વર્લ્ડ : – કરણ રાજપૂત
દેશનાં ગામડે ગામડે અને ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની સરકારની અતિ મહત્ત્વાકાંક્ષી યોજનાને જીએસટીનું ગ્રહણ લાગી ગયું છે. ‘પર ડ્રોપ મોર ક્રોપ’ નામની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સરકારે ૫,૩૦૦ કરોડ રૂપિયાનાં બજેટની ફાળવણી કરી છે. ખેડૂતોની આવક ડબલ કરવા અને સિંચાઈક્ષેત્રનો વ્યાપ વધારવા માટે વર્ષ ૨૦૧૯ સુધી રૂપિયા ૫૦ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. દેશમાં સૂક્ષ્મ સિંચાઇમાં હેક્ટરદીઠ આંકમાં રાજસ્થાન નંબર વન હોવા છતાં ગુજરાતની પ્રગતિ આવકારદાયક છે. ગુજરાત સરકારે નવાં બજેટમાં સબસિડી ૭૦ ટકા કરી પણ કેન્દ્રે જીએસટી ૧૮ ટકા લાગુ કરતાં સરકારની અતિ મહત્ત્વાંકાંક્ષી યોજનાનો ૩૧મી જુલાઈ બાદ ઘડોલાડવો થઈ ગયો છે. ગુજરાતમાં હવે નવાં બજેટની જોગવાઈ કર્યા બાદ જીજીઆરસી ખેડૂતો સાથેના ત્રિપક્ષીય કરાર અંતર્ગત કામગીરી કરી રહી છે પણ નવી અરજી સ્વીકારાઈ રહી નથી.
દેશભરમાં જીએસટી લાગુ થયા બાદ સૂક્ષ્મ સિંચાઈ યોજના પર પણ ઇફેક્ટ પડતાં ખેડૂતો ૧૮ ટકા જીએસટી ચૂકવવાની સ્થિતિમાં આવી ગયા હતા. આમ ગુજરાત સરકારે એક હાથે લાભ આપ્યો પણ કેન્દ્રએ બીજા હાથે છીનવી લીધો હતો. આ બાબતે પડેલી મડાગાંઠ ઉકેલાતી જ ન હતી. છેલ્લા બે માસથી સોલર અને સૂક્ષ્મ સિંચાઈ યોજનાઓ અંશતઃ ખોરંભે ચડી ગઈ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર અને જીજીઆરસી દ્વારા પણ પ્રયત્નો કરાઈ રહ્યા હતા. આખરે હૈદરાબાદની બેઠકમાં આંશિક સફળતા મળી છે. સૂક્ષ્મ સિંચાઈમાં ૧૮ ટકા જીએસટીનો દર ઘટાડીને ૧૨ ટકા કરવા નાણા મંત્રાલયને કાઉન્સિલે ભલામણ કરી દીધી છે. જેના નોટિફિકેશન બાદ આ સ્લેબ અંતર્ગત કામગીરી કરવી પડશે. દેશમાં આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં જ ૫ ટકા વેટ લાગુ થતો ન હોવાથી શૂન્ય ટેક્સના આધારે ખેડૂતોને થનારો ફાયદો જીએસટી ઓળવી ગયો છે. સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે હવે સરકાર ૭૦ ટકાની સબસિડી વધારીને ૮૨ ટકા કરે અથવા ખેડૂતોએ ૧૨ ટકા જીએસટીનો દર ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
રાજ્યમાં માર્ચ ૨૦૧૫ સુધીમાં ૧૫ લાખ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો લાભ લીધો છે. એક ખેડૂત ૧ લાખની મશીનરી ખરીદે તો ૭૦ ટકા સબસિડીના આધારે ૩૦ હજાર રૂપિયા ભરવાના થતા હતા. હવે ખેડૂતે ૧૨ ટકા જીએસટીને પગલે રૂપિયા ૪૨ હજાર આસપાસ ખર્ચ કરવો પડશે. આ બાબતે નવી ગાઇડલાઇન પણ જાહેર થઈ શકે છે. રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ અતિ મહત્ત્વની યોજના છે. વરસાદી ખાધ ધરાવતાં ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધારવા માટે જીજીઆરસી નામની એક અલગથી કંપનીની પણ રચના કરાઈ છે.
