Wednesday, 9 January 2013

કૃષિ વિકાસમાં ડેમની મહત્ત્વની ભૂમિકા



દેશના કૃષિ વિકાસમાં ડેમના પાણીનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો છે. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે. જેના પાણી છેક રાજસ્થાનથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચી રહ્યા છે. વાવેતરને નવજીવન આપતા ડેમ સિંચાઈની સગવડો, પાણી પૂરી પાડવાની સાથે વીજળી અને પીવાનું પાણી પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતના મુખ્ય પાંચ ડેમો કે જે દેશના ૧૪ રાજ્યના કૃષિ વિકાસ સાથે આડકતરી રીતે જોડાયેલા છે. જેનાથી રાજ્યોનો કૃષિ વિકાસ દર ઊંચકાઈ રહ્યો છે.

  •  ૬૧ માળની ઊંચાઈ ધરાવતો ભારતનો સૌથી મોટો તહેરી ડેમ
  • ભાખરાનાંગલ ડેમ જેની ઊંચાઈ ૨૨૫ મીટર એટલે ૭૪૦ ફૂટ છે. જે એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ
  • હીરાકુંડ  રિસ્સાના સાંબલપુર વિસ્તારમાં બંધાયેલ ભારતનો ત્રીજા નંબરનો મોટો ડેમ
  • નાગાર્જૂન સાગર  આંધ્રપ્રદેશમાં હૈદરાબાદથી ૧૫૦ કિમી દૂર નાલગોન્ડા જિલ્લાના નાગાર્જુન સાગરમાં ક્રિષ્ણા નદી પર બંધાયેલ છે.
  • સરદાર સરોવર ડેમ  નર્મદા નદી પર બંધાયેલ ગુજરાતનો સૌથી મોટો ડેમ.



૬૧ માળની ઊંચાઈ ધરાવતો ભારતનો સૌથી મોટો તહેરી ડેમ
૬૧ માળની બિલ્ડીંગ સામે ઉભા રરી તેના સૌથી છેલ્લા માળને જોવાની આપણે કોશિશ કરીએ ત્યારે કદાચ એટલી દૂર સુધી આપણી નજર ન પહોંચે તેવી સ્થિતી તહેરી ડેમ જોવા તેની તળેટીમાં ઊભા રહેનારની થાય છે. ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તરાંચલ ટીહરી પાસે ગંગા નદીની પ્રમુખ સહયોગી ભગીરથી નદી પર બાંધવામાં આવેલો તહેરી ડેમ ભારતનો સૌથી મોટો અને વિશ્વનો પાંચમા નંબરનો સૌથી મોટો ડેમ છે. જેની ઊંચાઈ ૨૬૧ મીટર છે. આ બંધમાંથી સરકાર ૨૪૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન સરકાર કરે છે. જ્યારે ૨.૭૦ લાખ હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડવાની સાથે આ ડેમ રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યને ૧૦૨.૦૨ કરોડ લીટર શુદ્ધ પાણી પૂરું પાડે છે. ડેમની લંબાઈ ૧૮૮૬ ફૂટ છે.જ્યારે ડેમના પાણીનો ઘેરાવો પર સ્ક્વેર કિલોમીટર છે. તહેરી ડેમ માટે સૌથી મોટો વિવાદ એ છે કે તે ભૂકંપગ્રસ્ત ઝોન વિસ્તારાં આવેલો છે. ૧૯૯૧મં આ વિસ્તારમાં ૬.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું એપી સેન્ટર ડેમથી ૫૦૦ કિલોમીટર દૂર જ હતું. ડેમની ડિઝાઈન જ એ પ્રકારની છે કે આ વિસ્તારમાં ૮.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવે તે પરિસ્થિતિમાં પણ ડેમને અસર ન થાય. તેમ છતાં આ ડેમને લઈને લોકોમાં હજુ પણ છુપો ભય છે.
  
