Wednesday, 3 December 2014

ચણા ખેડૂતોનું નસીબ ચમકાવશે


બે વર્ષથી ટેકાથી પણ નીચો રહેતો ભાવ, પરંતુ આ વર્ષે ચિત્ર બદલાશે : ચણાના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો, મજબૂત માંગ, ટેકાના ભાવમાં વધારો થવાથી ચણાના ભાવ ઊંચા રહે તેવી શક્યતા : ચણાનું વાવેતર ઓછું રહ્યું તો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૩૩૦૦ પહોંચશે : ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૧૭૫ : સરકારે ઉત્પાદનનો અંદાજ પણ ઘટાડયો : ૨૮મી નવેમ્બર સુધીમાં દેશમાં ૬૩.૮૫ લાખ હેક્ટરમાં વાવેતર : ખરીફ સીઝનમાં ૬૦.૦૨ લાખ ટન કઠોળના ઉત્પાદન સામે ૫૨ લાખ ટન ઉત્પાદન થવાની ગણતરી : ૧૯૫ લાખ ટન કઠોળનું ઉત્પાદન થવાની સંભાવના

છેલ્લાં બે વર્ષથી ટેકાના ભાવથી પણ નીચી કિંમતે ચણાનું વેચાણ કરતા ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે ચણાના ભાવ મજબૂત રહેવાની સંભાવના છે. ચણાના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો, મજબૂત માંગ તેમજ ટેકાના ભાવમાં વધારો થવાથી ચણાના ભાવ ઊંચા રહે તેવી શક્યતા છે. આમ છતાં સ્ટોકને પગલે વધુ ઉછાળો આવે તેવી સંભાવના ઓછી છે. રાજ્યમાં પ્રતિ હેક્ટરે એક ટન ઉત્પાદિત થતા ચણાના વાવેતરમાં ૨૮મી નવેમ્બર સુધીમાં ૧૨ લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. સરકારે પણ ચણાનું ઉત્પાદન ઘટાડીને ૯૩ લાખ ટન થાય તેવો અંદાજ મૂક્યો છે. ૨૦૧૩-૧૪માં ચણાનું રેકોર્ડબ્રેક ૯૮ લાખ ટન ઉત્પાદન થયું હતું. ચણાનું વાવેતર ઘટવાના સંજોગો વચ્ચે વાવેતર ઓછું રહ્યું તો ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૩૩૦૦ પહોંચે તેવી પણ સંભાવના છે. ચણા એ રવી સીઝનનો મુખ્ય કઠોળ પાક હોવાથી ગુજરાતમાં પણ ચણાનું કઠોળમાં સૌથી વધુ વાવેતર થાય છે.