દેશમાં ખેતીલાયક ૩૨.૮ કરોડ હેક્ટર જમીનવિસ્તાર પૈકી ૧૬.૨ કરોડ હેક્ટર જમીનમાં ખેતી થાય છે. ૨૧ ટકા જમીન પર જંગલ અને ૨૪ ટકા જમીન બિનઉપજાઉ પડી રહી છે જ્યાં ત્રણથી ચાર વર્ષે એકાદવાર ખેતી થાય છે. આમ પણ વિશ્વમાં સૌથી વધુ ખેતીલાયક વિસ્તાર ભારત પાસે છે. આ ૫૨ ટકા ખેતીલાયક જમીન પૈકી ૪.૫ કરોડ હેક્ટરમાં જ સિંચાઈની સુવિધા છે.
દેશમાં સિંચાઈ યોજના પાછળ ૧૯૫૧થી લઈને ૨૦૧૧ સુધીની અલગ અલગ પંચર્વિષય યોજનાઓ હેઠળ ૩.૫૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૧૯ સુધીમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ બજેટમાં ૫૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. દેશમાં ૮૫ લાખ હેક્ટરની આસપાસ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી થાય છે. જે આંકને ૭ કરોડ હેક્ટરે પહોંચાડવાના લક્ષ્યાંકને આધારે સરકાર કામગીરી કરી રહી છે. દેશમાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, રાજસ્થાન અને ગુજરાત એ સૂક્ષ્મ સિંચાઈમાં અગ્રેસર રાજ્યો છે. દેશમાં દર વર્ષે ૫.૫૦થી ૬.૫૦ લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઈની વધતી ખેતીમાં ગુજરાત અગ્રેસર છે.
ગુજરાતમાં સૌથી વધુ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. જુલાઈના અંતમાં આવેલાં વરસાદી પૂરમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન અંતર્ગત સરકારે પાક નુકસાન અને જમીનધોવાણના કેસમાં પ્રથમ તબક્કામાં ૩૭૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે પણ સૂક્ષ્મ સિંચાઈમાં નુકસાન બાબતે કોઈ જોગવાઈ કરાઈ નથી. આ તમામ ખેડૂતોએ નવેસરથી યોજનાનો લાભ મેળવવો હોય તો સરકારી નિયમો નડી રહ્યા છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૨,૫૦૦ કરોડ રૂપિયાની કરાયેલી જોગવાઈમાં રાજ્યને ૨૭૫ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. બજેટમાં આંધ્ર પ્રદેશને ૪૨૫ કરોડ રૂપિયા ફાળવાયા છે. મહારાષ્ટ્રમાં પણ ૩૮૦ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. પૂર્વોત્તર અને પર્વતીય રાજ્યોમાં તો ૯૦ ટકા સુધી સબસિડી અપાય છે. ગુજરાતમાં પણ ખેડૂતો સરકાર સબસિડીના ધોરણમાં વધારે કરે તેવી માગ કરી રહ્યાં છે.

સરકાર ભૂલો સુધારે : ટેકો ટાળે, ભાવફેર ચૂકવે


એગ્રો વર્લ્ડ :-  કરણ રાજપૂત
‘વાડી રે વાડી, બોલો દલા તરવાડી’, ‘રીંગણા લઉ કે બે-ચાર, લો ને દસ બાર’. દલા તરવાડીની આ કહેવતની જેમ સરકારના નિર્ણયો લેવાઈ રહ્યાં છે. આજે સવારથી સાંજ સુધી મગફળી સિવાયના ખેડૂતોના ફોન રણકતા રહ્યાં… ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ઘઉંના ભાવનો બળાપો તો મધ્ય ગુજરાતના ખેડૂતોનો કઠોળનો બળાપો ઠાલવ્યો. દરેકનો એક જ સવાલ કે સરકારને કેમ ફક્ત મગફળીના ખેડૂતો પ્રત્યે પ્રેમ ઊભરાઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૬-૧૭ની સિઝનમાં ૨૯ લાખ ટન ઉત્પાદન છતાં ખેડૂતોને નુક્સાની પેટે ૯૨૩ કરોડ રૂપિયાના પાકવીમા બાદ સરકારે ચૂંટણીટાણે ટેકાના ભાવની એડવાન્સ ખરીદી યાદ આવી છે. મગફળીના પાકવીમાની જાહેરાત બાદ રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રમાં નવસર્જન યાત્રા ટાણે સરકાર ન ભેરવાય માટે ઉતાવળે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય જાહેર કરી દેવાયો છે. છેલ્લા દાયકામાં ક્યારેય પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ પહેલાં થઈ નથી.