ભાખરાનાંગલ ડેમ  

ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ હિમાચલ પ્રદેશમાં સતલજ નદી પર બિલાસપુરા જિલ્લાના ભાખરા ગામમાં બંધાયેલો ભાખરાનાંગલ ડેમ છે. જેની ઊંચાઈ ૨૨૫ મીટર એટલે ૭૪૦ ફૂટ છે. જે એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમ બાંધવાની ૧૯૧૯માં પરિયોજના રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો. પણ તેનો અમલ ભારત આઝાદ થયા બાદ ૧૯૫૪માં જવાહરલાલ નહેરુએ બંધનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ૨૨ ઓક્ટોબર ૧૯૬૩માં બંધને રાષ્ટ્રને સર્મિપત કર્યો હતો. આ ડેમના પાણીથી પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનની ૪૦.૪૬ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સગવડ પૂરી પાડે છે. જ્યારે ૨૮૦૪ મેગાવોટ વીજળી પૂરી પાડે છે. ભાખરા નાંગલ ડેમથી સાત રાજ્યોને પાણી અને વીજળીનો લાભ મળે છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 8 January 2013

બિયારણ સાચવતી અનોખી બેંક


 પૈસા સાચવવા બેંકો છે, લોહી સાચવવા બ્લડ બેંક છે, આંખો સાચવવા આઈ બેંક છે... તો પછી જેનાથી આખા જગતનું પેટ ભરાય છે, એ બિયારણ સાચવવા શું છે? ૨૦૦૫ના વર્ષ સુધી કંઈ ન હતું એટલે જગતભરના કૃષિ વિજ્ઞાનીઓએ એકઠા થઈને નામશેષ થતા કૃષિ બિયારણ માટે અનોખી સીડ બેન્ક બનાવી છે.


કોઈને પણ એવો સવાલ થઈ શકે કે જગતભરમાં ખાદ્યાન્ન તો પેદા થાય જ છે, તો પછી તેના બિયારણની જાળવણી માટે બેંકની શી જરૃર? પણ જરૃર છે. આજથી લગભગ દસેક હજાર વર્ષ પહેલા પૃથ્વી પર આદીમાનવોએ ખેતીનો આરંભ કર્યો. ત્યારે મનુષ્યોએ કેટલીક વનસ્પતીઓને ખોરાક તરીકે પસંદ કરી તેની માવજત કરવાની શરૃઆત કરી. સમય જતાં ૩ હજાર જાતના છોડ-વેલા એવા નક્કી થયા કે જે ખાઈ શકાય. એમાંથીય વળી ૯૫ ટકા ખોરાક તો ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, સોયાબિન જેવી ૩૦ જાતોમાંથી મળતો હતો. પરિણામે અનાજ, ખોરાક, પાકોની કેટલીક જાતો વપરાશના અભાવે લુપ્ત થતી ગઈ.
આમ તો હરિયાળી ક્રાંતિ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ પણ બિયારણ માટે ક્રાંતિ જરા નુકસાનકારક સાબિત થઈ. થયું એવું કે હરિયાળી ક્રાંતિ વખતે વિવિધ બિયારણોની વધુ ઉત્પાદન આપતી સંકર જાતો વિકસાવાઈ. નવી જાતો ટુંકા ગાળા માટે પુષ્કળ ઉત્પાદન આપતી હતી પણ તેનામાં અસલ જાત જેવી ખડતલતા ન હતી. અસલ જાતો હજારો વર્ષોથી રોગ, હવામાન વગેરે સામે અડિખમ રહીને વિકસી હતી માટે એ લાંબી રેસના ઘોડા જેવી હતી. જ્યારે સંકર જાતો ટુંકા ગાળા માટે ઉપયોગી હતી. પરિણામ એ આવ્યું કે વિવિધ પાકોની મૂળ જાતવાન જાતો ગૂમ થવા લાગી. જેમ કે આજે ઘઉંની ૪૦,૦૦૦ અને ચોખાની વિવિધ ૭૦ હજાર જાતો હોવા છતાં અસલ જાત કઈ એ શોધવું પડે એમ છે. જુવારમાં એવું થઈ ચુક્યુ છે. ૧૯૭૦ના દાયકામાં અમેરિકન કૃષિ નિષ્ણાતો જુવારની અસલ જાત શોધવા નીકળ્યા. વિવિધ ૯ હજાર જાતો તપાસી ત્યારે આફ્રિકિ દેશ ઇથિયોપિયાના ખેતરોમાં અસલ જુવારની જાત મળી આવી. જેમાં કુદરતી મિઠાશ સહિતના મૂળભૂત ગુણો અકબંધ હતા. જુવારમાં બન્યો એવો કિસ્સો બીજા પાકોમાં ન બને એ માટે સ્વાલબાર ખાતે સીડ બેંક બની છે. ભૂતકાળમાં કેટલાક કિસ્સામાં બિયારણ મોટાપાયે નાશ પામ્યાના દાખલા પણ નોંધાયા છે. ૧૮૪૦ના ગાળામાં આર્યલેન્ડમાં બટેટાને ફુગનો રોગ લાગુ પડયો ત્યારે તમામ પાક નષ્ટ થયેલો. વધુમાં દુષ્કાળને કારણે આયરિશ પ્રજા જ દેશ છોડી અમેરિકા રહેવા જતી રહેતી હતી (બાદમાં અમેરિકાના પ્રમુખ બનેલા જહોન એફ. કેનેડીનું કુટુંબ પણ એ જ સ્થળાંતર વખતે અમેરિકા પહોંચેલું). દુષ્કાળ સહિતની સ્થિત ખતમ થઈ ત્યારે કુષિ વિજ્ઞાાનીઓ બટેટાની મૂળ જાત શોધવાનો પ્રયાસ કરી જોયો, પણ ક્યાંય અસલ બટેટા હાથ લાગ્યા નહીં. એ સંજોગમાં જો અસલ જાતનું બિયારણ બેંકમાં સચવાયેલું હોય તો તેનો ઉપયોગ કરી ફરીથી મૂળ જાતનો પાક લઈ શકાય. આર્યલેન્ડમાં ગૂમ થયેલા બટેટાની જાત આખરે ૮૦ વર્ષ પછી મેક્સિકોમાંથી મળી. શોધખોળમાં આઠ દાયકા લાગ્યા કેમ કે ત્યારે બિયારણની બેંકો ન હતી. આજે કોઈ કૃષિ પેદાશની અસલ જાત જોઈતી હોય તો બેંક હાજર છે.


