દેશના ૧૪ રાજ્યોમાં વરસાદની ઘટ : ૨૦૧૩-૧૪માં અનાજનું ઉત્પાદન ૪.૬૬ ટકા ઘટયું : વરસાદથી અસરગ્રસ્ત રાજ્યો માટે રૃ.૩૦૦
કરોડનું પેકેજ જાહેર : જીડીપીના પ્રથમ ક્વાર્ટરમાં એગ્રીકલ્ચરનો હિસ્સો ઘટી ૪૧૫૨ અબજ
રહ્યો : મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણામાં વરસાદની સૌથી વધુ અછત : ગુજરાતમાં ૬૫ ટકા
વરસાદ છતાં હવે વરસાદ નહીં પડે તો ખેતીમાં સ્થિતિ કફોડી બનશે : કપાસ, સોયાબીન અને મકાઇના
ભાવમાં ખેડૂતો માર ખાશે : દેશમાં ૧૦.૦૮ લાખ કરોડ રૃપિયાનું વરસાદ આધારિત બજાર
આઝાદીના ૬૯ વર્ષ બાદ પણ આજે પણ
ખેતી અને ખેડૂતો માટે મુખ્ય આધાર વરસાદ છે. દેશનો વાવેતર વિસ્તાર ૧૪૧૦ લાખ હેક્ટરે
પહોંચવા છતાં ૭૬૦ લાખ હેક્ટર જમીનમાં ખેતી કરતા ખેડૂતો વાવેતર બાદ આકાશ તરફ જ મીટ માંડીને
બેસેે છે. દેશમાં ૨૦૧૩-૧૪ના વર્ષમાં અલનીનોની અસરને પગલે વરસાદની ઘટ રહેતાં ખેડૂતોએ
ખેતીમાં ખોટનો ખાડો જ કર્યો છે જે આ વર્ષે વધુ ઊંડો થતો જશે. ચોમાસાની આ સિઝનમાં પણ
ગુજરાતમાં જૂન-જુલાઇમાં સારા વરસાદથી ખેડૂતોના મૂરઝાયેલા ચહેરા ખીલ્યા છે પણ એ ન ભૂલવું
જોઇએ કે ઓગસ્ટમાં માત્ર ૨૬ મિમિ. જ વરસાદ નોંધાયો છે. ખેતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં
પણ સારો વરસાદ એટલો જ જરૃરી છે. ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં આજે પણ ગુજરાતમાં
વરસાદની ઘટ છે. હવે વરસાદ નહીં વરસે તો ખેડૂતોના ખીલેલા ચહેરા મૂરઝાય તે દિવસો દૂર
નથી. રાજ્યમાં સરેરાશ ૬૫ ટકા વરસાદ વચ્ચે મધ્ય ગુજરાતમાં ૫૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૫ ટકા
અને દક્ષિણ ગુજરાતમાં ૪૭ ટકા જ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે દેશમાં ૧૨ ટકા વરસાદની
ઘટ રહેવાના અંદાજો વચ્ચે ૧૪ ઝોનમાં ઓછો અને ૧૯ ઝોનમાં વરસાદ સરેરાશ છે. દેશના ૧૪ રાજ્યોમાં
વરસાદની ઘટ છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં તો વરસાદને અભાવે
અછતની સ્થિતિ છે. દેશમાં વરસાદની ઘટ રહી તો અર્થતંત્રને રૃપિયા ૪ લાખ કરોડનો ફટકો પડશે.
સૌથી વધુ વરસાદના ઘટની અસર સોયાબીન, મકાઇ, જુવાર, શેરડી અને કપાસ જેવા પાકોને થશે.
દેશમાં ૧ જૂનથી ૨૦ ઓગસ્ટ સુધીમાં દેશની અંદર ૫૭૩ મિલિમીટર વરસાદ થયો છે. વરસાદના અભાવે
જીડીપીના ૨૦૧૪-૧૫ના જાહેર થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં એગ્રીકલ્ચરનો હિસ્સો ઘટીને
૪૧૫૨ અબજ રહી ગયો છે.
દેશમાં ૨૦૧૩-૧૪માં વરસાદનો અભાવ
રહેતાં દેશમાં અનાજનું ઉત્પાદન ૪.૬૬ ટકા ઘટીને ૨૫૨૭ લાખ ટન રહી ગયું છે. જે અગાઉના
વર્ષે રેકોર્ડબ્રેક ૨૬૫૦ લાખ ટન હતું. આમ ધાન્ય પાકોના ઉત્પાદનમાં ૧૨૩ લાખ ટનનો ઘટાડો
નોંધાયો છે. જે ગુજરાતના ધાન્યપાકોના વપરાશના બે વર્ષ સમાન છે. કઠોળનું ઉત્પાદન ૨૦
લાખ ટન ઘટયું છે. કઠોળમાં સરકારની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે તેવી છે. જેના પરિણામે
કઠોળની આયાત ૫૦ લાખ ટને પહોંચવા આવી છે. તેલીબિયાંમાં પણ આ જ સ્થિતિ હોવાથી ખાદ્યતેલની
મોટાપાયે આયાત થઇ રહી હોવાથી આ વર્ષે આયાત આંક ૧૪૦ લાખ ટને પહોંચવાની સંભાવના છે. સતત
આયાતથી ખાદ્યતેલ સાથે સંકળાયેલા ઉદ્યોગો મરણપથારીએ પહોચતાં એક જૂથ થઇને 'સી', કોઇટ,
સોપાએ સરકારને તેલીબિયાંમાં આયાત ડયૂટી વધારીને ૪૫ ટકા કરવા રજૂઆતો કરી છે. જેના હકારાત્મક
પરિણામ આવી શકે છે.