મગફળીની સિઝન નવેમ્બરમાં શરૂ થાય છે. ટેકાના ભાવની ખરીદી જાહેર કરી સરકારે ખુદ ગાળિયો તૈયાર કર્યો છે. ચૂંટણીના માહોલમાં જ મગફળીની ખરીદી ટાણે ખેડૂતોની બુમરાણ પડશે. હવે સ્થિતિ બદલાશે. મગફળીની આવક બજારમાં દિવાળી આસપાસ ઘટી જશે અને લાભપાંચમ બાદની સરકારની ખરીદીમાં એક સાથે મગફળીની આવકની શરૂઆત વચ્ચે ખેડૂતોની પ્રથમ પ્રાથમિકતા ટેકાના ભાવે વેચાણ હશે. હાલમાં મગફળીના ભાવ ટેકાથી ૨૫૦ રૂપિયા નીચા છે. જેને પગલે ખરીફ કેન્દ્રો બહાર ખેડૂતોની લાઈનો લાગવાની સાથે ૭-૧૨ના ઉતારા સહિતની ખેડૂતો સાથે ભાંજગડ વધશે. સરકારે ગત વર્ષે ૮૮૯ કરોડ રૂપિયાના ખર્ચે ૨.૧૦ લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. આ વર્ષે ૩.૫૦ લાખ ટનથી વધુની ખરીદી કરવી પડશે. સરકાર એ ન ભૂલે કે મગફળીનું ઉત્પાદન ૩૦ લાખ ટન થવાનો અંદાજ છે. આમ ૨૭ લાખ ટન મગફળી તો ખેડૂતોએ સસ્તા ભાવે જ વેચવી પડશે. જે ખેડૂતોનો રોષ ચૂંટણી સમયે બહાર આવશે.
સરકારને સાચી સલાહ આપે તેવા કૃષિ નિષ્ણાતોની ખરેખર જરૂર છે. ગત વર્ષની ખરીદીનો સ્ટોક ખાલી કરવા અને નવી મગફળીની ખરીદી કરવા માટે નાફેડ ટેકાથી ઓછા ભાવે મગફળીનું વેચાણ કરી સરકારી નાણાંના લાખના બાર હજાર કરી રહી છે. નાફેડ થકી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાને બદલે એપીએમસી મારફતે સરકારના નિર્ણય મુજબ જ ખેડૂતોને પ્રતિ મણ રૂપિયા ૨૫૦ ભાવફેર ચૂકવાય તો ટેકાના ભાવની ખરીદી કરવાની ઝંઝટ, ગોડાઉનમાં સ્ટોક, સાચવણી અને ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ બચી જાય. આ વર્ષે સરકાર ૩.૫૦ લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે તો ૧,૫૭૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવું પડે. આ બજેટમાં ખેડૂતોને ભાવફેર ચૂકવાય તો ૧૨.૬૦ લાખ ટન મગફળીની ખરીદી થાય અને ૪૦ ટકા ખેડૂતોને પોષણક્ષમ ભાવનો લાભ મળે. હાલમાં સરકારના ટેકાના ભાવની ખરીદીના નિર્ણયથી માત્ર ૧૦ ટકા ખેડૂતોને લાભ મળશે. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારે ૨.૧૦ લાખ ટન મગફળીની ખરીદી માટે રૂપિયા ૮૮૯ કરોડના બજેટની જોગવાઈ કરી હતી. આ જ બજેટમાં ખેડૂતોને પ્રતિ મણે ૨૫૦ રૂપિયાનો ભાવફેર ચૂકવાયો હોત તો પણ ૭.૧૧ લાખ ટન મગફળીના ખેડૂતોને લાભ મળ્યો હોત. હાલમાં રૂ. ૮૮૯ કરોડની ખરીદીના અંતે રૂ. ૭૦૦ કરોડ આવશે અને એક વર્ષનો સંગ્રહ, સાચવણીનો ખર્ચ ભૂલી જવાનો. આમ સરકારની કૃષિનીતિ અવળે પાટે ચાલી રહી છે અને વચેટિયાઓ કમાઈ રહ્યાં છે.