ક્યારે બની
૨૦૦૬ની ૧૯મી જુને બેંકના બાંધકામનું ખાતમુહુર્ત કરવામાં આવેલું. બાંધકામની જવાબદારી નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ, ડેન્માર્ક અને આઈસલેન્ડ એમ પાંચ દેશોએ ઉપાડી હતી. કુલ ૧૧૮ દેશો કૃષિ કરાર હેઠળ જોડાયેલા છે. એ બધા દેશોના સંશોધકો, બિયારણ ઉત્પાદકો અને બીજા સંગઠનો પરવાનગી બાદ બિયારણ સુધી પહોંચી શકે છે. જે દેશોએ બિયારણ જમા કરાવ્યું હોય એ પણ મેળવી શકે છે. બેકમાં સેફ વોલ્ટ હોય એ રીતે જ અહીં બિયારણ વોલ્ટ છે. 

હિમાલયમાં છે, ભારતની બિયારણ બેંક
લેહ-લદ્દાખ પાસે ભારત સરકારે ચાંગ લા ખાતે એક નાનકડી બિયારણ બેંક બનાવી છે. આ બેંક પણ સ્વાલબારની સીડ બેંક જેવી જ સુવિધાઓ ધરાવે છે. અહીં પાંચ હજાર જાતના બિયારણને સાચવવાની સુવિધા છે. ૫૩૬૦ મીટર ઊંચી એ બેંક લદ્દાખથી ૩ કલાકના અંતરે આવેલી છે.
બેંકના સ્ટોરેજ વિભાગનું તાપમાન કાયમ માઈનસ ૧૮થી માઈનસ ૨૦ ડીગ્રી જાળવી રાખવામાં આવે છે
જ્યાં બેંક બની સ્પિટસબર્જેન ટાપુ પર ભુકંપ થવાનું પ્રમાણ નહિવત છે. પહાડ બરફઆચ્છાદિત રહે છે. એટલે સામાન્ય તાપમાન પણ શૂન્ય કરતાં ૧૮ ડિગ્રી ઓછું હોય છે. મતલબ કે સ્થિતિ કુદરતી ફ્રિજ જેવી હોય છે. પરિણામે તંત્રએ બિયારણ સાચવવા ઠંડકનું પ્રમાણ જાળવવાની જરૃરિયાત રહેતી નથી.
બિયારણને  એલ્યુમિનિયમ ફોઈલના પેકિંમાં ગરમ કરી પેક કરી દેવામાં આવે છે. સ્ટોરેજ બોક્સના દરેક કન્ટેનરમાં આવા બિયારણના ૪૦૦-૫૦૦ પેકેટ સાચવામાં આવે છે.
કન્ટ્રોલ રૃમ અને રેફ્રિજરેટરસીડ્સ બેન્કની ઓફિસ જ્યાં બિયારણની ગુણવત્તાની ચકાસણી થાય છે
સ્પિટસબર્જેન ટાપુ પરના ર્બિફલા પર્વતમાં ખાંચો કરી બેંક બનાવવનો પ્લાન ઈજનેરોએ ઘડી કાઢયો. બીજા ઘણા દેશોમાં સિડ્સ બેંક છે, પણ આ બેંક તેનાથી અહીં જ અલગ પડે છે. પર્વતમાં ૩૯૦ ફીટ લાંબુ બોગદુ બનાવી તેમાં બેક બનાવાઈ છે. જે અદ્ભૂત છે.

