Monday, 4 May 2015

ખેડૂતો માથે આફતના ઓળા



સતત બીજું વર્ષ નબળું જાય તેવી સંભાવના : ચોમાસામાં સામાન્ય કરતાં વરસાદ ઓછો રહેવાનો હવામાન વિભાગનો પ્રથમ અંદાજ : ૭ ટકા વરસાદની ઘટ રહી તો ખેતીને ૨ લાખ કરોડ રૃપિયાનુંં નુક્સાન : ૯૩ ટકા વરસાદ રહેવાની આગાહી :ગુજરાતમાં ૧૩ જિલ્લામાં સિંચાઇની સુવિધામાં સમસ્યા : ખેડૂતોએ વાવેતરમાં ઉતાવળ ન કરી સાવચેતી રાખવી : ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગે થોડા દિવસ પૂર્વે જાહેર કરેલી અલનીનોની સંભાવના ૫૦ ટકાથી વધારીને ૭૦ ટકા કરી : સમુદ્રનું તાપમાન અલનીનોના લઘુતમ તાપમાનથી વધારે હોવાની સાથે કટિબંધોમાં હવા સામાન્યની તુલનાએ ઓછી હોવાથી ચોમાસા પર અસર પડવાની સંભાવના : આ વર્ષે અલનીનોનું વર્ષ રહ્યું તો ખેતી અને ખેડૂતોના બાર વાગી જશે : કૃષિ અર્થતંત્રને મોટો ફટકો પડશે : સરકારના વિકાસ કાર્યો અટકશે અને દેશની પ્રગતિ ખોરંભાશે : વિકાસકામોનું બજેટ ખેડૂતો અને ખેતી પાછળ ખર્ચવું પડશે : વરસાદની ગંભીર અસરો પડશે

સતત બીજા વર્ષે ચોમાસુ નબળું રહેવાની સંભાવનાથી ખેડૂતોની હાલત ખસ્તા થશે. ગયા વર્ષે અલનીનોને પગલે ખરીફમાં ઓછા વરસાદ બાદ રવીમાં માવઠાઓના મારે ખેડૂતોની કમરભાંગી નાંખી છે. દેશમાં ૬૪૪ લાખ હેક્ટર વાવેતર પૈકી ૧૮૯ લાખ હેક્ટરમાં નુક્સાન છે. સરકારે અલનીનોની અસર ખાળવા તૈયારીઓ તો આરંભી છે પણ એ ન ભૂલવું જોઇએ કે ૭૮૨ લાખ હેક્ટર વાવેતર હજુ 'ભગવાન ભરોસે' છે. હવામાન વિભાગના જૂનના અંદાજ બાદ વરસાદની સ્થિતિ સ્પષ્ટ થશે પરંતુ ખેડૂતોએ પણ હવે પરિસ્થિતિને પહોંચવા તૈયારીઓ આરંભવી પડશે, નહીં તો ખેડૂતો ખોટના ખાડામાં ઉતરી જશે. ગુજરાતના ખેડૂતોએ પણ હરખાવા જેવું નથી. રાજ્યમાં ૩૩ જિલ્લા પૈકી ૧૩ જિલ્લામાં વરસાદની ઘટ હોય ત્યારે ખેતી સૂકાય છે અને ૪૮ તાલુકાની તો સ્થિતિ જ સ્ફોટક બનશે. જૂનમાં વરસાદનો અંદાજ બદલાય તો સારું નહીં તો ખેડૂતો બીજી અછતનો સામનો કરવાની તૈયારીઓ આરંભે..