દેશમાં સતત બીજા વર્ષે વરસાદની
અછતને પગલે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડશે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક,
બિહાર અને ઉત્તરપ્રદેશ ખેતીની દૃષ્ટીએ મહત્વના રાજ્યો છે. દેશભરમાં મરાઠાવાડમાં વરસાદની
સૌથી વધુ ઘટ ૪૬ ટકા છે. આ સિવાય નોર્થ કર્ણાટકમાં ૪૪ ટકા, તેલંગણામાં ૨૧ ટકા, રાયલસીમામાં
૩૨ ટકા, કોસ્ટલ કેરલમાં ૩૦ ટકા, ઇસ્ટ યુપીમાં ૩૩ ટકા, હરિયાણામાં ૨૩ ટકા અને પંજાબમાં
૩૧ ટકા, કોંકણ ગોવામાં ૩૨ ટકા વરસાદની ઘટ છે.
કેબિનેટની કમિટીએ વરસાદની ઘટને ધ્યાને લઇ રૃ.૩૦૦ કરોડનું પેકેજ જાહેર કરી ખેડૂતોને
રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે પણ વરસાદની પાંચ ટકા ઘટ રહે તો દેશના અર્થતંત્રને રૃ.૧.૮૦
લાખ કરોડના પડતા ફટકા સામે આ પેકેજ નગણ્ય છે. દેશમાં એગ્રીકલ્ચરના નિકાસ આંક ૩૦ બિલિયન
ડોલરની સામે આયાત આંક ૨૦ બિલિયન ડોલરે પહોંચતાં પાકના ભાવમાં ખેડૂતોનો 'મરો' થઇ રહ્યો
છે. મોંઘવારી રોકવાના પ્રયાસમાં સતત આયાત વધારાતાં આ વર્ષે કઠોળ, ખાદ્યતેલની આયાત રેકોર્ડબ્રેકે
પહોંચી છે. નવી સીઝનમાં કપાસ, સોયાબીન અને મકાઇના ભાવ માટે રીતસરનો સંઘર્ષ કરવો પડે
તેવી સ્થિતિ મોં ફાડીને ઉભી છે. દેશના જીડીપીમાં એગ્રીકલ્ચરનો હિસ્સો સતત ઘટીને હવે
૧૩.૮ ટકા રહી ગયો છે. દેશમાં ૧૦.૦૮ લાખ કરોડ રૃપિયાનું વરસાદ આધારિત બજાર હોવાથી સતત
બીજા વર્ષે ખેડૂતોને ખેતી ખોટ કરાવશે. વરસાદ એ ભારતની ખેતીનો પ્રાણ છે. સરકારે પ્રધાનમંત્રી
કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત ૨૦૧૫-૧૬ના વર્ષ માટે રૃપિયા ૫૩૦૦ કરોડ ફાળવી ઉદાહરણીય પગલું
ભર્યું છે પણ જેનો અમલ થતાં વર્ષો લાગશે. ખરીફ સીઝન એ ખેડૂતો માટે આવકનો મહત્વનો સ્ત્રોત
હોવાથી ખેડૂતોએ ગત વર્ષની નુક્સાની ભૂલીને વરસાદની અછત છતાં મનમૂકીને વાવેતર કરતાં
વાવેતરનો આંક ૨૦ ઓગસ્ટે ઊંચકાઇને ૯૪૮ લાખ ટને પહોંચ્યો છે.
દેશમાં ખરીફ સીઝનમાં ૯૦ ટકાથી પણ વધુ વાવેતર થયું
છે. ખેડૂતો ઓછા વરસાદમાં પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, કદાચ નસીબ આડેથી પાંદડું
ખસી જાય અને સ્થિતિ બદલાઇ પણ જાય. ખુલ્લી આંખે સપના જોતા ખેડૂતો માટે તે પૂર્ણ થાય
તેવા હાલ કોઈ સંજોગો નથી. મકાઇ, સોયાબીન, કપાસનું વૈશ્વિક બજાર ખેડૂતોના ફેવરમાં ન
હોવા ઉપરાંત મોંઘવારી રોકવાની સરકારી પોલિસી પાકના ભાવ સામે રોડાં નાંખી રહી છે. આ
તમામ મુશ્કેલીઓ છતાં ખેડૂતો ડગ્યા વિના ખેતી કરી રહ્યા છે અને રાહ જોઇ રહ્યા છે કે
ખેતી અને ખેડૂતોનો પણ સમય બદલાશે.