બેંક વિશે થોડી વિગતો..
  • બેંકમાં બિયારણના ૧૫ લાખ નમૂના સેંકડો - હજારો વર્ષો સુધી સચવાઈ રહેશે.
  • બેકનું સંચાલન નોર્વે સરકાર અને ગ્લોબલ ક્રોપ ડાયર્વિસટી ટ્રસ્ટ સાથે મળીને કરે છે.
  • બેંકનો મૂળ વિચાર હજુ ર્નોિડક જીન બેંકને આવ્યો હતો. આ બેંક પાસે વિવિધ દસેક હજાર જાતના બિયારણનો સંગ્રહ હતો. બિયારણની વધતી સંખ્યા જોઈ આખરે એક નવી જ બેંક બનાવવાનું નક્કી થયું અને એમાંથી સ્વાલબાર ખાતે સર્જાઈ આ બિયારણ બેંક.
  •  માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઊન્ડેશન બેંકને જરૃરી નાણાકિય મદદ પુરી પાડે છે.
  •  સ્પિટસબર્જેન ટાપુ પરના ર્બિફલા પર્વતમાં ખાંચો કરી બેંક બનાવવનો પ્લાન ઈજનેરોએ ઘડી કાઢયો. બીજા ઘણા દેશોમાં સિડ્સ બેંક છે, પણ આ બેંક તેનાથી અહીં જ અલગ પડે છે. પર્વતમાં ૩૯૦ ફીટ લાંબુ બોગદુ બનાવી તેમાં બેક બનાવાઈ છે. 
  •  બેંકની રોજબરોજની વ્યવસ્થા જાળવવા માટે માણસોને બદલે રોબોટ્સ રાખવામાં આવ્યા છે. સ્વિડનમાંથી આ બેંકની સુરક્ષા વ્યવસ્થા, રોબોટ્સ વગેરેનું રિમોટ કન્ટ્રોલ વડે સંચાલન થાય છે. મતલબ કે બેંકની સારસંભાલ માટે ૨૪ કલાક કર્મચારીઓની હાજરી જરૃરી નથી.- ૨૦૦૮ના આંતરારાષ્ટ્રીય ઉત્તમોતમ સંશોધનમાં આ બિયારણ બેંકનો સમાવેશ થાય છે.
  •  બેંકની પહેલી વર્ષગાંઠે ત્યાં બિયારણની સંખ્યા ૪ લાખ સુધી પહોેંચી ગઈ હતી. બર્થડેના દિવસને યાદગાર બનાવવા આર્યલેન્ડે બટાટાની ૩૨ જાતો ત્યાં મોકલેલી.
  • ભારતે કુલ વિવિધ પ્રકારના ૨૦ હજાર બિયારણાના સેમ્પલ બેંકમાં જમા કરાવ્યા છે.  - ભારત તરફથી પહેલું સંપેતરું પહેલી જુલાઈએ મોકલવામાં આવેલું. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી કપિલ સિબ્બલ ભારત તરફથી ઘઉં, ચોખા સહિતના પાકોનું બિયારણ લઈને ગયેલા. એ બિયારણ આજે ત્યાં સચવાયેલું છે.