સરકારના આંક અનુસાર ગત વર્ષે ૮૮૫ કરોડ રૂપિયાની ૧.૭૫ લાખ ટન તુવેરની ગત વર્ષે ખરીદી કરાઈ હતી. કુલ ઉત્પાદન ૩.૬૯ લાખ ટન હતું. દેશમાં ગત વર્ષે ટેકાના ભાવથી તુવેરનો ભાવ ૧,૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછો હતો. સરકારે કુલ ખરીદીને બદલે ફક્ત ભાવફેર ચૂકવ્યો હોત તો પણ ૫.૯૨ લાખ ટન તુવેરના ખેડૂતોને લાભ આપી શકાયો હોત અને તુવેરના ભાવની બુમરાણ ટાળી શકાઈ હોત. અત્રે નોંધવું જરૂરી છે કે ખરીફ સિઝનમાં ગુજરાતમાં કુલ કઠોળનું ઉત્પાદન ૫.૭૨ લાખ ટન હતું. સરકારના દૂરંદેશીના નિર્ણયોની હજુ જરૂર છે. ચોખા અને ઘઉંની ખરીદી દેશનો ભૂખમરો અને ગરીબી ટાળવા ટેકાના ભાવે કરવી જરૂરી છે. ગુજરાતમાં ચોખા અને ઘઉંની ખરીદી માત્ર ૩થી ૪ હજાર ટન થાય છે. તો ટેકાના ભાવનું વળગળ આપણે શા માટે રાખી રહ્યાં છીએ. રાજ્યનાં ખેડૂતોને ભાવનો લાભ મળે માટે સરકારે મહત્ત્વનાં નિર્ણયો લેવા પડશે. જે ખેડૂતોના હિતમાં હોય. રાજ્યમાં મગફળી જ નહીં તુવેર, મગ, અડદ, તલ અને ડાંગરના ભાવ પણ ટેકાથી નીચા રહે છે તે ના ભૂલો.

ઘઉં, રાઈ અને કપાસમાં બોનસ નહીં તો મત નહીં


એગ્રો વર્લ્ડ :-  કરણ રાજપૂત
મગફળીમાં સરકારે ‘વાહવાહી’ માટે ૯૦૦ રૂપિયા મણના ભાવે ખરીદી કરવાની ફક્ત જાહેરાત કરતાં રાજ્યનાં ખેડૂતો બેબાકળા બની ગયા છે. ઘઉં અને રાઈ પકવતા ખેડૂતોનો સૌથી વધુ બળાપો એક સપ્તાહથી ધમકીના સ્વરૂપે ફોન પર સાંભળવા મળી રહ્યો છે કે ટેકાના ભાવમાં વધારો ન થયો તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચૂંટણી પર અવળી અસર શક્ય છે!. ખરેખર ખેડૂતોને ઊંધા ચશ્માં પહેરાવાઈ રહ્યાં છે. મગફળીની ટેકાના ભાવની ખરીદી એ દર વર્ષની રૂટિન પ્રક્રિયાને પ્રસિદ્ધિ અપાઈ છે. સરકારે ઉતાવળે મગફળીમાં જશ ખાટી લેવામાં પોતાના પગ પર જ કુહાડી મારી છે. જેનું ફળ આગામી દિવસોમાં સરકારે ભોગવવું પડશે. વર્ષ ૨૦૧૬-૧૭માં ૨.૧૬ લાખ ટન ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું નાફેડે ૨૯મી સપ્ટેમ્બર સુધી ૮૬,૯૩૫ ટન વેચાણ કર્યું છે. સરકારી ગોડાઉનમાં ૧.૩૦ લાખ ટન મગફળીનો હજુ સ્ટોક છે.
ગુજરાતના ખેડૂતો ઘઉં અને રાઈના ટેકાના ભાવમાં વધારો કરવાની માગણી કરી રહ્યા છે. ખરેખર ખેડૂતોને ખોટી બત્તી પકડાવી રાજકારણ ખેલાઈ રહ્યું છે, જેને ખેડૂતો સમજી શકતા નથી. રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની નહિવત્ અને રાઈની તો ખરીદી જ થતી નથી. ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ એ ‘લોલીપોપ’ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ઘઉંની ૩૩૦ લાખ ટનથી વધુની ટેકાના ભાવે થયેલી ખરીદીમાં રાજ્યમાંથી માત્ર ૬૫ હજાર ટનની ખરીદાયા હતા. આ જ વર્ષમાં જુદી જુદી યોજનાઓ હેઠળ રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ૧૬.૦૩ લાખ ટન ઘઉંનું વિતરણ કર્યું છે. કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે ખરીદાતા ચોખા અને ઘઉંના સહારે રાજ્યનાં ૩.૫ કરોડ ગરીબો રહે છે. બાજરી, મકાઈની તો ખરીદી થતી જ નથી. ડાંગરની ખરીદી પણ નામ પૂરતી થાય છે. ખરેખર ખેડૂતોએ માર્કેટયાર્ડમાં વેચાણ થતાં ઘઉં, ચોખા, રાઈ અને કપાસના ઓછા મળતા ભાવ પર ટેકાનો ‘ભાવફેર’ કે બોનસ ચૂકવવા સરકાર સમક્ષ માગણી કરવાની જરૂર છે.