દે શના ખેડૂતો માટે તો ઉપર આભ અને નીચે ધરતી બંનેમાંથી એક પણ રૃઠે તો ખેડૂતોના બાર વાગી જાય. લાખો રૃપિયાનો ખર્ચ કરીને ખુલ્લા આકાશતળે નસીબ અજમાવતા ખેડૂતોને ખરેખર સેલ્યૂટ કરવી જોઇએ. આપણે સામાન્ય દુકાન હોય તો બે તાળા મારીએ છીએ જ્યારે ખેડૂતો ખુલ્લા આકાશ નીચે લાખો રૃપિયાનો જુગાર ખેલે છે. એ ફળશે કે નહીં તેની પણ પરવા કરતા નથી એટલે જ જગતના તાતની ઉપમા મેળવે છે. ધાન્ય પાકો પકવી કરોડો લોકોનું પેટ ભરે છે. જો આ ખેડૂતો એક સીઝન હડતાળ પર ઉતરે તો દેશના બાર વાગી જાય. આ ખેડૂતોની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. દેશમાં આ વર્ષે પણ ચોમાસુ નબળું રહેવાની સંભાવના છે. સતત બીજા વર્ષે વરસાદનો અભાવ ખેતી અને ખેડૂત બંનેની હાલત ખરાબ કરી શકે છે. દેશમાં ૧૪૧૪ લાખ હેક્ટર ખેતીલાયક જમીન પૈકી ૭૮૨ લાખ હેક્ટરમાં સિંચાઇની સુવિધા નથી એટલે કે વરસાદ જ એકમાત્ર આધાર છે. હવામાન વિભાગે પ્રથમ અંદાજમાં વરસાદ ૯૩ ટકા રહેવાની સંભાવના દર્શાવી છે. બીજા અંદાજમાં વરસાદની સ્થિતિ સ્પષ્ટ થશે પણ વરસાદનો અભાવ ખેડૂતો માટે ઘાતક સાબિત થવાની સંભાવના છે. આ વર્ષે વરસાદના અભાવે ખરીફ અને રવીમાં ઓછું વાવેતર થયું અને કમોસમી માવઠાએ તો રવી સીઝનની ઘોર ખોદી દીધી છે. રવી સીઝનમાં ૧૮૯ લાખ હેક્ટરમાં વરસાદથી નુક્સાન છે. ગયા વર્ષે ઓછા વરસાદ વચ્ચે વહેલું વાવેતર કરનાર ખેડૂતોએ ફરી વાવેતર કરવાની નોબત આવી હતી. જેથી આ વર્ષે ખેડૂતો ખાસ ધ્યાન રાખે એ જરૃરી છે. 


આખરે શું છે અલ નીનો? : અલ નીનો એક સ્પેનિશ શબ્દ છે.  દક્ષિણ અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં ક્રિસમસ બાદ તુરંત સમુદ્રનું પાણી અચાનક અસામાન્યરૃપથી ગરમ અને ઠંડું થવાની ઘટનાને સાંકેતિક રૃપથી બાળક ઈસા મસીહ સાથે જોડવામાં આવ્યું છે અને સમુદ્રમાં સર્જાતી આ ઘટનાને અલ નીનો કહેવામાં આવે છે. એટલે જે વર્ષે અલ નીનો એક્ટિવ થાય છે ત્યારે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસા પર અસર પડે છે. જેને કારણે વિશ્વના કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પડે છે અથવા કેટલાંક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાય છે.

દેશની અર્થવ્યવસ્થાનેઅસર કરતો વરસાદ : સામાન્ય ચોમાસાનો મતલબ ચોમાસુ સીઝનમાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ. જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાની ચોમાસુ સીઝનમાં ૧૧૦ ટકા વરસાદને સરપ્લસ ચોમાસું કહેવામાં આવે છે. જો કે કોઈ વિસ્તારમાં ૮૦ ટકા અથવા તેનાથી ઓછો વરસાદ હોય તો આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. અલ નીનોની અસરને પગલે એક દાયકામાં જ ભારતે ચાર વાર અર્ધ અછતનો સામનો કર્યો છે. ગયા વર્ષે પણ અલનીનોને પગલે ચોમાસુ ખેંચાયા બાદ કમોસમી વરસાદથી ખેડૂતોની આખી સીઝન ફેઇલ ગઇ છે. આ વર્ષે પણ અલનીનોને પગલે ચોમાસુ સામાન્યથી ઓછું રહે તેવો હવામાન વિભાગે અંદાજ લગાવ્યો છે. ભારતમાં અલનીનોનો પ્રભાવ વરસાદની અછત અને દુષ્કાળના સ્વરૃપમાં જોવામાં આવે છે. જેની સીધી અસર ખેતી પર પડે છે અને જીડીપીમાં ખેતીનું યોગદાન ઘટતાં ઘટતાં હવે ૧૪ ટકા સુધી આવી ગયું છે. જે ૨૦૦૪-૦૫માં ૧૬ ટકા હતું. આજે પણ ૫૦ ટકાથી વધુ વસતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે. જો કે કેટલાંક ઉદ્યોગોની રોજી-રોટી પણ ખેડૂતોના ઘરમાં આવતી સમૃદ્ધિ પર નિર્ભર રહે છે. આવી સ્થિતિમાં જો ખેતી પ્રભાવિત થાય તો રસોઈકામમાં આવતી તમામ ચીજવસ્તુઓ મોંઘી થાય તેવી પણ શક્યતાઓ છે. અલ નીનોની અસર માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે. જો કે વર્તમાન સમયમાં ખેડૂતોએ ગભરાવાની કોઈ જરૃર નથી, કારણ કે સરકાર દ્વારા અલ નીનોના સંકટ સામે રક્ષણ મેળવવા માટે વિશેષ પગલાં પણ લેવાઈ રહ્યાં છે. જોકે, હવામાન વિભાગના બીજા અંદાજમાં વરસાદની સાચી માહિતીનું આંકલન કરાશે પણ હાલમાં ખેડૂતોએ સાવચેતીના પગલાં ભરવાની ચોક્કસ જરૃર છે. દૃ