આ પહેલી બેંક નથી!
વિવિધ દેશોમાં નાની-મોટી મળીને ૧૪૦૦ બિયારણ બેંકો છે. પણ એ દેશોમાંથી કેટલાક દેશો એવા છે, કે જેમની પોતાની હાલત જ સુરક્ષિત નથી ત્યાં બેંકો કઈ રીતે સુરક્ષિત રહી શકશે? વળી આતંકવાદી હુમલા, ભુકંપ, પુર, કુદરતિ આપતીઓ વગેરે પણ બેંકને નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે વર્લ્ડ બેન્કમાં બિયારણો સાચવી શકાય.બિયારણ યોદ્ધાઓ
ગ્લોબલ ર્વોમગ) કારણોસર પૃથ્વી પર જોખમ આવી પડે તો  પ્રજાને ખાવા માટે આ સીડ (બિયારણ) બેંક કામ લાગી શકે છે. એ મતલબની એક 'સીડ વોરિયર (બિયારણ યોદ્ધાઓ)' નામે ફિલ્મ પણ બની છે. આ ફિલ્મમાં ૨૦૫૦નો માહોલ બતાવાયો છે. જેમાં નોર્વેમાં બંધાયેલી આ આફત સમયની બેંક કામ લાગે છે.

પહેલે આપ.. પહેલે આપ..
બેંક સત્તાવાર રીતે ૨૦૦૮ની ૨૬મી ફ્રેબુઆરીએ ખુલ્લી મુકાઈ છે. જોકે બેંકમાં ે બિયારણની આવક તો જાન્યુઆરીથી જ શરૃ થઈ ગયેલી. પહેલે દિવસે જ બેંકમાં પોતાનું બિયારણ રશિયા, તાઈવાન, પેરુ, અમેરિકા, ફિલિપાઈન્સ, જર્મની, પાકિસ્તાન વગેરે દેશોએ  જમા કરાવેલા. જોકે પહેલા દિવસના  જમાકર્તાઓમાં ભારતનું નામ ન હતું.

૪૨૫ અબજ રૃપિયા ખર્ચ થયો
સમગ્ર બેંક પાછળ ૯ અબજ અમેરિકી ડોલર (અંદાજે રૃપિયા ૪૨૫ અબજ રૃપિયા)નો ખર્ચ થયો છે, જે નોર્વે સરકારે ભોગવ્યો છે. જોકે તો પણ કોઈ પણ દેશ વિનામૂલ્યે એ બેંકમાં પોતાના બિયારણ સાચવવા આપી શકે છે.

બેન્કનું સરનામું

યુરોપિયન દેશ નોર્વેથી ૯૩૦ કિલોમીટર ઉત્તરે અને ઉત્તર ધ્રુવથી ૧,૧૦૦ કિલોમીટર દક્ષિણે આવેલા સ્વાલબાર નામના ટાપુ ખાતે આ બેંક બની છે. આ ટાપુનું જર્મનોએ સ્પિટસબર્જેન નામ પાડેલું એટલે ટાપુ એ નામે પણ ઓળખાય છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 1 January 2013

ગ્રીનહાઉસ લીલાછમ પાકોનું ઘર





૨૦૧૧-૧૨માં ૫૭૦ ગ્રીનહાઉસ નવાં બન્યાં : ગ્રીનહાઉસ દ્વારા ૧૦થી ૧૫ ડિગ્રી તાપમાન મેઇન્ટેઇન કરી શકા