દેશમાં ચણા, તલ અને કપાસને બાકાત રખાય તો એક પણ ખરીફ પાકના ભાવ ટેકાની આસપાસ પણ નથી. ટેકાનો એટલે ના છૂટકાનો ભાવ પણ ખેડૂતોને મળી રહ્યો છે. પાકના ભાવને લઈને જો ખેડૂતોની દિવાળી બગડી તો ખેડૂતો ચૂંટણી બગાડશે એ નક્કી છે. તહેવારમાં જ ખરીફ પાકના ભાવ સુરસુરિયું સાબિત થયા છે. આઝાદીના ૭ દાયકા બાદ એક પણ ટેકાના ભાવ ખેડૂતોને ફરજિયાત મળે તેવી નીતિ ઘડવી જોઈએ. દેશમાં ચાલતા ત્રણ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સ્ચેન્જમાં વાયદાનું વોલ્યુમ વર્ષ ૨૦૧૨માં ૨૧.૨ લાખ કરોડ રૂપિયા સામે વર્ષ ૨૦૧૬માં ઘટીને ૭.૮ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. કોમોડિટીમાં વાયદાનો વેપાર નીચે જઈ રહ્યો છે અને સરકાર ભાવ માટે ખેડૂતોને ઓનલાઈન પ્રોત્સાહન આપી રહી છે.
કઠોળના ટેકાના ભાવથી પણ નીચા બજારભાવ ૫૦૦થી ૧,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે. અડદના ટેકાના ૫,૪૦૦ ભાવ સામે બજારભાવ ૩,૦૦૦થી ૪,૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. મગના પણ ૫,૫૭૫ રૂપિયા ટેકાના ભાવ સામે માર્કેટયાર્ડમાં ખેડૂતોને ૩,૭૫૦થી ૪,૮૦૦ મળી રહ્યા છે. દેશમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ છે. રાજ્યના ખેડૂતોએ લાભપાંચમ સુધી રાહ જોવી પડશે. તેલીબિયાંમાં મગફળીના ભાવ પણ ટેકાથી ૨૫૦ રૂપિયા નીચા મળી રહ્યા છે. સોયાબીનના ટેકાના ૩,૦૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ સામે બજારભાવ ૨,૫૫૦થી ૨,૮૦૦ મળી રહ્યા છે. મકાઈ અને બાજરીના પાકની પણ આ જ હાલત છે. આ સ્થિતિ કૃષિવિકાસમાં અગ્રેસર ગુજરાતની છે. કપાસના ખેડૂતો પણ દિવાળી બાદ મગફળીની જેમ ભાવ પર સરકાર બોનસ જાહેર કરે તેની રાહ જોઈને રૂનો સંગ્રહ કરી રહ્યા છે.
રવી સિઝનમાં ટેકાના ભાવમાં વધારો જાહેર થાય તો પણ ગુજરાતના ખેડૂતોને ફાયદો થવાનો નથી એ ખેડૂતોએ સમજી લેવાની જરૂર છે. ધાન્યપાકોનાં ઉત્પાદનમાં ગુજરાતની સ્થિતિ ખરાબ થતી જાય છે. ગુજરાતમાં ચૂંટણીના સમયે ખેડૂતોને હાથો બનાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ટેકાના ભાવમાં વધારો કરવો એ ગુજરાત સરકારની સત્તા હેઠળનો મામલો નથી. સરકાર ફક્ત ટેકાના ભાવ માટે ભલામણ કરી શકે છે. એમાંયે સીએસીપીની ભલામણ બાદ કેન્દ્રીય કમિટીનો નિર્ણય ફાઇનલ ગણાતો હોવાથી ખેડૂતો ગુજરાત સરકાર પાસેથી પાકના ભાવ પર બોનસ કે ભાવફેરની માગણી કરે તો જ ફાયદામાં રહી શકે છે. ખેડૂતો જાગે પણ યોગ્ય માગણી કરે એ જરૂરી છે.