૫૦૦, મારા ૬૦૦, ભાઈ હું ૮૦૦ રૂપિયા આપીશ... આ ક્રિકેટસટ્ટા કે માર્કેટયાર્ડમાં પાકની હરાજીની વાત નથી. ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છેવાડાના તાલુકામાં પાણીનું ટેન્કર દેખાય તો ખરીદવા રીતસરની પડાપડી થાય છે. લોકોને ખાવા માટે અનાજ તો છે પીવા માટે પાણી નથી. શિહોરી લાઈનનું પાણી પહોંચતું નથી અને નર્મદા બંધ છે. આ એ જ જિલ્લા છે જ્યાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ થયો હતો, આમ છતાં લોકો પાણી માટે ફાંફાં મારી રહ્યાં છે.
પાણી, પાણીના પોકારો ધીમે ધીમે વધશે. ઉનાળામાં ગરમી રેકોર્ડતોડ પડવાની છે. દેશનાં ૯૧ જળાશયોમાં માંડ ૨૫ ટકા પાણી બચ્યું છે. લોકો રસ્તા પર ઊતરી રહ્યાં છે અને સરકાર મનરેગાનાં કામોના પૈસા ચૂકવી લોકો પર ઉપકાર રહી હોય તેમ પોતાનો બચાવ કરી રહી છે. દેશમાં સિંચાઈ ક્ષેત્રની ૪,૦૦૦ યોજનાઓ અધૂરી છે. ગરમી વધી રહી છે, ખેતી નિષ્ફળ જઈ રહી છે. સ્થિતિ એવી છે કે, કઠોળ, તેલીબિયાં, મસાલા અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગરીબ વર્ગ માટે દિવસો કાઢવા મુશ્કેલ બન્યા છે. લોકો શાકભાજીના ભાવ સાંભળીને લીધેલી પાછી મૂકી રહ્યાં છે. સરકાર પાણી સંભાળવા જશે તો મોંઘવારીના ભોરીંગમાં ભરાઈ જશે.
૨૦૧૫નાં વર્ષમાં ૧૭ રાજ્યોમાં વરસાદની અછત વચ્ચે ૧૦ રાજ્યોમાં જળસંકટ ઊભું થયું છે. મહારાષ્ટ્રમાં તો ૨૦૧૬-૧૭નાં વર્ષમાં અડધું બજેટ ખેતી માટે ફાળવવું પડે તેવી સ્થિતિ છે. ઔરંગાબાદ અને ઈલોરાની હાઈવે પરની હોટેલોમાં તો શૌચાલયો પર તાળાબંધી કરી દેવાઈ છે. મરાઠાવાડમાં લોકોએ તહેવાર અને લગ્નપ્રસંગને ટાળી દીધા છે. પાણીની અછતને પગલે મધ્ય પ્રદેશમાં કઠોળની ૭૦ મિલો બંધ કરી દેવાઈ છે. મહારાષ્ટ્રના મરાઠાવાડમાં પણ નવી સિઝનમાં શેરડીની શુગરમિલો અડધી બંધ રહે તેવી સ્થિતિ છે. કૃષ્ણા બેસીનમાં પાણીની તંગી આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુમાં સ્થિતિ ગંભીર બનાવી શકે છે. પ્રજાની કમનસીબી એટલી છે કે, દેશમાં દુકાળ બાબતે સુપ્રીમકોર્ટે ફટકાર લગાવવી પડી છે.
દેશમાં પાણીની અછતનો સામનો કરતાં રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ
થાય છે. ગુજરાતના ૧૩ જિલ્લાનાં જળાશયોમાં ક્રિકેટ રમી શકાય તેવી સ્થિતિ છે.
આઈપીએલના માહોલમાં ક્રિકેટ રમવાની વાત નથી પણ જળાશયો સૂકાં ભઠ્ઠ પડયાં છે.
રાજ્યનાં એક પણ જળાશયમાં ૩૦ ટકાથી વધુ પાણી નથી, હવેનો
દોઢ મહિનો પ્રજા પાણી વિના કેવી રીતે કાઢશે એ જ સૌથી મોટી સમસ્યા છે.
ઉત્તર પ્રદેશે તો બુંદેલખંડ સહિત રાજ્યના ૫૦ સૂકા વિસ્તારો માટે ખાદ્યતેલ
અને અનાજની કેન્દ્ર સરકાર પાસે માગણી કરી છે. પિૃમી ઉત્તર પ્રદેશમાં ૨૫ ટકા
અને પૂર્વાંચલમાં ૩૦ ટકા પાક બરબાદ થઈ ગયો છે.
મરાઠાવાડમાં લોકો પાણી માટે રાતજગો કરી રહ્યાં છે. લાતૂર અને પરભણીમાં તો ૧૪૪ની કલમ લાગુ કરાઈ છે. મધ્ય પ્રદેશના ત્રિકમગઢમાં પોલીસબંદોબસ્ત હેઠળ પાણી આપવાની સાથે જમુનિયા નદીમાંથી પાણીની ચોરી કરવા માટે પાલિકાપ્રમુખે હથિયારધારી માણસો મૂક્યાં છે. મધ્ય પ્રદેશમાં ૪૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને ૪૮ લાખ ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે. રાજ્ય સરકારો પણ અત્યાર સુધી ઈમેજ ન બગડે માટે પાણીની અછતની સમસ્યા છુપાવી રહી હતી. ગુજરાતમાં ૨૦ ટકા વરસાદની ખાધ વચ્ચે પાંચ જિલ્લાનાં ૧,૧૦૦થી વધુ ગામડાઓ અસરગ્રસ્ત બન્યાં છે. ગુજરાતમાં સિંચાઈની મનાઈ ફરમાવનાર સરકાર હવે પીવાનાં પાણીની ગોઠવણ કરવામાં વ્યસ્ત બની છે. ગુજરાતમાં પાણી બાબતે સૌથી ખરાબ સ્થિતિ કચ્છ, સૌરાષ્ટ્રમાં છે.