વનસ્પતિ હોય, ફળ હોય કે ફૂલ દરેકને ચોક્કસ પ્રકારનું વાતાવરણ જોઇએ છે. જો અનુકૂળ વાતાવરણ ન હોય તો ફળ અને ફૂલ વિકાસ પામતાં નથી અને મૂરઝાઇ જતાં હોય છે. વાતાવરણને ચેન્જ કરી પાકનું વધુ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ એટલે ગ્રીનહાઉસ. પાકને લીલુંછમ રાખતં ઘર એટલે ગ્રીનહાઉસ. વિશ્વમાં ઇઝરાયલ, તાઇવાન, હોલેન્ડ, નેધરલેન્ડ તેમજ સ્પેન જેવા દેશોમાં ગ્રીનહાઉસે ખેતીને એક નવી દિશા આપી છે. ગુજરાતમાં ગ્રીનહાઉસનો વ્યાપ વધતો જાય છે. બે વર્ષ પૂર્વે જ્યાં રાજ્યમાં ગ્રીનહાઉસનો કુલ આંક ૪૦૦થી ૪૫૦ હતો ત્યાં આ વર્ષે એક માત્ર રાષ્ટ્રીય મિશન થકી જ ૪૨૫ ગ્રીનહાઉસ બન્યા છે. હવે રાજ્યનો કુલ આંક એક હજારને પહોંચવા આવ્યો છે. દેશમાં ગુજરાત હવે ગ્રીનહાઉસમાં અગ્રીમ હરોળમાં આવી ગયું છે. દેશમાં સૌથી વધુ ગ્રીનહાઉસ ધરાવતા રાજ્યમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. બાદમાં કર્ણાટક પછી ગુજરાતનો નંબર આવે  છે. ગુજરાતે કૃષિ વિકાસદર જાળવી રાખવો હશે અને ખેડૂતોને સધ્ધરતા અપાવવી હશે તો ગ્રીનહાઉસની સંખ્યા વધારવી પડશે, કારણ કે આગામી દિવસો ગ્રીનહાઉસની ખેતીના હશે. હવામાન, નિકાસની સારી તકો અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાથી  ગુજરાતમાં ગ્રીનહાઉસનો વ્યાપ વધારવાની તકો ઘણી છે. 
રતમાં ચાર દાયકાથી ગ્રીનહાઉસનો ઉપયોગ શરૃ થયો છે. પ્રારંભિક તબક્કામાં માત્ર સંશોધનના હેતુ અને કમોસમી વાતાવરણથી અગત્યના પાકોને બચાવવા માટે થતો હતો, પરંતુ કૃષિ ક્ષેત્રે વ્યાવસાયિક સ્તરે ગ્રીનહાઉસનો ઉપયોગ ૧૯૮૮થી શરૃ થયો. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધે તે હેતુથી ગ્રીનહાઉસ ટેકનોલોજીનો વ્યાપ વધારવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકારના આ પ્રયાસોથી દેશમાં ગ્રીનહાઉસનો ઉપયોગ વ્યાપક બન્યા બાદ ગુજરાતમાં પણ છેલ્લા એક દાયકાથી ગ્રીનહાઉસ પ્રચલિત બન્યા છે.
ગ્રીનહાઉસ એક એવી વ્યવસ્થા છે, જેમાં  પાકને અનુરૃપ વાતાવરણ કૃત્રિમ રીતે ઊભું કરવામાં આવે છે. ગ્રીનહાઉસ વધારે પડતા વરસાદ-પવન કે ઠંડી, ગરમીથી પાકને બચાવે છે. ઉપરાંત  ગ્રીનહાઉસમાં ઉત્પાદિત પાકમાં રોગનું પ્રમાણ પણ ઓછું હોય છે. ટૂંકમાં ગ્રીન હાઉસમાં  ૧૦થી ૧૫ ડિગ્રી તાપમાન મેઇન્ટેઇન કરી શકાય છે. ગ્રીનહાઉસમાં ફોગર, સ્પ્રિંકલર, ડ્રિપ ઇરિગેશન અને પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરીને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

ગ્રીનહાઉસ એટલે શં

ગ્રીનહાઉસના બાંધકામમાં પારદર્શક પ્લાસ્ટિકના આવરણવાળી રચના કરવામાં આવે છે. જેથી વનસ્પતિના વિકાસ માટે તેને કુદરતી સૂર્યપ્રકાશ મળી રહે છે.  ગ્રીનહાઉસમાં ઉષ્ણતામાન, પ્રકાશ, ભેજ અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને નિયંત્રિત કરી શકાય છે. ગ્રીનહાઉસ નિષ્ણાતના અનુમાન અનુસાર ખુલ્લાં ખેતર કરતાં ગ્રીનહાઉસમાં બમણું ઉત્પાદન લઇ શકાય છે. ગ્રીનહાઉસના બાંધકામમાં જે તે સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીનહાઉસ મુખ્યત્વે પાંચ પ્રકારના હોય છે. જેમાં ટનલ પાઇપ, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પાઇપ, ઇવન સ્પાન અને ગેબલ ટાઇપ, ક્યુઓનસેટ ટાઇપ તેમજ રીઝ એન્ડ ફેરો ટાઇપનો સમાવેશ થાય છે.