સતત બીજું વર્ષ નબળું રહેશે : દેશમાં આ વર્ષે ચોમાસામાં ૯૦ ટકાથી ઓછો વરસાદ પડવાની સંભાવના ૩૩ ટકા છે. જ્યારે ૯૦થી ૯૬ ટકા વરસાદ પડવાની સંભાવના ૩૫ ટકા છે, ૯૬થી ૧૦૪ ટકા વરસાદ પડવાની સંભાવના ૨૮ ટકા છે. જ્યારે ૧૦૪ ટકાથી વધુ વરસાદની સંભાવના માત્ર ૩ ટકા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જૂન મહિનામાં વરસાદની સમીક્ષા કરાઇને બે મહિના એટલે જુલાઇ અને ઓગસ્ટમાં વરસાદની આગાહી કરવામાં આવશે. ખાનગી એજન્સીઓના મતે આ વર્ષે ચોમાસુ વહેલું અને ૨૯મી મે આસપાસ બેસી જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ અલનીનોેને પગલે વરસાદ સામાન્યથી ઓછો પડવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. વિશ્વના અનેક દેશોએ ચોમાસું નબળુ જવાની આગાહીઓ કરી છે. એક માત્ર દેશની ખાનગી એજન્સીએ વરસાદ ૧૦૪ ટકા રહેવાની આગાહી કરી છે. દેશમાં મધ્ય, પશ્વિમ અને ઉત્તર ભારતમાં વરસાદ ૨૫થી ૪૦ ટકા ઓછો રહેવાની સંભાવના દર્શાવી છે. ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગે અગાઉ અલનીનોની સંભાવના ૭૦ ટકા અને અમેરિકાએ અલનીનોની સંભાવના ૬૦ ટકા રહેવાનું જણાવ્યું હતું. 