ર વી સીઝનનો મુખ્ય પાક ગણાતા ચણાની ખેતી ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કરવામાં આવે છે. ખરીફની સાથે સાથે રવી સીઝનનો મુખ્ય પાક ગણાતા ચણાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે ભાવ સારા મળે તેવી સંભાવનાઓ છે. આ વર્ષે રવી સીઝનની અંદર વાવણી પુરજોશમાં શરૃ થઈ ગઈ છે અને ૨૮ નવેમ્બર સુધી ચણાની કુલ ૬૩.૮૫ લાખ હેક્ટરની અંદર વાવણી પૂર્ણ થઈ ગઈ  છે. જ્યારે કે ગત વર્ષે ૭૫.૭૯ લાખ હેક્ટર વિસ્તારની અંદર વાવણી થઈ હતી. જો કે આ વાવણી હજુ પણ આગામી દિવસોમાં પોઝિટિવ ટોનમાં રહે તેવી પણ સંભાવનાઓ છે. રવી વાવણી મોડી થતા પાછલા કેટલાંક દિવસોની અંદર કઠોળના ભાવની સાથે સાથે ચણાના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો હતો. ચણાનો પૂરતો પુરવઠો, વટાણાની આયાત તેમજ ખરીફ સીઝનની અંદર કઠોળના મોડા ઉત્પાદનના અંદાજને કારણે ભાવમાં દબાણ જોવા મળી શકે છે.
ભારતમાં આ વર્ષે ચણાનું ઉત્પાદન ઘટે તેવી સંભાવના છે. ૨૮મી નવેમ્બર સુધીમાં દેશમાં ૬૩.૮૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે ૭૫.૭૯ લાખ હેક્ટર હતું. દેશમાં પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧ ટન છે એટલે કે જેટલા હેક્ટર વાવેતરમાં ઘટાડો એટલા ટન ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. ભારતમાં કઠોળનું વાવેતર વધે તેવા ઓછા સંજોગો અને કેનેડામાં પણ કઠોળનું ઉત્પાદન ઘટે તેવી શક્યતાથી કઠોળના ભાવમાં સુધારો થવાની સંભાવના છે. ગત વર્ષે ૯૭ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થતાં ઉત્પાદન ૯૮ લાખ ટન થયું હતું. વર્ષ ૨૦૧૩-૧૪માં ચણાના રેકોર્ડબ્રેક ઉત્પાદનથી ચણાનો ભાવ એમએસપીથી પણ નીચો જતો રહ્યો હતો. હાલમાં ચણાના ઘટતા વાવેતરને પગલે ભાવમાં સુધારો આવવાની સંભાવના છે. ચણાના ભાવમાં વધારો થવાની મુખ્ય શક્યતાઓમાં ચણાના વાવેતરમાં ઘટાડો, કમજોર આવક, કઠોળનું ઉત્પાદન ઘટવાની આશંકા અને એમએસપીના ભાવમાં વધારો થવાની સાથે મજબૂત માંગથી ચણાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી ચણાની માંગ વધતાં ભાવમાં સુધારો થયો છે. દિલ્હીમાં ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૧૦૦થી ૩૧૫૦ ચાલી રહ્યો છે. ચણાના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મધ્યપ્રદેશમાં પણ હવે આવકો ઘટવાની સાથે સારી ગુણવત્તાવાળા ચણાના આગમનથી પણ ભાવમાં સુધારો જોવા મળ્યો છે. આમ છતાં સ્ટોકને પગલે ભાવમાં વધુ સુધારો થવાની સંભાવના બહુ જ ઓછી છે. ચણાના છેલ્લાં બે વર્ષથી ઘટતા ભાવને પગલે ખેડૂતો રાઇ અને ધાણાની ખેતી તરફ વળે તેવી સંભાવના છે.
૨૦૧૪-૧૫માં કૃષિ વિભાગે પણ ચણાનું ઉત્પાદન ઘટાડીને ૯૩ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે. સરકારના પ્રથમ અંદાજમાં પણ ખરીફ સીઝનમાં ૬૦.૦૨ લાખ ટન કઠોળના ઉત્પાદન સામે ૫૨ લાખ ટન ઉત્પાદન થવાની ગણતરીઓ છે. સરકારે ચણાના ટેકાના ભાવમાં પણ ૭૫ રૃપિયાનો વધારો કર્યો છે. ચણાનો ટેકાનો ભાવ હાલમાં રૃ.૩૧૭૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. આયાતના આંક જોઈએ તો એપ્રિલથી ઓગસ્ટ માસ સુધીમાં ૨૦.૧૬ લાખ ટન કઠોળની આયાત થઈ છે. જે ગત  વર્ષે ૧૭.૮૩ લાખ ટન હતી.  ચાલુ નાણાકીય વર્ષમાં ૩૦થી ૩૫ લાખ ટન કઠોળની આયાત થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે ૩૧ ડિસેમ્બર બાદ ચણા સિવાયનાં તમામ કઠોળની ડયૂટી ફ્રી આયાતની મુદત ૩૧મી માર્ચ સુધી વધારી દીધી છે.