ગ્રીનહાઉસમાં સરકારી સબસિડી ખેડૂતોના લાભનું કારણ

રાજ્યમાં ગ્રીનહાઉસમાં ૧૮ લાખ જ્યારે નેટહાઉસમાં ૧૨ લાખ જેટલી રકમ સબસિડીરૃપે મળતી હોય છે. જે ખેડૂતો માટે લોભનું કારણ પણ બની રહી છે, કારણ કે સબસિડીની મસમોટી રકમ મેળવવાના ઇરાદે ખેડૂતો કેટલીક કંપનીઓ સાથે મળીને સસ્તામાં ગ્રીનહાઉસ અને નેટહાઉસ બનાવી સબસીડીની રકમ ખિસ્સાંમાં સેરવી લેતા હોય છે.
જે ગ્રીનહાઉસ બે વર્ષમાં જ તૂટી જતાં હોવાથી ખેડૂતો આખરે દોષનો ટોપલો ગ્રીનહાઉસની કંપનીઓને માથે ઢોળતા હોય છે. આ સાથે આ વાત એટલી  પણ સાચી છે જેમાં કેટલીક ખાનગી કંપનીઓ ગ્રીનહાઉસના મટીરિયલમાં ચેડાં કરતી હોવાના કેટલાક આક્ષેપો ખેડૂતો દ્વારા થયા છે. હાલમાં રાજ્યમાં ધીમેધીમે નેટહાઉસની હાલત ખસ્તા થઇ રહી છે.
જેનું મુખ્ય કારણ આપતાં ગ્રીનહાઉસ એસો.ના પ્રમુખ ભીમજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, નેટહાઉસમાં ૧૨ લાખની સબસિડી મળી રહી છે. પરિણામે સસ્તા નેટહાઉસની લાલચમાં ખેડૂતો પોતાની કબરો ખોદી રહ્યા છે, માટે રાજ્ય સરકારે પણ સજાગ બની આ અંગે તાત્કાલિક સચેત બનવાની જરૃર રહે છે.

સંકલ્પપત્ર યોજના હેઠળ વર્ષવાર બનેલાં ગ્રીનહાઉસ

સંકલ્પપત્ર યોજનાને ખેડૂતો તરફથી ઘણો આવકાર મળવાની સાથે આ યોજના હેઠળ બનતાં ગ્રીનહાઉસ  રૃપિયા ૨૬ લાખના ખર્ચે તૈયાર થતા હોવાથી ખેડૂતો આ યોજનાનો વધુ લાભ ઉઠાવી રહ્યા છે. રાજ્યમાં ૨૦૦૮-૦૯માં બાવન ગ્રીનહાઉસ સંકલ્પપત્ર યોજના હેઠળ બન્યાં હતાં. જેમાં સુરતમાં ૪૦ ગ્રીનહાઉસ બન્યાં હતાં. જ્યારે ૨૦૦૯-૧૦માં આ અંક વધીને ૧૧૩ પર પહોંચ્યો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાએ મેદાન માર્યું હતું. ૨૦૦૯-૧૦માં સાબરકાંઠા જિલ્લામાં ૫૫ ગ્રીનહાઉસ બન્યાં હતાં.જ્યારે સુરતના ખેડૂતોએ ૩૫ ગ્રીનહાઉસ બનાવવાનું સાહસ કર્યું હતું. આ જ પ્રકારે ૨૦૧૦-૧૧માં ૧૦૨ ગ્રીનહાઉસ બન્યાં હતાં. ૨૦૧૧-૧૨માં પણ રાજ્યમાં અત્યાર સુધી ૧૨૫ ગ્રીનહાઉસ બન્યાં છે. જેમાં સાબરકાંઠામાં ૭૩ અને સુરતમાં ૨૫ ગ્રીનહાઉસ બન્યાં છે. જ્યારે મિશન યોજનામાં  ૪૨૫ ગ્રીનહાઉસ બન્યાં છે. આમ આ જ વર્ષે  ૫૫૦ ગ્રીનહાઉસ બન્યાં છે.

ખેડૂતોને ચૂકવાયેલી સહાય

                              ૨૦૦૮-૦૯         ૨૦૦૯-૧૦         ૨૦૧૦-૧૧         ૨૦૧૧-૧૨
 સંકલ્પપત્ર યોજના      ૪.૧૯ કરોડ          ૧૧.૮૧ કરોડ        ૧૧.૦૭ કરોડ        ૧૬.૧૮ કરોડ

 મિશન યોજના             ૨૨.૯૨ લાખ       ૩૩.૫૫ લાખ       ૩.૪૯ કરોડ          ૧૮.૦૫ કરોડ
published in Gujarat leading agriculture news paper Agro sandesh..