વરસાદની ૫૦ વર્ષોની સરેરાશ ૮૯ સેન્ટીમીટર : ગત સપ્તાહે ભારતીય મોસમ વિજ્ઞાાન દ્વારા વરસાદ અંગેના જાહેર કરાયેલા તાજા અહેવાલ અનુસાર દેશમાં ચોમાસું ૯૩ ટકા એટલે કે અંદાજ કરતાં પણ ઓછંુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. ૨૦૧૩-૧૪ના વર્ષમાં પણ શરૃઆતમાં ચોમાસુ ૯૫ ટકા રહેવાનો અંદાજ મૂકાયા બાદ તેમાં ઘટાડો કરાયો હતો. દેશમાં વરસાદની ૫ ટકા ઘટ રહે તો પણ કૃષિ વિભાગને ૧.૮૦ લાખ કરોડ રૃપિયાનું નુકસાન થવાની સંભાવના એસોચેમે ગયા વર્ષે વ્યક્ત કરી હતી. આ વર્ષે શરૃઆતથી જ વરસાદની ૭ ટકા ઘટ રહેવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે વરસાદની અછતને પહોંચી વળવા અગાઉથી ૫૦૦ જિલ્લાઓ માટે કન્ટિજન્સી પ્લાનની તૈયારી આરંભી દીધી છે. જેમાં ૧૦૦ જિલ્લાઓને અલગ તારવી આ જિલ્લા માટે વિશેષ સુવિધાના પણ પગલાં ભરવાની તૈયારી કરી છે. ગયા વર્ષે પણ સરકારની તૈયારીઓ છતાં ખેતીને ભારે નુક્સાન થયું છે. કૃષિ વિભાગે એ ન ભૂલવું જોઇએ કે આજે પણ ૫૭ ટકા વિસ્તાર એ ભગવાન ભરોસે છે. જ્યાં વરસાદ જ સિંચાઇનો મુખ્ય આધાર છે. ગુજરાતમાં સરેરાશ વરસાદ ૫૦૦ મિમીથી ૮૦૦ મિમીની મર્યાદામાં જુલાઇથી સપ્ટેમ્બર માસ દરમિયાન પડે છે. તેમ છતાં ર્વાિષક વરસાદની વિશાળ વિષમતા પાકની ઉત્પાદકતાને ખૂબ જ અસરકર્તા બને છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૧થી ૨૦૧૨ના સમયગાળામાં સરેરાશ વરસાદ ૧૦૧૨ મિમી સામે ખરીફ ૨૦૧૨માં ૫૮૧.૧૩ મિમી વરસાદ નોંધાયો હતો. પ્રાકૃતિક વિષમતાઓ ગુજરાતની ખેતીનું વિશિષ્ટ લક્ષણ છે. રાજ્યના વાયવ્ય છેડે અનાવૃષ્ટિની શક્યતાવાળા વિસ્તારો અને ૪૦૦ મીમી. જેટલા વધુ વરસાદવાળા વિસ્તારો પણ છે. રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓના ૨૨૫ તાલુકાઓ પૈકી ૧૩ જિલ્લાના ૪૮ તાલુકાઓ વારંવાર અનાવૃષ્ટિનો ભોગ બને છે. જ્યારે પૂર્વ ગુજરાતના ૨૬ જિલ્લાઓ પૈકી ૧૨ જિલ્લાઓમાં લગભગ વરસાદની અછત જેવું રહે છે. ખેડૂતો એલર્ટ બની સમયસર યોગ્ય પગલાં ભરશે તો જ વરસાદની અછતને ટાળી ઉત્પાદનમાં વધારો કરી શકશે, નહીં તો ખેડૂતોએ પણ પાક ઉત્પાદનમાં નુક્સાની વેઠવાનો વારો આવશે. ભારતમાં વરસાદ ૯૩ ટકા જેટલો રહેવાનો અંદાજ એટલે કે, ૮૨ સેન્ટીમીટર રહેશે. જ્યારે ૫૦ વર્ષોની સરેરાશ ૮૯ સેન્ટીમીટર છે. આમ, સરેરાશ ઓછા વરસાદથી ધાન્ય, તેલીબિયાં, કઠોળ સહિતના પાકોના વાવેતર અને ઉત્પાદન પર અસર પડશે. કૃષિ વિભાગ આ પરિસ્થિતિને ખાળવા પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ તેમાં કેટલી સફળતા મળે છે એ તો આગામી સમય જ બતાવશે. વરસાદની અછત રહી તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખેતી પ્રભાવિત થશે તે ચોક્કસ વાત છે. 