કેનેડામાં કઠોળ પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના

ભારતમાં સૌથી વધુ કઠોળની આયાત કેનેડાથી થાય છે. ચાલુ વર્ષે કેનેડામાં પણ ચણાની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેનેડામાં ચણાનું ઉત્પાદન ૧.૭૭ લાખ ટનથી ઘટીને ૧.૪૧ લાખ ટન રહે તેવી શક્યતા છે. ૨૦૧૩-૧૪ના વર્ષમાં ૪૪ લાખ ટન કઠોળની આયાતમાં ૧૫ લાખ ટન કઠોળ કેનેડાથી આયાત કરાયું હતું. વર્ષ ૨૦૧૪-૧૫ના શરૃઆતના પાંચ મહિનામાં પણ ૨૦.૧૬ લાખ ટન કઠોળની આયાતમાં ૬.૯૬ લાખ ટન કઠોળ કેનેડાથી આયાત કરાયું છે, પરંતુ હવે કેનેડામાં જ કઠોળનું ઉત્પાદન ઘટે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 

દેશમાં પ્રથમ પાંચ મહિનામાં જ કઠોળની આયાત ૧૩ ટકા વધી

આર્િથક બાબતોની કેબિનેટ કમિટી (સીસીઈએ) દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝન માટે ચણાના લઘુતમ ટેકાના ભાવ ૩૧૭૫ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા છે. જ્યારે કે ગત વર્ષે ભાવ ૩૧૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા. વર્ષ ૨૦૧૩-૧૪ની સીઝનમાં ચણાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન આવતાં પાછલા કેટલાક મહિનાઓમાં માર્કેટની અંદર માંગ ઓછી રહેતા ભાવમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો હતો. દેશમાં ૨૮ નવેમ્બર સુધીમાં આ વર્ષે ૬૩.૮૫ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે કુલ કઠોળપાકોનું ૮૦ લાખ હેક્ટરની અંદર વાવેતર કરવામાં આવ્યું છે. 'સીસીઈએ' દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ માટે અડદ અને તુવેરના લઘુતમ ટેકાના ભાવમાં રૃપિયા ૫૦નો વધારો કરવામાં આવ્યો હતો અને ભાવ ૪૩૫૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યા હતા. તેવી જ રીતે મગના ભાવમાં પણ ૧૦૦ રૃપિયાનો વધારો કરાયો હતો અને ભાવ ૪૬૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચ્યો હતો.
આયાત-નિકાસના વેપારની વાત કરવામાં આવે તો અપેડાના મત પ્રમાણે ભારતમાંથી વર્ષ ૨૦૧૪માં એપ્રિલથી જૂન માસની અંદર કઠોળ પાકોની નિકાસમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૩ની સીઝનની અંદર ભારતે ૨.૩ બિલિયન અમેરિકન ડોલરનાં કુલ કઠોળની આયાત કરી હતી જે આગામી વર્ષ કરતાં ૨૮ ટકા વધારે માનવામાં આવે છે. જ્યારે વર્ષ ૨૦૧૩-૧૪ની સીઝનની અંદર આયાતમાં સીધો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આ વર્ષે વધુ ઉત્પાદનના અંદાજોને કારણે આયાતમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે તેમ જાણકારોનું માનવું છે. હાલ તો સારી માંગ, એમએસપીમાં થયેલો વધારો તેમજ ખરીફ સીઝનના કઠોળ પાકોના મોડા ઉત્પાદનને કારણે ભાવ પર સીધી અસર જોવા મળી શકે છે.  દેશમાં કઠોળના સતત વધી રહેલા ભાવને કારણે તેની આયાતમાં પણ વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં કઠોળની આયાતમાં ૧૩ ટકાનો વધારો નોંધાયો છે.
દેશના કુલ કઠોળપાકના ઉત્પાદનમાં માત્ર ચણાના ઉત્પાદનનો હિસ્સો ૪૮થી ૫૦ ટકાનો રહે છે. આ વર્ષે ઉત્પાદન સારુંં રહેતા ભાવ પણ સારા રહેશે તેમ તેવું વેપારીઓ અનુમાન લગાવી રહ્યાં છે. પાછલા કેટલાક મહિનાઓમાં ચણાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ એક મહિનાની અંદર એટલે કે નવેમ્બર માસની અંદર એનસીડીએક્સ ખાતે ચણાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. વેપારીઓના મતે આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન લગ્નની સીઝનમાં ચણાની માંગમાં વધારો થશે. ચણાની  માંગ વધશે તો તેની સામે ભાવ પણ વધે અને ડિસેમ્બર તેમજ જાન્યુઆરી માસ દરમિયાન ચણાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે વધારો રહેશેે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..


No comments:

Post a Comment