ખેડૂતો ચિંતા છોડો : વરસાદ સારો રહેશે

સ રકાર દ્વારા આ વર્ષે ૯૩ ટકા વરસાદ રહેવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. ૭ ટકા જેટલા વરસાદની ઘટને કારણે દેશના કેટલાક ભાગોમાં વરસાદની અછત રહેતાં ચોમાસુ નબળું રહેશે જેની સીધી અસર ખેતી પર થવાની સંભાવના છે. જો કે, આ તરફ દેશ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સારો વરસાદ રહેવાની પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય અને આગાહીકારો આગાહી વ્યક્ત કરી રહ્યાં છે.ગાંધીનગરના જ્યોતિષાચાર્ય અને હવામાન આગાહીકાર એવા અંબારામ દા. પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આગામી ચોમાસા અંગે જોતા શિયાળાના વરસાદનો ગર્ભ અને ઉનાળાના વરસાદના ગર્ભ તેમજ વનસ્પતિ, પશુ, પક્ષી સૂર્યમાંથી આવતી ઊર્જા, ધરતી ઉપરથી ઉઠતી ઊર્જા, સૂર્યના અંતરિક્ષ અને જમીન ઉપર બનતા બનાવો, પૃથ્વીની ધરીનું નમન, ખગોળ તેમજ ભૂતળના યોગોનું સંકલન કરવાથી ઋતુજન્ય બાબતોનું નિદર્શન થઈ શકે છે. આ વખતે ચોમાસાનું વિહંગાવલોકન કરતા આ અંગે વનસ્પતિની વૃદ્ધિ જોતા આ વખતે ગરમાળાને ફૂલ સમયસર આવવામાં છે. જ્યારે બાષ્પીભવન કરતી વનસ્પતિઓને ફૂટ આવવામાં છે અને શ્વસન કરતી વનસ્પતિમાં કોઈકોઈ ભાગોમાં ખીજડા જેવા વૃક્ષોના પાંદડા ખરવામાં છે અને કોઈકોઈ ભાગોમાં ખીજડાના પાંદડાની ફૂટ પણ થવામાં છે. શ્વસન કરનારી વનસ્પતિ પાંદડા ખરી જાય તો ચોમાસું સારું આવે. આથી સૌરાષ્ટ્રના ભાગોમાં આ વખતે વરસાદ પવન સાથે થવાની વકી રહેશે અને કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની વકી રહેશે. કેટલાક ભાગોમાં વનસ્પતિના લક્ષણ જોતા ઓછો વરસાદ થવાની વકી રહેશે. ગંગા જમનાના મેદાની પ્રદેશો તપે તો વરસાદ સારો આવે. આ વખતે ગંગા જમનાના મેદાની પ્રદેશો તપવામાં છે પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં નેપાળના ભુકંપ પછી બરફ કે કરાનો વરસાદ થવામાં હતો એટલે ગંગા જમનાનો સમગ્ર મેદાની પ્રદેશ હજુ તપવામાં નથી. જ્યારે મધ્યભાગથી પશ્ચિમ ભાગમાં ગરમીનું પ્રમાણ રહેલું છે. વળી આ વખતે સામાન્ય કોરમડીના વાદળો આવવા જોઈએ એ હજુ આવેલા નથી જે હવે વૈશાખ વદ પછી આવવાની શક્યતા રહે. વળી આ વખતે આંધીનું પ્રમાણ વધુ રહેલ છે. વૈશાખ માસમાં વધુ પડતી આંધી આવે તો પણ ચોમાસુ વરસાદ અંગેના સંજોગો ઉજળા બને. આ વખતે મે મહિનાની શરૃઆતમાં આંધી જણાશેે, જ્યારે તારીખ ૮થી ૧૫ મે માં ભારે આંધીઓ સાથે અને વા વંટોળ સાથે દેશના ભાગોમાં તેમજ રાજ્યના કેટલાક ભાગોમાં છાંટા કે વરસાદ થવાની વકી રહેશે. એટલે આ ચોમાસા અંગે જોતા રાજ્યના સઘળા ભાગોમાં ચોમાસુ દુષ્કાળ ઉત્તેજક રહેશે નહીં. જ્યારે કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થશે. વરસાદ વા વંટોળ સાથે જૂનની શરૃઆતમાં આવી શકે છે. તારીખ ૧૨મી જૂનથી ૧૫ જૂનમાં વરસાદની વકી રહેશે. જ્યારે ઓગસ્ટ માસમાં પણ વરસાદની શક્યતા રહેશે. ઓગસ્ટ માસના કેટલાક દિવસોમાં વરસાદ ખેંચાવાની વકી રહેશે અને સપ્ટેમ્બરમાં તેમજ ઓક્ટોબરમાં વરસાદ આવશે. એટલે આ વખતનું વર્ષ વરસાદ અંગે અનિયમિત રહેવા છતાં કોઈ જગ્યાએ ભારે વરસાદ તો કોઈ જગ્યાએ ઓછો વરસાદ રહે પરંતુ એકંદરે ખરીફ અને રવી પાકોનું સંકલન કરતા દુષ્કાળ ઉત્તેજક રહેશે નહીં. પાછોતરા વરસાદથી ઉભા કૃષિ મોલોમાં બગાડ થઈ શકે પરંતુ રવી પાકો માટે વરસાદ સારો ગણાશે. હાલમાં વનસ્પતિની વૃદ્ધિના સંજોગો દુષ્કાળ ઉત્તેજક ચોમાસાની સૂચક જણાતા નથી. ઘણીવખત માંગ્યા મેઘ ન આવે. વરસાદ પવન સાથે આવવાની વકી રહેતા દરિયાકિનારાના ભાગોમાં વધુ વરસાદ રહે. જ્યારે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમ કે થોડો સારો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના ભોગોમાં સારો વરસાદ રહેશે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે.
સંપર્ક : ૯૮૨૫૬ ૯૭૦૩૨

રાજ્યમાં ૪૦થી ૪૫ ઈંચ વરસાદ રહેવાનું અનુમાન
દેવભુમિ દ્વારકાના અણિયારી ગામના આગાહીકાર સાજણભા સુમણિયાના મતે ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૃર નથી. હોળીનો પવન સારો હતો અને અખાત્રીજનો પવન પણ સારો રહ્યો હતો. આ  બંને પવન વાયવ્ય ખૂણાના હતા. ગર્ભ પણ સારા બંધાયા છે. મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ ચારેય મહિનામાં વરસાદ સારો આવશે. મે થી શરૃઆત થશે તો જૂનમાં વરસાદ સારો અને જુલાઈમાં પણ સારો રહેશે. આખા ગુજરાતમાં સરેરાશ ૪૦થી ૪૫ ઈંચ વરસાદ રહેશે. એકંદરે વરસ સારું રહેશે, આ વર્ષમાં વરસાદ ઓછો રહેવાની કોઈ શંકા નથી. વર્ષ ૨૦૧૩માં મેં આગાહી કરી હતી તેમાં મને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં ૪૦થી ૪૫ ઈંચ વરસાદ રહેવાનું અનુમાન કરું છું, એટલે ખેડૂતોને કોઈ જ ચિંતા કરવાની જરૃર નથી. મેં વર્ષ ૧૯૫૬થી ૧૯૮૨ સુધી સંશોધન કર્યું હતું અને વર્ષ ૧૯૮૩થી આગાહી કરવાની શરૃઆત કરી હતી જે આગાહી આજ દિન સુધી સાચી પડી છે. 
સંપર્ક :૯૭૨૪૮ ૭૬૧૦૦


વરસાદની શરૃઆત વહેલી થશે
મેંદરડા પંથકના હવામાન આગાહીકાર એવા થોભણભાઈ પાનસુરિયા વરસાદ ક્યારે થશે તે અંગે કહેતા જણાવ્યું હતું કે, અમારા રાજસર ગામમાં ત્રણ વાડીએ ઉગેલા જમ્બો પ્રકારના ડાંડલીયા થોરને ગામના લોકો વરસાદના વરતારાનું સુપર કમ્પ્યુટર માને છે. આ થોરમાં સૂર્યમુખી જેવું ફુલ થાય છે. આ થોર પર કળીઓ આવે અને ફૂલ ખીલે ત્યારે વાદળા દેખાવા માંડે છે. હાલ આ થોર પર કળીઓ આવી ગઈ છે અને ફૂલ ખીલી જતા વરસાદ આવી જવાની
પુરેપુરી સંભાવનાઓ છે. પાછલા વર્ષોમાં આટલી વહેલી કળીઓ આવી નથી પરંતુ આ વર્ષે  વહેલી આવી ગઈ છે એટલે આ વર્ષે મેના અંતના સમયગાળાની અંદર વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને કૃતિકા નક્ષત્રની અંદર વાવણીલાયક વરસાદ થઈ જશે.                    સંપર્ક : ૯૮૭૯૯ ૧૨૬૬૫

પરિબળોથી સારા વરસાદના સંકેત
મુળ માણાવદરના રહેવાસી અને હવામાન અને પ્રાચીન વર્ષા વિજ્ઞાાનના અભ્યાસુ સંજયભાઈ ભુતે જણાવ્યું હતું કે, હવામાન વિભાગના મતે અલનીનો સક્રિય રહેશે તેવી સંભાવના સામે પ્રાચીન પદ્ધતિઓના અભ્યાસ મુજબ વનસ્પતિ, વાદળા, ગરમી અને આકાશી ગર્ભના ચિહ્નોે, ઋતુ પરિવર્તન અને કોરમના ચિન્હો તથા ગ્રહો સહિતના વિવિધ પાસાઓના ૨૨ તારણો પરથી અભ્યાસ કરતા એમ લાગે છે સંપૂણપણે આ વર્ષે ચોમાસુ નિષ્ફળ નથી. બીજું કે ચોમાસુ આ વખતે સારું રહેશે. ત્રીજી વાત એ છે કે આ વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની શક્યતા છે. જો કે ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે તેના ચોક્કસ સંકેતો મળતા નથી. પરંતુ ખેડૂતોએ ચોમાસું નબળું રહેશે તેવી ચિંતા કરવાની બિલકુલ જરૃર નથી. આ વર્ષે ચોમાસું બિલકુલ સારું રહેશે. બોરડીના સારા બોર, ફુલોનો બેસારો,  અને લીમડામાં લિંબોળી સારી આવવી આ તમામ પરિબળો સારા વરસાદના સંકેતો આપે છે.           સંપર્ક : ૯૮૭૯૨ ૮૩૭૭૭

નોંધ : આગાહીકારોના મંતવ્યો અંગત છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..